આત્મહત્યા
Click here to read in English
મેં મારા અગાઉના લેખ ‘Depression’ (ઉત્સાહભંગ)માં દર્શાવ્યું હતું કે ‘ઉત્સાહભંગ’ જેને બીજા શબ્દોમાં કહીએ તો ‘હતાશા’ એ માનવીના મનની એવી નકારાત્મક સ્થિતિ છે કે જેનો ભોગ બનનારને તે કોઈકવાર આત્મહત્યા કરી લેવા તરફ દોરી જાય છે. ‘આત્મહત્યા’ શબ્દને સમજાવવો જરૂરી ન હોવા છતાં સંક્ષિપ્તમાં લખીશ કે ‘આત્મહત્યા’ એ એવી ક્રિયા છે જેમાં વ્યક્તિ પોતે જ ખુદની જિંદગીનો અંત લાવી દે છે. જ્યારે વ્યક્તિ પોતાના જીવનની ખાસ કોઈ સમસ્યાઓ કે ભૂલોના કારણે માનહાનિ અનુભવે, ત્યારે તે એમ વિચારવા માડે છે કે હવે જિંદગી નકામી અથવા કલંકરૂપ છે. આમ તેની ઈચ્છા એવી પ્રબળ બની જાય છે કે પોતે પોતાના દુઃખનો ઝડપી અને કાયમી ઉકેલ આત્મહત્યા કરીને લાવી દે છે અને પરિણામે ખૂબ જ આઘાતજનક અને દુઃખદાયક એવી આ ક્રિયા સર્જાતી હોય છે. આમ કોઈ મકાન જેમ પોતાના ખુદના જ ભારથી કડડભૂસ કરતું જમીનદોસ્ત થઈ જાય તેવી રીતે વ્યક્તિ પોતે સાવ એકદમ ભાંગી પડે છે.
જીવન એ બ્રહ્માંડના તમામ જીવોને સર્જનહાર તરફથી આપવામાં આવેલી એક એવી અણમોલ ભેટ છે જે થકી કુદરતી મૃત્યુ ન આવે ત્યાં સુધી દરેક જીવ જીવી શકે. આમ છતાંય માનવી જ માત્ર એક એવું સર્જન છે કે જે પોતાની માનસિક પસંદગી કે શારીરિક શક્તિ અનુસાર જીવવા કે મૃત્યુ પામવા માટે આઝાદ છે. કેટલીકવાર એવું પણ જોવા મળતું હોય છે કે કોઈક કમજોર મનવાળા માણસો પોતાના જીવનમાં ઘટેલી આઘાતજનક ઘટના કે પછી કોઈ પીડા કે વેદનાથી જિંદગી હારી ગયાનું મહેસુસ કરતા હોય છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે માણસ સામાન્ય રીતે મૃત્યુથી ડરતો હોય છે, પણ અહીં તો તે મૃત્યુ સામે વિજયી બની જઈને જલ્દીથી પોતાના જીવનનો અંત લાવી દઈને કટોકટીપૂર્ણ વર્તમાન પરિસ્થિતિમાંથી છટકી જવાનો પ્રયત્ન કરતો હોય છે. સામાન્યતઃ માનવી અન્ય કોઈ ચીજ કરતાં સૌથી વધારે પ્રેમ પોતાની જિંદગીને કરતો હોય છે; પણ જ્યારે તે આત્મહત્યા કરવાના વિચાર ઉપર આવી જતો હોય છે, ત્યારે તે પોતાની સૌથી વહાલી એવી જિંદગીને ધિક્કારતો થઈ જાય છે અને મૃત્યુ જ તેને ખૂબ જ આકર્ષક લાગે છે એટલા માટે કે જાણે તે જ માત્ર પોતાને સઘળાં દુઃખોમાંથી બહાર કાઢી શકશે.
બિલ મેહર (Bill Maher) નામનો વિદ્વાન ‘આત્મહત્યા’ને પોતાના આગવા શબ્દોમાં વર્ણવતાં એમ કહે છે કે ‘ આત્મહત્યા એ જાણે કે ઈશ્વરને એ સંભળાવી દેવાની એક એવી રીત છે કે તું મને શું મારી શકવાનો હતો, લે હું પોતે જ મારી જિંદગીને ત્યજી દઉં છું!’ ચર્ચાની એરણ ઉપરના આ વિષયનું સાવ સાદું તારણ એ છે કે ઘણું કરીને જીવિત માણસો એટલા માટે જીવતા રહેતા હોય છે કે તેઓ મૃત્યુથી ડરતા હોય છે; અને આત્મહત્યા દ્વારા મરી જવા માગતા માણસો એટલા માટે મરવાનું પસંદ કરતા હોય છે કે તેઓ જિંદગીથી ડરતા હોય છે! અહીં આપણે એ વિચારી લેવું પડશે કે શું આત્મહત્યા એ સાચે જ સમસ્યાઓનો વ્યાજબી અને કાયમી ઉકેલ છે! હરગિજ નહિ, કેમ કે આત્મહત્યા એ તો જિંદગીને ક્યાંય નહિ લઈ જતો ભાગી જવા માટેનો પાછલો દરવાજો છે. માણસ આત્મહત્યા કરીને તો ઊલટાનો સુખમય જીવનની બધી જ શક્યતાઓ અને જીવતા રહીને સમસ્યાઓના સંભવિત ઉકેલ માટેના એમ બધાજ દરવાજા બંધ કરી દે છે. આપણી પ્રવર્તમાન પરિસ્થિતિમાંથી બહાર નીકળી જવા માટેની આશા આપણે છોડવી જોઈએ નહિ; વળી, એટલું જ નહિ પણ સંજોગો સામે લડી લેવાની ક્ષમતા પણ આપણે ધારણ કરી લેવી જોઈએ. એવું પણ બની શકે કે જો આપણે જીવતા રહ્યા હોઈશું તો જીવનના જે માર્ગે આપણે સફર કરી રહ્યા છીએ, તેનાથી કોઈક જુદો જ માર્ગ આપણને મળી જાય અને આપણું જીવન સુખમય બની રહે.
હિંદુ ધર્મમાં છે કે કોઈ પોતાના શરીરને પોતે જ હણી નાખે અર્થાત્ આત્મહત્યા કરી દે તે બીજા કોઈનું ખૂન કરવા જેટલા જ પાપ સમાન છે. ખ્રિસ્તી મત મુજબ માનવ જીવન પવિત્ર છે અને તે ઈશ્વરનું ઉમદા અને ભવ્ય સર્જન છે અને તેને શક્ય તેટલું જાળવી રાખવા અને બચાવી લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. મુસ્લીમોના ધર્મગ્રંથ પાક કુરઆનમાં પણ એક આયત (શ્લોક) સ્પષ્ટ રીતે જણાવે છે કે ‘અને તમે તમારી જાતને પોતે જ મારી ન નાખો, સાચે જ અલ્લાહ તમારા ઉપર ખૂબ જ મહેરબાન છે.”(૪:૨૯). પ્રાચીન રોમન કાયદામાં પણ આત્મહત્યા કરનારાઓને તેમ કરતા અટકાવવા માટે તેમના મૃતદેહને નગ્નાવસ્થામાં શેરીઓમાં ફેરવવાની જોગવાઈ કરવામાં આવી હતી. અન્ય કેટલાક પ્રાચીન કાયદાઓ મુજબ આત્મહત્યા કરનારના શબને જાહેર સ્થળે કેટલાક દિવસ માટે લટકાવી રાખવામાં આવતું હતું, જે એટલા માટે નહિ કે મરનારને સજા કરવામાં આવે છે કેમ કે તે અર્થહીન હતું; પણ તે દ્વારા બીજાઓને બોધપાઠ આપવામાં આવતો હતો કે કોઈ આત્મહત્યા કરી લેવાનો માર્ગ પસંદ ન કરે.
આના સંદર્ભે સૈદ્ધાંતિક દલીલ આ પ્રમાણે આપી શકાય કે આવી આત્મઘાતી વિચારો લાવતી કટોકટીપૂર્ણ પળોએ માણસે અંજામ તરફ પહોંચતાં પહેલાં થોડાક અટકી જઈને ચિંતન કરી લેવું જોઈએ. પોતાના આખરી કદમને ઊઠાવવા પહેલાં થોડોક પુન્:વિચાર કરીને ઉદ્દીપક તરીકે જવાબદાર ઘટી ગએલી ઘટના તરફ થોડાક ભૂતકાળ તરફ જઈને પોતાના વિચારોનું પૃથક્કરણ કરી લેવું જોઈએ. વળી આટલું જ નહિ, પણ જે તે પરિસ્થિતિને સમધારણ કરી લેવા માટેના ભવિષ્યના ઉપચારાત્મક ઉપાયો વિચારી કાઢવા જોઈએ. આટલા સુધીની આ દલીલ થોડીક અવ્યવહારુ અને હાસ્યાસ્પદ લાગશે કેમ કે મનોવૈજ્ઞાનિકો અને મનોચિકિત્સકો પણ કહે છે કે જે માણસ આત્મહત્યા કરી જ લેવાના આખરી તબક્કે પહોંચી ગયો હોય તેની માનસિક સ્થિતિ એવી થઈ ગઈ હોય છે કે તે પરિસ્થિતિ અંગેના સમીક્ષાત્મક વિચારો કરી જ ન શકે. એવા ઘણાય બુદ્ધિશાળી કે બુદ્ધિજીવિ અને પરિપક્વ વિચારોવાળા માણસો પણ આત્મહત્યાને ટાળવામાં નિષ્ફળ ગયા હોય, ત્યારે કોઈ સામાન્ય દહાડિયા મજૂર તરીકે રોજી રળી ખાતો ગરીબ માણસ પોતાના જીવનના કોઈ હાદસા કે માનહાનિના પ્રસંગને પહોંચી વળવા માટેની કેવી રીતે ટક્કર લઈ શકે. મધર ટેરેસાનું વિધાન છે કે ‘એકલવાયાપણું અને ઉપેક્ષિતતાની લાગણી અનુભવી એ જ સૌથી વધારે મોટી ગરીબી છે.’ આ વાતની સ્પષ્ટતા કરીએ તો શ્રીમંતાઈ એ ફક્ત દુન્યવી ધનદોલત કે બૌદ્ધિક સંપત્તિમાં જ સીમિત નથી. મારા મુદ્દાને વધુ સ્પષ્ટ કરવા પૂરતાં નીચે કેટલીક ઐતિહાસિક મહાન વ્યક્તિઓનાં ઉદાહરણ આપીશ કે જેમણે હતાશા કે માનસિક તનાવનો ભોગ બનવાના કારણે આત્મહત્યા કરી લીધી હતી.
સાદિક હિદાયત નામના અર્વાચીન નામાંકિત ઈરાની લેખકે ઝેરી ગેસના માધ્યમથી આત્મહત્યા કરી લીધી હતી, તો વળી ગ્રીસની રાણી ક્લિયોપેટ્રા સાતમીએ યુદ્ધમાં થએલી હારને સહન ન કરી શકવાના કારણે પોતાનો જીવ ખોયો હતો. તે જ પ્રમાણે અંગ્રેજી નવલકથાઓની લેખિકા વર્જિનિયા વુલ્ફ પોતાનાં ખિસ્સાંમાં વજનદાર પથરાઓ ભરીને ઊંડી નદીમાં ચાલી જઈને ડૂબી મરી હતી. સાયમન્ડ ફ્રોઈડ નામના ઓસ્ટ્રીઅન મજ્જાતંતુશાસ્ત્રી અને મનોચિકિત્સક અધિકતમ સિગાર પીવાના કારણે મોંઢાના કેન્સરનો ભોગ બન્યા હતા અને ફિઝીશીઅનની મદદ વડે વધુ માત્રામાં અફીણના અર્કનું પાન કરીને આપઘાત કરી લીધો હતો. મેથેમેટિક્સ અને આધુનિક કોમ્પ્યુટર ટેકનોલોજીના પિતાનું બિરૂદ મેળવેલા એવા એલન ટુરીંગે સાઈનાઈડના ઝેરથી પોતાના જીવનનો અંત આણી દીધો હતો. જર્મન રાજપુરુષ એડોલ્ફ હિટલરે બીજા વિશ્વયુદ્ધમાં બર્લિન ગુમાવી દેવાના આઘાતથી સાઈનાઈડની કેપ્સુઅલ ચાવી જઈને અને પછી તરત જ પોતાની ગનમાંથી ગોળી છોડીને પોતાના જીવનને સમેટી લીધું હતું. વળી આ ઘટનામાં નવાઈ પમાડનારી બાબત એ હતી કે હિટલરે આત્મહત્યા કરવાના ચોવીસ કલાક પહેલાં જ પોતાની પ્રેમિકા ઈવા બ્રાઉન સાથે લગ્ન કરી લીધાં હતાં અને તેણીએ પણ હિટલરની જેમ જ આત્મહત્યા કરીને તેને આખરી સાથ આપ્યો હતો.
ઉપરોક્ત ઉદાહરણોમાં નામાંકિત ઐતિહાસિક વ્યક્તિઓના ઉલ્લેખ દ્વારા ‘આત્મહત્યા’ની અનિષ્ટ ક્રિયાને પ્રમાણિત કરવાનો મારો લેશમાત્ર ઈરાદો નથી. ફ્રોઈડના કિસ્સાને કદાચ ઉચિત ઠરાવી શકાય કેમકે તે આત્મહત્યા નહિ, પણ દયામૃત્યુ હતું. પોતાના મોંઢાના કેન્સરને મટાડવા માટે તેમણે લગભગ ત્રીસ વખત શસ્ત્રક્રિયા કરાવી હતી અને છેવટે પીડા અસહ્ય થતાં તેમણે પોતે જ મૃત્યુ માગ્યું હતું. મારા અગાઉના આર્ટિકલ “Mercy killing or Merciful death – A debate” (દયાહત્યા કે દયામૃત્યુ – એક ચર્ચા) માં આ વિષય અંગે વિશદ છણાવટ કરવામાં આવી હોઈ અત્રે તેનો ઉલ્લેખ અસ્થાને છે. અહીં આપણો ‘આત્મહત્યા’નો વિષય હોઈ તે નિંદનીય કૃત્યને ટાળવા માટે બહુ જ મર્યાદિત શબ્દોમાં કહું તો સાધારણ કિસ્સાઓમાં માત્ર હકારાત્મક વિચારો જ સહાયરૂપ થઈ શકે. જો માનસિક સ્થિતિ વધુ તીવ્ર હોય તો વ્યક્તિએ તરત જ પ્રોફેશનલ મદદ મેળવી લેવી જોઈએ અથવા આત્મહત્યા નિવારણ માટેની ઈન્ટરનેટ હેલ્પલાઈનની કે અન્ય કોઈ સંચાર સેવા અથવા એવી સેવાભાવી સંસ્થાઓનો સહારો લેવો જોઈએ. જ્યારે તમે આ પ્રકારની સેવાઓને શરણે જાઓ, ત્યારે તમારે કશું જ કરવાનું રહેતું નથી, સિવાય કે તે નિષ્ણાતોનાં સૂચનોને અનુસરતા જવું. તમારે તેમની સાથેની બેઠકોને અથવા તેમની સાથેના સંપર્કને ત્યાર સુધી ચાલુ રાખ્યે જવો જોઈએ, જ્યાર સુધી તમને તેમ કહેવામાં આવે.
પરંતુ સામાન્ય હતાશાના સંજોગોમાં હકારાત્મક ચિંતન જ તમને આપઘાત માટેના વિચારોને હળવા બનાવવા કે તેમને સંપૂર્ણ નેસ્તનાબૂદ કરવા માટે મદદરૂપ થઈ શકે. આ ચિંતનાત્મક વિચારો સાવ સરળ અને વ્યવહારુ છે અને તેમને કોઈ વૈજ્ઞાનિક આધારની જરૂર પણ નથી. ધાર્મિક વિચારો ધરાવતા માણસો ચોક્કસપણે એ સ્વીકારશે જ કે જિંદગી એ આપણા માટે ઈશ્વરદત્ત એક એવી ભેટ કે અમાનત છે કે જેને વ્યર્થ રીતે વેડફી નાખવાનો આપણને કોઈ અધિકાર નથી. આપણી જિંદગી ઉપર આપણા કુટુંબના સભ્યો કે આપણી સાથે લાગણીના સંબંધોથી સંકળાયેલા અન્ય લોકોનો પણ તેટલો જ અધિકાર છે. આપણી જિંદગી આપણા એકલા પૂરતી સીમિત ન રહેતાં સહિયારી બની જાય છે. આત્મવિલોપન કરી લેવામાં જરાપણ શાણપણ નથી કે જેથી એ બિચારા લોકોને આપણા કારણે શરમિંદગીની સ્થિતિમાં મુકાવું પડે. તેઓને તો હજુ વધારે લાંબું જીવવાનું હોઈ આપણા મૂર્ખાઈભર્યા પગલાથી સમાજમાં આપણા વિષે થતી રહેતી કટુતાપૂર્ણ ટીકાટિપ્પણીઓનો સામનો કરવાની તેમના માટે નોબત આવે. વળી આપણે ચોક્કસપણે એ યાદ રાખવું જોઈએ કે આપણે આપણા દુ:ખ વિષે જેટલું વધારે ઊંડું વિચાર્યે જઈએ તેટલા જ વધુ ને વધુ આપણે ઊંડા ડૂબતા જઈએ. ખરેખર તો જો વિચારવું જ હોય તો આપણે કલ્પના કરી લેવી જોઈએ કે આપણે આપણા નિવાસસ્થાનના કોઈક ઓરડામાં ફાંસો ખાધેલી સ્થિતિમાં લટકતા હોઈએ તો કેવી આપણી જીભ મોંઢામાંથી બહાર નીકળી ગઈ હોય અને આપણી આંખોના ડોળા ફાટી ગયા હોય! વળી આપણે જો રેલવેના પાટા આપણા લોહીથી લાલ કરી દેવાનું વિચારતા હોઈએ તો એ પણ કલ્પના કરી લેવી જોઈએ કે પૂર ઝડપે દોડી આવતી ટ્રેનનાં પૈડાં વડે કોણ જાણે આપણા શરીરના કેટકેટલા ઝીણાઝીણા ટુકડાઓ થઈ ગએલા હોય કે માંસના છૂંદેછૂંદા નીકળી ગએલા હોય. આમ આપણે આપઘાત કરવા માટેના અન્ય માર્ગોની પણ કલ્પના કરીને આપણા શરીરની થતી દયનીય દુર્દશાનું ચિત્ર આપણી નજર સમક્ષ લાવી શકીએ. જાતે સળગી જઈને આત્મહત્યા કરનારા લોકો વિષે આપણે સાંભળીએ છીએ કે તેઓ છેવટે ‘બચાવો, બચાવો’ની કાગારોળ દ્વારા કોઈકની મદદ માગતા હોય છે. આ અને આવા કેટલાક મુદ્દાઓ છે જે આત્મહત્યાની ઈચ્છાને રોકવા માટે ગંભીર વિચારણા માગી લે તેવા છે.
સામાન્ય રીતે જે લોકો આત્મહત્યા કરવા માટે કૃતનિશ્ચયી હોય છે તેમના માટે એવું જાણવા મળે છે કે તેમણે એવી મૂર્ખાઈભરી ધારણા બાંધી લીધેલી હોય છે કે તેઓ એકલા માત્ર જ જીવનની કરૂણ સ્થિતિમાં મુકાએલા છે અને જગતના બાકી તમામ માણસો સહીસલામત છે. પણ, વાસ્તવિકતા તો એ છે કે સૌ કોઈ ઓછા કે વધતા અંશે મુશ્કેલીમાં હોય જ છે. દરેકને પોતાના જીવન સાથે સંકળાએલા દુ:ખના ભારને પોતે જ વહન કરવાનો હોય છે. એ એક મૂર્ખાઈભર્યો વિચાર છે કે એકલા આપણા પોતાના દુ:ખના કારણે જગત આખુંય થંભી જાય અને આપણા દુ:ખે દુ:ખી થાય. આપણી ખોટી અપેક્ષા હોય છે કે જગત આપણા માટે અને આપણી સાથે રૂદન કરે! વ્યક્તિગત રીતે દરેકને પોતપોતાની સમસ્યાઓ હોય છે અને તેમને દરેકે પોતે જ ઉકેલવી પડે. આત્મહત્યા એ કોઈપણ સમસ્યાનો આદર્શ ઉકેલ તો નથી જ નથી. આપણે કોઈ દિવસ એવું સાંભળ્યું કે જોયું છે ખરું કે પશુઓએ કે પક્ષીઓએ કદીય આત્મહત્યા કરી હોય? મનુષ્ય એ ઈશ્વરનું એક ખાસ પ્રકારનું એવું સર્જન છે કે જેને તેણે વિચારશક્તિની ભેટથી નવાજ્યો છે. દુ:ખની એ કપરી પળોમાં માણસે પોતે જ મૃત્યુ કે જિંદગીની પસંદગી કરવાની હોય છે. અહીં આપણા આગળ એ સવાલ આવીને ઊભો હોય છે કે આપણે આપણા અસ્તિત્વને જાળવી રાખવું કે મિટાવી દેવું.
જીવનની મૂંઝવણના ઉકેલ માટેના આત્મહત્યાના વિચારને કાયમી જાકારો આપવા અને સાચી દિશા પ્રાપ્ત કરવા માટે એક વિશેષ હકારાત્મક માર્ગ એ પણ છે કે માણસે કલ્પના દ્વારા પોતાનાં પ્રિયજન અને એમાંય ખાસ કરીને પોતાની માતાનો ચહેરો પોતાની નજર આગળ લાવવો જોઈએ. માતાની યાદ આવતાં જ આપણે વિચાર કરવા પ્રેરાઈશું કે તેણે પોતાના ગર્ભમાં આપણને નવ માસ સુધી સંઘરીને જન્મ આપ્યો હતો. આપણને જન્મ આપતી વખતે તેણે અસહ્ય પ્રસવપીડા ભોગવી હતી અને પોતાની ગોદમાં આપણને ઊછેરીને મોટા કરવામાં કોઈ કમી રાખી ન હતી. તેણે આપણા માટેનાં તમામ પ્રકારનાં સુખો કાજે પોતાની જાતની પણ પરવા કરી ન હતી. શું તેણે કદીયે એવી કલ્પના કરી હશે કે પોતાનું સંતાન ભવિષ્યે જીવનમાં આવી રીતે હાર કબૂલ કરી લેશે અને કાયરતાભરી રીતે આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી લેશે? માતા જીવિત હોય કે અવસાન પામેલ હોય પણ તેની આંસુ છલકતી મુખમુદ્રા આપણને જરૂર આત્મહત્યા કરવાના માર્ગેથી પાછા વાળી શકશે.
સમાપ્તિટાણે હું સંતોષની લાગણી વ્યક્ત કરતાં એટલું જ કહીશ કે મારા આ લેખના વિચારોમાંથી પ્રેરણા લઈને કોઈ વાંચક કોઈ એકાદ એવા દુ:ખના કારણે હતપ્રભ બનેલાની જિંદગી બચાવી લેશે, તો હું મારું અહોભગ્ય સમજીશ અને લેખ તૈયાર કરવા પાછળની મારી કલાકોની મહેનતનો બદલો મને મળી ગયો છે તેમ માનીશ.
આભારસહ,
વલીભાઈ મુસા
(લેખક અને અનુવાદક)
Note:-
Translated from English Version titled as “Suicide” published on February 18, 2008.
Like this:
Like Loading...
Related
Tags: લેખ, Bill Maher, Depression, life, Merciful death, Mercy killing, Passions, Social, suicide
[…] Click here to read in English […]