RSS

Category Archives: ભાવાનુવાદ

(563) સ્વસ્થતા (WELLBEING)

[મારા બ્લોગ પેજ ‘My Interview’ ઉપરના હાલમાં દોહા (Doha) – કતાર (Qatar) સ્થિત કવયિત્રી સુશ્રી રબાબ મહેર (બ્રિટિશ-પેલેસ્ટિનીઅન નાગરિક)ના પ્રતિભાવ સામેના આ મુજબના મારા પ્રત્યુત્તરીય શબ્દો હતા: ‘Thank you very much for supporting my views on Yoga.’  ત્યાર પછી તેમના બ્લોગ ઉપર તેમનો ‘યોગ’ વિષેનો તેમના જાતનુભવ ઉપર આધારિત ઉપરોક્ત લેખ મારા વાંચવામાં આવ્યો. આ લેખનો અનુવાદ કરવા અને મારા બ્લોગ ઉપર મૂકવા માટે તેમણે ઉદાર સંમતિ આ શબ્દોમાં આપી છે : Please feel free to translate my article – you’ll be doing me a great service and honor.

આશા રાખું છું કે ‘યોગ’ ઉપરનો ભાવાનુવાદિત આ લેખ સૌ વાચકો અને ખાસ કરીને મુસ્લીમોને માત્ર  ગમશે જ નહિ, પરંતુ અનુકરણીય પણ બની રહેશે. મુસ્લીમો યોગ અને ધ્યાન કરતા થશે; તો આ એકદમ શુદ્ધ, વૈજ્ઞાનિક અને આખા જગતમાં બહુ જ ઝડપથી પ્રચલિત થઈ રહેલી પ્રક્રિયાનો લાભ મેળવતા થઈ શકશે. ધ્યાન વખતે નમસ્કાર કરવાનું કંઈ જરૂરી નથી. ધ્યાનની આ મુદ્રા સાવ ધર્મનિરપેક્ષ છે. 

(courtesy – Internet & Mr. Suresh Jani, USA)

Open and upwards  palm is  the best, as our fingers are at the end of nervous system. Through them cosmic energy can enter the nervous system in maximum amount.

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)] 

 * * *

સ્વસ્થતા (WELLBEING)

એક મુસ્લીમ તરીકે ‘યોગ’ મને મદદરૂપ થાય છે. (YOGA HELPS ME AS A MUSLIM)

-રબાબ મહેર (મૂળ લેખિકા)

-વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

મારું મન અને મારું શરીર સતત કાર્યશીલ રહે છે, કેમ કે તેના અટકાવ માટે કોઈ ઓફ બટન છે જ નહિ. માનસિક રાહત કે શાંતિ માટે મને વિચાર આવે છે કે હું કંઈક એવી પ્રવૃત્તિમાં લાગી જાઉં કે જેનાથી મારી બુદ્ધિમત્તા કે શરીર કે પછી એ બંને રસતરબોળ બની જાય.

મારી આ અપેક્ષા મને યોગક્રિયામાં સિદ્ધ થતી લાગે છે. યૌગિક વિવિધ પ્રક્રિયાઓ થકી મારી સર્વગ્રાહી તંદુરસ્તી, આંતરિક અને બાહ્ય શારીરિક સુયોગ્યતા ઉપરાંત માનસિક, ભાવનાગત અને આધ્યાત્મિક કલ્યાણ અંગેની જરૂરિયાતો પરિપૂર્ણ થાય છે. 

શરીર

યોગથી થતા શારીરિક ફાયદાઓ અગણ્ય છે. મારા વ્હાલા વાચકો, એ ફાયદાઓને જાત અનુભવ કર્યા વગર નહિ સમજી શકાય. મારા અનુભવે એ ફાયદાઓ છે : માનસિક અને શારીરિક સ્વસ્થતા, શરીરના અવયવોની સંવાહનતા, શરીરની આંતરિક પ્રક્રિયામાં સુધારો, ચયાપચય (પાચનક્રિયા)માં વધારો, પીઠના મણકાઓની સુગ્રથિતતા, શરીરના સ્નાયુઓની મજબૂતી અને ઇંદ્રિયોની દૃઢતા, વજન ઘટવું, શારીરિક ક્ષમતામાં વૃદ્ધિ અને સ્ફૂર્તિ તથા ચપળતામાં વધારો થવો.     

યોગમાં જરૂરી હોય છે, નાક દ્વારા શ્વાસ લેવો અને છોડવો અને આ ક્રિયા તંદુરસ્ત મન અને તનને જાળવવા માટે અતિ આવશ્યક છે. 

નાક દ્વારા શ્વાસ લેવાનો મોટો ફાયદો એ છે કે તેનાથી શરીરનું તાપમાન વધે છે. આ સરળ અને અગત્યના મહાવરાથી ફેફસાં વૃદ્ધિ પામે છે અને આખા શરીરમાં શુદ્ધ ઓક્સિજન પ્રસરે છે અને તેથી કીટાણુજન્ય વિષ નાશ પામે છે અને આવા તો ઘણા બધા ફાયદા થાય છે. 

યોગથી હું સાચી રીતે શ્વાસ લેવાનો આનંદ લઈ શકી અને તેનાથી તેનું મૂલ્ય સમજાયું. વળી એટલું જ નહિ, મને મારા શરીર અને તેની અદ્ભુતતા પરત્વે પ્રેમ ઉભરાયો અને તેના પરત્વે મારો સન્માનીય દૃષ્ટિકોણ વિકાસ પામ્યો.   

યોગ એ જીવનપદ્ધતિ છે અને તે સમગ્ર જીવન દરમિયાનની એવી સફર છે કે જેમાં નવું જાણવાનું મળવા ઉપરાંત અલ્લાહ દ્વારા અપાયેલા આ શરીર, ચિત્ત અને આત્મા સાથેનું અનુસંધાન સધાય છે.     

ચિત્ત અને આત્મા

ઇચ્છાશક્તિ, ધીરજ, એકાગ્રતા, પ્રતિબદ્ધતા અને સમતુલા એ આસન પ્રયોગનાં ચાવીરૂપ તત્ત્વો છે, જે મને માનસિક અંધાધૂંધીમાંથી બહાર લાવે છે; મારી રોજિંદી કાર્યશૈલીને ચેતનવંતી બનાવે છે અને મારી દિશાશૂન્યતાને અટકાવી દે છે.    

હું જ્યારે કોઈ આસનને લાંબા સમય સુધી જાળવી રાખું છું, ત્યારે અલ્લાહના નામનો જાપ જપવામાં મારી જીભમાં એક પ્રકારની મીઠાશનો અનુભવ કરું છું. મેં નોંધ્યું છે કે આમ આસન દ્વારા મને એવી ઊર્જા પ્રાપ્ત થાય છે કે જે થકી હું મારા આસનકાળને લંબાવી શકું છું અને તેનાથી મારા શરીરમાં શક્તિનો સંચાર થાય છે; વળી એટલું જ નહિ, પણ મારી અલ્લાહ પરત્વેની મારી આસ્થામાં ઈજાફો થાય છે.   

મારી અન્ય આસનોની પ્રક્રિયાના અંતે હું જ્યારે સુખાસન અવસ્થામાં બેઠેલી હોઉં કે પછી શવાસન અવસ્થામાં સુતેલી હોઉં ત્યારે એક પ્રકારની વિશ્રામની અનુભૂતિ સાથે હું ધ્યાન ધરતી હોઉં છું. હું મારી આંખોને બંધ કરીને મારી શ્વાસોચ્છવાસની ક્રિયાને ધીમી પાડું છું, જેનાથી મારા હૃદયના ધબકારાઓને અનુભવી શકું છું, શાંતિને ધારણ કરી શકું છું અને માનસિક તનાવમાંથી મુક્ત થઈ શકું છું. આ બધું મારી શ્વાસોચ્છવાસની ક્રિયા સાથેના મારા અલ્લાહના જિક્ર (સ્તવન) દરમિયાન અનુભવી શકું છું.         

મને નથી લાગતું કે યોગ સિવાયનો બીજો કોઈ ઉત્તમ માર્ગ હોય કે જેના થકી આપણે ક્ષણભંગુર એવાં વૈશ્વિક બંધનોમાંથી મુક્તિ અનુભવી શકીએ અને પોતાની જાતને તનાવમુક્ત કરી શકીએ. યોગની આ પ્રક્રિયા દરમિયાન મારા શરીર અને ચિત્તને કેન્દ્રિત કરીને હું અલ્લાહ આગળ મારા હૃદયને ખોલી શકું છું.      

ઉપચારાત્મક જીવનરાહ

શરીઆ એ મારો જીવનરાહ છે અને તેની સાથે સાથે જો હું મારી જાતની પણ કાળજી રાખું તો તે મને અલ્લાહની નજદીકી તરફ અવશ્ય લઈ જઈ શકે. બીજા શબ્દોમાં કહીએ તો આ માર્ગ એટલે પયગંબર હજરત મહંમદ (સ.અ.વ.)નો માર્ગ. 

મારા અંતરાત્માના દૃષ્ટિબિંદુ પ્રમાણે મારી સંપૂર્ણ સ્વસ્થતા એ યોગને આભારી છે. હું મારી બૌદ્ધિક અને શારીરિક સ્વસ્થતા અને સુયોગ્યતા માટે જાગૃત છું અને હું જાણું છું કે તન અને મનને કેળવવામાં આવશે, તો તેનું પરિણામ બહાર દેખાઈ જ આવશે.    

આ માટે મેં મારી જાત સાથે વાયદો કર્યો છે કે હું ગમે તે રીતે સમય કાઢીને પણ વ્યાયામ કરીશ અને યોગને પ્રાથમિકતા આપીશ; કેમ કે તે જ મારા ચિત્ત અને શરીરને જોડશે અને તેનાથી જ મારામાંની નકારાત્મકતા દૂર થઈને મારું મન શુદ્ધ થશે.   

આમ હું એવી જિંદગી જીવવા માટે શક્તિમાન બની છું કે જેનાથી મારી સંપૂર્ણ તંદુરસ્તી સાથે હું અલ્લાહની સક્ષમતાપૂર્વક ઈબાદત કરી શકું છું અને મારી જાતને મુસ્લીમ તરીકે ઉમદા બનાવવાની દિશામાં આગળ વધી રહી છું જેનો ફાયદો મને થયો છે અને અન્યોને પણ થઈ શકે છે.    

* * *

આપણે આપણા જીવનમાં આપણાં લક્ષ્યોનાં પ્રમાણપત્રો, ઉપાધિઓ (Degrees) અને નાણાં કમાવા માટે સમય કાઢી શકીએ છીએ. આપણે  નેટવર્ક, સોશિયલ મિડિયા અને એવાં માધ્યમોમાં કાર્યરત રહીએ છીએ; તો પછી આપણે આપણો સમય આપણા જ હિત માટેની આ યોગક્રિયા માટે પણ ફાળવવો જોઈએ અને આ નિર્ણાયક ક્રિયા બીજા કોઈએ નહિ, પણ આપણે જ આપણી અને અલ્લાહની ખુશી માટે કરવી જ રહી. 

આપણે આપણા માટેની જ આ જવાબદારી ઉઠાવવી પડશે અને આજની વ્યસ્તતાપૂર્ણ દુનિયાદારીના બહાના હેઠળ આ જવાબદારીમાંથી આપણે છટકી નહિ શકીએ. 

આપણા પ્રિય એવા હજરત મહંમદ પયગંબર (સ.અ.વ.) એ ફરમાવ્યું છે કે ‘…તમારા શરીરનો તમારા ઉપર એક અધિકાર છે..’

નોંધ :-

મારા એવા વાચકો માટેના મારા ઉપરોક્ત લેખમાંના ચાર મહત્ત્વના મુદ્દાઓને મારે સ્પષ્ટ કરવા જોઈશે કે જેઓ અને એમાંય ખાસ તો મુસ્લીમો એમ માનતા હોય કે યોગ એ તેમની માની લીધેલી ધાર્મિક માન્યતાઓ સાથે સુસંગત નથી  અને આધ્યાત્મવિદ્યા માટેની મહત્ત્વની આ યોગક્રિયાને તેઓ અપનાવવા ન ઇચ્છતા હોય!      

નીચેની ચાર સામાન્ય યૌગિક ક્રિયાઓ કે જે ઈસ્લામિક માન્યતા સામે  દેખીતી રીતે જ વિરોધાભાસી લાગતી હોય તો તેને અવગણી શકાય.  

(૧) નમસ્કાર મુદ્રા અને નમન;

(૨) એવી કોઈ મુદ્રા કે જેમાં હાથ જોડવાના હોય કે હિંદુ અથવા બુદ્ધ ધર્મના કોઈ મંત્રોનું રટણ કરવામાં આવતું હોય;

(૩) નમસ્કાર કે નમસ્તે જેવા સંસ્કૃત કે સમાનાર્થી અંગ્રેજી શબ્દો હોય;

(૪) યૌગિક ક્રિયામાં ત્રીજી આંખ જાગૃત કરવાની માન્યતા કે જેનું કાર્ય માનવસ્વભાવમાં ભલે મહત્ત્વનું હોય, પણ તે માટે આભારદર્શન કરવું જરૂરી નથી, કેમ કે તેનામાં કોઈ જાદુઈ શક્તિ નથી.       

છેલ્લે,

જો તમે ઈટાલિયન ખોરાક ખાઓ છે, તો શું તમે ઈટાલિયન બની જાઓ છો? ધ્યાન અને યોગ એ છે કે જે તમારા માટે લાભદાયક છે. તમે જે કોઈ ખ્યાલ બાંધો છો કે ધ્યાન ધરો છો તે તમારી જાત માટે અનુરૂપ છે. આસનો કે તટસ્થ સ્થિતિઓ કાલાતીત છે અને તે સિદ્ધ થયેલાં છે. – ડો. પિટર જે. ડી’આદમો. 

-રબાબ મહેર (મૂળ લેખિકા)

-વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

મૂળ લેખ ‘YOGA HELPS ME AS A MUSLIM’ વાંચવા માટે અહીં ક્લિક કરો

 

      

 

 

Tags: , , , , , , , , , , , , ,

(૫૩૨) આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ – International Non-violence Day (અનુવાદ)

Click here to read in English.

આજે ૨જી ઓક્ટોબર છે જે સાંપ્રત યુગના મહામાનવ મહાત્મા ગાંધીની ૧૪૮મી જન્મજયંતી છે. તેઓ ૧૮૬૯માં આ દિવસે જન્મ્યા હતા. તેમની શહાદતના છ દસકા પછી જગતને હવે ગાંધીઅન ફિલોસોફીની અને એમાંય ખાસ કરીને તેમના અહિંસા અંગેના વિચારોની પ્રતીતિ થઈ રહી છે, જ્યારે કે આજકાલ આખુંય જગત આતંકવાદ અને એવા ઘણા બધા વાદની ધમકીઓ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. યુનોએ સાચી રીતે જ આજના દિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે જાહેર કર્યો છે અને ખરેખર એ જ તેમના માટેની મોટી શ્રદ્ધાંજલિ છે.

ચાલો, આપણે તેમના એ શબ્દોને યાદ કરીએ કે જે આ પ્રમાણે છે : “સાચે જ જગત નફરતથી થાકી ગયું છે. આપણને આ થાક પશ્ચિમનાં રાષ્ટ્રોમાં વધારે છવાયેલો દેખાઈ રહ્યો છે. આપણે જોઈએ છીએ કે નફરતના આ ગાનથી માનવતાને કોઈ લાભ પહોંચ્યો નથી. ચાલો, ભારતને ઇતિહાસનું એક પાનું ફેરવવાનો અને જગતને બોધપાઠ શિખવવાનો જશ ખાટવા દો.” જગતની પ્રવર્તમાન પરિસ્થિતિ અને સંજોગોમાં તેમના આ શબ્દો કેવા બંધબેસતા  છે! તેમણે જગતને એક માનવ શરીર સાથે સરખાવ્યું હતું. શરીરના કોઈપણ અવયવની વેદના આખા શરીર દ્વારા અનુભવાતી હોય છે. તેમના શબ્દો દૈવી લાગતા હતા પણ તેઓ એટલા નમ્ર અને પ્રમાણિક હતા કે તેમણે કદીય કોઈ તત્ત્વજ્ઞાની કે દેવદૂત હોવાનો દાવો કર્યો ન હતો.

આ દિવસે વિશ્વભરનાં પ્રસાર માધ્યમોએ મહાત્મા ગાંધી વિષે ઘણું બધું કહ્યું છે. આજના ખૂબ જ ભારેખમ વિષયને સ્પર્શવાનો મારો પ્રયત્ન મારા સુજ્ઞ વાચકોને સાવ ક્ષુલ્લક લાગશે અને તે હું સારી રીતે જાણું પણ છું, કેમ કે હું લેખના માફકસરના કદને જાળવી રાખવા માટે બંધાયેલો છું. મારી આ મર્યાદા છતાંય હું માત્ર અહિંસાના આ વિષયને તેના સમર્થનમાંનાં અન્ય અવતરણોની સહાયથી સારી રીતે ચર્ચવાનું પસંદ કરીશ.

ઈસ્લામના પયગંબર (સ.અ.વ. = સલામ હજો તેઉના ઉપર)ની એક હદીસ (કથનની સ્મૃતિ)માં કહેવાયું છે કે ‘માનવ રક્ત પવિત્ર છે અને તેને કોઈપણ સંજોગોમાં અકારણ વહાવી શકાય નહિ. જો કોઈ ઈસમ માનવ રક્તની આ પવિત્રતાને અવગણીને કોઈપણ એક જીવને હણશે, તો પવિત્ર કુરઆન એ કૃત્યને સમગ્ર માનવજાતની હિંસા કર્યા બરાબર ગણે છે.” હિંસાનાં ઘણાં સ્વરૂપો છે, પણ તેમને મુખ્યત્વે બે શ્રેણીમાં વિભાજિત કરી શકાય; શારીરિક અને માનસિક હિંસા. હિંસા જીભ દ્વારા પણ થઈ શકે. જો તમારા કથન દ્વારા કોઈની લાગણી દુભાય તો તેને પણ હિંસા તરીકે ઓળખાવી શકાય. પીર મશાયખ રહમતુલ્લાહ પોતાના એક બયાનમાં ફરમાવે છે કે ‘ખરો આસ્તિક પોતાના હાથ અને  જીભનો ઉપયોગ કરીને કોઈને ઈજા કે દુ:ખ પહોંચાડી શકે નહિ.’ તેઓ આગળ સમજાવે છે કે ‘કોઈને તેની લાગણી દુભાય તેવો ભૂંડો કાગળ લખવો એ તો બેવડી હિંસા છે.’ આ વાત તેઓ એ રીતે સમજાવે છે કે ભૂંડા કાગળના આ હથિયાર થકી સામેવાળાને દુ:ખ પહોંચાડનાર માણસ પોતાના હાથ અને તેની સાથેસાથે જીભનો પણ ઉપયોગ કરતો હોય છે. જીભનો મતલબ એ કે ભૂંડા કાગળનો વાચક જ્યારે એ કાગળ વાંચતો હોય છે ત્યારે તેને એવો ભાસ થતો હોય છે કે જાણે તે લખનારને સાંભળી રહ્યો છે.

ઈલેક્ટ્રોનિક કે મુદ્રિત વાંચન સામગ્રી એ પ્રવચન સમાન છે અને વક્તા કે લેખક તરફથી થતું જરા પણ અસમતુલન જગત માટે માનવીય હોનારત સર્જી શકે છે. અહિંસા દિવસની માત્ર ઉજવણી જગતને શાંતિમય બનાવી શકે નહિ. પરિણામલક્ષી શાંતિસ્થાપન માટે ઘણી બધી સાવધાનીઓ અને સ્વયંશિસ્ત પણ એટલાં જ જરૂરી છે. જ્યારે જ્યારે દુનિયામાં કોઈ સંવેદનશીલ ઘટના બને ત્યારે પ્રસાર માધ્યમની પવિત્ર ફરજ બની જાય છે કે તેઓ લોકોને હિંસા આચરવા માટે ન ઉશ્કેરે. તે એક પ્રસ્થાપિત નૈતિક સત્ય છે કે ધર્માંધતા અને નફરત એ અમાનવીય અને અપ્રમાણિત છે.

સામૂહિક હિંસાને અટકાવવા માટે એ બાબત ધ્યાનમાં લેવાવી જોઈએ કે કોઈ વ્યક્તિ કે નાના જૂથ દ્વારા કોઈ અનિચ્છનીય કાર્ય થયું હોય તો તે કોઈ ખાસ ધર્મની માન્યતાનું પ્રતિનિધિત્વ કરે છે અથવા તો જે તે ધર્મ તેના માટે જવાબદાર છે તેવું ઠરાવી શકાય નહિ. સમાચાર માધ્યમો દ્વારા આવી હિંસાત્મક ઘટનાઓને ઈસ્લામિક, ક્રિશ્ચિયન, યહૂદી કે હિંદુ પ્રેરિત એવી ઓળખ અપાય તે વ્યાજબી નથી. પ્રસાર માધ્યમે હિંસાના માર્ગે જતા મોટા સમુદાયને અટકાવવો જોઈએ અને ઊલટાનો તેને એવી રીતે પ્રોત્સાહિત કરવો જોઈએ કે તે સત્તાવાળાઓને શાંતિ અને સુલેહનું વાતવરણ પ્રસ્થાપિત કરવામાં મદદરૂપ બની રહે. લોકોને એ વિચારધારા અપનાવવા માટે માર્ગદર્શન અપાવું જોઈએ કે બચાવ કે આક્રમણના હેતુસર નિર્દોષ લોકોના જાનમાલને હાનિ પહોંચાડવી તેમાં કોઈ બહાદુરી કે ત્યાગ રહેલાં નથી.

અહિંસાના માર્ગ ઉપર ચાલવું મુશ્કેલ હોય છે અને ઘણીવાર તો તે નિરાશાજનક પણ નીવડે છે. ગાંધીજીએ આ મુદ્દાને આ રીતે સમજાવ્યો છે કે ‘અહિંસા વિષેની મારી શ્રદ્ધા હંમેશાં મજબૂત રહી છે. દુ:ખી જગતને શાંતિ અર્પવા માટે અહિંસાના ટૂંકા અને સરળ માર્ગ સિવાય બીજો કોઈ ઈલાજ નથી. મારા જેવા લાખો લોકો અહિંસાના આ માર્ગ ઉપર ચાલતાં નિષ્ફળતાને પામી શકે, પણ એ નિષ્ફળતા એ વ્યક્તિઓની ગણાવી જોઈએ, નહિ કે અહિંસાના એ સનાતન નિયમની.’

ગાંધીજીએ માનવજીવનને સ્પર્શતા કોઈપણ મુદ્દાને જતો કર્યો નથી. આ વાતની પ્રતીતિ માટે સંશોધકો કે સામાન્ય માનવીઓ ‘ગાંધીજીનો અક્ષ્રરદેહ’ ગ્રંથશ્રેણી જોઈ શકે છે. આમાં તેમનું માત્ર સાહિત્યિક સર્જન જ નથી, પણ તેમનું સર્જનાત્મક અને પ્રવૃત્તિમય જીવન પથરાયેલું છે. વાચકોને એ જાણીને આશ્ચર્ય થશે કે લોકોના સામાન્ય રીતે જીવાતા જીવન સાથે સંકળાયેલી અનેક બાબતોને સંલગ્ન માનવજાતની ભલાઈ માટે એમણે વિપુલ માત્રામાં કામ કર્યું છે. તેઓ ખુલ્લા મનના માનવી હતા અને સાથે સાથે તેઓ ક્રાંતિકારી કર્મશીલ એવા સત્ય અને અહિંસાના માધ્યમે સમાજમાંનાં અનિષ્ટો સામે લડતા લડવૈયા પણ હતા. તેમનું વિચારવું, તેમનું બોલવું અને તે પ્રમાણેનું જ કાર્ય કરવું એ ત્રણેયમાં હંમેશાં એકસૂત્રતા જ રહેતી.

સમાપને, મહાત્મા ગાંધીને આપણા દ્વારા સહેતુક અને સહૃદયતાપૂર્વકની અપાતી શ્રદ્ધાંજલિમાં આપ સૌને પણ મારી સાથે સામેલ કરું છું. ચાલો, આપણે માત્ર શાબ્દિક જ નહિ; પરંતુ ક્રિયાત્મક રીતે તેમણે જગતને ચીંધેલા માનવતાના માર્ગ ઉપર ચાલવાનો પ્રયત્ન કરીએ.

ઈશ્વર વૈશ્વિક માનવતાના વિકાસ માટે આપણાં દિલોને પ્રેમથી ભરી દે એવી પ્રાર્થનાસહ,

-વલીભાઈ મુસા

(તા. ૦૨-૧૦-૨૦૦૭)

(Translated from English version titled as “International Non-violence Day” published on October 02, 2007)

 

 

Tags: , , , ,

(૫૩૦) એક પૂર્ણ વર્તુળ ૨૨ વર્ષ ઓહિયાં કરી ગયું ! – અનુવાદ (A full circle swallowed 22 years)

Click here to read in English

હાલમાં સમગ્ર વિશ્વના લોકોનાં બંધિયાર માનસોની બારીઓને વૈશ્વિકરણના ખ્યાલે ખોલી દીધી છે. સંખ્યાબંધ લોકો પોતાની માતૃભૂમિમાંથી સુખી કૌટુંબિક જીવન જીવવા માટે વધુ અર્થોપાર્જન કરવાના હેતુસર વિદેશોમાં સ્થળાંતર કરી રહ્યા છે. કેટલાક વળી પોતાના વસવાટના સ્થળેથી વિદેશોમાં એટલા માટે કાયમી ધોરણે સ્થાયી થઈ રહ્યા છે કે જેથી પોતાના વર્તમાનકાલીન જીવનમાં માત્ર બદલાવ લાવવાનો પોતાનો શોખ સંતોષાય. આમ દેશાંતર આર્થિક કારણસર હોય કે શોખ ખાતર હોય, પણ તે બધીય રીતે જોતાં એક શુભ વાત છે.

પણ … હું મારું ‘પણ’ મારા વાચકોને નિરુત્સાહી કરવા માટે નથી પ્રયોજી રહ્યો. હું આપ સૌને અગાઉથી માનસિક રીતે તૈયાર કરવાનો પ્રયત્ન કરું છું કે સૌ કોઈ દેશાંતર કરવા માટે હંમેશાં તૈયાર રહે, કેમ કે ઈશ્વર એવું ન કરે, પણ એવું દેશાંતર કે જે ભવિષ્યે સૌ કોઈને કરવાની ફરજ પડે.

દુનિયાના દેશો કોઈપણ શાસન પદ્ધતિ જેવી કે લોકશાહી, રાજાશાહી કે સરમુખત્યારશાહી હેઠળ હોય, પરંતુ તેઓ ગમે ત્યારે ક્રાંતિકારી કે રાજકીય કટોકટીમાં આવી શકે છે. તેઓ એવી કટોકટીપૂર્ણ કે અવાંછિત અને દુ:ખદ એવી ખોટી માન્યતાઓ ધરાવવાની પરિસ્થિતિમાં આવી શકે છે, કે જ્યાં અન્યો પરત્વે અસહિષ્ણુતા હોય, રૂઢિગત ધિક્કારની લાગણી હોય, વંશીય હુમલાઓ થતા હોય, નિર્દોષોની સરેઆમ કત્લેઆમ થતી હોય, કહેવાતી જાતિવાદી સફાયાની અરેરાટીપૂર્ણ હિંસાત્મક ઘટનાઓ ઘટતી હોય અથવા તો અન્ય કોઈપણ પ્રકારના ત્રાસ અને જુલ્મ આચરવામાં આવતા હોય. કોઈપણ સમયે આવી માનવસર્જિત આફતો કાં તો શાસક પક્ષ તરફથી પ્રેરિત હોય અથવા શાસિત પ્રજામાંથી ક્રાંતિ કે પરિવર્તનના નામ હેઠળ ઉદ્ભવતી હોય. આપણે લોકો હંમેશાં એવી ખતરનાક પરિસ્થિતિમાં જીવતા હોઈએ છીએ જેમ કે મધુર ગીત ગાતા કોઈ પંખીએ પોતાનાં ઈંડાંને સેવવા માટે તોપના નાળચામાં માળો બાંધ્યો હોય! આજકાલ અચાનક પરિસ્થિતિ બદલાઈ જતી હોય છે અને સરળ રીતે પસાર થઈ રહેલી માનવ જિંદગી એકદમ હાનિગ્રસ્ત થઈ જતી હોય છે.

જો કે ઈશ્વર આપણને બચાવે, પરંતુ આવા સંજોગો માટે આપણે પોતાની જિંદગી, પ્રતિષ્ઠા અને સન્માન બચાવવા માટે દેશાંતર કરવા માટેનો કઠોર નિર્ણય લેવા માટે માનસિક રીતે તૈયાર રહેવું જોઈએ. માણસે ભાગ્યે ફેંકેલા પડકારને ઝીલી લેવા માટે તત્પરતા દાખવવી જોઈએ અને ‘જે થવાનું હોય તે ભલે થાય’ એવી તૈયારી સાથે હિંમતવાન અને સાબદા બની રહેવું પડે.

અહીં હું એક મારા ભલા મિત્ર મિ. જાફરઅલી સુણસરા (જેફ)ની ઓળખાણ આપીશ. તેઓ યુગાન્ડા (આફ્રિકા)માં જન્મ્યા હતા. તેમણે માત્ર પ્રાથમિક શિક્ષણ ભારતમાં લીધું હતું અને અમેરિકામાં સ્થાયી થયા હતા. અમે મિત્રો છીએ, પણ તેથીય વધારે કહું તો છેક ૧૯૫૯થી અમે એકબીજાના ભાઈ સમાન છીએ. મિ. જાફરભાઈના જીવનની ૨૨ વર્ષની કષ્ટભરી જીવનયાત્રાની કહાની આ લેખની મારી પ્રસ્તાવના પછી તરત જ શરૂ થશે, જેમાંની તેમની ધીરજ, તેમનો સંઘર્ષ અને તેમના વ્યક્તિત્વના ઘણા બધા ગુણોનું મૂલ્યાંકન તમે આપમેળે જ કરી શકશો.

“ધી મોર્નિંગ કોલ” ન્યૂઝ પેપરમાં તા.૦૬ નવેમ્બર, ૧૯૯૪ના રોજ તેના પત્રકાર બોબ વિટમન દ્વારા લખાયેલો નીચે દર્શાવેલા શીર્ષક હેઠળનો લેખ પ્રસિદ્ધ થયો હતો. આ લેખને અહીં એ હેતુસર પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યો છે કે જેથી મારા સુજ્ઞ વાચકો તેમાંના સંદર્ભ અને માહિતીને તારવી શકે અને પોતાના જીવનની ગમે તેવી વિષમ પરિસ્થિતિ સામે એક ખડકની જેમ ટટ્ટાર ઊભા રહીને તેનો મુકાબલો કરવા માટેની પ્રેરણા મેળવી શકે.

મારા ભલા વાચકો, હવે આગળ વાંચો અને ખૂબ જ નમ્ર અને અસાધારણ સામર્થ્ય ધરાવતા એવા પ્રખર માનવની બે દસકાઓ કરતાં પણ વધારે સમયની સંઘર્ષ ગાથાના સાક્ષી બનો :

નાગરિકતા વિહોણા એક યુગાન્ડનની ૨૨ વર્ષની કષ્ટદાયક જીવનયાત્રાનો અંત આવશે
(“Stateless” Ugandan’s 22 – year Odyssey will end)

“આજથી બરાબર ૨૨ વર્ષ પહેલાંના આ જ મહિને મિ. જાફરઅલી સુણસરા યુગાન્ડાના કમ્પાલા એરપોર્ટ ઉપર હજારેક લોકોની લાઈનમાં ઊભેલા હતા. જ્યારે લાઈનમાં તેમનો વારો આવ્યો, ત્યારે પોતાના યુનિફોર્મમાં કડક મિજાજના લાગતા એ ઓફિસરે સુણસરાના યુગાન્ડન જન્મ પ્રમાણપત્રને હાથમાં લીધું અને અને તેના ઉપર એક સિક્કો મારી દીધો. ભૂંસી ન શકાય તેવી જાંબુડિયા રંગની એ શાહી જ્યારે સુકાઈ ત્યારે એ દિવસે જાણે કે શુષ્ક હોય એવા આફ્રિકન સૂર્યના પ્રકાશમાં મિ. સુણસરાએ એક જ શબ્દ વાંચ્યો કે જેને મિટાવવા તેમને બે દસકા જેટલો સમય લાગ્યો. એ શબ્દ હતો “નાગરિકતાવિહીન (Stateless)”.

તે જ દિવસે સુણસરાની ત્રણ ખંડોની કષ્ટભરી જીવનયાત્રા શરૂ થઈ જે છેવટે સાચે જ જૂના લેહ કાઉન્ટી કોર્ટહાઉસના કોર્ટરૂમમાં ગુરૂવારે એ વખતે સમાપ્ત થશે, જ્યારે ૬૧ વર્ષના વયોવૃદ્ધ એવા આ ઈસમ પોતાનો હાથ ઊંચો કરીને યુનાઈટેડ સ્ટેટ્સ પરત્વેની વફાદારીના શપથ લેશે અને યુનાઈટેડ સ્ટેટ્સના નાગરિક બનશે. લેહ કાઉન્ટીના નાગરિકત્વ ડિપાર્ટમેન્ટના ક્લાર્ક મિ. બર્નાડેટ કારવેલના મત મુજબ એ દિવસે સાંજે ૪-૦૦ કલાકે ઓછામાં ઓછા બીજા ૪૮ જણ ખાસ નાગરિકત્વ સમારોહમાં યુનાઈટેડ સ્ટેટ્સના નાગરિક બનશે.

મિ. સુણસરાએ અગાઉ એવું કદીય ધાર્યું નહિ હોય કે તેઓ તેમના જીવનમાં એક દિવસે અમેરિકાના પેન સિલ્વેનિયા રાજ્યના એલન ટાઉન નામના શહેરમાં કાયમી વસવાટ કરશે. મિ. સુણસરા સુખી એવા વ્યાપારી કબીલા અને વિષુવૃત્તીય યુગાન્ડા દેશના વેપારી કુટુંબમાં જન્મ્યા હતા. જ્યારે પૂર્વ આફ્રિકા બ્રિટીશ કોલોની તરીકે હતું, ત્યારે તેમના દાદા ભારતથી યુગાન્ડામાં આવી વસ્યા હતા. બ્રિટીશ સરકાર ગ્રેટ બ્રિટનના તાબા હેઠળના આ દેશમાં ભારતીયો વસવાટ કરીને સરકારને મદદરૂપ થાય તે માટે તેમને પ્રોત્સાહિત કરતી હતી. લગભગ દસ હજાર જેટલા ભારતીયો યુગાન્ડાની સરકારી નોકરીઓમાં અને તેના વેપારધંધામાં જોડાયા હતા.

પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી મિ. સુણસરા ૧૯૫૭માં યુગાન્ડાના લિરા ખાતે ‘નોર્થન પ્રોવિન્સ બસ કંપની’માં જોડાયા. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ટિકિટ એક્ઝામિનર, મિકેનિક તથા ટ્રાફિક મેનેજર તરીકે સેવાઓ આપી અને ૧૯૬૫માં કંપનીના સ્ટોક હોલ્ડર અને ડાયરેક્ટર બન્યા.

ઈ.સ.૧૯૬૦માં મિ. સુણસરાએ મદ્રાસ (ભારત)ની એક છોકરી સાથે લગ્ન કર્યાં અને તેમના દાંપત્યકાળમાં તેઓ ત્રણ દીકરીઓ અને એક દીકરાનાં માવતર બન્યાં. સુણસરાને ચાર બેડરૂમનું સરસ મજાનું ઘર હતું, ત્રણ કાર હતી અને રજાઓ દરમિયાન તેઓ નિયમિત રીતે આલ્બર્ટ સરોવર ખાતે ફિશીંગ કરવા જતા. આમ તેઓ સઘળી રીતે સફળ અને સુખી હતા.

પરંતુ ૧૯૭૧માં લશ્કરના ફિલ્ડ માર્શલ ઈદી અમીને સરકારનો કબજો લઈ લીધો અને દેશ અંધાધૂધીમાં ઘેરાઈ ગયો. લશ્કર ગામડાંઓ ઉપર ગેરિલા પદ્ધતિએ ત્રાટકતું અને પોલિસ પણ નાગરિકો ઉપર કેર વર્તાવતી. પોતાના કુટુંબની સલામતી માટે દેશમાં શાંતિ ન સ્થપાય ત્યાં સુધીના સમયગાળા માટે સુણસરાએ પત્ની અને બાળકોને પત્નીના પિયર મદ્રાસ (ભારત) ખાતે મોકલી દીધાં. એ વખતે એમને જરા પણ ખબર ન હતી કે તેઓ પોતાનાં કુટુંબીજનોને આવનારાં ૧૬ વર્ષો સુધી નહિ મળી શકે.

મિ. જેફે સલામતી ખાતર કુટુંબને ભારત મોકલી દીધું એ તેમનું દૂરંદેશીપણું હતું, કારણ કે અમીન ક્રમે ક્રમે લઘુમતી ભારતીઓ ઉપર સખ્તાઈ વધારતો જતો હતો. એક વખતે તો મિ. સુણસરાની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને પૂછપરછ માટે ત્રણ દિવસ સુધી લશ્કરી કેમ્પમાં ગોંધી રાખવામાં આવ્યા હતા. વળી એ જ વખતે બસ કંપનીના ચિફ એક્ઝ્યુકેટિવ ઓફિસરને પણ પકડી લેવામાં આવ્યા હતા અને ત્યાર પછી તેમનો કોઈ પત્તો-પગેરુ મળ્યાં ન હતાં. જો કે મિ. સુણસરાને ઈજા પહોંચાડ્યા વિના મુક્ત કરી દેવામાં આવ્યા હતા, પણ તેમનું હવે પછીનું જીવન પહેલાં જેવું રહ્યું ન હતું. તેઓ કદીય પોતાની ઓફિસે પાછા ફરી શક્યા નહિ અને કંપની વિખેરાઈ ગઈ હતી. તેઓ કેટલાક મિત્રો અને સંબંધીઓના ત્યાં લપાતા-છુપાતા રહ્યા. દુ:ખદ બીના તો એ રહી કે તેઓ એક જ સ્થળે બે રાત્રિથી વધારે રહી શક્યા ન હતા.

પછી તો, ઓગસ્ટ ૧૯૭૨માં અમીને જાહેરનામું બહાર પાડી દીધું કે યુગાન્ડામાં વસતા ભારતીયોએ દેશને છોડી જ દેવો પડશે. યુનાઈટેડ નેશન્સે લોકોને દેશમાંથી સહીસલામત બહાર લઈ જવા માટેનો કાર્યક્રમ ઉતાવળમાં ઘડી કાઢ્યો. મિ. સુણસરા અને તેમનું બહોળું કુટુંબ અને લઘુમતીઓમાંના બીજા ૪૫૦૦૦ જેટલા માણસોને યુરોપના જુદાજુદા સ્થળોના આશ્રય કેમ્પોમાં હવાઈ માર્ગે ખસેડી દેવામાં આવ્યા. તેઓને કોઈ રોકડ નાણાં કે ચીજવસ્તુ પણ લેવા દેવામાં ન આવી. વળી આવા દરેકના જન્મ પ્રમાણપત્ર ઉપર યુગાન્ડન અધિકારીઓએ ‘નાગરિકતાવિહીન (Stateless)’ના સિક્કા મારી દીધા. યુનોએ મિ. સુણસરાને નોર્વેમાં વસવાટ આપી દીધો. નોર્વેજિયન સરકારે તેમને દરિયાકિનારે આવેલા બર્ગન શહેરમાં વસવાટ માટે એક એપાર્ટમેન્ટ આપ્યું અને શિપ યાર્ડમાં કામદાર તરીકેની નોકરી અપાવી દીધી. આ સમય દરમિયાન મિ. સુણસરાના બહોળા પરિવારમાંનાં તેમનાં માતા, ભાઈઓ-ભાભીઓ અને તેઓનાં બાળકોએ યુનાઈટેડ સ્ટેટ્સમાં વસવાટ લઈ લીધો હતો. એ લોકોને એલનટાઉનના સેન્ટ જહોન્સ લુથરન ચર્ચે સ્પોન્સર કર્યાં હતાં અને તેમને લેહ વેલીમાં વસાવી દેવામાં આવ્યાં હતાં.

મિ. સુણસરાને નોર્વે પસંદ ન હતું. તેઓ ત્યાંની ઠંડી સાથે અનુકૂલન સાધી શકતા ન હતા. તેમને ત્યાંના લોકો મૈત્રીભાવવાળા ન લાગ્યા. વળી તેઓ શારીરિક રીતે થકવી નાખતા માનવીય શ્રમકાર્યથી ટેવાયેલા ન હતા. તેમને હંમેશાં એમ જ લાગ્યા કરતું હતું કે કુટુંબને બોલાવી લેવા માટે નોર્વે યોગ્ય સ્થળ નથી. આમ જ્યાં સુધી પોતે અન્ય વિકલ્પ ન વિચારી કાઢે ત્યાં સુધી તેમણે કુટુંબને ભારત ખાતે જ રહેવાનું જણાવી દીધું.

મિ. સુણસરા ચિંતનશીલ માણસ હતા. તેઓ પોતાની ભૂલો કબૂલ કરી લેવામાં જરાય સંકોચ અનુભવતા ન હતા. એમણે નોર્વેમાં પાછા ન ફરવાના ઈરાદા સાથે ૧૯૭૬માં અમેરિકા જવાનો દૃઢ નિશ્ચય કરી લીધો. તેમને તેમનાં માતુશ્રી અને ભાઈને મળવા જવા માટે અમેરિકાના અગિયાર અઠવાડિયાંના ટ્રાવેલ વિઝા મળી ગયા અને એ મુદ્દત વીતી ગયા પછી તેઓ કદીય નોર્વે પાછા ફર્યા ન હતા. મિ. સુણસરાને ખબર હતી કે તેઓ યુ.એસ. ઈમિગ્રેશન કાયદાનો ભંગ કરી રહ્યા હતા, વળી સાથે સાથે તેમને એ ખબર પણ ન હતી કે એ સરકારી તંત્ર દ્વારા એ કાયદાઓમાં કેવી અને કેટલી બાંધછોડ થઈ શકે. તેમનું દૃઢ માનવું હતું કે નિરાશ્રિત તરીકેની તેમની કથની યુ. એસ. ઈમિગ્રેશન સત્તાવાળાઓને તેમની દુર્દશામાંથી તેમને ઉગારવાની ફરજ પાડશે અને તેઓ કાયમી ધોરણે અમેરિકાવાસી બની શકશે.

પરંતુ સચ્ચાઈ જે હતી તેની સામે તેમની ધારણા મુજબ કશું બની શક્યું નહિ. તેમણે જ્યારે એ વખતના અમેરિકન પ્રમુખ જીમિ કાર્ટરને પોતાની કરૂણ કથની લખી જણાવી, ત્યારે યુ. એસ. ઈમિગ્રેશન અને નેચરલાઈઝેશન સર્વિસ (INS) તરફથી સાવ સંક્ષિપ્ત અને તોછડો જવાબ મળી ગયો કે ‘પ્રમુખને કોઈપણ રીતે કાયદાને સુધારવાની સત્તા નથી.’

બીજી તરફ ઈમિગ્રેશન અને નેચરલાઈઝેશન સર્વિસ (INS) તરફથી મિ. સુણસરા વિઝાની મુદ્દત કરતાં વધારે સમય અમેરિકામાં રોકાયા હોવા છતાં તેમનો કોઈ પીછો કરવામાં આવ્યો નહિ. આ સમય દરમિયાન મિ. સુણસરાના મિત્રે તેમને એલનટાઉનના કોલેજ હાઈટ્સ બોલેવર્ડ ખાતે આવેલા ‘સેવન ઈલેવન ફુડ સ્ટોર’માં કાઉન્ટર પાછળ નોકરી આપી. વર્ષો પસાર થતાં ગયાં. મિ. સુણસરાને પત્ની બાળકોનો વિયોગ દુ:ખદાયક લાગતો હતો. પછી તો બધાંના હિતમાં ઠીક સમજીને મિ. સુણસરા ફિલાડેલ્ફીઆ જઈને ઈમિગ્રેશન અધિકારીઓ સમક્ષ હાજર થઈ ગયા. એ લોકોએ તેમને દેશ છોડી જવા માટેનો ઓર્ડર હાથમાં પકડાવી દીધો.

પરંતુ અહીં આશ્ચર્યજનક ટેકનિકલ બાબત એ હતી કે તેમને દેશબહાર હાંકી કાઢવા માટે સામે કોઈ દેશ હોવો જોઈએ જે ન હતો. આ ગાળામાં અમીનને પદભ્રષ્ટ કરી દેવામાં આવ્યો હતો. યુગાન્ડામાં હજુય અંધાધૂંધી પ્રવર્તતી હતી, છતાંય તે લોકો મિ. સુણસરાને સ્વીકારવા તૈયાર ન હતા. નોર્વે તેમને પોતાના દેશમાં ફરી પાછા ફરવા દે તેમ ન હતું, કેમ કે એમણે તેમનું જીવન સુખમય બનાવવા માટે તેમને એક તક આપી હતી, જે તેમણે પોતે જ ગુમાવી દીધી હતી. વળી ભારત કે જ્યાં તેમનાં પત્ની રહેતાં હતાં તે પણ તેમને સ્વીકારવા બંધનકર્તા ન હતું. આમ મિ. સુણસરા યુનાઈટેડ સ્ટેટ્સ માટે સમસ્યારૂપ બની ગયા હતા. મિ. સુણસરાના વકીલ તેમના હદપાર થવા માટેના ઓર્ડરમાંની સમયમર્યાદા વધારવા માટેનો કેસ જીતી ગયા હતા. પછી તો આ મુદ્દત વધારો, વળી મુદ્દત વધારો અને મુદ્દત વધારા ઉપર વધુ ને વધુ મુદ્દત વધારા એમ ચાલતું રહ્યું. છેવટે ૧૯૮૪માં ઈમિગ્રેશન અને નેચરલાઈઝેશન સર્વિસ (INS) દ્વારા તેમને સ્પષ્ટ રીતે જણાવી દેવામાં આવ્યું કે હવે તેમને દેશ છોડી જવા માટેનો મુદ્દત વધારો નહિ આપવામાં આવે અને તેમણે ૨૧મી ફેબ્રુઆરીએ પોતાનાં બિસ્તરાં-પોટલાં સાથે દેશનિકાલ થવા માટે તૈયાર રહેવું પડશે.

પરંતુ, ઈમિગ્રેશન અને નેચરલાઈઝેશન સર્વિસ (INS) મિ. સુણસરાને કયા દેશમાં મોકલી આપે તે એક રસપ્રદ મુદ્દો હતો. જો કે આ અવઢવ પરિસ્થિતિ લાંબા સમય સુધી રહી નહીં અને આ સમયગાળામાં જ એવો માર્ગ નીકળી આવ્યો કે INSની ક્વોટા પદ્ધતિ હેઠળ થોડાક દિવસો બાકી હતા અને અમેરિકામાં કાયમી વસવાટ માટેની તેમના ભાઈ લિયાકતઅલીની સ્પોન્સરશીપ હેઠળ તેમનું નામ નીકળી આવ્યું. જો કે અહીં વાર્તાનો અંત આવતો નથી. કાયદા પ્રમાણે INSની અમેરિકામાં નવેસરથી પ્રવેશ કરવા માટેની એક જરૂરિયાત પૂરી થવી જરૂરી હતી. મિ. સુણસરાએ એક વખત દેશ બહાર નીકળી જઈને ફરીથી અમેરિકામાં દાખલ થવું પડે અને તો જ તેમના કેસના કાગળો પ્રોસેસ થાય અને તેમના કાયમી વસવાટ માટેની ફાઈલ ખુલે.

પરંતુ કાયદાતંત્રની જોગવાઈ-૨૨ હેઠળ મિ. સુણસરા મુસાફરી માટેના માન્ય સાધનિક કાગળો વગર અમેરિકા બહાર જઈ શકે નહિ. અમેરિકા આવા કાગળો આપી શકે નહિ, કેમ કે હજુ સુધી ટેકનિકલી તો તેઓ અમેરિકાના ગેરકાનૂની વસાહતી કહેવાય. આમ છતાંય તેમનું સદ્ભાગ્ય એક ડગલું આગળ આવ્યું અને તેમને તેમની યુવાનવયનો એક મિત્ર ન્યુયોર્કમાં મળી ગયો કે જે મેનહટન ખાતેની યુગાન્ડા કોન્સ્યુલેટ ઓફિસમાં અધિકારી તરીકેની ફરજ બજાવતો હતો. આ મિત્રની મદદથી ટ્રાવેલીંગ માટેના કામચલાઉ કાગળો મળી ગયા. હવે જે કંઈ થઈ રહ્યું હતું તે ઝડપથી થઈ રહ્યું હતું. હવે તેઓ હવાઈ સફર દ્વારા નોર્વે પહોંચ્યા. નોર્વેના ઓસ્લોમાંની યુ. એસ. કોન્સ્યુલેટ ઓફિસમાં જઈને અમેરિકાના કાયમી વસવાટ માટે સઘળી પ્રક્રિયા પૂર્ણ કરી અને છેવટે તેઓ એક કાયદેસરના અમેરિકાના નિવાસી તરીકે હવાઈયાત્રા થકી ન્યુયોર્ક પાછા ઊડી આવ્યા.

ત્યારપછી લગભગ તરત જ મિ. સુણસરા ૧૬ વર્ષના પોતાનાં પત્ની અને બાળકોના સાથેના વસમા વિયોગ પછી તેમને મળવા અને તેમને અમેરિકા લઈ જવા તેઓ ભારત આવ્યા. વર્ષો સુધીની જુદાઈ બાદ કુટુંબ ભેગું થયું ત્યારે તેમનો મોટો દીકરો મહંમદ ૨૬ વર્ષનો યુવાન બની ગયો હતો. તેમની સૌથી નાની દીકરી નસીમ જ્યારે તેને છેલ્લી જોવામાં આવી હતી ત્યારે તે માત્ર ૧૫ જ મહિનાની બાળકી હતી, તેણે પોતાનું હાઈસ્કૂલનું શિક્ષણ પૂરું કરી દીધું હતું. મિ. સુણસરા ભારત ખાતે એક મહિના કરતાં વધારે સમય સુધી રહ્યા અને એ વસંત ઋતુમાં આખુંય કુટુંબ એલનટાઉન ખાતે એકત્ર થયું.

પછી દીકરી રૂકસાના પરણી ગઈ. તેણી પોતાના પતિ અને એક દીકરી કે જે મિ. સુણસરાની દોહિત્રી થાય તેની સાથે શિકાગો રહે છે. બીજી એક દીકરી શાહેદા મેરિડિયન બેંકમાં કામ કરે છે અને નસીમ કેડર ક્રેસ્ટ કોલેજમાં અભ્યાસ કરી રહી છે. તેણી દાંતના ડોક્ટરની આસિસ્ટન્ટ તરીકે કામ કરવાની ઇચ્છા ધરાવે છે. મહંમદ એમોસ ખાતે હેરિસન અને લેહ સ્ટ્રીટ મુકામે આવેલા ‘ડોન્સ ફુડ સ્ટોર’માં મદદ કરી રહ્યો છે. મિ. સુણસરા અને તેમના ભાઈ લિયાકતઅલી સદરહુ સ્ટોર અને હવે બીજા એક કોલેજ હાઈટ્સ બોલેવર્ડના ‘સેવન ટેન ફૂડ સ્ટોર’ તરીકે ઓળખાતા સાહસમાં ભાગીદાર છે.

પાંચ વર્ષ પછી મિ. સુણસરા અમેરિકાના કાયમી વસાહતી થઈ ગયા અને હવે તેઓ અમેરિકન નાગરિકત્વ મેળવવાપાત્ર બની ગયા છે. તેમણે થોડાક મહિના પહેલાં નાગરિકત્વ મેળવવા માટેની પરીક્ષા પણ ઉત્તીર્ણ કરી દીધી છે. તેઓ આ અઠવાડિયામાં યોજાનારી ઓલ્ડ કોર્ટહાઉસ ખાતેની નાગરિકત્વ મેળવવા માટેની પ્રતિષ્ઠિત ઉજવણીમાં ભાગ લેવા માટેની રાહ જોઈ રહ્યા છે.

મિ. જાફરઅલી સુણસરા માને છે કે છેવટે એક પૂર્ણ વર્તુળ સમાપ્ત થયું.”

છેલ્લે હું જહોન ડ્રિંકવોટર દ્વારા લિખિત નાટક ‘અબ્રાહમ લિંકન’ના એક સંવાદને ટાંકીશ : ‘જ્યારે કોઈ સફળતા પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે તે કેટલી સહજ લાગતી હોય છે!’

-વલીભાઈ મુસા
(તા.૦૬-૦૬-૨૦૦૭)

સૌજન્ય (Courtesy) : “The Morning Call” (USA)

(Translated from English version titled as “A full circle swallowed 22 years published on June 06, 2007)

 

Tags: , , , , , , , ,

(૫૨૯) મરહૂમ ડો. મુસા, એક તબીબ કે જે કદીય નહિ ભુલાય – અનુવાદ (Dr. Musa, a Physician will be missed)

(૫૨૯) મરહૂમ ડો. મુસા, એક તબીબ કે જે કદીય નહિ ભુલાય – અનુવાદ  (Dr. Musa, a Physician will be missed)

Click here to read in English

તા. ૦૭ જુલાઈ, ૧૯૯૪ ને ગુરૂવારના રોજ ડો. મુસા જ્યારે ટેનિસ રમી રહ્યા હતા, ત્યારે તેમના ઉપર પહેલો અને છેલ્લો હૃદયરોગનો જીવેલેણ હુમલો થયો હતો અને તેમણે ઘટનાસ્થળે જ છેલ્લો શ્વાસ લીધો હતો. તેમનાં પોતીકાં અને પોતીકા સરખાં સઘળાં સ્નેહીજનો માટે એ આઘાતજનક સમાચાર હતા. તેમનું આમ અચાનક અવસાન પામવું એ મધ્યાહ્ને સૂર્યાસ્ત સમાન હતું, કેમ કે એ જ મહિનાની ૨૫મી તારીખે તેઓ પોતાની જિંદગીનાં માત્ર ૪૧ જ વર્ષ પૂરાં કરવાના હતા.

તા. ૧૧ જુલાઈ, ૧૯૯૪ના “ધી ટાઈમ્સ ન્યૂઝ” સમાચારપત્ર દ્વારા ઉપરોક્ત શીર્ષકવાળા ન્યૂઝ રિપોર્ટ થકી મરહૂમ ડો. મુસાને નીચે પ્રમાણે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી :

“પામરટન હોસ્પિટલના સ્ટાફ ફિઝિશ્યન ડો. અલીમહંમદ મુસાના મૃત્યુના સમાચાર સમગ્ર વિસ્તારમાં શુક્રવારના દિવસે ખૂબ જ ઝડપથી ફેલાઈ ગયા હતા. માત્ર ૪૧ જ વર્ષની ઉંમર ધરાવતા ડો. મુસા ગુરૂવારના દિવસે જ્યારે ટેનિસ રમી રહ્યા હતા ત્યારે હૃદયરોગના હૂમલાથી અવસાન પામ્યા હતા.

ઘણા લોકો ડો. મુસાને એક માત્ર ફિઝિશ્યન કરતાં પણ કંઈક વિશેષ તરીકે ઓળખતા હતા. દર્દીઓ કબૂલે છે કે જ્યારે તેઓ તેમની પાસે સારવાર માટે જતા ત્યારે તેઓ બહુ જ કાળજીપૂર્વક તેમને ખાસ કેસ તરીકે તપાસતા હતા. તેઓ ગમે તેટલા કાર્યમગ્ન હોય, છતાંય ક્યારેય તેઓ દર્દીઓની અવગણના કરતા ન હતા. તેઓ દર્દીના દરેક પ્રશ્નનો સાદી ભાષામાં એવી શાંતિથી જવાબ આપતા હતા કે જેથી તેઓ સારી રીતે સમજી શકે. તેઓ દર્દીએ કરવાની રહેતી દરેક પ્રક્રિયાને વિગતવાર સમજાવતા. તેઓ હંમેશાં દર્દી સાથે સહાનુભૂતિથી વર્તતા અને દર્દીના ભયને હળવો બનાવી દઈને તેની દરેક સમસ્યાનો ઉકેલ બતાવતા. જ્યારે કોઈ દર્દી અવસાન પામે ત્યારે તેઓ તેનાં સગાંવહાલાંને દિલસોજી વ્યક્ત કરતો અંગત ફોન અચૂક કરતા અને મરનારના કુટુંબને હૈયાધારણ આપતા. તેઓશ્રી પોતાની એવી ભલી વર્તણૂક બતાવતા કે આપણને જૂના સમયના ડોક્ટરોની આત્મીયતા યાદ આવી જાય કે જે આજકાલ ખૂબ જ ઝડપથી અદૃશ્ય થતી જાય છે.

ડો. મુસા ૧૯૮૫ની સાલમાં પામરટન હોસ્પિટલમાં જોડાયા હતા. હોસ્પિટલના પ્રબંધક મિ. પિટર કર્ને નિવેદન આપતાં જણાવ્યું હતું કે ડો. મુસાના મૃત્યુથી તેમના સાથી ડોક્ટરો, હોસ્પિટલનો આખોય સ્ટાફ અને કેટલાય મિત્રો ચિર કાળ સુધી શોકગ્રસ્ત રહેશે. તેમણે વધારામાં કહ્યું હતું કે ખાસ તો એવા અસંખ્ય દર્દીઓ કે જે તેમને ભલા, લાગણીશીલ અને કાળજીભરી સારસંભાળ લેનારા તબીબ તરીકે ઓળખતા હતા તેમને તો તેમની અસહ્ય ખોટ સાલશે જ.

ડો. મુસાની પ્રેક્ટિસ પામરટન હોસ્પિટલ પૂરતી સીમિત ન હતી. પામરટનમાં ડેલાવેર ખાતે તેમની પોતાની ઓફિસ પણ હતી. તેઓ નિયમિત રીતે ‘મેહનીંગ વેલી નર્સિંગ એન્ડ કોનવેલસન્ટ સેન્ટર’ ખાતે વિઝિટે જતા હતા અને ત્યાં પણ દર્દીઓની સારવાર કરતા હતા. તેમનો સૌમ્ય મિજાજ, દર્દીઓ પરત્વેની તેમની સહાનુભૂતિ તથા દર્દીઓની સમસ્યાઓને સમજવાની તેમની નૈસર્ગિક શક્તિ એ બધાં તેમના વ્યક્તિત્વનાં ઊડીને આંખે વળગે તેવાં પાસાં હતાં. સમાજમાં જ્યારે લોકો દોડધામ અને ધમાલભર્યું જીવન જીવતા હોય છે, ત્યારે ડો. મુસામાં આવું બધું જોવા મળતું ન હતું. તેઓ પોતાનો સુખી પરિવાર ધરાવતા હતા. તેઓ પોતાના કુટુંબને ખૂબ જ ચાહતા હતા અને કોઈ દર્દી તેમનાં પત્ની કે બાળકો વિષે કોઈ પ્રશ્નો પૂછે તો તેઓ નિ:સંકોચપણે અને આનંદભેર પ્રત્યુત્તર વાળતા હતા.

ડો. મુસા માત્ર પોતાના દર્દીઓની જ કાળજી લેતા ન હતા, તેઓ પોતાના સ્વાસ્થ્યની પણ એટલી જ કાળજી લેતા હતા. તેઓ ઊંચા, આકર્ષક શરીર સૌષ્ઠવ ધરાવતા અને તંદુરસ્તીના પ્રતીક જેવા ખડતલ હતા. પરંતુ તેમના દુર્ભાગ્યે તેમના ઉપર જબદદસ્ત પ્રહાર કર્યો. તેઓ જ્યારે પોતાની તંદુરસ્તીને જાળવવાની પ્રવૃત્તિમાં જ લાગેલા હતા, ત્યારે જ હૃદયરોગે તેમના ઉપર હુમલો કરીને તેમના જીવનને હણી લીધું. તેમના મૃત્યુએ શિષ્ટ અને અન્યોની કાળજી લેનાર એવા માણસ કે જેમને મળવું સૌ કોઈને ગમે એવા તેમને તેમના દર્દીઓ અને તેમના કુટુંબ વચ્ચેથી ચૂપચાપ ઊઠાવી લીધા. એમના પેંગડામાં પગ ઘાલી શકે તેવો ભાગ્યે જ કોઈ માણસ મળી શકે.

એવા દર્દીઓ કે જેમની ડો. મુસાએ સારવાર કરી હતી તેઓ એવા ભાગ્યશાળી પુરવાર થયા કે તેઓ ઓછામાં ઓછા તેમને ઓળખી તો શક્યા અને હકારાત્મક ગુણો ધરાવતા એવા તેમનો લાભ લઈ શક્યા. ખરે જ ડો. મુસા એક એવી ખાસ વ્યક્તિ તરીકે હંમેશાં યાદ રહેશે. કે જે તેમની ભલાઈ અને સેવાભાવનાના ગુણો થકી તેમના દર્દીઓ, મિત્રો, કુટુંબીજનો અને સહકાર્યકરોમાં પ્રિય રહ્યા હતા.

સાચે જ ડો. મુસા કદીય નહિ ભુલાય.”

* * *

પામરટન હોસ્પિટલના પ્રેસિડેન્ટ શ્રી એડવર્ડ જે. મિલર, એમ. ડી. દ્વારા મરહૂમનાં કુટુંબીજનોને નીચેના શબ્દોમાં શોકસંદેશો અને સહાનુભૂતિ પાઠવવામાં આવ્યાં હતાં :

“૭મી જુલાઈ અને ગુરૂવારના રોજ મારું કુટુંબ અને હું વર્જિનિયા ખાતે એક નાનું વેકેશન માણી રહ્યાં હતાં. રાત્રિના લગભગ અગિયાર વાગે જ્યારે અમે ઊંઘવાની તૈયારી કરી રહ્યાં હતાં ત્યારે અમારા રૂમમાં ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી. હું જ્યારે ફોન ઊઠાવવા જઈ રહ્યો હતો ત્યારે મને ફાળ પડી કે ચોક્કસ કંઈક દુ:ખદ ઘટના બની હોવી જોઈએ અને એવી કોઈ સમસ્યા હશે તો જ મને રાત્રે ફોન કરવામાં આવ્યો હશે અને આમ સાચે જ મારી ધારણા સાચી પડી અને મારા સહકાર્યકર ડો. મુસાના અવસાન અંગેના દુ:ખદ સમાચાર મને સાંભળવા મળ્યા. મારી પત્ની જોય અને હું ન માની શકાય તેવા સમાચાર સાંભળીને અમારી આંખમાંનાં આંસુઓને રોકી ન શક્યાં અને અમારી આખી રાત ઊંઘ્યા વગર જ પસાર થઈ. હું ડો. મુસાને છેલ્લાં આઠ વર્ષથી એકદમ નિકટથી ઓળખતો આવ્યો હતો. તેમને હું ખૂબ જ માન સન્માન આપતો હતો અને અસાધારણ સામર્થ્ય ધરાવતા શક્તિશાળી અને સૌમ્ય મહાનુભાવ તરીકે તેમને ઓળખતો હતો.

તેમના સૌમ્ય વ્યક્તિત્વનો મતલબ કે ખરે જ એ ખૂબ જ નમ્ર માણસ હતા અને તેમને શક્તિશાળી ગણાવતાં તેઓ હકીકતમાં બુદ્ધિમાન, સમભાવી અને પોતની ફરજને સમર્પિત હતા. હું કલાકોના કલાકો સુધી સતત ફરજ બજાવ્યે જતા તેમના પરિશ્રમને યાદ કરતો રહ્યો. હોસ્પિટલની અનંત એવી કેટલીય રાત્રિઓ દરમિયાન ફરજ ઉપરના એક ફિઝિશ્યનને જે વારંવાર સાંભળવા મળે એવા ‘તમારો આભાર’ શબ્દો કર્ણપટ ઉપર સંભળાતા રહ્યા. અલી કટોકટીના સમયે ત્વરિત નિર્ણય લઈ શકવાની શક્તિ ધરાવતા હતા અને નિરાશાના સમયે ધૈર્ય ધારણ કરી શકતા હતા. તેમના જીવનની કરૂણાંતિકા એવી ઘટી કે તેઓ પોતાના તાજેતરમાં જ નવીન બનાવેલા આલિશાન નિવાસ સ્થાનમાં આનંદપૂર્વક જીવી રહ્યા હતા અને જે હંમેશાં પોતાનાં સંતાનો વિષેની હર્ષભેર વાતો કર્યે જતા હતા એવા તેવાના સુખમય જીવનમાં અણધાર્યું અને કઠોર ભાગ્ય સમું એ મૃત્યુ આવ્યું.

આગળ એક અવતરણનો સહારો લઈને એમણે ઉમેર્યું કે આમ છતાંય આપણે યાદ રાખવું જોઈએ કે આપણા જીવનને કોઈ એક લાગણીશીલ માણસ સ્પર્શી જાય છે અને તેના ચાલ્યા જવાથી એની માત્ર મધુર યાદો જ બાકી રહી જતી હોય છે. એવી એ વિભુતિઓ આપણા જીવનમાં અનુભવાતા અંધકારને એ પોતાના થોડાક જ પ્રકાશ વડે પણ ઝળહળાવી દઈને દેદિપ્યમાન બનાવી દેતા હોય છે. એ માણસ આપણી વચ્ચે જ રહીને વિકાસ પામ્યો અને એક પ્રભાવશાળી અને મજબૂત માણસ તરીકે જ આપણી વચ્ચે જ અવસાન પામ્યો. આવનારાં વર્ષોમાં આપણે ભૂતકાળ તરફ નજર નાખીશું તો આપણને હંમેશાં એમ જ લાગશે કે આપણે એક યુવાન ફિઝિશ્યનને ગુમાવ્યા છે અને માત્ર એટલું જ વિચારતાં આપણે તેમના મહત્ત્વને ઘટાડી નાખ્યું ગણાશે. અલબત્ત, આપણે ડો. અલીને આપણી યાદોમાં જીવંત રાખીશું. આપણે તેમના હાસ્યને, તેમના સ્મિતને, તેમને પસંદ એવી તેમની વસ્તુઓમાં તેમને યાદ કરતા રહીશું. એ કોણ હતા અને કેવા હતા તે આપણે યાદ રાખીશું અને તો જ આપણે તેમને યુવાન અને જીવિત વ્યક્તિ રૂપે આવનારાં વર્ષોમાં સમજી શકીશું.”

પાછળથી સમગ્ર મેડિકલ સ્ટાફ વતી ડો. મિલરે ડો. અલી મુસા મેમોરિયલ ફંડ ઊભું કરવાની જાહેરાત કરી અને હોસ્પિટલમાં યોગ્ય જગ્યાએ સ્મૃતિચિહ્ન તરીકે ધાતુની તકતી મૂકવાનું નક્કી કર્યું.

લેખ સમાપન પૂર્વે હું ભારે હૃદયે મરહૂમ ડો. અલી મુસાના એક દર્દી – રિચર્ડ સેડોફ અને તેમનાં પત્ની બોબના કેટલાક શબ્દોને ટાંકીશ – “મેં તો ધાર્યું હતું કે મારા મૃત્યુના કોઈક દિવસે તેઓ (ડો. મુસા) મારી મૃત્યુશય્યા પાસે હાજર હશે, પણ અણધાર્યું એવું તે શું બની ગયું કે તેઓ મારી પહેલાં આ દુનિયાને છોડીને જતા રહ્યા! હું મારી એસ્પિરિનની ટીકડી લેતો હોઉં છું, ત્યારે મને ડો. મુસાની યાદ આવી જાય છે. એવા એ ભલા માણસ હતા કે જે દૂર દૂર ઇન્ડિયાથી અહીં ડોક્ટર થવા માટે આવ્યા હતા અને તેમની તરક્કીના એ ઉજ્જ્વળ સમયે જ મૃત્યુ તેમને તેમનાં વહાલાં કુટુંબીજનો, મિત્રો અને એમના વહાલા દર્દીઓ પાસેથી છીનવી ગયું.”

મારા પક્ષે સમાપને કહેતાં, સહાનુભૂતિ એ સુવર્ણ કરતાંય મૂલ્યવાન છે. સુવર્ણ પૃથ્વીના પેટાળમાંથી આવે છે, પણ સહાનુભૂતિ તો સ્વર્ગમાંથી આવે છે. સ્વર્ગ એ ધરતીથી ઉપર છે અને તેથી જ તો સહાનુભૂતિ એ સુવર્ણ કરતાંય મૂલ્યવાન છે.(એક અંગ્રેજી કાવ્ય ઉપર આધારિત)

અત્રે, મરહૂમ ડો. અલીમહંમદ મુસાના જીવન અને મૃત્યુને લગતા સતત ત્રણ લેખો થકી આ લેખમાળાને પૂર્ણ કરું છું. વળી મારા સુજ્ઞ વાચકોને ખાત્રી આપું છું કે મારા બ્લૉગ ઉપર જુદા જુદા વિષયો ઉપર ભવિષ્યે કંઈક ને કંઈક અવનવું આપતો રહીશ.

