RSS

Category Archives: ગ઼ાલિબ-ગ઼ઝલ

(636) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન  અને રસદર્શન – ૬૨ (આંશિક ભાગ –૨) દર-ખ઼ુર-એ-ક઼હર-ઓ-ગ઼જ઼બ જબ કોઈ હમ સા ન હુઆ (ગ઼ઝલ)  – મિર્ઝા ગ઼ાલિબ * વલીભાઈ મુસા (રસદર્શનકાર)

દરખ઼ુરક઼હરગ઼જ઼બ જબ કોઈ હમ સા હુઆ (શેર ૪ થી ૬)

http://cms.boloji.com/articlephotos/Mirza%20Ghalib's.gif

કમ નહીં નાજ઼િશહમનામીચશ્મખ઼ૂબાઁ
તેરા બીમાર બુરા ક્યા હૈ ગર અચ્છા હુઆ ()

[નાજ઼િશ-એ-હમનામી-એ-ચશ્મ-એ-ખ઼ૂબાઁ= માશૂકાની બીમાર હોવાના કારણે ઢળી પડેલી આંખો પરત્વેની આશિકી; બીમાર= મરીઝ, દર્દી, (અહીં) માંદગી]

રસદર્શન :

ગ઼ાલિબની કલ્પનાઓ અને તેનાં અવલોકનો એટલાં બધાં બારીક છે કે ઘણી વાર આપણી સમજમાં ન પણ આવે! જેના માટે બબ્બે વખત ‘જરા હટકે’ કહેવું પડે તેવો ઉચ્ચ કોટિનો આ શેર છે. વળી આ શેરને સમજવા અને માણવા માટે તેમાંથી આકાર લેતા એવા એક શબ્દચિત્રને પણ આપણાં કલ્પનાચક્ષુ વડે નિહાળવું પડશે. શેરના પ્રથમ ઉલા મિસરામાં આપણને માશૂકની બીમાર માશૂકા તેની સુખશય્યા ઉપર ઢળી પડેલી અને છતાંય મદહોશશી દેખાતી આંખો સાથે સૂતેલી દેખાશે. હવે માશૂક ‘કમ નહિ’ શબ્દોના પ્રયોગ થકી એ આંખોને વખાણે છે; કેમ કે તેવી આંખોમાં પણ માશૂકને અનન્ય પ્રકારનું એક એવું સૌંદર્ય દેખાય છે, કે તે ટીકી ટીકીને જોઈ રહે તો પણ તેને પરિતૃપ્તિ થાય નહિ. 

હવે બીજા સાની મિસરાના પઠન થકી ધીરગંભીર ઈસમ પણ હસ્યા વગર રહી શકે નહિ. અહીં માશૂક માશૂકાને બેહદ ચાહતો હોઈ તેની અપેક્ષા તો એ જ હોઈ શકે કે માશૂકા બીમારીમાંથી બેઠી થઈ જાય; પરંતુ માશૂકની મનેચ્છા તો કંઈક જુદી જ છે. માશૂકનું માનવું છે કે માશૂકા સાજીનરવી થઈ જાય તે બહેતર તો છે જ, કિંતુ તેમ ન થાય તો માશૂકા બીમાર હાલતમાં જ રહે તેમાં શું ખોટું છે! બીમારીના કારણે માશૂકાની પોપચાં ઢળી જવાના કારણે ઝીણી થઈ ગયેલી મદહોશ આંખોમાં પણ એક નજાકત છે અને એ નજાકતને માણવા માટે માશૂક માશૂકાની એ જ સ્થિતિ જળવાઈ રહે તેવી અપેક્ષા સેવે છે. અહીં આપણે માશૂકને ક્રૂરતાની શ્રેણીમાં ન મૂકી શકીએ. તે માશૂકા સાજી જ ન થાય, તેની બીમારી લંબાય અને તેને તેણીની ઢળી પડેલી આંખોનું સૌંદર્ય માણવા મળતું જ રહે તેવી નિમ્ન કક્ષાની માનસિકતા તો તે ન જ ધરાવી શકે; કેમ કે તે પોતાની માશૂકાને સાચા દિલથી ચાહે છે. પરંતુ એક વિકલ્પ તરીકે પોતે વિચારે છે કે જો તેણી સાજી ન જ થઈ શકવાની હોય અથવા તેણીની બીમારી લંબાઈ શકે છે તેવો તબીબોનો મત હોય તો જ તે માને છે કે તેની હાલની માંદગી શું ખોટી છે! આ મિસરામાંના ‘બીમાર’ શબ્દનો અર્થ ‘માંદી વ્યક્તિ’ નહિ, પણ ‘માંદગી’ એમ લેવાનો છે.

સીને કા દાગ઼ હૈ વો નાલા કિ લબ તક ગયા
ખ઼ાક કા રિજ઼્ક઼ હૈ વો ક઼તરા કિ દરિયા હુઆ (

[દાગ઼= ઘાવ, જખમ, ચાઠું; નાલા= રડવું-કકળવું, ફરિયાદ કરવી; લબ= ઓષ્ઠ, હોઠ; રિજ઼્ક઼= રોજી, અન્ન; ક઼તરા= બુંદ, ટીપું; દરિયા= નદી]

રસદર્શન :

ગુજરાતીમાં એક રૂઢિપ્રયોગ છે કે ‘શેરના માથે સવાશેર’, જેમાં ‘શેર’ એ વજન માટેનો જૂનો એકમ છે. અહીં ગ઼ઝલના સંદર્ભે ‘શેર’ સમજતાં અગાઉના શેર કરતાં આ શેર સવાયો છે. ગ઼ાલિબની મોટા ભાગની ગ઼ઝલોમાં માશૂકાનો માશૂક સાથેનો અણબનાવ અને તેના પરિણામે માશૂકને માશૂકા તરફથી સહેવી પડતી સતત અવહેલના વર્ણવાતી હોય છે. માશૂકાના વિયોગના કારણે માશૂકનું દિલ એવું તો ઘવાય છે કે તેમાં ઊંડા ઘાવ પડી ગયા છે, જેના કારણે પોતાની વેદનાની ફરિયાદ તેમના હોઠ સુધી પહોંચી શકતી નથી અને મનમાં અને મનમાં ઘોળાયા કરે છે અને અંતે શમી જાય છે. હવે પહેલા મિસરાની આ વાતને વજન આપવા માટે બીજો મિસરો લખાયો હોવો સમજી શકાય છે. 

બીજા મિસરામાં દરિયા કહેતાં નદી પહાડનાં નાનાં નાનાં ઝરણાં થકી સર્જાય છે અને ઝરણું પાણીના એક એક બુંદ થકી અસ્તિત્વ પામે છે. પરંતું એ પાણીનું પ્રત્યેક ટીપું નદીના સર્જન માટે સહાયરૂપ બની શકતું નથી. આવાં કોઈક ટીપાં પહાડમાંની ખાક અર્થાત્ માટીમાં શોષાઈ જાય છે. હવે શાયરના અંદાઝમાં ગ઼ાલિબે આ વાતને એવી રીતે દર્શાવી છે કે આપણે આફરિન આફરિન પોકારી બેસીએ. ગ઼ાલિબ કહે છે કે એવાં નદીમાં ભળવા માટે કમભાગી સાબિત થયેલાં એ ટીપાં માટીનો ખોરાક બની જાય છે. અહીં સજીવારોપણ અલંકાર પ્રયોજાયો છે, જેમાં પેલી માટીને પાણીના કતરા (ટીપું)ને તેના રિજ઼્ક઼ (રોજી-આહાર) તરીકે આરોગતી કલ્પી છે. અહીં ઈસ્લામની પાક કુરઆનની સુરએ ‘હુદ’ની એક આયત યાદ આવી જાય છે કે જેમાં અલ્લાહ ફરમાવે છે કે ‘અને પૃથ્વી પર કોઈ એવું પ્રાણી નથી કે જેની રોજી અલ્લાહના શિરે ન હોય!’ આ આયત ભલે સૃષ્ટિના ચેતન જીવોને લાગુ પડતી હોય, પણ ઈશ્વર-અલ્લાહની નજરમાં જડ કે ચેતનના કોઈ ભેદ નથી. સમુદ્ર, પહાડ, વૃક્ષ કે એવાં કોઈ સર્જનહારનાં સર્જાયેલાં અચેતન સર્જનો પણ તેમના અસ્તિત્વને જાળવી રાખવા માટે કશાક ઉપર આધાર રાખતાં હોય છે, જેમને તેમના રિઝક તરીકે ગણી શકાય અને આમ સર્જનહાર તેમને પણ જીવંત રાખવા માટે જરૂરી પુરવઠો પહોંચાડતો રહેતો હોય છે.      

નામ કા મેરે હૈ જો દુખ કિ કિસી કો મિલા
કામ મેં મેરે હૈ જો ફ઼િત્ના કિ બરપા હુઆ ()

[ફ઼િત્ના= લડાઈ-ઝગડો, દંગા-ફસાદ; બરપા= બનવું, સફળ થવું,]

રસદર્શન :

ગ઼ઝલનો આ શેર આત્મલક્ષી છે. ગ઼ાલિબના જીવનને જાણનારાઓને ખબર છે કે તેમનું જીવન બેસુમાર દુ:ખો અને અલ્પ સુખોથી ભરેલું હતું. તેમની આર્થિક બેહાલી અને કેટલાક ગણ્યા ગાંઠ્યા સમકાલીન શાયરો તરફથી સહેવી પડતી ઈર્ષાઓના કારણે તેઓ દુ:ખી દુ:ખી હતા. તેમના દિલનો આ ઉભરો આ શેરના પ્રથમ મિસરામાં વ્યક્ત થાય છે. ગ઼ાલિબ કહે છે કે મારા ઉપર હકીકતી જે દુ:ખો પડ્યાં છે તેવાં નામ પૂરતાં પણ કોઈને દુ:ખો પડ્યાં નહિ હોય! વળી તેમની મૌલિક શાયરીઓ સામે પણ સવાલ ઉઠાવનારાઓએ તેમની ફિત્નાખોરી થકી તેમને બદનામ કરવાના લાખ પ્રયત્નો કર્યા હોવા છતાં તેઓ તેમના ઈરાદાઓમાં સફળ થઈ શક્યા ન હતા. આ શેરના બંને મિસરામાં બે ભિન્ન ભિન્ન ભાવ રજૂ થયા છે. પહેલા મિસરામાં હૃદયનો બળાપો અભિવ્યક્ત થયો છે, તો બીજા મિસરામાં આત્મસંતોષ એ વાતનો છે કે દુશ્મનોના હાથ હેઠા પડ્યા છે. 

(ક્રમશ:૩)

મિર્ઝા ગ઼ાલિબ (ગ઼ઝલકાર)      

– વલીભાઈ મુસા (રસદર્શનકાર)                                                                                            

ઋણસ્વીકાર:

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા 

(૫) Courtesy : https://rekhta.org  

(૬) Courtesy –  urduwallahs.wordpress.com

(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ 

* * *

 

(635) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન  અને રસદર્શન – ૬૧  (આંશિક ભાગ –૧)દર-ખ઼ુર-એ-ક઼હર-ઓ-ગ઼જ઼બ જબ કોઈ હમ સા ન હુઆ (ગ઼ઝલ) (મિર્ઝા ગ઼ાલિબ) * વલીભાઈ મુસા (રસદર્શનકાર)

દરખ઼ુરક઼હરગ઼જ઼બ જબ કોઈ હમ સા હુઆ (શેર ૧ થી૩)

http://cms.boloji.com/articlephotos/Mirza%20Ghalib's.gif

દરખ઼ુરક઼હરગ઼જ઼બ જબ કોઈ હમ સા હુઆ
ફિર ગ઼લત ક્યા હૈ કિ હમ સા કોઈ પૈદા હુઆ ()

[દર-ખ઼ુર-એ-ક઼હર-ઓ-ગ઼જ઼બ= ગુસ્સાના ભોગ થવું, કોઈનાથી આગબબુલાના કારણરૂપ બનવું] 

રસદર્શન :

આ શેરમાંથી ગ઼ાલિબનો રમતિયાળ મિજાજ પ્રગટ થાય છે અને તેમાંથી સરસ મજાની રમૂજ પણ માણી શકાય છે. માણસ ઘણીવાર એવી હરકત કરી બેસે કે સામેવાળો તેના ઉપર ખૂબ જ ક્રોધિત થઈ જાય. અહીં ગ઼ાલિબ કહે છે મારા જેવો કોઈના ગુસ્સ્સાનો ભોગ બને તેવી ચેષ્ટા કરનારો કોઈ થયો જ ન હોય તો પછી મારે મારા વિષે એમ કહેવું કે મારા જેવો કોઈ પેદા થયો જ નથી તો તેમાં ખોટું શું છે! આ શેર કંઈ અમસ્તો લખાયો નહિ હોય, કેમ કે તેની પાછળ તેનો કોઈ અનુભવ હોવો જોઈએ. ગ઼ાલિબ અલ્લડ મિજાજના હતા અને ઘણીવાર મિત્રો સાથે, પોતાનાં બેગમ સાથે કે એવા કોઈ અન્યો સાથે એવું વર્તન કરી બેસતા કે જેથી જે તે વ્યક્તિ તેમના ઉપર આગબબુલા થઈ જાય. સામાન્ય રીતે આપણે કોઈની મજાક મશ્કરી કરતા હોઈએ ત્યારે તેના ગુસ્સાનો ભોગ બનવાની આપણી માનસિક તૈયારી હોવી જોઈએ અને તેના ગુસ્સાને હળવાશમાં લઈ લેવો જોઈએ. ગ઼ાલિબ આ શેરના બીજા મિસરામાં પેલા ગુસ્સો કરનારાઓને એવો રમૂજી જવાબ આપે છે કે એ લોકો હસી પડે અને તેમની વચ્ચે કોઈ કડવાહટ પેદા થતી નથી. અહીં બીજા મિસરાના ગ઼ાલિબના કથનથી આપણા ભાવકોમાં કોઈ ગેરસમજ પેદા ન થવી જોઈએ કે તેણે કોઈ ઘમંડની ભાવનાથી તેમ કહ્યું હોય કે ‘તેના જેવો કોઈ પેદા થયો નથી!’  

બંદગી મેં ભી વો આજ઼ાદા ખ઼ુદબીં હૈં કિ હમ
ઉલ્ટે ફિર આએ દરકાબા અગર વા હુઆ (

[આજ઼ાદા= નિરંકુશ, આઝાદ; ખ઼ુદ-બીં= સ્વાભિમાની, ખુદ્દાર; દર-એ-કા’બા= કાબાનો દરવાજો; વા= ખોલેલો ન હોવો]

રસદર્શન :

ગ઼ઝલના આ શેરમાં પણ ગ઼ાલિબના અલ્લડ મિજાજનાં દર્શન થાય છે. પ્રથમ શેરમાં દુન્યવી કોઈ માણસો સાથેનો ગ઼ાલિબનો અલ્લડ મિજાજ સમજાય છે, પણ અહીં આ શેરમાં તો તે ઈશ્વર-અલ્લાહની બંદગી કે ભક્તિમાં પણ તે પોતાનું અલ્લડપણું બતાવે છે. ઈશ્વર-અલ્લાહના પ્યારા ભક્તો કે બંદાઓ ઘણીવાર એ સર્જનહાર સાથે પણ લડાયક મિજાજમાં ગુફ્તગૂ કરતા હોય છે. સુફી સંતો, જલાલી ફકીરો કે હઠધર્મી સાધુઓનો આવો જ મિજાજ હોય છે. અહીં ગ઼ાલિબ અલ્લાહની બંદગી કરવામાં પણ પોતાની જાતને આઝાદ અને ખુદ્દાર સમજે છે અને તેથી જ તો તે બિન્દાસપણે કહે છે કે અલ્લાહનું ઘર સમજવામાં આવતા કાબાના દરવાજા ખુલ્લા ન હોય તો પોતે વળતા પગલે પાછા ફરી જાય! કોઈ સામાન્ય બંદો હોય તો કાબાના દરવાજા ખૂલવાની રાહ જુએ, પણ અહીં ગ઼ાલિબનો મિજાજ તો તેમને એમ કરવાની ના ફરમાવે છે. પહેલા અને બીજા શેરમાં ગ઼ાલિબનો બેપરવાહ સ્વભાવ જાણવા મળતો હોવા છતાં આપણને એ તો સમજાય છે કે તેના જે તે વર્તનમાં કોઈ મિથ્યાભિમાન કે અહંકાર નહિ, પણ નિખાલસતા છે.     

સબ કો મક઼્બૂલ હૈ દાવા તિરી યકતાઈ કા
રૂરૂ કોઈ બુતઆઇનાસીમા હુઆ ()

[મક઼્બૂલ= કબૂલ, સ્વીકાર્ય; યકતાઈ= એકલા જ હોવાપણું, અદ્વિતીયતા; બુત-એ-આઇના-સીમા= ચાંદી જેવા ચમકદાર અરીસામાં દેખાતી મૂર્તિ]

રસદર્શન :

આ શેરને ઇશ્કે મિજાજી અને ઇશ્કે હકીકી એમ બેઉ રીતે સમજી શકાય છે. પહેલા મિસરામાંનો ‘તિરી’ એટલેકે ‘તારી’ શબ્દને માશૂકાને અનુલક્ષીને સમજવામાં આવે તો તે ‘ઇશ્કે મિજાજી’ શેર બની રહે અને એ જ શબ્દ ઈશ્વર માટે પ્રયોજાયેલો સમજવામાં આવે તો તે ‘ઇશ્કે હકીકી’ બને. વળી અહીં ‘યક્તાઈ’ શબ્દ પણ મહત્ત્વ ધરાવે છે, જેનો અર્થ ‘અજોડપણું’ અર્થાત્ ‘જેની બરાબરીમાં કોઈ ન આવે તેવું’ એમ છે. હવે આપણે પહેલા મિસરાને સમજીએ તો તેમાં કહેવાય છે કે ‘તારો અદ્વિતીયતાનો દાવો સૌ કોઈને કબૂલ-મંજૂર છે.’ હવે માશૂકા પોતે અદ્વિતીય હોવાનો દાવો કરતી હોય તો સમજાય છે તે પોતાના સૌંદર્ય વિષે જ એમ કહે છે. તેના આ દાવાને આંશિક રીતે એમ ખોટો પાડી શકાય કે અરીસામાં તો તારા જ જેવી અન્ય દેખાય છે તો તારો અદ્વિતીય હોવાનો દાવો ખોટો સાબિત થાય છે. પરંતુ આ દલીલનું ખંડન એ રીતે થઈ શકે અરીસામાં દેખાય છે તે તો તેનું પ્રતિબિંબ છે, જે આભાસી છે. આમ માશૂકાનો તે એકલી જ સૌંદર્યવાન હોવાનો દાવો યથાર્થ ઠરે છે. 

હવે આ જ શેરને ‘ઈશ્વર-અલ્લાહ’ને લાગુ પાડીએ તો નિ:શંકપણે સમજી શકાય છે તેના અદ્વિતીય હોવાના દાવાને સૌ કોઈ કબૂલ-મંજૂર રાખે જ છે. બીજા મિસરામાં ઈશ્વરના એક હોવાની માન્યતાને દૃઢિભૂત કરવા પહેલાં ‘આઇના’ શબ્દપ્રયોગને સમજવો પડશે. કેટલાંક હિંદુ મંદિરોમાં મૂર્તિની પાછળ અરીસો રાખવામાં આવતો હોય છે. ગ઼ાલિબ હિંદુ ધર્મ અને હિંદુઓની ઈશ્વરને કરવામાં આવતી પૂજા-અર્ચનાની હકીકતથી પણ માહિતગાર છે અને તેથી આ બીજા મિસરામાં એવી દલીલ આપે છે કે ચાંદી જેવા ચમકદાર અરીસામાં દેખાતી મૂર્તિ પણ પોતાનું સ્થાન તજીને કોઈને રૂબરૂ દર્શન આપતી નથી અને તે તેની જગ્યાએ એકમેવ સ્વરૂપે સ્થિર રહે છે. આમ ગ઼ાલિબ પોતાની દુન્યવી માશૂકા કે સૌ કોઈનો સર્જનહાર એવો ઈશ્વર ઉભય એકમેવ હોવાના દાવાને સ્વીકારે છે. મંદિરોમાંના અરીસાઓમાં દેખાતાં મૂર્તિઓનાં પ્રતિબિંબો કે માશૂકાનું અરીસામાં તેનું પોતાનું દેખાતું પ્રતિબિંબ એ આભાસી હોઈ ઉભયના એકત્વને નકારી શકાય નહિ. આ શેરને હજુ વધુ સ્પષ્ટ રીતે સમજવો હોય તો એક તારણ કાઢવું પડે કે અરીસામાં દેખાતું કોઈપણ પ્રતિબિંબ એ આભાસી જ હોઈ તે મૂળની બરાબરીમાં આવી શકે નહિ, આમ જે તે ‘મૂળ’ને એકમેવ ગણવું પડે. આ માટે આપણે એક ઉદાહરણ લઈએ તો રાત્રિએ આકાશમાં દેખાતા એક જ ચંદ્રનાં પાણીથી ભરેલાં પાત્રોમાં અનેક પ્રતિબિંબો દેખાશે; પણ હકીકતે તો ચંદ્ર એક જ છે, બાકીનાં બધાં તો તેનાં પ્રતિબિંબો છે. 

મિર્ઝા ગ઼ાલિબ (ગ઼ઝલકાર)      

– વલીભાઈ મુસા (રસદર્શનકાર)                                                                                            

ઋણસ્વીકાર:

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા 

(૫) Courtesy : https://rekhta.org  

(૬) Courtesy –  urduwallahs.wordpress.com

(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ 

 

(634)ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન  અને રસદર્શન – ૬૦ (આંશિક ભાગ –૪) હુસ્ન ગ઼મ્જ઼ે કી કશાકશ સે છુટા મેરે બા’દ (ગ઼ઝલ)  – મિર્ઝા ગ઼ાલિબ * વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

 
હુસ્ન ગ઼મ્જ઼ે કી કશાકશ સે છુટા મેરે બા’દ (શેર ૯ થી ૧૧)


આએ હૈ બેકસી-એ-ઇશ્ક઼ પે રોના ‘ગ઼ાલિબ’
કિસ કે ઘર જાએગા સૈલાબ-એ-બલા મેરે બા’દ (૯)

[બેકસી= એકલતા, અસહાયતા; સૈલાબ= પૂર; બલા= આફત; સૈલાબ-એ-બલા= આફતનું પૂર (સંક્રમણ)]

રસદર્શન :

અહીં આપણને ગ઼ાલિબનો એક વધુ રસપ્રદ મક્તા શેર મળે છે અલંકારશાસ્ત્રના વિપ્રલંભ શૃંગાર રસનું આ ઉત્તમ ઉદાહરણ છે. જ્યારે માશૂક માશૂકાના ઇશ્કને ગુમાવી બેસે છે, ત્યારે તે એવી એકલતા અનુભવે છે કે તે એકલા એકલા એવા તો રડી પડતા હોય છે કે તેમના રૂદન ઉપર કાબૂ મેળવી શકાતો નથી. માશૂક માટે તેમની આ ગમગીની એક આફત બની રહે છે. માશૂકાના સાન્નિધ્યમાં જે લુત્ફ મળતો હતો તે છીનવાઈ જતાં દિલને જે વેદના થાય છે તેને આફત જ ગણવી રહી. બીજા મિસરામાં આ આફતની માત્રા માટે સૈલાબ (પૂર) શબ્દ પ્રયોજાયો છે; જેનાથી સમજાય છે કે જેમ કોઈ મહાનદીમાં ઓચિતું પૂર આવી ચઢે તો સર્વત્ર જળબંબાકાર છવાઈ જઈને સઘળું તહસનહસ થઈ જાય, તેમ કપરા વિયોગથી માશૂકની દુનિયા લુંટાઈ જાય છે. અહીં માશૂકની એકલતા માટે કારણભૂત છે માશૂકાનો વિયોગ અને એ વિયોગ એવો તો અસહ્ય છે કે માશૂક તેને જીરવી શકવા અસમર્થ હોઈ તે જીવિત નહિ જ રહી શકે. આમ માશૂક કહે છે કે વિયોગનો આ સૈલાબ તેમના મૃત્યુ પછી તેમના જેવા અન્ય પ્રેમીઓમાંથી કોના ઘરે જશે, અર્થાત્ તેમના જેવા એવા અન્ય કોઈક કમભાગીને પણ આવી મહા આફતનો ભોગ બનવું પડશે. વિયોગની આવી વિકરાળ આફત તો કોઈકનો અને કોઈકનો ભોગ લેવા માટે હંમેશાં તત્પર જ હોય છે અને તેથી જ કોઈ વિરહી પ્રેમીઓ જીવલેણ એવી આવી આફતથી બચી શકશે નહિ.  

શેરના બીજા મિસરાના અર્થઘટનના એક પર્યાય મુજબ માશૂક માને છે કે માશૂકાના વિયોગની આફત તેમના માટે એવી તો ભયાનક નીવડી છે કે એ આફતને તેમના મૃત્યુ પછી બીજા કોઈના ઘરે જવાની જરૂર રહેશે નહિ, કેમ કે એ આફતને એકલા માશૂકને જ પરેશાન કરવામાં પરિતૃપ્તિ થઈ ગઈ  હશે.

* * *

પૂરક શેર :-

થી નિગહ મેરી નિહાઁ-ખ઼ાના-એ-દિલ કી નક઼્ક઼ાબ
બે-ખ઼તર જીતે હૈં અરબાબ-એ-રિયા મેરે બાદ (૧૦)

[નિહાઁ= ગુપ્ત; નિહાઁ-ખ઼ાના-એ-દિલ= હૃદયનો ગુપ્ત ખૂણો (ભાગ); નક઼્ક઼ાબ= ઓઝલ, પડદો; બે-ખ઼તર= નિર્ભય; અરબાબ= માલિક, ઠેકેદાર; રિયા= છળકપટ, પાખંડ, દેખાડો]

રસદર્શન :

આ શેરના ઉલા મિસરામાં આપણને ગ઼ાલિબની ‘જરા હટકે’ કલ્પનાનાં દર્શન થાય છે. માશૂક તેમની માશૂકા પરત્વેની મહોબ્બતનો કોઈ જાહેરી દેખાડો નથી કરતા, પણ તેને પોતાના દિલના એક ગુપ્ત ખાનામાં સંતાડી રાખી છે. વળી એટલું જ નહિ તે ગુપ્ત ખાનાને તેમણે પડદાથી ઢાંકી પણ દીધું છે અને તેની તરફ તેમની માત્ર નજર જ મંડાયેલી રહે છે. દુશ્મનોથી પોતાના ઇશ્કને સલામતી બક્ષવા માશૂક કેટલી બધી સાવધાનીઓ વર્તે છે અને છતાંય તેમને અહર્નિશ ડર તો રહ્યા જ કરે છે કે રખે ને કદાચ એ ઈશ્ક જાહેર ન થઈ જાય! આમ આ મિસરામાં માશૂકની માનસિક હાલત ભયભીત છે, જેના વિરોધાભાસમાં બીજા મિસરામાં આપણને તેમના જાની દુશ્મનોની નિર્ભયતા જાણવા મળે છે.

બીજા સાની મિસરામાં પહેલા મિસરામાંના માશૂકના ભયની વિરુદ્ધ છળકપટ કરનારા અને દ્વેષીલા ખલનાયકોની નિર્ભયતા દર્શાવાઈ છે. માશૂક કહે છે કે એ પાંખંડીઓ તેમના મૃત્યુ બાદ નિર્ભયતાથી જીવ્યે જશે. આ ખલનાયકોને છળકપટના ઠેકેદારો (માલિકો) ગણાવાયા છે, જેનો મતલબ એ છે કે છળકપટ કરવું એ તેમનો ઈજારો છે અને તેમની આ દુષ્ટતાના મુકાબલામાં કોઈ આવી શકે નહિ. વળી આ દુશ્મનોને માશૂક પરત્વેની દુશ્મનાવટને જાળવી રાખવા તેમના અવસાનથી એવું તો મોકળું મેદાન મળી રહેશે કે તેઓ તેમની નીચ હરકતો કોઈપણ જાતની  રોકટોક વગર નિર્ભયપણે ચાલુ જ રાખશે.                                                       

* * *

થા મૈં ગુલદસ્તા-એ-અહબાબ કી બંદિશ કી ગિયાહ
મુતફ઼ર્રિક઼ હુએ મેરે રુફ઼ક઼ા મેરે બા
દ (૧૧)

[ગુલદસ્તા= ફૂલોનો ગોટો, (અહીં) મિત્રોની ટોળી, મહેફિલ; હબીબ (અરબી)= મિત્ર; અહબાબ (બ.વ.)= મિત્રો; બંદિશ= પ્રતિબંધ, રુકાવટ, ષડયંત્ર, પેંતરો, (અહીં) બંધન; ગિયાહ (ફા.)= ઘાસ; મુતફ઼ર્રિક઼= વેરવિખેર, જુદા પડી જવું; રફ઼ીક઼= મિત્ર; રુફ઼ક઼ા (‘રફ઼ીક઼’નું બ.વ.)= સાથીઓ, મિત્રો]    

રસદર્શન :

‘મેરે બા’દ’ રદીફને અગાઉના શેર જેટલો જ ન્યાય આપતો આ ગ઼ઝલનો આખરી શેર મિત્રાચારીને ઉજાગર કરે છે. ગ઼ાલિબ હંમેશાં મિત્રો વચ્ચે ઘેરાયેલા જ રહેતા અને શેર-ઓ-શાયરીની મહેફિલ જામતી. તેઓ પોતાનો કોઈ નવીન શેર મિત્રો સમક્ષ મૂકતા અને તેમની દાદ મેળવતા. પહેલા મિસરામાં ગ઼ાલિબ મિત્રો સાથેની એ મહેફિલોની મધુર યાદોને વાગોળતાં જણાવે છે કે મારી હયાતી દરમિયાન જેમ જમીન ઉપર ઉગેલા ઘાસના તંતુઓ એકબીજા સાથે જોડાયેલા રહીને રમણીય લીલી ચાદર સમા બની રહે તેમ હું મિત્રો વચ્ચે દાંડીઓ સાથેનાં ફૂલોનો ગલગોટો બની રહેતો હતો.   

બીજા મિસરામાં  ગ઼ાલિબ પોતે હયાત નહિ હોય તેવા સમયની કલ્પના કરતાં જણાવે છે કે એ ટાણે અમારો મિત્રોરૂપી ફૂલોનો ગોટો વેરવિખેર થઈ ગયો હશે. અહીં ઇંગિત અર્થ એ સમજાય છે મિત્રોને જોડી રાખવાની મુખ્ય ભૂમિકા ગ઼ાલિબ જ નિભાવતા હતા. તેમના અવસાન બાદ બાકીના મિત્રોને ગ઼ાલિબની હાજરી વગરની મહેફિલ શુષ્ક અને ગમગીન લાગતી હોઈ હવે તેઓ એકત્ર થતા નથી.

(સંપૂર્ણ)

નોંધ :-

ગ઼ઝલના સમાપને નીચે હું મીર તકી મીરની ‘મેરે બાદ’ રદીફવાળી આખી ગ઼ઝલ અભ્યાસુઓની ઉત્સુકતાને સંતોષવા માટે આપું છું.

આ કે સજ્જાદા-નશીં ક઼ૈસ હુઆ મેરે બાદ
ન રહી દશ્ત મેં ખ઼ાલી કોઈ જા મેરે બાદ (૧)

ચાક કરના હૈ ઇસી ગ઼મ સે ગિરેબાન-એ-કફ઼ન
કૌન ખોલેગા તેરે બંદ-એ-ક઼બા મેરે બાદ (૨)

વો હવા-ખાહ-એ-ચમન હૂઁ કી ચમન મેં હર સુબ્હ
પહલે મૈં જાતા થા ઔર બાદ-એ-સબા મેરે બાદ (૩)

તેજ઼ રખના સર-એ-હર ખ઼ાર કો ઐ દશ્ત-એ-જૂનૂન
શાયદ આ જાયે કોઈ આબ્લા-પા મેરે બાદ (૪)

મુઁહ પે રખ દામન-એ-ગુલ રોએંગે મુર્ગાન-એ-ચમન
હર રવિશ ખ઼ાક ઉડાએગી સબા મેરે બાદ (૫)

બાદ મરને કે મેરી કબ્ર પે આયા વો મીર
યાદ આઈ મેરે ઈસા કો દવા મેરે બાદ (૬)

* * *

મિર્ઝા ગ઼ાલિબ (ગ઼ઝલકાર)     

– વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)                                                                                            

(ગ઼ઝલ ક્રમાંક –58)

* * *

ઋણસ્વીકાર:

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

(૫) Courtesy : https://rekhta.org 

(૬) Courtesy –  urduwallahs.wordpress.com

(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ

 

(633) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન  અને રસદર્શન – ૫૯ (આંશિક ભાગ –૩) હુસ્ન ગ઼મ્જ઼ે કી કશાકશ સે છુટા મેરે બા’દ (ગ઼ઝલ)  – મિર્ઝા ગ઼ાલિબ * વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)


હુસ્ન ગ઼મ્જ઼ે કી કશાકશ સે છુટા મેરે બા’દ (શેર ૬ થી ૮)

હૈ જુનૂઁ અહલ-એ-જુનૂઁ કે લિએ આગ઼ોશ-એ-વિદા
ચાક હોતા હૈ ગરેબાઁ સે જુદા મેરે બાદ (૬)

[જુનૂઁ= ઉન્માદ, ગાંડપણ, ઘેલછા; અહલ-એ-જુનૂઁ= ઉન્માદી લોકોનો સમૂહ; આગ઼ોશ-એ-વિદા’અ= વિદાય વખતે ભેટવું, આલિંગન આપવું; ચાક હોના= ફાડવું, ચીરવું; ગરેબાઁ= (પહેરણનું) કોલર]

આ શેરનો પહેલો મિસરો તેના અર્થઘટન માટે થોડોક સંકુલ હોવા છતાં પુખ્ત વિચારણાના અંતે તે સ્પષ્ટ થઈ શકે તેમ છે. અહીં ‘જુનૂઁ’નો અર્થ ‘ઘેલછા’ લેવો પડશે કે જે ઉન્માદ કે ગાંડપણની સરખામણીએ હળવો છે. ઉન્માદ કે ગાંડપણમાં માનસિક હાલત બેકાબૂ હોય છે, જ્યારે ઘેલછામાં અતિ ઉત્સાહ કે અતિ નિરાશા હોવા છતાં માણસ થોડોક સભાન હોય છે. આમ આ ઉલા મિસરાનો સરળ અર્થ તો આમ થાય છે કે  ઘેલછાયુક્ત સમૂહના લોકો માટે ઘેલછા એવી હોય છે, જેવી કે કોઈ વ્યક્તિઓ એકબીજીથી છૂટી પડતી વખતે જે રીતે એકબીજીને આલિંગન આપે. વળી આ આલિંગન પછી તરત જ જાણે કે છેડો જ ફાડી નાખવામાં આવતો હોય તે રીતે એકબીજીથી એકદમ અળગી થઈ જાય.

હવે આપણે બીજા મિસરા સાથે પ્રથમ મિસરાને સાંકળીએ તો માશૂકનું કથન આમ બનશે કે જે ઝનૂન કે જુસ્સા સાથે વ્યક્તિઓ આલિંગન આપીને જે રીતે છૂટી પડી જાય, બસ તે જ રીતે મારા મૃત્યુપછી મારા પહેરણના કોલરને પણ ચીરી નાખવામાં આવશે. અહીં ફલિત થતા બહુ જ સૂક્ષ્મ અર્થને આપણે તારવવો પડશે એવી મૈયતની કફન તૈયાર કરવાની રીત સાથે કે જ્યાં બેવડ વાળેલા સળંગ કપડામાં ચીરો મૂકીને મૈયતનું માથું દાખલ કરવામાં આવતું હોય છે. એક મુહાવરામાં જેમ કહેવાય છે કે કફનમાં ખિસ્સું નથી હોતું, તેમ અહીં કહેવાયું છે કે મૈયતના કફનમાં પહેરણને કોલર નથી હોતું. જીવંત વ્યક્તિના પહેરણનો કોલર શોભા માટે હોય છે, જ્યારે મૃત વ્યક્તિ માટે એ અર્થહીન હોઈ કફનમાં માત્ર ચીરો મૂકવામાં આવતો હોય છે. આમ પ્રથમ મિસરામાંની ઉદાહરણ રૂપ મુકાયેલી વાતને બીજા મિસરામાં એ રીતે લાગુ પાડી શકાય કે માશૂકના અવસાન પછી તેનાં આપ્તજનો સભાન ઘેલછામાં કફનમાં ચીરો મૂકી દે છે.

વિશેષ જાણકારી કે પહેરણના કોલર સાથે બે સંવેગોમાં અલગ અલગ પ્રતિક્રિયાઓ થતી હોય છે. એક એ કે જ્યારે માણસ મગરૂરી પ્રદર્શિત કરવા માગે, ત્યારે તે કોલરને ખેંચીને ઠીક કરતો હોય છે; અને બીજું કે જ્યારે તે હતાશા કે માનસિક તનાવ અનુભવે અથવા તો ક્રોધાવેશમાં આવી જાય ત્યારે તે કોલરને ફાડી નાખતો હોય છે.   

* * *

કૌન હોતા હૈ હરીફ઼-એ-મય-એ-મર્દ-અફ઼ગન-એ-ઇશ્ક઼
હૈ મુકર્રર લબ-એ-સાક઼ી પે સલા મેરે બા
દ (૭)

[મય= શરાબ; અફ઼ગન= ફેંકનાર, પછાડનાર;  હરીફ઼-એ-મય-એ-મર્દ-અફ઼ગન-એ-ઇશ્ક઼= ઇશ્કના શરાબમાં  મસ્ત થઈ ગયેલા માશૂકનો એવો બહાદુર પ્રતિસ્પર્ધી કે જે તેને મહાત કરી શકે – પછાડી શકે; મુકર્રર= નિશ્ચિત; લબ-એ-સાક઼ી= સાકી (કલાલ)ના ઓષ્ટ;  સલા= આમંત્રણ]

આ શેરમાંની ગ઼ાલિબની અજીબોગરીબ કલ્પના આપણને આફરીન-આફરીન પોકારવાની ફરજ પાડી શકે તેમ છે. પ્રથમ મિસરામાં ઉદારણ તરીકે તો એવા શરાબીઓની વાત કહેવામાં આવે છે કે જેઓ એકબીજાના સ્પર્ધક બનીને વધુ અને વધુ શરાબના પેગ ગટગટાવી શકે. પરંતુ અહીં માશૂકના ઇશ્કના શરાબને સમજવાનો છે કે જે પેલા ખરેખરા શરાબની જેમ ભાન ભૂલાવી દેતો હોય છે. હવે માશૂક જાણે કે પડકાર ફેંકતો હોય તેમ અન્યોને કહે છે કે તેના જેવો ઇશ્કના નશામાં ચકચૂર થઈ શકે તેવો કોઈ બહાદુર છે ખરો! આમ અહીં આ મિસરામાંથી એ અર્થ ફલિત થાય છે કે માશૂકના માશૂકા પરત્વેના ઇશ્કના નશાનો  મુકાબલો કરી શકે એવો કોઈ હરીફ હોઈ શકે જ નહિ.

હવે બીજા મિસરામાંની શાયરની ભવ્ય કલ્પના સમજવા જેવી છે. માશૂક અહીં કહે છે કે મારા મૃત્યુ પછી  શરાબપાન કરાવનારના ઓષ્ટ ઉપર હજુ પણ વધારે શરાબપાન કરવા માટેનો આગ્રહ કે આમંત્રણ નિશ્ચિત રહે તેમ મારા ઇશ્કના નશાની માત્રા પણ એટલી હદ સુધીની રહેશે કે જે તેમના અવસાન પછી પણ અતૃપ્ત જ રહેશે. આમ ફરી પાછા પ્રથમ ઉલા મિસરાને અહીં સાંકળીએ તો માશૂકના ઇશ્કને હંફાવી શકે તેવો કોઈ હરીફ પાક્યો નથી અને પાકશે પણ નહિ.                       

* * *

ગ઼મ સે મરતા હૂઁ કિ ઇતના નહીં દુનિયા મેં કોઈ
કિ કરે તાજ઼િયત-એ-મેહર-ઓ-વફ઼ા મેરે બા
દ (૮)

[તાજ઼િયત= મરણ પ્રસંગે આપવામા આવતો દિલાસો; મેહર= કૃપા, મહેરબાની;  તાજ઼િયત-એ-મેહર-ઓ-વફ઼ા= વફાદારી અને મહેરબાની સૂચક મૃત્યુ પછી અપાતો દિલાસો]

આ શેરનો પ્રથમ મિસરો સમજવામાં સરળ છે, પણ તેમાં માશૂકનો ભારોભાર આક્રોશ છે. માશૂક પોતાના ગમની દયનીય સ્થિતિ વર્ણવતાં કહે છે તેમના જેવો પ્રાણઘાતક ગમ દુનિયાના કોઈ ઈસમને નહિ હોય. અહીં માશૂકનો ગમ બીજો તો કયો હોઈ શકે સિવાય કે માશૂકાના ઇશ્કને પ્રાપ્ત કરવાની તેમની નિષ્ફળતા. ‘ઇતના’ શબ્દ માશૂકના ગમની માત્રા દર્શાવે છે કે જે અસહ્ય છે અને તેથી જ તો તે મૃત્યુ તરફ ગતિ કરી રહ્યા છે. આ મિસરામાં ઇંગિત ભાવ એ સમાયેલો છે કે લોકોએ માશૂકની હયાતી દરમિયાન તો તેમના ગમની અવગણના કરી છે, પણ તેમના મૃત્યુ પછી તેઓ કેવો કૃત્રિમ શિષ્ટાચાર નિભાવી રહ્યા છે; જેનો ઉલ્લેખ આપણને બીજા મિસરામાં મળે છે.

બીજા મિસરામાં માશૂકની ફરિયાદનો એવો સૂર નીકળે છે કે તેમના મૃત્યુ પછી ઝિયારત કે બેસણામાં દિલાસો આપવા માટે લોકો  તેમના પરત્વેની વફાદારી દર્શાવવાની જાણે કે મહેરબાની કરતા હોય તેમ ઊમટી પડશે. હવે આ તાજિયત કે સહાનુભૂતિ મરનાર માટે તો અર્થહીન છે કેમ કે તે તો માશૂકનાં આપ્તજનોને અપાય છે. માશૂકની હયાતી દરમિયાનની ગમગીન હાલતને તો એ તાજિયત આપનારાઓએ નજર અંદાઝ કરી દીધી હતી અને હવે તો તેઓ માત્ર લોકાચાર નિભાવી રહ્યા છે. આમ આ શેરના ‘મેરે બા’દ’ રદીફને આ શેરમાં સુપેરે નિભાવવામાં આવ્યો છે.             

(ક્રમશ:)

* * *

મિર્ઝા ગ઼ાલિબ (ગ઼ઝલકાર)     

– વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)                                                                                            

(ગ઼ઝલ ક્રમાંક –58)

* * *

ઋણસ્વીકાર:

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

(૫) Courtesy : https://rekhta.org 

(૬) Courtesy –  urduwallahs.wordpress.com

(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ

 

(631) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન  અને રસદર્શન – ૫૭ (આંશિક ભાગ –૧) હુસ્ન ગ઼મ્જ઼ે કી કશાકશ સે છુટા મેરે બા’દ (ગ઼ઝલ)  – મિર્ઝા ગ઼ાલિબ * વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)


હુસ્ન ગ઼મ્જ઼ે કી કશાકશ સે છુટા મેરે બા’દ (શેર ૧ થી ૨)


પ્રાસ્તાવિક

ગ઼ાલિબની આ ગ઼ઝલના રસદર્શન પૂર્વે, ગ઼ાલિબના જન્મ પહેલાં લગભગ સિત્તેરેક વર્ષ પહેલાં જન્મેલા અને તેમની લગભગ ૧૪ વર્ષની ઉંમર થઈ ત્યારે અવસાન પામેલા, વળી જેમને સમકાલીન શાયરોએ ‘ખુદા-એ-સુખન’નો ઈલ્કાબ આપેલો, તેવા મીર તકી મીરને ખાસ તો આ ગ઼ઝલના અનુસંધાને યાદ કરવા જરૂરી બની જાય છે. ગ઼ાલિબ મહાન શાયર હોવા છતાં તેઓ મીર તકી મીરને ખૂબ જ માનસન્માન આપતા હતા, તેના પ્રમાણ રૂપે હું મીર તકી મીરને અનુલક્ષીને લખેલા તેમના બે શેર અહીં આપીશ.    

મીર કે શિ`ર કા અહ્વાલ કહૂં ક્યા ગ઼ાલિબ
જિસ કા દીવાન કમ અજ઼-ગુલ્શન-એ કશ્મીર નહી

(મીરના શેરના અહેવાલ વિષે તો શું કહું, ગ઼ાલિબ? તેમનું દીવાન કાશ્મીરના ગુલિસ્તાનથી કમ નથી.)

રેખતા કે તુમ્હીં ઉસ્તાદ નહીં હો ગ઼ાલિબ,
કહતે હૈં અગલે જ઼માને મેં કોઈ મીર ભી થા

(ઉર્દૂના તમે જ ઉસ્તાદ નથી, ગ઼ાલિબ; લોકો કહે છે કે આગળના જમાનામાં કોઈ મીર પણ હતા.)

કોઈ શાયરની ગ઼ઝલના કોઈ શેરને યથાવત્ જાળવી રાખીને તેના અનુસંધાને ભાવસાતત્યને જાળવી રાખતા પોતાના ત્રણ મિસરા સાથેની રચનાને તઝમીન કહેવામાં આવે છે. આવી તઝમીનની રચનામાં ઉપયોગમાં લેવાયેલા શેરને તફડંચી ગણવામાં આવતી નથી. વળી કોઈ ગ઼ઝલકારની ગ઼ઝલના પ્રખ્યાત રદીફ-કાફિયા અને એ જ બહેર (Metre) પ્રયોજીને તેને મળતી આવતી ગ઼ઝલ રચવી એ ભલે તફડંચી ન ગણાય, પણ   શિષ્ટ તો ન જ ગણાય; આમ છતાંય ઘણીવાર અજાણપણે આવું થઈ જવાના સંભવને નકારી ન શકાય. અહીં આ બધી ચર્ચા કરવાનો આશય માત્ર એટલો જ છે કે ઉર્દૂના પ્રખર વિદ્વાનો પણ આંગળાં કરડે તેવી વાત એ છે કે ગ઼ાલિબે જેમને મનોમન ઉસ્તાદ માન્યા હતા તેવા મીરની એક ગ઼ઝલનાં રદીફ, કાફિયા અને એ જ બહેરને સ્વીકારીને અહીં ચર્ચવામાં આવનાર ગ઼ઝલને લખી છે. નીચે મીરની ગ઼ઝલનો માત્ર મત્લા શેર આપું છું, જે આપવા પાછળનો સરખામણી કરવાનો અહીં કોઈ આશય નથી; માત્ર અને માત્ર કુતૂહલ સંતોષવાનો જ ઈરાદો છે. બંને શાયરો ઊંચી કોટિના છે, એટલે અહીં એ પ્રશ્ન ઊભો નથી જ થતો કે ગ઼ાલિબે મીરની ગ઼ઝલની નકલ કરી હોય! આમ કરવા પાછળ ગ઼ાલિબની માની લીધેલા પોતાના ઉસ્તાદ મીરનો ઋણસ્વીકાર કરવાની ઉદ્દાત ભાવના હોય કે પછી જોગાનોજોગ પણ હોય! જો કે બંને ગ઼ઝલના ભાવ ભિન્ન છે અને તેથી જ તો ગ઼ાલિબ પરત્વેનું આપણું માન ઓર વધી જાય છે, તેમની એ કાબેલિયતના કારણે, કે તે આ ગ઼ઝલમાં ભાવવૈવિધ્ય લાવી શક્યા છે; જેથી બંને ગ઼ઝલ એકબીજીથી સાવ અલગ જ બની રહે છે.

આ કે સજ્જાદા-નશીં ક઼ૈસ હુઆ મેરે બાદ
ન રહી દશ્ત મેં ખ઼ાલી કોઈ જા મેરે બાદ  
(મીર તકી મીર)

[સજ્જાદા-નશીં= નમાજના સિજદાની સ્થિતિમાં હોવું, (અહીં)  કોઈ દરગાહના મુજાવર હોવું;  ક઼ૈસ= મજનૂ; દશ્ત= રણ, જંગલ; જા= જગ્યા]

[કૈસ (મજનૂ) કે જે રણમાં ભટક્યા કરે છે તે મારા પછી થઈ ગયો અને મારા મૃત્યુ બાદ તે મારી કબ્રગાહનો મુજાવર થઈ ગયો. એ રણમાં મારી કોઈ નિશ્ચિત સ્થળે કબ્ર નથી; કેમ કે આખું રણ એ મારી કબ્રમાં ફેરવાઈ ગયું છે, અર્થાત્ આખાય રણમાં કોઈ જગ્યા ખાલી રહેવા પામી નથી. આમ પેલો મજનૂ આખાય રણમાં ગમે તે જગ્યાએ હોય, પણ તે મારી કબ્રગાહનો મજાવર (સેવક) જ લેખાશે.]

હુસ્ન ગ઼મ્જ઼ે કી કશાકશ સે છુટા મેરે બા
બારે આરામ સે હૈં અહલ-એ-જફ઼ા મેરે બા(ગ઼ાલિબ)

ઉપરોક્ત બંને શેર બંને શાયરોના પોતપોતાની ગ઼ઝલના મત્લા શેર છે. અહીં મીરના ઉપરોક્ત શેર કે તેમની આખી ગ઼ઝલનો સારાંશ, અર્થઘટન કે રસદર્શન આપવાનો કોઈ ઉપક્રમ નથી.  તો ચાલો, આપણે ગ઼ાલિબની ગ઼ઝલ પ્રતિ આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ.

* * *

હુસ્ન ગ઼મ્જ઼ે કી કશાકશ સે છુટા મેરે બા
બારે આરામ સે હૈં અહલ-એ-જફ઼ા મેરે બાદ (૧)

[હુસ્ન= રૂપ, સૌંદર્ય; ગ઼મ્જ઼ે= ઇશ્કી, પ્રેમમાં પડેલું, શૃંગારી, પ્રેમી, કામુક, રસિક નજર નાખ્યા કરવી; કશાકશ= ખીંચાખીંચી, કશ્મકશ; મેરે બા’દ= મારા મૃત્યુ પછી; બારે= છેવટે, આખિરકાર; અહલ-એ-જફ઼ા = મુસીબતો આપનારી વ્યક્તિઓ કે પરિસ્થિતિઓનો સમૂહ]

ગ઼ઝલનો પ્રથમ શેર મત્લા તરીકે ઓળખાય છે. મેં અગાઉ ક્યાંક કહ્યું છે તેમ મત્લા શેર માત્ર ગ઼ઝલની ઓળખ જ બનતો નથી, પણ એનાથીય વિશેષ એનું કામ છે આગળ રચાનારી ગ઼ઝલના ભાવવિશ્વમાં ચાહકને પદાર્પણ કરાવવાનું. આ શેર એવો દમદાર હોવો અપેક્ષિત હોય છે કે જેથી ગ઼ઝલરસિયો પૂરી ગ઼ઝલને માણવા માટે મજબૂર બની જાય. મત્લા શેરના બંને મિસરામાં રદીફનું હોવું આવશ્યક ગણાય છે, તેમ છતાંય કોઈ ગ઼ઝલકાર માત્ર સાની મિસરામાં જ રદીફ પ્રયોજતા હોય છે.

હવે આપણે આ શેર ઉપર આવીએ તો રદીફ ‘મેરે બા’દ’નો સ્પષ્ટ અર્થ ‘મારા મૃત્યુ બાદ’ એમ જ લેવો પડશે. મૃત્યુ એવી મંઝિલ છે, જ્યાં પહોંચતાં જ જીવનની આધિ, વ્યાધિ અને ઉપાધિ વિષયક પરેશાનીઓનો અંત આવી જતો હોય છે. માશૂકાના ઇશ્કમાં ગિરફ્તાર થયેલો માશૂક એવી તો કશ્મકશભરી વ્યથા અનુભવતો હોય છે કે પોતાની હયાતી સુધી તેને સુખચેન નસીબ નથી થતાં, પરંતુ જેવું મૃત્યુ આવે કે તરત જ એક જ ઝાટકે માશૂકાના હુશ્ન સાથેની તેની આસક્તિનો છેદ ઊડી જતો હોય છે. આથી જ કહેવાય છે કે મૃત્યુ એ લાખ દુ:ખોના નિવારણનો રામબાણ ઈલાજ છે. બીજા મિસરામાં વળી જે મુસીબતો માશૂકને હેરાન પરેશાન કરવા માટે કળ કરતી ન હતી, તે જ મુસીબતો હવે માશૂકના મૃત્યુ બાદ આરામ ફરમાવી રહી છે.

આમ આ શેરમાં શાયરે માશૂકના મૃત્યુ થકી માશૂકા પરત્વેના તેના ઇશ્કની ખેચંખેચનો અંત અને મુસીબતોના કાફલાઓનું આપોઆપ શમન થઈ જતાં દર્શાવીને મૃત્યુને વિજયવંત ઠરાવ્યું છે. વળી ભાષાશાસ્ત્રીય દૃષ્ટિકોણે આ શેરને સમજતાં એમ લાગ્યા વિના નહિ રહે કે શાયરે વ્યંગ્યનો સહારો લઈને એક કડવા સત્યને આપણી સમક્ષ રજૂ કર્યું છે. 

* * *


મનસબ-એ-શેફ઼્તગી કે કોઈ ક઼ાબિલ ન રહા
હુઈ માજ઼ૂલી-એ-અંદાજ઼-ઓ-અદા મેરે બા’
દ (૨)

[મનસબ-એ-શેફ઼્તગી=  મોહ, મુગ્ધતા, વિમૂઢતા, ચિત્ત હરી લેવું, મોહિત કરવું તે; માજ઼ૂલી-એ-અંદાજ઼-ઓ-અદા= નખરાંબાજી અને પ્રેમની રમતમાંથી મુક્ત થઈ જવું.]  

આ શેર સંકુલ છતાં તે સ્પષ્ટ થયેથી સહૃદયી ભાવક તેમાંથી અનેરો લુત્ફ લઈ શકશે. ‘મનસબ’ એ આમ તો રાજદ્વારીય શબ્દ છે. કોઈ રાજાના દરબારમાં માનવંતુ પદ ધરાવનાર કોઈ શખ્સિયત મોભાના મોહમાં બદીવાન થઈને પોતે મુગ્ધતા તો અનુભવે છે અને સાથે સાથે તે અન્યોને પ્રભાવિત પણ કરે છે. પરંતુ આ ઐહિક સુખ તો જીવન છે, ત્યાં સુધી જ માણવાનું  કે ભોગવવાનું રહે છે. આવો સાહેબગીરીનો દબદબો ધરાવતો ઈસમ મૃત્યુ પામ્યા પછી એવો નિ:સહાય બની રહે છે કે તે કશાયને કાબિલ રહેતો નથી. સાપ કાંચળી ઊતારીને આગળ સરકી જાય, તેમ માનવીની રૂહ પણ જગતની મોહમાયા કે સુખદાયક અસ્મિતાઓને અહીં જ છોડી દઈને દેહમાંથી પરવાજ કરી જાય છે.

બીજા મિસરામાં ‘મેરે બાદ’ની બીજી એક સ્થિતિ વર્ણવાઈ છે. આ સ્થિતિ એટલે માશૂકની માશૂકા પરત્વેની દિવાનગી અને સામા પક્ષે માશૂકાની નખરાંબાજી. પ્રેમી યુગલનું અન્યોન્ય સાથેનું સાન્નિધ્ય એવું તો નશીલું હોય છે કે તેઓ ભાન ભૂલી જતાં હોય છે કે કોઈક વખતે તો આ સુખ સમેટાઈ જવાનું છે. આ વખત એટલે મૃત્યુવેળા કે જ્યારે આ પ્રણયખેલ સમાપ્ત થઈ જનાર છે. આમ શાયર તત્ત્વજ્ઞાનીય અંદાજમાં મિથ્યા જગતની ભ્રમણાઓમાં વધારે પડતા લપેટાઈ ન જવાનો એક મનનીય ખ્યાલ પેશ કરે છે. એક સુફી સંતે પણ મૃત્યુની ફિલસુફી સમજાવતાં એક ગહન વાતને સાવ સાદા શબ્દોમાં આમ આપી છે કે માનવી મૃત્યુ પામે કે તરત જ ‘બાકી રહ્યા સો રહ્યા, જી સુણ ભાઈ’ની અણધારી સ્થિતિ સર્જાઈ જતી હોય છે.         

(ક્રમશ: ૨)

* * *

મિર્ઝા ગ઼ાલિબ      

– વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)                                                                                            

(ગ઼ઝલ ક્રમાંક –58)

* * *

ઋણસ્વીકાર:

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

(૫) Courtesy : https://rekhta.org 

(૬) Courtesy –  urduwallahs.wordpress.com

(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