તાજેતરમાં મારા ઉપર આવેલી એક મેઈલ જેનો ભાવાનુવાદિત ઉત્તરાર્ધ કંઈક આ પ્રમાણે હતો – “જો આપણે આપણાં સંતાનોની વધારે પડતી કાળજી લેતા હોઈએ, તેમનું હંમેશાં ઉપરાણું (પક્ષ) જ લેતા હોઈએ; તો શું ખરેખર આપણે તેમના પ્રત્યે આપણો સાચો પ્રેમભાવ બતાવીએ છીએ કે પછી આપણે તેમનું અહિત કરીએ છીએ! તમે તમારાં સંતાનોને સઘળી સુવિધાઓવાળું વસવાટ માટેનું ઘર પૂરું પાડ્યું હોય, તેમને સરસ મજાનું તેમને ભાવતું સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવતું હોય, તેમના મનોરંજન માટે મોટા પડદા (Screen) વાળું TV પણ તમે વસાવ્યું હોય; પરંતુ એ જ સંતાનોએ, દાખલા તરીકે, તમારા આંગણામાંનું ઘાસ તમે કાપતા હો ત્યારે તમારી મદદે ધસી આવવું જોઈએ. જમ્યા પછી અન્યોની જેમ તેમણે પણ તેમના જમવાના થાળીવાડકા ધોઈ નાખવા જોઈએ. ઘરનાં નાનાંમોટાં કામોમાં તેમણે ઓછું કે વધતું પોતાનું યોગદાન આપવું જોઈએ. સંતાનો પાસેથી કામ લેવાનો મતલબ એ નથી કે તમે ઘરમાં નોકરચાકર રાખી શકતા નથી અથવા તો પછી તમે કંઈક નાણાં બચાવવા માગો છો. સંતાનો પાસેથી કામ લેવું એ તેમના જીવનઘડતરના ભાગરૂપ છે. તેમનામાં કામ કરનારાં ઘરનાં અન્ય સદસ્યોની મહેનતને બિરદાવવાની ભાવના વિકસે છે, કામ કરવામાં થતા પરિશ્રમના કારણે લાગતા થાકનો તેમને અહેસાસ થાય છે અને બધાની સાથે કામ કરવાથી તેમનામાં સંઘભાવના કેળવાય છે. સામાન્ય લાગતી આવી બાબતો તેમના ભાવી જીવનમાં તેમના માટે ખૂબ જ ઉપકારક બની રહેતી હોય છે.” Read the rest of this entry »
Monthly Archives: December 2010
(240) ભેદભરમની ભીતરમાં – અનીતિના ધંધામાં પણ નીતિમત્તા! (5)
તારીખ 07 ડિસેમ્બર, 2010 ના ‘ગુજરાત સમાચાર’ દૈનિક અખબારમાં “મટકાના ધંધામાં મુંબઈના બૂકીઓ સામે પડેલા ગુજરાતના બૂકીઓ” શીર્ષક હેઠળ એક સમાચાર પ્રસિદ્ધ થયા હતા કે આગેવાન બૂકીઓની મુંબઈમાં યોજાએલી એક બેઠકમાં કલ્યાણ મટકા (પ્રાયોજક – સુરેશ ભગત) સામે સમાંતર કલ્યાણ રાશિ મટકા (પ્રાયોજક – વિનોદ ભગત)ની શરૂઆત કરવામાં આવશે. સુરેશ ભગતની હત્યાના આરોપ હેઠળ કારાવાસ ભોગવતી તેની પત્ની જયા ભગત કે જે જે. જે. હોસ્પિટલ, મુંબઈમાં સારવાર હેઠળ હતી તે ત્યાં ખાતેથી જ છેલ્લા 450 દિવસથી પોતાના પતિના જ શરૂ કરાએલા કલ્યાણ મટકાનું સંચાલન કરતી હતી.
મારા સુજ્ઞ વાંચકોને થશે કે જીવનલક્ષી ચારિત્ર્ય ઘડતરના લેખો લખનાર આ બ્લોગર અનીતિના વરલી (પ્રાયોજક – રતન ખત્રી)/કલ્યાણ/કલ્યાણ રાશિ મટકા નામે ચાલતા જુગાર અંગેનો આ લેખ શા માટે લખી રહ્યા હશે? આના જવાબમાં હું મહાભારતના દુર્યોધનનું એક અવતરણ ટાંકીશ. ‘ધર્મ શું છે તે હું જાણું છું, પણ તેનું આચરણ નથી કર્રી શકતો; અને અધર્મ શું છે તે પણ હું જાણું છું, પણ તેનાથી દૂર નથી રહી શકતો.’ આમ વ્યક્તિએ પોતાના ચારિત્ર્ય ઘડતર માટે કોઈપણ બાબતનાં સારાં કે નરસાં એમ બંને પાસાં વિષેની જાણકારી મેળવવી જોઈએ કે જેથી ઉભયના લાભાલાભ સમજી શકાય અને તે પ્રમાણે અનુસરણ કે આચરણ કરી શકાય. Read the rest of this entry »
(239) હાસ્યહાઈકુ : 20 – હાદના દાયરેથી (15)
શ્વાનમાદાએ
હડકવા વોર્ડે જ
પ્રસવ્યાં બચ્ચાં!
આ તો પૂર્વના દેશોની વાત છે, ભાઈ-બાઈ! રખડતાં મનુષ્યેતર પ્રાણીઓ અહીં જ વિશેષ જોવા મળે. લોકોમાં જીવદયા ભાવના ખરી ને!
જાહેર રસ્તાઓ ઉપર ભક્ષ માટે ભટકતા અને ભસતા શ્વાનકૂળને જાહેર અને ખાંનગી દવાખાનાંની ઓળખ પણ પડતી હોય છે. અંગ્રેજીમાં કહેવાય છે કે Time and tide do not wait for man. બસ, એમ જ માનવ કે અમાનવ માદાનો પ્રસવકાળ સ્થળ, કાળ, દિશાઓ, સાનુકૂળતા કે પ્રતિકૂળતાને ધ્યાનમાં લીધા વગર પોતાના નિર્ધારિત ક્રમે પોતાનું કાર્ય બજાવ્યે જ રાખે છે.
આપણા આ હાઈકુની નાયિકા ‘શ્વાનમાદા’ (‘કૂતરી’ અપશબ્દ નહિ પ્રયોજું!) ના કર્મની કઠણાઈ તો જૂઓ કે કોઈક જાહેર દવાખાનાના હડકવાની સારવાર માટેના વોર્ડ આગળ જ તે પોતાનાં ગલૂડિયાંને જન્મ આપે છે. પોતાનાં જાતિ ભાઈબહેનોના હડકવાના રોગનો ભોગ બનેલાં અ-શ્વાનો (માનવીઓ)ની સારવાર કે હડકવા વિરોધી રસીકરણ માટેનો આ વોર્ડ પોતાના માટે કામચલાઉ પ્રસૂતિ વોર્ડ બની જાય છે.
અહીં આ ઘટનામાં શું કુદરતે માનવીઓના જેવી અવળાઈ કરી નથી લાગતી કે જ્યાં ‘અહીં કચરો નાખવો નહિ’ જેવા બોર્ડ આગળ લોકો કચરાના ઉકરડા કરતા હોય; અને, ‘અહીં કોઈએ પાનમસાલા કે ગુટખા ખાઈને પિચકારી મારવી નહિ’ તેવા દિવાલ ઉપરના લખાણને તેવી જ પિચકારીઓના કારણે વાંચી પણ ન શકાતું હોય!
- વલીભાઈ મુસા
હાદ = હાસ્ય દરબાર



