RSS

(૪૩૭-અ) સાહિત્યમાં સ્વવિવેચન – એક નવતર ખ્યાલ

24 Jul

સ્વવિવેચન એટલે સાહિત્યસર્જકે સ્વસર્જનને જાતે જ વિવેચવું. મારી હળવી અદાએ કહું તો ગૃહિણી જે તે વાનગી બનાવી લીધા પછી તેનો સ્વાદ પારખવા થોડુંક ચાખી લે અને ખામીખૂબી ચકાસી લે તેવી આ વાત કહેવાય ! અત્રે તો સાહિત્યસર્જનના સંદર્ભે જ વાત કરવાનો વિચાર છે, તેમ છતાંય વિશેષમાં એટલું તો કહીશ જ કે વિશાળ અર્થમાં આ ‘સ્વવિવેચન’ માનવીના જીવનઘડતરને પણ એટલા જ અંશે લાગુ પડે છે. આત્મસુધારણા માટે આંતરદર્શન જેવો શ્રેષ્ઠ કોઈ ઉપાય નથી. ડુઆન એલન હાહ્ન (Duane Alan Hahn) નામે વિચારક સ્વવિવેચન વિષે આમ કહે છે. : “તમે એક ભવ્ય અને ચળકતી તલવાર છો અને આત્મવિવેચન એ તમારા માટે સરાણનો પથ્થર છે. આ સરાણથી તમે દૂર ભાગશો નહિ; જો એમ કરશો તો તમે ધાર વગરના બૂઠા અને નકામા બની જશો. હંમેશાં ધારદાર રહો.”

કોઈપણ કલાનો વિવેચક એ તો કલાકારનો મિત્ર, માર્ગદર્શક અને સુધારક હોય છે. સાહિત્ય પણ કલાનો એક પ્રકાર જ છે અને સામાન્ય રીતે આનો વિવેચક સર્જકથી ભિન્ન એવો ત્રાહિત ઈસમ હોય છે. પરંતુ અહીં સર્જકે પોતે જ પોતાના જ સર્જન માટે ત્રાહિત બની જવાનું છે અને તો જ તે તાટસ્થ્ય જાળવી શક્શે. આ એક દુષ્કર પ્રક્રિયા છે. અહીં આંતરનિરીક્ષણ દ્વારા આ ભગીરથ કાર્યને પાર પાડવાનું છે. આના સમર્થનમાં ફિયોદોર દોસ્તોવ્સ્કીનું આ કથન જડબેસલાક બંધ બેસે છે, ‘મારા મતે બુદ્ધિમાન માણસ એ છે કે જે મહિના દરમિયાન ઓછામાં ઓછો એક વખત પોતાની જાતને મૂર્ખ તરીકે ઓળખાવતો રહે.’ અહીં સર્જક અને વિવેચકની એમ બેવડી ભૂમિકા પોતે જ ભજવવાની હોય છે. અહીં અનુકૂળતા એ છે કે સર્જનની ભૂમિકા પૂરી થઈ ગયા પછી જ વિવેચનની ભૂમિકા શરૂ થાય છે. આ એક નવતર ખ્યાલ કે પ્રયોગ છે, જેને મેં પોતે મારા પોતાના લખેલા વિવેચનલેખોના સંગ્રહ ‘ સમભાવી મિજાજે’ ના વિવેચક તરીકે અજમાવી જોયો છે અને તેને જાણવા, નાણવા અને માણવા માટે હું પાદનોંધમાં તેનો સંદર્ભ તો આપીશ, પરંતુ હાલ તો ટૂંકમાં જ જણાવી જ દઉં કે ‘ સ્વવિવેચન’ માં સર્જનના ગુણાવગુણને સર્જકે પોતે જ વાચકો સામે પ્રામાણિકપણે ધરી દેવાના હોય છે.’

મારા પ્રયોગને કોઈ કદાચ ન વાંચે તો તેમની જાણ માટે મારા ત્યાંના જ એક વિધાનને અહીં દોહરાવું છું કે ‘આ એક દોહ્યલું કામ છે અને મજાકમાં કહું તો કોઈ કુશળ કેશકર્તક પોતાના જ કેશનું પોતાના હાથે સફળ કર્તન કરે, તેવી સ્વવિવેચનની અજનબીભરી આ વાત છે. અહીં લેખક અને વિવેચક એમ બંને ‘હું’ જ હોઈ જરૂર પડે ત્યાં મારે જ મારા કાન ખેંચવાના રહેશે !’ અહીં કવીશ્વર દલપતરામના વિખ્યાત પ્રહસનમાંની બે પાત્રોને લાગુ પડતી એકપાત્રીય ઉક્તિઓને પણ યાદ કરી લઈએ કે ‘વાડી રે વાડી, શું છે દલા તરવાડી ? / રીંગણાં લઉં બેચાર ? લે ને દસબાર !’ આમ વાડી અને દલા તરવાડીની ભૂમિકા એક જ વ્યક્તિ અદા કરે છે; બસ, તેમ જ અહીં સર્જક અને વિવેચક વિષે સમજવાનું રહેશે.

હવે આ સ્વવિવેચનને દૃશ્ય અને અદૃશ્ય એમ બંને રીતે રાખી શકાય છે. રહસ્યમય લાગતા મારા આ વિધાનને મારે સમજાવવું પડશે, નહિતર મારા સુજ્ઞ વાચકો મને સ્વર્ગસ્થ જાદુગર કે. લાલની જ્ગ્યાએ પૃથ્વીસ્થ વી. લાલ સમજી બેસશે ! આ માટે એક ઉદાહરણ બસ થઈ પડશે. તમે મોડા સુધી જાગીને કોઈ કાવ્ય, ગઝલ કે વાર્તા લખી ચૂક્યા છો. જો તમે બ્લોગર હો તો તેને તરત જ Publish કરી દેવા માટે હરખપદુડા થયા વગર ચૂપચાપ સૂઈ જજો. હવે વહેલી સવારે તમે જાગશો, ત્યારે તમારું મગજ તાજગીસભર હશે. હવે તમારે એ કૃતિને બીજા કોઈની કૃતિ સમજીને વાંચી લેવાની છે. હવે તમને તેમાંની ખામીઓ કે ખૂબીઓ દેખાશે. આ તમારા સ્વવિવેચનની કાચી સામગ્રી છે. હવે તમારી એ મૂળ કૃતિને યથાવત્ જાળવી રાખીને તમે અલગથી તમારી કૃતિ વિષે ‘દલા તરવાડી’ની જેમ જે કંઈ લખશો તે તમારું દૃશ્ય સ્વવિવેચન કે રસદર્શન જે કહો તે બની રહેશે. વાચકો તમને સર્જક અને વિવેચક એવા બે ઈલ્કાબોથી નવાજશે. હવે તમારે તમારી જ કૃતિના વિવેચક તરીકે જાહેર નથી થવું, તો તમે તમારી કૃતિમાં જ ઘટતા ફેરફારો કરી લેશો, જે તમારાં સ્વસૂચનોનું અમલીકરણ તમારા દ્વારા જ થઈ ગયું હોવાના કારણે અદૃશ્ય સ્વવિવેચન ગણાશે. જો કે કોમ્પ્યુટર ઉપર કામ કરતાં ચાલુ કામે થતા જતા શાબ્દિક કે વસ્તુવિષયક ફેરફારોને તો આપણે લેખનપ્રક્રિયાના ભાગરૂપે જ સમજીશું. પરંતુ આપણે અહીં જે સ્વવિવેચનની વાત કરી રહ્યા છીએ તે તો પ્રસિદ્ધ થવા માટે તૈયાર (Ready to Publish) પ્રકારની કૃતિને જ લાગુ પડે છે.

સ્વવિવેચન થકી સાહિત્યસર્જકની સ્વઘડતરની પ્રક્રિયાને સમજવા માટે અને આ લેખમાંના નવીન વિચાર કે ખ્યાલને આપ વાચકોના મનમાં અંકે કરાવવા માટે નીચે એક પ્રતીક આપું છું, જેનું શીર્ષક છે – ““Self made man” (સ્વસર્જિત માનવ).

સ્વસર્જિત-માનવ

સમાપને, આપણે એક ગૌણ વાતને પણ સમજી લઈએ કે જે તે સર્જનકાર્ય દરમિયાન કે છેલ્લે જે કોઈ જોડણી, વ્યાકરણ કે વાક્યરચનાની ભૂલસુધારણા કરતાં રહીએ કે કરી લઈએ તે સર્જનપ્રક્રિયાના ભાગરૂપ છે, જેને આપણે યાંત્રિક પ્રક્રિયા જ સમજવી રહી. એ બધી તો જે તે સર્જનના શરીરની ટાપટીપ ગણાય. વિવેચકે તો સર્જનના આત્માને ઓળખાવવાનો છે.

Disclaimer: If Image published here falls under breach of any copyright; the copyright holder/s might simply intimate me/us by mail and the same will be removed immediately.

પાદનોંધ :

પ્રસ્તાવના – ‘ હું જ મારા વિવેચનસંગ્રહ (સમભાવી મિજાજે)નો વિવેચક !’

 

Tags: , , ,

2 responses to “(૪૩૭-અ) સાહિત્યમાં સ્વવિવેચન – એક નવતર ખ્યાલ

  1. સુરેશ

    June 5, 2016 at 8:55 pm

    આત્મસુધારણા માટે આંતરદર્શન જેવો શ્રેષ્ઠ કોઈ ઉપાય નથી.

    – દાદા ભગવાન પણ આમ જ કહે છે.

    Like

     
  2. pragnaju

    June 6, 2016 at 2:28 am

    સમૂહ-માધ્યમોને કારણે વિશ્વવ્યાપી ઘટનાઓ સાથે સદ્ય પરિચિત થવાનું બન્યું પણ આની સામે સર્જન એવી ફાળ ભરી …. વિવેચકે આ નવીન સંદર્ભોમાં, નવી સંભાવનાઓ સાથે કામ પાડવાનું છે.

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: