RSS

Category Archives: ભાષાવિષયક

(605) શબ્દસૃષ્ટિની સફરે –૩

સુજ્ઞ ગુગમમિત્રો,

આપણે અગાઉની આપણી શબ્દસૃષ્ટિની સફરમાં છેલ્લે એકકોશી જીવ અમીબાની વાત કરી હતી, જ્યાં આપણે ધાતુરૂપ શબ્દોને અમીબા તરીકેની ઓળખ આપી હતી. આમ છતાંય ધાતુ અને અમીબામાં  ભિન્નતા એ છે કે અમીબામાંથી વિભાજન થઈને અમીબા જ બને, પણ ધાતુમાં વૃદ્ધિ થઈને પૂર્વ પ્રત્યય અને પરપ્રત્યય થકી અનેકાએક શબ્દો બની શકે અને છતાંય એ બધા શબ્દોનો જન્મદાતા તો પેલો મૂળ ધાતુરૂપ શબ્દ જ ગણાય.

આ ધાતુરૂપ શબ્દોને લાગતા પ્રત્યયો (પૂર્વગ-ઉપસર્ગ) શબ્દની આગળ આવે. ક્રિયાવાચક શબ્દોની પૂર્વે લાગતા પ્રત્યયોને ઉપસર્ગ કહે છે. સંસ્કૃત તત્સમ ઉપસર્ગ (પ્ર, પરા વગેરે) વીસની સંખ્યામાં છે. વળી તત્સમમાંથી તદ્ભવ ઉપસર્ગ (અ, અણ વગેરે) પણ બન્યા છે. આપણી ભાષામાં અરબી-ફારસી-ઉર્દૂ ઉપસર્ગો (બદ, લા, ખૂબ, બે વગેરે) આયાત પામ્યા છે અને તેમના થકી પણ અનેકાનેક શબ્દો પ્રચલિત બન્યા છે.

આટલા સુધીની મારી સંક્ષિપ્ત ચર્ચા સહેતુક છે. આપણે જ્યારે શબ્દની વ્યુત્પત્તિ જાણવા ઇચ્છીએ, ત્યારે એ શબ્દની આગળ પાછળ લાગતા પ્રત્યયોને પણ ધ્યાનમાં લેવા પડે, તેમને વિચ્છેદવા પડે. અહીં ‘વિચ્છેદ’ શબ્દપ્રયોગે માર્ક ટ્વેઈનભાઈ યાદ આવી ગયા, તેમના આ અવતરણ થકી કે ‘કોઈ બાબત કે વસ્તુનો ઝીણવટભર્યો અભ્યાસ કરવો એટલે જીવવિજ્ઞાનના અભ્યાસમાં દેડકાને ચીરવું કે જ્યાં આપણે દેડકા વિષે ઘણું જાણી તો શકીએ, પણ તેનો અંત મરેલા દેડકાથી જ આવે!’ પરંતુ અહીં આપણા શબ્દોની ચીરફાડ (Dissection)માં મૂળ શબ્દ પ્રાપ્ત થાય છે, નજરે ચઢે છે, જીવિત થાય છે. ચાલો, ત્યારે આજે આપણે કેટલાક શબ્દો તપાસીએ.

(૧) વિજય :

આ શબ્દમાં ધાતુરૂપ શબ્દ ‘જિ’ છે, એકાક્ષરી છતાંય શબ્દ કહેવાય, હોં કે! આના અર્થો  જીતવું; હરાવવું; સર્વોત્કૃષ્ટ થવું વગેરે છે અને તેના ઉપરથી થયેલા શબ્દો – જય, વિજય, પરાજય, જીત, અજિત, પરાજિત, જેતા, વિજેતા, સંજય વગેરે છે. મૂળ ધાતુ જિ ને અ પ્રત્યય લાગવાથી એટલે કે જિ + અ = જય શબ્દ બન્યો. (સંધિના નિયમ ઇ-ઈ પછી વિજાતીય સ્વર આવતાં ‘ઇ’ નો ‘અય્’ બનીને પાછળનો ‘અ’  જોડાઈ જાય. જિ = જ્+ઇ >  જ્ +અય્ + અ > જય.) આમ ‘જય’ શબ્દમાં મૂળ બીજરૂપ ધાતુ ‘જિ’ છે. હવે  આ ‘જિ’ને ‘અ’ પ્રત્યય લાગવાથી ‘જય’ ભાવવાચક સંજ્ઞા બની. વળી આ પ્રક્રિયા આટલેથી ન અટકતાં તેની આગળ ‘વિ’ ઉપસર્ગ લાગતાં, ‘જય’ના અર્થમાં વૃદ્ધિ દર્શાવતો ‘વિજય’ શબ્દ બન્યો.

(૨) બેઆબરૂ :

આ શબ્દે ગ઼ાલિબના એક શેરને સ્મૃતિપટ પર લાવી દીધો. અહીં એક રમૂજી ટુચકાનો રસાસ્વાદ માણીને આગળ વધીએ. એક નાના બાળકની માતાનો સંતાનપ્રેમ ઊભરાતાં તે તેના બંને ગાલ ઉપર હથેળીઓ દબાવતાં બોલી ઊઠી, ‘મારા બચુડા, તારો ચહેરો લાડવા જેવો  ગોળ છે.’ પછી તો બસ, બાળક રડવાનું શરૂ કરી દેતાં બોલી ઊઠ્યું, ‘મા, મારે લાડવો ખાવો છે.’ મારે પણ એવું જ બન્યું કે ‘બેઆબરૂ’ શબ્દ સામે આવ્યો અને આ શેર મારા દિલ-ઓ-દિમાગ ઉપર તેજલીસોટો પાડી ગયો.

નિકલના ખ઼ુલ્દ સે આદમ કા સુનતે આએ હૈં લેકિન
બહુત બે-આબરૂ હો કર તિરે કૂચે સે હમ નિકલે

આ શેરમાંના ‘બેઆબરૂ’  શબ્દથી જ આપણે મતલબ છે. અહીં પૂર્વપ્રત્યય અને શબ્દ બંને ફારસી છે. ‘બે’ પૂર્વ  પ્રત્યયનો અર્થ ‘વગર’ કે ‘સિવાય’ છે, જે થકી વિરોધાર્થી શબ્દ બન્યો છે. મૂળ શબ્દ ’આબરૂ’ને તપાસીએ તો આબ (પાણી, તેજ) + રૂ (મોં, ચહેરો) થાય છે, જેનો સીધો અર્થ ‘ચહેરાની તેજસ્વિતા’ બનશે. આબરૂદાર માણસનો તેજસ્વી ચહેરો જ આપણને કહી દેશે કે જે તે ઈસમ આબરૂદાર છે.

‘બે’ જેવા અન્ય કેટલા ફારસી-અરબી પૂર્વપ્રત્યયો અને પરપ્રત્યયો આ પ્રમાણે છે. કમ (કમજોર), ખૂબ (ખૂબસૂરત), ખુશ (ખુશખબર), ગેર (ગેરફાયદો), દર (દરરોજ), ના (નાપસંદ), લા (લાજવાબ) વગેરે પૂર્વપ્રત્યયો છે. તો વળી પરપ્રત્યયો પણ છે, જેવા કે ખોર (હરામખોર), દાન (કદરદાન), ગાર (મદદગાર), ગર (સોદાગર), ગીર (આલમગીર), ગી (તાજગી), ગીરી (ગુલામગીરી), બાજ (દગાબાજ), દાર (દુકાનદાર)   વગેરે.

ઉપર મોટા ભાગના પૂર્વપ્રત્યયો મૂળ ફારસી કે અરબી શબ્દને લાગ્યા હોઈ તે આખોય શબ્દ આપણી ભાષામાં પ્રયોજાય, ત્યારે તેને તત્સમ શબ્દ કહેવાય. આ બધા પરપ્રત્યયો આપણી ગુજરાતી ભાષાના શબ્દોને પણ લાગી શકે છે. દા.ત. ગેરવર્તન, દાદાગીરી, ગરાસદાર, બેધ્યાન, બિનઆવડત વગેરે.

(૩) ટિકિટ – સિનિમા

ધવલજનોએ આપણા દેશ ઉપર લગભગ બે સૈકા સુધી રાજ્ય કર્યું. ‘સાપ ગયા અને લિસોટા રહ્યા’ની જેમ એ લોકો ભારતીય ભાષાઓમાં તેમના કેટલાક શબ્દો મૂકી ગયા અને ગળાનાં લટકણિયાં (નેકટાઈ) પણ છોડી ગયા. ગુજરાતીમાં અંગ્રેજીના આવા જે શબ્દો અડીંગો લગાવીને બેસી ગયા તેમને તત્સમ  અથવા તદ્ભવનાં લેબલ લાગી શકે. ઉપર આપેલા શબ્દો પૈકી ટિકિટને તત્સમ શબ્દ ગણી શકાય, કેમ કે તેનો જેવો ઉચ્ચાર છે તેવો જ શબ્દ આપણે લખીએ-બોલીએ-વાંચીએ છીએ. ગુજરાતી શબ્દકોશોએ આ શબ્દની જોડણી પણ નિર્ધારિત કરી આપી છે. જો કોઈ ટિકીટ કે ટીકીટ લખે તો તે જોડણીદોષ ગણાય.

અહીં બીજો શબ્દ ‘સિનિમા’ એ અંગ્રેજી ફોનેટિક ડિક્શનરી મુજબ લખવામાં આવ્યો છે. આ શબ્દનો સહી ઉચ્ચાર આ જ છે, પરંતુ આપણે ‘સિનેમા’ બોલીએ, લખીએ, વાંચીએ છીએ. માટે ‘સિનેમા’ને તદ્ભવ શબ્દ ગણવો પડે. અભણ કે ઓછું ભણેલા માણસો અજાણપણે ‘સિનિમા’ બોલે છે, તેથી તેમને સાચા ગણવા પડે. વળી ‘સ્ટેશન’ શબ્દ પણ ગુજરાતીમાં રૂઢ થયેલો છે. ‘ભદ્રંભદ્ર’ હાસ્ય નવલકથામાં ‘ટિકિટ’ માટે ‘મૂલ્યપત્રિકા’ શબ્દ પ્રયોજાયો છે, તો ટ્રેઈન માટે ‘અગ્નિરથ’. હાલમાં ટ્રેઈન ડિઝલથી ચાલે છે, તો ‘ખનિજતેલરથ’ એમ બોલવું પડે. હાલમાં સસ્તા દરવાળી ટ્રેઈન માટે ગરીબોના સ્વમાનના ભોગે ‘ગરીબરથ’ શબ્દવપરાય છે, તો લોનમેળાઓ માટે ‘ગરીબ લોનમેળા’ પ્રયોજાય છે. આ તો જરા સમજવા જેવી થોડી આડવાત થઈ.

હવે આ અંગ્રેજી શબ્દોને પાયારૂપ શબ્દો જ ગણી લેવા પડે અને તેનાં બહુવચન આદિ રૂપ માટે ગુજરાતી વ્યાકરણના નિયમો લાગુ પડે. ‘ટિકિટ’નું બહુવચન ‘ટિકિટો’ જ થાય, નહિ કે ‘ટિકિટ્સ’. આપણી ગુજરાતી ભાષા દરિયાવદિલ છે. દરિયામાં બધી નદીઓ સમાય તેમ આપણે તુર્કી ભાષાના ‘તોપ’ અને ‘તમાકુ’ શબ્દો પણ અપનાવી લીધા અને તોપો ફોડવા માંડ્યા તથા હથેલીઓમાં તમાકુ પણ ઘસવા માંડ્યા.

-વલીભાઈ મુસા

ખાસંખાસ  નોંધ :

આ  શ્રેણીના મારા આ આખરી લેખ પછી વલદા આપ સૌની આ લેખમાળા પૂરતી વિદાય લે છે. ‘વ્યુત્પત્તિ’ વિષય જ સંશોધાનત્મક છે, જે ખૂબ મહેનત માગે છે અને તે માટે સંદર્ભ પુસ્તકો અનિવાર્ય બની રહે છે. વળી આગામી ૭મી જુલાઈએ વલદા ૮૦મા વર્ષમાં પ્રવેશશે, એટલે થોડી રાહત પણ તેમના માટે જરૂરી છે. ગુગમપિતા અને આ શ્રેણીના ગુગમકાકાએ મને ભાવભીની વિદાય આપી છે.  મેં આ વિષય ચાલુ રાખવા માટે એક સૂચન કર્યું છે. જો તે સ્વીકારાશે તો આ શ્રેણી ચાલુ રહેશે, બાકી વલદા આપ સૌ ઉપર હાસ્યફુવારા ઉડાવવાનું તો ચાલુ જ રાખશે. ધન્યવાદ.

 
1 Comment

Posted by on August 4, 2020 in ભાષાવિષયક

 

Tags: ,

(604) શબ્દસૃષ્ટિની સફરે – ૨

સુજ્ઞ ગુગમમિત્રો,

આપણા ગ્રુપના આગવા શ્રી સુરેશભાઈ જાની અને વિભાગીય સંચાલક શ્રી નિરંજનભાઈ મહેતાની સહમતીએ આ  શ્રેણીનું ઉપરોક્ત શીર્ષક નક્કી થયું છે. ગુજરાતી શબ્દોની વ્યુત્પત્તિ એટલે કે શબ્દના ઉગમ, વિકાસ અને અંતિમ સ્વરૂપને > સંકેત થકી માત્ર દર્શાવવું, દા.ત. ઘુતમ્ > ઘિઅં > ઘી; એ જ મારો ઉપક્રમ ન રહેતાં આનાથી વિશેષ એટલે કે પહેલા ભાગમાં દર્શાવ્યા મુજબ શબ્દની વિશદ ચર્ચા થાય તે પણ છે. આમ ‘વ્યુત્પત્તિ’ શીર્ષકના બદલે ઉપરોક્ત શીર્ષક મને થોડી આઝાદી આપશે કે જે થકી હું નીરસ એવા આ વિષયને થોડોક રસપ્રદ બનાવી શકું. દર એકાંતરીય શુક્રવારે આપણે આ શબ્દસૃષ્ટિની સફર ખેડીશું અને વચ્ચેના શુક્રવારોએ  મારી હાસ્યરચનાઓ થકી આપણે હળવાં થઈશું.

આજે હું નીચેના કાવ્યથી આજના લેખની શરૂઆત કરવા માગું છું.

વણલખ્યું 

(અછાંદસ)

સઘળે ફરી વળ્યો શબ્દોને ખોળવા
જડી ગયા ભોંયતળિયે, વેરાયેલા.

કોઈ પ્રેમાળ, કોઈ દ્વેષીલા;
કોઈ વળી સૌમ્ય, તો કોઈ વળી ભાવતા.

કેટલાક આનંદી, કેટલાક દુખિયારા;
કોઈક તો સાચુકલા, સીધા ને સાદા.

કોક તો હતાશ વળી, કોક તો આશભર્યા;
કોક સાવ જૂઠડા જ લીસા ઢોળાવ સમ.

કોઈક વળી ગંભીર, તો કોઈ સાવ રમૂજી;
કોઈ ખૂબ વાલીડા, ને કોઈક તો કશામાં નંઈ.

કોઈ કોઈ મળતાવડા, કોઈ કોઈ મતભેદિયા;
કોઈ વળી લહેરી, તો કોઈક સાવ રોતલ.

કેટલાક ટચુકડા, તો કેટલાક લંબુજી;
ને કોક વળી મરતલ, તો કોક વળી ભડવીર.

કોક તો લેખામાં નંઈ, કોઈક વળી ભાવતા;
કોઈ સાવ મસ્તરામ, તો કોક વળી ભારી વેંઢારવા.

આપણાં લોક જ્યમ, તેઓ શ્વસતા-સંવેદતા;
ને હડધૂત જો કરીએ તો દુભાય ઘણેરા બાપડા.

મુજ કાવ્ય જ્યાં બે તૃતીયાંશ માત્ર સર્જાયું,
ને નીચો વળ્યો ઢૂંઢવા કોઈક અદકેરા શબ્દ.

પીડાભરી ચીસ થકી સહસા એ શબ્દોએ
બુમરાણ એવી તો મચાવી

કે ‘બસ કરો સતામણી ને
છોડી દો તવ કવિતા અધૂરી.

મુક્ત તો છીએ અમે, ભલે વેરાયેલા હોઈએ.
ભોંયતળિયે અમને છોડી દો, રહેવા દો અમને,

બસ એમ જ રહેવા દો.’

– વિજય જોશી (કવિ)

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

ઉપરના કાવ્યમાં વાત થઈ છે, વિવિધ ભાવ દર્શાવતા હાથવગા શબ્દોની; પણ આપણે તો એ શબ્દોની જન્મકૂંડળી કાઢવાની છે; વળી એટલું જ નહિ, એ શબ્દોના સહી ઉચ્ચાર અને સહી જોડણીને સમજવાનાં છે, તેમના અર્થ-અનર્થને પણ ચકાસવાના છે. ચાલો ત્યારે, આપણે આગળ વધીએ.

(૧) અશ્વમેધ :

આ શબ્દ વાણીવ્યવહારમાં પ્રચલિત ન હોવા છતાં તેને એટલા માટે અહીં લીધો છે કે મોટાભાગના લોકો ‘મેધ’માંના ‘ધ’નો (‘ધજા’વાળો ‘ધ’) ઉચ્ચાર ‘ઘ’ (‘ઘર’વાળો ‘ઘ’) કરતા હોય છે, જે નિરર્થક છે. ‘મેધ’ના અર્થો ‘હણવું’, યજ્ઞમાં ‘આહુતિ આપવી છે; જ્યારે ‘મેઘ’નો અર્થ ‘વરસાદ’ છે. ‘અશ્વમેધ’નો શબ્દકોશીય અર્થ છે : ઘોડાનાં અંગને અગ્નિમાં હોમવામાં આવતાં તેવો સમ્રાટોથી જ સિદ્ધ કરવામાં આવતો હતો તે એક વૈદિક યજ્ઞ. ‘અશ્વ’ અને ‘મેધ’ સંસ્કૃત તત્સમ શબ્દો હોઈ તેની વ્યુત્પત્તિનો સવાલ ઊભો થતો નથી. મારા એક મરાઠી મિત્ર ડો. પુરોહિત એમના અભ્યાસકાળની રમૂજી વાત કહેતા. ‘નાગદમન’ કાવ્યમાં આવતા ‘ચરણ’ શબ્દનો અર્થ એક  વિદ્યાર્થીએ સાહેબને પૂછ્યો,’સાહેબ, ચરણ એટલે શું?’ સાહેબે જવાબ આપ્યો, પગ. પેલા ટીખળીખોર છોકરાએ આગળ પૂછ્યું, ‘સાહેબ, પગ એટલે?’ સાહેબે સહેજ ગરમ થતાં કહ્યું, ’ટાંટિયો’. પેલાએ સાહેબના મગજની નસ વધુ ખેંચતાં વળી પૂછ્યું, ‘પણ સાહેબ, ટાંટિયો એટલે શું?’ હવે સાહેબનો ગુસ્સો પરાકાષ્ઠાએ પહોંચ્યો અને જવાબ આપ્યો, ‘તારા બાપનું કપાળ’. વર્ગમાં સોપો પડી ગયો હતો. માટે મિત્રો, એ બે શબ્દોની વ્યુત્પત્તિ એ બે શબ્દો પોતે જ છે; જો કોઈ પૂછશો તો જવાબરૂપે તે જ શબ્દો મળશે.

(૨) લઘુતમ અને ગુરુતમ :

આપણા અંકગણિતના વિષયમાં લ.સા.અ. (લઘુતમ સાધારણ અવયવી) અને ગુ..સા.અ. (ગુરુતમ સાધારણ અવયવ) શબ્દસમૂહો પ્રયોજાતા. આજે તાપમાન, વેતન આદિ ઘણી જગ્યાએ પ્રયોજાય છે. અહીં પણ  લઘુત્તમ અને ગુરુત્તમ જેવા ખોટા ઉચ્ચાર સાંભળવામાં આવે છે.

આ ‘તર’ અને ‘તમ’ ઉત્કર્ષવાચક વિશેષણસાધક પ્રત્યયો છે. અહીં ભંદ્રભદ્રીય કંઈક આવ્યું, ખરું ને! અંગ્રેજીમાં Degree of comparison માં આવતા ‘er’ અને ‘est’ જેવા આ તર અને તમ પ્રત્યયો છે. small, smaller, smallest (લઘુ, લઘુતર, લઘુતમ), એ જ પ્રમાણે big, bigger, biggest (ગુરુ, ગુરુતર, ગુરુતમ) . આમ આ બંને શબ્દોમાં ‘હત્તારીની’વાળો બેવડો (દારૂડિયો નહિ, હોં કે!) ‘ત્ત’ નથી, પણ એકલો, અટુલો, બિચારો, ગરીબડો ‘ત’ છે. વળી પેલા ઉપર જણાવેલા અનાડી છોકરાની જેમ કોઈ જીદે ભરાય કે ‘ના, હું તો ગાઈશ’ની જેમ લઘુત્તમ અને ગુરુત્તમને જ પકડી રાખે, તો આપણે તેનો કાન પકડીને કહેવું પડે કે તો લખ, ‘લઘૂત્તમ અને ગુરૂત્તમ’! સંધિના નિયમ પ્રમાણે લઘુ+ઉત્તમ= લઘૂત્તમ અને  ગુરુ+ઉત્તમ=ગુરૂત્તમ થાય, એ પાર્થ ગણપતલાલ લખતરિયા, યાને કે ???! (???, તમે ચતુર કરો વિચાર!)

(૩) ધાતુ :

આ શબ્દ આપણા ભાષાશાસ્ત્રમાં ક્રિયાપદના મૂળરૂપ માટે પ્રયોજાય છે. વળી એ જ શબ્દ પ્રજનનશાસ્ત્રમાં અને લોખંડ (Metal) ના અર્થમાં પણ વપરાય છે. અ ત્રણેય જગ્યાએ એ ‘ધાતુ’ એક પાયારૂપ એવો શબ્દ છે કે જે થકી એકમાંથી અનેક થઈ શકે છે. ભાષાશાસ્ત્રની વાત પછી કરીએ; પહેલાં પ્રજનનશાસ્ત્રની વાત કરીએ તો એ ધાતુ થકી વંશવૃદ્ધિ થાય છે, તો વળી બીજા ક્રમે ધાતુ (લોખંડ) વિષે કહીએ તો તેના એક ટુકડામાંથી ગાળીગાળીને અનેક આકારના પદાર્થો બનાવી શકાય છે. ભાષાશાસ્ત્રમાં પણ ‘ધાતુ’નું એ જ કામ છે. પૂર્વગ-ઉપસર્ગ કે પ્રત્યયો થકી એક જ ધાતુમાંથી અધધ કેટલાય શબ્દો બનતા હોય છે, જેનો ઉલ્લેખ હું છેલ્લે કરીશ.

વચ્ચે ભલે આડવાત હોય, પણ હું અહીં ચંદ્રકાન્ત બક્ષીને ટાંકીશ. તેમણે ‘શબ્દ એટલે…’ લેખ હેઠળ પોતાનું દૃષ્ટિબિંદુ આમ સમજાવ્યું છે : “દરેક શબ્દની પાછળ એક કારણ હોય છે અને કારણ કે હેતુ, મૂળ કે ધાતુ શોધવી એ વ્યુત્પત્તિનું કામ છે. ઘણી વાર એ મળી જવાથી એ સમયના સમાજશાસ્ત્રથી ઇતિહાસ સુધીની ઘણી માહિતી મળી શકે છે અને આપણે શું બોલીએ કે લખીએ છીએ એ વિષે સ્પષ્ટતા થઈ જાય છે. પણ વ્યુત્પત્તિ વિષે એક પણ પુસ્તક ગુજરાતીમાં જોવામાં આવ્યું નથી, એટલે ખોદીખોદીને એકએક શબ્દની ઉત્પત્તિ શોધવી પડે છે. ગુજરાતની સાહિત્ય અકાદમી, કલાસંસ્કૃતિના રખેવાળો, વિશ્વવિદ્યાલયો, ગુજરાતીના અધ્યાપકો ગમે તે આ કામ શરૂ કરી શકે છે; કારણ કે ગુજરાતી શબ્દનું ગોત્ર શોધવાની પ્રવૃત્તિ માટે લાઈસન્સ લેવાની જરૂર નથી. માણસ ઘરમાં બેસીને પણ એ કાર્ય શરૂ કરી શકે છે. જરૂર છે માત્ર કાર્યાર્થીઓની.”

હવે હું ઊભવાત ઉપર આવું છું. કોઈક ભાષાવિજ્ઞાનીનો દાવો છે કે જગતભરની તમામ ભાષાઓ એક ભાષામાંથી જ અસ્તિત્વમાં આવી છે. વાત સાચી લાગે છે, કેમ કે આદિપુરુષ મનુ હોય કે આદમ તેમની પોતાની ભાષા કોઈ એક જ હોઈ શકે. હવે ‘મનુ’માંથી જન્મેલા ‘મનુજ’ કહેવાયા, તો ‘આદમ’માંથી જન્મેલા ‘આદમી’ કહેવાયા. વળી એ જ ભાષાવિજ્ઞાની આગળ એવી વાત કરે છે કે કદાચ આપણે એ સાંભળીને બેશુદ્ધ થઈ જઈએ. તેમનું કહેવું છે કે મૂળ એ એક ભાષા માત્ર વીસેક ધાતુઓમાંથી બનેલી છે. બધા ગુગમવાચકો કદાચ ભાન ગુમાવશે, પણ હું તો ભાનમાં જ રહીશ, કેમ કે હું ‘વેદો’ને ‘દેવવાણી’ની જેમ ‘કુરઆન-એ-પાક’ને ‘કલામે રબ્બાની’ સમજું છું. ‘કુરઆન-એ-શરીફ’માં આ મતલબની એક આયત (શ્લોક) આવે છે કે ‘અમે તેને (આદમને) કેટલાંક નામો અર્થાત્ શબ્દો શિખવ્યા.’. આમ વાણીની ઉત્પત્તિના કેટલાક કપોલકલ્પિત મતનો મારા નમ્ર મતે છેદ ઊડી જાય છે. મનુષ્ય એ ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છે. તેને અન્ય પ્રાણીઓથી અધિક ધ્વનિ (અવાજ) ઉપરાંત વાણી પણ ભેટ ધરી છે, જેથી તે તેની સ્તુતિ કરી શકે અને પોતાના જીવનવ્યવહારમાં વિચારોની આપલે (Communication) પણ કરી શકે. હવે ભાષાવૈજ્ઞાનિકોનું એ કામ છે કે કેવી રીતે એ વીસ ધાતુશબ્દો સુધી પહોંચવું. વધુમાં વાણી ઈશ્વરદત્ત હોવાનું બીજું પ્રમાણ એ છે કે જેમ નાનું બાળક શ્રવણ અને અનુસરણથી ભાષા શીખે છે, તેમ પ્રથમ  માનવી માટે તો અનુકરણીય કોઈ હોય જ નહિ, તો તે કેવી રીતે શીખી શકે? આમ ઈશ્વરે માનવીને આપેલી બેસુમાર નયામતો પૈકીની વાણી પણ એક નયામત છે. હવે આ ઈશ્વરદત્ત વાણીનો સદુપયોગ કરવો કે દુરુપયોગ કરવો તે આપણા પર નિર્ભર છે; ચાહે આપણે કોઈને આશીર્વાદ આપીએ કે શ્રાપ આપીએ, મિષ્ટ વચનોથી કોઈને ખુશ કરીએ કે ગાળો ભાંડીએ, ભજન ગાઈએ કે ફિલ્મીગીતો, સદુપદેશ આપીએ કે અશાંતિ ફેલાવવા લોકોને ઉશ્કેરીએ.

મારી ઊભવાત થોડીક લંબાઈ ગઈ, પણ તે વાત રજૂ કરવી મને જરૂરી લાગી હતી; વળી ગુગમપિતાશ્રી અને ગુગમકાકાશ્રીએ મને આ વિષયે મોકળું મેદાન આપ્યું હોય તો ‘મૈં ક્યું આઝાદ બનકે જી ચાહે વહ ન ખેલું?’ હવે એક જ ધાતુ શબ્દમાંથી કેટલા શબ્દોનો રાફડો ફાટી શકે છે, તેના એક માત્ર ઉદાહરણ (વાદળી હરણ!)થી મારા આ વિષયને સમાપ્ત કરીશ.

‘લગ્ગ’ ધાતુ જેના મૂળભૂત અર્થો છે; લાગવું (To feelના અર્થમાં, નહિ કે To be injured), સંબંધિત હોવું, જોડાવું વગેરે. હવે આપણે ‘લગ્ન’ કર્યાં, તે ‘લગ્ગ’ ધાતુની મહેરબાનીએ, આ તો એક વાત થઈ, હોં! તો આપણે ‘લગ્ન’’ શબ્દથી યાદી બનાવીએ. લગ્ન, લગ્નેતર, સંલગ્ન, લાગ, લાગુ, લાગવગ, લાગણી, લાગણીશીલ, લગાવ, લગભગ, લગાર, લગીર, લગવાડ, લંગર, લગોલગ, લગંત (મૈથુન), લાગલગટ, લગની વગેરે.

સમાપને, અમીબા જેવા એકકોશીય જીવ વિભાજનથી સંખ્યામાં વૃદ્ધિ પામે છે. વિભાજનની થોડી ક્ષણોમાં જ તે નવા વિભાજન માટે તૈયાર હોય છે. વિભાજન પૂર્વે અને પશ્ચાત્ તે સજીવ છે જ રહે છે. બસ, એમ જ આપણા ધાતુરૂપ શબ્દો અમીબા જેવા છે.

અલમઅતિવિસ્તરેણ.

-વલીભાઈ મુસા

 
 

Tags: , , , ,

(603) શબ્દસૃષ્ટિની સફરે – ૧

સુજ્ઞ ગુગમ-સુગમ મિત્રો-ત્રાણીઓ,

આ અગાઉ કપ્તાનશ્રી સુરસિંહજીએ વલદાના હવાલે બે પ્રવૃત્તિઓ કરી હતી, જેમાં સરેઆમ નિષ્કળતા મળી હતી. આ ત્રીજી પ્રવૃત્તિનું સૂરસૂરિયું થવાની તૈયારી હતી અને બાજપાઈભાઈ બાજની ઝડપે આવી પહોંચ્યા તથા હરીશભાઈએ હળવેથી બે શબ્દો સરકાવી દીધા. એ પહેલાં હીઝ હાઈનેસ સુરસિંહજી ઓફ નવરંગપુરા (અમદાવાદ)એ ખુરશીમાં બેઠાબેઠા ખુલ્લા રસોડામાં નજર નાખી અને રાણીબા જ્યોતિજીના બદલે તેમને વાસણો દેખાયાં અને તેમણે તેમને અહીં ફંગોળી દીધાં હતાં.

આપણા કપ્તાનશ્રી એવા નમ્ર છે કે તેઓ પોતાને તુચ્છ સમજે અને અન્યોને ચણાનાં ઝાડ ઉપર ચઢાવીને મહાન બનાવી દે. મને ‘ભાષાશાસ્ત્રી’ તરીકે ઓળખાવનાર એ ઈસમ પોતાના સિવાય અન્ય સૌને, પારકા ભાણે લાડુ સમેતને, મોટા જ સમજે. ભઈલા-લીઓ, ૧૯૬૯માં એમ.એ. (Dropped-પછડાયેલો) એવા આ જણને વ્યુત્પત્તિ જેવા અઘરા વિષયમાં ભણેલું એકાવન વર્ષે ક્યાંથી યાદ રહે! ગુગલની ગુજરાતી માટેની મર્યાદાઓ અને હાથવગાં સંદર્ભ પુસ્તકોના અભાવના કારણે આ કામ મારા માટે પ્રખર લોઢાના ચણા દાંતના ચોકઠા (Denture) વડે ચાવવા બરાબર હોઈ મારે મહદંશે બાહ્ય મદદ લેવી પડી છે. વળી આ પ્રવૃત્તિમાં મારે જ કામ કરવાનું રહે છે, મિત્રો-ત્રાણીઓને તો ખાંસી ખાતા માણસને એકાદ બટન ચગળવા આપી દેવા બરાબર છે. માટે કપ્તાનશ્રીને વિનંતી કે આ પ્રવૃત્તિમાં હું શબ્દો આપું અને અન્યો પોતાને આવડે તેવા જવાબો આપે. આમ થવાથી મારો કાર્યબોજ હળવો રહેશે. આ ફેરફાર થાય તો બરાબર છે, નહિ તો વલદા તરફથી ઈશ્વરાલ્લાહ!

પ્રવૃત્તિખેડૂતના ભાગિયાઓ :

સુરેશભાઈ જાની : થાળી, વાડકી, ચમચી, તપેલું, ખુરશી

આર.એમ. બાજપાઈ : દરિયો અને શેર. આ શબ્દો જે ભાષાઓમાંથી આવ્યા છે, ત્યાં એમનો અર્થ જુદો થાય છે (અનુક્રમે મહાનદી અને વાઘ), જ્યારે ગુજરાતીમાં અર્થફેર થઈ જાય છે. આનું કારણ શું?

હરીશભાઈ દવે : નઘરોળ, કથરોટ

(૧) સુરેશભાઈ જાની :

થાળી : – સ્થાલ (સં) > થાલ (પ્રા.) > થાળ (ગુ) = મોટું વાસણ; થાળી = નાનું વાસણ
વાટકી : – વર્ત (સં) > વર્તુ (પ્રા) > વટ્ટ (જૂ.ગુ.) > વાટકી, વાડકી (ગુ)
ચમચી : – ચુમ્મહ (તુર્કી) > ચમચી, ચમચો (ગુ)
તપેલું (તપેલી) : – આ શબ્દો ‘તપાવવું’ ક્રિયાપદ ઉપરથી બન્યા છે. તપ, તપસ્વી, તાપ, તાવ, તાવવું આ બધા સહોદર શબ્દો છે.
ખુરશી : – કુર્સી (અરબી) > ખુર્સી > ખુરશી

(૨) આર.એમ. બાજપાઈ :

ગુજરાતીમાં દરિયાનો અર્થ સમુદ્ર લેવાય છે, તેનું કારણ એ છે કે નજીકના અર્થવાળા શબ્દોનું પ્રત્યાગમન થતું હોય છે. મોટી નદીઓ ગંગા, બ્રહ્મપુત્ર વગેરે ઘણી જગ્યાએ સાગર જેવી વિરાટ દેખાય છે. બ્રહ્મપુત્રને નદ (નરજાતિ) પણ કહેવાય છે. ઇજિપ્તની નાઈલ નદીને દરિયા-એ-નીલ કહેવામાં આવતી હતી, જે આગળ જતાં દરિયો બની ગઈ! લોકમુખે તાળાં તો શેં દેવાય! મણિલાલ ન. દ્વિવેદી જેવા પ્રખર વિદ્વાન પોતાના ‘મતાંતર’ નિબંધમાં મુસા પયગંબરને લાલ સમુદ્રે માર્ગ કરી આપ્યો તેમ લખે છે. હકીકતમાં નાઈલ નદીએ માર્ગ કરી આપ્યો હતો. નવાઈની વાત એ બની રહી કે ‘દરિયા’માંથી સમુદ્ર તો બન્યો, પણ તે સમુદ્રને નામ પણ અપાઈ ગયું. મુસા અને તેમના અનુયાયીઓની પાછળ ફિરઔનનું લશ્કર આવતું હતું, ત્યારે મુસા પયગંબરે નાઈલના કિનારે આવીને પોતાની અસા (લાકડી, દંડ, છડી) ઊંચી કરી, ત્યારે નાઈલે માર્ગ કરી આપ્યો. બધા સહીસલામત નદીના બીજા કિનારે પહોંચ્યા પછી તેમણે ફરી અસા ઊંચી કરી અને પાણી ભેગું થઈ ગયું, જેમાં ફિરઔનનું લશ્કર ડૂબી ગયું. Ten Commandments ફિલ્મમાં આ દૃશ્ય જોવા મળે છે.

‘શેર’ના અર્થ ફારસીમાં શબ્દકોશ પ્રમાણે સિંહ અને વાઘ એમ બંને બતાવાયા છે. વળી ફારસીમાં જ સિંહ માટે શેર-બબર સામાસિક શબ્દ પણ છે. ગુજરાતી, હિંદી, ઉર્દૂ વગેરે શબ્દકોશમાં શેરનો અર્થ વાઘ પણ છે. મુસ્લિમોના ઈમામ કે ખલિફા હજરત અલીને શેર-એ-ખુદા કહેવામાં આવે છે, ત્યાં પણ વાઘ કે બાઘ સમજવામાં આવે છે. આમ મજાકમાં કહી શકાય કે જંગલના રાજા તરીકેનો હક વાઘનો પણ બને છે! પરંતુ રાજ્યાભિષેક તો આપણે કરીએ છીએ, એ બેઉને તો ખબર પણ નહિ હોય! કોઈને ગમે તે કહી દેવાથી કોઈ ફરક પડતો નથી. અબ્રાહમ લિંકન ( Abraham Lincoln)નું ચાતુર્યપૂર્ણ અને રમુજી એક અવતરણ છે ‘કૂતરાને કેટલા પગ હોય, જો આપણે તેની પૂંછડીને પગ ગણીએ તો? ચાર જ! પૂંછડીને પગ ગણી લેવાથી પૂંછડી પગ બની જાય નહિ!’ ગંભીરતાપૂર્વક કહું તો ભાષાના ઘડવૈયા જે તે ભાષાના ભાષીઓ જ હોય છે. ઘણીવાર કોઈ શબ્દને સામેવાળાએ બરાબર સાંભળ્યો ન હોય અને મનઘડત એ શબ્દ વહેતો થઈ જાય અને છેવટે રૂઢ બની જતાં ચલણી બની જાય છે. વિદ્વાનોના મતે કોઈ ભાષા શુદ્ધ કે અશુદ્ધ હોઈ શકે નહિ. બે જણને સમજાય તે તેમના માટે ભાષા જ છે. ઈશારા કે સંકેત પણ ભાષા જ છે. મારા અંગત મતે તો અશુદ્ધ શબ્દ વધારે વૈજ્ઞાનિક છે. તમે ‘ક્યાં’ને ‘ચ્યાં’ બોલો તો, પાછળવાળો શબ્દ બોલવામાં સરળ પડે છે. ‘ક’ કંઠ્ય વ્યંજન છે, ‘ચ’ તાલવ્ય છે.

(૩) હરીશભાઈ દવે :

કથરોટ (સ્ત્રીલિંગ) : – આનો અર્થ છે, લાકડામાંથી બનેલું થાળી જેવું પાત્ર, જે રોટલી માટેનો લોટ બાંધવા માટે વપરાય છે. હાલમાં ધાતુમાંથી બનેલા આવા પાત્રને પણ કથરોટ કહેવામાં આવે છે. થાળી અને કથરોટમાં ફરક એટલો કે તેમાં કિનારીઓ નાનીમોટી હોય છે. કથરોટમાં લોટ બાંધવાથી લોટ બહાર વેરાય નહિ. આ શબ્દમાં ‘કથ’ કાષ્ટ(સં) ઉપરથી આ પ્રમાણે રૂપાંતર પામ્યો લાગે છે. કાષ્ટ > કાટ્ઠ > કાત્થ > કથ્થ > કથ. હવે પાછળનો શબ્દ પાત્ર સૂચવે છે, જે માટે સંસ્કૃતમાં (કદાચ) વાટી અને મરાઠીમાં (નિશ્ચિતપણે) વાટી શબ્દ છે, જેનો અર્થ ‘વાટકી-વાડકી’ થાય છે. આમ કથરોટ એ મોટું પાત્ર છે. આમ કાષ્ટ અને વટીના ફેરફાર સાથેના સંયોજનથી કથરોટ શબ્દ બન્યો હોવો જોઈએ. કંકાવટી = કંકુ રાખવાનું પાત્ર શબ્દથી પણ ‘વટી’નો અર્થ પાત્ર સમજાય છે. ગુજરાતીમાં એક રૂઢિપ્રયોગ છે : કૂંડું ક્થરોટને નેણે (નીંદે). આનો અર્થ સમજવા પહેલાં વાચ્યાર્થમાં સમજીએ તો કૂંડું ઊંડું હોય છે, જ્યારે કથરોટ છીછરી હોય છે. આમ ઊંડાઈ ઉપર ગર્વ લેતા એ કૂંડાને ખબર નથી કે પોતે માટીમાંથી બનેલું છે, જ્યારે કથરોટ લાકડા કે ધાતુમાંથી બનેલી છે. આમ અહીં અર્થ થાય છે, કોઈ હલકો માણસ ઉમદા માણસની ટીકા કરે. ગુજરાતી લેક્સિકનમાં આ રૂઢિપ્રયોગ ‘કથરોટ કૂંડાને હસે’ એમ છે અને તેનો અર્થ ‘મોટો દોષી નાનાને નિંદે’ આપ્યો છે; પણ સ્પષ્ટતા આપી નથી, તેમ છતાંય અર્થ ઉપરથી સમજી લેવાય.

નઘરોળ : – આ શબ્દ તળપદો લાગે છે. અલ્પાંશે ‘ઓળઘોળ’નો વિરોધી શબ્દ લાગે છે, જેનો અર્થ ‘ઓવારી જવું’ કે ‘વારી જવું’ છે. જો કે બંનેના પદપ્રકાર ભિન્ન છે, માત્ર ઉચ્ચારસામ્ય જ વર્તાય છે. ‘નઘરોળ’નો સીધો અર્થ ગુ.લે.માં મળ્યો નહિ, પણ આડીઅવળી મથામણ કરતાં તેના આ અર્થો મળ્યા : (૧) માત્ર શરીર વધારી જાણેલું. (૨) ચિંતા કે કાળજી વિનાનું, બેદરકાર. (૩) ડહાપણ વિનાનું, ગમ વિનાનું. (૪) આળસુ, એદી. (૫) માનની અપેક્ષા વિનાનું

-વલીભાઈ મુસા

ઋણસ્વીકાર :

(૧) કરીમભાઈ વી. હાડા
(૨) લાડકીબાઈ મુસા (મારું વધુ સારું અડધિયું! – Better Half) – ખાસ ‘કથરોટ’ અને ‘કંકાવટી’ માટેની પૂરક મદદ માટે
(૨) ગુ.લે., ગૂગલ, શબ્દકોશો, સંદર્ભ સાહિત્ય વગેરે

 
 

Tags: , , ,

(512) Best of the year 2013 (3)

You may click on 

(૩૬૩) ‘વેલકમ, વેલકમ…’ (હાદશ્રેણી-૫)

(૩૬૯) ‘વલદાનો વાર્તાવૈભવ’ એક નવીન બ્લોગનો પ્રારંભ

(૩૭૨) એપ્રિલ ફૂલ !

(૩૭૬) ચૂંટેલાં કાવ્યોનું રસદર્શન: વાંસળી વેચનારો – ઉમાશંકર જોશી – ગુજરાતી કાવ્ય

(૩૭૭) ચૂંટેલાં કાવ્યોનું રસદર્શન: ‘અમે સાત છીએ’ (We Are Seven) – વિલિયમ વર્ડ્ઝવર્થ (અંગ્રેજી કાવ્ય)

(૩૭૮-અ) ભાષાવિષયક ત્રણ પ્રકીર્ણ લઘુલેખ

(૩૮૦) ‘વેગુ’પ્રકાશિત ‘ગ્રીષ્મવંદના’ ઈ-બુકમાંની મારી હળવી રચના

(381) Apology

(382) ચૂંટેલાં કાવ્યોનું રસદર્શન : ‘ઝેરી વૃક્ષ’ (A Poison Tree) – વિલિયમ બ્લેક (William Blake)નું અંગ્રેજી કાવ્ય

(383) ચૂંટેલાં કાવ્યોનું રસદર્શન: ‘રાણીની હરીફ’ (The Queen’s Rival) – સરોજિની નાયડુ (અંગ્રેજી કાવ્ય)

(૩૮૮) અનુકાવ્યયુગ્મ – પ્રયોગશીલ સહિયારું ભાષ્ય

(૩૯૦) ભાવવૈવિધ્યે વર્ષાવૈભવ !

(૩૯૨-અ) ગુજરાતી ભાષા અને સાહિત્ય અંગેની કેટલીક અલપઝલપ વાતો

(૩૯૪) વેગુ ઉપરના વિદ્વાન શ્રી મુરજીભાઈ ગડાના “સમય-૨ : સમય શું છે ?” લેખ ઉપરનો મારો પ્રતિભાવ

(૩૯૬) વેગુ ઉપરના મુરજીભાઈ ગડાના ‘સમયની સાથે સાથે…’ (૧) ઉપરનો મારો પ્રતિભાવ

(૩૯૭) માનવતાનો સાદ (Open to Re-blog and Publicize)

(૩૯૮) મારી વાર્તા ‘ભ્રમ ખોટો પડ્યો !’ ઉપરના પ્રતિભાવનો પ્રતિ-પ્રતિભાવ !

(૩૯૯) બાળનજરે સાહિત્યકાર !

(૪૦૦-અ) માતૃભાષા ભુલાય ખરી ?

(૪૦૦-બ) ગુજરાતી જોડણી – બે સાંપ્રત વિચારધારાઓ

(૪૦૦-ક) કૌંસની અંદર, કૌંસની બહાર અને કૌંસમાં કૌંસ !

(૪૦૨) ગુજરાતી ભાષાનું ભવિષ્ય .. એક ચિંતન – દિદાર હેમાણી (અક્ષરનાદ) – મારો પ્રતિભાવ (૧)

(૪૦૩) ગુજરાતી ભાષાનું ભવિષ્ય .. એક ચિંતન – દિદાર હેમાણી (અક્ષરનાદ) – મારો પ્રતિભાવ (૨)

(૪૦૪) ગુજરાતી ભાષાનું ભવિષ્ય .. એક ચિંતન – દિદાર હેમાણી (અક્ષરનાદ) – મારો પ્રતિભાવ (૩)

(૪૦૪-અ) એબ્સર્ડ એટલે … ?

(૪૦૫) વિશ્વતોમુખી આર્ષદૃષ્ટિ (ઈ.સ.૨૨૨૨)

-Valibhai Musa 

 

 

Tags: , , , , , , , , ,

(૫૦૯-અ) કાવ્ય – કલા કે શાસ્ત્ર; કે પછી એ બંને ? (સંકલન)

પુરોવચન :

‘વલદાની વાસરિકા’ શ્રેણીએ અગાઉ ‘અનુવાદન’ વિષયે આવા જ પ્રશ્નાર્થચિહ્ન શીર્ષકે આવી ગયેલા મારા લેખની જેમ આજે ‘કાવ્ય’ વિષયે એ જ અભિગમે કંઈક લખવાની મારી નેમ છે. વળી આ એક ગહન વિષય હોઈ મારે સંદર્ભ સાહિત્યનો સહારો લેવો પડે તે પણ એક હકીકત છે, કેમ કે વિદ્યાભ્યાસ દરમિયાન વાંચેલું, જાણેલું લગભગ અર્ધી સદી પછી માત્ર યાદદાસ્તના સહારે લખાય તો હકીકતદોષમાં સપડાવાનો ભય રહે. લલિત નિબંધ એ સર્જનાત્મક સાહિત્ય હેઠળ આવે અને ત્યાં તો એના લખવૈયાને કોઈ માનસિક દબાણ હેઠળ રહેવું ન પડે, પરંતુ અહીં તો મારા માટે જવાબદારીભરી ભિન્ન પરિસ્થિતિ છે. જોઈએ વારુ, એ જવાબદારીનાં વહન અને પાલન કેટલા અંશે અત્રે થાય છે, તેની મને અને સુજ્ઞ વાચકોને, લોકબોલીએ કહું તો, ખળે (અર્થાત્ છેલ્લે) ખબર પડશે.

પંડિતયુગના સમર્થ નિબંધકાર આનંદશંકર બાપુભાઈ ધ્રુવે પોતાના એક નિબંધમાં ઘોડેસ્વારી અંગેનું સરસ મજાનું દૃષ્ટાંત આપતાં સમજાવ્યું છે કે ગુરુત્વમધ્યબિંદુંના સિદ્ધાંતને માત્ર શીખી લેવાથી ઘોડેસ્વારી આવડે નહિ; બસ એવું જ કાવ્યસર્જન અંગે પણ છે. કાવ્યશાસ્ત્ર અંગે પ્રાચીન કે અર્વાચીન મીમાંસકોએ આપેલી વ્યાખ્યાઓ કે નિયમોને કંઠસ્થ કરી લેવાથી કાવ્ય લખી શકાય નહિ. આમ છતાંય સહજ અને સ્વાભાવિક રીતે આત્મસૂઝ દ્વારા ઊર્મિ પ્રગટ થયેથી લખાઈ ચૂકેલું કાવ્ય અપ્રત્યક્ષ રીતે પણ મીમાંસકોએ દર્શાવેલાં લક્ષણો ધરાવતું અને તેનાં લક્ષ્યો પાર પાડતું તો હોવું જ જોઈએ. આમ કાવ્ય એ શાસ્ત્ર ગણાય કે કલા એ બે વચ્ચેના સમાધાનકારી નિષ્કર્ષ ઉપર આવીએ તો આપણે સ્વીકારવું પડે કે કાવ્ય એ બંને છે. કાવ્ય એના સર્જન દરમ્યાન એ જ્ઞાત કે અજ્ઞાતપણે શાસ્ત્રને અનુસરે છે અને સર્જાઈ ગયા પછી એ કલાસ્વરૂપે આપણી સામે પ્રગટ થાય છે. આમ છતાંય કલા એ માત્ર પરિણામ નથી, પણ કાવ્યસર્જનની પ્રક્રિયા દરમિયાન શાસ્ત્ર સાથે એ જોતરાય પણ છે.

ગુજરાતી ભાષા જેમ સંસ્કૃત ભાષામાંથી આવતરણ પામી તેમ ગુજરાતી સાહિત્ય પણ સંસ્કૃત સાહિત્યની અસરને ઝીલ્યા વગર ન રહી શક્યું. આમાંય ખાસ કરીને સંસ્કૃતના મીમાંસા સાહિત્યે તો ગુજરાતી સાહિત્યસર્જનમાં તેનો મહત્ત્વનો ફાળો આપ્યો છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યસર્જનમાં સંસ્કૃતના એ પ્રખર વિદ્વાનોના જહેમતભર્યા તલસ્પર્શી અભ્યાસનું અચૂક દર્શન જોવા મળે છે. ચાલો, આપણે એ વિદ્વાનોએ કાવ્યતત્ત્વ અન્વયે તેમના વિચારો અને તારણોના પરિપાકરૂપે આપેલી કાવ્ય (વિશાળ અર્થમાં સાહિત્ય)ની વ્યાખ્યાઓનું વિહંગાવલોકન કરીએ. અહીં ભરતથી અભિનવગુપ્ત અને પ્રતીહારેન્દુરાજથી જગન્નાથ સુધીના મોટા ભાગના વિદ્વાનોના કાવ્ય વિષેના અભિપ્રાયોને આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. (આ માટેના મારા મુખ્ય સંદર્ભગ્રંથનો વિગતે ઉલ્લેખ લેખાંતે કરવામાં આવશે.)

– વલીભાઈ મુસા

* * *

કાવ્યની વ્યાખ્યાઓ :

(૧) ”शब्दार्थौ सहितौ काव्यम् ।” અર્થાત્ – શબ્દ અને અર્થનું સહિતત્વ એટલે કે એ બંનેનું એકરૂપ થવું એટલે કાવ્ય. (‘કાવ્યાલંકાર’ના સર્જક ‘ભામહ’ મતે)

(૨) ‘સાહિત્યદર્પણ’ના રચયિતા વિશ્વનાથના મતે “वाक्यं रसात्मकं काव्यम् ।” અર્થાત્- રસયુક્ત વાક્ય તે કાવ્ય.

(૩) (હેમચંદ્ર) વળી કાવ્યની વ્યાખ્યા આપતાં જણાવે છે કે “अदोषौ सगुणौ सालंकारौ च शब्दार्थौ काव्यम् ।” અર્થાત્- દોષહીન, ગુણયુક્ત અને સુઅલંકૃત શબ્દ તે કાવ્ય. (વિકિસ્રોત પ્રમાણે આ વ્યાખ્યા જગન્નાથના નામે ‘ रमणीयार्थप्रतिपादकः शब्दः काव्यम्’ શીર્ષક હેઠળ रसगङ्गाधरः/आनन १ ગ્રંથમાં જોવા મળે છે.‘વિકિસ્રોત’ સંશોધનાત્મક વેબસાઈટ હોઈ પ્રમાણભૂતતા માટે સુજ્ઞ વાચકોના મત પ્રતિભાવકક્ષમાં આવકાર્ય છે.)

(૪) મમ્મટનો મત કાવ્ય વિષે કંઈક આમ છે: “तददोषौ शब्दार्थौ सगुणावनलंकृति पुनः काव्यापि ।” વળી મમ્મટ કયારેક કાવ્ય અલંકારરહિત હોય એમ પણ ઇચ્છે છે.

(૫) “शब्दार्थौ सहितौ वक्रकविव्यापारशालिनि ।“-“वक्रोक्तिजीवितः” ના સર્જક કુન્તક કાવ્યની વ્યાખ્યામાં વક્રોક્તિ ઉપર ભાર મૂકવા ઉપરાંત “बन्धे व्यवस्थितौ काव्यं तद्विदाहलादकारिणि ।।” દ્વારા આમ પણ કહે છે કે ‘જ્ઞાતાઓને આનંદ આપનાર, તેમજ બંધમાં વ્યવસ્થિત રહેલા શબ્દ અને અર્થ એ કાવ્ય.’

(૬) પંડિત જગન્નાથ “रसगंगाधर”માં જણાવે છે કે “रमणीयार्थ प्रतिपादकः शब्दः काव्यम्।” અર્થાત્ – શબ્દનું રમણીય રીતે અર્થમાં પ્રતિપાદન કરે તે કાવ્ય.

(૭) દંડી કાવ્યની વ્યાખ્યા આમ આપે છે : ” शब्दार्थौ ईष्टार्थव्यवच्छिन्ना प्रतिपादकः काव्यम् ।” અર્થાત્ – જે સારા અર્થનું વિચ્છેદ પ્રતિપાદન કરે છે તે શબ્દ એટલે કાવ્ય.

(૮) ભરત મુનિએ ‘નાટ્યશાસ્ત્ર’ નામક પોતાની કૃતિમાં ભલે ‘નાટક’ના સ્વરૂપને સમજાવ્યું હોય તેમ છતાંય નાટકો પદ્ય સ્વરૂપે હોય તો તેમને ‘કાવ્યો’ જ સમજવાં પડે અને તેથી જ એ કાવ્યની વ્યાખ્યા પણ બની રહે. નાટકનાં અન્ય અંગોને બાદ કરતાં માત્ર કાવ્ય વિષેના ભરતના વિચારો સમજવાનો પ્રયત્ન કરીએ તો ભરતે કાવ્યસર્જનમાં રસ અને ભાવને પ્રાધાન્ય આપ્યું છે.

(૯) ઉદ્ભટના ‘કાવ્યાલંકારસાર સંગ્રહ’માં અલંકારો વિષેની વિશદ માહિતી સાંપડે છે અને તેણે કાવ્યરચનામાં અલંકારનો વિનિયોગ કરવા ઉપર ભાર મૂક્યો છે.

(૧૦) વામન વિરચિત ‘કાવ્યાલંકારસૂત્રવૃત્તિ’માં કાવ્યમાં અલંકાર વિષેની ઊંડાણથી ચર્ચા કરવામાં આવી છે. વામનની કાવ્યમાં અલંકાર અંગેની વિચારધારાને તેમના પોતાના સંક્ષિપ્ત આ શબ્દોમાં સમજી શકાય છે કે ‘અલંકાર એટલે કાવ્યમાં સૌંદર્ય આપનાર તત્ત્વ.’ આજકાલ પ્રયોગશીલ કવિઓ ગદ્યકાવ્યો લખે છે. ‘વેબગુર્જરી’માં અગાઉ ‘ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય : શ્રી બાબુ સુથારનાં ગદ્યકાવ્યો’ આવી ચૂક્યાં છે. ઈ.સ. ૮૦૦ આસપાસના સમયગાળામાં થઈ ગયેલા વિદ્વાન વામને એમના ગ્રંથના અધ્યાય-૩માં કાવ્યના પ્રકારોમાં આમ કહી જ દીધું છે કે ‘કાવ્યં ગદ્યં પદ્યં ચ’ ॥ ૨૧ ॥ અર્થાત્ ‘કાવ્ય ગદ્ય અને પદ્ય એમ બંને પ્રકારનું હોય છે.’

(૧૧) રુદ્રટના ‘કાવ્યાલંકાર’ ગ્રંથમાં કાવ્યપ્રયોજન અંગેના શ્લોકમાં કહેવાયું છે કે ‘વાણીના ઉજ્જવળ પ્રસારવાળો, સરસ કાવ્ય રચનારો મહાકવિ (પોતાના અને) બીજાના પણ ઝળહળતા, સ્ફુટ અને વિપુલ યશને કલ્પ ચાલે ત્યાં સુધી ફેલાવે છે. અહીં કવિ અને કાવ્યની શાશ્વતતા સમજાવવામાં આવી છે.

(૧૨) ‘ધ્વન્યાલોક’ના રચયિતા આનંદવર્ધને ‘શબ્દની વ્યંજનાશક્તિ ઉપર આધારિત ધ્વનિને કાવ્યના આત્મા તરીકે ઘોષિત કર્યો છે.’ તેમણે આ ધ્વનિના ‘રસધ્વનિ’, ‘અલંકારધ્વનિ’ અને ‘વસ્તુધ્વનિ’ એવા ત્રણ ભેદ સ્વીકાર્યા છે.

(૧૩) અભિનવગુપ્તનું કાવ્યશાસ્ત્રમાં મહત્ત્વનું યોગદાન એ છે કે તેમણે કાવ્યમાંથી કેવી રીતે રસ ઉત્પન્ન થાય છે તેનું સૂક્ષ્મ વિવરણ આપીને એમણે કાવ્યની આખી રસનિષ્પત્તિપ્રક્રિયા સમજાવી છે. વળી તેમણે ‘આનંદ એ જ કાવ્યનું અંતિમ ફળ’ એમ દર્શાવીને કાવ્યના શિરમોર સમા આ ઉમદા હેતુનો સ્વીકાર કર્યો છે. આ આનંદની અનુભૂતિ કવિને કાવ્યસર્જન વખતે અને ભાવકને તેના પઠન વખતે થતી હોય છે. મમ્મટ પણ કાવ્યને તત્ક્ષણ પરમ આનંદ આપનાર તરીકે ઓળખાવે છે. વળી આ આનંદને ‘બ્રહ્માનંદ સહોદર આનંદ’ પણ ગણાવાયો છે; અર્થાત્ બ્રહ્મપ્રાપ્તિથી થતા આનંદ જેવો જ આ કાવ્યાનંદ, જાણે કે એ બંને આનંદો એક જ માતાની કૂખે જન્મ્યા હોય એવા (સહોદર).

(૧૪) પ્રતિહારેન્દુરાજ કૃત ‘લઘુકૃતિ’માં કાવ્યમાં ગુણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. તેમના મતે કાવ્ય ‘ગુણસંસ્કૃત શબ્દાર્થ શરીર’ છે.

(૧૫) રાજશેખર રચિત ‘કાવ્યમીમાંસા’માં કાવ્ય અને કવિ વિષેની બૃહદ ચર્ચા છે. કવિ હોવાની આવશ્યક આઠ શરતો છે, જેમને તેમણે કવિત્વની માતાઓ તરીકે સરખાવી છે; જે આ પ્રમાણે છે : સ્વાસ્થ્ય, પ્રતિભા, અભ્યાસ, ભક્તિ, વિદ્વાનો સાથે વાતચીત, વ્યાપક જ્ઞાન, દૃઢ યાદશક્તિ અને ઉત્સાહ.

(૧૬) ‘દશરૂપક’ના કર્તા ધનંજયે વિશેષે તો નાટ્ય વિષે લખ્યું છે. સાહિત્યના નવ રસો પૈકીના શાંત રસને તેઓ નાટ્યના સંદર્ભમાં સ્વીકારતા નથી, કેમ કે એમાં અભિનયક્ષમતા હોતી નથી. આમ છતાંય તેઓ કાવ્યના સંદર્ભે શાંત રસને ગ્રાહ્ય ગણે છે; જેનું કારણ તેઓ એ આપે છે કે કાવ્ય એ માત્ર શબ્દનો જ પ્રાન્ત (વિસ્તાર) છે, અભિનયનો નહિ. આ વાત સાચી પણ છે, કેમ કે નાટકના પાત્રે શાંત રસમાં કોઈ અભિનય આપવાનો રહેતો નથી છે અને આપી શકાતો પણ નથી.

(૧૭) આચાર્ય ક્ષેમેન્દ્ર પોતાના ‘ઔચિત્યવિચારચર્ચા’ ગ્રંથમાં ‘ઔચિત્ય’ને કાવ્યમાં પાયાનું સ્થાન દર્શાવે છે. તેઓ પોતાનો ‘ઔચિત્ય’ વિષેનો વિચાર સમજાવતાં લખે છે કે લોકવ્યવહાર કે કાવ્યમાં અલંકાર ગમે તેટલા આકર્ષક હોય, પણ તે યોગ્ય સ્થાને હોય તો જ શોભે છે. આવું જ તેઓ ગુણ વિષે પણ કહે છે કે ગુણ ગમે તેટલા સુંદર હોય, પરંતુ તે ઔચિત્યયુક્ત હોય તો જ તેમને ગુણ કહેવાય; અન્યથા એ અવગુણમાં જ ખપે. આ વાતના સમર્થનમાં તેઓ સરસ મજાનો રમૂજી શ્લોક આપે છે, જેનો ભાવાર્થ આમ છે : ‘કટિમેખલાને કંઠમાં અને ચમકતા હારને કમર પર ધારણ કરનાર, હાથમાં નૂપૂર અને ચરણમાં કંકણ બાંધનાર, પ્રણામ કરનાર પ્રત્યે શૌર્ય અને શત્રુ પ્રત્યે કરુણા દર્શાવનાર કોણ હાસ્યાસ્પદ બનતા નથી ? ઔચિત્ય વિના નથી અલંકાર શોભતા, કે નથી ગુણ શોભતા.

(૧૮) હેમચંદ્રાચાર્ય ‘કાવ્યાનુશાસન’ના રચયિતા છે. એમના મતે કાવ્ય એટલે લોકોત્તર એવું કવિનું કર્મ (સર્જન). તેઓ શબ્દ અને અર્થને કાવ્યમાં ગૌણ સમજીને રસને જ પ્રાધાન્ય આપે છે અને કાવ્યના હેતુ તરીકે પ્રતિભાને મહત્ત્વ આપે છે.

ઉપસંહાર:

છેલ્લે આપણે ગુજરાતના ઇતિહાસના સુવર્ણકાળમાં થઈ ગયેલા ‘કાવ્યાનુશાન’ ગ્રંથના રચયિતા હેમચંદ્રાચાર્ય (ઈ.સ.૧૦૮૯-૧૧૭૩)ના આપણા લેખના વિષયે ‘કાવ્યપ્રયોજના’ પેટાશીર્ષકે આવેલા શ્લોકને યથાતથ ગુજરાતી ભાષાંતરે સમજી લઈને છૂટા પડીએ :

“તત્કાલ થયેલા રસાસ્વાદમાંથી નીપજનારી અને બીજા વિષયોને (ચિત્તપટ પરથી) હટાવી દેનારી જે બ્રહ્માસ્વાદના જેવી પ્રીતિ (અનુભવાય) તે ‘આનંદ’ કહેવાય. કાવ્યનું આ પ્રયોજન બધાં પ્રયોજનોના રહસ્યરૂપ છે ને કવિ તેમ જ સહૃદય ઉભયને લાગુ પડે છે. યશ તો કવિને પક્ષે જ, કારણ કે આવડા મોટા સંસારમાં કાલિદાસ આદિ કવિઓ જો કે ક્યારના ચાલ્યા ગયેલા છે; તેમ છતાં આજ સુધી સહૃદયો દ્વારા વખણાય છે. વેદ, આગમ આદિ શાસ્ત્રો શબ્દપ્રધાન હોય છે ને તેથી (આજ્ઞા આપતા) સ્વામી જેવા હોય છે, પુરાણ પ્રકરણ આદિમાં અર્થ પ્રધાન હોય છે તેથી મિત્ર જેવાં લાગે છે. ત્યારે કાવ્ય (આ બંને પ્રકારના ગ્રંથો કરતાં) જુદા લક્ષણવાળું હોય છે; તેમાં શબ્દ અને અર્થ બંને ગૌણ બને છે ને રસ પ્રધાન બને છે. જેમ પ્રિયપત્ની (પતિમાં) રસ જન્માવીને (તેને) પોતાની સન્મુખે આણીને ઉપદેશે તેમ આવું કાવ્ય પણ ‘રામ વગેરેની જેમ વર્તવું, રાવણ વગેરેની જેમ નહિ,’ એવે પ્રકારે ઉપદેશ આપે છે. આથી આ પ્રયોજન સહૃદયપક્ષે છે.”

ઋણસ્વીકાર :

(૧) યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ – ગુજરાત રાજ્ય દ્વારા પ્રકાશિત”ભારતીય સાહિત્યવિચાર મંજૂષા ભાગ ૧ અને ૨ (સંપાદક : ડૉ. રમેશ એસ. બેટાઈ અને સહસંપાદક : ડૉ. નારાયણ એમ. કંસારા (કાવ્યની વ્યાખ્યાઓ ૮ થી ૧૮)

(૨) સાવજરાવ સોઢા, જેમનો બ્લૉગ છે : https://sawajbhumi.wordpress.com/ (કાવ્યની વ્યાખ્યાઓ ૧ થી ૭) અને જેમનો લેખ છે : કાવ્યશાસ્ત્ર

(૩) આદર્શ સાર્વજનિક ગ્રંથાલય, કાણોદર (જિ. બનાસકાંઠા) – સંદર્ભગ્રંથો પૂરા પાડવા બદલ.

(૪) विकिस्त्रोतः (સંસ્કૃત વિકિસ્ત્રોત) https://sa.wikisource.org

 

Tags: , , , , , , , , , , ,