RSS

(565) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન -૧ (આંશિક ભાગ – ૧) દિલ હી તો હૈ ન સંગ-ઓ-ખ઼િશ્ત… (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ * વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

31 Jan

(‘વેબગુર્જરી’ ઉપર ઘણા લાંબા સમયથી ગ઼ાલિબનું ગ઼ઝલસાહિત્ય પ્રસિદ્ધ થઈ રહ્યું છે. શરૂઆતમાં ‘ગ઼ાલિબની શાયરીમાં ડોકિયું’ એ શીર્ષકે ગ઼ાલિબના છૂટાછવાયા શેરનું આચમન કરાવવામાં આવતું હતું. ત્યારપછી ‘ગ઼ાલિબકા અંદાઝે બયાં’ શીર્ષક હેઠળ ગુજરાતી લિપિમાં ગ઼ાલિબની આખી ગ઼ઝલો અને તેમાંના કઠિન શબ્દોના માત્ર અર્થ આપવામાં આવતા હતા કે જેથી ‘વેગુ’વાચકો જાતે મથામણ કરીને ગ઼ઝલોનો લુત્ફ લઈ શકે. પરંતુ હવેથી એ જ શ્રેણીને નવીન ઢબે રજૂ કરવામાં આવશે કે જેમાં શેરમાંના કઠિન શબ્દોના અર્થ ઉપરાંત શેરનું અર્થઘટન અને રસદર્શન પણ આપવામાં આવશે. અમે આશા સેવીએ છીએ કે આપ સૌ સુજ્ઞ વાચકો શાયરસમ્રાટ એવા મિરઝા ગ઼ાલિબની ગ઼ઝલોના શેરને ઊંડાણથી સમજીને તેનો આનંદ માણશો. ધન્યવાદ.  – વલીભાઈ મુસા)       

  • * * *   

 દિલ હી તો હૈ ન સંગ-ઓ-ખ઼િશ્ત (શેર ૧ થી ૩)                                          

દિલ હી તો હૈ ન સંગ-ઓ-ખ઼િશ્ત દર્દ સે ભર ન આએ ક્યૂઁ
રોએઁગે હમ હજ઼ાર બાર કોઈ હમેં સતાએ ક્યૂઁ (૧)

(સંગ= પથ્થર; ખ઼િશ્ત= ઈંટ)

અર્થઘટન અને રસદર્શન:

ગ઼ાલિબની વિખ્યાત ગ઼ઝલો પૈકીની આ ગ઼ઝલ કે જેને એકાધિક ગાયકોએ ગાઈ છે. ચલચિત્ર કે ટી.વી. શ્રેણીમાં આ ગ઼ઝલનું સ્થાન અચૂક હોય છે. આ દિલ પથ્થર કે ઈંટ નથી એમ કહીને ગ઼ઝલકાર દિલને સંવેદનશીલ હોવાનું જણાવે છે. જડ પદાર્થોને કોઈ સંવેદના હોતી નથી, જ્યારે દિલ તો ઋજુ હોઈ સુખ વખતે આનંદ અને દર્દ કે પરેશાની વખતે દુ:ખ અનુભવ્યા સિવાય ન જ રહી શકે. આમ દુ:ખ ટાણે તે એવું દુભાતું હોય છે કે આંખોમાંથી અશ્રુધારા ટપકી પડતી હોય છે. હવે આ શેરના બીજા મિસરામાં ગ઼ઝલકારની ખુમારી વ્યક્ત થાય છે. તે કહે છે કે અમે અમારા દુ:ખે ભલે હજારવાર રડી લઈશું; પણ મજાલ છે કે કોઈ ત્રાહિત અમને સતાવી જાય! અમારી એવી સતામણી ટાણે અમે આંખોમાંથી અશ્રુ સારવાના બદલે તેનો મુકાબલો કરીશું, તેની સામે કઠોર થઈ જઈશું.      

* * *

દૈર નહીં હરમ નહીં દર નહીં આસ્તાઁ નહીં
બૈઠે હૈં રહગુજ઼ર પે હમ ગ઼ૈર હમેં ઉઠાએ ક્યૂઁ (૨)

(દૈર= મંદિર; હરમ= મસ્જિદ; દર= દરવાજો; આસ્તાઁ= ઉંબરો; રહગુજ઼ર= જાહેર માર્ગ)

અર્થઘટન અને રસદર્શન:

સામાન્ય રીતે ગ઼ાલિબની ગ઼ઝલોનું અર્થકરણ કરવું દુષ્કર બની જતું હોય છે કેમ કે ગ઼ાલિબ અઘરા ઉર્દૂ શબ્દો પ્રયોજે છે. ઉર્દૂભાષી પાઠકો પણ કેટલાક શબ્દોના અર્થ પામવા માટે પોતાના હાથ ઊંચા કરી દેતા હોય છે. વળી શબ્દકોશમાંથી માત્ર શબ્દાર્થને જાણી લેવાથી કામ સરતું નથી, કેમ કે તેના વળી પાછા ઇંગિત અર્થો હોય છે. પ્રખર અભ્યાસુઓ જ એવા શબ્દોના મર્મ પામી શકતા હોય છે. આમ એક રીતે જોવા જોઈએ તો ગુજરાતી સાહિત્યનાં સૉનેટના પિતા તરીકેની ઓળખ પામેલા એવા સ્વ. બળવંતરાય કલ્યણરાય ઠાકોરનાં સર્જનો જેવી ગ઼ાલિબની ગ઼ઝલો પણ નળિયેરના મધુર પાણી જેવી હોય છે. ઉપરથી ઋક્ષ દેખાતા નળિયેરનાં પડ ઉખેળતા ગયા પછી જ એના મિષ્ટ પાણીને પામી શકાતું હોય છે. આ શેરની પ્રાસ્તાવિકા થોડીક દીર્ઘ બની છે તેની પાછળનો આ રસદર્શનકારનો આશય માત્ર  એ છે કે ભાવકો ગ઼ાલિબની  ગ઼ઝલોને પ્રથમ તબક્કે જ વાંચી લઈને નજરઅંદાજ ન કરી લે. હવે આપણે ગ઼ઝલના બીજા શેર ઉપર આવીએ.

ગ઼ાલિબ પોતે એ સ્થાન ઉપર બેઠેલા છે કે જે સ્થળ કોઈ મંદિર, મસ્જિદ, કોઈના ઘરનું દ્વાર કે તેનો ઉંબરો નથી. ઘર કોઈ વ્યક્તિનું હોય કે પછી કોઈ સમુદાયનું ધાર્મિક સ્થળ હોય, પણ એ સ્થાનો ઉપર વ્યક્તિગત માલિકીપણું કે આધિપત્ય હોવાના કારણે અન્ય કોઈને તેમાં પ્રવેશનો અધિકાર નથી મળતો. માલિકની પરવાનગી વગર એવાં સ્થાનોએ પ્રવેશી ગયેલાને હડસેલી દેવામાં આવે છે અથવા તો અપમાનિત કરી દેવામાં આવે છે. પરંતુ હરફન-મૌલા એવા ગ઼ાલિબ તો સાર્વજનિક જાહેર રસ્તા ઉપર બેઠેલા છે અને તેથી જ તો તેઓ બિન્દાસપણે કહી દે છે કે કોઈ કયા સબબ હેઠળ તેમને રસ્તા ઉપરથી ઊઠી જવાનું કહી દઈ શકે છે, કેમ કે એ માર્ગ તો સૌ કોઈનો ગણાય અને તેથી અવરજવરનો કોઈ અવરોધ ઊભો ન થાય તેવી રીતે રસ્તાના એક કિનારે બેઠેલાને કોઈ ઊઠી જવાનું કહી જ ન શકે. ગ઼ાલિબની જીવનકથની ઉપરથી જાણવા મળે છે કે તેઓ આટલા મહાન સર્જક હોવા છતાં તેમની ગરીબીના કારણે તેમને કેટલાક લોકોમાં માન સન્માન મળતાં ન હતાં. આમ ગ઼ઝલના આ બીજા શેરમાં પણ ગ઼ાલિબની ખુમારી અભિવ્યક્ત થાય છે.             

* * *

જબ વો જમાલ-એ-દિલ-ફ઼રોજ઼ સૂરત-એ-મેહર-એ-નીમરોજ઼
આપ હી હો નજ઼્જ઼ારા-સોજ઼ પર્દે મેં મુઁહ છુપાએ ક્યૂઁ (૩)

(જમાલ-એ-દિલ-ફ઼રોજ઼= મનને ઝળહળાવતું રૂપ; સૂરત-એ-મેહર-એ-નીમરોજ઼= મધ્યાહ્નના સૂર્યની જેમ;    નજ઼્જ઼ારા-સોજ઼= નજરને બાળી નાખનાર)

અર્થઘટન અને રસદર્શન:

સંસ્કૃત સાહિત્યના મહાકવિ કાલિદાસની ઉપમાઓ જેવી જ  ઉપમાઓ ધરાવતી ગ઼ાલિબની ગ઼ઝલો પૈકીની આ ગ઼ઝલના ત્રીજા શેરમાં ગ઼ાલિબે માશૂકાના સૌંદર્યને એવી રીતે ઉપસાવ્યું છે કે ભાવકનું દિલ વાહવાહ પોકારી ઊઠે. ગ઼ાલિબ માશૂકાને સંબોધીને કહે છે કે તારા ચહેરાનું સૌંદર્ય મધ્યાહ્નના સૂર્યની જેમ આંખોને આંજી નાખનારું અને મનને ઝળહાળાવી દેનારું છે. જ્યારે સમગ્રતયા તું પોતે જ મારી નજરને બાળી દેનાર  છે અને તેથી જ તો તારી સામે જોઈ જ શકાતું નથી, ત્યારે તારે તારા ચહેરાને ઓઝલ પાછળ છુપાવી દેવાની કોઈ જરૂર નથી. તારો ઝળહળતો ચહેરો એ પોતે જ જ્યારે તારો નકાબ બની જાય છે, ત્યારે તારે મોં છુપાવવા માટે બાહ્ય પડદાની કોઈ જ આવશ્યકતા નથી. અહીં માશૂકાના સૌંદર્યના વર્ણનની પરાકાષ્ઠા જોવા મળે છે.           

નોંધ:-

(આ ગ઼ઝલના  અર્થઘટન માટે મારે રાજેન્દ્ર કૃષ્ણના આ ગ઼ઝલના અંગ્રેજી વર્ઝનનો સહારો લેવો પડ્યો છે. અંગ્રેજીના અભ્યાસુઓ માટે તેમની આ સંપૂર્ણ ગ઼ઝલને હું આ લેખમાળાના ત્રણેય ભાગોમાં વિભાગવાર પરિશિષ્ઠમાં આપીશ.)     

 

મિર્ઝા ગ઼ાલિબ

(ગ઼ઝલ ક્રમાંક – ૧૧૬)                                                [ક્રમશ: આંશિક ભાગ – ૨]

* * *

પરિશિષ્ઠ : (શેર ૧ થી ૩)

Dil Hi To Hai Na Sang-O-Khist 

Heart it is, not a brick or stone
Why shouldn’t it feel the pain?
Let none tyrannize this heart 
Or I shall cry again and again

Neither the temple, nor the mosque
Nor on someone’s door or porch
I await on the path where He will tread
Why others should compel me to go?

The illumined grace that lights up the heart
And glows like the midday sun
That Self that annihilates all sights
When then it hides in the mysterious net?

– By Rajender Krishan  

 

ઋણસ્વીકાર :

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) http://techwelkin.com/tools/transliteration/ (દેવનગરી-ગુજરાતી સ્ક્રીપ્ટ કનવર્ટર) 
(૪) Courtesy –   Rajender Krishan
(૫) સૌજન્ય : urdustuff.blogspot અને વિકીપીડિયા

 

 

Tags: , , , , , , ,

2 responses to “(565) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન -૧ (આંશિક ભાગ – ૧) દિલ હી તો હૈ ન સંગ-ઓ-ખ઼િશ્ત… (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ * વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

  1. Anila Patel

    January 31, 2018 at 6:52 am

    આપે સાચુંજ કહ્યું-” પ્રથમ તબક્કે વાંચી લઇને ગાલિબની ગઝલને નજરઅંદાજ કરી દેવામાં આવે”– પણ સમજાય જ નહીં તો.?
    આપનો આ પ્રયત્ન રસદર્શન સાથે ભાવક સુધી પહોંચાડવાનો ગમ્યો જેથી વધુ લોકો વાંચશે અને સમજશે. ધન્યવાદ.
    ગઝલ સાભલવી ગમે પણ સમજાયા વગર માત્ર માણવામાં કઇંક ઉણપ રહે તેમ જરુર લાગે.

    Like

     
  2. સુરેશ

    January 31, 2018 at 6:35 pm

    बहोत दिनोंसे जिसका इइन्तज़ार किया था, वह खजाना आज मिल गया । बहोत बहोत शुक्रिया ।

    Like

     

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.