RSS

(૪૬૦) હું અને મારો ઘોડો : પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૧)

27 Jan

I and my horse

My horse and I are friends
he is my beloved, I am his.

His loyalty par excellence,
my comrade whom I trust
in times of travel and war
in expedition or in adventure.

We two have much in common
I do not take him as servant
he does not take me as master.

But his world is his own
and I cannot intervene.

He is not bound to my whims
his moods and fantasies are different.

I may take him to water,
it is my role and only function
but cannot insist anything to him
It’s up to him to drink water
or to bathe in the stream
or just be a spectator of river
or a silent visitor.

After all he knows well
what to do with the water.

                                                          –  Mukesh Raval

                                                          (Courtesy: ‘Pots of Urthona’ – A Collection of Poems)

* * * * *

clip_image001

હું અને મારો ઘોડો

(ભાવાનુવાદ)

મારો ઘોડો અને હું મિત્રો છીએ,
તે મને અત્યંત પ્રિય અને હું તેને.

તેની વફાદારી પણ બેહદ,
એ એવો મારો ભરોસાપાત્ર મિત્ર;
જે સફર અને યુદ્ધ
ચઢાઈ અને સાહસ સઘળાયમાં એ જ.

અમારી વચ્ચે સામ્યતાય ઘણી,
હું એને સેવક ગણું નહિ
અને ગણે ન એ મને માલિક.

પણ તેની પોતાની એક દુનિયા છે;
જેમાં મારી દખલગીરી ન હોય, વળી
એ મારી મનસ્વિતાને અનુસરવા જરાય બંધાયેલો નહિ !

એનાં મિજાજ અને પરિકલ્પનાઓ સાવ ભિન્ન.

.હું તેને પાણી પાસે લઈ જાઉં ખરો,
કેમ કે એ તો મારી ભૂમિકા અને ફરજ;
પણ, મારો એની કોઈ બાબતે આગ્રહ તો નહિ જ.

એની એ મુનસફી કે પાણી પીએ
કે વહેતા પ્રવાહમાં એ ન્હાય
કે પછી માત્ર નદીનો બની રહે પ્રેક્ષક
યા તો સાવ રહે એનો મૂક મુલાકાતી.

છેવટે તો એ ખુદ જ જાણે કે
પાણી સાથે શું કરવું !

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

(સાભાર : ‘Pots of Urthona’ : A Collection of Poems – Mukesh Raval)

* * * * *

(૧)  હું અને મારો ઘોડો – રસદર્શન

અંગ્રેજીમાં મુહાવરો (Idiom) છે : “You can lead a horse to water, but you can’t make it drink.”; અર્થાત્,“તમે ઘોડાને પાણી સુધી લઈ જઈ શકો તો ખરા, પણ તેને પાણી પીવાની ફરજ પાડી શકો નહિ.” આપણે આની વિશદ ચર્ચામાં ન ઉતરતાં એટલું જ સમજી લઈએ કે આપણે કોઈને તક આપી શકીએ, પણ તે તકનો લાભ લેવાનું તો સામેના માણસ ઉપર જ નિર્ભર રહે છે.

કવિએ આ કાવ્યરચનામાં ઉપરોક્ત મુહાવરાનો આધાર લીધો હોય કે ન લીધો હોય, પણ આ કૃતિ એમનું મૌલિક સર્જન જ બની રહે છે. એમણે સહજ એવું ‘હું અને મારો ઘોડો’ શીર્ષક આપીને પોતાના કાવ્યની સરસ મજાની શરૂઆત કરી છે. તેઓશ્રી પોતાનો ઘોડો અને તેઓ ખુદ એકબીજાના મિત્રો હોવાની ઓળખાણ આપીને તેમની ઉમદા મિત્રાચારીને સમજાવે છે. આમેય ઘોડાને વફાદાર પ્રાણી ગણવામાં આવે છે અને અહીં પણ કવિ એ વફાદારીને સમજાવવા માટે તેની ક્યાંક્યાં ઉપયોગિતા છે તે દર્શાવીને તેની ભરોસાપાત્રતાને ઉજાગર કરે છે. આ બંને મિત્રોમાં ઘણી સામ્યતા હોવાનું દર્શાવવા લાઘવ્યમાં માત્ર એટલું જ કહી દે છે કે કવિ ઘોડાને પોતાનો સેવક ગણતા નથી અને સામે વળી ઘોડો પણ કવિને પોતાના માલિક તરીકે સમજતો નથી. આમ તે બેઉની વચ્ચે શેઠનોકરનો શુષ્ક સંબંધ નથી, પણ તેથીય કંઈક વિશેષ ઉષ્માભર્યો સંબંધ છે.

ઘોડાની પોતાની પણ એક દુનિયા હોઈ કવિ તેના જીવનમાં કોઈ દખલગીરી કરવા નથી માગતા. વળી તેઓ એવી કોઈ અપેક્ષા પણ રાખતા નથી કે એ ઘોડો તેમની મનસ્વિતા કે ધૂનને અનુસરે જ. કવિ સ્વીકારી લે છે કે ઘોડાનો પોતાનો મિજાજ અને તેની પરિકલ્પનાઓ ભિન્ન હોઈ શકે. આટલા સુધી ઘોડા સાથેના પોતાના વિશિષ્ટ સંબંધોનો પરિચય આપીને કાવ્યના હાર્દસમા અંતિમ ચરણમાં કવિ પ્રવેશે છે. તેઓ પોતાની ફરજના ભાગરૂપે ઘોડાને નદી તરફ દોરી જાય છે. નદીના પાણી સુધી પોતાના ઘોડાને લાવી દીધા પછી હવે એ ઘોડાએ પાણી સાથે શું કરવું તે બાબતને કવિ તેની મરજી ઉપર છોડી દે છે. કવિ કહે છે કે હવે એ ઘોડો પાણી પીએ કે પછી પાણીમાં સ્નાન કરે, અથવા તો તે નદીનું દર્શન માત્ર કરે કે પછી એક મૂક મુલાકાતી તરીકે તે નદીકાંઠે વિહરે. કવિ આ શબ્દોમાં નિર્લેપ ભાવે કાવ્યનું સમાપન કરે છે કે છેવટે તો ઘોડાને એની સારી રીતે જાણ છે જ કે તેણે પાણી સાથે શું કરવાનું છે !

આ કાવ્યને માનવીય જીવનમાં એ રીતે લાગુ પાડી શકાય કે માતાપિતાએ સંતાનઉછેરમાં કે શિક્ષકોએ વિદ્યાભ્યાસ કરાવતી વખતે બાળકોને માર્ગદર્શન (Counseling) જ પૂરું પાડવાનું હોય અને તેમની પોતાની રીતે જે તે કામ કરવા દેવા માટેની તેમને સ્વતંત્રતા આપવી જોઈએ. જો આમ થાય તો જ તેઓ આત્મનિર્ભર બની શકે અને પોતે જ પોતાનો વિકાસ ઉત્તમ રીતે સાધી શકે. એમને વધારે પડતી સૂચનાઓ આપવાથી કે તેમના ઉપર વિચારો લાદી દેવાથી એ પરાવલંબી બની જશે.

આમ કવિશ્રીએ પેલા મુહાવરાની ઘોડાએ પીવાના પાણી માત્રની એક જ વાતથી આગળ વધીને તે ઉપરાંતના અન્ય વિકલ્પો પણ દર્શાવ્યા છે. માર્ગદર્શન આપનારા પ્રોફેશનલો (Counselors) પણ માર્ગદર્શન મેળવનારાઓ સામે બધા વિકલ્પો ખુલ્લા મૂકી દેતા હોય છે અને જે તે માર્ગ કે નિર્ણયની પસંદગી તો તેની પાસે જ કરાવતા હોય છે.

આ કૃતિનું કાવ્યતત્ત્વ ભલે સામાન્ય લાગતું હોય, પણ કવિએ માર્ગદર્શનની આદર્શ પ્રક્રિયાને પરોક્ષ રીતે સમજાવીને એક ઉમદા લક્ષ સિદ્ધ કરી બતાવ્યું છે. કનૈયાલાલ મુનશીનો વિવેચનશાસ્ત્રનો એક સિદ્ધાંત છે કે સાહિત્ય કે અન્ય કોઈપણ કલામાં નીતિ કે બોધની વાતને સ્પષ્ટ રીતે આપી દેવાથી એ કલા ક્લુષિત થઈ જતી હોય છે. એમનું આ બાબતે વિખ્યાત સૂત્ર છે કે ‘નીતિ એ કલાની વિષકન્યા છે.’ આપણા આ કાવ્યના કવિએ આ મુદ્દે સજાગતા જાળવી રાખી છે અને કાવ્યનું સારતત્ત્વ કે ફલશ્રુતિ તારવી લેવાનું કામ વાચકો ઉપર છોડી દીધું છે અને પોતે કાવ્ય આપી દઈને દૂર ખસી ગયા છે.

ઉમદા કૃતિને સર્જવા બદલ કવિશ્રીને ખોબલે ખોબલે ધન્યવાદ.

                                                                                                                                          – વલીભાઈ મુસા (રસદર્શનકાર)

 

Tags: , , , , ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: