RSS

Category Archives: ગુજરાતી ભાષા અને સાહિત્ય

(૪૨૧-અ) હે ગુર્જરી માવડી, તારી ખાસિયતો હજાર !

આગોતરી સૂચના : શીર્ષકમાં ‘હજાર’નો આંક ‘ઘણી’ના અર્થમાં જ હોઈ આ લેખને લાંબોલચક માની લઈને તેને વાંચવાથી મોઢું ન ફેરવી લેવાની ભલામણ કરવામાં આવે છે. ધન્યવાદ.)

* * *

નવરાશની પળોએ માતૃભાષા ગુર્જરી અંગેના ચિંતનના ચકરાવે ચકરચકર ભમતાં મગજ ચકરાવો ખાઈ જાય તેવી તેની શબ્દોને રમાડવાની હજારો ખાસિયતો નજરે ચઢે છે અને મનોમન બોલી જવાય છે, ‘વાહ, ગુર્જરી વાહ !’

  • પ્રેમાળ માતાની જેમ માતગુર્જરી આપણને છીંકો, બગાસાં, ખાંસી, હવા, ઠપકો, શ્વાસ, ગમ, ગાળો અને કોણ જાણે એવી કેટલીય અદૃશ્ય ગમતી કે અણગમતી વાનીઓને પોતાના અદૃશ્ય હાથો વડે  ખવડાવે છે.
  • તે ઝેર, આંસુ અને ગુસ્સાને પાઈ દે છે; અને હાર, જીત, ધન, સત્તાને પચાવી જાણવાની શીખ પણ આપે છે.
  • તે આપણને અન્યો પરત્વે અનરાધાર પ્રેમ વરસાવવાનું પણ કહે છે.
  • તે અભિમાનને ઓગાળવાનું અને ઘમંડને તોડવાનું પણ આપણને સૂચવે છે.
  • તે સોંપવામાં આવેલી ફરજને બજાવવા (‘વગાડવા’ નહિ, ‘પાલન કરવા’ !) અને જરૂર જણાયે અઘટિત માગણીઓને ઠુકરાવવાનું પણ આપણને કહે છે.
  • તે આપણને દુ:ખીજનો પ્રત્યે હમદર્દી બતાવવાનું અને મદદનો હાથ લંબાવવાનું પણ કહે છે.
  • તે આપણને બળાપો કે હૈયાવરાળને કાઢવાની અને ગુસ્સો કે નફરતને ઓકી કાઢવાની સલાહ પણ આપે છે.
  • તેણે ‘સંપ ત્યાં જંપ’ અને ‘લોભને થોભ નહિ’ જેવાં કથનોમાં સમુચ્ચારીય શબ્દોની ભેટ પણ આપણને ધરી છે.
  • તેણે મુખ વડે ઉચ્ચારી શકાતા તમામ ધ્વનિઓ માટેના વ્યંજનો કે સ્વરો એટલા પૂરતા પ્રમાણમાં આપણને આપ્યા છે કે તેમને આપણે ગુર્જરી ગિરામાં વટથી લખી શકીએ.
  • વિશ્વની કોઈપણ ભાષા કે બોલીને આપણે ગુર્જરી લિપિમાં લખી નાખીને વાંચીએ તો આપણે જે તે ભાષા જ બોલતા હોઈએ તેવો આભાસ ઊભો થઈ શકે !  દા.ત. હાચીમીત્સ (જેપનીઝ)=મધ; પાનય (ચાઈનીઝ) = મધરાત
  • ગુર્જરી લિપિ એ અંગ્રેજીમાંની Phonetic Script કે લઘુલિપિ (Short Hand)ના સાંકેતિક ઉચ્ચારોનો વિકલ્પ બનવાની પૂરેપૂરી ક્ષમતા ધરાવે છે.
  • તેનામાં એટલી બધી સહિષ્ણુતા છે કે ઓછા વપરાતા, ન વપરાતા કે ગૂંચવાડો ઊભો કરતા કોઈ  વ્યંજનો કે સ્વરોનો  છેદ ઉડાડી દેવામાં આવે તો પણ તે ‘ઉફ્’ કરે તેમ નથી.
  • ‘બાર ગાઉએ બોલી બદલાય’, ‘પાશેરામાં પહેલી પૂણી’ કે ‘છાતી ગજગજ ફૂલવી’ જેવા રૂઢપ્રયોગોમાં વપરાતા જૂના તોલમાપના એકમોને મેટ્રિક પદ્ધતિમાં ફેરવી નાખવાનો તે કોઈ આગ્રહ રાખતી નથી !
  • જેમ  ઙ   (કઙઠ્ય)  અને ઞ (તાલવ્ય) અનુનાસિકો અને ‘દીર્ઘ ઋ’ ને કક્કા(મૂળાક્ષરો)માંથી ખદેડી કાઢવામાં આવ્યા તેમ શ. ષ, અને સ માંથી કોઈ એક અથવા ‘હૃસ્વ ઇ કે દીર્ઘ ઊ’ને જાકારો આપવામાં આવશે તો પણ આપણી ભોળી ગુર્જરી માવડી તો બિચારી એમ જ કહેશે કે ‘છોકરડાંઓ, તમને ઠીક લાગે તેમ કરો, પણ બિનનિવાસી ગુજરાતીઓ(NRG)ને  કહેજો કે તમારાં છોકરાં ભલે ગુગલીશ બોલે; પણ આટામાં નિમક હોય તે તો બરાબર છે, પણ નિમકમાં આટો હશે તો એવો રોટલો કોઈના ગળે ઊતરશે નહિ અને માનો કે એવા રોટલાને ગળા નીચે પરાણે ઉતારવામાં આવ્યો તો સમજી લેજો કે ઘરોનાં જાજરૂઓ બિલ્ડરોની ગેરંટીથી પણ વહેલાં ઊભરાઈ જશે, હા !!!’
  • આપણી ગુર્જરીએ અન્ય ભાષાઓના ટિકિટ, સ્ટેશન, તોપ, તમાકુ જેવા અસંખ્ય શબ્દોને ઉદારભાવે પોતાનામાં સમાવી લીધા છે, પણ… પણ અનધિકૃત (Off the record) વાત કહું તો,  જીવનની ઘણી બાબતોમાં અગ્રેસર ગામ (Lead Village) તરીકે ઓળખાતા અમારા કાણોદર ગામે તરતા મુકેલા કેટલાક ગુજરાતી શબ્દોની કોઈ નોંધ સુદ્ધાં લેતું નથી. નમૂના દાખલ કેટલાક શબ્દો આ પ્રમાણે છે : ફકીરિયું (ફકીર લોકો કડીવાળા ટમલરને પોતાના કાંડામાં ભરાવીને ભિક્ષા માગવા નીકળતા હોય છે તે), હેન્ડલિયું (ચા બનાવવા કે દૂધ ગરમ કરવા માટેનું હેન્ડલવાળું પાત્ર), સાફી (વાસણ, ટેબલ વગેરે સાફ કરવાનું કપડું), ઊહણું – જેમાં ‘હ’નો ઉચ્ચાર ‘વાહ’માંના ‘હ’ જેવો (બાળક્ની કે કૂતરાંબિલાડાંની વિષ્ટા-મળ લઈ લેવા માટેનું પૂંઠું કે પતરાનો ટુકડો), ઊગણું -(સાણસીના વિકલ્પે ગરમ વાસણ પકડવાનો કાપડનો કકડો), ઊખણું (તવીમાંથી રોટલી ઊપાડવા કે ફેરવવા માટેનું સાધન), વગેરે….
  • તે અજાયબીભર્યું દૃશ્ય જોતાં જ આપણને આપણાં આંગળાં કરડવાની સૂચના આપે છે.
  • તેણે પંડિતયુગના સાહિત્યકારો પાસે શેક્સપિઅરનાં અનુવાદિત કેટલાંક નાટકોનાં આવાં રમૂજી શીર્ષકો મુકાવ્યાં : Measure for measure (થાય તેવા થઈએ, તો ગામ વચ્ચે રહીએ !) ; Much Ado About Nothing (ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર !)
  • તેણે ઝવેરચંદ કાળીદાસ મેઘાણીજી પાસે ‘સૂના સમદરની પાળે’, ‘કોઈનો લાડકવાયો’ અને ‘વનરામાં ગલ રાતાં ફૂલડાં’ જેવાં કાવ્યો રૂપે અંગ્રેજીમાંથી મૌલિક રચનાઓ જેવા જ ભાવાનુવાદો કરાવ્યા કે જે મૂળ અનુક્રમે આ શીર્ષકોએ કાવ્યો હતાં : ‘On the bank of river Rhine’, ‘Somebody’s darling’  અને ‘Fair flowers in the valley’.

વાહ, માડી વાહ !

-વલીભાઈ મુસા 

 

Tags: , , , ,

(૪૧૪) ‘બ્લોગપ્રકાશને સજ્જતા’ ઉપર ભાવપ્રતિભાવ

‘વેબગુર્જરી’ બ્લોગ ઉપરના મારા ‘વલદાની વાસરિકા’ લેખશ્રેણી હેઠળના લેખ ‘બ્લોગપ્રકાશને સજ્જતા’ ઉપર આવેલા વિવિધ પ્રતિભાવોમાંનો એક પ્રતિભાવ મને યુ.એસ.એ. સ્થિત ભાઈશ્રી મનસુખલાલ ડી. ગાંધી તરફથી મેઈલ દ્વારા મળ્યો હતો. બ્લોગીંગ પ્રવૃત્તિમાં જે તે લેખો ઉપર વાચકોના અરસપરસ વાચકોવાચકો વચ્ચેના અથવા લેખક સાથેના સૌજન્યપૂર્ણ પ્રતિભાવોની જે આપલે થતી હોય છે તે એક સારી બાબત ગણાતી હોય છે. આપણે જોતા હોઈએ છીએ કે ઘણીવાર એવી રસપ્રદ ચર્ચાઓ જામતી હોય છે કે ત્રાહિત વાચકોને મૂળ લેખ કે કૃતિ કરતાં વિશેષ તો આવી ચર્ચાઓમાં મજા પડતી હોય છે. બ્લોગજગતમાં તો પ્રતિભાવો વાંચવાના શોખીનોનો એક ખાસ વર્ગ હોય છે. નિખાલસભાવે અને ખુલ્લા મને થતી આવી ચર્ચાઓથી જે તે વિષયની સારી છણાવટ થતી હોય છે અને અન્યોન્યનાં દૃષ્ટિબિંદુઓ જાણવા મળી રહેતાં હોય છે.

હવે આપણે મૂળ વાત ઉપર આવીએ તો શ્રી મનસુખભાઈએ ‘બ્લોગપ્રકાશને સજ્જતા’ વિષય ઉપર પોતાનો પ્રતિભાવ આ પ્રમાણે આપ્યો હતો : “આજરોજે ‘વેબગુર્જરી’ ઉપર તમારો ઉપરોક્ત લેખ વાંચ્યો. તમારી એક રીતે વાત બરાબર છે કે બ્લોગરો ઘણા થઈ ગયા છે અને તેઓએ આત્મમંથન કરવું જોઈએ. વળી તમને નથી લાગતું કે બ્લોગરો ભલે તેમને જે લખવું હોય તે લખે અને જેમને વાંચવું હશે તેઓ જ વાંચશે, અને નહીં વાંચે તેમની આપણે શા માટે ચિંતા કરવી….??? આ બહાને ગુજરાતી તો લખાતું રહેશે ને…??? આમ આ બહાને ‘ગુજરાતી’ પણ જીવતી રહેશે….આ કાંઈ પરીક્ષાનું પેપર થોડું જ છે કે જે લખાય તે બરાબર ચીપીચીપીને જ લખાવું જોઈએ ! દરેકે ‘ફરજિયાત’ વાંચવું અને ટિપ્પણી પણ ‘ફરજિયાત’ લખવાની… એવું થોડું હોય ??? જેમને પણ શોખ હોય તે લખે અને જેઓ લખે છે તે પણ ‘ગુજરાતી’માં જ ને ! પછી અફસોસ કે બળાપો શાને માટે…?.

બીજાઓ માટે ખોટી ચિંતા કરવાના બદલે, તમે જોરદાર લખતાં રહો; અમને ‘ગુજરાતી’ વાંચવાનું ગમે છે, તમારું લખાણ અમને ગમે છે અને અમે ચોક્કસ વાંચતાં રહીશું…..” (Mansukhlal D.Gandhi, U.S.A.)

મનસુખભાઈના ઉપરોક્ત પ્રતિભાવ સામેનો મારો પ્રતિભાવ કે ખુલાસો જે ગણો તે નીચે પ્રમાણે રહ્યો હતો :

“મનસુખભાઈના મેઈલ રૂપે આવેલા પ્રતિભાવને મેં પોતે જ અહીં કોમેન્ટ બોક્ષમાં એટલા માટે મૂક્યો હતો કે જેથી અન્ય વાચકો તેમના દૃષ્ટિબિંદુને પણ સમજી શકે. વળી એ જ પ્રતિભાવના મારા જવાબી પ્રતિભાવ માટે હું Reply હેઠળ આ લખાણ એટલા માટે લખી રહ્યો છું, કે જેથી ચર્ચાના વિષયનું સાતત્ય જળવાઈ રહે.

મનસુખભાઈનો મધ્યમમાર્ગી પ્રતિભાવ છે, જેમાં બ્લોગીંગ પ્રવૃત્તિમાંની બ્લોગરની સજ્જતાને નકારવામાં પણ આવી નથી કે તેને સમર્થન પણ આપવામાં આવ્યું નથી. અહીં દરેકે એ વિચારવાનું રહે છે કે હજારેક જેટલા જ બ્લોગરમિત્રો લાખો કે કરોડોની સંખ્યામાંના ગુજરાતી વાચકોને જ્યારે પોતાનું લખાણ પીરસતા હોય, ત્યારે લખાણની ગુણવત્તા તો જળવાવી જોઈએ કે નહિ ! આપણા ઘરમાંની ગૃહિણી કે ઘરકામ કરવાવાળી બાઈની દાઝેલા દૂધની ચા, ખામીયુક્ત રસોઈ, એઠાં રહી ગએલાં વાસણ કે વેઠ ઊતાર્યા જેવી કપડાંની ઈસ્ત્રી એ બધું ન ચલાવી લેતા હોઈએ તો અહીં તો ભાષાકીય ગંભીર બાબત છે.

મારા લેખમાં જોડણી અંગેની વાતને મેં આત્મપસંદગી ઉપર છોડી છે, પણ એ સિવાયની બાબતોમાં તો જાગરૂકતા હોવી જ જોઈએ ને ! શું આપણે વાક્યરચના કે વ્યાકરણની ભૂલોને પણ ચલાવી લેવા માગીએ છીએ ? શું આપણે અંગ્રેજી ક્રિયાપદોને પણ ગુજરાતી ક્રિયાપદોના વાઘા પહેરાવીશું ? શું આપણે ‘ઊંઘતો હતો’ને ‘સ્લીપતો હતો’ તેમ લખીશું ? શું આપણે અંગ્રેજી કે હિંદીમાં ગમે તેમ લખી શકીએ ખરા ? ગુજરાતી માટે અંગ્રેજીના જેવું Spellingની ઝડપી અને ખામીરહિત ચકાસણી માટેનું કોઈ સક્ષમ સોફ્ટવેર નથી; પણ માનો કે એવું કોઈ સોફ્ટવેર તૈયાર થાય તો પણ શું આપણે તેનો ઉપયોગ નહિ જ કરીએ ? વળી માનો કે આપણે તેનો ઉપયોગ કરવાના જ છીએ તો ભાષાશુદ્ધિનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો નહિ ગણાય ? દુનિયાના જે જે દેશોએ મેટ્રિક પદ્ધતિના તોલમાપનો સ્વીકાર કર્યો છે તેમના સાચાપણાના સ્વીકાર કે ખાત્રી માટે ઈટાલીના મ્યુઝિયમમાં પ્લેટિનમ ધાતુમાં એ બધા એકમોને નમૂના તરીકે મોજુદ રાખવામાં આવ્યા છે.

