RSS

ગૌરવ હત્યા

15 Jan

Click here to read in English
પ્રતિવર્ષ ૮મી માર્ચે ‘આંતરરષ્ટ્રીય મહિલા વર્ષ’ ઉજવાય છે. ઘણીબધી બહુરાષ્ટ્રીય કંપનીઓ, વિશ્વના દેશોની સરકારો, બિનસરકારી સંસ્થાઓ અને બંને પ્રકારનાં મુદ્રિત અને ઈલેક્ટ્રોનિક પ્રસાર માધ્યમો દ્વારા સ્ત્રીઓની જીવનનાં જુદાંજુદાં ક્ષેત્રોમાંની સિદ્ધિઓને બિરદાવવામાં આવે છે અને તેમનું બહુમાન પણ કરવામાં આવતું હોય છે. સ્ત્રીઓનું પ્રમાણ વિશ્વભરમાં કુલ વસ્તીના અડધા ભાગ જેટલું છે. એક જૂનો સ્થાનિક અમેરિકન મુહાવરો છે કે ‘જ્યાં સ્ત્રીઓનું ગૌરવ જળવાતું હોય તે રાષ્ટ્ર કદીય ગુમનામ થતું નથી હોતું; પરંતુ જ્યારે તેમનું ગૌરવ જમીનદોસ્ત થાય છે, ત્યારે બધું જ ખતમ થઈ જાય છે અને તે રાષ્ટ્ર મરી પરવારે છે.’

પરંતુ કોઈ દિવસને કોઈ નામ આપવું તેનો શો મતલબ? આજકાલ જુદા જુદા દિવસોની ઉજવણી એ વ્યવહાર અને દેખાવ માત્ર પૂરતી જ રહી છે. જે તે દિશામાં કોઈ ચોક્કસ કાર્ય જ અર્થપૂર્ણ સાબિત થાય, નહિ તો તે નાટક માત્ર જ બની રહે. મારો આજનો લેખ શીર્ષકના શબ્દો પરત્વેની વાસ્તવિકતાઓને ખુલ્લી પાડવાના પ્રયત્નના એક ભાગરૂપ છે. વિશ્વના મોટા ભાગના દેશોમાં ‘ગૌરવ હત્યા’ એ સળગતો પ્રશ્ન છે. એ એટલું જ સાચું પણ છે કે આ સમસ્યાને એક જ રાતમાં હલ કરી શકાય નહિ; પરંતુ બધી દિશાએથી કોશીશ કરવામાં આવે તો ઓછામાં ઓછું તેનું પ્રમાણ ઘટાડવામાં જરૂર સફળતા મળી શકે. કેટલાક લોકો સહૃદયી, ધાર્મિક અને માનવતામાં શ્રદ્ધા ધરાવનારા હોય છે ખરા; અને આમ તેઓ પોતાની જાત પૂરતા ભલે ભલા હોય, પણ એવા માત્ર હોવું એ પર્યાપ્ત નથી. તેમણે અન્યો વિષે પણ વિચારવું જોઈએ અને સમાજમાં પ્રવર્તતી આવી ઘાતકી પ્રથા કે માન્યતા પરત્વે આંખમીંચામણાં કરવાં જોઈએ નહિ. લોકજાગૃતિ જરૂરી છે કે આવી ગૃહહિંસાને અપરાધ તરીકે સમજવામાં આવે. શિક્ષણ સંસ્થાઓએ તેમનાં પાઠ્યપુસ્તકોમાં ‘માનવ અધિકાર’ના મુદ્દાને સમાવિષ્ટ કરવો જોઈએ. જો સમાજમાં મોટા પાયે આવી લોકજાગૃતિ લાવવામાં આવે તો, આવા ગંભીર અપરાધને કાયદા અને ન્યાયની પ્રક્રિયાથી પણ વધારે સારી રીતે નિયંત્રિત કરી શકાય.

હવે, આપણે વિશ્વવ્યાપી અનેક જ્ઞાતિઓમાં ચેપી રોગની જેમ ફેલાએલા આ સામાજિક દુષણને સમજવા માટે થોડાક વિગતમાં ઊંડા ઊતરીએ. ગૌરવ હત્યાના વિશ્વભરના વાસ્તવિક આંકડાઓ પ્રાપ્ય નથી, પણ તે ખૂબ જ મોટી સંખ્યામાં હોવાનું મનાય છે. આનું વિશેષ કારણ એ પણ છે કે ઘણી બધી આવી ગૌરવ હત્યાઓને કુદરતી મોતમાં ખપાવી દેવામાં આવે છે. ગૌરવ હત્યા એ સ્ત્રીનું પોતાના જ નિકટના કુટુંબીજન કે સગા દ્વારા પોતાના જ ઘરમાં ઠંડા કલેજે કરવામાં આવતું ખૂન છે. ઘણા ભાગે આવું હિચકારું કૃત્ય પૂર્વયોજિત હોય છે અને કાયદા દ્વારા ઓછામાં ઓછી સજા થાય તે બાબતને લક્ષમાં રાખીને સગીર વયની વ્યક્તિ મારફતે જ કરાવવામાં આવતું હોય છે. કેટલાક કિસ્સાઓમાં સ્ત્રીનું ખૂન ન કરવામાં આવે; તો પણ અન્ય મારઝૂડ, ત્રાસ, બળજબરીથી અન્યત્ર લગ્ન, ઘરમાં જ કેદ કરી દેવા જેવા તેના ઉપર જુલ્મો આચરવામાં આવતા જોવા મળે છે.

ગૌરવ હત્યાના મૂળભૂત સ્રોતમાં કૌટુંબિક પ્રતિષ્ઠાભંગનો ખ્યાલ હોય છે. જે તે સ્ત્રીના જે તે કૃત્યથી એમ માનવામાં આવતું હોય છે કે તેણે કુટુંબ ઉપર કલંક થોપી દીધું છે અને પછી તેને મારી નાખવામાં આવતી હોય છે. કેટલાક બનાવો સ્ત્રીના કાબૂ બહાર હોય અથવા ન પણ હોય; પણ એમ માની જ લેવાય છે કે તેણીએ સમાજમાં પોતાના કુટુંબની પ્રતિષ્ઠાને ખરડી છે અને તેને તે જ કારણે બેરહમ રીતે પતાવી દેવામાં આવતી હોય છે. પોતાની કહેવાતી પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે એવા ઘૃણાજનક અને હલકા વિચારોથી કુટુંબનાં મોટેરાંઓ કે જેમાં પિતા, ભાઈ અને કોઈકવાર તો માતા પોતે જ કે પછી મોટી બહેન કે ભાભી પણ પેલી અબળાનું ખૂન કરવા જેવો અપરાધ કરવા પ્રેરાય છે. આ કેવી દુખદ પરિસ્થિતિ કહેવાય કે સ્ત્રીઓ પોતે જ કોઈ સ્ત્રીને ખતમ કરી નાખવાના કાવતરામાં જોડાય, તો પછી આવા પ્રસંગોએ એકલા પુરુષો ઉપર જ આપણે કેવી રીતે દોષારોપણ કરી શકીએ! આવાં લોકો પોતાના સંસ્કાર અને ધાર્મિક જવાબદારીઓને વેગળી કરી દેવા ઉપરાંત ભોગ બનનાર સાથેના પોતાના લોહીના સંબંધોને પણ ભૂલી જઈને આવું પાપકર્મ આચરતાં હોય છે. એ નિર્વિવાદ હકીકત છે કે કોઈપણ કારણે કરવામાં આવતી કોઈની પણ હત્યા માફ ન થઈ શકે તેવું ઘોર પાપ છે.

પવિત્ર કુરઆનમાં પણ ફરમાન છે કે, ‘કોઈ એક માનવીને મારી નાખવું એ સમગ્ર માનવજાતની હત્યા કરવા બરાબર છે, અને કોઈ એક જણની જિંદગી બચાવવી એ સમગ્ર માનવજાતને બચાવ્યા બરાબર છે.’ જગતના તમામે તમામ ધર્મોમાં વિના કારણે કોઈપણ પ્રકારની માનવહત્યા કરવાનો સ્પષ્ટ નિષેધ કરવામાં આવેલો છે. કેટલાક પૌર્વાત્ય ધર્મોમાં તો સાવ નાના જંતુને પણ મારવું મહાપાપ સમજવામાં આવતું હોય છે અને ઈશ્વર કદીય એવા પાપને માફ નથી કરતો. પણ, અહીં તો એક માનવીની, એક સ્ત્રીની હત્યાની વાત છે! આવી સ્ત્રીહત્યા એ કેવું હૃદયદ્રાવક કૃત્ય ગણાય! શું આવા કૃત્યને પશુતાની પરાકાષ્ઠા ન કહેવાય!

ઘણા સમાજશાસ્ત્રીય વિદ્વાનોએ સ્ત્રીઓ પ્રત્યેના આવા ઘાતકી વર્તાવનાં મૂળ શોધી કાઢ્યાં છે. તેમના મતે દરેક જ્ઞાતિ, જાતિ કે ધર્મમાં કેટલાક એવા લોકોનો વર્ગ છે કે જે સ્ત્રીને પુરુષોની માલિકીની કોઈ જણસ કે મિલ્કત ગણે છે અને એમ માને છે કે તેના ભાગ્યને નક્કી કરવાનો તેમને જ માત્ર અધિકાર છે. વળી આવું માનવાની વાત માત્ર જ નહિ, તેઓ સ્ત્રીઓની ફેરબદલી અને ખરીદી કે વેચાણ પણ કરતા હોય છે. કેટલીક જ્ઞાતિઓમાં તો કુટુંબના વડીલ પુરુષો જ દીકરીઓનાં લગ્ન ગોઠવતા હોય છે અને તેમાં નાણાંની આપલે પણ થતી હોય છે. આમ કરતી વખતે તેઓ પેલી બિચારીના પતિ વિષેના પોતાના ગમા કે અણગમાની પણ દરકાર કરતા નથી હોતા અને જો તેના દ્વારા વિરોધ કરવામાં આવે તો તેને લગ્ન ગોઠવનાર ઈસમનું અપમાન સમજવા ઉપરાંત તેમની પ્રતિષ્ઠા સામેનું કલંકજનક કૃત્ય ગણવામાં આવતું હોય છે. ઘણીવાર હજારોની સંખ્યામાં પોતાની માગણી કે અપેક્ષા કરતાં ઓછું દહેજ લાવનાર વધૂને જીવતી સળગાવવામાં આવતી હોય છે. કોઈ પરીણિત સ્ત્રી તેના હિંસક સ્વભાવ ધરાવતા પતિથી છૂટાછેડા ઈચ્છતી હોય તો તે બાબતને કુટુંબની પ્રતિષ્ઠાનો ગંભીર પ્રશ્ન સમજીને આવી કહેવાતી પ્રતિષ્ઠાને બચાવી લેવા ખાતર પણ તેને મારી નાખવામાં આવતી હોય છે. કેટલીક સ્ત્રીઓને તો જુદાંજુદાં પ્રતિષ્ઠા જોખમાવાનાં કારણો હેઠળ ભારે માનસિક દબાણ આપીને તેમને આત્મહત્યા કરવા માટે પણ મજબુર કરવામાં આવતી હોય છે.

અન્ય કેટલાંક કારણો પણ હોય છે જેથી ગૌરવ હત્યાના કિસ્સાઓ બનતા હોય છે; જેવાં કે, અનૈતિક સંબંધો, પોતાની પસંદગીના પુરુષને પરણવાની ઈચ્છા હોય પણ પુરુષ સભ્યોને તે મંજૂર ન હોય, મારપીટ કે માનસિક ત્રાસ આપતા પતિથી છૂટા પડવાનું હોય, બળાત્કારનો ભોગ બનવું પડ્યું હોય વગેરે. દુર્ભાગ્યવશ બળાત્કારના કિસ્સામાં તો છોકરી કે સ્ત્રી નિર્દોષ હોવા છતાં પણ તેને કુટુંબીજનોના હાથે માર્યા જવું પડતું હોય છે. વધારે દુ:ખદ વાત તો બીજી એ હોય છે કે કેટલાંક સાવ નજીવાં કારણો પણ ગૌરવહત્યા માટે નિમિત્તરૂપ બનતાં હોય છે; જેવાં કે ખાવાનું મોડેથી લાવવું કે બનાવવું, સામો જવાબ આપવો કે જીભાજોડી કરવી, મનાઈ કરવામાં આવેલ વ્યક્તિઓ કે કુટુંબો સાથે મળવાના સંબંધો રાખવા વગેરે.

લોકોનો સામાન્ય અભિપ્રાય એ છે કે અદાલતોએ માત્ર ખૂન કરનાર એકલાને જ સજા ન કરતાં કુટુંબમાં જે કોઈએ પણ તે કૃત્યમાં સાથ કે સહકાર આપ્યો હોય તેમને પણ સજા કરવી જોઈએ; વળી એટલું જ નહિ પણ કુટુંબનો વડો કે જેણે એ હત્યા કરવાનો હૂકમ પસાર કર્યો હોય, તેને તો વળી આકરામાં આકરી સજા થવી જોઈએ. ગૌરવ હત્યા એ હત્યા જ હોઈ તેના દોષી કે દોષીઓને ચોક્કસ સજા થવી જ ઘટે. થોડાક સમય પૂર્વે સર્વોચ્ચ અદાલતે આંતરજાતીય પ્રેમલગ્નના કોઈક કેસમાં ટિપ્પણી પસાર કરતાં જણાવ્યું હતું કે આવા પ્રેમી યુગલ પૈકી કોઈ એક કે બંનેને મારી નાખવાં કે અન્ય કોઈ રીતે હેરાનગતી કરવી તે ગેરકાનૂની છે. જો માતાપિતા એમ માનતાં હોય કે તેવા પ્રેમલગ્નથી કોઈ એક યા બીજા કારણે પોતાની લાગણી દુભાઈ છે; તો પણ તેવા યુગલને હત્યા કે ત્રાસ દ્વારા કોઈ સજા કરવા કાયદો પોતાના હાથમાં લઈ શકે નહિ. આમ છતાંય જો તેઓને ઠીક લાગતું હોય તો તેઓ ઘણામાં ઘણું તેમની સાથેના સામાજિક સંબંધોને કાપી શકે છે; પણ કાયદા હેઠળ આવી હત્યાને વ્યાજબી ઠેરવી શકાય નહિ. મારા વાંચકો પણ એ બાબતે સંમત થશે જ કે ગૌરવ હત્યા કરવામાં કોઈ સન્માન કે ગૌરવ તો નથી જ; વળી એટલું જ નહિ તે કર્મ માનવતા અને માનવજાત માટેનું એક મોટું કલંક છે.

વળી આગળ વિચારતાં સમાજમાં પ્રવર્તતી એક કરૂણતા માલૂમ પડશે કે કૌટુંબિક પ્રતિષ્ઠાને અકબંધ જાળવી રાખવાની જવાબદારી માત્ર સ્ત્રીના જ શિરે હોવાનું ગણવામાં આવે છે અને પુરુષને ગમે તે કરી શકવાનો જાણે કે ખાસ અધિકાર આપવામાં આવ્યો હોય છે! સ્ત્રીઓ ઉપર ફરજ પાડવામાં આવતી હોય છે તેઓ આજ્ઞાકારી અને સહનશીલ રહે. કોઈ દેશોના ફોજદારી કાયદાઓમાં સ્ત્રીઓ પ્રત્યે આવો ભેદભાવ પ્રવર્તમાન હોય તો તેમાં સુધારો લાવી દેવો જોઈએ. કેટલાક દેશોમાં તો વળી પત્નીની હત્યાને પતિની હત્યા કરતાં વધારે હળવાશથી લેવામાં આવતી હોય છે.

હું મારા આર્ટિકલની પૂર્ણતાએ પહોંચવા પહેલાં આપ સૌ આગળ બીજા એક પ્રકારની ગૌરવ હત્યા વિષે જણાવીશ કે જ્યાં કોઈ અપરીણિત સ્ત્રીના ઉદરમાં ગેરકાનૂની બાળક વિકસતું હોય અને તેને ગર્ભપાત દ્વારા મારી નાખવામાં આવતું હોય. કોઈને એવો અધિકાર ખરો કે પોતાનો બચાવ કરવા અસમર્થ અને સાવ નિર્દોષ એવા બાળકને મૃત્યુદંડ આપી શકાય! ગુનારહિત અને જે હજુ જન્મ્યું પણ નથી તેવા બાળકની હત્યા એ શેતાનનાં કાર્યો પૈકીનું સૌથી વધારે અધમ કૃત્ય છે. એ કુદરતી ન્યાય છે કે દરેક જીવને જીવવાનો અધિકાર છે. જીવન એ તો દરેક જીવ માટે ઈશ્વરની દેન છે અને કોઈપણ સંજોગોમાં તેને રદ કરી નાખવાનો કોઈનેય અધિકાર નથી. ગર્ભપાત વિરોધી મૂળતત્વવાદીઓ ગર્ભપાત વિરુદ્ધ પોતાનો અવાજ ઊઠાવતાં કહે છે કે બધા જ પ્રકારના ગર્ભપાત એ હત્યાઓ જ છે. કોઈકવાર એવી કુંવારી માતાઓ ગુપ્ત રીતે બાળકને જન્મ તો આપી દે છે; પણ પાછળથી તેઓ કુટુંબની ઈજ્જતને ખાતર તેને કાં તો તજી દે છે કે પછી તેની હત્યા કરી દે છે.

છેલ્લે એટલું જ કહેવાનું કે ઉપરોક્ત સમસ્યાના હલ માટે આપણે નિરાશ ન થતાં આપણી આશાના એ તાંતણે આપણે બંધાઈ રહેવું જોઈએ કે જો બધી દિશાએથી સામૂહિક પગલાં લેવામાં આવશે; તો સમાજમાં વ્યાપેલા આ ગૌરવ હત્યાના અનિષ્ટને જરૂર નાબૂદ કરી શકાશે અને લાખો અણજન્મ્યાં બાળકો અને દુનિયાની અસંખ્ય દુખિયારી સ્ત્રીઓની જિંદગી બચાવી શકાશે.

ચાલો આપણે કુટુંબના મોભાની ક્ષુલ્લક જાળવણીના નામે વિના કારણે વહાવવામાં આવતા પવિત્ર માનવલોહીને અટકાવવા તથા મોંઘીમૂલી માનવજિંદગીઓને બચાવી લેવાની ઝૂંબેશનો એક ભાગ બનીએ.

વંદનસહ,

વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

Note:-

Translated from English Version titled as “No honor in honor-killing!” published on 5th December, 2007.

 
 

Tags: , , , , , , , ,

One response to “ગૌરવ હત્યા

  1. Valibhai Musa

    March 8, 2017 at 7:17 am

    Reblogged this on માનવધર્મ.

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: