RSS

સહજ વિનોદવૃત્તિ

14 Mar

Click here to read in English
સર્વ પ્રથમ તો આપણે માર્ક ટ્વેઈન (Mark Twain)ના અવલોકનને તપાસીએ કે વિનોદ અથવા રમુજનો અભ્યાસ કરવો એટલે જીવવિજ્ઞાનના અભ્યાસમાં દેડકાને ચીરવું કે જ્યાં આપણે દેડકા વિષે ઘણું બધું જાણી તો શકીએ, પણ તેનો અંત તો મરેલા દેડકાથી જ આવે. મારો આજનો લેખ હળવા નિબંધપ્રકારનો હોઈ તે તેની રીતે હળવાશથી યોગ્ય દિશાએ આગળ ધપતો રહેશે, જેમાં પેલા દેડકાના વાઢકાપની જેમ કોઈ કંટાળાજનક વ્યાખ્યાઓ કે તેનું વૈજ્ઞાનિક પૃથક્કરણ જોવા મળશે નહિ. કેટલાંક ઉદાહરણો તમારે જે રીતે સમજવું હશે તે રીતે સમજાવવા માટે તેમણે જે કામ કરવું હશે તે તેમની રીતે કર્યે જશે.

વિનોદ કે રમુજ એ એક એવું અસરકારક સાધન છે કે જેના થકી તમે તમારાં ભારે કામો હળવાં બનાવી શકો. એક ખ્રિસ્તી પાદરીનો દાખલો લો કે જેમણે એક રવિવારની સવારની ચર્ચની પ્રાર્થનામાં એકત્ર થએલા સમૂહ આગળ પોતાની એક વાત મૂકી જેની વિશિષ્ટ રજૂઆતની શૈલી આ પ્રમાણે હતીઃ “મારે તમને કોઈક ખરાબ સમાચાર, પછી કોઈક સારા સમાચાર અને છેલ્લે કોઈક ખરાબ સમાચાર કહી સંભળાવવાના છે. (૧) ખરાબ સમાચાર એ છે કે ચર્ચનું છાપરું તૂટી પડ્યું છે. (૨) સારા સમાચાર એ છે કે તેની મરામત માટે નાણાંની વ્યવસ્થા થઈ ગઈ છે. (૩) છેલ્લે ખરાબ સમાચાર એ છે કે તે નાણાં તમારા લોકોનાં ખિસ્સાંમાં છે.” અહીં થોડામાં ઘણું કહેવાઈ ગયું છે અને પાદરી તેમની નાણાકીય જરૂરિયાતને પહોંચી વળવામાં ચોક્કસ સફળ થયા જ હશે. અહીં વિનોદવૃત્તિની શક્તિનો પરિચય તમને સ્વયં રીતે સિદ્ધ થએલો જોવા મળશે.

આજકાલ વિશ્વ આખાયમાં લોકો અજંપાભરી જિંદગી જીવી રહ્યા છે. તેઓ કંઈક પ્રાપ્ત કરવા માટે કોઈક સંતાપ અનુભવે છે. આર્થિક રીતે મધ્યમ અને ગરીબીરેખાથી નીચે જીવતા લોકોની સંખ્યા વધુ છે. આ લોકો તકલીફો સામે પોતાની સહનશક્તિ વધારવા, માનસિક ત્રાણ ઘટાડવા અને ચિંતાઓથી મુક્ત થવા ઝંખે છે. વિનોદ એ આવાં માનસિક દુઃખોને હળવાં કરવા માટેનું અન્ય ઈલાજો કરતાં વધારે અસરકારક એવું ટોનિક છે, જે દરેક વ્યક્તિની પોતાની જ પાસે છે; ફક્ત તેને બહાર લાવવાનો પ્રયત્ન માત્ર જ કરવો જરૂરી છે અને પછી જૂઓ કે જિંદગી ખરેખર કેવી જીવવાલાયક છે.

માત્ર આર્થિક જ નહિ, પરંતુ અન્ય કેટલીક ગૌણ બાબતો પણ આપણા જીવનને સ્પર્શતી હોય છે અને તેઓ પણ આપણી જિંદગીના કેટલાક અસંતોષોના કારણરૂપ બનતી હોય છે. ચાલો, આપણે એલન ક્લેન (Allen Klein) કે જે એક હાસ્યકાર છે તેની માથાની ટાલનો જ દાખલો લઈએ. તે પોતાની જાત ઉપર જ રમુજ ઉત્પન્ન કરતાં વ્યંગ કરે છે એમ કહીને કે ‘મારા માથા ઉપર વાળના અભાવના કારણે હું લોકોને કહું છું કે માથાની ટાલને કેવી રીતે મિટાવવી તેનો હું અગાઉ નિષ્ણાત હતો.’ બીજાઓને હસાવવા માટે આમ પોતાની જાત ઉપર જ ટીકા કરવી તે વધારે સલામત છે, કારણ કે આમાં કોઈની લાગણી દુભાવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. ચાલો, આપણે અબ્રાહમ લિંકન ( Abraham Lincoln)નું ચાતુર્યપૂર્ણ અને રમુજી એક અવતરણ પણ માણીએ જે છે ‘કૂતરાને કેટલા પગ હોય, જો આપણે તેની પૂંછડીને પગ ગણીએ તો? ચાર જ! પૂંછડીને પગ ગણી લેવાથી પૂંછડી પગ બની જાય નહિ!’ જો તમારામાં સહેજ પણ રમુજવૃત્તિ હોય, તો તમારે અહીં હસવું જોઈએ; નહિ તો પછી આ અવતરણોને તમારા જીવનસાથી સાથે વહેંચો અને કદાચ તે તમારા ગાલ અને/અથવા ઓષ્ઠ ખેંચીને અથવા તો તમારી બગલોમાં ગલીપચી કરીને તમને હસવામાં મદદ કરશે!

આપણી આજુબાજુ આપણને ઘણા એવા માણસો જોવા મળતા હોય છે કે જે અંગ્રેજી આંક (8) જેવા તોછડા, ચિત્રાત્મક કે લટકતા, ઉષ્માવિહીન, શુષ્ક અને સ્થિર ફોટોગ્રાફી જેવા ચહેરા લઈને ફરતા હોય છે. તેઓ માત્ર તેમની જ જિંદગી કંટાળાજનક રીતે જીવતા નથી હોતા, પણ તેમના સંપર્કમાં જે કોઈ આવે તેમને પણ કંટાળો આપતા હોય છે. આવા માણસો સાથે દુર્ભાગ્યે થોડાક જ કલાકની મુસાફરી કરવાનો સંજોગ આવે, તો આપણને એમ જ લાગે કે જાણે આપણે તેમની સાથે એક યુગ વીતાવ્યો હોય!

હાસ્ય એક એવો સ્રોત છે કે જે થકી લોકો પરસ્પર એકબીજા સાથે સંકળાય છે. કોઈ રમુજી કંડક્ટર તેની જ બસમાં સફર કરવા મુસાફરોને આકર્ષી શકે છે. રમુજ કે વિનોદ એ આપસમાં ‘લો અને આપો’ જેવી પ્રક્રિયા છે. હું બસમાં સફર કરવાના મારા પોતાના એક અનુભવને અહીં ટાંકીશ. બસ ઉપડવાના પહેલા જ સ્ટોપથી ઉપડતી આ બસના કંડક્ટરે બધાને ટિકિટો આપ્યા પછી જાહેરાત કરી, ‘મહેરબાની કરીને તમારી ટિકિટ માગી લેતાં શરમાશો નહિ!’ મારી બેઠક કંડક્ટરની બેઠકની નજીક જ હતી. મેં સાવ ધીમા અવાજે સ્મિત કરતાં કહ્યું,’ મારા ભલા દોસ્ત, ગ્રામોફોનની તૂટેલી રેકર્ડમાંથી નીકળતા અવાજ જેવો આ સંવાદ (dialogue) હવે બદલવો જરૂરી નથી લાગતો?’ તે ખડખડાટ હસી પડતો મારી સાથે સંમત થતાં બોલ્યો, ‘સાચું કહ્યું, કાકા, સાચું કહ્યું! અમારા કંડક્ટરોમાં, ખરેખર, આ સંવાદ હવે તો સાવ સામાન્ય થઈ ગયો છે અને લોકોમાં રમુજ ઉત્પન્ન કરવા માટે બિનઅસરકારક બની ગયો છે. આમાં ફેરફાર લાવવા માટે હું પ્રયત્ન કરીશ. ખૂબ ખૂબ આભાર!’

હવે હું આગળ ક્યાંક વાંચવામાં આવેલી એક ઘટનાની સ્મૃતિના સારરૂપ લખાણ આપીશ. યાદદાસ્તના આધારે લખાતી આ ઘટનાને રજૂ કરવામાં હું કદાચ ખોટો પણ હોઉં! પણ, મારા મિત્રો, આ બાબતને આપ સૌ અવગણી લેશો, કેમ કે કોઈકે કહ્યું છે કે ‘કૉણ કહે છે એ જરાય મહત્વનું નથી, પણ તે શું કહે છે તેનું જ મહત્વ હોય છે.’ હા, તો હવે આગળ વાંચો અને યાદ રાખો કે વિનોદવૃત્તિ એ સમયસૂચકતા કે હાજરજવાબીપણાની જ નીપજ હોય છે.

મારી પ્રિય વ્યક્તિ મિ.ચર્ચિલ (Churchill)નો એક પ્રસંગ છે કે એકવાર તેમણે બ્રિટીશ આમસભા (Lower House)માં એવી ટિપ્પણી કરી હતી કે ‘ગૃહના અડધા સભ્યો મૂર્ખ (Idiot) છે!’ આ શબ્દ બિનસંસદીય હોઈ ‘શરમ…શરમ’ના પોકાર સાથે એ વિધાનના વિરોધમાં બધા સભ્યો પોતાની બેઠક ઉપરથી ઊભા થઈ ગયા. મિ. ચર્ચિલે બધાને શાંત થઈ જવાની વિનંતિ કરી અને આ શબ્દોમાં માફી માગી, ‘હું અત્યંત દિલગીર છું. હું મારા વિધાનને પાછું ખેંચું છું. હું તેને સુધારીને ફરી રજૂ કરું છું કે ગૃહના અડધા સભ્યો મૂર્ખ નથી!’ આખું ગૃહ તેમના વડાપ્રધાનને માફી માગતા જોઈને ઉશ્કેરાટમાં આવી ગયું હતું અને પાટલીઓ થપથપાવવાના અવાજ તથા તેમના ઘોંઘાટની વચ્ચે ચર્ચિલે સુધારેલા વિધાનના છેલ્લા શબ્દો તરફ કોઈનું ધ્યાન ગયું નહિ

મારા ભલા વાંચકો, ચર્ચામાંના વિષયની કોઈપણ વ્યાખ્યા એ તમારા ઉપર છોડું છું. મારા આ લેખના પહેલા ફકરામાં એવી કોઈ વ્યાખ્યા ન આપવાની મારી ખાત્રી ત્યાં મોજુદ છે અને હું તેને વળગી રહેવા માગું છું. પણ્ ધારો કે હું ભૂલથી એમ લખી નાખું કે ‘વિનોદવૃત્તિ એ રમુજને અનુભવવાની ક્ષમતાનું નામ છે’, તો તેને ધ્યાનમાં લેશો નહિ અને ભૂલી જજો કે તમે એ વાંચ્યું છે!

કોઈપણ ભાષામાં દ્વિઅર્થી શબ્દો ઘણા હોય છે અને જો તેમને ચોક્કસ સ્થળે કે સમયે સચોટ રીતે પ્રયોજવામાં આવે તો તેઓ પણ રમુજ ઉત્પન્ન કરી શકે. ‘હસો અને હસવા દો’ની નિપુણતા સુધી પહોંચવા માટે તમારે તમારી વિનોદવૃત્તિને ધારદાર બનાવવી પડશે. રમુજી કે માર્મિક કથનની રજૂઆતને ગ્રહણ કરવાની ક્ષમતાને કેળવ્યા વગર આપણી સ્થિતિ કોઈ બહેરા માણસની સ્થિતિ સાથે બંધબેસતી થઈ જાય છે કે જેને એક જ વાત ઉપર બે વખત હસવું પડતું હોય છે! અહી હું શા માટે ‘બે વખત’નો કોઈ ખુલાસો નહિ કરું,કેમ કે આ મારા બુદ્ધિશાળી વાંચકોની પ્રતિષ્ઠાનો સવાલ છે! દ્વિઅર્થી શબ્દોને શ્લેષ પણ કહેવામાં આવે છે કે જેમનો ઉચ્ચાર તો એકસરખો હોય છે, પણ તેમના અર્થો અલગઅલગ હોય છે. અહીં એક ઉદાહરણ છે કે ‘તીરછી આંખોવાળો ( Cross-eyed) શિક્ષક તેના વિદ્યાર્થી/આંખની કીકી (Pupil)ને નિયંત્રિત કરી શકતો નથી.’ આવા શ્લેષ શબ્દો ઘણા છે અને સંશોધન કરીને તમારી પોતાની રીતે બીજાઓને મનોરંજન પૂરું પાડવા તમે તમારો ખજાનો ભરપુર કરી શકો છો.

કોઈ વાર્તા કે બનાવના વર્ણનમાં અંતભાગે અણધારી કે વિપરિત પરાકાષ્ઠા લાવી દેવાની કળા પણ વાંચકો કે શ્રોતાઓને હસાવી શકે. આ કૌશલ્યને સમજવા માટે નીચે આપેલો એક માત્ર પ્રસંગ તમારા માટે પૂરતો થઈ પડશે. ચાલો આપણે સાથે જ હસીએ, આગળ વધીએઃ

શ્રી ‘ક્ષ’: હું આપની દીકરી સાથે સાચા પ્રેમમાં છું.મહેરબાની કરીને અમને પરણવા દો.

શ્રી ‘ય’: ના, ના. બિલકુલ નહિ. તું તેના માટે યોગ્ય નથી. તારા પ્રેમને ભૂલી જા અને અહીંથી દૂર થા.

શ્રી ‘ક્ષ’: જો તમે તેમ નહિ કરો, હું શું કરીશ તેની આપને ખબર છે?

શ્રી ‘ય’: તું આપઘાત કરીશ, બીજું શું કરવાનો?

શ્રી ‘ક્ષ’: બિલકુલ નહિ! શા માટે મારે આપઘાત કરવો પડે? આપ ધારતા હો એટલી મારી જિંદગી સસ્તી નથી!

શ્રી ‘ય’: તું તેની સાથે ભાગી જઈશ અને કોર્ટથી લગ્ન કરીશ!

શ્રી ‘ક્ષ’: ના, ના. એ તો કાયર માણસનું કામ છે, મારું નહિ!

શ્રી ‘ય’: ભસ, ભસી મર! તો પછી તું શું કરીશ?

શ્રી ‘ક્ષ’: હું બીજી છોકરી સાથે પરણી જઈશ!!!

હું મારા આર્ટિકલને અહીં કોઈપણ જાતના માનસિક દબાણ વગર સમાપ્ત કરું છું કે તે તમને હસાવી દેવા કે ઓછામાં ઓછું સ્ટુડીઓમાં કોઈ ફોટોગ્રાફર બનાવટી સ્મિત લાવવા જેમ ‘cheese’ બોલવાનું કહે તેમ એકાદ સ્મિત પણ કરાવી લેવા સક્ષમ નીવડ્યો છે કે કેમ! હા, હાહા, હાહાહા!!!

આવજો!

– વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

Note:-

Translated from English Version titled as “A sense of humor” published on February 01, 2008.

 

Tags: , , , , , , ,

4 responses to “સહજ વિનોદવૃત્તિ

  1. Suresh Jani

    March 27, 2010 at 9:30 pm

    મજા આવી ગઈ. કોપી કરવાની લાલચ રોકી ન શક્યો!!

    સસરા સાથે સંવાદ – શ્રી. વલીભાઈ મુસા


    હરકત ન ગમી હોય તો હા.દ. પરથી પાછો ખેંચી લઈશ ,

    Like

     
  2. pragnaju

    February 1, 2013 at 12:42 pm

    ફરી માણી
    મઝા

    Like

     

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.