RSS

પસ્તાવો

29 Dec

Click here to read in English
આપણા શાળાજીવનના દિવસોમાં આપણાઓમાંના ઘણાએ એક ગુજરાતી કાવ્ય વાંચ્યું હશે, જેમાં પસ્તાવાને આલંકારિક શબ્દોમાં સ્વર્ગમાંથી ઊતરી આવેલા ઝરણા તરીકે ઓળખાવ્યું છે અને તેમાં ડુબકી લગાવીને માણસ નિષ્પાપી અને પવિત્ર બની શકે છે.

સામાન્ય રીતે પાપ અને ગુનો એ બંને શબ્દો એકબીજાના પર્યાયવાચક તરીકે પ્રયોજાયછે. કેટલાક વિદ્વાનોના મતે બંને શબ્દોના અર્થ લગભગ સમાન હોવા છતાં તેમને અલગ અલગ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. પાપને ધર્મના સિદ્ધાંતો કે ઈશ્વર સાથે સંકળાએલી બાબતો સાથે વર્ગીકૃત કરી શકાય; જ્યારે તે જ રીતે ગુના કે અપરાધને દુન્યવી કાયદાઓ સાથે સાંકળી શકાય કે જે ઈશ્વરનાં સર્જનો જેમાં મનુષ્ય માત્ર જ નહિ, પણ તમામે તમામ સર્જનો સાથે સંબંધિત હોય. બીજા શબ્દોમાં સમજીએ તો પાપને દિવ્યતા કે ઐશ્વર્ય વિરુદ્ધનાં કૃત્યો સાથે અને અપરાધને દુન્યવી રાજ્યોના કાયદાઓના ભંગ તરીકે ઓળખાવી શકાય. આમ છતાંય પાપ કે અપરાધને ગમે તે રીતે સમજીએ પણ એ બંનેના માત્રા ઉપર આધારિત બે વિભાગ પડે છે; એક, ઘોર કે અક્ષમ્ય પાપ/અપરાધ અને બીજો, હળવો કે ક્ષમાપાત્ર અપરાધ/પાપ. આ વિભાગોને ઈસ્લામિક પરિભાષામાં કબીરા (મોટા) અને સગીરા (નાના) એ રીતે સમજવામાં આવે છે.

પણ, આપણા નિબંધના હેતુ માટે એ બાબત ગૌણ છે કે આપણે આ શબ્દોના વિવાદાસ્પદ અર્થઘટનમાં ઊંડા ઊતરીએ. આપણે પાપ અને અપરાધ શબ્દોને સમાનાર્થી જ ગણીશું, કેમ કે અહીં ‘પસ્તાવા’ વિષે ચર્ચા કરવાનો જ આપણો ઉદ્દેશ છે. એમ કહેવાય છે કે ‘મનુષ્ય માત્ર ભૂલને પાત્ર.’, પણ આ ઉક્તિને જે રીતે વંચાય છે તેટલી સરળ રીતે એને સમજવાની નથી. બધાં જ દુષ્કૃત્યો જે પાપ કે અપરાધજનક હોય તે ભોગ બનનારને દુ:ખ તો પહોંચાડે જ છે; અને તેથી જ તે નૈતિક, સામાજિક, રાજ્ય કે ઈશ્વરીય લાગુ પડતા કાનૂનો હેઠળ વખોડવાને પાત્ર છે.

હવે, ચાલો આપણે આ વિષય ઉપરની કેટલીક વિચારધારાઓ અને કથનોને મુદ્દાસર જોઈએ.”પસ્તાવો એ માફીની પ્રાપ્તિ માટેનું પ્રવેશદ્વાર છે.” તો વળી, “કોઈ માફી પ્રાપ્ત કરે અથવા માફીની આશા માત્ર સેવે, તેને અનહદ સંતોષ તો થતો હોય છે; વળી માત્ર એટલું જ નહિ, તેને પસ્તાવો થયા પછી શબ્દાતીત આનંદ પણ થતો હોય છે.” પરંતુ પસ્તાવાની સાથે સાથે કેટલીક શરતો પણ સંકળાએલી છે. હજરત ઈમામ અલી (અ.સ.)એ પસ્તાવાને અનુલક્ષીને કેટલાંક મૂળભૂત ઘટકોની પણ સમજ આપી છે, જે આ પ્રમાણે છે:- (૧) પસ્તાવો કરનાર ખરેખર સાચા દિલથી દિલગીર થવો જોઈએ. (૨) તે અથવા તેણીથી થએલ ભૂલનું ફરીથી પુનરાવર્તન નહિ જ થાય તેવી મક્કમતા હોવી જોઈએ. (૩) પસ્તાવા પછી વ્યક્તિના વર્તનમાં પરિવર્તન આવવું જોઈએ. (૪) પસ્તાવો કરનારે અગાઉ શું ખોટું કર્યું હતું તે હંમેશાં યાદ રાખવું જોઈએ. (૫) પસ્તાવો કરનારનું હૃદય પસ્તાવાની આગમાં સતત બળતું રહેવું જોઈએ. (૬) જે તે વ્યક્તિએ અગાઉ જે તે પાપ કે અપરાધ કરતી વખતે જે આનંદ અનુભવ્યો હોય તેવો જ આનંદ કે સંતોષ પસ્તાવો કરતી વખતે પણ થવો જોઈએ.

ખરા દિલનો પસ્તાવો માણસને નવીન જન્મેલ બાળક જેવો પાપરહિત બનાવી દે છે. પસ્તાવો એ પાપી અને પાપનો ભોગ બનનાર વચ્ચેના મધ્યસ્થી બનવા ઉપરાંત બંનેને જોડનાર સેતુ સમાન બની રહે છે. બોનેલ થોમ્ટન (Bonnell Thomton)નું સરસ એક અવતરણ છે કે ‘કેટલાક ઘણીય વાર પસ્તાવો તો કરતા હોય છે, પણ કદીય સુધરતા નથી હોતા. આવો માણસ તેની સાથે મળતો આવે છે જે ખતરનાક માર્ગે સફર કરી રહ્યો છે અને વારંવાર અટકે છે, છતાંય આગળને આગળ વધતો જ જાય છે; પણ પાછો તો ફરતો જ નથી.’ ભૂતકાળનાં પાપોનો પસ્તાવો સાહજિક અને સરળ છે; પણ ‘હવે વધુ કોઈ પાપ નહિ જ’ એવો સંકલ્પ ખૂબ જ સખત અને મુશ્કેલ છે.

ધાર્મિક મનોવૃત્તિવાળા માણસો અને સ્વભાવગત જ ભલા માણસો એકમતે કબૂલ કરશે જ કે વ્યક્તિ પોતાના સારા કે નરસા કૃત્ય માટે સંપૂર્ણપણે પોતે જ જવાબદાર હોય છે. સર્જનહારે માનવીને દિલ અને આત્માથી પવિત્ર જ સર્જ્યો છે અને તે કદીય એવું વિચારતો નથી કે તેનો સર્જેલો માનવી ભટકી ગએલાઓના અધ:પતનના માર્ગે જાય. રેન્ડી આલકોર્ન (Randy Alcorn) લખે છે કે ‘ઈશ્વરની કૃપા આપણને કદીય પાપમાં જ જીવવા પ્રોત્સાહિત કરે નહિ; ઊલટાનો તો તે આપણને શક્તિ આપે છે કે જે થકી આપણે પાપથી દૂર રહીએ અને સત્યને ધારણ કરીએ.’

ઈશ્વર તો તેનાં સર્જનો અર્થાત્ આપણા પરત્વે એટલો બધો દયાળુ છે કે તેણે આ લોક અને પરલોકમાં પાપકર્મોની સજા કરવા પહેલાં આપણા માટે ‘પસ્તાવા’ની જોગવાઈ કરી આપી છે. તેણે માનવીને જન્મની સાથે જ દૈવી આત્માની ભેટ આપી દીધી છે. આપણો આત્મા આપણે જાણેઅજાણે કોઈ પાપકર્મ આચરતા હોઈએ ત્યારે કકળી ઊઠે છે. જોહાન આર્ડન્ટ (Johann Arndt) નોંધે છે કે ‘પાપના કારણે તમારું હૃદય દ્રવી ઊઠે છે એ જ એક મોટી સાબિતી છે કે પવિત્ર ઈશ્વર તમારા હૃદયમાં વસે છે.’

લેખના સમાપન પહેલાં, એક વિહંગાવલોકન કરી લેવું યોગ્ય રહેશે કે કેટલીક અનીચ્છનીય આદતો એવી હોય છે કે જેને પ્રથમ નજરે કદાચ પાપ કે અપરાધ ન પણ ગણી શકાય; છતાંય તેમને નૈતિક રીતે ખરાબ કૃત્યો તો ગણવાં જ પડે. એ આદતો કે કૃત્યોમાં આવી બાબતોનો સમાવેશ થઈ શકે; દાખલા તરીકે – માતાપિતાકે વડીલોની આજ્ઞા ન માનવી, અન્યો પ્રત્યે અસભ્ય વર્તાવ કરવો, નિંદા કરવી, વિના કારણે અને સહજ ભાવે અનુચિત જૂઠું બોલવું, કોઈની મજાક કરવી કે તેને મૂર્ખ બનાવવો, મનોરંજન ખાતર કોઈને ચીઢવવું, કૌટુંબિક – સામાજિક – ધાર્મિક વર્તણુંક કે ચારિત્ર્યની હદ બહાર જવું, કોઈની ઈર્ષા કરવી વગેરે. આ બધી બાબતો નૈતિક આચારસંહિતાઓ હોઈ દરેકે પોતે પાળવાની હોય છે.  કોઈના ઉપર તેમને ફરજિયાતપણે લાદી શકાય નહિ. આ પ્રકારનાં સ્ખલનો વિષે દરેકે આત્મનિરીક્ષણ કરી લેવાનૂં હોય છે અને વ્યક્તિએ પોતે જ તેમનાથી દૂર રહેવા, સુધારી લેવા કે પસ્તાવો કરી લેવાનો હોય છે. આવા કિસ્સાઓમાં પોતાના અંતરાત્માને જગાડીને પસ્તાવો કરી લેવામાં આવે તો લોકોની નજરમાં માનવંત થવા ઉપરાંત ઈશ્વરની નિકટતા પણ પ્રાપ્ત થઈ શકતી હોય છે.

બળવંતરાય ક. ઠાકોર નામના એક ગુજરાતી સૉનેટકાર પોતાના એક સૉનેટમાં લખે છે કે પૃથ્વી સ્વર્ગથી નીચે નથી. શાંતિમય જગતના સર્જન માટે અને પૃથ્વીને જ સ્વર્ગ બનાવવા માટે દરેક વ્યક્તિએ આવાં નકારાત્મક કાર્યોથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. સારાં કાર્યો માણસના મન, દિલ અને આત્મા ઉપર અસર કરતાં હોય છે અને આધ્યાત્મિક ઉન્નતિ તરફ આગળ વધવા તેઓ ખૂબ જ મદદરૂપ થતાં હોય છે.

તો, ચાલો આપણે આગળ વધીએ (૧) સુકૃત્યો તરફ (૨) ગુણાત્મક જીવન તરફ (૩) નૈતિકતાના સાન્નિધ્ય તરફ (૪) જીવનના સાચા રાહથી ભટકવા પહેલાં આપણી જાતને યોગ્ય દિશાએ વાળવા તરફ (૫)  આપણા અંતરાત્માના અવાજને સાંભળીને અજ્ઞાનતાના અંધકારમાંથી પ્રકાશ તરફ્.

અંતે, હું યુવાવર્ગ અને વિદ્યાર્થીગણને સમાજસેવકોમાં ખૂબ જ પ્રચલિત એવું એક સૂત્ર આપું છું અને તેને અનુસરવાની ભલામણ કરું છું. સૂત્ર છે, ‘દરરોજ એક સારું કાર્ય કરો.’

શુભ કામનાઓ સહ,

– વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

Note:-

Translated from English Version titled as “Repentance” published on July 19, 2007.

 

Tags: , , , , , , , , , ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: