RSS

Category Archives: કુટુંબજીવન

(૫૩૦) એક પૂર્ણ વર્તુળ ૨૨ વર્ષ ઓહિયાં કરી ગયું ! – અનુવાદ (A full circle swallowed 22 years)

Click here to read in English

હાલમાં સમગ્ર વિશ્વના લોકોનાં બંધિયાર માનસોની બારીઓને વૈશ્વિકરણના ખ્યાલે ખોલી દીધી છે. સંખ્યાબંધ લોકો પોતાની માતૃભૂમિમાંથી સુખી કૌટુંબિક જીવન જીવવા માટે વધુ અર્થોપાર્જન કરવાના હેતુસર વિદેશોમાં સ્થળાંતર કરી રહ્યા છે. કેટલાક વળી પોતાના વસવાટના સ્થળેથી વિદેશોમાં એટલા માટે કાયમી ધોરણે સ્થાયી થઈ રહ્યા છે કે જેથી પોતાના વર્તમાનકાલીન જીવનમાં માત્ર બદલાવ લાવવાનો પોતાનો શોખ સંતોષાય. આમ દેશાંતર આર્થિક કારણસર હોય કે શોખ ખાતર હોય, પણ તે બધીય રીતે જોતાં એક શુભ વાત છે.

પણ … હું મારું ‘પણ’ મારા વાચકોને નિરુત્સાહી કરવા માટે નથી પ્રયોજી રહ્યો. હું આપ સૌને અગાઉથી માનસિક રીતે તૈયાર કરવાનો પ્રયત્ન કરું છું કે સૌ કોઈ દેશાંતર કરવા માટે હંમેશાં તૈયાર રહે, કેમ કે ઈશ્વર એવું ન કરે, પણ એવું દેશાંતર કે જે ભવિષ્યે સૌ કોઈને કરવાની ફરજ પડે.

દુનિયાના દેશો કોઈપણ શાસન પદ્ધતિ જેવી કે લોકશાહી, રાજાશાહી કે સરમુખત્યારશાહી હેઠળ હોય, પરંતુ તેઓ ગમે ત્યારે ક્રાંતિકારી કે રાજકીય કટોકટીમાં આવી શકે છે. તેઓ એવી કટોકટીપૂર્ણ કે અવાંછિત અને દુ:ખદ એવી ખોટી માન્યતાઓ ધરાવવાની પરિસ્થિતિમાં આવી શકે છે, કે જ્યાં અન્યો પરત્વે અસહિષ્ણુતા હોય, રૂઢિગત ધિક્કારની લાગણી હોય, વંશીય હુમલાઓ થતા હોય, નિર્દોષોની સરેઆમ કત્લેઆમ થતી હોય, કહેવાતી જાતિવાદી સફાયાની અરેરાટીપૂર્ણ હિંસાત્મક ઘટનાઓ ઘટતી હોય અથવા તો અન્ય કોઈપણ પ્રકારના ત્રાસ અને જુલ્મ આચરવામાં આવતા હોય. કોઈપણ સમયે આવી માનવસર્જિત આફતો કાં તો શાસક પક્ષ તરફથી પ્રેરિત હોય અથવા શાસિત પ્રજામાંથી ક્રાંતિ કે પરિવર્તનના નામ હેઠળ ઉદ્ભવતી હોય. આપણે લોકો હંમેશાં એવી ખતરનાક પરિસ્થિતિમાં જીવતા હોઈએ છીએ જેમ કે મધુર ગીત ગાતા કોઈ પંખીએ પોતાનાં ઈંડાંને સેવવા માટે તોપના નાળચામાં માળો બાંધ્યો હોય! આજકાલ અચાનક પરિસ્થિતિ બદલાઈ જતી હોય છે અને સરળ રીતે પસાર થઈ રહેલી માનવ જિંદગી એકદમ હાનિગ્રસ્ત થઈ જતી હોય છે.

જો કે ઈશ્વર આપણને બચાવે, પરંતુ આવા સંજોગો માટે આપણે પોતાની જિંદગી, પ્રતિષ્ઠા અને સન્માન બચાવવા માટે દેશાંતર કરવા માટેનો કઠોર નિર્ણય લેવા માટે માનસિક રીતે તૈયાર રહેવું જોઈએ. માણસે ભાગ્યે ફેંકેલા પડકારને ઝીલી લેવા માટે તત્પરતા દાખવવી જોઈએ અને ‘જે થવાનું હોય તે ભલે થાય’ એવી તૈયારી સાથે હિંમતવાન અને સાબદા બની રહેવું પડે.

અહીં હું એક મારા ભલા મિત્ર મિ. જાફરઅલી સુણસરા (જેફ)ની ઓળખાણ આપીશ. તેઓ યુગાન્ડા (આફ્રિકા)માં જન્મ્યા હતા. તેમણે માત્ર પ્રાથમિક શિક્ષણ ભારતમાં લીધું હતું અને અમેરિકામાં સ્થાયી થયા હતા. અમે મિત્રો છીએ, પણ તેથીય વધારે કહું તો છેક ૧૯૫૯થી અમે એકબીજાના ભાઈ સમાન છીએ. મિ. જાફરભાઈના જીવનની ૨૨ વર્ષની કષ્ટભરી જીવનયાત્રાની કહાની આ લેખની મારી પ્રસ્તાવના પછી તરત જ શરૂ થશે, જેમાંની તેમની ધીરજ, તેમનો સંઘર્ષ અને તેમના વ્યક્તિત્વના ઘણા બધા ગુણોનું મૂલ્યાંકન તમે આપમેળે જ કરી શકશો.

“ધી મોર્નિંગ કોલ” ન્યૂઝ પેપરમાં તા.૦૬ નવેમ્બર, ૧૯૯૪ના રોજ તેના પત્રકાર બોબ વિટમન દ્વારા લખાયેલો નીચે દર્શાવેલા શીર્ષક હેઠળનો લેખ પ્રસિદ્ધ થયો હતો. આ લેખને અહીં એ હેતુસર પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યો છે કે જેથી મારા સુજ્ઞ વાચકો તેમાંના સંદર્ભ અને માહિતીને તારવી શકે અને પોતાના જીવનની ગમે તેવી વિષમ પરિસ્થિતિ સામે એક ખડકની જેમ ટટ્ટાર ઊભા રહીને તેનો મુકાબલો કરવા માટેની પ્રેરણા મેળવી શકે.

મારા ભલા વાચકો, હવે આગળ વાંચો અને ખૂબ જ નમ્ર અને અસાધારણ સામર્થ્ય ધરાવતા એવા પ્રખર માનવની બે દસકાઓ કરતાં પણ વધારે સમયની સંઘર્ષ ગાથાના સાક્ષી બનો :

નાગરિકતા વિહોણા એક યુગાન્ડનની ૨૨ વર્ષની કષ્ટદાયક જીવનયાત્રાનો અંત આવશે
(“Stateless” Ugandan’s 22 – year Odyssey will end)

“આજથી બરાબર ૨૨ વર્ષ પહેલાંના આ જ મહિને મિ. જાફરઅલી સુણસરા યુગાન્ડાના કમ્પાલા એરપોર્ટ ઉપર હજારેક લોકોની લાઈનમાં ઊભેલા હતા. જ્યારે લાઈનમાં તેમનો વારો આવ્યો, ત્યારે પોતાના યુનિફોર્મમાં કડક મિજાજના લાગતા એ ઓફિસરે સુણસરાના યુગાન્ડન જન્મ પ્રમાણપત્રને હાથમાં લીધું અને અને તેના ઉપર એક સિક્કો મારી દીધો. ભૂંસી ન શકાય તેવી જાંબુડિયા રંગની એ શાહી જ્યારે સુકાઈ ત્યારે એ દિવસે જાણે કે શુષ્ક હોય એવા આફ્રિકન સૂર્યના પ્રકાશમાં મિ. સુણસરાએ એક જ શબ્દ વાંચ્યો કે જેને મિટાવવા તેમને બે દસકા જેટલો સમય લાગ્યો. એ શબ્દ હતો “નાગરિકતાવિહીન (Stateless)”.

