પુરપાટ ઝડપે (ગ઼ઝલ)
(ગાગાલ લલગા ગાલગા ગાગાલગા)
પુરપાટ ઝડપે દોડતી આ ટ્રેનમાં
પ્યાલો છલકતો જળ તણો મુજ હાથમાં
ચકરભમર ભમે પૃથિવી તો વેગમાં
પ્રોવી શકું જુઓ ને હું ધાગો સોયમાં
નયનો સહુ મનુજનાં દીસે જે એકશાં
પરખાય નફરત મોહબત પળવારમાં
શિશુ ખેલતું જનેતા તણી જ્યાં ગોદમાં
મમતા ચમકતી સ્નેહમય એ નયનમાં
નિરખાય કદી કારુણ્યતા કો આંખમાં
યા તો ઉકળતો ક્રોધ કોઈ ચક્ષુમાં
વૈવિધ્ય ઉભરે કેટલાંયે નેત્રમાં
લીલા પ્રગટતી ઈશની એ સર્વમાં
ફસતો નહિ કદી આ જગે ભાઈ ‘વલી’
ચોતરફ ભમતી ગૂઢ માયાજાળમાં
-વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)
(તા.૧૯૧૦૧૭)
(ફેસબુક – ‘ગ઼ઝલ તો લખું’ ગ્રુપ તા.૦૭૧૧૧૭)
સુરેશ જાની
November 17, 2017 at 10:58 pm
ગૂઢ માયાજાળમાં વલી છો ફસેલા છો તમે .
એક બાબત જાણજો નક્કી તમારા ભાગ્યમાં.
દીલની દુઆ કંઈ કેટલાને વ્હેંચતા ફરતા રહ્યા.
એ દુઆઓ કમ નથી કહેતો ‘સુજાણ’ લો! કાનમાં
LikeLike
Valibhai Musa
November 18, 2017 at 8:37 am
વાત સાચી છે, ને હાલમાં તો વાત સાચી જ છે કે ‘વલદા’ ગ઼ઝલરચનાની માયાજાળમાં ખૂબ જ ડુબેલા છે. નિષ્ણાતો પણ પાછા એવા મળ્યા છે કે તેઓ પણ કોઈ બાબતમાં એકબીજાના કાન ખેંચે, મતલબ કે ચડિયાતા હોય. એ ધુરંધરો સામે આપણે તો મગતરાં જ કહેવાઈએ. લઘુતાગ્રંથિથી પિડાયા વગર કોશિશ continues.
હવે, વાત રહી દુઆઓની તો તે ચોક્કસ ફળે છે, એમાંય જો બીજાઓ માટેની હોય તો ખાસ ફળે. મને તાજેતરમાં જ બે મિત્રો માટેની દુઆઓ ફળ્યાનો તાજો અનુભવ છે અને તેનો મને અવર્ણનીય આનંદ છે. દુઆનું ફળ વિલંબથી પણ પ્રાપ્ત થઈ શકે, પણ તે માટેનાં શ્રદ્ધા અને ધીરજ અકબંધ જળવાઈ રહેવાં જોઈએ. સર્જનહારની રહેમતથી કદીય નિરાશ ન થવું જોઈએ. તે કદીય હાથોહાથ મદદ ન પહોંચાડે, પણ તેના બંદાઓના માધ્યમે જ એ ફળપ્રાપ્તિ થતી હોય છે. કોઈ માનવીની મદદ માગો તોય ભીતરથી તો એ પરમશક્તિનું જ સ્મરણ કરવું જોઈએ. એક સુફી સંતવાણી છે, ‘જો બંદાને સુપીએ આપણા કાંમા, તો ભીતર લીજે અલ્લાજીકા નાંમા.’
LikeLike