RSS

Category Archives: “ભેદભરમની ભીતરમાં” શ્રેણી

(૫૧૧) ભેદભરમની ભીતરમાં  – પ્રકીર્ણ સત્ય ઘટનાઓ અને રહસ્યોદ્ઘાટન (૬)

મારી ‘ભેદભરમની ભીતરમાં’ એવી સળંગ કોઈ એક ઘટના કે પ્રસંગની શ્રેણીમાં છેલ્લે ડિસેમ્બર-૨૦૧૦માં ‘અનીતિના ધંધામાં પણ નીતિમત્તા!’ શીર્ષકે લેખ આપ્યા પછી પાંચેક વર્ષના વિરામ બાદ આજે આપ સૌ સમક્ષ ઉપસ્થિત થાઉં છું; કેટલીક પ્રકીર્ણ સત્ય ઘટનાઓ સાથે કે જે પહેલી નજરે ભેદભરમભરેલી લાગશે, પણ તેમનું રહસ્યોદ્ઘાટન થતાં તે સહજ લાગ્યા સિવાય રહેશે નહિ. સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધાઓ, ભૂતપ્રેતની માન્યતાઓ કે ટંટાફિસાદના મૂળમાં આવી ભેદભરમવાળી ઘટનાઓ હોય છે. આવી રહસ્યમય ઘટનાઓ જાતતપાસ કે ઊંડી તપાસ થયા વગર કંઠોપકંઠ આગળ ધપતી રહેતી હોય છે અને છેવટે લોકોના માનસમાં રૂઢ થતી જતી હોય છે. મારી આ વાતને સમજવા માટે નીચેનું એક પ્રચલિત ઉદાહરણ પ્રયાપ્ત બની રહેશે.

કોઈક ગ્રામ્યસમાજમાં એક રિવાજ રૂઢ થઈ ગયેલો હતો કે જ્ઞાતિભોજનની રાંધવાની કામગીરી શરૂ કરવા પહેલાં ગમે ત્યાંથી બિલાડી પકડી લાવીને ખીલે બાંધવામાં આવે. કેટલાંક વર્ષો બાદ જુવાનિયાઓએ વયોવૃદ્ધોને એનું કારણ પૂછતાં એ લોકોએ જવાબમાં એટલું જ કહ્યું કે ‘આ પ્રથા વર્ષોથી ચાલી આવે છે અને આપણે તેને બંધ કરી શકીએ નહિ.’ જુવાનિયાઓએ બિલાડી બાંધવાની પ્રથા શરૂ થવા પાછળનો એક તર્ક રજૂ કર્યો. તેમણે કહ્યું કે વર્ષો પહેલાં કોઈ બિલાડીએ ઘી અજીઠું કર્યું હશે અને વારંવાર હેરાન કરતી હશે તો તેને બાંધી દેવામાં આવી હશે. લોકોએ આ તર્કને સ્વીકારી લીધો અને બિલાડી બાંધવાની પ્રથા બંધ થઈ.

આજના લેખમાં પહેલાં ‘ભેદભરમ’વાળી કેટલીક સત્ય અને કોઈ એકાદ વળી કપોલકલ્પિત એવી ઘટનાઓ અને ત્યારપછી તેમનાં રહસ્યોદ્ઘાટનો રજૂ કરવામાં આવશે.

ઘટનાઓ :

(૧) અમારા ગામમાં પંચાયત તરફથી પાણીપુરવઠાની વ્યવસ્થા નહોતી થઈ તે પહેલાં કેટલાક મહેલ્લ્લાઓએ આપસી સહકારથી નાનીમોટી ટાંકીઓ બનાવેલી. એક રાત્રે એક ટાંકીની ઈલેક્ટ્રીક મોટર બંધ હોવા છતાંય પાણી ઓવરફ્લો થતું હતું, જે બંધ થાય જ નહિ. જોતજોતામાં લોકો એકત્ર થઈ ગયા, કેમ કે કોઈક ચમત્કારની અફવા ગામમાં ફેલાઈ ગઈ હતી. એવામાં એ ટાંકીનો ઓપરેટર આવ્યો અને એણે જે ખુલાસો આપ્યો તે સાંભળીને બધા હસતાહસતા વિખરાઈ ગયા.

(૨) અમારા ગામથી દૂરના રેલવે સ્ટેશનેથી એક ભાઈ વહેલી સવારે ચાર-સાડાચાર વાગે ગામ તરફ આવી રહ્યા હતા. પોતે એકલા જ હતા અને પાસે નાણાંનું જોખમ પણ હતું. અર્ધા રસ્તે આવતાં તારલાઓના અજવાળામાં એમને લાગ્યું કે થોડેક દૂર રસ્તાની બાજુએ વયોવૃદ્ધ લાગતો કોઈ માણસ બેઠેલો છે અને નક્કી તે ચોર હોવો જોઈએ. એમણે તો ‘ગરીબ માણસ છું, બચરવાળ માણસ છું’ જેવી કાકલૂદીઓ અર્ધાએક કલાક સુધી દૂર ઊભાઊભા કર્યે જ રાખી. છેવટે ભળભાંખળું થતાં રહસ્ય છતું થયું અને ‘હત્તારીની!’ બોલીને તેમણે મલકતા મલકતા અને મનોમન શરમાતા આગળ ચાલવા માંડ્યું.

(૩) દયાળુ એક શિક્ષકદંપતીએ બહારગામના એક વિદ્યાર્થીને પોતાના ઘરે કુટુંબના સભ્યનો જ દરજ્જો આપીને રાખ્યો હતો. એક વાર એ દંપતીને બેત્રણ દિવસ માટે બહારગામ જવાનું થયું અને મોડી રાતની ટ્રેઈનમાં પાછા ફરીને ઘરનો દરવાજો ખટખટાવ્યો, પેલાના નામની મોટા અવાજે કેટકેટલીય બૂમો પાડી; પરંતુ કોઈ જવાબ મળ્યો નહિ. મહેલ્લાના માણસો જાગી ગયા. પેલો હંમેશાં મેડા ઉપર સૂતો હતો. દરવાજો ખુલ્લો હતો. લોકોએ ત્યાંથી અંદર ઢેખાળા નાખ્યા. બધાને વહેમ પડ્યો કે નક્કી એ હાર્ટએટેકથી મરી ગયો હશે. એક પાડોશી તેમના ઘરના મેડેથી ઊતરીને ત્યાં દાખલ થયા. પેલો ઓઢીને સૂતેલો હતો. તેની રજાઈ ઉપર ઢેખાળા પડેલા હતા. તેને હચમચાવીને બેઠો કરવામાં આવ્યો અને ઊંઘના ઘેરણમાં તેણે આપેલા ખુલાસાથી નીચે ઊભેલાઓને હૈયાધારણ આપવામાં આવી કે તે જીવિત જ છે.

(૪) બે સગા ખેડૂતભાઈઓ સહિયારી ખેતી કરતા હતા, રસોડાં અલગ હતાં. ખળામાં વજન કરીને સરખા ભાગે ઘઉંના ઢગલા કરવામાં આવ્યા. ટ્રેક્ટર ખોટવાતાં ઘઉં ઘરભેગા ન કરી શકાયા. બંનેને રાતવાસો રહેવું પડ્યું. બીજા દિવસે સવારે જોયું તો ઢગલા અસ્તવ્યસ્ત હતા. બે ઢગલા વચ્ચે દાણા વેરાયેલા હતા. વહેમ પડ્યો કે કાં તો કૂતરાંઓએ એમ કર્યું હશે, કે પછી કોઈ ચોરોએ હાથ અજમાવ્યો હશે. ફરી ઢગલા તોળવામાં આવ્યા. આગલા દિવસ જેટલું જ બંને ઢગલાઓનું સરખું વજન ઊતર્યું. મોટાભાઈએ કહ્યું કે, ‘હોય નહિ. આમ ન જ થવું જોઈએ!’ નાનાએ પણ કહ્યું, ‘હું પણ એ જ કહું છું કે તેમ ન જ થવું જોઈએ!’ બંને જણાએ સામસામા ખુલાસા કર્યા અને તેઓ એકબીજાને ભેટી પડીને હર્ષનાં આંસુઓએ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.

(૫) ફર્સ્ટ ક્લાસ એ.સી. ટ્રેઈનમાં સફર કરતા એ મહાશયે આગળના સ્ટેશને ટોઈલેટની બારીના તુટેલા કાચ વચ્ચેથી પ્લેટફોર્મ ઉપર ઊભેલા સ્વીપર સાથે વાત કરતાં કહ્યું, ‘અરે ભાઈસાબ, અંદર આકે ઇસ ટોઈલેટકી છત પરસે મેરી ટટ્ટીકો સાફ કર દેના. મૈં આપકો પાંચ રુપયા દૂંગા.’ સ્વીપરે નિરીક્ષણ કરતાં કહ્યું, ‘આપને છીપકલીકી તરહ મગર ઊંધે ચિપકકે વહાં ટટ્ટી કૈસે કી, વહ અગર આપ મુઝે સમજાઓગે તો મૈં આપકો દસ રુપયા દૂંગા!’ (કપોલકલ્પિત)

(૬) પરીક્ષાના દિવસોમાં મોડી રાત સુધી વાંચન કરતા એ વિદ્યાર્થીએ જાતે ચા બનાવવા માંડ્યું. ઘણીવાર સુધી ઊકાળવા છતાં ચાએ રંગ ન પકડતાં એણે માની લીધું કે દુકાનદારે મમ્મીને બનાવટી ચા પધરાવી દીધી છે. તેણે સવારે મમ્મીને ફરિયાદ કરી. મમ્મીએ તેના ગાલે ચીમટી ભરીને ગાલ ઉપર હળવી થાપટ મારતાં ખડખડાટ હસી પડતાં રહસ્ય છતું કર્યું અને એ ભાઈ પણ પોતાની મૂર્ખાઈ ઉપર હસી પડ્યા.

(૭) ઈ.વી.એમ. પહેલાંની ક્રોસ માર્ક પદ્ધતિની મતદાન પ્રક્રિયાના સમયગાળામાં એક વૃદ્ધાએ મતદાન કુટિરમાંથી બહાર આવીને પોતાના પેટ ઉપરના સાડીના પાલવને ઊંચો કરીને તેણે પોતાના પેટ ઉપર કરેલા ક્રોસ માર્કને બતાવતાં પ્રિસાઇડીંગ ઓફિસરને પૂછ્યું, ‘શા’બ, બરાબર હે કે?’ ઉમેદવારના સ્થાનિક પોલીંગ એજન્ટે એક તર્ક રજૂ કરીને વૃદ્ધાની આ બાલિશ ચેષ્ટાને સમજાવી ત્યારે મતદાન મથકમાં હાજર સૌ કોઈ ખડખડાટ હસી પડ્યાં હતાં.

રહસ્યોદ્ઘાટનો :

(૧) વીજપુરવઠો ન હોવાની સ્થિતિમાં પરસ્પરના સહકારના હેતુએ પાસેપાસેની બંને ટાંકીઓની અન્ડર ગ્રાઉન્ડ પાઈપલાઈનમાં વચ્ચે વાલ્વ મૂકી દેવામાં આવ્યો હતો, જે એ વખતે ખુલ્લો રહી જવા પામ્યો હતો.

(૨) એ આકડાનો છોડ હતો, જે એનાં સફેદ ફૂલોના કારણે અને હવાના ઝોકાથી હાલતો હોવાથી બેઠેલા વયોવૃદ્ધ માણસ જેવો લાગતો હતો.

(૩) પરીક્ષાની તૈયારી માટે રાત્રે જાગી શકાય તે કારણે તેણે જાગરણ માટેની ગોળીઓ લઈને સતત બેત્રણ દિવસ વાંચ્યા કર્યું હતું. છેવટે ઊંઘ ઘેરાઈ જતાં એ એવો ઊંઘી રહ્યો હતો કે તેને જગાડવા માટેના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા હતા.

(૪) મધ્યરાત્રિએ મોટાભાઈએ વિચાર્યું હતું કે ગમે તેમ તોયે એ મારો નાનો ભાઈ કહેવાય અને એના હિસ્સે મારે થોડું વધારે આપવું જોઈએ અને તેમણે પોતાના ઢગલામાંથી દસ સૂપડાં ઘઉં ભરીને નાનાભાઈના ઢગલામાં ભેળવી દીધા. તો વળી નાનાભાઈએ વિચાર્યું કે મોટાભાઈ બચરવાળ માણસ છે તો તેમના ઢગલામાં હું દસ સૂપડાં ઘઉં નાખી દઉં તો મને શો ફરક પડવાનો છે?

(૫) મહાશય ટોઈલેટમાં પાણી ન હોવાના કારણે તેમણે છાપાના કાગળમાં ટટ્ટી કરી લીધા પછી ચાલુ ટ્રેઈને તેને બારીમાંથી બહાર ફેંકવા ગયા તો પવનના કારણે છાપા સમેત ટોઈલેટની છત ઉપર એ વિષ્ટા ચોંટી ગઈ હતી.

(૬) ભાઈએ ચાની પત્તીના બદલામાં વાંદરા છાપ કાળો ટુથ પાવડર નાખી દીધો હતો.

(૭) એ વખતે કોંગ્રેસપક્ષનું ચૂંટણીચિહ્ન ગાય અને વાછરડું હતું. પક્ષના કાર્યકરોએ અભણ પ્રજાને સમજાય તે માટે ટૂંકમાં એમ કહ્યે રાખ્યું હતું કે ‘ગાયના પેટ માથે સિક્કો મારવો.’ આ વાત વૃદ્ધાના કાન સુધી આવતાં માત્ર ‘પેટ માથે સિક્કો મારવો’ એમ બદલાઈ ગઈ હતી.

સુજ્ઞ વાચકોને ભાવભીનું આમંત્રણ છે કે પોતપોતાના જાતઅનુભવામાં આવેલા આવા કિસ્સાઓને પ્રતિભાવોમાં અવશ્ય દર્શાવે.

-વલીભાઈ મુસા

 

Tags: , , , , ,

(495) Best of 5 years ago this month Oct.’10 (42)

You may click on

(224) ૯ (નવ) વિષે અવનવું – હાદના દાયરેથી (૪)

(227) ભાવપ્રતિભાવ – ૫ (શ્રી હરનિશ જાની કૃત ‘પ્યાર-તકરાર’ એક લલિત નિબંધ)

(229) ભેદભરમની ભીતરમાં – એક અનોખો દુ:ખદ સ્વાનુભવ (૪)

-Valibhai Musa

 

Tags: ,

(૪૮૦) મારો જન્મદિવસ – તિર્યક (તિરછી) નજરે

મારા આગલા જન્મદિવસ નિમિત્તે લખાયેલા લેખ “મારો જન્મદિવસ – નવી નજરે” ઉપર એક નજર નાખી આવીને આજે મારા આજના ૭૪મા જન્મદિવસે ‘કંઈક’ લખવા જઈ રહ્યો છું, ત્યારે આ લેખનું શીર્ષક તો ઉપર મુજબ સહજ રીતે પહેલું જ લખાઈ જાય છે અને ‘કંઈક’ જે લખવાનું છે તે તો હવે આવી રહ્યું છે. તિર્યક, તિરછી, ત્રાંસી કે બાડી આંખ (Crossed eye) એ આંગિક ક્ષતિ ગણાય છે, પણ અહીં  તિર્યક (તિરછી) નજરે જોવાની વાત છે. હું મારા ૭૩મા જન્મદિવસને અવલોકવા માટેની મારી એ ‘નવી નજર’ને અહીં સહેજ તિરછી કરીને મારા આજના જન્મદિવસને અવલોકીશ. આપ્તજનોને, સ્નેહીજનોને, મિત્રવૃંદને અને બ્લૉગવાચકોને વળી લાગશે કે આ તે વળી કેવી તિરછી નજર હશે અને એ તિરછી નજરે શું અવલોકાશે. તો મિત્રો, એ જાણવા માટે આપ સોએ આગળ વાંચવું જ રહ્યું.

વેદકાલીન ઋષિમુનિઓ આશ્રમનિવાસી છાત્રોને ‘દીર્ઘાયુષ્યમાન ભવ:’ કે ‘શતં જીવેમ શરદ:’ જેવા શબ્દોએ આશીર્વાદ આપતા, જેમાં ‘દીર્ઘ’ શબ્દ તો મોઘમ ગણાય અને તેથી તેમાં નિશ્ચિત વર્ષોનું આયુષ્ય ન સમજાય; પરંતુ ‘શતં જીવેમ શરદ:’માં તો નિશ્ચિત સો શરદ ઋતુઓ સુધીનો જીવિતકાલ અભિપ્રેત છે જ. આમ આનો મતલબ એમ સમજવો રહ્યો કે એ કાળે વધુમાં વધુ સો વર્ષનું આયુષ્ય પર્યાપત ગણાતું હશે અને એનાથી વધારે લાંબું આયુષ્ય જીવનાર અને જીવનારને સંલગ્ન લોકો માટે એ મોજ ન રહેતાં બોજ બની જતું હશે. એવું દીર્ઘ આયુષ્ય ભલે સંખ્યાત્મ્ક (Quantitative) રીતે આકર્ષક અને નવાઈ પમાડનાર લાગે, પણ તેને ગુણાત્મક (Qualitative) રીતે જોતાં નાપસંદ જ કરવું ઘટે.

ભારતીય મુખ્ય ત્રણ ઋતુઓ શિયાળો, ઉનાળો અને ચોમાસુ; એમ વળી પ્રત્યેકની બે પેટા ઋતુઓ અનુક્રમે હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ તરીકે ઓળખાય છે. હેમંત એ ગુલાબી ઠંડીની ઋતુ ગણાય, વસંતને ઋતુરાજનું બિરૂદ અપાય તો વર્ષાને વળી જીવનદાયિની તરીકે ઓળખવામાં આવે. આમ આ ત્રણેય પેટાઋતુઓને તેમની અનુગામી ઋતુ કરતાં ચઢિયાતી ગણવામાં આવે છે અને તેની પાછળનો તર્ક આ પ્રમાણે હોઈ શકે. હેમંતની ઠંડી સહ્ય હોય, જ્યારે શિશિરની ઠંડી હાડકાંને પણ ધ્રૂજાવી નાખે; વસંત ફૂલોની ઋતુના કારણે અહ્લાદક લાગે, જ્યારે ગ્રીષમમાં માથું ફોડી નાખતી ગરમી હોય; અને, વર્ષામાં અમૃતશો વરસાદ વરસતો હોય, જ્યારે શરદ તો આયુર્વેદની દૃષ્ટિએ રોગોની માતા ગણાય. હવે આપણે પેલા ઋષિમુનિઓની સો શરદ સુધી જીવવાના આશીર્વાદની વાતના રહસ્યને એ અર્થમાં પામી શકીએ કે શરદ ઋતુના રોગોમાંથી માણસ બચી જઈને એ ઋતુને હેમખેમ પાર પાડે તો ભયો ભયો ! આમ ભારતીય ઋતુચક્ર પ્રમાણે શરદ ઋતુનો છેલ્લો દિવસ એ જોખમી તબક્કાનો અંતિમ દિવસ ગણાય અને જે જણ જીવી ગયો તેણે જાણે કે નવજીવન પ્રાપ્ત કરી લીધું. અહીં એક તર્ક લડાવી શકાય કે આ નવજીવનની ખુશીમાં જ કદાચ દિવાળીના તહેવારો ઊજવવામાં આવતા હશે અને દિવાળીની રાત્રે ફટાકડા પણ ફોડવામાં આવતા હશે !

ભૂમિતિના વિષયમાં જે તે પ્રમેય સિદ્ધ થવાના અંતે ‘ઇતિ સિદ્ધમ’ લખવામાં આવે તેમ અહીં એ વાત સિદ્ધ થાય છે કે દિવાળી પછીના નૂતન વર્ષનો હેમંતનો પહેલો દિવસ એ પ્રત્યેક જીવિત ભારતીયનો જન્મદિવસ ગણાવો જોઈએ ! આ હેમંત ઋતુ સૂર્યના વૃશ્ચિક રાશિમાં પ્રવેશથી શરૂ થાય છે અને ધન રાશિની સમાપ્તિએ અંત પામે છે કે જે સામાન્યત: નવેમ્બરના મધ્યભાગથી જાન્યુઆરીના મધ્ય ભાગ સુધીની ગણાય. હેમંતની આહ્લાદકતાને કલાપીના ‘ગ્રામમાતા’ ખંડકાવ્યના પ્રારંભની આ પંક્તિઓથી માણી લઈએ.

ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમન્તનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં !

સાંપ્રતકાલીન ચિંતનાત્મક લલિત નિબંધોમાં રેવ. ફાધર વાલિસના જેવો દબદબો જેમનાં લખાણોમાં વર્તાય છે એવા શ્રી કૃષ્ણકાંત ઉનડકટના “ચાલો, આપણે આપણો એક ‘ડે’ ઊજવીએ” નિબંધમાં તો એમણે દરેક વ્યક્તિને વર્ષના કોઈપણ એક દિવસને ‘માય ડે’ તરીકે ઊજવવાની સલાહ આપી છે, કે જે દિવસ પોતાની મરજી મુજબ જીવવાનો હોય; પરંતુ અહીં તો હું ‘બર્થ ડે’ને જ ‘માય ડે’ તરીકે ઊજવવાની વાત કરી રહ્યો છું અને એ ‘બર્થ ડે’ પણ આપણો વ્યક્તિગત નહિ, પરંતુ આપણા સૌ ભારતીયોનો સહિયારો એ એક જ દિવસ  યાને કે નવીન વર્ષની હેમંત ઋતુનો પહેલો દિવસ. બેંકો, વીમા કંપનીઓ અને એવાં કેટલાંય ખાનગી સાહસોનું જેમ રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છે, એમ ભારતના પ્રત્યેક નાગરિકના જન્મદિવસોનું પણ રાષ્ટ્રીયકરણ અર્થાત્ સામાન્યીકરણ કરી નાખીને હેમંતના પહેલા દિવસને ‘અવર ડે’ તરીકે ઊજવવામાં આવે તો જન્મદિવસોની ઉજવણીઓનું બિન ઉત્પાદક એવું કેટલું બધું ખર્ચ બચી જાય ! જો કે ‘દિલકો બહલાનેકે લિયે ગ઼ાલિબી ખયાલ અચ્છે હૈ’વાળી આ તો એક વાત થાય છે, આમ છતાંય પોતપોતાનાં પરિવારોના તમામ સભ્યો પૂરતો આ પ્રયોગ અમલમાં મુકાય તો જરાય ખોટું નથી. વળી કોલેજોમાં ઉજવાતા ‘Fishpond Day’ની જેમ આબાલવૃદ્ધ સૌ કુટુંબીજનો આ ‘અવર ડે’ પૂરતાં મોકળા મને એકબીજાં સાથે હળેમળે અને આમોદપ્રમોદ કરી લે તો આખુંય વર્ષ તનાવમુક્ત પસાર થાય અને ઘણી કૌટુંબિક સમસ્યાઓ હલ પણ થઈ શકે.

અમારા બહોળા પરિવારમાં ‘પાશેરામાં પહેલી પૂણી’ના ન્યાયે જે તે મહિનામાં આવતા તમામ સભ્યોના જન્મદિવસો એક સાથે અને કોઈ એક દિવસની નજીકના રવિવારે ઊજવવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે. કહેવાય છે ને કે કોઈ શુભ વિચારને અમલમાં મૂકવાનું કાર્ય પોતાનાથી જ શરૂ થવું જોઈએ.

આશાવાદી છું કે ‘જન્મદિવસોની ઊજવણીઓ’નો આ નવતર ખ્યાલ મારા સુજ્ઞ વાચકો સુધી પહોંચ્યા સિવાય રહેશે નહિ.

ધન્યવાદ.

-વલીભાઈ મુસા

(નોંધ :- ‘Face Book’ ઉપર શુભચિંતકોના શુભ સંદેશાઓના મારા પ્રત્યુત્તરમાં આ લેખની જાહેરાત થઈ ગઈ હોઈ સમયના અભાવે હું આને વિસ્તારી શકતો નથી અને યથાવત્ મૂકવા બદલ દિલગીરી વ્યક્ત કરું છું. જન્મદિવસોની ઊજવણીઓ પાછળની ફિલસુફીને જાણવા માટે મારા ગયા વર્ષના લેખ “મારો જન્મદિવસ – નવી નજરે”ને નીચે આપેલા લિંકે વાંચવાની ખાસ ભલામણ કરવાનાં આવે છે.)

જન્મદિવસને અનુલક્ષીને આનુષંગિક મારા લેખો :

(1) “Customary celebrations of birthdays”

(૨) “પ્રણાલિકાગત જન્મદિવસોની ઊજવણીઓ”

(૩) “મારી કલમે હું”

(૪) મારો જન્મદિવસ – નવી નજર્રે

 

 

Tags: , , , , , , , , , , , ,

(478) Best of 5 years ago this month July, 2010 (39)

Click on

(204) વૈયક્તિક લાગણીઓનાં જતન અને સામાજિક સંવાદિતા-૧

(205) વૈયક્તિક લાગણીઓનાં જતન અને સામાજિક સંવાદિતા – ૨ (સંપૂર્ણ)

(207) “રૂદન” – માનવજીવનની લાગણીઓની એક અજોડ અભિવ્યક્તિ!

(210) ભેદભરમની ભીતરમાં – આસ્થા કે ઈમાન! (૨)

(214) અપમાનજનક દાંપત્ય સંબંધો કે ઘરેલુ હિંસા

(215) ભેદભરમની ભીતરમાં – ભૂતપ્રેત (3)

-વલીભાઈ મુસા

 

Tags: , , , , ,

(473) Best of 5 years ago this month June, 2010 (38)

Click on

(193) એક સજ્જનનું મૃત્યુ

(194) જાણે કે તેઓ અમારાં ખરાં મા ન હોય!

(197) ભાવપ્રતિભાવ – 3 (શ્રી સુરેશ જાની) * ઈશ્વરનો જન્મ

(198) ભેદભરમની ભીતરમાં – એક વિચાર (૧)

(200) ભાવપ્રતિભાવ -૪ (શ્રી સુરેશ જાની, અનુવાદક – ‘વર્તમાનમાં જીવન’)

(202) એકવીસમી સદીના બાપબેટાની ઘોડેસ્વારી!

 -Valibhai Musa 

 

Tags: , , , ,