તે જ દિવસે સુણસરાની ત્રણ ખંડોની કષ્ટભરી જીવનયાત્રા શરૂ થઈ જે છેવટે સાચે જ જૂના લેહ કાઉન્ટી કોર્ટહાઉસના કોર્ટરૂમમાં ગુરૂવારે એ વખતે સમાપ્ત થશે, જ્યારે ૬૧ વર્ષના વયોવૃદ્ધ એવા આ ઈસમ પોતાનો હાથ ઊંચો કરીને યુનાઈટેડ સ્ટેટ્સ પરત્વેની વફાદારીના શપથ લેશે અને યુનાઈટેડ સ્ટેટ્સના નાગરિક બનશે. લેહ કાઉન્ટીના નાગરિકત્વ ડિપાર્ટમેન્ટના ક્લાર્ક મિ. બર્નાડેટ કારવેલના મત મુજબ એ દિવસે સાંજે ૪-૦૦ કલાકે ઓછામાં ઓછા બીજા ૪૮ જણ ખાસ નાગરિકત્વ સમારોહમાં યુનાઈટેડ સ્ટેટ્સના નાગરિક બનશે.

મિ. સુણસરાએ અગાઉ એવું કદીય ધાર્યું નહિ હોય કે તેઓ તેમના જીવનમાં એક દિવસે અમેરિકાના પેન સિલ્વેનિયા રાજ્યના એલન ટાઉન નામના શહેરમાં કાયમી વસવાટ કરશે. મિ. સુણસરા સુખી એવા વ્યાપારી કબીલા અને વિષુવૃત્તીય યુગાન્ડા દેશના વેપારી કુટુંબમાં જન્મ્યા હતા. જ્યારે પૂર્વ આફ્રિકા બ્રિટીશ કોલોની તરીકે હતું, ત્યારે તેમના દાદા ભારતથી યુગાન્ડામાં આવી વસ્યા હતા. બ્રિટીશ સરકાર ગ્રેટ બ્રિટનના તાબા હેઠળના આ દેશમાં ભારતીયો વસવાટ કરીને સરકારને મદદરૂપ થાય તે માટે તેમને પ્રોત્સાહિત કરતી હતી. લગભગ દસ હજાર જેટલા ભારતીયો યુગાન્ડાની સરકારી નોકરીઓમાં અને તેના વેપારધંધામાં જોડાયા હતા.

પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી મિ. સુણસરા ૧૯૫૭માં યુગાન્ડાના લિરા ખાતે ‘નોર્થન પ્રોવિન્સ બસ કંપની’માં જોડાયા. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ટિકિટ એક્ઝામિનર, મિકેનિક તથા ટ્રાફિક મેનેજર તરીકે સેવાઓ આપી અને ૧૯૬૫માં કંપનીના સ્ટોક હોલ્ડર અને ડાયરેક્ટર બન્યા.

ઈ.સ.૧૯૬૦માં મિ. સુણસરાએ મદ્રાસ (ભારત)ની એક છોકરી સાથે લગ્ન કર્યાં અને તેમના દાંપત્યકાળમાં તેઓ ત્રણ દીકરીઓ અને એક દીકરાનાં માવતર બન્યાં. સુણસરાને ચાર બેડરૂમનું સરસ મજાનું ઘર હતું, ત્રણ કાર હતી અને રજાઓ દરમિયાન તેઓ નિયમિત રીતે આલ્બર્ટ સરોવર ખાતે ફિશીંગ કરવા જતા. આમ તેઓ સઘળી રીતે સફળ અને સુખી હતા.

પરંતુ ૧૯૭૧માં લશ્કરના ફિલ્ડ માર્શલ ઈદી અમીને સરકારનો કબજો લઈ લીધો અને દેશ અંધાધૂધીમાં ઘેરાઈ ગયો. લશ્કર ગામડાંઓ ઉપર ગેરિલા પદ્ધતિએ ત્રાટકતું અને પોલિસ પણ નાગરિકો ઉપર કેર વર્તાવતી. પોતાના કુટુંબની સલામતી માટે દેશમાં શાંતિ ન સ્થપાય ત્યાં સુધીના સમયગાળા માટે સુણસરાએ પત્ની અને બાળકોને પત્નીના પિયર મદ્રાસ (ભારત) ખાતે મોકલી દીધાં. એ વખતે એમને જરા પણ ખબર ન હતી કે તેઓ પોતાનાં કુટુંબીજનોને આવનારાં ૧૬ વર્ષો સુધી નહિ મળી શકે.

મિ. જેફે સલામતી ખાતર કુટુંબને ભારત મોકલી દીધું એ તેમનું દૂરંદેશીપણું હતું, કારણ કે અમીન ક્રમે ક્રમે લઘુમતી ભારતીઓ ઉપર સખ્તાઈ વધારતો જતો હતો. એક વખતે તો મિ. સુણસરાની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને પૂછપરછ માટે ત્રણ દિવસ સુધી લશ્કરી કેમ્પમાં ગોંધી રાખવામાં આવ્યા હતા. વળી એ જ વખતે બસ કંપનીના ચિફ એક્ઝ્યુકેટિવ ઓફિસરને પણ પકડી લેવામાં આવ્યા હતા અને ત્યાર પછી તેમનો કોઈ પત્તો-પગેરુ મળ્યાં ન હતાં. જો કે મિ. સુણસરાને ઈજા પહોંચાડ્યા વિના મુક્ત કરી દેવામાં આવ્યા હતા, પણ તેમનું હવે પછીનું જીવન પહેલાં જેવું રહ્યું ન હતું. તેઓ કદીય પોતાની ઓફિસે પાછા ફરી શક્યા નહિ અને કંપની વિખેરાઈ ગઈ હતી. તેઓ કેટલાક મિત્રો અને સંબંધીઓના ત્યાં લપાતા-છુપાતા રહ્યા. દુ:ખદ બીના તો એ રહી કે તેઓ એક જ સ્થળે બે રાત્રિથી વધારે રહી શક્યા ન હતા.

પછી તો, ઓગસ્ટ ૧૯૭૨માં અમીને જાહેરનામું બહાર પાડી દીધું કે યુગાન્ડામાં વસતા ભારતીયોએ દેશને છોડી જ દેવો પડશે. યુનાઈટેડ નેશન્સે લોકોને દેશમાંથી સહીસલામત બહાર લઈ જવા માટેનો કાર્યક્રમ ઉતાવળમાં ઘડી કાઢ્યો. મિ. સુણસરા અને તેમનું બહોળું કુટુંબ અને લઘુમતીઓમાંના બીજા ૪૫૦૦૦ જેટલા માણસોને યુરોપના જુદાજુદા સ્થળોના આશ્રય કેમ્પોમાં હવાઈ માર્ગે ખસેડી દેવામાં આવ્યા. તેઓને કોઈ રોકડ નાણાં કે ચીજવસ્તુ પણ લેવા દેવામાં ન આવી. વળી આવા દરેકના જન્મ પ્રમાણપત્ર ઉપર યુગાન્ડન અધિકારીઓએ ‘નાગરિકતાવિહીન (Stateless)’ના સિક્કા મારી દીધા. યુનોએ મિ. સુણસરાને નોર્વેમાં વસવાટ આપી દીધો. નોર્વેજિયન સરકારે તેમને દરિયાકિનારે આવેલા બર્ગન શહેરમાં વસવાટ માટે એક એપાર્ટમેન્ટ આપ્યું અને શિપ યાર્ડમાં કામદાર તરીકેની નોકરી અપાવી દીધી. આ સમય દરમિયાન મિ. સુણસરાના બહોળા પરિવારમાંનાં તેમનાં માતા, ભાઈઓ-ભાભીઓ અને તેઓનાં બાળકોએ યુનાઈટેડ સ્ટેટ્સમાં વસવાટ લઈ લીધો હતો. એ લોકોને એલનટાઉનના સેન્ટ જહોન્સ લુથરન ચર્ચે સ્પોન્સર કર્યાં હતાં અને તેમને લેહ વેલીમાં વસાવી દેવામાં આવ્યાં હતાં.

મિ. સુણસરાને નોર્વે પસંદ ન હતું. તેઓ ત્યાંની ઠંડી સાથે અનુકૂલન સાધી શકતા ન હતા. તેમને ત્યાંના લોકો મૈત્રીભાવવાળા ન લાગ્યા. વળી તેઓ શારીરિક રીતે થકવી નાખતા માનવીય શ્રમકાર્યથી ટેવાયેલા ન હતા. તેમને હંમેશાં એમ જ લાગ્યા કરતું હતું કે કુટુંબને બોલાવી લેવા માટે નોર્વે યોગ્ય સ્થળ નથી. આમ જ્યાં સુધી પોતે અન્ય વિકલ્પ ન વિચારી કાઢે ત્યાં સુધી તેમણે કુટુંબને ભારત ખાતે જ રહેવાનું જણાવી દીધું.

મિ. સુણસરા ચિંતનશીલ માણસ હતા. તેઓ પોતાની ભૂલો કબૂલ કરી લેવામાં જરાય સંકોચ અનુભવતા ન હતા. એમણે નોર્વેમાં પાછા ન ફરવાના ઈરાદા સાથે ૧૯૭૬માં અમેરિકા જવાનો દૃઢ નિશ્ચય કરી લીધો. તેમને તેમનાં માતુશ્રી અને ભાઈને મળવા જવા માટે અમેરિકાના અગિયાર અઠવાડિયાંના ટ્રાવેલ વિઝા મળી ગયા અને એ મુદ્દત વીતી ગયા પછી તેઓ કદીય નોર્વે પાછા ફર્યા ન હતા. મિ. સુણસરાને ખબર હતી કે તેઓ યુ.એસ. ઈમિગ્રેશન કાયદાનો ભંગ કરી રહ્યા હતા, વળી સાથે સાથે તેમને એ ખબર પણ ન હતી કે એ સરકારી તંત્ર દ્વારા એ કાયદાઓમાં કેવી અને કેટલી બાંધછોડ થઈ શકે. તેમનું દૃઢ માનવું હતું કે નિરાશ્રિત તરીકેની તેમની કથની યુ. એસ. ઈમિગ્રેશન સત્તાવાળાઓને તેમની દુર્દશામાંથી તેમને ઉગારવાની ફરજ પાડશે અને તેઓ કાયમી ધોરણે અમેરિકાવાસી બની શકશે.

પરંતુ સચ્ચાઈ જે હતી તેની સામે તેમની ધારણા મુજબ કશું બની શક્યું નહિ. તેમણે જ્યારે એ વખતના અમેરિકન પ્રમુખ જીમિ કાર્ટરને પોતાની કરૂણ કથની લખી જણાવી, ત્યારે યુ. એસ. ઈમિગ્રેશન અને નેચરલાઈઝેશન સર્વિસ (INS) તરફથી સાવ સંક્ષિપ્ત અને તોછડો જવાબ મળી ગયો કે ‘પ્રમુખને કોઈપણ રીતે કાયદાને સુધારવાની સત્તા નથી.’

બીજી તરફ ઈમિગ્રેશન અને નેચરલાઈઝેશન સર્વિસ (INS) તરફથી મિ. સુણસરા વિઝાની મુદ્દત કરતાં વધારે સમય અમેરિકામાં રોકાયા હોવા છતાં તેમનો કોઈ પીછો કરવામાં આવ્યો નહિ. આ સમય દરમિયાન મિ. સુણસરાના મિત્રે તેમને એલનટાઉનના કોલેજ હાઈટ્સ બોલેવર્ડ ખાતે આવેલા ‘સેવન ઈલેવન ફુડ સ્ટોર’માં કાઉન્ટર પાછળ નોકરી આપી. વર્ષો પસાર થતાં ગયાં. મિ. સુણસરાને પત્ની બાળકોનો વિયોગ દુ:ખદાયક લાગતો હતો. પછી તો બધાંના હિતમાં ઠીક સમજીને મિ. સુણસરા ફિલાડેલ્ફીઆ જઈને ઈમિગ્રેશન અધિકારીઓ સમક્ષ હાજર થઈ ગયા. એ લોકોએ તેમને દેશ છોડી જવા માટેનો ઓર્ડર હાથમાં પકડાવી દીધો.

પરંતુ અહીં આશ્ચર્યજનક ટેકનિકલ બાબત એ હતી કે તેમને દેશબહાર હાંકી કાઢવા માટે સામે કોઈ દેશ હોવો જોઈએ જે ન હતો. આ ગાળામાં અમીનને પદભ્રષ્ટ કરી દેવામાં આવ્યો હતો. યુગાન્ડામાં હજુય અંધાધૂંધી પ્રવર્તતી હતી, છતાંય તે લોકો મિ. સુણસરાને સ્વીકારવા તૈયાર ન હતા. નોર્વે તેમને પોતાના દેશમાં ફરી પાછા ફરવા દે તેમ ન હતું, કેમ કે એમણે તેમનું જીવન સુખમય બનાવવા માટે તેમને એક તક આપી હતી, જે તેમણે પોતે જ ગુમાવી દીધી હતી. વળી ભારત કે જ્યાં તેમનાં પત્ની રહેતાં હતાં તે પણ તેમને સ્વીકારવા બંધનકર્તા ન હતું. આમ મિ. સુણસરા યુનાઈટેડ સ્ટેટ્સ માટે સમસ્યારૂપ બની ગયા હતા. મિ. સુણસરાના વકીલ તેમના હદપાર થવા માટેના ઓર્ડરમાંની સમયમર્યાદા વધારવા માટેનો કેસ જીતી ગયા હતા. પછી તો આ મુદ્દત વધારો, વળી મુદ્દત વધારો અને મુદ્દત વધારા ઉપર વધુ ને વધુ મુદ્દત વધારા એમ ચાલતું રહ્યું. છેવટે ૧૯૮૪માં ઈમિગ્રેશન અને નેચરલાઈઝેશન સર્વિસ (INS) દ્વારા તેમને સ્પષ્ટ રીતે જણાવી દેવામાં આવ્યું કે હવે તેમને દેશ છોડી જવા માટેનો મુદ્દત વધારો નહિ આપવામાં આવે અને તેમણે ૨૧મી ફેબ્રુઆરીએ પોતાનાં બિસ્તરાં-પોટલાં સાથે દેશનિકાલ થવા માટે તૈયાર રહેવું પડશે.

પરંતુ, ઈમિગ્રેશન અને નેચરલાઈઝેશન સર્વિસ (INS) મિ. સુણસરાને કયા દેશમાં મોકલી આપે તે એક રસપ્રદ મુદ્દો હતો. જો કે આ અવઢવ પરિસ્થિતિ લાંબા સમય સુધી રહી નહીં અને આ સમયગાળામાં જ એવો માર્ગ નીકળી આવ્યો કે INSની ક્વોટા પદ્ધતિ હેઠળ થોડાક દિવસો બાકી હતા અને અમેરિકામાં કાયમી વસવાટ માટેની તેમના ભાઈ લિયાકતઅલીની સ્પોન્સરશીપ હેઠળ તેમનું નામ નીકળી આવ્યું. જો કે અહીં વાર્તાનો અંત આવતો નથી. કાયદા પ્રમાણે INSની અમેરિકામાં નવેસરથી પ્રવેશ કરવા માટેની એક જરૂરિયાત પૂરી થવી જરૂરી હતી. મિ. સુણસરાએ એક વખત દેશ બહાર નીકળી જઈને ફરીથી અમેરિકામાં દાખલ થવું પડે અને તો જ તેમના કેસના કાગળો પ્રોસેસ થાય અને તેમના કાયમી વસવાટ માટેની ફાઈલ ખુલે.

પરંતુ કાયદાતંત્રની જોગવાઈ-૨૨ હેઠળ મિ. સુણસરા મુસાફરી માટેના માન્ય સાધનિક કાગળો વગર અમેરિકા બહાર જઈ શકે નહિ. અમેરિકા આવા કાગળો આપી શકે નહિ, કેમ કે હજુ સુધી ટેકનિકલી તો તેઓ અમેરિકાના ગેરકાનૂની વસાહતી કહેવાય. આમ છતાંય તેમનું સદ્ભાગ્ય એક ડગલું આગળ આવ્યું અને તેમને તેમની યુવાનવયનો એક મિત્ર ન્યુયોર્કમાં મળી ગયો કે જે મેનહટન ખાતેની યુગાન્ડા કોન્સ્યુલેટ ઓફિસમાં અધિકારી તરીકેની ફરજ બજાવતો હતો. આ મિત્રની મદદથી ટ્રાવેલીંગ માટેના કામચલાઉ કાગળો મળી ગયા. હવે જે કંઈ થઈ રહ્યું હતું તે ઝડપથી થઈ રહ્યું હતું. હવે તેઓ હવાઈ સફર દ્વારા નોર્વે પહોંચ્યા. નોર્વેના ઓસ્લોમાંની યુ. એસ. કોન્સ્યુલેટ ઓફિસમાં જઈને અમેરિકાના કાયમી વસવાટ માટે સઘળી પ્રક્રિયા પૂર્ણ કરી અને છેવટે તેઓ એક કાયદેસરના અમેરિકાના નિવાસી તરીકે હવાઈયાત્રા થકી ન્યુયોર્ક પાછા ઊડી આવ્યા.

ત્યારપછી લગભગ તરત જ મિ. સુણસરા ૧૬ વર્ષના પોતાનાં પત્ની અને બાળકોના સાથેના વસમા વિયોગ પછી તેમને મળવા અને તેમને અમેરિકા લઈ જવા તેઓ ભારત આવ્યા. વર્ષો સુધીની જુદાઈ બાદ કુટુંબ ભેગું થયું ત્યારે તેમનો મોટો દીકરો મહંમદ ૨૬ વર્ષનો યુવાન બની ગયો હતો. તેમની સૌથી નાની દીકરી નસીમ જ્યારે તેને છેલ્લી જોવામાં આવી હતી ત્યારે તે માત્ર ૧૫ જ મહિનાની બાળકી હતી, તેણે પોતાનું હાઈસ્કૂલનું શિક્ષણ પૂરું કરી દીધું હતું. મિ. સુણસરા ભારત ખાતે એક મહિના કરતાં વધારે સમય સુધી રહ્યા અને એ વસંત ઋતુમાં આખુંય કુટુંબ એલનટાઉન ખાતે એકત્ર થયું.

પછી દીકરી રૂકસાના પરણી ગઈ. તેણી પોતાના પતિ અને એક દીકરી કે જે મિ. સુણસરાની દોહિત્રી થાય તેની સાથે શિકાગો રહે છે. બીજી એક દીકરી શાહેદા મેરિડિયન બેંકમાં કામ કરે છે અને નસીમ કેડર ક્રેસ્ટ કોલેજમાં અભ્યાસ કરી રહી છે. તેણી દાંતના ડોક્ટરની આસિસ્ટન્ટ તરીકે કામ કરવાની ઇચ્છા ધરાવે છે. મહંમદ એમોસ ખાતે હેરિસન અને લેહ સ્ટ્રીટ મુકામે આવેલા ‘ડોન્સ ફુડ સ્ટોર’માં મદદ કરી રહ્યો છે. મિ. સુણસરા અને તેમના ભાઈ લિયાકતઅલી સદરહુ સ્ટોર અને હવે બીજા એક કોલેજ હાઈટ્સ બોલેવર્ડના ‘સેવન ટેન ફૂડ સ્ટોર’ તરીકે ઓળખાતા સાહસમાં ભાગીદાર છે.

પાંચ વર્ષ પછી મિ. સુણસરા અમેરિકાના કાયમી વસાહતી થઈ ગયા અને હવે તેઓ અમેરિકન નાગરિકત્વ મેળવવાપાત્ર બની ગયા છે. તેમણે થોડાક મહિના પહેલાં નાગરિકત્વ મેળવવા માટેની પરીક્ષા પણ ઉત્તીર્ણ કરી દીધી છે. તેઓ આ અઠવાડિયામાં યોજાનારી ઓલ્ડ કોર્ટહાઉસ ખાતેની નાગરિકત્વ મેળવવા માટેની પ્રતિષ્ઠિત ઉજવણીમાં ભાગ લેવા માટેની રાહ જોઈ રહ્યા છે.

મિ. જાફરઅલી સુણસરા માને છે કે છેવટે એક પૂર્ણ વર્તુળ સમાપ્ત થયું.”

છેલ્લે હું જહોન ડ્રિંકવોટર દ્વારા લિખિત નાટક ‘અબ્રાહમ લિંકન’ના એક સંવાદને ટાંકીશ : ‘જ્યારે કોઈ સફળતા પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે તે કેટલી સહજ લાગતી હોય છે!’

-વલીભાઈ મુસા
(તા.૦૬-૦૬-૨૦૦૭)

સૌજન્ય (Courtesy) : “The Morning Call” (USA)

(Translated from English version titled as “A full circle swallowed 22 years published on June 06, 2007)

 

Tags: , , , , , , , ,

(૪૯૪) “જ્યમ અસ્ખલિત મેઘ વરસે…” પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૧૦)

Rain all along

Love me less O lady love me long
Rain all along o lady rain all along

As the earth absorbs but not all the rain
The excess water goes wasted in vain
So love me less O lady love me long
Rain all along o lady rain all along

Everything in proportion pleases more
Ships over-laden reach not the shore
So love me less O lady love me long
Rain all along o lady rain all along

We love the rain when it is drought
But do not we pray it to cease
while in flood we are caught
So love me less O lady love me long
Rain all along o lady rain all along………

– Mukesh Raval

(From ‘Pots of Urthona’ – A Collection of Poems)
[Published in an anthology of poetry named “A piece of my heart’ by Forward Poetry, U.K.]

* * *

જ્યમ અસ્ખલિત મેઘ વરસે…

અલ્પ જ ચાહે ભલે પ્રિયે, પણ તું ચાહજે દીર્ઘ મુજને
પ્રણયવૃષ્ટિ સતત ચહું હું જ્યમ અસ્ખલિત મેઘ વરસે.

ધરિત્રી શોષે જળ, પણ કદીય ના એક માત્રાથી વિશેષ,
અદકેરું જળ વરસ્યું સઘળું, સાવ જ વેડફાતું નકામું.
તો અલ્પ જ ચાહે ભલે પ્રિયે, પણ તું ચાહજે દીર્ઘ મુજને
પ્રણયવૃષ્ટિ સતત ચહું હું જ્યમ અસ્ખલિત મેઘ વરસે.

સઘળી વસ્તુ ખુશ જ કરતી, સપ્રમાણે જો એ હોયે
અતિભારિત વહાણો, સમસૂતર પહોંચતાં ના કિનારે
તો અલ્પ જ ચાહે ભલે પ્રિયે, પણ તું ચાહજે દીર્ઘ મુજને
પ્રણયવૃષ્ટિ સતત ચહું હું જ્યમ અસ્ખલિત મેઘ વરસે.

ચહીએ આપણ મેઘ અધિક, જો હોયે અનાવૃષ્ટિકાળ
શું ના પ્રાર્થીએ તેને વિરમવા રેલસંકટે સપડાતાં ?
તો અલ્પ જ ચાહે ભલે પ્રિયે, પણ તું ચાહજે દીર્ઘ મુજને
પ્રણયવૃષ્ટિ સતત ચહું હું જ્યમ અસ્ખલિત મેઘ વરસે.

* * *

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

રસદર્શન :

પ્રૉફેસર મુકેશ રાવલ પોતાના એક પ્રણયોર્મિ કાવ્ય સાથે આપણી સમક્ષ આવે છે, જેની ધ્રુવપંક્તિ છે :

“તો અલ્પ જ ચાહે ભલે પ્રિયે, પણ તું ચાહજે દીર્ઘ મુજને
પ્રણયવૃષ્ટિ સતત ચહું હું જ્યમ અસ્ખલિત મેઘ વરસે.”

અહીં કાવ્યનાયક અર્થાત્ પતિમહાશયની નિજ અર્ધાંગના પાસેથી અપેક્ષિત એવી એક આરજૂ વ્યક્ત થઈ છે, જેને આમ જોવા જઈએ તો સર્વે પતિદેવોની જ ગણવી રહે. દાંપત્યપ્રેમનું સાતત્ય એવું રહે કે જેમાં ચઢાવઉતાર કે વધઘટને સ્થાન ન હોય. આ કાવ્ય પત્નીને સંબોધીને મૂળે અંગ્રેજીમાં લખાયું છે અને વાચકો માટે ‘O Lady’ સંબોધન મનભાવન બની રહે છે. અનુવાદકે વળી ‘પ્રિયે’ સંબોધન પ્રયોજીને તેનો યથાર્થભાવ પ્રગટ કર્યો છે. મોટા ભાગે દાંપત્યજીવનના પ્રારંભે દંપતીનો અન્યોન્ય પરત્વેનો પ્રેમ અધિક હોય છે અને સમય જતાં એ પ્રેમ ઓસરવા માંડે છે. આપણા કાવ્યનાયકના જીવનમાં આવું ન બને કે સમયાંતરે તેમનું દાંપત્યજીવન નીરસ ન બની જાય અને તેથી જ તો અગમચેતી રૂપે તેઓ કહે છે કે, ‘ભલે તું મને ઓછું ચાહે, પણ તારી ચાહત દીર્ઘકાળ સુધી કાયમ રહેવી જોઈએ.’ પોતાની આ આરજૂના સમર્થનમાં કવિ અસ્ખલિત રીતે વરસતા વરસાદનું દૃષ્ટાંત આપે છે.

કાવ્ય આગળ વધે છે અને એ જ વાતને વધુ સ્પષ્ટ કરતાં કવિ આપણને સમજાવે છે કે અતિવૃષ્ટિમાં પાણી વેડફાતું હોય છે અને ઘણીવાર તો તે હાનિકારક પણ નીવડે છે. વરસાદના પાણીને શોષી લેવાની ધરતીની પણ એક મર્યાદા હોય છે, કેમ કે તે અમુક માત્રાથી વિશેષ પાણી શોષી ન શકે. પ્રણયવર્ષાનું પણ એવું જ હોય છે. હૃદયરૂપી ધરતી પણ પ્રણયના અતિરેકને પોતાનામાં સમાવી શકતી નથી અને આમ એ વધુ પડતો પ્રણય એળે જતો હોય છે. કવિ ઇચ્છે છે કે દાંપત્યપ્રેમ અમૂલ્ય હોય છે અને એને જીવનભર વહેતો રાખવાનો રાખવાનો હોઈ આમ એ વ્યર્થ વેડફાવો જોઈએ નહિ. કવિએ દાંપત્યજીવનની આ ગહન વાતને પોતાની લાક્ષણિક ઢબે આપણને સહજ રીતે સમજાવી દીધી છે.

અંગ્રેજીમાં કહેવાય છે કે Everything in limit is good; અર્થાત્ દરેક વસ્તુ મર્યાદામાં જ સારી લાગતી હોય છે. કવિ આ વાતને મિતભાષી ‘સઘળી વસ્તુ ખુશ જ કરતી, સપ્રમાણે જો એ હોયે’ કંડિકા દ્વારા સમજાવે છે અને વળી એ વાતના દૃઢિકરણ માટે ઉદાહરણ પણ આપે છે કે વધારે ભાર લાદેલાં વહાણ સહીસલામત રીતે કિનારા સુધી પહોંચી શકતાં નથી હોતાં. દાંપત્યજીવનના વહાણનું પણ એવું હોય છે કે જે અધિક પ્રેમના ભારને ઝીલી શકે નહિ. ઘણાં દંપતીનાં જીવનમાં પણ આવું જ બનતું હોય છે કે જ્યાં અન્યોન્ય પરત્વેના પ્રારંભિક પ્રેમના અતિરેકના ભારથી અને પાછળથી પ્રેમના અભાવના કારણે લગ્નવિચ્છેદની સમસ્યા સર્જાતી હોય છે.

કાવ્યસમાપને કવિ દાંપત્યજીવનમાં યુગલોએ ક્યારે અને કેટલો પ્રેમ અભિવ્યક્ત કરવો જોઈએ તે મેઘના એ જ સરસ મજાના ઉદાહરણ દ્વારા સમજાવે છે. જ્યારે વરસાદ વિલંબાતો હોય અને અનાવૃષ્ટિની સ્થિતિ સર્જાવાની સંભાવના હોય ત્યારે આપણે તેને વાંછીએ છીએ, પરંતુ અતિવૃષ્ટિના સંજોગોમાં આપણે ઈશ્વરને પ્રાર્થતા હોઈએ છીએ કે એ વરસાદ વરસતો બંધ થઈ જાય. કૌટુંબિક જીવનમાં કોઈક આસમાની સુલતાનીના સમયે દંપતીએ પ્રેમ દ્વારા એકબીજાંને હૂંફ આપવી જોઈએ, કેમ કે પ્રેમવર્ષા થવા માટેનો એ જ તો યોગ્ય સમય હોય છે. પ્રેમમાં અજ્ઞાત એવી શક્તિ હોય છે અને એ શક્તિનો યથા સમયે ઉપયોગ થવો જોઈએ. કુટુંબજીવન જ્યારે સમસૂતર રીતે પસાર થઈ રહ્યું હોય ત્યારે યુગલે પ્રેમની એ શક્તિનો દુરુપયોગ ન કરતાં એનો સંચય કરી લેવો જોઈએ કે જે જરૂરિયાતના સમયે ખપ લાગે.

દાંપત્યજીવનમાં પ્રેમની અભિવ્યક્તિ માટેના મધ્યમમાર્ગને સૂચવતી આ લઘુરચના બદલ કવિશ્રીને ધન્યવાદ.

– વલીભાઈ મુસા (રસદર્શનકાર)

* * * * *

પ્રો. મુકેશ રાવલનાં સંપર્કસૂત્રો :

ઈ મેઈલ – Mukesh Raval < rajshlokswarda@gmail.com
મોબાઈલ – ૯૮૭૯૫ ૭૩૮૪૭

પુસ્તક પ્રાપ્તિ : –

“Pots of Urthona” – ISBN 978-93-5070-003-7 મૂલ્ય : રૂ|. ૧૫૦/- (શાંતિ પ્રકાશન, ડી-૧૯/૨૨૦, નંદનવન એપાર્ટમન્ટ, ભાવસાર હૉસ્ટેલ પાસે, નવા વાડજ, અમદાવાદ – ૩૮૦ ૦૧૩)

 

Tags: , , ,

(૪૮૦) મારો જન્મદિવસ – તિર્યક (તિરછી) નજરે

મારા આગલા જન્મદિવસ નિમિત્તે લખાયેલા લેખ “મારો જન્મદિવસ – નવી નજરે” ઉપર એક નજર નાખી આવીને આજે મારા આજના ૭૪મા જન્મદિવસે ‘કંઈક’ લખવા જઈ રહ્યો છું, ત્યારે આ લેખનું શીર્ષક તો ઉપર મુજબ સહજ રીતે પહેલું જ લખાઈ જાય છે અને ‘કંઈક’ જે લખવાનું છે તે તો હવે આવી રહ્યું છે. તિર્યક, તિરછી, ત્રાંસી કે બાડી આંખ (Crossed eye) એ આંગિક ક્ષતિ ગણાય છે, પણ અહીં  તિર્યક (તિરછી) નજરે જોવાની વાત છે. હું મારા ૭૩મા જન્મદિવસને અવલોકવા માટેની મારી એ ‘નવી નજર’ને અહીં સહેજ તિરછી કરીને મારા આજના જન્મદિવસને અવલોકીશ. આપ્તજનોને, સ્નેહીજનોને, મિત્રવૃંદને અને બ્લૉગવાચકોને વળી લાગશે કે આ તે વળી કેવી તિરછી નજર હશે અને એ તિરછી નજરે શું અવલોકાશે. તો મિત્રો, એ જાણવા માટે આપ સોએ આગળ વાંચવું જ રહ્યું.

વેદકાલીન ઋષિમુનિઓ આશ્રમનિવાસી છાત્રોને ‘દીર્ઘાયુષ્યમાન ભવ:’ કે ‘શતં જીવેમ શરદ:’ જેવા શબ્દોએ આશીર્વાદ આપતા, જેમાં ‘દીર્ઘ’ શબ્દ તો મોઘમ ગણાય અને તેથી તેમાં નિશ્ચિત વર્ષોનું આયુષ્ય ન સમજાય; પરંતુ ‘શતં જીવેમ શરદ:’માં તો નિશ્ચિત સો શરદ ઋતુઓ સુધીનો જીવિતકાલ અભિપ્રેત છે જ. આમ આનો મતલબ એમ સમજવો રહ્યો કે એ કાળે વધુમાં વધુ સો વર્ષનું આયુષ્ય પર્યાપત ગણાતું હશે અને એનાથી વધારે લાંબું આયુષ્ય જીવનાર અને જીવનારને સંલગ્ન લોકો માટે એ મોજ ન રહેતાં બોજ બની જતું હશે. એવું દીર્ઘ આયુષ્ય ભલે સંખ્યાત્મ્ક (Quantitative) રીતે આકર્ષક અને નવાઈ પમાડનાર લાગે, પણ તેને ગુણાત્મક (Qualitative) રીતે જોતાં નાપસંદ જ કરવું ઘટે.

ભારતીય મુખ્ય ત્રણ ઋતુઓ શિયાળો, ઉનાળો અને ચોમાસુ; એમ વળી પ્રત્યેકની બે પેટા ઋતુઓ અનુક્રમે હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ તરીકે ઓળખાય છે. હેમંત એ ગુલાબી ઠંડીની ઋતુ ગણાય, વસંતને ઋતુરાજનું બિરૂદ અપાય તો વર્ષાને વળી જીવનદાયિની તરીકે ઓળખવામાં આવે. આમ આ ત્રણેય પેટાઋતુઓને તેમની અનુગામી ઋતુ કરતાં ચઢિયાતી ગણવામાં આવે છે અને તેની પાછળનો તર્ક આ પ્રમાણે હોઈ શકે. હેમંતની ઠંડી સહ્ય હોય, જ્યારે શિશિરની ઠંડી હાડકાંને પણ ધ્રૂજાવી નાખે; વસંત ફૂલોની ઋતુના કારણે અહ્લાદક લાગે, જ્યારે ગ્રીષમમાં માથું ફોડી નાખતી ગરમી હોય; અને, વર્ષામાં અમૃતશો વરસાદ વરસતો હોય, જ્યારે શરદ તો આયુર્વેદની દૃષ્ટિએ રોગોની માતા ગણાય. હવે આપણે પેલા ઋષિમુનિઓની સો શરદ સુધી જીવવાના આશીર્વાદની વાતના રહસ્યને એ અર્થમાં પામી શકીએ કે શરદ ઋતુના રોગોમાંથી માણસ બચી જઈને એ ઋતુને હેમખેમ પાર પાડે તો ભયો ભયો ! આમ ભારતીય ઋતુચક્ર પ્રમાણે શરદ ઋતુનો છેલ્લો દિવસ એ જોખમી તબક્કાનો અંતિમ દિવસ ગણાય અને જે જણ જીવી ગયો તેણે જાણે કે નવજીવન પ્રાપ્ત કરી લીધું. અહીં એક તર્ક લડાવી શકાય કે આ નવજીવનની ખુશીમાં જ કદાચ દિવાળીના તહેવારો ઊજવવામાં આવતા હશે અને દિવાળીની રાત્રે ફટાકડા પણ ફોડવામાં આવતા હશે !

ભૂમિતિના વિષયમાં જે તે પ્રમેય સિદ્ધ થવાના અંતે ‘ઇતિ સિદ્ધમ’ લખવામાં આવે તેમ અહીં એ વાત સિદ્ધ થાય છે કે દિવાળી પછીના નૂતન વર્ષનો હેમંતનો પહેલો દિવસ એ પ્રત્યેક જીવિત ભારતીયનો જન્મદિવસ ગણાવો જોઈએ ! આ હેમંત ઋતુ સૂર્યના વૃશ્ચિક રાશિમાં પ્રવેશથી શરૂ થાય છે અને ધન રાશિની સમાપ્તિએ અંત પામે છે કે જે સામાન્યત: નવેમ્બરના મધ્યભાગથી જાન્યુઆરીના મધ્ય ભાગ સુધીની ગણાય. હેમંતની આહ્લાદકતાને કલાપીના ‘ગ્રામમાતા’ ખંડકાવ્યના પ્રારંભની આ પંક્તિઓથી માણી લઈએ.

ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમન્તનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં !

સાંપ્રતકાલીન ચિંતનાત્મક લલિત નિબંધોમાં રેવ. ફાધર વાલિસના જેવો દબદબો જેમનાં લખાણોમાં વર્તાય છે એવા શ્રી કૃષ્ણકાંત ઉનડકટના “ચાલો, આપણે આપણો એક ‘ડે’ ઊજવીએ” નિબંધમાં તો એમણે દરેક વ્યક્તિને વર્ષના કોઈપણ એક દિવસને ‘માય ડે’ તરીકે ઊજવવાની સલાહ આપી છે, કે જે દિવસ પોતાની મરજી મુજબ જીવવાનો હોય; પરંતુ અહીં તો હું ‘બર્થ ડે’ને જ ‘માય ડે’ તરીકે ઊજવવાની વાત કરી રહ્યો છું અને એ ‘બર્થ ડે’ પણ આપણો વ્યક્તિગત નહિ, પરંતુ આપણા સૌ ભારતીયોનો સહિયારો એ એક જ દિવસ  યાને કે નવીન વર્ષની હેમંત ઋતુનો પહેલો દિવસ. બેંકો, વીમા કંપનીઓ અને એવાં કેટલાંય ખાનગી સાહસોનું જેમ રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છે, એમ ભારતના પ્રત્યેક નાગરિકના જન્મદિવસોનું પણ રાષ્ટ્રીયકરણ અર્થાત્ સામાન્યીકરણ કરી નાખીને હેમંતના પહેલા દિવસને ‘અવર ડે’ તરીકે ઊજવવામાં આવે તો જન્મદિવસોની ઉજવણીઓનું બિન ઉત્પાદક એવું કેટલું બધું ખર્ચ બચી જાય ! જો કે ‘દિલકો બહલાનેકે લિયે ગ઼ાલિબી ખયાલ અચ્છે હૈ’વાળી આ તો એક વાત થાય છે, આમ છતાંય પોતપોતાનાં પરિવારોના તમામ સભ્યો પૂરતો આ પ્રયોગ અમલમાં મુકાય તો જરાય ખોટું નથી. વળી કોલેજોમાં ઉજવાતા ‘Fishpond Day’ની જેમ આબાલવૃદ્ધ સૌ કુટુંબીજનો આ ‘અવર ડે’ પૂરતાં મોકળા મને એકબીજાં સાથે હળેમળે અને આમોદપ્રમોદ કરી લે તો આખુંય વર્ષ તનાવમુક્ત પસાર થાય અને ઘણી કૌટુંબિક સમસ્યાઓ હલ પણ થઈ શકે.

અમારા બહોળા પરિવારમાં ‘પાશેરામાં પહેલી પૂણી’ના ન્યાયે જે તે મહિનામાં આવતા તમામ સભ્યોના જન્મદિવસો એક સાથે અને કોઈ એક દિવસની નજીકના રવિવારે ઊજવવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે. કહેવાય છે ને કે કોઈ શુભ વિચારને અમલમાં મૂકવાનું કાર્ય પોતાનાથી જ શરૂ થવું જોઈએ.

આશાવાદી છું કે ‘જન્મદિવસોની ઊજવણીઓ’નો આ નવતર ખ્યાલ મારા સુજ્ઞ વાચકો સુધી પહોંચ્યા સિવાય રહેશે નહિ.

ધન્યવાદ.

-વલીભાઈ મુસા

(નોંધ :- ‘Face Book’ ઉપર શુભચિંતકોના શુભ સંદેશાઓના મારા પ્રત્યુત્તરમાં આ લેખની જાહેરાત થઈ ગઈ હોઈ સમયના અભાવે હું આને વિસ્તારી શકતો નથી અને યથાવત્ મૂકવા બદલ દિલગીરી વ્યક્ત કરું છું. જન્મદિવસોની ઊજવણીઓ પાછળની ફિલસુફીને જાણવા માટે મારા ગયા વર્ષના લેખ “મારો જન્મદિવસ – નવી નજરે”ને નીચે આપેલા લિંકે વાંચવાની ખાસ ભલામણ કરવાનાં આવે છે.)

જન્મદિવસને અનુલક્ષીને આનુષંગિક મારા લેખો :

(1) “Customary celebrations of birthdays”

(૨) “પ્રણાલિકાગત જન્મદિવસોની ઊજવણીઓ”

(૩) “મારી કલમે હું”

(૪) મારો જન્મદિવસ – નવી નજર્રે

 

 

Tags: , , , , , , , , , , , ,

(૪૭૫) “પિયુ પરણ્યાની રાતડી પહેલી” :પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૬) 

The Wedding Night

The Luna
with all its celestial light,
poured from the sky the magic white,
on the newly wedded bride.

The cool breeze on terrace
played with her locks
like the wind playing with water.
The chill fondled on her face
as surfs do gently shatter.

Suddenly
a sonic boom
a mild heart quake,
fission in the blood cells,
as she travelled fast into the past.
The dead leaves from old books
suddenly became green.

The ancestral bangles on the hand
identified the anguish of blood within.
Her obedient heart hurriedly
shut the lids of grave.
The cunning mind assessed
the agony to be borne.

Confused she stared
like a drowning ship in the storm.
The past merged into the present,
memories compromised with reality.
A cloud veiled the moon.

Darkness transformed her into night
a wedding night
the sun on her forehead rose at the midnight.

      – Mukesh Raval
        (Pots of Urthona)

    * * * * *   

પિયુ પરણ્યાની રાતડી પહેલી

ચાંદલિયો
નિજ દિવ્ય પ્રકાશ થકી,
વેરી રહ્યો હતો મદહોશ ચાંદની નભમંડલેથી
એ નવવધૂ ઉપરે.

શીત પવન તણી હળવી લહેર
અગાશી સ્થિત તેઉના વાળની લટ સંગ કરે ક્રિડા
જ્યમ વાયુ ખેલતો જલસપાટી ઉપરે.

ઠંડીય વળી તેના વદનને લાડ લડવતી
જ્યમ મોજાં દરિયા કેરાં હળવેકથી આલિંગતાં એકમેકને.

અચાનક
વેગીલા વિમાન તણી ઘડઘડાટી. ઊઠતી
અને ચિરાડો પડતી રક્તપેશીઓ મહીં,
જગાવે ઉરે ધ્રૂજારી પણ હળવી,
ને ડૂબકી લગાવતી એ ભૂતકાળની ભીતરે.

નિજ જીવનકિતાબ મહીંનાં એ શુષ્ક પર્ણો
થાયે હરિત સાવ એ અચાનક.

વંશાનુગત પ્રાપ્ય નિજ કરકંકણ
પામી ગયાં ધબકતા રુધિર તણી આંતરવેદનાને.
કહ્યાગરા નિજ હૃદયે ત્વરાએ
કર્યાં બંધ ઢાંકણ દફનાયેલ યાદો તણી એ કબરનાં.

ખંધા ચિત્તે વળી કળી લીધા
આગામી જીવનસંઘર્ષો અનુકૂલન તણા.
વ્યાકુળ નયને જોતી જ રહી એ
તોફાન મહીં બૂડતા વહાણની જેમ.
કિંતુ ભૂત-વર્તમાન થયાં એકાકાર
ને સ્મૃતિઓએ વાસ્તવિકતા સાથે સાધી સમજૂતી.

વાદળે લપેટ્યો ચાંદને,
અંધકાર પલટાયો રાત્રિ મહીં
ને બની ગઈ એ મધુરજની.

અહો ! કેવો ઝળહળી ઊઠ્યો લાલ રવિ
ભાલપ્રદેશે મધ્યરાતે !

               * * * * *

     – મુકેશ રાવલ (Pots of Urthona/કલ્પનાનાં પાત્રો)
– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

રસદર્શન:

આપણે આ કાવ્યના રસદર્શને આગળ વધીએ તે પહેલાં ‘રસદર્શન’ અને ‘વિવેચન’ શબ્દોને થોડાક સમજી લઈએ. અંગ્રેજીમાં આ બંને શબ્દો માટે અનુક્રમે ‘Exposition’ અને ‘Criticism’ શબ્દો છે. ‘રસદર્શન’માં જે તે કાવ્યમાં જે કંઈ નિરુપાયું છે તેને ખુલ્લું કરવામાં આવતું હોય છે અને તેમાંના રસતત્ત્વને ઉજાગર કરવામાં આવતું હોય છે; જ્યારે ‘વિવેચન’માં રસદર્શન તો હોય જ છે, પણ વિશેષમાં કાવ્યમાંના ગુણ અને દોષ બંનેની ચર્ચા પણ થતી હોય છે અને તેથી તે થોડુંક વિશ્લેષણાત્મક બની રહે છે.

અહીં તો આપણે મુકેશભાઈના આ કાવ્યનું રસદર્શન જ માણીશુ અને હું ઇચ્છું તોયે તેનું વિવેચન તો નહિ જ કરી શકું; કારણ કે કાવ્યનો માત્ર વિષય જ નહિ, પરંતુ એની કવનશૈલી પણ એવી બેનમૂન બની રહી છે કે તેના માટે સાવ દેશી શબ્દપ્રયોગે કહું તો તે સંઘેડાઉતાર છે. હાથીદાંતનાં બલૌયાંને સુંવાળપ આવી ગયા પછી સંઘેડા (Lathe) ઉપરથી ઉતારી લેવામાં આવે, ત્યારપછી તેના ઉપર કોઈ જ પ્રક્રિયાને અવકાશ રહે જ નહિ; બસ એમ જ આ કાવ્ય સાંગોપાંગ એવી રીતે પાર પડ્યું છે કે તેના વિવેચનમાં કોઈ ક્ષતિ તો શોધીય જડે તેમ નથી. આમ આ અર્થમાં જ મેં કહ્યું છે કે આનું વિવેચન તો નહિ જ થઈ શકે.

હવે આપણે કાવ્યના રસદર્શને આવીને પ્રથમ શીર્ષકને અવલોકીએ તો તે આપણને શૃંગારરસની એંધાણી જતાવ્યા વગર રહેશે નહિ. મધુરજની એ નવવિવાહિત દંપતી માટેની એવી સલૂણી રાત્રિ છે કે જે એ યુગલ માટે એ જીવનભરનું સંભારણું બની રહે છે. પરંતુ આપણા કવિની એમનાં એવાં કેટલાંક કાવ્યોની જેમ અહીં પણ એવી લાક્ષાણિક્તા જોવા મળે છે કે કવિ બતાવે છે કંઈક જુદું અને આપે છે કંઈક જુદું ! આ કંઈ પેલા શઠ વેપારી જેવી વાત નથી કે નમૂનો તો સારો બતાવી દે, પણ નરસું જ પધરાવી દે. અહીં તો કવિની કંઈક જુદી જ વાત છે. આ કાવ્યમાં મધુરજનીનો પ્રારંભનો જેટલો અંશ અભિવ્યક્ત થયો છે તે કંઈક વિશિષ્ઠ બની રહ્યો છે, એ અર્થમાં કે અહીં માત્ર નવવધૂ જ દેખા દે છે. પિયુના શયનખંડમાંના પ્રવેશ પહેલાં કવિ આપણને તેને અગાશીમાં ઊભેલી બતાવે છે અને કાવ્યના પ્રારંભે જ મનહર શબ્દચિત્ર ભાવકનાં કલ્પનાચક્ષુઓ સમક્ષ ખડું થાય છે.

કાવ્યનાયિકાના પિયુ સાથેના સુખશય્યામાં થનારા મિલન પૂર્વે જ પ્રાકૃતિક તત્ત્વોનો સહારો લઈને કવિ અહીં શૃંગારમય વાતાવરણ ઊભું કરે છે. આકાશમાંનો ચમકતો દમકતો ચાંદલિયો મદહોશ કરી દેતી ચાંદનીનો નવોઢા ઉપર અભિષેક કરે છે. તો વળી શીત પવનની હળવી લહેર તેના મસ્તકના કેશની લટ સાથે એવી રમત રમે છે, જેવી રીતે કે જલસપાટી ઉપર હળવે હળવેથી વાયુ પસાર થઈ જતો હોય ! ફૂલગુલાબી ઠંડી પણ દરિયાનાં એકબીજાંને આલિંગતાં મોજાંની જેમ તેના વદનને લાડ લડાવે છે. આમ શૃંગારરસના ઉદ્દીપનવિભાવની જમાવટ થવા સાથે વાચક કાવ્યના શાંતરસને માણે છે. કાવ્યનાયિકા પણ શાંતચિત્તે એકલી ઊભીઊભી એ પ્રાકૃતિક તત્ત્વોને પોતાની સાથે રમી લેવાની જાણે કે મોકળાશ આપે છે. મધુરજની એ દંપતી માટે કૌમાર્ય સ્થિતિમાંથી પરીણિત સ્થિતિમાં પરિવર્તિત થવા માટેનો સંધિકાળ છે. અજનબી બે પાત્રો સદેહે એક એક મળીને બે થનારાં હોય છે અને વળી પાછાં એક્બીજાંના પ્રેમમાં ઓતપ્રોત થતાં વળી એ જ પાછાં બેમાંથી એક થવાનાં હોય છે. આમાંય વળી નવોઢાની મૂંઝવણ તો અકળ અને અકથ્ય હોય છે, કેમ કે તેણે પિતૃગૃહ તજીને પિયુના નવીનગૃહમાં અને તેના હૃદયમાં સ્થાન ગ્રહણ કરવાનું હોય છે.

આમ છતાંય અગાશીમાં ઊભેલી આપણા કાવ્યમાંની આ નવોઢા શાંત અને સ્વસ્થ છે, પણ..પણ અચાનક આ શું ? એક વિમાન આકાશપટમાં ધસી આવે છે, જેની ઘડઘડાટી નવોઢાને આંતરિક રીતે હચમચાવી દે છે. માત્ર એ નવોઢા જ નહિ, કાવ્યનો ભાવક પણ તેની સાથે હલબલી ઊઠે છે. અહીં કવિકર્મ અને તેમની કાબેલિયતની પરખ થાય છે. શાંતરસમાંથી ભયાનકરસ તરફની ગજબની સંક્રાંતિ આપણાથી અહીં અનુભવાય છે. (જો કે સાહિત્યના રસોના પ્રકાર તરીકે ’ભયાનક રસ’ એમ ભલે અહીં લખવામાં આવ્યું હોય, પણ અહીં આપણે ‘ભયજનક’ એવો મૃદુ અર્થ લઈશું.). આકાશમાંથી પસાર થતા એ વિમાનના અવાજથી એ નવોઢા પોતાની વિચારતંદ્રામાંથી ઝબકીને જાગી જાય છે. વળી એટલું જ નહિ, પણ વિમાનનો એ પ્રચંડ ધ્વનિ નવોઢાની રક્તવાહિનીઓને જાણે કે ચીરી નાખે છે અને તેનું હૃદય થડકી ઊઠે છે. એ અવાજ નાયિકાને તેના વર્તમાનકાલીન વિચારોમાંથી બહાર કાઢીને ભૂતકાળ તરફ ધકેલી દે છે. પિયાઘરે આવવા પહેલાંના તેના વ્યતીત જીવન રૂપી કિતાબ વચ્ચેનાં શુષ્ક પર્ણો નવપલ્લવિત થાય છે, અર્થાત્ હાલ સુધીના પોતાના જીવનની યાદોને જે એણે ભુલાવી દીધી હતી તે એકદમ તાજી થઈ જાય છે.

વિમાનના એ ઓચિંતા અવાજે નવોઢાના દિલોદિમાગ ઉપર કેવી અસર જન્માવી છે તે સીધે સીધું ન દર્શાવતાં કવિ તેનાં કરકંકણોનો સહારો લઈને તેમના માધ્યમે તેની આંતરવેદનાને ઉજાગર કરે છે. વળી એ કંકણોને ‘વંશાનુગત પ્રાપ્ય’ ગણાવીને કવિ એ નવોઢાને સાંભળવા મળેલાં પેઢી દર પેઢીનાં સંસ્મરણોને તાજાં કરાવે છે. અહીં કવિનો એક્માત્ર વિશેષણ શબ્દ ‘વંશાનુગત (ancestral)’ લાઘવ્યનો ઉત્તમ નમૂનો પુરવાર થાય છે. વિશ્વભરમાં મોટાભાગે પુરુષપ્રધાન સમાજવ્યવસ્થા હોઈ સ્ત્રીએ જ પતિગૃહે જવું પડતું હોય છે અને આમ સ્ત્રીએ બ્રાહ્મણોની જેમ દ્વિજ (બે વખત જન્મનાર એટલે કે માતૃકૂખે જન્મ અને ઉપવીત-સંસ્કારક્રિયા) બનવું પડતું હોય છે. આમ પિયુ પરણ્યાની પહેલી રાતલડીએ નવવધૂએ અજાણ્યા જણ અને અજાણ્યાં લોકની સાથે પોતાનું નવજીવન શરૂ કરવાનું હોય છે. હવે ‘નવું’ જ્યારે શરૂ કરવાનું જ હોય, ત્યારે એ નવોઢાએ ‘જૂનું’ તો વિસારવું જ રહ્યું અને તેથી જ તો આ કાવ્યકન્યાનું કહ્યાગરું હૃદય ત્વરિત જ માની જાય છે અને તે દફનાયેલી યાદદાસ્તની કબરના ઢાંકણને સદાયને માટે બંધ કરી દે છે. નવોઢાનું હૃદય ભૂતકાળને ભૂલવા માટે આમ સહાયક બન્યું, તો વળી તેનું ચિત્ત પણ વર્તમાનકાલીન વાસ્તવિકતાઓને સ્વીકારી લઈને પતિના ઘરના નવીન વાતાવરણમાં અનુકૂલન સાધવા માટેની સજ્જતાને ધારણ કરાવી દે છે. કાવ્યના આ શબ્દો

“વ્યાકુળ નયને જોતી જ રહી એ
તોફાન મહીં બૂડતા વહાણની જેમ.
કિંતુ ભૂત-વર્તમાન થયાં એકાકાર
ને સ્મૃતિઓએ વાસ્તવિકતા સાથે સાધી સમજૂતી”

કાવ્યનાયિકાના વૈચારિક સંઘર્ષનું સમાધાન કરાવી આપવા માટે સમર્થ પુરવાર થાય છે. આમ કાવ્યનાયિકા રાગ અને ત્યાગના દ્વંદ્વની વચ્ચેની વ્યથાભરી મનોદશામાંથી બહાર નીકળી જાય છે.

કવિ કાવ્યના સમાપને આવતાં પ્રારંભના મદહોશ ચાંદનીની વર્ષા વરસાવતા ચંદ્રને વળી પાછા લાવી તો દે છે, પણ આ વખતે તેના ઉપર વાદળનું આવરણ છવાયેલું દર્શાવે છે. આમ પૂરબહાર ચાંદની ખીલેલી એ રાત્રિ જે પહેલાં દિવસ સમાન ભાસતી હતી, તે હવે અંધકારના કારણે સાચા અર્થમાં રજની (રાત્રિ) જ બની જાય છે અને આ કાવ્યના સંદર્ભે તો એ નવવધૂ અને તેના પિયુ માટેની મધુરજની જ બની રહે છે. ભૂતકાળમાં સરી પડેલી અને ક્ષણિક વિષાદમાં ઘેરાઈ ગએલી કાવ્યનાયિકા હવે વર્તમાનમાં આવી જતાં પ્રફુલ્લિત થઈ જાય છે. જીવનની અણમોલ આ સોહાગરાતને માણવા માટે ભૂતકાલીન જીવનની એ યાદોને ખંખેરી નાખે છે અને તેના કપોલપ્રદેશ ઉપરનો સૌભાગ્યનો લાલ ચાંદલો એવો ઝળહળી ઊઠે છે, જાણે કે મધ્યરાત્રિએ ચેતના જગાવતો સૂર્ય ન ઊગી નીકળ્યો હોય !

ચાલો ને, આપણ્રે કવિની આ પંક્તિઓ “અહો ! કેવો ઝળહળી ઊઠ્યો લાલ રવિ, ભાલપ્રદેશે મધ્યરાતે !”ને માણીએ અને વળી મનમાં કવિ માટે ગણગણીએ પણ ખરા કે “અહો ! કેવી મધુરજની કવિએ કવી પિયુ વિણ, અને કઠે ના તોયે તેઉ તણી અનુપસ્થિતિ જરીય !”

સમાપને, સન્માનીય મુકેશભાઈનો ખાસ આ કાવ્યના રસદર્શન હેઠળ તેમણે મહોર મારી આપેલા ગુજરાતી શીર્ષક ‘પિયુ પરણ્યાની રાતડી પહેલી’ સબબે આભાર માનું છું. મેં વૈકલ્પિક ‘સુહાગરાત’ અને ‘મધુરજની’ શબ્દો પણ સૂચવ્યા હતા, જેમને મેં શીર્ષકે તો નહિ, પણ રસદર્શનના ફકરાઓમાં મારા આત્મસંતોષ માટે પ્રયોજ્યા છે. વાચકો પણ કબૂલ કરશે જ કે ‘પિયુ પરણ્યાની રાતડી પહેલી’ શબ્દ જ કાવ્યના કપોલપ્રદેશ સમા એવા શીર્ષકે ઝળહળતા લાલ રવિની જેમ સાચે જ દીપી ઊઠે છે. વળી જૂની પેઢીનાં અને એમના જમાનાનાં શ્વેતશ્યામ ચલચિત્રોનાં સાક્ષી બની રહેલાં મારાં સમવયસ્ક એવાં જરઠજનોને એક ચલચિત્રના ગીતના મુખડાના શબ્દો ‘પિયુ પરણ્યાની રાતડી પહેલી, આજનો મારે ઉજાગરો’ની યાદ આવ્યા સિવાય રહેશે નહિ.

-વલીભાઈ મુસા

(ભાવાનુવાદક અને રસદર્શનકાર)

* * * * *

પ્રોફેસર મુકેશ રાવલનાં સંપર્કસૂત્રો :

ઈ મેઈલ – Mukesh Raval < rajshlokswarda@gmail.com
મોબાઈલ – +૯૧ ૯૮૭૯૫ ૭૩૮૪૭

પુસ્તક પ્રાપ્તિ : –

“Pots of Urthona” – ISBN 978-93-5070-003-7 મૂલ્ય : રૂ|. ૧૫૦/- (શાંતિ પ્રકાશન, ડી-૧૯/૨૨૦, નંદનવન એપાર્ટમન્ટ, ભાવસાર હૉસ્ટેલ પાસે, નવા વાડજ, અમદાવાદ – ૩૮૦ ૦૧૩)

 

Tags: , , , , , , , , , , , , , , , ,

(462) Best of 5 years ago this month Feb., 2010 (34)

Dear Readers

You may click on below, if you like.

All the 5 Gujarati Articles of this month available in English version also on various topics are worth reading. 

-Valibhai Musa