RSS

Category Archives: પરિચય લેખ

(578) હાસ્યલેખક શ્રી હરનિશભાઈ જાનીનું દુ:ખદ અવસાન

સાહિત્યપ્રેમી મિત્રો,

એક દુ:ખદ સમાચર શેર કરવાના કે અમેરિકાસ્થિત હાસ્યલેખક અને મારા પરમ મિત્ર એવા હરનિશભાઈ જાની હવે આપણી વચ્ચે રહ્યા નથી. અમે બંને રૂબરૂ તો કદીય મળ્યા ન હતા, પણ હજારો માઈલ દૂર હોવા છતાં અમે સાવ નિકટતા અનુભવતા રહ્યા હતા. મારી ૨૦૧૧ની અમેરિકાની મુલાકાત ટાણે તેમનો ફોન આવ્યો હતો કે તમે ક્યાં છો તે જણાવો અને મારાં પત્ની હંસા અને હું તમને મળવા આવીએ. મેં ખૂબ દૂર હોવાના કારણે એમને તકલીફ ન લેવાની વિનંતી કરી અને તેઓ માની ગયા હતા. તેઓ હૃદયરોગના દર્દી હતા અને બાયપાસ વખતના તેમના અનુભવોનો સરસ મજાનો હાસ્ય નિબંધ મને મારી પોતાની ૨૦૧૦ની બાયપાસ સર્જરીને હળવાશથી લેવા માટે મોકલી આપ્યો હતો.

તેમનું સાહિત્યસર્જન વોલ્યુમમાં ઓછું પણ દમદાર વધારે રહ્યું છે. ગુજરાતી સાહિત્યમાં નવતર લાગે તેવાં તેમનાં બે હાસ્યપુસ્તકો ‘સુશીલા’ અને ‘સુધન’ અનુક્રમે તેમનાં માતા અને પિતાના નામે જ નામકરણ ધરાવે છે. આ બે પુસ્તકો થકી રતિલાલ બોરીસાગરના શબ્દોમાં કહીએ તો ‘તેમણે ગુજરાતી હાસ્યલેખકોની પ્રથમ હરોળમાં હકપૂર્વક પોતાનું સ્થાન અંકે કરી લીધું છે.’ અનેક ગુજરાતી સાહિત્યસંસ્થાઓનાં પારિતોષિકો ઉપરાંત તેમને  ખ્યાતનામ ‘જ્યોતીન્દ્ર હ. દવે પારિતોષિક’ પણ એનાયત થયું છે.

તેમના “જ્યોતીન્દ્ર દવે પારિતોષિક મળ્યા પછી….” શીર્ષકના હાસ્યનિબંધને મેં આપણી ‘વેબગુર્જરી’ના રવિવારી સર્જનાત્મક સાહિત્ય હેઠળ પ્રકાશિત કરેલ ત્યારે મેં એમને એક અંગત મેઈલ મોકલીને મારો એક સુઝાવ દર્શાવ્યો હતો કે જેમ રણજિતરામ પારિતોષિક હાસ્યલેખકશ્રી જ્યોતીન્દ્ર દવેને મળ્યું હતું અને જ્યોતીન્દ્ર દવે પારિતોષિક તમને મળ્યું છે, તો એ સિલસિલો ચાલુ રાખવા ‘હરનિશ જાની પારિતોષિક’ હાલ  જ જાહેર કરી દો તો કેમનું રહે અને તેઓ ખુશ થઈ ગયા હતા અને વળતા જવાબમાં હાસ્યલેખકની અદામાં લખ્યું હતું કે ‘વલીભાઈ, એ માટે તો મારે પહેલાં મરવું પડે ને!’.

આવા હાજર જવાબી શ્રી હરનિશભાઈ આજે સાચે જ મરી ગયા છે એવા સમાચાર ફેસબુક ઉપર વાંચતાં દિલ ભરાઈ આવ્યું અને બેગમ અખ્તરની ગાયેલી દર્દમય ગ઼ઝલ ‘દિલ તો રોતા હી રહે ઔર આંખસે આંસું ન બહે’ની યાદ આવી ગઈ. હમણાં થોડા સમય પહેલાં જ તેમનું છેલ્લું પુસ્તક ‘તીરછી નજરે અમેરિકા’ મને મળ્યું હતું, જે હાલ મારા વર્કીંગ ટેબલ ઉપર સામે જ પડ્યું છે.

મારા બ્લોગ ઉપર તેમના પ્રત્યેક હાસ્યલેખમાંથી એકેક વક્રોક્તિ દર્શાવતા લેખના પુરોકથનના શબ્દો આ પ્રમાણે રહ્યા છે:

“આટલા સુધી મારા સુજ્ઞ વાચકોને એમ લાગ્યા કર્યું હશે કે આ લેખકડો હરનિશભાઈની ઉપરોક્ત પુસ્તકમાંની વક્રોક્તિઓની લૉલીપૉપ જ બતાવ્યે જાય છે, મોંઢામાં ચગળવા ક્યારે આપશે! તો ભાઈ-બાઈ, હું Carrot and stick જેવું તો હરગિજ નહિ કરું; અને લ્યો ત્યારે હવે હું એક પછી એક લૉલીપૉપ આપવા માંડું છું જેને આપ મમળાવી મમળાવીને તેનું રસપાન કરવા માંડો. લેખલાઘવ્યને મદ્દેનજર રાખતાં હરનિશભાઈના પ્રત્યેક હાસ્યલેખમાંની નોંધપાત્ર એકેક વક્રોક્તિને જ અત્રે સ્થાન આપી શકીશ. રસના ચટકા હોય, કંઈ કૂંડાં ન હોય; હોં કે!”

ઉપરોક્ત લેખનો લિંક આ પ્રમાણે છે :

https://musawilliam.wordpress.com/2015/02/11/463-a_harnish-jani_diaspora/

ચાલો, આપણે સૌ સ્વર્ગસ્થના આત્માને શાંતિ મળી રહે અને તેમનાં આપ્તજનોને આઘાત સહન કરવાની શક્તિ મળી રહે તેવી ઈશ્વરને પ્રાર્થના કરીએ.

વલીભાઈ મુસા    

* * *

 

Tags: , , , ,

(૫૩૮) ‘પ્રતિલિપિ’ સાથેનો મારો પરિચય વાર્તાલાપ

પ્રતિલિપિના પાયાના સદસ્ય શ્રી વલીભાઈ મુસા સાથે એક નાનકડો વાર્તાલાપ / A short interview with Gujarati writer Valibhai Musa

નામ – અટક : વલીભાઈ મુસા

ઉપનામ :  ‘વલદા’ (દેશી); વિલિયમ (વિલાયતી)

જન્મતારીખ : ૦૭-૦૭-૧૯૪૧

મૂળ વતન : કાણોદર (પાલનપુર), ઉત્તર ગુજરાત

ડિગ્રી-ઉપાધિ : બી.એ. (ઓનર્સ); એમ.એ. (Dropped)

1. સ્વભાવ :

મારો ભાવ ? અમૂલ્ય, કોઈપણ કિંમતે ન ખરીદી શકો !!! પણ મને લાગે છે કે મિજાજ (Nature) વિષે પુછાયું છે, તો લોકો કહે છે કે ‘વલદા’ સાથેની ગમે તેટલી લાંબી સફર સાવ ટૂંકી થઈ જાય !

2. જીવનનો એક એવો અનુભવ જે ક્યારેય નહિ ભૂલી શકાય :

બાલ્યકાળનું કરતૂત (પરાક્રમ) ! ઘરે પાતાળજાજરૂનો કૂવો ખોદાય. બપોરે જમવા માટે મજૂરો ઘરે જતાં એ લોકોની જેમ રસ્સો પકડીને કૂવામાં ઊતરવાનો પ્રયાસ કરતાં બંદા સરક્યા. બંને હથેળીઓની ચામડી ઊતરડાઈ ગઈ. સમવયસ્કશા મોટાભાઈએ માટી કાઢવાની ટોપલીમાં બેસાડીને એકલાહાથે બહાર ખેંચવાની કોશિશ કરી. કિનારે આવેલું નાવ ગરક થાય તેમ છેક કાંઠેથી નીચે પટકાયા. સદભાગ્યે પોચી માટી અને  તેથી પીઠિકા રહી સલામત ! બીજા મિત્રની મદદથી બહાર, પ્રાથમિક સારવારમાં બંને હથેળીઓ ઉપર શાહી ચોપડાઈ, મેડે સંતાડ્યા, પકડાયા, પરાક્રમ છુપાવતાં બાએ સાબુથી હાથ ધોવડાવ્યા, દાઝ્યા ઉપર ડામ. બા રાડ પાડી ઊઠ્યાં. દવાખાને પાટાપટ્ટી, અઠવાડિયાની નિશાળમાંથી છુટ્ટી, બહોળા કુટુંબનાં સભ્યોએ પડાપડી કરીને બંદાને ચમચીથી ખવડાવવાનો લ્હાવો લૂંટ્યો. બિચારી બાએ સાતેય દિવસ શૌચક્રિયા પછીની હાથપાણીની સેવાઓ આપી. સગાંવહાલાં અને મિત્રોને આ પરાક્રમ જાણીને આનંદઆનંદ ! અને આજે પણ, આ ઘટનાનું સ્મરણ થતાં મને પણ આનંદઆનંદ !

3. જો પાછલી જિંદગીમાં થઈ ગયેલી એક ભૂલને સુધારવાનો મોકો મળે તો કઈ ભૂલ સુધારશો ?

ભૂલ થઈ ગઈ એ થઈ ગઈ, એ કદીય સુધરે નહિ; હા, ભૂલનું પુનરાવર્તન ટાળી શકાય ! સગાંવહાલાં અને મિત્રોનાં કુટુંબો સાથે સંતાનોનાં સગપણ અને તેમની સાથેના ભાગીદારીના ધંધાવ્યવસાયથી દરેકે દૂર રહેવું જોઈએ એવું સ્વાનુભવે યોગ્ય લાગે છે. જો પરિણામ વિપરિત આવે તો ‘બાવાનાં બેય બગડે’ જેવી સ્થિતિ સર્જાય ! !

4. અતિપ્રિય વ્યક્તિ :

ઘરમેળે તો સૌ સરખાં, પણ બહાર નજર કરતાં કોને પ્રાધાન્ય આપવું તે પેચીદો પ્રશ્ન બની જાય; છતાંય કહેવું તો પડશે જ કે ‘હું’ જ મારી પ્રિય વ્યક્તિ છું, જ્યારે કે મારાથી એકાદ પણ નાનું માનવતાનું કાર્ય થઈ જાય.

5. ગમતું  વ્યસન :

નઠારું તો શેં કહેવાય, પણ સારું જો ગણાવું તો કહી શકું કે ૭૩+ની ઉંમરે પણ માનવીય સંબંધોમાં વૃદ્ધિ  થતી જ રહે એવું હું ઝંખ્યા કરું છું અને રોજેરોજ એ વૃદ્ધિ થયા કરે છે. ૨૦૦૭થી નેટમાધ્યમે આવ્યા પછી તો વિશ્વભરમાં એટલાં બધાં લોકોના સ્નેહતાંતણે બંધાયો છું કે એક નવું ગામ વસાવી શકાય !

6. સર્જનમાં  કોઈ પ્રેરણામૂર્તિ હતાં? છે?

મારા પ્રાથમિક શિક્ષક શ્રી મફતલાલ હીરાલાલ શ્રીમાળી સાહેબ, માધ્યમિક શિક્ષક શ્રી હરકાંત વ્હોરા સાહેબ અને અનુસ્નાતક અભ્યાસકાળના મહાનુભાવ શ્રી જિતેન્દ્ર દવે સાહેબ મારા સાહિત્યસર્જનના પ્રેરણાસ્રોત રહ્યા છે. હાલમાં તો ઘરે અને ઘરે બાહિરે ઘણા/ઘણાં છે. જો કોઈ એક નામ આપું તો અન્યોને અન્યાય થઈ જાય; છતાંય સર્વસામાન્યપણે કહું તો મારા બ્લૉગના વાચકો જ મારા માટે પ્રેરણામૂર્તિ સમાન છે.

7. પ્રિય ભોજન :

મારા માટે વર્જ્ય ન હોય તેવું પ્રેમે પીરસાય તેવું સઘળું મને પ્રિય જ હોય છે

8. પ્રેમ એટલે શું?

‘પ્રેમ’ એ ભાષાકીય શબ્દ છે અને એને સમજાવવા માટે પણ પાછા શબ્દો જ જોઈએ. ‘પ્રેમ’ એ સમજવા-સમજાવવા માટેનો વિષય નથી. ‘પ્રેમ’ એ અનુભૂતિ છે. પ્રેમ કરી શકાતો નથી, પ્રેમ તો થતો હોય છે. ‘પ્રેમ’ એ અનૈચ્છિક એવી સાહજિક અને ભાવગત ક્રિયા છે, જેને કારણો કે ઉદ્દીપનોની  જરૂર પડતી નથી. ‘પ્રેમ’ વ્યક્તિવ્યક્તિ પૂરતો સીમિત નથી, પ્રેમપાત્રો તો અનેકાઅનેક હોઈ શકે; પશુપક્ષીથી માંડીને કુદરત સુધી અને એનાથીય આગળ બ્રહ્માંડોના સર્જનહાર કે જેને પરમ શક્તિ કે એવા કોઈપણ નામે ઓળખવામાં આવે ત્યાં સુધી. મારું તો માનવું છે કે હાથીના પગલામાં જેમ અન્ય પ્રાણીઓનાં પગલાં સમાઈ જાય તેમ જે વ્યક્તિ પોતાની જાત સાથે સાચો પ્રેમ કરી જાણે તો તેમાં બધાય પ્રેમનો સમાવેશ થઈ જાય છે. આ એક ગહન વાત છે અને છતાંય તેને સરળ શબ્દોમાં સમજી-સમજાવી શકાય કે ઉભય પ્રેમીઓમાં પાત્રતા હોવી જોઈએ. પોતાની જાતને પ્રેમ ત્યારે જ થઈ શકે, જ્યારે કે એ પોતાની જાતમાં પણ પ્રેમ ઝીલવાને અનુરૂપ પાત્રતા હોય અને આપણે પ્રેમ દર્શાવનારા બાહ્ય એવા આપણામાં પણ એવી જ પાત્રતા હોય ! આમ બંને પક્ષે પાત્રતા હોય તો જ  ઉભય વચ્ચે સાચો પ્રેમ સંભવી શકે !

9. સૌથી વધુ ખુશ ક્યારે થાઓ છો?

નાનાં ભૂલકાંનાં નિર્દોષ તોફાનો અને તેમની બાળચેષ્ટાઓ જોઈને એટલી બધી ખુશી થાય છે અને ઘણીવાર એવો વિચાર પણ આવતો હોય છે કે  ઈશ્વર સર્વ શક્તિમાન તો છે જ અને તે એક ક્ષણ માટે પણ જગતનાં સર્વે માનવોને નાનાં બાળકો જેવાં બનાવી દે તો એ ક્ષણ પૂરતો પણ આપણું અશાંત વિશ્વ શાંતિનો શ્વાસ લઈ શકે. ‘જીવો અને જીવવા દો’ એ ભાવના જ જગતને બચાવી શકશે.

10. પ્રતિલિપિ એ ..

ભારતની ‘વિવિધતામાં એકતા’ની વિભાવનાને સાકાર કરતી એક અનોખી વેબસાઈટ છે. દેશના વિભિન્ન વિસ્તારોમાંથી એક જ ફલક ઉપર એકત્ર થએલાં છવ્વીસની સરેરાશ વય ધરાવતાં અને ઉચ્ચતમ શિક્ષણ પામેલાં એ તરવરિયાં યુવાનો કંઈક નવું જ કરી બતાવવાના થનગનાટ સાથે ઊભરી રહ્યાં છે. રણજીત, પ્રશાંત, રાહુલ અને સંકરનારાયણન એ ચાર જણ સાથે આપણી ગુજરાતી દીકરી ‘શૈલી મોદી’, M.Sc.,M.B.A., (Double Gold Medalist) પણ સંકળાઈ છે. કોણ જાણે કયા સ્રોતે, પણ તેમણે મને પકડી પાડ્યો અને તેમના માર્ગદર્શક/સલાહકાર (Mentor) તરીકે તેમનાં અનેક પૈકીના એક તરીકે મને પ્રસ્થાપિત કરી દીધો છે.  ખૂબ જ ટૂંકા ગાળામાં ‘પ્રતિલિપિ’એ જે હરણફાળ ભરી બતાવી છે, તે બતાવી આપે છે કે તેનું ભવિષ્ય ઉજ્જવળ બની રહેશે.

વાચકોને સંદેશ

પ્રતિલિપિ’ના સહિયારા આ યુવાસાહસને સાથસહકાર આપવાની સર્વે ભારતીયજનોને અને મારા નેટર-બ્લૉગર-વાચક મિત્રોને તો ખાસ ભલામણ કરવામાં આવે છે. જયભારત.

(Published works on Pratilipi on 28 December, 2014)

:

 

 
2 Comments

Posted by on September 9, 2017 in પરિચય લેખ

 

Tags: