RSS

Category Archives: ગુજરાતી ભાષા અને સાહિત્ય

(૫૧૮-અ) ઊર્મિકાવ્ય – સર્જક અને ભોક્તાના હૃદયોલ્લાસને છલકાવતો એક ઋજુ કાવ્યપ્રકાર

પૂર્વ અને પશ્ચિમના કાવ્ય મીમાંસકોએ ઊર્મિકાવ્ય વિષે વિશદ ચર્ચાઓ કરી છે. એ ચર્ચાઓ એની ગેયતા-અગેયતા કે ભાવવાહી પઠન, તેનું આત્મલક્ષીપણું કે પરલક્ષીપણું કે પછી એના ઉગમસ્થાન આસપાસ થતી રહી છે. મોટા ભાગના વિદ્વાનોનો સામાન્ય મત એ રહ્યો છે કે આ કાવ્યપ્રકાર અંગ્રેજી સાહિત્યમાંથી વિશ્વભરની ભાષાઓમાં વિસ્તર્યો છે. અંગ્રેજી સાહિત્યમાં આ કાવ્યપ્રકારને લિરિક (Lyric) તરીકે ઓળખાવવામાં આવ્યો છે, જે લાયર (Lyre) ઉપરથી બન્યો છે; જેનો અર્થ થાય છે, એક પ્રકારનું વીણા જેવું વાદ્ય. આમ એમ જણાય છે કે પ્રારંભે લિરિકને ગેયરચના તરીકે જ પ્રસ્થાપિત કરવામાં આવી હોવી જોઈએ અને તેથી જ ગુજરાતી સાહિત્ય પરિષદના ઊર્મિકાવ્ય વિષેના ‘વાંચનકક્ષ આર્કાઈવ્ઝ’ પ્રમાણે આપણા ગુજરાતી સાક્ષરોએ પણ લિરિકની ગેયતાને સ્વીકારી છે અને તેમણે ગેયતાસૂચક ઓળખનામો પણ આપ્યાં છે; જેવાં કે નર્મદે ‘ગીતકવિતા’, નવલરામે ‘સંગીતકવિતા’ કે ‘ગાયનકવિતા’, નરસિંહરાવે ‘સંગીતકાવ્ય’, આનંદશંકરે ‘સંગીતકલ્પકાવ્ય’, રમણભાઈએ ‘રાગધ્વનિકાવ્ય’ વગેરે. કાળક્રમે લિરિકની ગેયતા ગૌણ બનતી રહી અને તેથી જ તો ન્હાનાલાલે એને ‘ભાવકાવ્ય’ તરીકેની ઓળખ આપી, તો વળી બળવંતરાયે તેને ‘ઊર્મિકાવ્ય’ ગણાવ્યું જે સંજ્ઞા ‘લિરિક’ના વિકલ્પે રૂઢ થઈ ગઈ.

ઊર્મિકાવ્યને ભલે ને એક ખાસ પ્રકાર તરીકે ભિન્ન રૂપે દર્શાવવામાં આવતું હોય, પણ મારા અંગત મતે વાસ્તવમાં તો કોઈપણ સાહિત્યસર્જન ઊર્મિના પરિપાક રૂપે જ હોય છે. ‘ઊર્મિ’ના શબ્દકોશીય અર્થો ‘ઉમળકો’, ‘આવેગ’, ‘લાગણીનો તરંગ કે ઉછાળો’, ‘ઉલ્લાસ’ વગેરે છે અને કોઈપણ સર્જન ઊર્મિ થકી જ સર્જાતું હોય છે. આમ ગદ્ય કે પદ્યનો કોઈપણ સાહિત્યપ્રકાર ઊર્મિસર્જન જ ગણાય. કાલિદાસનું ‘મેઘદૂત’ હોય, પ્રેમાનંદનું ‘આખ્યાન’ હોય, અખાના ‘છપ્પા’ હોય, બળવંતરાય ઠાકોરનાં ‘સોનેટ’ હોય, કલાપીનાં પ્રણયકાવ્યો હોય કે પછી કાન્તનાં ‘ખંડકાવ્યો’ હોય; અરે, એનાથી આગળ વધીએ તો ગદ્યનો કોઈપણ સાહિત્યપ્રકાર હોય – એ બધાં ઊર્મિસર્જનો જ ગણાય. કોઈપણ બાહ્ય સંવેદનશીલ ઘટના કે દૃશ્ય અથવા તો આંતરિક કોઈ વિચાર કે મનોભાવ સર્જકમાં ઊર્મિભાવ જગાડે અને કોઈક ને કોઈક સાહિત્યપ્રકારનું સર્જન થઈ જાય. આ તો એક વાત થઈ ગણાય અને ઊર્મિને વ્યાપક અર્થમાં પ્રયોજાતી હોવાનો મારો કે અન્યોનો એક મત સમજવો રહ્યો. આ લેખમાં તો આપણે ઊર્મિકાવ્યને એક માત્ર સ્વતંત્ર કાવ્યપ્રકાર સમજીને જ નહિ, પણ ઊર્મિતત્ત્વ ધરાવતા કોઈપણ કાવ્યને અનુલક્ષીને એ જ દિશામાં આગળ વધીએ.

ઊર્મિકાવ્ય (Lyric) માટે પાશ્ચાત્ય વિવેચકોએ આપેલી વિવિધ વ્યાખ્યાઓમાંથી નિચોડરૂપે બહાર આવતી વ્યાખ્યા છે : “Lyric is a poem that expresses the personal feelings of the poet.”; અર્થાત્, ઊર્મિકાવ્ય એ એવું કાવ્ય છે કે જે કવિની અંગત લાગણીઓને અભિવ્યક્ત કરે છે. મેં મારા “My Lyric – I (મારું ઊર્મિકાવ્ય–૧)”ની અંગ્રેજી પ્રસ્તાવનામાં પણ આ વ્યાખ્યાને સમર્થન આપ્યું છે. ઉમાશંકર જોશીએ પોતાના ‘શૈલી અને સ્વરૂપ’ પુસ્તકમાં ‘અર્વાચીન ઊર્મિકાવ્ય’ નામના લેખમાં ઊર્મિકાવ્યની આ ચાર બાબતો ઉપર ભાર આપ્યો છે : (૧) ઊર્મિકાવ્ય માત્ર વિદેશી એટલે કે આયાતી જ છે એવું નથી. (૨) ઊર્મિકાવ્ય સિવાયની અન્ય કવિતાને પણ જો તેમાં ઊર્મિતત્ત્વની હાજરી હોય તો તેને પણ ઊર્મિકાવ્ય તરીકે ઓળખાવી શકાય. (૩) ઊર્મિકાવ્ય ગેય જ હોવું જરૂરી નથી; તે અગેય પણ હોઈ શકે. (૪) ઊર્મિકાવ્યને અતીત (ભૂતકાળ) છે, તેમ તેનું ભવિષ્ય પણ હોઈ શકે. ઉમાશંકરભાઈએ ઊર્મિકાવ્ય વિષે વિશેષ જે એક વાત કહી છે તે છે, ઊર્મિકાવ્યમાંથી કવિના ઉલ્લાસ, ઉમંગ કે ઉમળકાનું પ્રગટ થવું. ઊર્મિકાવ્યમાં કોઈ વિચાર કે ચિંતનને કોઈ સ્થાન નથી; ઊલટાનું એવું પણ બને કે એવો કોઈ વિચાર કે એવું કોઈ ચિંતન પોતે જ ઊર્મિકાવ્યનો વિષય બને.

ઊર્મિકાવ્યનું સર્જન એ વિશિષ્ટ પ્રક્રિયા છે. કોઈ ધન્ય પળે કોઈ દૃશ્ય કે ઘટના કવિના હૃદયને સ્પર્શી જાય અને ગમે તે કાવ્યપ્રકારે ઊર્મિકાવ્ય સર્જાઈ જાય. એ પછી હરિશ્ચંદ્ર ભટ્ટનું ‘નિર્દોષ ને નિર્મળ આંખ તારી’ હોય, કે બળવંતરાય ઠાકોરનું ‘ભણકારા’ હોય; અમૃત ‘ઘાયલ’ની ‘ભેટ્યો છું મોતને પણ કૈં વાર જિંદગીમાં’ (ગ઼ઝલ) હોય, કે બાલમુકુંદ દવેનું ‘જૂનું ઘર ખાલી કરતાં’ (સોનેટ) હોય; સુંદરમ્-નું ‘રંગ રંગ વાદળિયાં’ (બાળકાવ્ય) હોય, કે હરીન્દ્ર દવેનું ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં’ (ગીત) હોય; ‘કાન્ત’નું ‘સાગર અને શશી’ (પ્રકૃતિકાવ્ય) હોય, કે ‘મોરલી તો ચાલી રંગ રૂસણે’ જેવું કોઈ લોકગીત હોય. અહીં કેટલાંક ઊર્મિકાવ્યો જેમ જેમ યાદ આવતાં ગયાં તેમ ટપકાવાતાં ગયાં છે, ત્યારે ઊર્મિકાવ્યના વ્યાપમાં આવી શકે તેવી દીર્ઘ રચનાઓ તરીકે સંસ્કૃતના વિદ્વાન કવિ જયદેવના ૧૨ સર્ગ અને ૨૪ પ્રબંધમાં લખાયેલા માધવ અને રાધાના શૃંગાર, ભક્તિ અને પ્રણયને ઉજાગર કરતા ઊર્મિપ્રધાન ‘ગીતગોવિંદ’ સર્જનને, મહાકવિ કાલિદાસ રચિત ‘મેઘદૂત’ને તથા રવીન્દ્રનાથ ટાગોર રચિત નોબલ પ્રાઈઝ વિજેતા ‘ગીતાંજલિ’ને પણ યાદ કરી લઈએ. હજુય યાદી ઘણી લાંબી થઈ શકે, પણ લેખની કદમર્યાદા તેમ કરતાં રોકે છે.

ગુજરાતી સાહિત્યમાં માત્ર અને માત્ર ઊર્મિકાવ્યોના સંભવત: પ્રથમ સંગ્રહ તરીકે જેને ગણવામાં આવે છે, તે છે નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા કૃત ‘કુસુમમાલા’ અને તો વળી બ.ક. ઠાકોરે તો આપણને ચિંતનપ્રધાન એવાં કેટલાંય ચિંતનોર્મિ કાવ્યો આપ્યાં છે, જે ભલે ને આત્મલક્ષી હોય પણ આપણને પરલક્ષી જ ભાસે છે. તેમના ‘મ્હારાં સોનેટ’ સંગ્રહમાંનાં મોટા ભાગનાં સોનેટને ઊર્મિકાવ્યો જ ગણવાં પડે, કેમ કે પાશ્ચાત્ય મીમાંસકોએ પણ એવાં સોનેટ કે જે ઊર્મિપ્રધાન હોય તેમના માટે ‘Lyrical Sonnets’ (ઊર્મિલ સોનેટકાવ્યો) એવું નામાભિધાન પણ કર્યું છે.

લેખસમાપને આ લેખમાંની મારી મર્યાદાને સ્વીકારી કરી લઉં કે અત્રે હું સાંપ્રતકાલીન ઊર્મિકાવ્યોના કવિઓ કે તેમનાં કાવ્યોનો નામોલ્લેખ કરી નથી શક્યો, જેનું કારણ એ કે હું સાંપ્રત સાહિત્યવાંચનથી કેટલાક દસકાઓથી અલિપ્ત રહ્યો છું. ‘વેગુ’વાચકો પ્રતિભાવ કક્ષમાં એવા કોઈ કવિઓનાં ઉચ્ચ કોટિનાં સર્જનોને ઉલ્લેખશે તો તે આ લઘુલેખ સાથે ‘વેગુ’વાચકો માટે પૂરક વાંચનસામગ્રી બની રહેશે.

–વલીભાઈ મુસા

* * *

ઋણસ્વીકાર :

(૧) જે તે રચના માટેનો લિંક આપવામાં આવ્યો છે તે બ્લૉગ કે વેબસાઈટનો અને ‘ગૂગલ’ શોધનો
(૨) અમેરિકાસ્થિત પ્રિય મિત્ર શ્રી ચીમનભાઈ પટેલનો એટલા માટે કે ‘વલદાની વાસરિકા’ માટે ‘ઊર્મિકાવ્ય (Lyric)’ વિષે લેખ લખવાનું વિચારતો હતો અને તેમના થકી મને પ્રેરકબળ મળ્યું.

 

Tags: , , , , ,

(512) Best of the year 2013 (3)

You may click on 

(૩૬૩) ‘વેલકમ, વેલકમ…’ (હાદશ્રેણી-૫)

(૩૬૯) ‘વલદાનો વાર્તાવૈભવ’ એક નવીન બ્લોગનો પ્રારંભ

(૩૭૨) એપ્રિલ ફૂલ !

(૩૭૬) ચૂંટેલાં કાવ્યોનું રસદર્શન: વાંસળી વેચનારો – ઉમાશંકર જોશી – ગુજરાતી કાવ્ય

(૩૭૭) ચૂંટેલાં કાવ્યોનું રસદર્શન: ‘અમે સાત છીએ’ (We Are Seven) – વિલિયમ વર્ડ્ઝવર્થ (અંગ્રેજી કાવ્ય)

(૩૭૮-અ) ભાષાવિષયક ત્રણ પ્રકીર્ણ લઘુલેખ

(૩૮૦) ‘વેગુ’પ્રકાશિત ‘ગ્રીષ્મવંદના’ ઈ-બુકમાંની મારી હળવી રચના

(381) Apology

(382) ચૂંટેલાં કાવ્યોનું રસદર્શન : ‘ઝેરી વૃક્ષ’ (A Poison Tree) – વિલિયમ બ્લેક (William Blake)નું અંગ્રેજી કાવ્ય

(383) ચૂંટેલાં કાવ્યોનું રસદર્શન: ‘રાણીની હરીફ’ (The Queen’s Rival) – સરોજિની નાયડુ (અંગ્રેજી કાવ્ય)

(૩૮૮) અનુકાવ્યયુગ્મ – પ્રયોગશીલ સહિયારું ભાષ્ય

(૩૯૦) ભાવવૈવિધ્યે વર્ષાવૈભવ !

(૩૯૨-અ) ગુજરાતી ભાષા અને સાહિત્ય અંગેની કેટલીક અલપઝલપ વાતો

(૩૯૪) વેગુ ઉપરના વિદ્વાન શ્રી મુરજીભાઈ ગડાના “સમય-૨ : સમય શું છે ?” લેખ ઉપરનો મારો પ્રતિભાવ

(૩૯૬) વેગુ ઉપરના મુરજીભાઈ ગડાના ‘સમયની સાથે સાથે…’ (૧) ઉપરનો મારો પ્રતિભાવ

(૩૯૭) માનવતાનો સાદ (Open to Re-blog and Publicize)

(૩૯૮) મારી વાર્તા ‘ભ્રમ ખોટો પડ્યો !’ ઉપરના પ્રતિભાવનો પ્રતિ-પ્રતિભાવ !

(૩૯૯) બાળનજરે સાહિત્યકાર !

(૪૦૦-અ) માતૃભાષા ભુલાય ખરી ?

(૪૦૦-બ) ગુજરાતી જોડણી – બે સાંપ્રત વિચારધારાઓ

(૪૦૦-ક) કૌંસની અંદર, કૌંસની બહાર અને કૌંસમાં કૌંસ !

(૪૦૨) ગુજરાતી ભાષાનું ભવિષ્ય .. એક ચિંતન – દિદાર હેમાણી (અક્ષરનાદ) – મારો પ્રતિભાવ (૧)

(૪૦૩) ગુજરાતી ભાષાનું ભવિષ્ય .. એક ચિંતન – દિદાર હેમાણી (અક્ષરનાદ) – મારો પ્રતિભાવ (૨)

(૪૦૪) ગુજરાતી ભાષાનું ભવિષ્ય .. એક ચિંતન – દિદાર હેમાણી (અક્ષરનાદ) – મારો પ્રતિભાવ (૩)

(૪૦૪-અ) એબ્સર્ડ એટલે … ?

(૪૦૫) વિશ્વતોમુખી આર્ષદૃષ્ટિ (ઈ.સ.૨૨૨૨)

-Valibhai Musa 

 

 

Tags: , , , , , , , , ,

(૫૦૯-અ) કાવ્ય – કલા કે શાસ્ત્ર; કે પછી એ બંને ? (સંકલન)

પુરોવચન :

‘વલદાની વાસરિકા’ શ્રેણીએ અગાઉ ‘અનુવાદન’ વિષયે આવા જ પ્રશ્નાર્થચિહ્ન શીર્ષકે આવી ગયેલા મારા લેખની જેમ આજે ‘કાવ્ય’ વિષયે એ જ અભિગમે કંઈક લખવાની મારી નેમ છે. વળી આ એક ગહન વિષય હોઈ મારે સંદર્ભ સાહિત્યનો સહારો લેવો પડે તે પણ એક હકીકત છે, કેમ કે વિદ્યાભ્યાસ દરમિયાન વાંચેલું, જાણેલું લગભગ અર્ધી સદી પછી માત્ર યાદદાસ્તના સહારે લખાય તો હકીકતદોષમાં સપડાવાનો ભય રહે. લલિત નિબંધ એ સર્જનાત્મક સાહિત્ય હેઠળ આવે અને ત્યાં તો એના લખવૈયાને કોઈ માનસિક દબાણ હેઠળ રહેવું ન પડે, પરંતુ અહીં તો મારા માટે જવાબદારીભરી ભિન્ન પરિસ્થિતિ છે. જોઈએ વારુ, એ જવાબદારીનાં વહન અને પાલન કેટલા અંશે અત્રે થાય છે, તેની મને અને સુજ્ઞ વાચકોને, લોકબોલીએ કહું તો, ખળે (અર્થાત્ છેલ્લે) ખબર પડશે.

પંડિતયુગના સમર્થ નિબંધકાર આનંદશંકર બાપુભાઈ ધ્રુવે પોતાના એક નિબંધમાં ઘોડેસ્વારી અંગેનું સરસ મજાનું દૃષ્ટાંત આપતાં સમજાવ્યું છે કે ગુરુત્વમધ્યબિંદુંના સિદ્ધાંતને માત્ર શીખી લેવાથી ઘોડેસ્વારી આવડે નહિ; બસ એવું જ કાવ્યસર્જન અંગે પણ છે. કાવ્યશાસ્ત્ર અંગે પ્રાચીન કે અર્વાચીન મીમાંસકોએ આપેલી વ્યાખ્યાઓ કે નિયમોને કંઠસ્થ કરી લેવાથી કાવ્ય લખી શકાય નહિ. આમ છતાંય સહજ અને સ્વાભાવિક રીતે આત્મસૂઝ દ્વારા ઊર્મિ પ્રગટ થયેથી લખાઈ ચૂકેલું કાવ્ય અપ્રત્યક્ષ રીતે પણ મીમાંસકોએ દર્શાવેલાં લક્ષણો ધરાવતું અને તેનાં લક્ષ્યો પાર પાડતું તો હોવું જ જોઈએ. આમ કાવ્ય એ શાસ્ત્ર ગણાય કે કલા એ બે વચ્ચેના સમાધાનકારી નિષ્કર્ષ ઉપર આવીએ તો આપણે સ્વીકારવું પડે કે કાવ્ય એ બંને છે. કાવ્ય એના સર્જન દરમ્યાન એ જ્ઞાત કે અજ્ઞાતપણે શાસ્ત્રને અનુસરે છે અને સર્જાઈ ગયા પછી એ કલાસ્વરૂપે આપણી સામે પ્રગટ થાય છે. આમ છતાંય કલા એ માત્ર પરિણામ નથી, પણ કાવ્યસર્જનની પ્રક્રિયા દરમિયાન શાસ્ત્ર સાથે એ જોતરાય પણ છે.

ગુજરાતી ભાષા જેમ સંસ્કૃત ભાષામાંથી આવતરણ પામી તેમ ગુજરાતી સાહિત્ય પણ સંસ્કૃત સાહિત્યની અસરને ઝીલ્યા વગર ન રહી શક્યું. આમાંય ખાસ કરીને સંસ્કૃતના મીમાંસા સાહિત્યે તો ગુજરાતી સાહિત્યસર્જનમાં તેનો મહત્ત્વનો ફાળો આપ્યો છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યસર્જનમાં સંસ્કૃતના એ પ્રખર વિદ્વાનોના જહેમતભર્યા તલસ્પર્શી અભ્યાસનું અચૂક દર્શન જોવા મળે છે. ચાલો, આપણે એ વિદ્વાનોએ કાવ્યતત્ત્વ અન્વયે તેમના વિચારો અને તારણોના પરિપાકરૂપે આપેલી કાવ્ય (વિશાળ અર્થમાં સાહિત્ય)ની વ્યાખ્યાઓનું વિહંગાવલોકન કરીએ. અહીં ભરતથી અભિનવગુપ્ત અને પ્રતીહારેન્દુરાજથી જગન્નાથ સુધીના મોટા ભાગના વિદ્વાનોના કાવ્ય વિષેના અભિપ્રાયોને આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. (આ માટેના મારા મુખ્ય સંદર્ભગ્રંથનો વિગતે ઉલ્લેખ લેખાંતે કરવામાં આવશે.)

– વલીભાઈ મુસા

* * *

કાવ્યની વ્યાખ્યાઓ :

(૧) ”शब्दार्थौ सहितौ काव्यम् ।” અર્થાત્ – શબ્દ અને અર્થનું સહિતત્વ એટલે કે એ બંનેનું એકરૂપ થવું એટલે કાવ્ય. (‘કાવ્યાલંકાર’ના સર્જક ‘ભામહ’ મતે)

(૨) ‘સાહિત્યદર્પણ’ના રચયિતા વિશ્વનાથના મતે “वाक्यं रसात्मकं काव्यम् ।” અર્થાત્- રસયુક્ત વાક્ય તે કાવ્ય.

(૩) (હેમચંદ્ર) વળી કાવ્યની વ્યાખ્યા આપતાં જણાવે છે કે “अदोषौ सगुणौ सालंकारौ च शब्दार्थौ काव्यम् ।” અર્થાત્- દોષહીન, ગુણયુક્ત અને સુઅલંકૃત શબ્દ તે કાવ્ય. (વિકિસ્રોત પ્રમાણે આ વ્યાખ્યા જગન્નાથના નામે ‘ रमणीयार्थप्रतिपादकः शब्दः काव्यम्’ શીર્ષક હેઠળ रसगङ्गाधरः/आनन १ ગ્રંથમાં જોવા મળે છે.‘વિકિસ્રોત’ સંશોધનાત્મક વેબસાઈટ હોઈ પ્રમાણભૂતતા માટે સુજ્ઞ વાચકોના મત પ્રતિભાવકક્ષમાં આવકાર્ય છે.)

(૪) મમ્મટનો મત કાવ્ય વિષે કંઈક આમ છે: “तददोषौ शब्दार्थौ सगुणावनलंकृति पुनः काव्यापि ।” વળી મમ્મટ કયારેક કાવ્ય અલંકારરહિત હોય એમ પણ ઇચ્છે છે.

(૫) “शब्दार्थौ सहितौ वक्रकविव्यापारशालिनि ।“-“वक्रोक्तिजीवितः” ના સર્જક કુન્તક કાવ્યની વ્યાખ્યામાં વક્રોક્તિ ઉપર ભાર મૂકવા ઉપરાંત “बन्धे व्यवस्थितौ काव्यं तद्विदाहलादकारिणि ।।” દ્વારા આમ પણ કહે છે કે ‘જ્ઞાતાઓને આનંદ આપનાર, તેમજ બંધમાં વ્યવસ્થિત રહેલા શબ્દ અને અર્થ એ કાવ્ય.’

(૬) પંડિત જગન્નાથ “रसगंगाधर”માં જણાવે છે કે “रमणीयार्थ प्रतिपादकः शब्दः काव्यम्।” અર્થાત્ – શબ્દનું રમણીય રીતે અર્થમાં પ્રતિપાદન કરે તે કાવ્ય.

(૭) દંડી કાવ્યની વ્યાખ્યા આમ આપે છે : ” शब्दार्थौ ईष्टार्थव्यवच्छिन्ना प्रतिपादकः काव्यम् ।” અર્થાત્ – જે સારા અર્થનું વિચ્છેદ પ્રતિપાદન કરે છે તે શબ્દ એટલે કાવ્ય.

(૮) ભરત મુનિએ ‘નાટ્યશાસ્ત્ર’ નામક પોતાની કૃતિમાં ભલે ‘નાટક’ના સ્વરૂપને સમજાવ્યું હોય તેમ છતાંય નાટકો પદ્ય સ્વરૂપે હોય તો તેમને ‘કાવ્યો’ જ સમજવાં પડે અને તેથી જ એ કાવ્યની વ્યાખ્યા પણ બની રહે. નાટકનાં અન્ય અંગોને બાદ કરતાં માત્ર કાવ્ય વિષેના ભરતના વિચારો સમજવાનો પ્રયત્ન કરીએ તો ભરતે કાવ્યસર્જનમાં રસ અને ભાવને પ્રાધાન્ય આપ્યું છે.

(૯) ઉદ્ભટના ‘કાવ્યાલંકારસાર સંગ્રહ’માં અલંકારો વિષેની વિશદ માહિતી સાંપડે છે અને તેણે કાવ્યરચનામાં અલંકારનો વિનિયોગ કરવા ઉપર ભાર મૂક્યો છે.

(૧૦) વામન વિરચિત ‘કાવ્યાલંકારસૂત્રવૃત્તિ’માં કાવ્યમાં અલંકાર વિષેની ઊંડાણથી ચર્ચા કરવામાં આવી છે. વામનની કાવ્યમાં અલંકાર અંગેની વિચારધારાને તેમના પોતાના સંક્ષિપ્ત આ શબ્દોમાં સમજી શકાય છે કે ‘અલંકાર એટલે કાવ્યમાં સૌંદર્ય આપનાર તત્ત્વ.’ આજકાલ પ્રયોગશીલ કવિઓ ગદ્યકાવ્યો લખે છે. ‘વેબગુર્જરી’માં અગાઉ ‘ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય : શ્રી બાબુ સુથારનાં ગદ્યકાવ્યો’ આવી ચૂક્યાં છે. ઈ.સ. ૮૦૦ આસપાસના સમયગાળામાં થઈ ગયેલા વિદ્વાન વામને એમના ગ્રંથના અધ્યાય-૩માં કાવ્યના પ્રકારોમાં આમ કહી જ દીધું છે કે ‘કાવ્યં ગદ્યં પદ્યં ચ’ ॥ ૨૧ ॥ અર્થાત્ ‘કાવ્ય ગદ્ય અને પદ્ય એમ બંને પ્રકારનું હોય છે.’

(૧૧) રુદ્રટના ‘કાવ્યાલંકાર’ ગ્રંથમાં કાવ્યપ્રયોજન અંગેના શ્લોકમાં કહેવાયું છે કે ‘વાણીના ઉજ્જવળ પ્રસારવાળો, સરસ કાવ્ય રચનારો મહાકવિ (પોતાના અને) બીજાના પણ ઝળહળતા, સ્ફુટ અને વિપુલ યશને કલ્પ ચાલે ત્યાં સુધી ફેલાવે છે. અહીં કવિ અને કાવ્યની શાશ્વતતા સમજાવવામાં આવી છે.

(૧૨) ‘ધ્વન્યાલોક’ના રચયિતા આનંદવર્ધને ‘શબ્દની વ્યંજનાશક્તિ ઉપર આધારિત ધ્વનિને કાવ્યના આત્મા તરીકે ઘોષિત કર્યો છે.’ તેમણે આ ધ્વનિના ‘રસધ્વનિ’, ‘અલંકારધ્વનિ’ અને ‘વસ્તુધ્વનિ’ એવા ત્રણ ભેદ સ્વીકાર્યા છે.

(૧૩) અભિનવગુપ્તનું કાવ્યશાસ્ત્રમાં મહત્ત્વનું યોગદાન એ છે કે તેમણે કાવ્યમાંથી કેવી રીતે રસ ઉત્પન્ન થાય છે તેનું સૂક્ષ્મ વિવરણ આપીને એમણે કાવ્યની આખી રસનિષ્પત્તિપ્રક્રિયા સમજાવી છે. વળી તેમણે ‘આનંદ એ જ કાવ્યનું અંતિમ ફળ’ એમ દર્શાવીને કાવ્યના શિરમોર સમા આ ઉમદા હેતુનો સ્વીકાર કર્યો છે. આ આનંદની અનુભૂતિ કવિને કાવ્યસર્જન વખતે અને ભાવકને તેના પઠન વખતે થતી હોય છે. મમ્મટ પણ કાવ્યને તત્ક્ષણ પરમ આનંદ આપનાર તરીકે ઓળખાવે છે. વળી આ આનંદને ‘બ્રહ્માનંદ સહોદર આનંદ’ પણ ગણાવાયો છે; અર્થાત્ બ્રહ્મપ્રાપ્તિથી થતા આનંદ જેવો જ આ કાવ્યાનંદ, જાણે કે એ બંને આનંદો એક જ માતાની કૂખે જન્મ્યા હોય એવા (સહોદર).

(૧૪) પ્રતિહારેન્દુરાજ કૃત ‘લઘુકૃતિ’માં કાવ્યમાં ગુણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. તેમના મતે કાવ્ય ‘ગુણસંસ્કૃત શબ્દાર્થ શરીર’ છે.

(૧૫) રાજશેખર રચિત ‘કાવ્યમીમાંસા’માં કાવ્ય અને કવિ વિષેની બૃહદ ચર્ચા છે. કવિ હોવાની આવશ્યક આઠ શરતો છે, જેમને તેમણે કવિત્વની માતાઓ તરીકે સરખાવી છે; જે આ પ્રમાણે છે : સ્વાસ્થ્ય, પ્રતિભા, અભ્યાસ, ભક્તિ, વિદ્વાનો સાથે વાતચીત, વ્યાપક જ્ઞાન, દૃઢ યાદશક્તિ અને ઉત્સાહ.

(૧૬) ‘દશરૂપક’ના કર્તા ધનંજયે વિશેષે તો નાટ્ય વિષે લખ્યું છે. સાહિત્યના નવ રસો પૈકીના શાંત રસને તેઓ નાટ્યના સંદર્ભમાં સ્વીકારતા નથી, કેમ કે એમાં અભિનયક્ષમતા હોતી નથી. આમ છતાંય તેઓ કાવ્યના સંદર્ભે શાંત રસને ગ્રાહ્ય ગણે છે; જેનું કારણ તેઓ એ આપે છે કે કાવ્ય એ માત્ર શબ્દનો જ પ્રાન્ત (વિસ્તાર) છે, અભિનયનો નહિ. આ વાત સાચી પણ છે, કેમ કે નાટકના પાત્રે શાંત રસમાં કોઈ અભિનય આપવાનો રહેતો નથી છે અને આપી શકાતો પણ નથી.

(૧૭) આચાર્ય ક્ષેમેન્દ્ર પોતાના ‘ઔચિત્યવિચારચર્ચા’ ગ્રંથમાં ‘ઔચિત્ય’ને કાવ્યમાં પાયાનું સ્થાન દર્શાવે છે. તેઓ પોતાનો ‘ઔચિત્ય’ વિષેનો વિચાર સમજાવતાં લખે છે કે લોકવ્યવહાર કે કાવ્યમાં અલંકાર ગમે તેટલા આકર્ષક હોય, પણ તે યોગ્ય સ્થાને હોય તો જ શોભે છે. આવું જ તેઓ ગુણ વિષે પણ કહે છે કે ગુણ ગમે તેટલા સુંદર હોય, પરંતુ તે ઔચિત્યયુક્ત હોય તો જ તેમને ગુણ કહેવાય; અન્યથા એ અવગુણમાં જ ખપે. આ વાતના સમર્થનમાં તેઓ સરસ મજાનો રમૂજી શ્લોક આપે છે, જેનો ભાવાર્થ આમ છે : ‘કટિમેખલાને કંઠમાં અને ચમકતા હારને કમર પર ધારણ કરનાર, હાથમાં નૂપૂર અને ચરણમાં કંકણ બાંધનાર, પ્રણામ કરનાર પ્રત્યે શૌર્ય અને શત્રુ પ્રત્યે કરુણા દર્શાવનાર કોણ હાસ્યાસ્પદ બનતા નથી ? ઔચિત્ય વિના નથી અલંકાર શોભતા, કે નથી ગુણ શોભતા.

(૧૮) હેમચંદ્રાચાર્ય ‘કાવ્યાનુશાસન’ના રચયિતા છે. એમના મતે કાવ્ય એટલે લોકોત્તર એવું કવિનું કર્મ (સર્જન). તેઓ શબ્દ અને અર્થને કાવ્યમાં ગૌણ સમજીને રસને જ પ્રાધાન્ય આપે છે અને કાવ્યના હેતુ તરીકે પ્રતિભાને મહત્ત્વ આપે છે.

ઉપસંહાર:

છેલ્લે આપણે ગુજરાતના ઇતિહાસના સુવર્ણકાળમાં થઈ ગયેલા ‘કાવ્યાનુશાન’ ગ્રંથના રચયિતા હેમચંદ્રાચાર્ય (ઈ.સ.૧૦૮૯-૧૧૭૩)ના આપણા લેખના વિષયે ‘કાવ્યપ્રયોજના’ પેટાશીર્ષકે આવેલા શ્લોકને યથાતથ ગુજરાતી ભાષાંતરે સમજી લઈને છૂટા પડીએ :

“તત્કાલ થયેલા રસાસ્વાદમાંથી નીપજનારી અને બીજા વિષયોને (ચિત્તપટ પરથી) હટાવી દેનારી જે બ્રહ્માસ્વાદના જેવી પ્રીતિ (અનુભવાય) તે ‘આનંદ’ કહેવાય. કાવ્યનું આ પ્રયોજન બધાં પ્રયોજનોના રહસ્યરૂપ છે ને કવિ તેમ જ સહૃદય ઉભયને લાગુ પડે છે. યશ તો કવિને પક્ષે જ, કારણ કે આવડા મોટા સંસારમાં કાલિદાસ આદિ કવિઓ જો કે ક્યારના ચાલ્યા ગયેલા છે; તેમ છતાં આજ સુધી સહૃદયો દ્વારા વખણાય છે. વેદ, આગમ આદિ શાસ્ત્રો શબ્દપ્રધાન હોય છે ને તેથી (આજ્ઞા આપતા) સ્વામી જેવા હોય છે, પુરાણ પ્રકરણ આદિમાં અર્થ પ્રધાન હોય છે તેથી મિત્ર જેવાં લાગે છે. ત્યારે કાવ્ય (આ બંને પ્રકારના ગ્રંથો કરતાં) જુદા લક્ષણવાળું હોય છે; તેમાં શબ્દ અને અર્થ બંને ગૌણ બને છે ને રસ પ્રધાન બને છે. જેમ પ્રિયપત્ની (પતિમાં) રસ જન્માવીને (તેને) પોતાની સન્મુખે આણીને ઉપદેશે તેમ આવું કાવ્ય પણ ‘રામ વગેરેની જેમ વર્તવું, રાવણ વગેરેની જેમ નહિ,’ એવે પ્રકારે ઉપદેશ આપે છે. આથી આ પ્રયોજન સહૃદયપક્ષે છે.”

ઋણસ્વીકાર :

(૧) યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ – ગુજરાત રાજ્ય દ્વારા પ્રકાશિત”ભારતીય સાહિત્યવિચાર મંજૂષા ભાગ ૧ અને ૨ (સંપાદક : ડૉ. રમેશ એસ. બેટાઈ અને સહસંપાદક : ડૉ. નારાયણ એમ. કંસારા (કાવ્યની વ્યાખ્યાઓ ૮ થી ૧૮)

(૨) સાવજરાવ સોઢા, જેમનો બ્લૉગ છે : https://sawajbhumi.wordpress.com/ (કાવ્યની વ્યાખ્યાઓ ૧ થી ૭) અને જેમનો લેખ છે : કાવ્યશાસ્ત્ર

(૩) આદર્શ સાર્વજનિક ગ્રંથાલય, કાણોદર (જિ. બનાસકાંઠા) – સંદર્ભગ્રંથો પૂરા પાડવા બદલ.

(૪) विकिस्त्रोतः (સંસ્કૃત વિકિસ્ત્રોત) https://sa.wikisource.org

 

Tags: , , , , , , , , , , ,

(૪૯૮-અ) ચાલો, આપણી માતૃભાષા ગુજરાતીનું ગૌરવ વધારીએ!

કોઈપણ ભાષામાં એક જ શબ્દના એવા છાયાશબ્દો જોવા મળશે કે જે પહેલી દૃષ્ટિએ સમાનાર્થી લાગે, પણ તેમના અર્થ કે ભાવમાં પાતળી ભેદરેખા હોય છે. ગુજરાતી ભાષાના ગુરુર અને ગર્વ પણ એવા શબ્દો છે જેમને આ ભેદરેખા લાગુ પડે છે. ગર્વ એ એક પ્રકારની ખુમારીને અભિવ્યક્ત કરે છે, જે સદ્ગુણમાં જ ખપે; પણ ગુરુર એ શબ્દ અભિમાનનો સૂચક હોઈ તેને અવગુણ જ ગણવો રહ્યો. વળી ગર્વ અને ગૌરવ સમભાવી શબ્દો જ છે, ફક્ત તેમને પ્રયોજવામાં જ ભિન્નતા માલૂમ પડશે. અહીં આપણે ગુજરાતીભાષીઓએ આપણી ગુજરાતી ભાષાનું વ્યક્તિગત રીતે માત્ર ગૌરવ ધારણ કરવાની વાત નથી કરતા; પરંતુ એ ગૌરવનો આપણે પ્રસાર કરવાનો છે, તેમાં વૃદ્ધિ કરવાની છે.

વિશ્વભરમાં વસતા વિવિધ માનવસમુદાયો પોતપોતાની માતૃભાષામાં વાણીવિનિમય કરતા હોય છે. દરેકને પોતપોતાની માતૃભાષા પરત્વે ખાસ લગાવ હોય છે. જે તે ભાષી માટે પોતાની લાગણીઓ અને વિચારોનું આદાનપ્રદાન કરવા માટે માતૃભાષા એ અનિવાર્ય માધ્યમ બની રહે છે અને તેથી જ તો દરેકને પોતાની માતૃભાષા પ્રિય હોય છે. માતૃભાષા અંગેના માનવીઓના સમાનભાવ હોવાના ખ્યાલને કેન્દ્રમાં રાખીને જ તો યુનોએ દર વર્ષના ૨૧મી ફેબ્રુઆરીના દિવસને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે જાહેર કર્યો છે. આ દિવસે જે તે માનવસમુદાયે પોતપોતાની માતૃભાષાના વિકાસને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમો પ્રયોજવાના હોય છે.

પહાડમાંથી નીકળતાં ઝરણાંનું પાણી એકત્ર થઈને આગળ જતાં નદીનું રૂપ ધારણ કરે છે, બસ તેમ જ સંસ્કૃતમાંથી અવતરણ પામેલી આપણી ગુજરાતી ભાષા પ્રાકૃત, અપભ્રંશ અને જૂની ગુજરાતીના તબક્કાઓમાં પરિવર્તિત થતીથતી હાલની ગુજરાતી ભાષારૂપી સરિતા બની છે. આ સરિતામાં દેશ્યશબ્દો ઉપરાંત અરબી, પર્શિયન, અંગ્રેજી જેવી વિદેશીભાષાઓ અને ગુજરાતની આસપાસનાં રાજ્યોની મરાઠી, રાજસ્થાની કે હિંદી ભાષાઓના શબ્દો રૂપી ઝરણાં પણ ભળતાં રહ્યાં છે. ગુજરાતી ભાષાના વિવિધ તબક્કાઓ દરમિયાન ગુજરાતી ભાષાના જે તે સ્વરૂપમાં સમયાંતરે સાહિત્યિક રચનાઓ પણ સર્જાતી રહી છે અને આમ આપણું ગુજરાતી સાહિત્ય પણ સમૃદ્ધ થતું રહ્યું છે.

આપણી ભાષાનું ગૌરવ વધારવાનું કામ રસ્તા કે તળાવ ખોદવા જેવા શ્રમયજ્ઞોમાં પાવડા, કોદાળી કે તગારાં સાથે માનવમહેરામણ ઊમટી પડે તે રીતે કરવાનું નથી. એ કામો તો જે તે લક્ષ પૂરું થાય, ત્યારે સમેટી લેવામાં આવતાં હોય છે. આપણી ભાષાના વિકાસ, પ્રસાર, પ્રચાર અંગેનું કાર્ય તો અવિરત ચાલુ રહેવું જોઈએ. આપણે ગુજરાતીઓ કોઈપણ કામમાં આરંભે શુરા ગણાતા હોઈએ છીએ. આ કોઈ પ્રશસ્તિ વચન નથી, પણ ઉપહાસ છે. કહેવાય છે કે કોઈપણ કામની શુભ શરૂઆત અડધું કામ થયા બરાબર હોય છે. હવે જે ઉત્સાહથી કામ શરૂ થયું હોય તે જ ઉત્સાહને જાળવી રાખીને તેને પૂરું કરવામાં આવે તો જ તે કામનો હેતુ સરે. આ તો એવાં કામોની વાત છે કે જે અમુક સમયની મર્યાદામાં પૂર્ણ થઈ જતાં હોય છે અને એક વખત એવું કામ પતી ગયા પછી વિશેષ કંઈ કરવાનું રહેતું નથી હોતુ. પરંતુ અહીં તો આપણી ગુજરાતી ભાષા અંગેના કામની વાત છે. આ કામ કદીય પૂર્ણ થયેલું જાહેર ન કરી શકાય, કેમ કે ભાષા એ સતત વિકસતી રહેતી હોય છે. માતૃભાષા અંગેની ચિંતા એ માટે મુકર્રર કરેલા દિવસની ઉજવણી પૂરતી સીમિત રહેતી નથી. વળી એ પણ એટલું જ સાચું કે ભાષાના ગૌરવની માત્ર ચિંતા કર્યે જવાથી કે વાતોનાં વડાં તળ્યે જવાથી કંઈ વળે નહિ, એ માટે તો સજાગપણે રચનાત્મક પ્રવૃત્તિઓ કરતા રહેવું પડે.

કોઈપણ ભાષાના પાયામાં હોય છે, તે ભાષાનો પ્રમાણભૂત શબ્દકોશ. આપણે ગુજરાત વિદ્યાપીઠના નેજા હેઠળ તૈયાર થયેલા સાર્થ જોડણીકોશને સ્વીકાર્યો છે અને દરેક ગુજરાતીએ તેને જ પ્રમાણભૂત માનીને તેને અનુસરવું જોઈએ. કોશમાં કોઈ ક્ષતિઓ રહી જવા પામી હોય તો તેની સુધારણા માટે અને એને સંવર્ધિત કર્યે જવા માટે સરકારનાં વિવિધ મંત્રાલયોની જેમ આ માટેનું પણ સ્વતંત્ર મંત્રાલય હોવું જોઈએ અને રાજ્યના વાર્ષિક અંદાજપત્રમાં ગુજરાતી ભાષાના વિકાસ માટે જરૂરી નાણાકીય ભંડોળની જોગવાઈ પણ કરવી જોઈએ. દેશનાં અન્ય રાજ્યોમાં તેમની પ્રાદેશિક ભાષાઓમાં ફિલ્મનિર્માણ થાય છે, તેની સરખામણીમાં આપણું ગુજરાતી ફિલ્મોનું નિર્માણ બહુ જ ઓછું થતું હોય છે. આમ ફિલ્મનિર્માણ અને સાથેસાથે ગુજરાતી નાટ્યપ્રવૃત્તિને પણ સરકારે પ્રોત્સાહન આપવું જોઈએ. આ માટે માત્ર સરકારી પ્રોત્સાહન જ કારક ન નીવડી શકે. ગુજરાતી ફિલ્મો કે ગુજરાતી નાટકો માટે પ્રેક્ષકો પણ હોવા જોઈશે. સરકાર તરફથી થતા પત્રવ્યવહારમાં ભાષાશુદ્ધિ અનિવાર્ય ગણાવી જોઈએ. ગુજરાત રાજ્યની સ્થાપનાના દિવસ પહેલી મેને ગુજરાતી ભાષાદિન તરીકે જાહેર કરીને એ દિવસે માત્ર શાળાકોલેજોમાં જ નહિ, પણ આખા ગુજરાતમાં ગુજરાતી ભાષા માટેના વિવિધ કાર્યક્ર્મો પ્રયોજાવા જોઈએ. આ દિવસે લોકોએ પોતાનાં નિવાસસ્થાનો અને ધંધાકીય એકમોને આપેલાં નામોમાં અશુદ્ધિ હોય તો તેને દૂર કરી લેવી જોઈએ.

હવે તો ઓનલાઈન ગુજરાતી શબ્દકોશ ઉપલબ્ધ હોઈ લોકોએ પોતાનાં કમ્પ્યુટર કે મોબાઈલ ફોનમાં તેને ડાઉનલોડ કરી લેવો જોઈએ. અંગ્રેજી ભાષામાં સ્પેલીંગ માટે આપણે જેટલા સજાગ હોઈએ છીએ, તેટલા જ આપણે ગુજરાતી શુદ્ધ જોડણી માટે પણ સજાગ રહેવું જોઈએ. ગુજરાતી ભાષામાં કોઈ એક જ અર્થ ધરાવતા અનેક શબ્દો હોય છે, જે પૈકી જોડણી માટે સરળ રહે તેવા શબ્દો વાપરવામાં આવે તો પણ ઘણી જોડણીભૂલોનું નિવારણ થઈ શકે. ઉદાહરણ તરીકે સુશ્રૂષાના બદલે સારવાર, કોશિશના બદલે પ્રયત્ન વગેરે. હાલમાં કમ્પ્યુટર અને મોબાઈલનો ઉપયોગ સાર્વત્રિક બની ગયો હોઈ અંગ્રેજીની જેમ ગુજરાતી Spell Checker ની તાતી આવશ્યકતા છે. આ માટે સોફ્ટવેરના તજજ્ઞોએ અદ્યતન સ્પેલચેકરનો આવિષ્કાર કરીને લોકોને ઉપલબ્ધ કરાવવું જોઈએ.

શાળાઓ એ ગુજરાતી ભાષા માટેનાં પાયાનાં સ્થળો છે. અહીંથી જ ગુજરાતી ભાષાની શુદ્ધિ માટેની કાળજી લેવાય તો લાંબા ગાળે આપણને ધાર્યું પરિણામ મળી શકે. શિક્ષકોએ અને વિદ્યાર્થીઓએ જોડણીકોશનો સંદર્ભ લેવાની ટેવ પાડવી જોઈએ. ભાષાશુદ્ધિની આવી જ કાળજી પાઠ્યપુસ્તકોમાં પણ લેવાવી જોઈએ. વર્ગમાં શિક્ષક-વિદ્યાર્થી અને વિદ્યાર્થી-વિદ્યાર્થી વચ્ચેની વાતચીત શુદ્ધ ગુજરાતીમાં થાય તેવો આગ્રહ રખાવો જોઈએ. વળી વિદ્યાર્થીઓને એવી તાકીદ કરવામાં આવે કે તેઓ પોતાનાં ઘરોમાં પણ શુદ્ધ બોલવાનો આગ્રહ રાખે કે જેથી કુટુંબનાં અન્ય સભ્યો પણ બોલવામાં ભાષાશુદ્ધિ જાળવતાં થઈ જાય. ગુજરાતી ભાષામાં પ્રગટ થતાં સમાચારપત્રો કે સામયિકોમાં તો ભાષાશુદ્ધિનો ખાસ આગ્રહ રખાવો જોઈએ. વાચકોનાં મંતવ્યોના વિભાગે જાગૃત વાચકોએ તંત્રીઓ કે સંપાદકોનું જોડણીભૂલો પરત્વે ધ્યાન દોરવું જોઈએ, કે જેથી તેઓ પણ સજાગ રહે અને લોકોનાં દિમાગોમાં સાચી જોડણી અંગેની શંકાકુશંકાઓ ઉદ્ભવવા ન પામે. શબ્દોની સાચી જોડણી ઉપરાંત ભાષામાં વ્યાકરણની અને વિરામચિહ્નોની ભૂલો પણ થતી હોય છે, જેના નિવારણ માટે પણ આપણે સભાન થવું જોઈએ.

સમાપને કહેતાં આપણે અહીં માત્ર ગુજરાતી ભાષાની શુદ્ધિ અંગેની વાતો ચર્ચી. ભાષા એ તો અભિવ્યક્તિનું સાધન માત્ર છે. ભાષાના ઉપયોગથી ખરેખર તો સાહિત્ય સર્જાતું હોય છે અને એથી સાહિત્ય એ સાધ્ય બની રહે છે. કોઈપણ ભાષાના ગૌરવનું મુલ્યાંકન એના સાહિત્યથી થતું હોય છે. આપણું ઉમદા ગુજરાતી સાહિત્ય અન્ય ભાષાઓમાં અનુવાદિત થાય તો પણ એનું ગૌરવ વધી શકે. ઉમદા સાહિત્ય ત્યારે જ સર્જાય, જ્યારે કે તેના વાંચનારાઓ મળી રહે. આપણે ગુજરાતી સાહિત્યનું ખૂબ વાંચન કરતા રહેવું જોઈએ અને એ માટે આપણે જાહેર પુસ્તકાલયોનો પૂરતો લાભ ઊઠાવવો જોઈએ. ગુજરાત બહાર વિશ્વભરમાં વસતા આપણા ગુજરાતીઓ બ્લૉગ દ્વારા સાહિત્યસર્જન કરતા હોય છે. એમાંના ઘણા બ્લૉગ તો ઉત્તમ સાહિત્ય પીરસતા હોય છે. આપણે એવા બ્લૉગરોને પણ પ્રોત્સાહિત કરવા જોઈએ. હવે તો ઈ-બુકનો પ્રસાર થઈ રહ્યો હોઈ સ્માર્ટ ફોનધારકો પોતાના મોબાઈલમાં ઓછામાં ઓછાં વિનામૂલ્ય પુસ્તકોને તો સંગૃહિત કરીને પોતે લાભ ઊઠાવીને પોતાનાં સંપર્કવર્તુળોમાં તેમને પ્રસારી પણ શકે. આર્થિક રીતે સક્ષમ લોકોએ મૂલ્ય ધરાવતાં મુદ્રિત કે વીજાણુ માધ્યમે પ્રકાશિત થતાં પુસ્તકો કે સામયિકોને ખરીદવાં જોઈએ કે જેથી લેખકોને પ્રોત્સાહન મળી રહે. ભાષાનું ગૌરવ વધારવામાં આપણી ‘વેબગુર્જરી’ જેવી દેશવિદેશમાં કેટલીય ગુજરાતી વેબસાઈટ ઉમદા કાર્ય કરી રહી છે, તેમને પણ પ્રોત્સાહિત કરવી જોઈએ. ગુજરાતી ભાષાનું ગૌરવ વધારવાનું કામ આપણા સૌનું છે, સાથેસાથે એ પણ જોવાનું રહે કે એવું ન બને કે સૌનું કામ તે કોઈનુંય ન રહે!

 

Tags: , ,

(૪૨૪-અ) લોકો કે જે શબ્દો બની જાય છે !

મનુષ્યમાત્રની ત્વચા, આંખની કીકી કે માથાના વાળના રંગ ગમે તે હોય; એ નિન્ડરથલ, મોંગોલિયન કે અન્ય કોઈ પ્રકારનો માનવી હોય; તેનાં ફૂલી ગએલાં નાક હોય કે સૂઝી ગએલી જેવી દેખાતી તેની આંખો હોય, પરંતુ તેની નખશિખ આંતરિક અને બાહ્ય ગતિવિધિઓ તો એકસરખી જ માલૂમ પડ્યા સિવાય રહેશે નહિ.

જગતભરના જે તે માનવીઓનો પોતપોતાની ભાષાઓનો વિકાસક્રમ ભલે ધીમો કે ઝડપી રહ્યો હોય, પણ તેમના વિકાસના તબક્કાઓમાં ઘણીવાર એકસરખી લાક્ષણિકતાઓ દેખાયા સિવાય રહેશે નહિ. જે  તે ભાષાઓનાં શબ્દભંડોળો વિકસતાં રહેતાં હોય છે, પણ એ શબ્દો બનવાની ઢબ સમાન જ માલૂમ પડતી હોય છે.

આજે દશેક વર્ષ પહેલાંનો રીડર્સ ડાયજેસ્ટનો એક અંક મારી નજરે ચઢી ગયો છે, જેમાંના એક લેખના વાંચનથી હું પ્રભાવિત થયો છું અને આજે હું આજનો આપણી ગુજરાતી ભાષાના શબ્દભંડોળની વૃદ્ધિના એ મુદ્દા ઉપરનો અને એ મતલબનો આ લેખ લખવા જઈ રહ્યો છું. પેલા લેખનું શીર્ષક હતું : “People  Who Become Words”, છે ને સરસ મજાનું એ શીર્ષક ! કોઈ નાના બાળકના આપ્તજનના અવસાન પ્રસંગે તેને એમ કહીને ફોસલાવવામાં આવે કે જે તે મરનાર તો પેલા આકાશમાંનો તારો બની ગયું છે, બસ એવું જ કંઈક અહીં છે ! અહીં પણ સારી કે નરસી કોઈ વ્યક્તિ કે ધાર્મિક યા સામાજિક સાહિત્યમાંનું સારું કે નરસું કોઈ પાત્ર પોતે જ ભાષાનો ચલણી શબ્દ બનીને જે તે ભાષારૂપી વિશાળ આકાશમાંના કોઈક તારલાનું રૂપ ધારણ કરી લે તેવી આ વાત છે.

પ્રથમ તો પેલા અંગ્રેજી લેખના એવા કેટલાક શબ્દોને તપાસી લઈને પછી જ આપણી ગુજરાતી ભાષાના એવા શબ્દો ઉપર હું આવીશ. Maverick = ડામ દીધા વિનાનું વાછરડું, રૂઢિની પરવા ન કરનાર, સ્વૈરવિહારી માણસ: Cobb = દોસ્ત, સાથી; Bloomer =  મોટી ભૂલ {અહીં Mr. Maverick, Mr. Cobb, Ms Bloomer એ બધાં વ્યક્તિ કે સંજ્ઞાવાચક નામો (Proper Nouns) છે, જે ભાષાનાં શબ્દો બની ગયાં છે!}

હવે હું આપણી ગુજરાતી ભાષાના આ વિષયમાં દર્શાવ્યા મુજબના તેવા શબ્દોની અર્થ અને ઉદાહરણ સાથેની યાદી આપવા જઈ રહ્યો છું. આપણા વેગુવાચકો ભલે ગમે તે વયના હોય પણ આને એક શબ્દરમત સમજીને કોમેન્ટ બોક્ષમાં એવા શબ્દો લખશે, તો વાચકોના જ્ઞાનમાં અને તેમના શબ્દભંડોળમાં જરૂર વધારો થશે.

વ્યક્તિઓનાં નામ કે જે ગુજરાતી ભાષામાં શબ્દો બની ગયાં !

(૧) ભદ્રંભદ્ર = વેદિયો

ઉદા. અલ્યા, એ તો સાવ ભદ્રંભદ્ર છે !

(૨) ચાણક્ય = બાહોશ, ચતુર

ઉદા. હોશિયારીમાં તો તેને ચાણક્ય જ સમજવો પડે !

(૩) હરિશ્ચંદ્ર = સત્યવાદી

ઉદા. જોયો ન હોય તે મોટો હરિશ્ચંદ્ર !

(૪) ભીમ = ભયંકર, ભયાનક, વિશાળ અને મજબૂત, જાડું અને કદાવર

ઉદા. બાપ રે ! એ ભીમ સાથે હું મુકાબલો ન જ કરી શકું !

(૫) સહદેવ =પૂછ્યા વિના ન કહે એવો માણસ

ઉદા. એને બધી ખબર છે, પણ એ સહદેવ છે; મોંઢેથી કશું જ નહિ બોલે !

(૬) સુદામા = દરિદ્ર માણસ

ઉદા. એ બિચારા સુદામા પાસેથી ફંડફાળાની આશા રાખવી વ્યર્થ છે !

(૭) મદન (કામદેવ) = વિષયવાસના

ઉદા. આમ તું મસ્તીએ ચઢ્યો છે, તે મદન હાલ્યો છે કે શું !

(૮) ગાંધી(વાદ) =  ગાંધી વિચારધારા

ઉદા. ગાંધીવાદ અપનાવ્યા સિવાય જગતનો ઉદ્ધાર નથી.

(૯) ઔરંગઝેબ = નૃત્યસંગીતનો  વિરોધી માણસ

ઉદા. સંગીતના એ ઔરંગઝેબને શાસ્ત્રીય સંગીતમાં કંઈ જ સમજ નહિ પડે !

(૧૦) ગામા = પહેલવાન

ઉદા. કદાવર એનો બાંધો જોતાં તે આપણને ગામા જ લાગે !

(૧૧) ધ્રુવ = સ્થિર, નિશ્વળ, નિશ્વિત 

ઉદા. કાવ્યની ધ્રુવપંક્તિ જ આપણને કાવ્યનો સાર બતાવી દેતી હોય છે.

(૧૨) રાધા(ગાંડું) = રાધાના જેવું ઘેલું

ઉદા. એ તો સાવ રાધાગાંડી છે, એનું નામ મેલો !

(૧૩) શ્રીગણેશ (કરવા) = શુભ શરૂઆત કરવી

ઉદા. હવે ભાઈ કોઈની રાહ જોયા સિવાય કામના શ્રીગણેશ કરી દો ને !

(૧૪) હિટલર(શાહી) = સરમુખ્યતારશાહી

ઉદા. સદ્દામે પોતાના શાસનકાળમાં ઈરાકમાં હિટલરશાહી જ ચલાવી અને છેવટે તેનું પતન થયું.

(૧૫) સિકંદર = વિજયી, ફતેહમંદ   

ઉદા. તેણે ઝઝૂમવાનું ચાલુ જ રાખ્યું અને છેવટે તે સિકંદર પુરવાર થયો.

(૧૬) કુંભકર્ણ = ઊંઘણશી

ઉદા. અલ્યા, એ તો કુંભકર્ણ છે; ઢોલ વગાડશો તો પણ એ જાગશે નહિ.

(૧૭) લક્ષમણ(રેખા) = મર્યાદા

ઉદા. તેણે ખર્ચની લક્ષ્મણરેખા બાંધી દીધી છે, એટલે હવે તે વધારે ખર્ચ કરશે નહિ !

(૧૮) ભરત(વાક્ય)  = ભરત (જે નામના મુનિ કે જે ‘નાટ્યશાસ્ત્ર’ ગ્રંથના રચયિતા હતા) નું વાક્ય, નાટ્યાંતે આશીર્વચનીય શ્લોક કે વાક્ય

ઉદા. સંસ્કૃત નાટકોમાં છેલ્લે ભરતવાક્ય તો આવે જ !

(૧૯) રામ (રમી જવું) = મરણ પામવું

ઉદા. તેને ઢંઢોળી જોયો, પણ અફસોસ, તેના તો રામ જ રમી ગયા હતા !

(૨૦) દુર્વાસા = ક્રોધી

ઉદા. અલ્યા તેને સતાવશો નહિ, એ તો દુર્વાસા છે.

(૨૧) નારદ = લડાઈ-ઝઘડો કરાવનાર

ઉદા. હવે તમે નારદવેડા કરાવવાનું બંધ કરો.

(૨૨) મહમદ તઘલખ = તરંગી વિચારો કરનાર

ઉદા.  તેની તઘલખી વાતો ઉપર જરાય ધ્યાન આપવાની જરૂર નથી.

(૨૩) સુરદાસ = આંધળું

ઉદા. સુરદાસો સારું ગાઈ શકતા હોય છે.

-વલીભાઈ મુસા 

 

Tags: , , , , , , , , , , , , , , , , ,