Click here to read in English
મારી અમેરિકાસ્થિત ધર્મની માનેલી એક બહેનને લખવામાં આવેલા પત્રનો અંશ :
“વ્હાલી બહેન,
એક વખતે જ્યારે આપણે બધાં આપણા ધાર્મિક સ્થળેથી પાછાં ફરતાં હતાં, ત્યારે તેં મને તારી કારમાં બેસાડ્યો હતો અને એક પ્રશ્ન પૂછ્યો હતો કે “ભાઈબહેનના સંબંધોમાં કયો મહાન ગણાય – લોહીના સગે બનેલો કે લાગણીથી બંધાએલો?” તારા આ પ્રશ્નનો મેં તને તરત જ જવાબ આપી દીધો હતો કે ‘એ બાબત એકબીજાની સમજદારી ઉપર આધાર રાખે છે.’ તારો આ સીધો જ પ્રશ્ન આપણા પરસ્પરના ભાઈબહેન તરીકેના સંબંધના સંદર્ભે હતો.
મારા મુદ્દાને સ્પષ્ટ કરવા હું તને શેક્સપિઅર (Shakespeare) ના નાટક ‘King Lear’ના કથાવસ્તુમાંથી એક ઉદાહરણ આપવાનું પસંદ કરીશ. તેં મને જેવો પ્રશ્ન પૂછ્યો હતો તેવો જ પ્રશ્ન રાજા લીઅરે (Lear) એક પછી એક એમ પોતાની પુત્રીઓને પણ ‘પિતા અને પુત્રીઓના પ્રેમસંબંધ’ સબબે પૂછ્યો હતો. સૌથી નાની પુત્રીએ પોતાના પિતાને વાસ્તવિકતા ઉપર આધારિત જવાબ આપ્યો હતો, જે તેમને પસંદ પડ્યો ન હતો. પરંતુ, પાછળથી તેમને જ્યારે જીવનના કપરા કાળનો સામનો કરવાનો પ્રસંગ આવ્યો, ત્યારે જ ખબર પડી હતી કે નાની પુત્રી ખરેખર સાચી હતી અને બાકીની પુત્રીઓએ તો સાવ કૃત્રિમ એવા જવાબ વડે તેમને માત્ર ખુશ જ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
મારી બહેન, આપણી જિંદગી એક એવી સ્કૂલ છે કે જ્યાં જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણે સતત શીખતા રહેવાનું જ હોય છે. પ્રેમનો કોઈપણ પ્રકાર હોય, પણ જો તે સાચો હોય તો તે કદીય શબ્દોનો મોહતાજ બની શકે નહિ.”
(લખ્યા તારીખ : જુલાઈ ૦૭, ૧૯૯૭)
- વલીભાઈ મુસા
Translated from English version titled as “Relationship” published on May 05, 2007.