કોઈપણ ભાષાના શબ્દકોશ ભલે સંવર્ધિત થતા રહેતા હોય, પણ તેનું મહત્ત્વ તો ગણાતું જ રહેતું હોય છે. મારું તો માનવું છે કે શબ્દકોશોમાંથી જોડણીના નિયમોનાં પાનાં કાઢી નાખવાં જોઈએ. જે તે શબ્દની જોડણી ક્યા નિયમથી બની છે તેમાં ઊંડા ઊતરવાના બદલે જે તે શબ્દની જોડણી શબ્દકોશમાં જે છે તે છે જ એમ માની-મનાવી લેવું જોઈએ. ઉદાહરણ તરીકે અંગ્રેજી Station શબ્દમાં tioને ‘શ’ ગણવામાં આવ્યો છે, તો Tuition શબ્દમાં tioની આગળ વધારાનો ‘i’ અક્ષર છે તો છે જ અને તેને કેમ અને શા માટે એવી કોઈ વાત લાગુ પડશે જ નહિ. આ તો આપણું એવું વલણ ગણાય કે માસીએ તો સુઘડ કપડાં પહેરવાં જ જોઈએ, મા તો લઘરવઘર કે ફાટેલાં કપડાંમાં હોય તો પણ ચાલશે. અહીં ‘મા’ એટલે ‘માતૃભાષા’ અને ‘માસી’ એટલે ‘અન્ય ભાષા’ એમ સમજવું રહ્યું.

‘સાહિત્ય’ એ એક કલા છે અને તે અંગે ભવિષ્યે મારો એક લેખ આવશે, પણ અહીં હું એ કહેવા માગું છું કે જો ‘ચિત્રકામ’ને આપણે ‘કલા’ તરીકે સ્વીકારીએ તો ‘મોર’નું ચિત્ર ‘મોર’ જેવું લાગવું જોઈએ અને તો જ તેને બ્લોગ ઉપર મૂકી શકાય. હવે ‘મોર’ તરીકે પહેલી નજરે ઓળખાતું જ ન હોય તેવા કોઈ અણઘડ ચિત્રને આપણે બ્લોગ ઉપર મૂકીશું તો શું આપણે ચિત્રની નીચે એમ લખીશું કે ‘આ મોરનું ચિત્ર છે !’ ? હાલમાં અમદાવાદમાં ‘સપ્તક’ના કાર્યક્રમો ચાલી રહ્યા છે, તો શું જે તે કલાકાર તેમાં કોઈ છબરડા વાળે તો સામે બેઠેલા શ્રોતાઓ એ ચલાવી લેશે ખરા ?

આ બધી વાતોનો સારાંશ એટલો જ છે કે દુનિયાભરની ભાષાઓમાં બ્લોગ લખાય છે અને એ બધી ભાષાઓમાં જો તેમનાં ધોરણો જળવાઈ રહેતાં હોય તો શું ગુજરાતી માટે આપણે આઝાદ છીએ?”

આશા સેવું છું કે આ વિષય ઉપર હજુ પણ વધુ ચર્ચા થતી રહે. ધન્યવાદ.

– વલીભાઈ મુસા

 

Tags: , , , , , , , , ,

(૪૦૭-અ) જો માનો, તો બ્લૉગીંગ પ્રવૃત્તિ ગંભીર બાબત છે !

ગુજરાતી બ્લૉગરો પૈકી કેટલાક મિત્રો એવા છે કે જેઓ વિજ્ઞાન કે ટૅકનોલૉજિનું  જ જ્ઞાન કે ભણતર ધરાવતા હોવા છતાં આત્મસૂઝ અને સ્વયં સ્ફૂરણાથી સરસ મજાના વિવિધ ગુજરાતી સાહિત્યપ્રકારોનું સર્જન કરતા હોય છે. આવા મિત્રો જે કંઈ પ્રયત્નો કરતા હોય છે, તે સરાહનીય તો છે જ, પરંતુ તેમની એક મર્યાદા હોય છે કે તેઓ ભાષાકીય રીતે કાચા પડતા હોય છે. મેં ઘણા બ્લૉગ ઉપર સરસ મજાની ગઝલો જોઈ કે વાંચી છે, પણ એ ગઝલકારોએ શરૂઆતથી અંત સુધીમાં સોગંદ ખાવા પૂરતું એકેય વિરામચિહ્ન મૂક્યું નથી હોતું.  આવા બ્લૉગરોનું સર્જન ગુણવત્તાસભર હોવા છતાં તેની અભિવ્યક્તિની ખામીના કારણે વાચકોને આકર્ષી શકતું નથી હોતું. એવા મિત્રોએ નિ:સંકોચપણે એવા કોઈ ભાષાના નિષ્ણાતોને શોધી લેવા જોઈએ, કે જેઓ તેમનાં લખાણોને જાહેરમાં પ્રસિદ્ધ કરવા લાયક સ્વરૂપે મઠારી આપે; જેવી રીતે કે વેપારીઓ ટેક્ષ કન્સલટન્ટની સેવાઓ લેતા હોય છે, બસ તેમ જ !

ભાષા કે માનવજીવનમાં સઘળે બદલાવ શાશ્વત છે, તે સ્વીકાર્ય તો હોય જ; પણ એ બદલાવ ઊર્ધ્વગામી હોય, તે ઇચ્છનીય ગણાય. ગુજરાતી વ્યુત્પત્તિશાસ્ત્ર (etymology) પ્રમાણે શબ્દોમાં કાળક્રમે વૈજ્ઞાનિક ઢબે રૂપાંતરો થતાં રહ્યાં છે, જે મોટાભાગે સારા કે વધુ સારા તરફ આગળ વધતાં હોય છે; તેમાં પીછેહઠ નથી હોતી. ઉદા. વાપિ > વાવિ > વાવ;  મિષ્ટ > મિટ્ઠ (ટ્ + ઠ) > મીઠું; ઘૃતમ્ > ઘિઅં  > ઘી; અષ્ટ > અટ્ઠ (ટ્ + ઠ) > આઠ. આ કેટલાંક ઉદાહરણો જોતાં ખ્યાલ આવશે કે જે તે સમયે લોકો જ પોતાની મેળે શબ્દોમાં બદલાવ લાવ્યા હોય છે. લોકો ઉચ્ચારોમાં સરળતા લાવતા જતાં  હાલના પ્રચલિત શબ્દો સુધી પણ આપણે આવ્યા છીએ. આમાં વૈજ્ઞાનિક અભિગમ છે.

શિયાળ ઊંચાઊંચા ઠેકડા મારવા છતાં દ્રાક્ષ સુધી પહોંચી ન શકે, ત્યારે તેણે સ્વીકારી લેવું જોઈએ કે દ્રાક્ષ તેની પહોંચની બહાર છે; પરંતુ પોતાનું મન મનાવવા ‘દ્રાક્ષ ખાટી છે’ એમ બોલીને ચાલતી પકડે, તે તો જાતને છેતર્યા બરાબર ગણાય ! જોડણીની ભૂલોમાં ઊંઝકોની એક ‘ઈ-ઉ’વાળી વાતને સ્વીકારીએ કે ન સ્વીકારીએ, પણ અન્ય પ્રકારની અક્ષમ્ય ભૂલોને ચલાવી લેવાનું વલણ ભાષા માટે ઘાતક પુરવાર થઈ શકે. ‘મેં કેળું ખાધું.’, ‘હું કેળું ખાધું’, ‘હુંએ કેળું ખાધું.’, ‘મી કેળું ખાધું.’, ‘મીં કેળું ખાધું.’. આમાં વળી ‘કેળુ’, ‘ખાધુ’ અને ‘ખાયું’ કે ‘ખાયુ’ પણ આવી શકે. આ બધી રીતોએ લોકો વડે બોલાતા એ જ વાક્યને ભલે આપણે બોલવા દઈએ. વાણી એ અભિવ્યક્તિનું માધ્યમ છે, જેને જેમ ફાવે તેમ બોલે; ગમે તે રીતે વિચારવિનિમય તો થશે જ, સામેવાળો સમજી પણ લેશે. મૂંગો માણસ પણ ઈશારાઓથી પોતાની વાત સમજાવે તો છે જ ને !  પરંતુ એ જ વાક્યને જ્યારે લખવાનું આવે; ત્યારે લખનારે, જો તે શિક્ષિત હોય તો, ‘મેં કેળું ખાધું’ એમ જ લખવું જોઈએ. ‘કેળુ’ માં અનુસ્વાર કે જોડણીની ભૂલ હોઈ તેને ‘ઊંઝકો’ પણ સ્વીકારશે નહિ; આમ છતાંય આપણે એ શબ્દને બાજુ પર રાખીએ, તો પણ પેલાં કર્તાવાચક સર્વનામોનું શું કરીશું ! કોઈપણ માતૃભાષા વ્યાકરણથી શીખાતી નથી, સાંભળીને જ શીખાય છે. અહીં માતા બાળકને વ્યાકરણનો એવો કોઈ નિયમ શીખવતી નથી કે સકર્મક ક્રિયાપદ ભૂતકાળમાં હોય, તો કર્તાને ત્રીજી  વિભક્તિનો ‘એ’ પ્રત્યય લાગે. કર્તા તરીકે (રમેશ) નામ હોય, તો  ‘રમેશે’ લખાય; અહીં ‘હું’ સર્વનામ છે, એટલે નિયમની રીતે તો ‘હું’એ થાય, પણ બોલચાલમાં તો ‘મેં’ (જેમાં ‘હું’એ = ‘મેં’ જ છે !) જ વપરાય છે અને તેને જ ભણેલા કે શહેરી માણસો પ્રયોજતા હોય છે.

કોઈ માણસ કોઈના ઉપર ગુસ્સે થઈને મૌખિક રીતે જે ગાળો ભાંડે, તે જ ગાળોને પોસ્ટકાર્ડમાં લખીને સામેવાળાને મોકલી આપે તો તેણે પેલાને ગાળો ભાંડ્યા હોવાની લેખિત સાબિતી આપી ગણાય. મૌખિક બોલાએલી ગાળો હવામાં શમી જશે, પણ પેલી લેખિત ગાળોને તો પેલો બીજાઓને વંચાવતો ફરશે અને પોતે પણ વાંચતો રહેશે અને પોતાની માનહાનિને સરભર કરવા પોતે બદનક્ષીનો દાવો પણ ઠોકી શકે ! કહેવાનું તાત્પર્ય એ છે કે માણસે કંઈપણ અશોભનીય લખાણ લખતાં પહેલાં સત્તર વખત વિચારી લેવું જોઈએ, બસ તેમ જ અશુદ્ધ લખાણ લખતાં પહેલાં માણસે એક વાર તો વિચારવું જ જોઈએ. માણસ નાનું હોય કે મોટું હોય પણ તેણે, જો તેને માતૃભાષા પ્રત્યે સાચો પ્રેમ હોય તો, સાચું લખવાનો પ્રયત્ન તો કરવો જ રહ્યો. મારા ગામમાં એક નાના દુકાનદારે પાટિયા ઉપર ગુજરાતીમાં ‘રેડીમેન્ટ ગારમેન્ટ’ લખ્યું છે તે જો મને ખટકતું હોય, તો મને ‘આટો દળવાની ઘંટી’ લખેલું પણ ખટકવું જોઈએ. પણ ના, ‘એ તો ભાઈ આટો દળવાનું’ બોલવાનું રૂઢ થઈ ગયું છે, એટલે એ તો ‘બદલાવ’ થયો ગણાય ! આટાને પણ દળીને કદાચ મેંદો  બનાવવામાં આવતો પણ હોય !  એવું તો ઘણુંય ખોટું બોલાય છે; જેમ કે, ‘ઘઉં વીણવા (કાંકરા નહિ, હોં કે!) વગેરે’.

હું બ્લૉગર તરીકે દ્વિભાષી – Bilingual (ગુજરાતી-અંગ્રેજી) લેખક છું. મારી ચોકસાઈ બંને ભાષાઓ માટે સરખી હોવી જોઈએ. હવે હું અંગ્રેજી માટે સો સો વખત લેક્સિકોનને ફંફોસતો હોઉં, તો ગુજરાતી માટે પણ મારે તેમ જ કરવું જોઈએ. પણ ના, એ તો ગુજરાતી છે, શું-શાં છે, ભાષા તો પરિવર્તનશીલ છે, સામેવાળો સમજે એટલે પત્યું, પાડી-પાડાનું જાણીને શું કામ છે – ભેંસમાલિકે બળી મોકલી એ જ આપણા માટે મહત્ત્વનું, આવી બચાવપ્રક્રિયા (Defence Mechanism)ની ઓથ લઈને હું મન ફાવે તેમ લખ્યા કરું અને પછી ઢોલ પીટીને  લોકો આગળ ગીત ગાતો ફરું કે ‘મને ગુજરાતી પ્રત્યે પ્રેમ છે, પ્રેમ છે, પ્રેમ છે !’ તો તે કેવું વિરોધાભાસી લેખાશે ! માફ કરજો; મિત્રો, અહીં હું મારી જાત ઉપર આ બધાં દોષારોપણો સ્વેચ્છાએ લઈ લઉં છું. મારો પોતાનો પણ એવો કોઈ દાવો નથી કે મારાં લખાણોમાં કોઈ ભૂલો હોય જ નહિ, મારી પણ અસંખ્ય ભૂલો હોઈ શકે છે. મારા ગુજરાતી સાથેના એમ.એ. (Dropped) સુધીના અભ્યાસકાળ અને હાલના સમયની વચ્ચે મારી ધંધાકીય વ્યસ્તતાના કારણે અડધી સદી પસાર થઈ ગઈ હોઈ  ઘણું વિસારે પડ્યું પણ હોય ! આ  કારણે જ તો મેં વેગુના લેખોનું પ્રથમ પ્રુફરીડિંગ જ સ્વીકાર્યું છે, બીજી ચાળણી જુગલભાઈની લાગતી હોય છે. હજુ હું પણ ‘ઇચ્છા’, ‘ઇજનેર’ જેવા શબ્દો ટાણે અવઢવમાં રહેતો હોઉં છું અને મારાં લખાણોમાં હું ‘મરજી’ કે ‘એન્જિનિયર’થી કામ કાઢી લેતો હોઉં છું. પરંતુ અન્ય લેખકના લખાણના પ્રુફરીડિંગમાં હું શબ્દ બદલી ન શકું અને તેથી જ હું અસંખ્યવાર ‘સ્વ. રતિકાકા’ના શરણે જતો હોઉં છું.

હું જ્યારે કોઈ લખાણ ડ્રાફ્ટ કરતો હોઉં છું, ત્યારે મારા કોમ્પ્યુરના છેક નીચેના ભાગે ગુજરાતી લેક્સિકોનને Minimize કરેલું માઉસવગું રાખતો જ હોઉં છું. આપણા જમાનામાં શિક્ષકો આપણને ભણાવતા હતા અને આપણે તેમની સામે બેસી રહીને માત્ર સાંભળ્યા કરતા હતા અને એ અર્થમાં આપણે સંપૂર્ણત: પરાવલંબી હતા. આજે ભણતરની પદ્ધતિઓ બદલાઈ હોઈ વિદ્યાર્થીઓ સ્વાધ્યાય પદ્ધતિથી ભણે છે. આપણે બ્લૉગરોએ પણ સ્વાધ્યાય કરતાંકરતાં ઉત્તરોત્તર પ્રગતિ કરતાં રહેવું જોઈએ. મારું માનવું છે કે જો આપણું લખાણ દોષરહિત કરવાની આપણી નિષ્ઠા હશે તો બધું જ શક્ય છે. આપણે આપણા લેખને બ્લૉગ ઉપર મૂકવા પહેલાં બેત્રણ વખત વાંચી જઈશું, તો પણ આપણને આપણી ઘણી ભૂલો મળી આવશે જ. મિત્રો, મારા શબ્દો આકરા પડે તો માફ કરશો; પરંતુ હું કહીને જ રહીશ કે જો ભાષાસુધારણાની આપણી દાનત જ ન હોય, તો આપણે બ્લૉગીંગ પ્રવૃત્તિને નવ ગજના નમસ્કાર કરી લેવા જોઈએ. ગમે તેવું ઘસડી કાઢીને અને તેને બ્લૉગ ઉપર મૂકી દઈને વાચકો અને એમાંય ખાસ તો ભણતાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને અવઢવમાં નાખીને તેમને ભાષાકીય શુદ્ધતાની બાબતમાં ગેરમાર્ગે દોરવાનો આપણને કોઈ અધિકાર નથી.

ભાષાશુદ્ધિના વ્યવહારુ ઉપાયોમાં અહીં એક સામાન્ય નુસખો આપ મિત્રોને બતાવવા માગું છું. ગુજરાતી આપણી માતૃભાષા હોઈ એક જ શબ્દના અનેક વૈકલ્પિક શબ્દોને આપણે જાણતા હોઈએ છીએ. જોડણીની શંકાકુશંકા ન રહે તેવો શબ્દ આપણે પ્રયોજીએ તો ઘણી ભૂલો નિવારી શકાય. ઉદા. ‘કોશિશ’ના બદલે ‘પ્રયત્ન’, ‘શુશ્રૂષા’ના બદલે ‘સારવાર’, ‘હોસ્પિટલ’ના બદલે ‘દવાખાનું’, ‘વૈજ્ઞાનિક’ના બદલે ‘વિજ્ઞાનશાસ્ત્રી’, ‘કિંમત-કીમત’ના બદલે ‘ભાવ’, ‘હોશિયાર’ના બદલે ‘ચાલાક-ચતુર’, ‘દુનિયા’ના બદલે ‘જગત’, ‘શ્વસુર’ના બદલે ‘સાસરો-સસરો’ લખી શકાય.

આપણા ગુજરાતી બ્લૉગરોના હળવેથી કાન આમળતો (જેમાં મારો કાન પણ આમળવામાં આવ્યો છે, તેમ સૌએ માનવાનું રહેશે !) એક લેખ ‘વલદાની વાસરિકા’ ઉપર ટૂંક સમયમાં આવશે જ, એટલે રસભંગ ન થાય તે હેતુએ એ અંગે હું મૌન સેવું છું; પરંતુ તેના ઉપસંહારરૂપે એક વાત અહીં જણાવીશ કે જો ગુજરાતી બ્લૉગીંગ પ્રવૃત્તિ આમ ને આમ નવાં દશેક વર્ષ સુધી ચાલુ રહી તો આપણાથી જ ગુજરાતી ભાષાનું ધનોતપનોત નીકળી જશે ! એમ કહેવાય છે કે ‘કમજોરને ખૂબ ગુસ્સો આવે !’ અને તેથી જ કોઈ મિત્રોને થોડાક ગુસ્સે કરવાનું સાહસ કરીને પણ કહીશ કે આજકાલ બ્લૉગર એ નેટજગતના બાદશાહ જેટલી નિરંકુશ સત્તાઓ ભોગવી રહ્યો છે. આપણે આ લેખના વિષયના સંદર્ભમાં જ વિચારીએ તો આપણું કોઈ રણીધણી નથી. આપણે મન ફાવે તે લખી શકીએ છીએ, મન ફાવે તેમ લખી શકીએ છીએ; કારણ કે આપણે પોતે જ આપણા લેખના લેખક હોઈએ છીએ, આપણે પોતે જ તેના સંપાદક હોઈએ છીએ અને તેના પ્રકાશક પણ આપણે જ હોઈએ છીએ. વળી કોઈ આકળો પ્રતિભાવક પોતાના પ્રતિભાવમાં રોકડું પરખાવે તો  તેને રદ (Delete) કરવાનો અધિકાર પણ આપણા જ હાથમાં  હોય છે ! અન્ય શબ્દોમાં કહીએ તો આપણે સરમુખ્યતાર હોઈએ છીએ, જેમ કોઈ શાસક ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્રને પોતાના જ અંકુશ હેઠળ રાખતો હોય ! મારી આ કઠોર વાતને હવે સાવ હળવી રીતે નીચેના એક ઉદાહરણથી સમજાવીશ.

સાડીઓના કે એવા કોઈ ડ્રેસ મટિરિઅલના વેચાણ (Sale) માટેની અખબારના પાના ઉપર એક જાહેરાત હતી કે ‘ફલાણી રૂ. ૫૦૦/- ની વસ્તુ રૂ. ૫૦/– માં, ઢીંકણી રૂ. ૭૦૦/- ની વસ્તુ પણ માત્ર રૂ.  ૫૦/- માં; પૂંછડી રૂ. ૧૫૦૦/- ની વસ્તુ પણ માત્ર અને માત્ર રૂ. ૫૦/- માં જ. મારો માલ છે, મને કોણ પૂછનાર છે કે હું મારો માલ આટલો સસ્તો કેમ આપું છું ! આ મારો માલ છે; એને હું દરિયામાં પધરાવું, એને હું દીવાસળી ચાંપું કે પછી મફતમાં લુંટાવી દઉં ! છે કોણ માઈનો લાલ, મને પૂછવાવાળો ?’

મિત્રો, સાનમાં સમજો તો સારું છે, (અત્રે) માફકસરનું લખાણ ન્યારું છે !!! ધન્યવાદ.

– વલીભાઈ મુસા

 

Tags: , ,

(૪૦૪-અ) એબ્સર્ડ એટલે … ?

એબ્સર્ડ એટલે … અસંગત, હાસ્યાસ્પદ કે વાહિયાત !!!

વિવિધ કલાઓમાં ‘Absurd – કલાપ્રકાર’ એવું સ્પષ્ટ ઓળખનામ ભલે આધુનિક સમયગાળાની નીપજ હોય, પણ અનામી રીતે આ કલાતત્ત્વ તો પ્રાચીનકાલીન વિશ્વભરની ભાષાઓનાં સાહિત્યો કે અન્ય કલાઓમાં પૂર્ણ કે આંશિક સ્વરૂપે જોવા મળી જ રહે છે. આપણા આજના વિષયમાં Absurdની વિચારધારાને મહદ અંશે સાહિત્યકલાના સંદર્ભે અને અંશત: કોઈ અન્ય કલાના વાયરે ચઢી જાઉં તો તે અન્વયે, કહેવા પૂરતા બે શબ્દોએ, આપ સૌ વેગુજનો સમક્ષ  હળવી શૈલીએ શબ્દો ઉછાળવા “બંદા ‘વલદા’ હાજિર હૈ |” !

ગૂગલભોમિયાની આંગળી પકડીને આપને એવાં કોઈ એબ્સર્ડ નાટક કે વાર્તાથી પરિચિત કરાવીને ‘એબ્સર્ડ’ શબ્દથી અવગત કરાવી તો શકું; પણ ના, હું તેમ ન કરતાં હું  કાલ્પનિક એવા કોઈ નાટકના એકાદ એબ્સર્ડ નાટ્યાંશને વર્ણવતો જતો તેમાં આપ સૌને પણ સામેલ કરતો રહીશ અને પરોક્ષ રીતે ‘એબ્સર્ડ’ શબ્દને વગર પાણીએ આપના ગળા નીચે ઉતારવા માટે મદદરૂપ થવાનો પ્રયત્ન કરીશ. મારાથી ક્યાંક ઊંટના ચિત્રમાં તેના માથે શિંગડાં ઉમેરાઈ જાય તો મને દરગુજર કરશો, એવી હું અપેક્ષા રાખું છું. મને આશા જ નહિ, પણ આપ સૌમાં વિશ્વાસ પણ છે કે આપ મારી ઉપરોક્ત અપેક્ષાની ઉપેક્ષા તો નહિ જ કરો !

ગ્રામ્ય વાતાવરણની પૃષ્ઠભૂમિમાં આપ સૌ સરસ મજાનું કૃષિજીવનને સ્પર્શતું એક સામાજિક નાટક જોવા માટે આપની બેઠકે બિરાજમાન છો. પહેલા જ અંકના પહેલા જ દૃશ્યમાં નેપથ્ય ઊંચકાય છે અને નાટકનાં તે દૃશ્યમાંનાં પાત્રો પોતપોતાના સ્થાને ઊભેલાં કે બેઠેલાં આપને દેખાય છે. એ પાત્રોભેળું અન્ય એક એવું વયોવૃદ્ધ ખેડૂતનું પાત્ર છે કે જે રંગમંચની પ્રેક્ષકો તરફની છેવાડી ધારીની લગોલગના પહેલા પડદાને અડીને ગોઠવાએલા પોતાના ખાટલામાં પ્રભુનામની માળા ફેરવતું કે ચલમની ફૂંકો મારતું દેખાઈ રહ્યું છે. હવે નાટકનાં પેલાં સક્રીય પાત્રો તો પોતપોતાના સંવાદો થકી નાટક ભજવ્યે જ જાય છે. વચ્ચેવચ્ચે  આપની નજર પેલા ખેડૂત તરફ જાય છે અને આપ તેના તરફના કોઈ સંવાદને સાંભળવાની પ્રતીક્ષા કરી રહ્યા છો. નાટકનો પહેલો આખોય અંક પૂરો થઈ જાય છે, પણ પેલો ‘કાકો’ પોતાના ભાગે આવેલા મૂક અભિનયને ન્યાય આપતો જ રહીને તેના કોઈક સંવાદોને સંભળાવવા માટે આપ સૌને તલસાવી રહ્યો છે ! નાટકનો બીજો અંક શરૂ થાય છે. પડદો ઊપડતાં જ પેલો કાકો વળી પાછો માળા ફેરવતો અથવા ચલમ ફૂંકતો કે તેવો અભિનય કરતો હાજર જ હોય છે. બીજો અંક પણ પૂરો થાય છે. કાકો આપને જાણે કે એવી આશા બંધાવતો જાય છે કે તેનો બોલવાનો સમય હજુ આવ્યો ન હોઈ પોતે ભલે ચૂપ હોય પણ યથાસમયે તે એવું કંઈક બોલી બતાવશે કે જે નાટકને કોઈક નવી જ દિશામાં લઈ જશે ! પણ અફસોસ, એવું કંઈ થતું નથી !

હવે મધ્યાંતર પછી પડદો ઊંચકાતાં તેની મૂળ જગ્યાએ માત્ર ખાટલો જ દેખાય છે. હવે આપ મનોમન એમ ધારી બેસો છો કે પેલો ‘કાકો’ ફરી વાર રંગમંચ ઉપર આવશે જ, કેમ કે ખાટલો મોજૂદ છે ! જો એ પાત્ર ફરી વાર ન જ આવવાનું હોય, તો નાટકનો દિગ્દર્શક પેલા ખાટલાને ત્યાં મુકાવે નહિ; અને આમ, નવીન એક અંક પૂરો થઈ જાય છે, પરંતુ કાકાને ન આવવા માટેનું કારણ આપ કલ્પી લ્યો છો કે કાકો કાં તો ચાલુ નાટકે બીમાર થઈ ગયો હોવો જોઈએ અથવા જાજરૂ(ર)ની હાજત થતાં એ કામ પતાવવા જતો રહ્યો હોવો જોઈએ, પણ તે જરૂર પાછો ફરશે જ ! નાટકના એ અંક દરમિયાન ખાટલો ખાલી જ રહે છે. વળી પાછા નવીન અંકના મધ્ય ભાગે પેલો કાકો પ્રેક્ષકોની ખુરશીઓ વચ્ચેથી પસાર થતો અને આપને ખડખડાટ હસાવી દેતો રંગમંચ તરફ ગંભીર મુદ્રાએ જઈને પોતાના ખાટલામાં બેસી જાય છે. વળી પાછો પોતાને ફાળવેલા મૂક અભિનયના કામે લાગી જાય છે. પેલાં નાટકનાં પાત્રો તો તેમનું કામ કર્યે જ જાય છે, નાટક તેની પરાકાષ્ઠા તરફ આગળ વધતું જાય છે. છેવટે નાટક પૂર્ણ થયાની ઘોષણા થાય છે, પડદો પડે છે અને આપ રંગમંચના પડદાના જે ખૂણે ખાટલા અને ખાટલાસ્થિત કાકાને આખા નાટક દરમિયાન વેંઢાર્યે  રાખ્યો છે તે દિશામાં જોતાંજોતાં Exit ના દરવાજા તરફ આગળ વધતા રહો છો ! આપને એમ થાય છે કે ‘મારો વાલીડો કાકો છેવટ સુધી ન બોલ્યો તે ન જ બોલ્યો ! ભલે, એ ન બોલ્યો અને કોથળામાંથી ભલે બિલાડું પણ ન નીકળ્યું, પણ (કાકો હોવા છતાં, તમારાથી બોલી જવાય છે !) મારા બેટાએ આપણને છેક સુધી લોલીપોપ બતાવ્યે જ રાખી !!!

આ તો થઈ નાટકની વાત, પણ હવે આપને એક એવી એબ્સર્ડ કલાની વાત કહેવા જઈ રહ્યો છું કે જે પેલી ચોસઠ કલાઓમાં આવે છે કે કેમ, કે પછી તેને પાંસઠમી કલા ગણવી તેનો નિર્ણય તો આપ સૌએ જ કરવો રહ્યો ! મારા એક જિગરી મિત્રના જિગરી મિત્ર કંઈક ફાઈન કે સાદી (!) આર્ટનું ભણેલાગણેલા કુશળ ચિત્રકાર હતા. તેમણે મારા મિત્રને તેમનું ઉત્તમોત્તમ તૈલચિત્ર પણ ભેટ આપેલું અને તેમની ગેરહાજરીએ અમે બંને તેમના મહેમાન બનીને અમારી માગણીથી તેમનાં પત્નીના હાથના બાજરીના રોટલા પણ આરોગેલા ! ખેર, આ  તો જરા આડવાત થઈ ગઈ. તેમણે એક વખતે અમદાવાદના એલિસબ્રિજની નીચે રેતીના પટમાં દર શુક્રવારે ભરાતી ગુજરીની મુલાકાત લીધી હતી. એક હાથલારીમાં તેમણે લોખંડનો ભંગાર ભરેલો જોયો કે જેમાં છત્રીના સળિયા, લોખંડની ખિલાસરીના ટુકડા, પતરાનાં ડબલાં અને એવી જૂનીપુરાણી પરચુરણ ચીજવસ્તુઓ હતી. તેમની કલાકાર નજરને આડેધડ ગોઠવાએલી એ ભંગાર કલાત્મક રીતે ગોઠવાએલી દેખાઈ અને એ જમાનાના પચીસપચાસ રૂપિયામાં તેમણે એ ભંગારનો સોદો કરી લીધો હતો. ભંગારની ગોઠવણીને એમની એમ જ રાખીને તેમણે લારીને વેલ્ડિંગવાળાને ત્યાં લઈ જઈને આખા સ્ટ્રક્ચરને એમ ને એમ જ રેણાવી દીધું હતું. અજીબોગરીબ એવી આ કલાકૃતિને પોતાના ઘરે લઈ ગયા પછી તેના ઉપર ઓઈલપેન્ટનું રંગરોગાન કરીને તેમણે પોતાની એ એબ્સર્ડ કલાકૃતિને એક પ્રદર્શનમાં મૂકી દીધી હતી. આ એબ્સર્ડ કલાકારની એબ્સર્ડ કલાકૃતિને ખરીદનારા એક એબ્સર્ડ ગ્રાહક મહાશય પણ મળી ગયા અને એ કલાકૃતિના એ વખતના ભારતના રાષ્ટ્રપતિના માસિક પગાર રૂ|.૧૦,૦૦૦/- અંકે રૂપિયા દસ હજાર પૂરા જેટલી રકમ ચૂકવીને હોંશેહોંશે પોતાના ઘરે લઈ ગયા હતા. પોતાના બંગલાના બેઠકખંડમાં કાચના મોટા શોકેસમાં રાખીને તેમણે પોતાના કોણ જાણે કેટલા એબ્સર્ડ મહેમાનોને રાજીના રેડ કરી દીધા હશે, જેની આપણે એબ્સર્ડને ન સમજી શકનારા ઢબુ પૈસાના ‘ઢ’ જેવા કલાપારખુઓએ માત્ર કલ્પના જ કરવી રહી !

માત્ર સાહિત્ય કે તેના નાટક, વાર્તા, કાવ્ય, ગઝલ, નિબંધ જેવા વિવિધ પ્રકારો જ નહિ, પરંતુ કલાજગતની અન્ય કલાઓ પણ એબ્સર્ડ સર્જનોનોથી માલામાલ છે. એબ્સર્ડ પેઈન્ટીંગ્ઝ હોઈ શકે, એબ્સર્ડ શિલ્પ (Sculpture) હોઈ શકે, એબ્સર્ડ ડ્રોઈંગ હોઈ શકે, એબ્સર્ડ કાષ્ઠકલા હોઈ શકે; અરે, જીવતાજાગતા એબ્સર્ડ માનવીઓ પણ હોઈ શકે ! મારી એબ્સર્ડની સર્વાંગ સંપૂર્ણ વ્યાખ્યાની જાળી (Net)માં શોધખોળ દરમિયાન મને એવું લાગ્યું કે એ  વ્યાખ્યાઓ ખુદબખુદ જ એબ્સર્ડ છે અને અનાયાસે અચાનક મારા મનમાં Non-absurd આ વ્યાખ્યા ઊગી નીકળી : ‘જે કલાને ભોક્તા સમજી ન શકે અને સર્જકે ભોક્તાને તેને સમજાવવા માટે મથામણ કરવી પડે તેને જ તો વળી એબ્સર્ડ કલા કહેવાય !’ વળી ઉપરાઉપરી ‘ઉત્તમ પ્રકારની એબ્સર્ડ કલા’ માટેની પણ મને બીજી વ્યાખ્યા મળી ગઈ કે “એવી કલા કે જેને સર્જકે ભોક્તાને હાથ જોડીને માફી માગતાં કહેવું પડે કે ‘સોરી, મને ખુદને જ ખબર નથી કે મેં શું સર્જ્યું છે !’ તેને જ મને કે કમને ‘ઉત્તમ પ્રકારની એબ્સર્ડ કલા’ તરીકે સ્વીકારી લેવી પડે !’

મારા વાંચવામાં આવેલી કોઈક પ્રયોગશીલ હાર્મનિકા કે જેને આપણે નવલિકાની આંગળિયાત બહેન સમજવી પડે, તેમાં કંઈક પાનકોર નાકા, પાનાચંદ શેઠ (કે ગુમાસ્તા !) અને પાન ચાવવા જેવા પુનરાવર્તિત શબ્દોની તાલબદ્ધ ગોઠવણીએ બનેલાં વાક્યોની એવી માયાજાળ હતી કે તેને સમજવા માટે માથામાં ખંજવાળતા જતાં ટાલ પાડી જાય ! સ્મૃતિદોષના કારણે અહીં મારી કોઈ ભૂલ થતી હોય તો આપ મારા વતી આપના પોતાના કાન પકડીને મને પ્રતિભાવમાં જણાવી દેજો કે ‘તમે કહો છો તે હાર્મનિકાની શબ્દગૂંથણી આમ નહિ, પણ આમ હતી !’ મને એટલું તો યાદ છે કે ભલે અસંબદ્ધ પણ એ હાર્મનિકામાં આખાં વાક્યો તો આવતાં હતાં, પણ અહીં હું આપને સાવ મફતમાં એક એવી જેને આપ વાર્તા, લેખ કે નિબંધ એવું ગમે તે નામ આપી શકો તેવી સરસ મજાની એબ્સર્ડ રચના રચતાં શીખવી દઉં ! કોઈ પણ દિવસના સમાચાપરપત્રના એકાદ પાના ઉપરના કોલમ પ્રમાણેના લખાણને ઉપરથી નીચે ન વાંચતાં જમણી બાજુ તરફ વધતા જઈને બધાં કોલમોમાં જે કંઈ લખાણ આવતું જાય તેને લખી નાખો. બસ, આ તમારી એબ્સર્ડ રચના થઈ ગઈ સમજી લો ! બગડી ગએલા રેડિયોમાં બે સ્ટેશન એકસાથે પકડાઈ જતાં જેમ તમને આવું સાંભળવા મળે કે  ‘આ આસનમાં તમારા બંને પગ દીવાલને લગતા ઊંચા, બંને હાથની હથેળીઓ જમીન ઉપર અને માથું ખાંણિયામાં નાખીને તેને બરાબર છૂંદી લીધા પછી એ છૂંદામાં મનગમતા મસાલા ભેળવીને એ રીતે તમે શીર્ષાસન કરી શકશો!’, બસ તેવી જ રીતે અહીં આપની એબ્સર્ડ રચનાને આપના વાચકો માણી નહિ શકે તો આપને જાણી તો જરૂર લેશે કે આપે કોઈક મનોચિકિત્સાલયની પથારીમાં બેઠાબેઠા આ બધું લખી દીધું છે !

લેખસમાપન પૂર્વે, આપનાં અનુગામી શિશુઓ (Child Successors)ને થોડાંક એબ્સર્ડ ચિત્રો શીખવી દેવાની મારી ધગશને ન્યાય આપી દઉં. તેમણે તેમના ચિત્રકલાના શિક્ષકને કાળી સ્લેટમાં ‘રાત્રિ’ લખેલું, લીલી સ્લેટમાં ‘હરિયાળી’ લખેલું અને સફેદ કાગળમાં ‘દિવસ’ લખેલું Instant Coffee ની જેમ બતાવી દેવાનું છે !

હું છેલ્લેછેલ્લે આ લેખમાં વિષયને આનુષંગિક મારી એક વાર્તા ‘ML GRGOV’ (સાંકેતિક શીર્ષક)’નો લિંક આપીને પગપેસારો કરી લઉં છું ! બકાલાની ખરીદીમાં મફતનાં મળતાં કોથમીર કે મરચાં (જો કે ગૃહિણીઓએ આજકાલ આવી વ્યર્થ આશા રાખીને નિરાશાને આમંત્રણ ન આપવું જોઈએ !) તોલમાપમાં આવે નહિ; તેમ મારી એ વાર્તાને આપ મારા અગાઉના લેખના શીર્ષક ‘કૌંસની બહાર’ શબ્દો સાથે સામ્ય ધરાવતા ‘લેખની બહાર’ શબ્દોએ ગણી-ગણાવીને, વાંચી-વંચાવીને, આનંદ લૂંટી-લૂંટાવીને, ‘એબ્સર્ડ’નો અર્થ સમજી-સમજાવીને, જ્ઞાનમાં વૃદ્ધિ કરી-કરાવી લેશો તેવી અભ્યર્થનાસહ હું અત્રેથી વિરમું છું. જય હો !

-વલીભાઈ મુસા

 

Tags: , , ,

(૪૦૩) ગુજરાતી ભાષાનું ભવિષ્ય .. એક ચિંતન – દિદાર હેમાણી (અક્ષરનાદ) – મારો પ્રતિભાવ (૨)

મૂળ લેખ : ગુજરાતી ભાષાનું ભવિષ્ય .. એક ચિંતન – દિદાર હેમાણી  (ક્લિક કરો)

મારો પ્રતિભાવ (૨) 

*દીપકભાઈ,

મને આશા હતી જ કે આપણે અહીં ભેગા થઈશું અને થયા પણ ખરા. ઘડીભર માની લઈએ કે આપણે ઊંઝકોની ઈ-ઉ, શ, ષ, સ કે અનુનાસિક વ્યંજન/અનુસ્વાર કે બીજું જે કંઈ હોય તે બધું અપનાવી લઈએ છીએ; પરંતુ વ્યાકરણ, વિરામચિહ્નો અને કેટલાક વિશિષ્ટ દોષોનું શું ? નેટપ્રસારના કારણે આમપ્રજાનું ગુજરાતીમાં લખવાનું પ્રમાણ ઘટ્યું છે. ગુજરાતીમાં લખવાનું હવે શાળાકોલેજોમાં ભણતાં વિદ્યાર્થી-વિદ્યાર્થીઓ, સાહિત્યસર્જકો, અખબાર-સામયિકો અને બ્લોગર્સ પૂરતું સીમિત થઈ ગયું છે. વિદ્યાર્થીઓની ભાષાભૂલોને જોવાવાળા શિક્ષકો-અધ્યાપકો છે, સાહિત્યસર્જકો અને અખબાર-સામયિકોવાળાઓ પાસે પ્રુફરીડર્સ છે; જ્યારે બ્લોગર્સ ઉપર ભૂલસુધારનું કોઈ નિયંત્રણ નથી. હું પોતે પણ બ્લોગર છું અને બધાયના ભેળો હું પણ ભળીને આપણા બ્લોગર્સ વિષે, સૌ જાણે છે એટલે કહેવામાં વાંધો નથી, એટલું જ કહીશ કે મોટાભાગના બ્લોગર્સનો ગુજરાતી ભાષાને બગાડવામાં કંઈ ઓછો ફાળો તો નથી જ. કેટલાક બ્લોગર્સનાં બ્લોગશીર્ષકો, તેમના પરિચયલેખો, તેમના લેખો કે કાવ્યોનાં શીર્ષકો અને આંતરિક લખાણો, વાટકીવ્યવહારના ભાગ રૂપે લખાતા મોટાભાગના બ્લોગર્સના જ ‘દૂધમાં પાણી કે પાણીમાં દૂધ ?’ જેવા  અશુદ્ધ ભાષામાં પ્રતિભાવો, આપસી મેઈલવ્યવહાર ઇત્યાદિમાં પ્રુફરીડરનું માથું ફાટી જાય તેવી શબ્દેશબ્દે, વાક્યવાક્યે, જાણેઅજાણ્યે, થયે જતી બેસુમાર ભૂલો વગેરે જોતાં એમ થયા કરે કે જો આમને આમ આખું આભ ફાટી જશે તો ક્યાં, કેવડાં અને કેટલાં થીગડાં કોણ, કઈ રીતે, ક્યાં  લગાવશે !

હાલ આ જે લખાણ લખાઈ રહ્યું છે તેમાં વાચકોની ગેરસમજ ન થવી જોઈએ કે હું સંપૂર્ણ ભાષાશુદ્ધિની વાત કરું છું. અનુસ્વાર કે આનુનાસિક વ્યંજનની પસંદગીની વાત છોડો, કોઈ બેમાંથી એકેય લખે નહિ, ત્યારે ત્યાં શું સમજવું ? કોઈ બ્લોગના હોમપેજ ઉપર જે તે બ્લોગ શરૂ થયે પાંચપાંચ-છછ વર્ષો થયાં હોવા છતાં કોઈ ‘અમારા પુસ્તકો કે સામયિકો’, ‘વેબસાઈટ્’, ‘વાંચકો’  (હું પોતે જ એમ લખતો હતો, જે જુગલભાઈથી સુધર્યું.), સુવિચારોના … (પાછળ નાન્યતર જાતિનું નામ હોવા છતાં),’આપનુ સ્વાગત’, બ્લોગના શીર્ષક હેઠળની બ્લોગની ઓળખ માટેની Taglineમાં ભૂલો ! ગણી ગણાય નહિ. વીણી વીણાય નહિ એવી બેદરકારીઓ ! હોમ પેજ તો આપણા બ્લોગરૂપી ઘરનું આંગણું કહેવાય અને ત્યાં જો આવા ગો(સમો)ટાળા હોય તો વાચક અંદરનો મામલો કેવો હશે તેનો અંદાજ લગાવી શકે ખરો કે નહિ ? નરજાતિ, નારીજાતિ કે નાન્યતરજાતિ નામો માટે તો વ્યાકરણ એમ કહીને છૂટી જાય છે કે નામને કેવો, કેવી કે કેવું પૂછીને અજમાવી જુઓ અને જાતિ નક્કી કરી નાખો. નદીનો કિનારો, નદીના કાંઠા, નદીની રેતી, નદીનું પાણી, નદીનાં માછલાં અનુક્રમે કેવો, કેવા કેવી, કેવું, કેવાં પ્રશ્નો થકી જાણી શકાય. આ તો ઠીક છે કે ગુજરાતી આપણી માતૃભાષા હોઈ આ બધાં નામો આપણાથી પરિચિત છે, પરંતુ કોઈ હિંદી કે અન્ય ભાષી જે ગુજરાતીથી અજાણ હોય કે શીખતો હોય  તે તો એમ જ બોલશે કે આકાશમાં કેવી ગડગડાટ થઈ રહી છે, આંખોને આંજી નાખે તેવો કેવો વીજળી ઝબૂકી રહ્યો છે, કેવી વાદળો આમથી તેમ દોડી રહી છે (વાદળીઓ હોય તો સાચું કહેવાય.), વગેરે વગેરે. હવે આપણે ગુજરાતી માતૃભાષીઓ જાદુગરની જેમ નરને નારી અને નારીને નર બનાવી દઈશું, તો કોઈ આપણને બિનગુજરાતી ગણીને માફ કરી દેશે ખરું ? મેં મારા બ્લોગ ઉપર ક્યાંક લખ્યું છે કે ‘ગુજરાતી પ્રત્યે મને પ્રેમ તો માતા જેટલો જ, પણ …’ ! કસમેં, વાદે, પ્યાર, વફા; સબ બાતેં હૈં, બાતોંકા જાલ !!!

આ પ્રતિભાવના સમાપન પૂર્વે અગાઉ મારા વેગુ ઉપર લખેલા ‘ગુજરાતીમાં પુનરોક્તિદોષ’ની યાદ અપાવી દઉં તો ત્યાં પહેલી નજરે જ દેખાઈ આવે તેવી ‘સહકુટુંબસહિત’, ‘યથાશક્તિપ્રમાણે’ જેવી ક્ષતિઓને તો ન જ ચલાવી શકાય; હા, નોકરચાકર, કામબામ વગેરે જેવા શબ્દો રૂઢ થઈ ગયા હોઈ તેમને ક્ષમ્ય ગણી શકાય. હવે જો બધું ચલાવી જ લેવાનું હોય, તો ન ચલાવી લેવાનું શું બાકી રહેશે તે આપણે નક્કી કરી લેવું પડશે !  આપણા દેશમાં અનામત જાતિઓની યાદી એટલી લાંબી થઈ ગઈ છે અને તેને ટૂંકી કરવા માટે બિનઅનામત જાતિઓની યાદી તૈયાર કરી લેવામાં આવે એ મતલબનું હું અહીં કહેવા માગુ છું. આવી જ ગુજરાતી ભાષામાં અન્ય ભાષાઓના શબ્દો અપનાવી લેવાની વાતો કરવામાં આવે છે, તો આ કોઈ નવીન સૂચન નથી. શબ્દકોશોમાં રૂઢ થએલા એવા બધા શબ્દો મોજુદ છે જ. સાથેસાથે એ પણ જોવાનું રહેશે કે આમ આડેધડ મર્યાદિત માણસો દ્વારા બોલાતા શબ્દોને પણ શબ્દકોશમાં ઘુસાડતા જઈશું, તો પેલા આરબ અને ઊંટ જેવું થઈને ઊભું રહેશે ! ઉદા. મારી મધરને એવો સિવીઅર ફીવર આવ્યો કે મારે ઇમીડિએઇટ ડોક્ટરને કોલ કરવો પડ્યો. ડોકટરે મારી મોમને ઇગ્ઝૅમિન કરીને  પ્રિસ્ક્રિપ્શન લખી આપીને ઇમીડિએઇટ્લી મેડિસિન્સ મંગાવી લેવાનો ઓર્ડર કરી દીધો.

અતિવિસ્તાર બદલ ક્ષમા પ્રાર્થીને વિરમું છું. જય ગુર્જરી.

-વલીભાઈ મુસા

* દીપકભાઈ ધોળકિયા ભુજના વતની છે અને આકાશવાણી દિલ્હીમાં ગુજરાતી સમાચારવાચક તરીકે દીર્ઘ સેવાઓ આપ્યા બાદ હાલમાં નિવૃત્ત હોવા છતાં સાહિત્યિક પ્રવૃત્તિઓમાં ગળાડૂબ પ્રવૃત્ત છે. ૨૬મી જાન્યુઆરી, ૨૦૧૨થી શરૂ થએલા બ્લોગ ‘વેબગુર્જરી’ના સંપાદકમંડળના તેઓશ્રી, જુગલભાઈ વ્યાસ, પ્રજ્ઞાબેન વ્યાસ અને અમે બધાં સાથીઓ હોઈ અમે એકબીજાના સંપર્કમાં ઘણાં રહેતાં હોઈએ છીએ. એક વખતે અમદાવાદ બ્લોગરસભામાં અમે રૂબરૂ પણ મળ્યા છીએ. મૃદુ અને સાલસ સ્વભાવના દીપકભાઈ વિચારક અને અભ્યાસુ જીવ છે. પોતાનો ‘મારી બારી’ બ્લોગ ધરાવવા ઉપરાંત તેઓશ્રી ‘વેગુ’ ઉપર ગુજરાતી ભાષા અને વ્યાકરણ ઉપરાંત વિવિધ વિષયો ઉપર પોતાના વિદ્વતાપૂર્ણ લેખો પણ લખે છે. તેઓશ્રીના તંદુરસ્તીમય દીર્ઘ આયુષ્ય માટે સર્જનહારને દિલી પ્રાર્થના સાથે તેઓશ્રીનો સંક્ષિપ્ત પરિચય આપીને અત્રેથી વિરમું છું.

 

Tags: , , ,