(૪૭૬) ‘સૌમ્ય અને સમર્થ’ વ્યક્તિત્વનું મૃત્યુ
‘સૌમ્ય અને સમર્થ વ્યક્તિત્વ (Gentle Giant)’ એ રૂઢિપ્રયોગાત્મક એવા શબ્દો છે કે જે ઊંચા અને પડછંદ, છતાંય શાંત અને વિનમ્ર માણસ માટે પ્રયોજાય છે. આવા માણસો સદાય ભલા, વિચારશીલ અને અન્યોની કાળજી લેવાવાળા હોય છે.
અમારા બહોળા મુસા પરિવારે હાજી અહમદહુસેન એમ. મુસા નામે એવા જ સૌમ્ય અને સમર્થ વ્યક્તિત્વ ધરાવતા જણને તાજેતરમાં તા.૨૫-૦૫-૧૫ના રોજ માત્ર ૫૬ વર્ષની વયે ગુમાવ્યા છે. જો હું તેમને મારા ભત્રીજા તરીકે ઓળખાવું, તો અમારા બેઉ વચ્ચેના ઘનિષ્ટ અને ખાસ પ્રકારના સંબંધને એ અન્યાયકર્તા થઈ પડશે; કેમ કે તેમને તેમના છેક જન્મકાળથી મારા પુત્ર સમાન ગણતો આવ્યો છું. અમારી બે પેઢીઓ વચ્ચે માત્ર ચાર જ વર્ષનો ગાળો રહ્યો હતો. એ અમારી પાછલી પેઢીના સૌથી મોટા હતા. તેમની આંખો દેખાવે માંજરી અને અન્યો પરત્વે અનુકંપા દર્શાવનારી હતી. તેઓ સિદ્ધાંતવાદી અને દૃઢનિશ્ચયી ઈસમ હતા. તેઓ આખાબોલા (સ્પષ્ટ વક્તા) હતા અને મનમોજી મિજાજ ધરાવતા હોવાના કારણે કેટલાક તેમને નિકટથી ન જાણનારા લોકો તેમના વિષે કોઈ ગેરસમજ બાંધી શકે, પણ વાસ્તવમાં તે કોમળ હૃદય ધરાવતા માણસ હતા અને તેથી જ તો તેમના હૃદયમાં કોઈના પરત્વે કોઈ શત્રુભાવ કે ફરિયાદ ન રહેતાં. તેમના સંપર્કમાં આવનાર માણસ સાથે કોઈકવાર મતભેદ સંભવી શકે, પણ તેઓની સાથે એ કદીય કોઈ પૂર્વગ્રહ કે નિશ્ચિત માન્યતા ન ધરાવતા. આમ તેથી જ તો પોતાના શાંત અને સુખદાયક અવસાન પૂર્વે તેમણે અમારા બધાની આગળ પોતાનું માફીનામું જાહેર કર્યું હતું.
તેમના અકાળ અવસાનથી અમારાં કુટુંબીજનો, સમાજનાં લોકો, મિત્રો, સંબંધીઓ અને ધંધાકીય રીતે સંકળાયેલાં લોકોનાં હૃદયોએ તીવ્ર આઘાત અનુભવ્યો છે. પરંતુ સાથેસાથે તેઓ ગુણાત્મક જીવન જીવ્યા હોવાનું અમે યાદ કરીએ છીએ, ત્યારે અમારું તેમને ગુમાવ્યાનું દુ:ખ હળવું થાય છે અને અમે સંતુષ્ટ થઈએ છીએ. તેમનું ધાર્મિક, નૈતિક અને પવિત્ર જીવન તેમના સહવાસમાં આવનારા લોકોના ચારિત્ર્યઘડતર માટે ઉદાહરણરૂપ બન્યું છે. તેમણે ધાર્મિક રીતે અનિવાર્ય એવાં દાનધર્મનાં કામો ઉપરાંત ભલાઈનાં વિશેષ કાર્યો માટે નિશ્ચિત ટકાવારીમાં એમણે વધારાની નાણાંકીય જોગવાઈ કરી હતી અને તદનુસાર તેઓ જરૂરિયાતમંદ લોકો અને એમાંય ખાસ કરીને શિક્ષણ અને આરોગ્ય વિષયક મદદવાંછુકોને નિયમિત સહાય આપતા હતા. તેઓની પોતાની રોજિંદી જિંદગીમાંનાં બધાં પાસાંઓમાંની ચોકસાઈ પ્રશંસાપાત્ર હતી; ઉદાહરણ તરીકે તેઓ જ્યારે કાગળોને લાગેલી સ્ટેપલર પીનોને ખોલતા, ત્યારે તેમને બંને છેડેથી દબાવી દઈને તરત જ યોગ્ય રીતે ડસ્ટબિનમાં નાખી દેતા એવા અગમચેતીના વિચાર સાથે કે એ પીનો કોઈને ચૂંભીને હાનિ ન પહોંચાડે.
તેમની બંને કિડનીઓ નિષ્ફળ જવાના કારણે તેમની બીમારી ખૂબ લંબાઈ હતી, આમ છતાય તેઓ કદીય હતાશ થયા ન હતા કે કદીયે કોઈ શિકાયત કરી ન હતી. તેમનાં પત્ની શકીનાએ આપેલી કિડની બદલવાનું ઑપરેશન જો કે સફળ રહ્યું હતું, પણ ઑપરેશન પછીની ઈન્ફેક્શન વગેરેની સમસ્યાઓ નડવાના કારણે આખરે તેઓ અવસાન પામ્યા હતા અને છેલ્લી ઘડીએ પણ તેમના ચહેરા ઉપર દુ:ખ કે વેદનાની કોઈ અસર વર્તાતી ન હતી. તેઓ એવા ખુશકિસ્મત હતા કે ઓસ્ટ્રેલીઆ ખાતે સ્થાયી થયેલી તેમની દીકરી રૂબિના અને પુત્ર રિયાઝ તથા સાઉદી અરેબિયા ખાતે રહેતા તેમના નાના ભાઈ શબ્બીરઅલી સાથે તેમણે પોતાની જિંદગીના કેટલાક આખરી દિવસો વિતાવ્યા હતા.
એ સત્ય છે કે તેમનું અવસાન આપ્તજનો માટે દુ:ખ અને વિષાદનું કારણ બન્યું, પરંતુ તેથીય વધારે શાશ્વત સત્ય તો એ છે કે આપણે સૌ ઈશ્વર તરફથી આવ્યાં છીએ અને એની જ તરફ પલટીને પાછાં ફરવાનું હોય છે – ઈન્ના લિલ્લાહી વ ઈન્ના ઇલયહી રાજીઊન. લૈલાહ ગિફ્ટી અકિટા (Lailah Gifty Akita)નું અવતરણ છે કે ‘આપણે ધૂળમાંથી સર્જાયાં છીએ અને જ્યારે જીવનનો અંત આવે છે, ત્યારે આપણે ધરતીની ધૂળમાં ભળી જવાનું હોય છે.” વળી એમ પણ કહેવાય છે કે “ટૂંકું પણ ગુણવત્તાસભર જીવન એ વર્ષોમાં મપાતા લાંબા જીવન કરતાં બહેતર હોય છે.” ખરે જ ભાઈ અહમદહુસેને સામાજિક અને ધાર્મિક એમ ઉભય રીતે એક નમૂનારૂપ જીવન જીવી બતાવ્યું.
ચાલો, આપણે મરહુમ હાજી અહમદહુસેન માટે સર્વશક્તિમાન એવા અલ્લાહ (ઈશ્વર)ને માસુમીન (અ.સ.)ના વસીલાએ (માધ્યમે) દુઆ (પ્રાર્થના) કરીએ કે તેમની રૂહને સ્વર્ગમાં એવું સ્થાન નસીબ થાય કે જ્યાં તેના પસંદ કરેલા બંદાઓની રૂહો હોય, માસુમીન (અ.સ.)નું સાન્નિધ્ય હોય અને એ લોકોની રૂહો સાથે કે જે ઈશ્વર-અલ્લાહની કરૂણા અને દિવ્ય આનંદને માણતી હોય. આમીન.
-વલીભાઈ મુસા
* * * * *
(મરહુમ હાજી અહમદહુસેન મુસાનાં સંતાનો તરફથી સંદેશો)
વ્હાલાં શુભ ચિંતકો, સગાંસંબંધીઓ અને મિત્રો,
આપ સૌએ અમારા વ્હાલા પિતાશ્રી હાજી અહમદહુસેન મુસાના અવસાનના કારણે અમને થયેલા પારાવાર દુ:ખના પ્રસંગે અમારાં કુટુંબીજનોને જે ઉષ્મા અને સહાનુભૂતિપૂર્ણ આશ્વાસન પાઠવ્યું છે, તે બદલ અમે આપ સૌનો સહૃદયતાપૂર્વક આભાર માનીએ છીએ.
અમને વિશ્વાસ છે કે આપ સૌની દુઆઓ (પ્રાર્થનાઓ) મરહુમના આત્માને સ્વર્ગમાં ચિર શાંતિ અર્પશે અને અમારાં કુટુંબીજનોને ઊંડા સદમા અને આઘાતમાંથી ઉગરવાની શક્તિ મળી રહેશે.
ફરી એકવાર,
આપના આભારસહ,
રિયાઝ અહમદહુસેન મુસા,
રૂબિના અહમદહુસેન મુસા તથા
સમગ્ર મુસા પરિવાર
Like this:
Like Loading...
Related
Tags: કિડની, દુઆઓ, પ્રાર્થના, સમર્થ, સૌમ્ય, gentle giant, Lailah Gifty Akita
pramath
June 11, 2015 at 7:05 am
મૃત્યુનાં ત્રણ દુઃખો છે:
૧. મૃત્યુ પામવા સુધીનાં દુઃખો – જેમાં ૮૦% સામાજિક અને આર્થિક અને ૨૦% શારીરિક ગણી શકાય. જ્યાં પત્ની પતિને પોતાની કિડની આપે છે ત્યાં માત્ર ૨૦% વાળાં શારીરિક જ દુઃખો અહમદભાઈએ અનુભવવાં પડ્યાં હશે. એ સદ્ભાગ્ય માનજો
૨. મૃત્યુ પામવાની પ્રક્રિયાના દુઃખો – ખરેખર physiological death કમ સે કમ અઘરું તો હોવું જ જોઇએ કારણ કે આપણી ટેવ ન્યૂટનના પહેલા નિયમ પ્રમાણે જાતને મરણથી સતત બચાવવાની જ હોય છે (અને માટે જ જગત ચાલે છે). આશ્વાસન એટલું કે આપણે બધાંએ આ પ્રક્રિયામાંથી પસાર થવાનું જ છે – અહીં બધાં સમાન છે. અહમદભાઈ વહેલા ગયા – આપણે થોડાં મોડાં જઇશું.
૩. મરણોત્તર ગતિના ભયો અને દુઃખો – કડવું સત્ય છે કે આ અજ્ઞેય પ્રદેશ છે. બુદ્ધિવાદની રીતે વિચારીએ તો પણ જો આ જીવનને ન્યાયપુરઃસર સત્કર્મો કરવામાં (પોતાના અને બીજાનાં જીવનને સરળ કરવામાં) વિતાવ્યું (કે વાપર્યું કે વટાવ્યું – જે ગણો તે) તે ડાહ્યો છે. જો પ્રકૃતિ આ જીવનની પાર પણ ન્યૂટનના પહેલા નિયમ પ્રમાણે વરતતી હશે તો એવા જીવોની આગળની યાત્રા (જો હશે તો) પણ અન્યોની સરખામણીએ સરળ જ જવાની.
સ્મરીએ કે આ સ્ટેશન પર લાંબું રોકાવાનું નથી અને ગાડી ક્યાં લઈ જવાની છે તેની ખબર નથી.
ઓમ શાંતિ!
LikeLike
Valibhai Musa
June 11, 2015 at 9:14 am
સન્માનીય પ્રમાથભાઈ,
ઘણા સમય બાદ આપ પ્રત્યક્ષ થયા તેનો આનંદ અનુભવું છું. આપે ‘મૃત્યુ’ને સરસ સમજાવ્યું અને તે બદલ આભાર. આ પ્રસંગે કરસનદાસ માણેકના ‘જીવન શું ?’ કાવ્યની આરંભની પંક્તિઓ યાદ આવી ગઈ, જે આ પ્રમાણે છે : “જીવન શું ? મરતાં લગી જીવવું; મરણ શું ? જીવતાં લગી કલ્પવું.” આગળ જતાં કવિ આપે દર્શાવેલા વિચારોને પુષ્ટિ આપે છે. કાવ્યના આરંભે જે કહેવાયું છે તેવા સીમિત અર્થમાં જીવન અને મરણને સમજવાનાં નથી. મનુષ્યજીવન પાસે ઈશ્વરની કંઈક વિશેષ અપેક્ષાઓ છે અને તદનુસાર જીવન જીવાય તો જ એ જીવ્યું સાર્થક ગણાય.
LikeLike
pramath
June 15, 2015 at 9:32 am
વલીભાઈ,
વાત સાચી છે. ઘણા સમયે બ્લૉગવિશ્વમાં પાછો આવું છું.
આપના પરિવારની જેમ જ મારી ડેલીએ પણ મરણનું આંધળું ઊંટ રોકાયેલું. છેલ્લા ૧૫ મહિનામાં મારા પરિવારે બે કેન્સર જોયાં. મારી મા તો બચી ગયાં પણ મારા સસરા બચી ન શક્યા.
જતાં જતાં મારા સસરા, સ્વ. જયકાંતભાઈ છાયા, એમની પહેલી નવલકથા “અતીતના ઓવારે છબછબિયાં” પ્રકાશિત કરતા ગયા. એ નવલકથાના વિમોચન પછી બીજે જ દિવસે એમણે ફ઼ીડિંગ પાઇપ કઢાવી નાખ્યો. દસ મહિનાથી ચાલતો જીવનસંઘર્ષ એ પછીના પંદરમે દિવસે અટકી ગયો.
કેટલાય ઘસતાં-ઘસતાં જાય પણ વીરલા ઘસાતા-ઘસાતા જાય! એમણે એ પુસ્તકની આવક ન્યાતના ડાયાલિસીસના દરદીઓના કુપન ખરીદવામાં અર્પણ કરી.
LikeLike
Valibhai Musa
June 15, 2015 at 10:11 am
દુ:ખદ વાત જાણી. આપના પિતાતુલ્ય સ્વ. છાયાજીના આત્માને શાંતિ માટેની દિલી પ્રાર્થના. જનકલ્યાણ માટેનો એમનાં કુટુંબીજનોનો ઉમદા નિર્ણય. આપનાં માતુશ્રીને મારાં સ્નેહવંદન.
LikeLike
Akbarali Musa
June 15, 2015 at 3:31 am
Inna lillah……
Really he is great personality among our big Family!
He is man of determination with action, never lose temper but decided guy once he found justified…
LikeLike