RSS

(322) Best of 5 years ago this month (1)

CLICK ON …

“All’s Well that Ends Well”  (May-2007)

” The Divorce – Legal, but undesirable” (May-2007)

 

(૩૨૧) મારી નજરે – “નિવૃત્તિની પ્રવૃત્તિ” (વિજય શાહ અને ‘હરિપ્રેમી’)

‘અમે બધાં’ પછી બીજી આ જ કૃતિ મારી નજરે ચઢે છે. ‘અમે બધાં’માં તો હાસ્ય જ વેરવાનું હોઈ મોકળાશ વધુ અને હળવાશ તો તેથીય વધુ હોય તે સ્વાભાવિક છે. જ્યોતીન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતા જેવા સિદ્ધહસ્ત લેખકો માટે તો એ ડાબા હાથનો ખેલ જ હોય. જુદાં જુદાં પ્રકરણોમાં સત્તર-પંદર આની ખપી જાય, પણ અહીં આ કૃતિમાં તો ગંભીર વાતો સહજભાવે કહેવાની હોઈ ઘણી બધી સાવધાનીઓ વર્તવી પડે અને તે સઘળું અહીં સુપેરે પાર પડે છે. વચ્ચે એક વાત કહી દઉં કે હવે પછી જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં ત્યાં બંને લેખકો માટે હું ‘દાદા’ અને ‘ભાઈ’ શબ્દો પ્રયોજીશ કે જેથી લખાણમાં લાઘવ લાવી શકાય.

બીજી એક સાવ નિખાલસ વાત કે હું કોઈ વિવેચક નથી કે કોઈ વિદ્વાન વિવેચકોના પેંગડામાં પગ ઘાલવાનો મારો પ્રયત્ન પણ નથી! ‘ભાઈ’ સાથેનો પ્રત્યક્ષ મિત્રભાવ અને ‘દાદા’ સાથેનો માત્ર પરોક્ષ મિત્રભાવ જ નહિ, પણ તેથીય વિશેષ કહી શકાય તેવો અહોભાવ કદાચ જિન સ્વરૂપે મારા વિચારો ઉપર પોતાનાં આધિપત્ય જમાવે છે અને કમ્પ્યુટરના કીબોર્ડ ઉપર મારી આંગળીઓનાં ટેરવાંઓને કાર્યાન્વિત કરે છે. અહીં હું લખતો નથી, પણ લખાઈ જાય છે. ધંધાવ્યવસાયની દોડધામોમાં દાયકાઓ સુધી સાહિત્યનો સંપર્ક ઓછો રહ્યો છે, પણ કપાયો તો નથી જ; જેની પ્રતીતિ કે નવાઈ મને પોતાને પણ લાગે છે કે આ બધું અને આવું બધું મારા મગજના કયા ખૂણામાંથી બહાર આવે છે! ખેર, આપણે આગળ વધીએ તો કેવું સારું!

વિષયવસ્તુ તો કૃતિનાં પાનેપાનાંમાં ઠાંસીઠાંસીને ભરાયેલ છે અને તેને પુનરાવર્તિત કરવાનો મારો લેશમાત્ર ઈરાદો નથી. આમ છતાંય ક્યાંક જરૂર લાગશે, તો જણાવતો રહીશ; પણ, હાલ તો ઊડીને આંખે વળગે તેવી લેખકોની ખૂબીઓને અને ગહન વાતોની ચોટદાર રજૂઆતોને વર્ણવીશ. પ્રકરણ તમે શોધી લેજો, પણ વાત તો હું મૂકી દઈશ કે ‘તમારી પૂજા-પ્રાર્થના… મોટેથી બોલો તો તેની તાકાત ગુમાવે છે. પ્રાર્થના પ્રભુને નહિ, પણ જગતને સંભળાય છે.’ કેવી ધારદાર રજૂઆત! તો વળી, ‘ગ્રહદશા નહિ, આગ્રહદશા નડતી હોય છે.’

‘દીકરો-દીકરી એક સમાન’ સૂત્રની જેમ ‘બાળપણ-ઘડપણ એક સમાન’ ગણી શકાય, પણ વૃદ્ધો બાળકોના જેવી હઠ તો ન જ લઈ શકે. વૃદ્ધત્વ એ તો સમજદારી, વૈચારિક પુખ્તતા અને દરિયાવદિલીના સંગમ સમાન છે. વૃદ્ધ તો કુટુંબમાં દરેકને હૂંફ આપે, સઘળાં કુટુંબીજનો વચ્ચે સેતુ બને અને સૌ ઉપર સરખો સ્નેહ વરસાવે. યુવાનવયે પતિ-પત્ની વચ્ચે પ્રેમ હોય અને એ જ પ્રેમ વૃદ્ધાવસ્થાએ સ્નેહમાં પરિવર્તિત થાય. સ્નેહની આ વાતને યથાર્થ રીતે સમજવી હોય તો ગમે ત્યાંથી શોધીને પણ ર. વ. દેસાઈની નવલિકા ‘વૃદ્ધ-સ્નેહ’ વાંચવી જોઈએ. લેખક બંધુઓએ જીવનસાથીના સાથની વાત ઉપર ભાર મૂકતાં ઘણાં દૃષ્ટાંતો અને પ્રસંગો આપતા રહીને એક વાત ખાસ સમજાવી છે કે વૃધ્ધાવસ્થાએ પતિ-પત્નીએ કોઈ એકે બીજાનો એમ નહિ, પણ બંનેએ અરસપરસ એકબીજાનો હાથ પકડી રાખવો જોઈએ.

લેખક મિત્રોએ ચંચળ મનને કાબૂમાં રાખવાનો મંત્ર વાણિયા અને જિનની બોધકથા દ્વારા એ રીતે સમજાવ્યો છે કે મનને હંમેશાં પ્રવૃત્ત રાખવું. ગુજરાતી પ્રથમ નવલકથા ‘કરણ ઘેલો’ ના લેખક નંદશંકર તુળજાશંકર મહેતાના જીવન વિષેનું પુસ્તક ‘નંદશંકર જીવનચરિત્ર’ માં આલેખાયું છે કે મનને વ્યસ્ત રાખવા માટે નંદશંકર સ્લેટ-પેન લઈને નિવૃત્તિવયે અંકગણિતના દાખલા ગણતા અને બાબરિયા ભૂત જેવા મનને પ્રવૃત્ત રાખતા. મનને અંતરમાં વાળવાની વાત પણ એટલી જ મનનીય છે. વિધાતાએ મનુષ્યને તેના અંતરમાં જ દેવત્વ આપીને પૃથ્વી ઉપર મોકલ્યો છે.

દેવોની તો સલાહ હતી કે દેવત્વને આકાશ કે સમુદ્રમાં છુપાવી રાખવામાં આવે કે જેથી મનુષ્ય તેને સરળતાથી પ્રાપ્ત ન કરી શકે, પણ વિધાતા તો સર્વજ્ઞ હતા. તેમને તો ખબર હતી કે તેમનો સર્જેલો કાળા માથાનો માનવી અવકાશમાં વિહરી શકશે અને સમુદ્રને પણ ફંફોસી લેશે, અને દેવત્વને મેળવી લેશે. છેવટે તેમણે દરેક મનુષ્યના અંતરમાં જ દેવત્વ આપી દીધું. તેમની ધારણા હતી કે મોટા ભાગના લોકો દેવત્વ માટે બહાર ભટકશે અને જવલ્લે જ કોઈક વીરલાઓ અંતર તરફ વળીને દેવત્વ પામી શકશે.

મારા આ કૃતિના અવલોકનના વાંચકો! મને આશા છે કે કેટલીક નવીન માહિતીઓ સૌને રસપ્રદ લાગી હશે. આ અવલોકન લેખ કૃતિની કેટલીક જ બાબતોને સ્પર્શતો હોઈ સાવ મર્યાદિત બની જાય છે. તેમ છતાંય અન્ય વિદ્વાન વાંચકો સમગ્ર રચનાના બાકી રહી જતા કેટલાક મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને પોતાનાં અવલોકનો વ્યક્ત કરશે, તો સુખી વૃદ્ધજીવન માટે ઉપકારક થઈ પડે તેવી આ ઉત્તમ રચના વધુ લોકભોગ્ય બની રહેશે.

-વલીભાઈ મુસા


 

(૩૨૦) નિજ ચક્ષુ તણી ભીની પાંપણે! (વ્યંગ કાવ્ય)

(અછાંદસ)

‘કેટલું ભાડું?’

‘ચૌદ રૂપીઆ’ વદે ઓટોવાળો મીટર જોઈ,

‘લે ભાઈ, નોટ બરાબર જોઈ લેજે! ઘરની જ છાપેલી છે, વહેમ કરીશ મા!’ વદું હું હળવા મિજાજે!

‘હજારની નોટ! ક્રૂર મજાક! છૂટા નથી, કાકા. લાવી દો ક્યાંકથી, હું થોભું છું.’

‘લ્યો હું આપું!’ ફૂટપાથધારે મલિન ધડકલી સ્થિત સુઘડ કપડે યાચક વદે અવ દ્વય તણા આશ્ચર્યે!

‘અરે વાહ! તુજ ગરીબીરેખા તો તુજ ચરણતળે આળોટતી ને કુર્નિશ બજવતી! કેટલું બેંકબેલેન્સ રે ભાયા?’

‘ઊંડો હાથ ઘાલો મા! ચકરી ખાઈ જશો સુણી અને ૧૦૮ ને બોલાવવી પડશે મારે જ, મુજ સેલ ફોન થકી!

‘સેલ ફોન? બતાવ તો! પણ અલ્યા, આ તો બ્લેક બેરી! તફડાવ્યો તો નથી ને!’

‘સાઈબર ક્રાઈમ અને ઈન્ડીઅન પિનલ કોડના વિવિધ કાનુનો ઝળુંબે માથે અને શક્ય ખરું એ ભલા!

‘છૂટા દઈ દે ભાયા, આ ત્રિચક્રયાનચાલકને કરી વિદા, બેસું તુજ સંગ ઘડીભર!’

‘ક્યમ ક્યમ કોઈ પત્રકાર છો કે?’

’ના, ના! કવિ છું હું અને કવિતા તો લખીશ જ નાનકડી હા તુજ ઉપરે! હવે પૂછું?’

‘હા હા, જરૂર; પણ નામ ન લખવાની શરતે! ઘરબારી છું અને ઘરમાં વહુવારુ પણ છે!’

‘સરકારી નોકરી કે? અને જો હા, તો પછી ભ્રષ્ટાચાર આદર્યો ક્યમ નહિ?’

‘ભીખ ભલી, ભ્રષ્ટાચાર ભૂંડો; ભીખ ભલમનસાઈ, ભ્રષ્ટાચાર જૂલમ.’ સૂત્રાત્મક શબ્દે એ વદે!

‘પગાર અપૂરતો કે શું?’

‘ના, પણ બિન અનામત બેઠકે કમરતોડ સેલ્ફ ફાયનાન્સ ફીએ છોકરાં શીદ ભણવવાં?’

‘ઓહ, તો મજબૂરી! ધન્ય છે ભલા, તારી જનેતાને! પણ, આમાં ધનસંચયવૃત્તિ તો નહિ ને!’

‘ના, હરગિજ નહિ! પેલા રાજમહેલવાળા ચાર જ રત્નોના ચોરની જ્યમ જરાયે અધિક ના!’

‘તો લે ભાઈ, આ પાંચસો અને અહેસાન કર સ્વીકારી મુજ ઉપરે!’ વદું હું ભાવવાહી શબ્દે!

‘પણ, કવિઓ તો હોયે બિચારા દરિદ્ર! અને, તમે તો!’

‘કલાપી અને ટાગોર જેવા અપવાદો ન હોય ભલા! ખેર, હું રજા લઉં?’

‘ખુશીથી!’ અને એ નિરખી રહે મને, કૃતજ્ઞભાવે નિજ ચક્ષુ તણી ભીની પાંપણે!

-વલીભાઈ મુસા

 

Tags: , , ,

 
Follow

Get every new post delivered to your Inbox.