– વલીભાઈ મુસા
(તા.૨૩-૦૫-૨૦૦૭)

સૌજન્ય : “ધી ટાઈમ્સ ન્યૂઝ” (USA)

(Translated from English version titled as “Dr. Musa, a Physician will be missed” published on May 23, 2007)

 

Tags: , ,

Image

(૫૨૮) બધા જ ડોક્ટર નાણાંભૂખ્યા નથી હોતા -અનુવાદ (Not All Doctors Money Hungry)

Click here to read in English

મારા અગાઉના લેખ “જેનો અંત સારો, તેનું સઘળું સારું – All’s well that ends well”માં ઉપરોક્ત શીર્ષકવાળા ન્યુઝ રિપોર્ટનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે ડો. અલીમહંમદ મુસા હયાત હતા અને ઘણાં વર્ષોના તેમના અભ્યાસ અને અનુભવ પછી જ્યારે એમની પ્રાઈવેટ પ્રેક્ટિસ પૂરબહારમાં ધમધમી રહી હતી, ત્યારે સદરહુ રિપોર્ટ અગ્રગણય દૈનિક સમાચારપત્ર એવા “Early Times”માં પ્રસિદ્ધ થયો હતો.

“આપણે જ્યાં રહીએ છીએ – Where We Live” એવી “Early Times” અખબારની કોલમ હેઠળ સ્ટાફ રિપોર્ટર મિ. રોન ગોવર (Mr. Ron Gower) દ્વારા નીચે પ્રમાણેનું તેમનું દૃષ્ટિબિંદુ/મંતવ્ય રજૂ થયું હતું :

જ્યારે પ્રમુખશ્રી અને હિલેરી ક્લિન્ટને આરોગ્ય કાળજીની સુધારણા ઉપર ભાર મૂક્યો ત્યારે મારા મનમાં અનેક વિચારો ઉદ્ભવ્યા કે એવું શું કરવામાં આવે કે આરોગ્ય જાળવણીનું ખર્ચ ઓછું આવે. આરોગ્ય સેવાઓના ઊંચા ખર્ચનો મુદ્દો એ મારો હંમેશ માટે અને આજે પણ મુખ્ય વિષય જ રહ્યો છે કે કોઈપણ રીતે આ ખર્ચ અંકુશમાં આવવું જ જોઈએ.

આ એક હકીકત છે કે ઘણા ડોકટરો ઓછામાં ઓછું કામ કરીને દર્દી પાસેથી વધુમાં વધુ નાણાં વસુલતા હોય છે. ઘણા લોકો એવું કહેતા સાંભળવા મળે છે કે કેવી રીતે હોસ્પિટલોમાં તેમનો મૂલ્યવાન સમય વેડફાયો અને ડોક્ટરોએ કેવી રીતે દરવાજામાં માત્ર ડોકિયું કરીને તેમની પાસેથી તગડી ફી વસુલ કરી લીધી.

એક વખત હું મારા કુટુંબના એક સભ્યને એલન ટાઉનના એક સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર પાસે લઈ ગયો હતો. અમે વેઈટીંગ રૂમમાં બે કલાક સુધી રાહ જોઈ. છેવટે સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરે તેણીના કાનમાં એક નજર નાખી, પછી બીજા કાનમાં બેત્રણ મિનિટ સુધી કંઈક તપાસ કરી અને અમારી પાસેથી ૧૨૫ ડોલર પડાવી લીધા. એક વખતે હું મારા સસરાને ઈમરજન્સી સારવાર માટે હોસ્પિટલે લઈ ગયો હતો. તેમનો પગ ખૂબ જ સૂઝી ગયો હતો. ડોકટરે અમને ઠપકો આપ્યો કે અમે કેવી મામુલી તકલીફ માટે દર્દીને સારવાર માટે લાવ્યા છીએ. અમે બીજા ડોક્ટરની માગણી કરી અને એ કેસમાં ગેંગ્રીન (હાડકામાંનો સડો)ની ગંભીર બીમારીનું નિદાન થયું હતું.

આ તો એક તરફની વાત થઈ, પરંતુ બીજી તરફ જોઈએ તો મેડિકલના ક્ષેત્રમાં કેટલાક મહાન ડોક્ટરો પણ છે અને તેમાંના કેટલાક અમારા એરિઆમાં પણ છે. આ એવા ડોક્ટરો છે કે જે જેઓ દર્દીની સારી કાળજી લે છે, દર્દી સાથે વિવેક અને સહાનુભૂતિથી વર્તે છે. તેઓ ધીરજપૂર્વક અને શાંતિથી દર્દીને તપાસતા હોય છે, પ્રમાણિક હોય છે અને એ લોકો એવો વ્યાજબી ચાર્જ લેતા હોય છે કે જેનાથી બિલ મેળવતી વખતે દર્દીને હૃદયરોગનો હુમલો ન આવે! એ તો દેખીતું જ છે કે અમે અમારા એરીઆના બધા જ ડોકટરોને ન જ મળ્યા હોઈએ અને તેથી જ તો અમે જે કોઈને મળ્યા છીએ તેમના સાથેના અમારા પ્રથમ જ અનુભવ અંગે અત્રે કંઈક લખીએ છીએ.

આવા ભલા ડોક્ટરો પૈકીના એક કે જેમના પ્રત્યે અમને ખૂબ માન છે અને તે છે પામરટનના ડોક્ટર અલીમહંમદ મુસા. તેમણે અમારા કુટુંબના થોડાક જ સભ્યોની સારવાર કરી છે જેમાંના કેટલાક ગંભીર બીમારીના ભોગ બનેલા હતા. કેટલીકવાર તેમણે અમારા દર્દીને અન્ય સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોના ત્યાં મોકલ્યા છે કે જેઓ કદીય ડો. મુસાને મળેલા પણ ન હોય અને છતાંય તેમને તેમના વિષે ઊંચો અભિપ્રાય આપવો જ પડે કે તેમણે દર્દીને જે પ્રાથમિક સારવાર આપી હતી તે ઉત્તમ પ્રકારની હતી.

તાજેતરમાં જ મારા સસરા અવસાન પામ્યા. ડો. મુસાએ તેમના ફિઝિશ્યન તરીકે લગભગ દસેક વર્ષ સુધી તેમની સારવાર કરી હતી. મારા સસરાને બંને પગે ગેંગ્રીન ઉપરાંત ઘણી બધી ગંભીર સમસ્યાઓ હતી. તેમને કેટલાક હૃદયરોગના હુમલા પણ આવી ચૂક્યા હતા. તેમની ધમનીઓ અને ફેફસાંમાં સોજા પણ હતા. ડો. મુસાએ તેમની સારવાર કરવામાં કદીય પાછી પાની કરી ન હતી. તેમણે ડેવિડના મરતાં દમ સુધી તેમને સાજા કરવા માટે ભારેમાં ભારે ઈન્જેક્શનો આપીને ખૂબ જ જહેમત ઊઠાવી હતી. ઘણીવાર તેમના માટે તે સુપર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોને પણ બોલાવતા અને તેમની રોજબરોજની સુશ્રૂષા માટે પામરટન હોસ્પિટલની પરિચારિકાઓની પણ તેઓ સેવાઓ લેતા હતા.

ઘણીવાર તો અમારે ડો. મુસાને હોસ્પિટલમાં મળવાનું ન બન્યું હોય તેવા સંજોગોમાં પણ તેઓ નિયમિત રીતે ફોન દ્વારા દર્દીની તત્કાલીન પરિસ્થિતિની અમને જાણ કરતા હતા. એક મધ્યરાત્રીએ ડેવિડની જીવનલીલા સમાપ્ત થઈ. પછીની જ સવારે ડો. મુસાનો દિલગીરી દર્શાવતો ફોન આવી ગયો અને એમણે અમને સહાનુભૂતિ કાર્ડ પણ મોકલ્યું.

ડો. મુસા સાથે અમારે કોઈ અંગત કે સામાજિક મૈત્રીના સંબંધો ન હતા, સંબંધો હતા તો માત્ર અમારા ડોક્ટર તરીકેના વ્યાવસાયિક સંબંધો. આમ છતાંય માત્ર ધંધાકીય સંબંધોથી પણ આગળ વધીને તેમણે અમને તેમના વિષે એમ વિચારવાની ફરજ પાડી કે ખરે જ અમે માવજતની આત્મીય લાગણી ધરાવતી એક વ્યક્તિ સાથે કામ પાર પાડી રહ્યા છીએ અને અમને ચોક્કસ ખાત્રી હતી કે તેમ જ હતું.”

આગળ જતાં, ઉપરોક્ત અહેવાલ(Reporting)માં કોલમ-લેખકે પોતાના વ્યવસાયને સમર્પિત એવા કેટલાક ડોક્ટરનો ઉલ્લેખ કર્યો હતો. એ બધા ડોક્ટરો હતા : ફિઝિશ્યન ડો. માર્વિન સિન્ડર, સર્જન ડો. ઓર્લાન્ડો આસો, ફિઝિશ્યન ડો. જ્હોન સ્ટીલ, ત્વચારોગ નિષ્ણાતો અનુક્રમે ડો. ટેરી રોબિન્સ અને ડો. સુસાન કુક્રીર્ક.

છેલ્લે મિ. ગોવર પોતાના અહેવાલનું આ શબ્દોમાં સમાપન કરે છે : “જ્યારે રાષ્ટ્રીય આરોગ્ય સંભાળની સુધારણા માટેનાં પગલાં લેવાની વિચારણા કરવામાં આવે ત્યારે અત્રે ઉલ્લેખાયેલા વ્યાવસાયિકોનાં સલાહસૂચન લેવામાં આવે તો તે ઉત્તમ કાર્ય લેખાશે.”

મારા ભલા વાચકો, અત્રે આ લેખ પૂર્ણ થાય છે. હવે આપણે મારા હવે પછીના આખરી લેખ “મરહુમ ડો. મુસા, એક તબીબ કદીય નહિ ભુલાય (Dr. Musa, a Physician will be missed) એવા ડો. મુસાના જીવન ઉપર મૃત્યુ રૂપી પડેલા આખરી પરદાને વર્ણવતા દુ:ખદ લેખ સાથે મળીશું.

-વલીભાઈ મુસા
(તા. ૨૨-૦૫-૨૦૦૭)

સૌજન્ય (Courtesy) : “Early Times” (USA)

(Translated from English version titled as “Not All Doctors Money Hungry” published on May 22, 2007)

 

Tags: , , ,