RSS

(200) ભાવપ્રતિભાવ -૪ (શ્રી સુરેશ જાની, અનુવાદક – ‘વર્તમાનમાં જીવન’)

22 Jun

એખાર્ટ ટોલ ( Eckhart Tolle)નું નામ જ ‘વર્તમાનમાં જીવન’ (The Power of Now) ના વાંચનથી પ્રથમવાર જાણ્યું, એટલે તેમનું અન્ય સાહિત્ય વાંચ્યું હોવાનો કોઈ સવાલ ઊભો થતો નથી. મારા માટે તો તેમની કૃતિ પહેલી જ છે અને તેમાંય પ્રથમ નજરે જ પ્રેમ જેવું લેખક અને તેમના આ પુસ્તક માટે મને થયું છે. હળવાશે આગળ કહું તો બીજી નજરે પ્રેમ અનુવાદકશ્રી સુરેશભાઈ અને તેમના અનુવાદકાર્યને માટે થયો છે. સુરેશભાઈ જેવા તજજ્ઞે જ્યારે આ પુસ્તક હાથમાં લીધું છે, ત્યારે એ બાબત પોતે જ પ્રમાણ બની જાય છે કે આત્મોત્થાન માટેનાં અનેક ઉમદા પુસ્તકો વચ્ચે પોતાનું સ્થાન મજબૂત રીતે સ્થાપી શકે એવું આ પુસ્તક છે. પ્રકરણો ક્રમિક રીતે અપાતાં જાય છે અને વંચાતાં જાય છે, તે પણ એક રીતે લાભદાયી એટલા માટે છે કે આખું પુસ્તક એકી બેઠકે સળંગ વંચાય તો દરેક વિચાર ઉપર ચિંતન કરવાની તક ઓછી રહે. આ અને આવાં તત્વદર્શી પુસ્તકોના વાંચનની સાચી રીત ‘વાંચવું ઓછું અને વિચારવું વધારે’ એ જ હોઈ શકે.

આ પુસ્તક વિદ્વતાપૂર્ણ બન્યું હોવાનું અનુમાન અત્યારસુધીના વાંચન ઉપરથી સાચું એ રીતે પડે છે કે લેખકે સ્વાનુભવે અને ઊંડા વિચારમંથનના પરિણામરૂપે જ તેને લખ્યું છે. તેમણે વિચારો કરીને નહિ; પણ વિચારો આવવા દઈને, તેમને ચકાસીને, તેમનું સંકલન કરીને, તેમને તાર્કિક ક્રમ (Logical Sequence) માં ગોઠવીને જ પછી આપણી સામે રજૂ કર્યા છે. વિચારો તો સૌને આવે, પણ એ વિચારોને જીવાતા જીવનમાં અન્ય કોઈની સામે મૌખિક રીતે અભિવ્યક્ત કરવા કે તેને અક્ષરદેહ આપવો એ કલા છે અને આવી કલા દરેક માટે સાધ્ય નથી હોતી. લેખકની વર્તમાનમાં જીવન જીવવાની વાત ચીલાચાલુ રીતે જોવા, વાંચવા કે સાંભળવા મળતી વાતો કરતાં મુઠેરી ઊંચી છે. આવા મહાન વિચારકના સર્જન ઉપર મારા જેવા સામાન્ય માણસનું કામ નથી કે એ સમગ્ર પુસ્તક ઉપર ન્યાયયુક્ત કોઈ ભાષ્ય આપી શકે. આમ છતાંય હા, એટલું કદાચ સંભવ છે કે તેના એકાદ વિચારઅંશ ઉપર સમર્થનકારી, વિવેચનાત્મક કે ટીકાત્મક કોઈ પ્રતિભાવ આપવામાં આવે.

અહીં હું આ પહેલા પ્રકરણ ‘તમે તમારું મન નથી’ ના છઠ્ઠા ભાગમાંના ‘ચેતનાને મનની પ્રક્રિયા’ થી દૂર કરવાની અર્થાત્ અ-મન જેવી ખાલી જગ્યા ઊભી કરવાની સિદ્ધિ તરફ પ્રયાણ કરવાની જે તાલીમ સમજાવવામાં આવી છે તેના સંદર્ભે થોડીક વાત કહીશ. પ્રથમ તો એ કે અહીં એક સાવ નવીન જ વાત આપણા સામે આવે છે અને તે એ છે કે જીવનની રોજિંદી પ્રવૃત્તિ દરમિયાન જ મનને કેળવવાની સાધના કરી શકાય. સામાન્ય રીતે અન્ય આવી સાધનાઓમાં એવું જોવા મળે છે કે સાધકે દૈનિક પ્રવૃત્તિઓમાંથી નિવૃત્ત થઈને પલાંઠી વાળીને આ કામે બેસી જ જવાનું હોય છે, જ્યારે અહીં એખાર્ટ આપણને એક નવી જ પ્રક્રિયા કે રીત બતાવે છે જેને આ પ્રકરણમાં મોજુદ હોઈ પુનરવર્તિત નથી કરતો.

વચ્ચે એક આડવાત તરીકે તો નહિ, પણ આ વિષય સાથે સંબંધિત એવું કંઈક કહું તો મારા એક મિત્રે ક્યાંકથી વાંચીને કે જાણીને મનને નિયંત્રિત કરવાની એક રીત અખત્યાર કરેલી, જેની સફળતા તેને મળી કે ન મળી તે મેં કદીય તેને પૂછ્યું નથી, પણ મેં એ પ્રયોગ કરી જોયો હતો, તો તેમાં મને કોઈ સફળતા મળી ન હતી. એ ભાઈની ધ્યાન ધરવા જેવી જ એવી વાત હતી કે રાત્રે સૂવા પહેલાં Dim Light માં માત્ર થોડીક વાર માટે પહેલા દિવસે વિચારોને છૂટો દોર આપવો. પછી ક્રમે ક્રમે તમારા વિચારો માટેનું ક્ષેત્ર ઘટાડતા જઈને દેશ, રાજ્ય, વતનનું ગામ કે શહેર, મહોલ્લો, પોતાનું ઘર, શયનખંડ, પોતાની સૂવાની પથારી, પછી પોતાનું શરીર અને છેલ્લે પોતાના આંતરમન સુધી આવી જવું. ખેર! આ વાતને અહીં પડતી મૂકીને આપણે આપણા વિષય ઉપર આવીએ.

આપણા વિષયમાં તો એખાર્ટે જે રીત બતાવી છે તે સાવ સરળ, સહજ અને ધાર્યું પરિણામ લાવવા માટે સમર્થ પણ છે. આ વાતને સમજવા માટે આપણે જ્ઞાન અને ગમ્મત વિષે થોડુંક વિચારીએ તો આમાં ત્રણ શક્યતાઓ છે. (૧) માત્ર જ્ઞાન (૨) માત્ર ગમ્મત (૩) જ્ઞાન સાથે ગમ્મત કે ગમ્મત સાથે જ્ઞાન (આ બંને એકસમાન જ છે, ફરક માત્ર એટલો જ કે તેમાં કોઈ એક મુખ્ય રહે અને બીજું ગૌણ રહે). આમ આપણે જ્ઞાન અને ગમ્મતની ત્રણ જ શક્યતાઓને કાયમ રાખીએ છીએ અને એખાર્ટના વિચાર ઉપર વિચાર કરીએ તો જાણવા મળે છે કે પોતે જે લક્ષ તરફ આપણને લઈ જવા માગે છે તેના સામાન્ય રીતે બે માર્ગ હોઈ શકે (૧) પ્રવૃત્તિસહ (૨) નિવૃત્તિમય. અહીં લેખક રોજિંદી પ્રવૃત્તિઓ સાથે લક્ષિત સિદ્ધિ હાંસલ કરવા ઉપર ભાર મૂકે છે. મારા મતે (અનુભવ તો હવે કરીશ) અને અનુવાદકશ્રી સુરેશભાઈના મતે અને અનુભવે (તેમના મારા ઉપરની અંગત મેઈલના આ શબ્દો છે : ‘પણ આ પ્રયોગ કરી જો જો. બહુ સાદો , સીધો અને સરળ છે; અને અવિચારી(!) અર્થાત્ અ-મન થવા માટે બહુ સચોટ છે. અનુભવે કહું છું.’) હું હાલ મારો આ પ્રતિભાવ લખી રહ્યો છું, ત્યારે પણ સૈદ્ધાંતિક રીતે તો સ્વીકારું છું કે રોજિંદાં કામોમાંથી ફારેગ થઈને એટલે કે નિવૃત્તિ દ્વારા ચંચળ મનને વિચારશૂન્યતાની દિશા તરફ લઈ જવું અઘરું છે, જ્યારે જે તે પ્રવૃત્તિ કરતાં કરતાં મનને ધારેલી સ્થિતિએ લાવવું સહેલું છે.

મારા પ્રતિભાવને અહીં એકી ઝાટકે કાપી કે સમેટી નાખવાના બદલે આખરી એક વાત કહીને મારી જહેમતને તમામ કરીશ કે આ પ્રકરણ વાંચવાથી મને આધ્યાત્મિક એવા એક અન્ય પ્રશ્નનો પણ ઉકેલ મળી ગયો છે. તે એ છે કે જગતના બધાય ધર્મોમાં ઈશ્વરના નામસ્મરણ (જિક્ર) કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. બધાયની સર્વસામાન્ય એક રીત હોય છે કે સમયાંતરે અને નિશ્ચિત સમયે તેમ કરવું જેને ઔપચારિક એમ કહી શકાય. બીજી રીત પ્રમાણે આધ્યાત્મજ્ઞાનમાં ઊંડા ઊતરેલા એવા સાધકો દમેદમ અર્થાત્ શ્વાસે શ્વાસે એ જિક્ર કરતા હોય છે. આપણને એમ લાગે કે માણસ કામધંધો કે અન્ય દુન્યવી પ્રવૃત્તિ કરતી વખતે એવો જિક્ર કઈ રીતે કરી શકે. મારું માનવું છે કે અહીં જિક્ર વાણી દ્વારા કે મનમાં ઉચ્ચારાય તે નથી, પણ પરમ શક્તિશાળી એવા સર્જનહાર વિષેનો વિચાર પોતાના માનસમાં અહર્નિશ ચાલ્યા કરે તે છે. હવે આ સ્થિતિએ પહોંચવા માટેની પાયાની શરત એ છે કે માનવીએ પોતાના મનને કેળવવું જોઈએ. દુન્યવી કેળવણીઓના જેમ ભિન્નભિન્ન પ્રકાર હોય છે, તેમ અહીં એખોર્ટ એક એવી ઉમદા કેળવણીની એક ઉમદા વાત આપણને સમજાવે છે કે કેવી રીતે મનને ધીરે ધીરે વિચારશૂન્યતા તરફ લઈ જવું અને એ પણ રોજિંદી દૈનિક પ્રવૃત્તિઓ કરતા કરતાં!

છેલ્લે આ અનોખી સાધનામાં પૂર્ણ કે આંશિક સફળતા મળવા અંગે જાણવા માટે લેખકના જ શબ્દો વાંચીએ: ‘આ તાલીમમાં તમે સફળ થયા છો કે નહીં; તેનો એક બહુ સચોટ અને નિશ્ચિત માપદંડ એ છે કે, તમે કેટલા પ્રમાણમાં શાંતિનો અનુભવ કરો છો.’ મનની શાંતિ એ દુન્યવી જીવનને તો બહેતર બનાવે છે, પણ આધ્યાત્મિક સિદ્ધિ માટે તો તે અનિવાર્ય છે. મનની શાંતિ વગરની સઘળી સાધનાઓ ધૂળ ઉપરના લીંપણ જેવી નિરર્થક જ બની રહે.

ધન્યવાદ એખાર્ટ ટોલને તેમના પુસ્તક ‘વર્તમાનમાં જીવન’ બદલ અને એટલાજ ધન્યવાદ ઘટે છે, સુરેશભાઈને કે જે તેના અનુવાદ દ્વારા એ લેખક અને આપણ વાંચકો વચ્ચે સેતુ બન્યા તે બદલ.

જય હો.

– વલીભાઈ મુસા

 

Tags: , , , , ,

6 responses to “(200) ભાવપ્રતિભાવ -૪ (શ્રી સુરેશ જાની, અનુવાદક – ‘વર્તમાનમાં જીવન’)

  1. Suresh Jani

    June 22, 2010 at 10:41 pm

    This comment is posted by Author on hehalf of the Commentator : –

    વલીભાઈનો બીજો અને અભ્યાસી પ્રતિભાવ – વાચકો અને મારા પોતાના વતી ખુબ ખુબ આભાર

    Like

     
  2. Suresh Jani

    June 22, 2010 at 10:47 pm

    This Comment is also posted by Author on behalf of the Commentator : –

    એક સ્પષ્ટતા

    એખાર્ટ ની પોતાની બનાવેલી આ પદ્ધતિ છે જ નહીં. તેને 29મા વર્ષે થયેલા સ્વાનુભવ અને ત્યાર બાદ ધર્મ ગ્રંથોના અભ્યાસ કર્યા બાદ આ રીત સારી લાગી, અપનાવી અને અનેકોને શિખવાડી.

    મારા નમ્ર માનવા પ્રમાણે બધા જ ધર્મોના જે વિમુક્ત આત્માઓ થઈ ગયા; તેમણે મનની ગુલામી ફગાવી દીધી હતી. પછી , એમણે જે અનુભવો કર્યા ; તે વચેટિયાઓએ એમની રીતે મૂલવ્યા .. અને અનેક અનર્થો સર્જાવ્યા ..

    જિસસ, બુદ્ધ , મહમ્મદ, મોઝિસ, વિશ્વામિત્ર , મહાવીર બધા એક સરખા જ છે. અને આપણને સૌને એ સ્તરે પહોંચવાની શક્તિ મળેલી જ છે – એમ હું માનું છું .

    Like

     
  3. pragnaju

    June 28, 2010 at 10:26 pm

    “તમે કેટલા પ્રમાણમાં શાંતિનો અનુભવ કરો છો.’ મનની શાંતિ એ દુન્યવી જીવનને તો બહેતર બનાવે છે, પણ આધ્યાત્મિક સિદ્ધિ માટે તો તે અનિવાર્ય છે. મનની શાંતિ વગરની સઘળી સાધનાઓ ધૂળ ઉપરના લીંપણ જેવી નિરર્થક જ બની રહે.” પરમ સત્ય.શાંત મનથી જ તેનો અણસાર પમાય

    Like

     
  4. Rekha sindhal

    June 29, 2010 at 12:03 pm

    આપના સૌના વિચારો સાથે મારા વિચારો બહુ મળતા આવે છે.આ બ્લોગથી ઓછી અપરિચિત છુ પણ વલીભાઈથી હવે ઘણી પરિચિત છું તેથી આનંદ છે.

    Like

     
  5. nilam doshi

    July 8, 2010 at 8:41 am

    ખૂબ સુન્દર..મનનીય લેખ

    શ્રી વલીભાઇ અને સુરેશભાઇ બનેને ખૂબ ખૂબ અભિનંદન…

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: