RSS

Category Archives: માનવીય સંવેગો

(૫૨૬) ‘ગંજાવર ભૂલ’ (‘Colossal Mistake’, a Poem by Rabab Maher)નું ગદ્યાત્મક વિશદ અર્થગ્રહણ

You may click here to read in English

ગંજાવર ભૂલ

(જે સુખાંત નીવડે છે)

ભાગ-૧ પુરોવચન

વાર્તાકથનકાર ઢબે, કવયિત્રી પોતાના કાવ્યને પહેલી જ લીટીના શબ્દો ‘એક યુવતીની કઠોર કહાની’ થી શરૂ કરે છે. આમ આ પ્રારંભિક શબ્દો સૂચક છે કે જેથી વાચક એક યુવતીનાં દુ:ખદર્દના સાક્ષી બનવા માટે માનસિક રીતે તૈયાર રહે. કાવ્યના શીર્ષકમાં અને પ્રારંભના કંડિકાસમૂહની છેલ્લી લીટીમાં કાવ્યપાઠકને આગોતરી જાણ થઈ જાય છે કે કાવ્યનો સુખદ અંત આવશે જ અને તેમ છતાંય કાવ્યપઠનના રસની જાળવણી ઉપર તેની કોઈ વિપરિત અસર થતી નથી. ચાલો આપણે કાવ્યવસ્તુમાં વિગતવાર આગળ વધીએ કે જેથી આપણે કવિકર્મ અને કાવ્યસૌંદર્યને માણી શકીએ.(૧)

ભાગ-૨ દુર્ભાગી નારીનું નિરાશામય જીવન

એક નારી બિનભરોંસાપાત્ર ચારિત્ર્ય ધરાવતા એક ખોટા માણસને પરણે છે. તે શરૂઆતથી જ પોતાના વૈવાહિક જીવનથી સંતુષ્ટ નથી. તેને વિપરિત સંજોગો સાથે અનુકૂલન સાધવામાં અને દુષ્ટ પતિ સાથે જીવન પાર પાડવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડે છે. આમ છતાંય પોતાના સુખમય દાંપત્યજીવન માટેની ખૂબ મથામણના અંતે પણ છેવટે તેને પરાજય ખમવો પડે છે. પરંતુ કવયિત્રી તેની હારને વિજય તરીકે ઓળખાવે છે એ અર્થમાં કે એ હારથી તેનાં તમામ દુ:ખદર્દ અને માનસિક પરેશાનીઓનો અંત આવી જાય છે. (૨)

હવે આપણે અયોગ્ય પતિના તેની પત્ની તરફના માનસિક વલણ તરફ આવીએ. સામાન્ય રીતે આવા જુલ્મી પતિનો પત્ની પરત્વેનો મહત્ત્વનો ઉદ્દેશ એ રહેતો હોય છે કે કેવી રીતે તેના ઉપર સત્તા વાપરવી અને તેને અંકુશમાં રાખવી. અહીં આપણા કાવ્યમાંનો પતિ પણ તેની પત્ની સાથે આક્રમક રહે છે. તે બળપૂર્વક તેના મન અને આત્માને પોતાનાં ગુલામ બનાવવા માટે જોહૂકમીપણું દાખવે છે. તે સારી રીતે જાણે છે કે તે પત્ની વગર અધૂરો છે અને તેથી જ તો તે પૂર્ણ માણસ બનવા માટે તેની ગુંથેલી જાળમાં તેને ફસાવવા માગે છે. એકબીજા પરત્વેના પ્રેમના અભાવવાળા દાંપતીય સંબંધો આપસી ઘર્ષણ અને ઝઘડાઓ સિવાય બીજું શું લાવી શકે! તેની ઘૃણાસ્પદ વર્તણૂક એવી છે કે તે પોતે તો જેવો છે તેવો જ રહેવા માગે છે, પણ પત્ની પાસે અપેક્ષા રાખે છે કે તે આદર્શ પત્ની બની રહે. તે માને છે કે તેણીએ તેને પ્રેમ કરવો જ જોઈએ અને બદલામાં તેને માત્ર કિંમત કે ભીખ રૂપે કંઈક નાણાં આપે. કેથેરિન પલ્સિફરે સાચે જ કહ્યું છે કે ’એવાં લગ્નો હંમેશાં નિષ્ફળ જતાં હોય છે કે જ્યાં એક વ્યક્તિ શીખવાનું, વિકસવાનું અને ઊંચે ઊઠવાનું ચાલુ રાખે છે અને બીજી વ્યક્તિ જડની જેમ સ્થિર ઊભી રહે છે.’ (૩)

વૈવાહિક સંબંધોમાં, પતિપત્નીના એકબીજા પરત્વેના હક્કો અને ફરજો અતૂટ રીતે સંકળાયેલ હોય છે. જ્યારે કોઈ એક અન્ય પાસેથી કોઈ હક્કની અપેક્ષા રાખે, ત્યારે તેણે પોતાની ફરજના પાલન માટે પણ તૈયાર રહેવું જોઈએ. આપણા કાવ્યમાંનો પતિ હંમેશાં પોતાની પત્ની પાસેથી પ્રેમ અને સન્માનની અપેક્ષા રાખતો હોય છે, પણ પોતે તો પોતાનાં કાર્યો અને વચન પરત્વે ઉદાસીન જ રહે છે. તેની પોતાની વર્તણૂકમાં ફેરફાર કરવાની તેની કોઈ તૈયારી નથી હોતી, પણ ઊલટાનો પોતાની પત્નીમાં પૂર્ણતાની અપેક્ષા રાખતો હોય છે. આ પ્રકારનું પતિનું વલણ એક રીતે તો સરમુખત્યારશાહી જેવું જ ગણાય, કે જેને કોમળ લાગણીઓવાળા દાંપત્યજીવનના સંબંધોમાં કોઈ સ્થાન હોઈ શકે નહિ. (૪)

તે સ્ત્રીના ગૌરવને ભૂલી જાય છે અને પત્નીને કોઈ લેખામાં ગણતો નથી. તે તેને સરસ વસ્ત્રપરિધાન કરેલી શો કેસમાં મૂકવા લાયક કોઈ ઢીંગલી હોય તેમ સમજે છે અને વળી તેને દાયજો ચૂકવીને ખરીદી લીધી હોય તેમ એ માને છે. તે તેને પોતાની મિલકત ગણે છે અને ઇચ્છતો હોય છે કે તે જીવનભર પોતાની સાથે જ રહે. તેે તેને પોતાના નાટકના કોઈ એક પાત્ર તરીકે જુએ છે કે જેને ઉચ્ચારવા માટે ખુદના શબ્દો પણ ન હોય અને પોતે અગાઉથી રેકર્ડ કરેલી સંગીતની તર્જની જેમ તે પોતે વાગ્યા જ કરે. (૫)

તે ફરી લખાયેલા નાટકના કોઈ લેખકની જેમ તે તેના અસ્તિત્વને સાવ જ બદલી નાખે છે. વળી તે સિફતપૂર્વક તેના અવાજને એવી રીતે દબાવી દે છે કે તે પોતાના થતા શોષણની સામે વિરોધનો એક શબ્દ પણ બોલી શકે નહિ. તે સભ્યતાના આદર્શોની બધી હદોને ઓળંગી જઈને તેને એવી શરમજનક સ્થિતિમાં લાવી દે છે કે તે તેના સ્ત્રી તરીકેના મરતબાને સાવ જ ગુમાવી બેસે. તે એવો અમાનવીય થઈ જાય છે કે તેની પાસે તેનું પોતાનું કશું જ રહેવા દેતો નથી. તે તેના ઉપર માનસિક જુલ્મ કરવાની એવી તરકીબ અપનાવતો હોય છે કે તે કદીય પોતાના વિચારોને વ્યક્ત કરી શકે નહિ. (૬)

તે તેને સંંપૂર્ણપણે પોતાના ખુદના ઉપર અવલંબિત કરી દે છે. તેને તેની પોતાની દુનિયાથી સાવ અલિપ્ત કરી દેવામાં આવતી હોય છે. તેને તેનાં માતાપિતાના ઘર સાથેના કે મિત્રવર્તુળ સાથેના સંબંધોથી સાવ દૂર કરી દેવામાં આવે છે. આમ આવો એકધારો તેને અપાતો સતત માનસિક ત્રાસ એ જુલ્મી પ્રત્યેની તેની ગુસ્સાની ભાવનાને જગાડે છે. (૭)

તે કમજોર અને લોભિયો માણસ છે. તે જુલ્મી પણ છે, કેમ કે તે તેણીના ગાલ ઉપર તમાચા પણ મારે છે. તે નાણાંને વધારે મહત્ત્વ આપે છે અને તેથી જ તો તેણીને બીમારીમાંથી સાજી કરવા તે ખર્ચ કરતો નથી. નાણાંથી પોતાના ઉજ્જ્વળ ભવિષ્યને જાળવી રાખવા તે નાણાં ગુમાવવા હરગિજ તૈયાર નથી. તે નથી ઇચ્છતો કે પત્નીની બીમારી પાછળના દવાઓના ખર્ચના કારણે તેનું વધતું જતું ધન ઓછું થઈ જાય. (૮)

અહીં તેની ધૃષ્ટતાની પરાકાષ્ઠા જોઈ શકાય છે કે જ્યારે તેની પત્ની બીમાર પડે છે ત્યારે તે તેની એ જ બીમારીનો તેની જ વિરુદ્ધ દુરુપયોગ કરે છે. તે બીમાર હોવા છતાં તેને ઠંડા પાણીએ નહાવાની ફરજ પાડે છે. તેણી પોતાના વિરુદ્ધની તેના પતિની ગંદી રમતોને સમજી જાય છે. તે પોતાના દુ:ખદાયક વિવાહિત જીવનથી ત્રાસી જાય છે અને પોતાની ગમગીનીનો ભાર ઓછો કરવા માટે તેને લાગે છે કે તે પોતાની દુ:ખદ કહાની કોઈકને કહી સંભાળાવે. (૯)

તે તેણીને અપમાનિત કરવાના હેતુએ અપશબ્દોથી ભાંડે છે. તેણીની લાગણીને દુભાવવી તથા તેને માનસિક ત્રાસ આપવો તે તેની કાયમની આદત બની ગઈ છે. તેણીના જીવનનો આ દુ:ખમય જીવનગાળો તેને હતાશા તરફ ધકેલી દે છે અને તેના આત્મસન્માનને હાનિ પહોંચે છે. હવે તે તેના પતિને ખુલ્લો પાડવા કૃતનિશ્ચયી બને છે અને પોતાના વૈવાહિક જીવનનો અંત લાવી દેવાના મક્કમ ઈરાદા ઉપર આવી જાય છે. (૧૦)

ભાગ-૩ ભયંકર ભૂલોની કબૂલાત

હવે પોતાનામાં હિંમત ધારણ કરીને ઉત્સાહપૂર્ણ અવાજે છેવટે તેણે કહ્યું, ‘હું કબૂલ કરું છું કે મેં મારા હૃદયના ધબકાર તમારા ઉપર ન્યોછાવર કરીને તમને મેં જે ચાહ્યા હતા તે મારી ભૂલ હતી. આપણા ભલા માટે મેં આજસુધી ચૂપકીદી સેવી હતી. મેં મારી જાતનું બલિદાન આપી દીધું હતું, પણ એ બધું સાવ એળે ગયું.’ (૧૧)

મેં હંમેશાં વિચાર્યા કર્યું હતું કે તમે સુધરશો અને મારી સાથે સારું વર્તન કરશો, પરંતુ એમ વિચારવું એ મારી ભૂલ હતી. તમે એક પુરુષ હોવાના કારણે મારી સાથે સારી રીતે વર્તશો એવો મેં તમારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો હતો, પરંતુ તમારા બદઈરાદાનો એવો સાચો રંગ પરખાઈ ગયો કે તમે જીવનભર મારું શોષણ કરવા માટેની યોજનાઓ ઘડ્યે રાખતા હતા. આજે આ બધું મારી સામે સ્પષ્ટ થઈ ચૂક્યું છે. (૧૨)

એ મારી ભૂલ હતી કે મેં મારા જીવનના સઘળા આદર્શોને તમારા આગળ બલિ ચઢાવી દીધા હતા અને હું જે નહોતી ઇચ્છતી એ જ મારે કર્યે રાખવું પડ્યું હતું. મેં મારા જીવનના દરેક તબક્કે મારા લગ્નજીવનને ભાંગી પડતું બચાવવા સમાધાન કર્યે રાખ્યું હતું. મારા માટે દયાજનક એવી પરિસ્થિતિ હતી કે મારે જ મારી જાતને એવી રીતે બદલવી કે જેથી હું સમાજમાં તિરસ્કારપાત્ર બની રહું. (૧૩)

એ પણ મારી ભૂલ હતી કે મેં તમારામાં વિશ્વાસ મૂક્યો હતો એ આશાએ હું તમારા વિષે જે કંઈ ખરાબ વિચારતી હતી તેને તમે ખોટું પાડશો. પરંતુ મારા ભાગ્યની એ વક્રતા રહી કે મારી તમામ ધારણાઓ ખોટી પડી અને આખરે તમે મારા મનમાં તમારી અસલ જાતને પ્રસ્થાપિત કરી દીધી. હવે હું તમને સમાજમાં ખુલ્લા પાડવામાં મારી જીભને પકડી નહિ રાખી શકું. (૧૪)

હું કબૂલ કરું છું કે એ મારી માફ ન થઈ શકે એવી ભૂલ હતી કે હું તમારી સાથે પરણી અને તમારા સાથે લાંબા સમય સુધી રહી. મારે કહેવું જ પડશે કે તમારા કારણે જ હું મારી ગરિમાને ઓળખી શકી અને તેને જાળવી રાખવા મારે તમારાથી આઝાદ થવું જ જોઈએ એ હકીકત મેં સ્વીકારી લીધી. (૧૫)

મારું તમારી સાથેનું જોડાણ એ મારી ભયંકર ભૂલ હતી.આપણા વિવાહિત જીવનમાં જે કંઈ બનાવો બન્યા તે કદાચ મારા જીવનની ટૂંકામાં ટૂંકી દાસ્તાન બની રહી. મારા જીવનની હવે પછીની ખરી વાર્તા હું તમારી સાથે પરણી ના હોત તો લખાઈ ન હોત! હું એક જીવંત ઓરત છું અને તમારી સાથેના અપમાનજનક સંબંધોએ મારા ઉચ્ચતમ ચારિત્ર્યને ક્ષતિ પહોંચાડી. (૧૬)

ભાગ-૪ સમાપન

કાવ્યનો સમાપન ભાગ કવયિત્રી પોતે ચર્ચાની એરણ ઉપર લે છે. તેણી દુખિયારી પત્નીની વતી તેના પતિનો આભાર માને છે કે તેણે એ બિચારી સાથેના અમાનવીય વ્યવહારથી મુક્તિ મેળવવા છૂટાછેડાનો સાચો માર્ગ કંડારી આપ્યો. તેણે પરોક્ષ રીતે તેણીને છૂટાછેડા લેવાના નિર્ણય ઉપર આવી જવા માટે મદદ પૂરી પાડી. તેણે એવી અનુકૂળતા કરી આપી કે જે માણસ તેને અપમાનિત કરે છે અને તેની સાથે ખરા બ રીતે વર્તે છે તેની સાથે તેણે હવે વધુ લાંબો સમય સાથે ન રહેવું જોઈએ. તેણે એવું સ્પષ્ટ કરી આપ્યું કે હવે તેણીએ નવા સારા પતિને પસંદ કરી લેવો જોઈએ. આમ તે પત્નીને હવે સાચું ભાન થયું કે સુખ આપી શકે તેવી રીતે જિંદગીને મોડ આપી પણ શકાય છે. તેને ખ્યાલ આવી ગયો કે જે ઉદ્ધત પતિ સાથે તેણે કેટલુંક દાંંપત્યજીવન વ્યતીત કર્યું તે ખરેખર જેવું હોવું જોઈએ તેવું તે સાચું જીવન ન હતું. એમ કહેવાય પણ છે કે પ્રતિકૂળતાઓમાંથી પણ સુખ શોધી શકાય છે અને આમ તેણી નવેસરથી પોતાની જાતને ઓળખી કાઢી શકી અને પોતાના બીજા પતિ તરીકે તે સાચા માણસને મેળવી શકવા સમર્થ બની. આમ તે સારા અને ખરાબ પતિ વચ્ચેના ભેદને પણ પામી શકી. તેને એ પણ જાણવા મળ્યું કે પતિમાં કયા સારા ગુણો હોવા જોઈએ અને એ રીતે તે પોતાના સ્વપ્નને અનુરૂપ નવા પતિને પ્રાપ્ત કરી શકે. (૧૭)

પત્નીનું પહેલું લગ્નજીવન દુ:ખોથી ભરેલું હતું, પરંતુ હવે તેનું બીજું લગ્ન યોગ્ય જીવનસાથીની પસંદગીના કારણે વધારે સુખમય છે. અગાઉ કરતાં હવે આ નવતર દાંંપત્યજીવન સ્વતંત્રતા, પ્રેમ અને ઉલ્લાસથી ભર્યુંભર્યું છે. તેણીના આ નવીન સુખમય જીવનને અહીં વર્ણવવું અસ્થાને છે, કેમ કે તેના માટે તો એક નવીન કાવ્ય જ રચવું પડે. આમ અહીં જ કાવ્ય સુખાંતે પૂરું થાય છે, જેવી રીતે કે કાવ્યના શીર્ષકમાં જ તેને અગાઉથી જણાવી દેવાયું છે. (૧૮)

-રબાબ મહેર (કવયિત્રી)

-વલીભાઈ મુસા (સરળ ગદ્ય સ્વરૂપે કાવ્યના રજૂકર્તા)

 

Tags: , , ,

(487) Best of 5 years ago this month August, 2010 (40)

You may click on

(216) મિત્રો એ જ આપણું ભાગ્ય, સારું કે નરસું!

(219) જાણે કે મિ. જેફ (Jeff) જીવિત જ છે!

-Valibhai Musa

 

Tags:

(૪૮૬) પ્રિયતમાની જીવંત કબર : પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૮) – વલીભાઈ મુસા

The Living Tomb of My Love

Now when my lady you have come to me
With a beggar’s bowl in your hands
I would ask but not my dreams back
And the stolen pieces of my heart
I cannot read the trails of love
In these eyes of stone that reflect
The misery of your frozen past
That turned yourself into a tomb.
Now the spring has gone and will
Come not back as the cycle is over
in this last of the autumn of the tree
The leaves of life have dried and swept
One thing my lady I can do for thee
Once blind my heart, now blind by eyes be

– Mukesh Raval

* * *
પ્રિયતમાની જીવંત કબર

(અછાંદસ)

પિયે, હવે તું જ્યારે આવી જ છે મુજ પાસ
ગ્રહી ભિક્ષાપાત્ર નિજ હસ્તોમાં મને કંઈક અર્પવા
કિંતુ નહિ નહિ જ હું માગીશ પરત મુજ સોણલાં
અને વળી ભગ્ન હૃદય તણા ચોરાયલા કો’ અંશ વા

અવલોકવા હું અસમર્થ અવ પ્રણય તણી ઝલક
તવ જડ પથ્થરશાં નયનો મહીં, જે નિગળતાં
દુ:ખોદર્દો જ તવ થિજાયલા અતીત મહીંથી
કે જેણે બદલી જ દીધી તને સાક્ષાત્ જીવંત કબર મહીં

ઋતુરાજશી વસંત પણ હવે સાવ વહી ચૂકી
નહિ પાછી આવે એ, ક્યમ કે એ ચક્ર તો પૂર્ણ જ થયું
અને એ પૂર્વેની વૃક્ષો તણી પાનખર મહીં
જીવનપર્ણો અવ શુષ્ક બની સાવ ગયાં વિખરી

હવે તો ઓ પ્રિયે, તુજ કાજે એટલું જ હું કરી શકું
પૂર્વે અંધ હતો મુજ ઉર થકી અને હવે હું થાઉં અંધ મુજ ચક્ષુ થકી !

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)    

રસદર્શન :

પ્રોફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યોની ‘કાવ્ય, ભાવાનુવાદ અને રસદર્શન’ની આ શ્રેણીની ‘નવતર પ્રયાસ’ રૂપી પાઘડીમાં અહીં આ કરૂણપ્રશસ્તિમાં ખપી જાય એવા નિરાળા કાવ્યથી એક વધુ પીછું ઉમેરાય છે. ‘તુંડે તુંડે મતિર્ભિન્ના’ ન્યાયે કાવ્યમીમાંસકોએ પોતપોતાની રીતે પોતાને પ્રિય એવા કોઈ એક સાહિત્યરસને પ્રાધાન્ય આપ્યું છે. પરંતુ આપણા કવિ ‘સર્વરસ સમભાવ’માં માનતા લાગે છે અને તેથી જ તો તેમનાં કાવ્યોમાં વિવિધ રસ માણવા મળે છે. આ કાવ્યમાં કરૂણ અને શૃગારરસનું સંમિશ્રણ છે, જેમાં પ્રાધાન્યે તો કરૂણ રસ જ છે. શૃંગારરસના વિપ્રલંભ (વિયોગ) અને સંભોગ (મિલન) એવા બંને પેટાપ્રકારો અહીં અનોખી રીતે એકબીજા સાથે એવા ઓતપ્રોત થઈ ગયા છે, જેવી રીતે કે બે ઝરણાંનો સંગમ થઈને એક ઝરણું બની રહે અને જેમનાં પાણીને નોખાં ન પાડી શકાય.

કાવ્યનું શીર્ષક આગળ આવનારા વિષાદનો ઈશારો કરે છે અને તેથી જ એ કરૂણ પ્રશસ્તિ બની રહેશે તે સમજાય છે. ‘જીવંત કબર’નો વ્યંજનાર્થ ‘ભગ્નપ્રેમ’ જ હોઈ શકવાની કાવ્યપાઠકને આગોતરી જાણ થઈ જતી હોવા છતાંય તે કાવ્યપઠન માટે પ્રેરાય છે. સામાન્ય રીતે પ્રેમીઓના મિલનમાં આનંદ અને ઉલ્લાસ હોય, પણ અહીં વેદના વર્તાય છે. કાવ્યનાયિકા પોતાના હાથમાં ભિક્ષાપાત્ર ગ્રહીને કંઈક આપવા આવી હોવાનું વાંચતાં વાચકને તેના વાચ્યાર્થ માત્રથી એવી ગેરસમજ થવાની શક્યતા ઊભી થાય છે કે ભલા, ભિક્ષાપાત્ર તો કંઈક મેળવવા માટે દાતાની સામે ધરાય; નહિ કે આપવા માટે ! પણ ના, અહીં અન્ય એ ભાવ અભિપ્રેત છે કે કાવ્યનાયિકા ભિખારી જેવી કોઈ એવી મજબૂરીનો ભોગ બની છે કે જેથી પ્રેમી સાથેના મિલનની કોઈ શક્યતા બાકી રહેતી નથી અને પોતે નિ:સહાય છે. આમ આ કારણે જ કાવ્યનાયકને પ્રિયતમા વિષે કોઈ ફરિયાદ નથી. ઊલટાનો એ સામેથી કહી સંભળાવે છે કે પોતે ભાવી જીવન માટેનાં સેવેલાં સોનેરી સ્વપ્નો કે તૂટી ચૂકેલા પોતાના હૃદયના ચોરાયેલા કોઈ અંશને તેની પાસે નહિ માગે.

કાવ્યનાયક તેની પ્રિયતમાની દયનીય સ્થિતિને પામી જાય છે અને તેથી જ એ સ્વીકારી લે છે કે તેનાં જડ પથ્થર જેવાં ચક્ષુઓમાંથી પ્રેમની કોઈ ઝલક તે નહિ જ પામી શકે. અહીં તો તે સામેથી પોતાનો જીવ બાળતાં કહી દે છે કે તેનાં ભૂતકાલીન દુ:ખોદર્દોએ તેને બિચારીને ખરે જ જીવંત કબરમાં ફેરવી દીધી છે. ‘સાક્ષાત્ જીવંત કબર’ શબ્દો વાચકના હૃદયને હચમચાવી દે છે અને તે પણ એ ભગ્નહૃદયી પ્રેમીયુગલના દુ:ખે દુ:ખી થાય છે. અહીં કવિકર્મની કાબેલિયત એ રીતે પરખાય છે કે ભાવક પણ કાવ્યનાં પાત્રો સાથે તાદાત્મ્ય અનુભવે છે અને તેમની સાથે તે સમભાવી અને સમસંવેદનશીલ બની રહે છે.

આ કાવ્યના પ્રેમીયુગલે તેમના પ્રેમના આરંભે વસંત ઋતુ જેવો જે સુખદ કાળ પસાર કર્યો હતો, તે હવે ફરી કદીય પાછો આવનાર નથી. વસંત પહેલાંની પાનખર ઋતુમાં જેમ વૃક્ષોનાં પાંદડાં સૂકાઈને જમીન ઉપર ખરી પડે અને પવનથી વિખેરાઈ જાય, બસ તેમ જ, આ યુગલનાં જીવનપર્ણો પણ વિખરાઈ ચૂક્યાં છે.  હવે તેમના માટે પુનર્મિલનની કોઈ શક્યતા બચતી નથી.

કાવ્યની આખરી બે પંક્તિઓને કવિએ નાયક તરફના નાયિકાને આશ્વાસનના ભાગરૂપે પોતાની એક ઑફર તરીકે મૂકી છે, પણ વાસ્તવમાં તો તેમાંથી કાવ્યનાયકની નરી વેદના જ ટપકે છે. અહીં પ્રેમી પોતાના પ્રેમના એ સુખદ કાળને યાદ કરતાં કહે છે કે એ વખતે પોતે પોતાના હૃદયથી અંધ બનીને નાયિકાને પ્રેમ કરી રહ્યો હતો. પરંતુ વર્તમાનમાં સંજોગોએ એવી તો કરવટ બદલી છે કે હવે તેમનું મિલન શક્ય નથી. કાવ્યનાયિકાની દુ:ખદ હાલત કાવ્યનાયકથી જોઈ શકાતી નથી અને તેથી જ તો પોતે કહે છે કે તે પોતાનાં ચક્ષુઓથી પણ અંધ બની જાય કે જેથી જીવંત કબર બની રહેલી એ પ્રેમિકાને દુ:ખમય સ્થિતિમાં જોવાની બાકી ન રહે.

હવે તો ઓ પ્રિયે, તુજ કાજે એટલું જ હું કરી શકું
પૂર્વે અંધ હતો મુજ ઉર થકી અને હવે હું થાઉં અંધ મુજ ચક્ષુ થકી !

કાવ્યની આખરી પંક્તિઓ જોગાનુજોગે ૧૩મી અને ૧૪મી બની રહેતાં અને અચાનક ભાવપલટો આવી જતાં આ કાવ્ય આપણને બાહ્ય લક્ષણે શેક્સ્પિરીઅન ઢબનું (૪+૪+૪+૨=૧૪ પંક્તિઓ) સૉનેટ હોવાનો આભાસ કરાવે છે, પરંતુ વાસ્તવમાં આંતરિક લક્ષણના સંદર્ભે તપાસતાં એમ નથી. પહેલાં ત્રણ ચરણોમાં સૉનેટમાંનો મૂળ વિચાર વિકાસ પામતો હોવો જોઈએ અને તેના સમર્થનમાં ઉદાહરણો અપાતાં રહેવાં જોઈએ. છેલ્લે આખરી બે પંક્તિઓ સાર કે નિચોડરૂપે આવતી હોવી જોઈએ. આપણા આ કાવ્યમાં આંતરિક લક્ષણો પાર ન પડતાં હોઈ તેને કદાચ સૉનેટ ન પણ ગણી શકાય તેવું મારું નમ્ર માનવું છે.

-વલીભાઈ મુસા (રસદર્શનકાર)

[Published on ‘Webgurjari’ Dt.22072015]

 

Tags: , , , , ,

(૪૮૫) પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન : ૭ : “ચાલો ને, આપણે …”

 Let us …

Let us
All remove the title” Human”
Voluntarily,
Until we cannot remove
The inhumanity
Stored in us
From the ages and ages.

Let us
All stop believing in religion
Until we cannot make
Every one believe
That we are the children of same
Father.

Let us not butcher our progeny
like we did in Peshawar
Children are our future
and the heir to the throne of  humanity.

Let us make this world
a place of beauty and peace
a place of arts and bliss
where the children of our children
remember us
for this gift.

– Mukesh Raval

* * * * *
ચાલો ને, આપણે …

ચાલો, આપણે
’માનવી’ હોવાના બિરુદને
સ્વૈચ્છિક રીતે
ફંગોળી દઈએ;
જ્યાં સુધી કે
આપણે આપણામાં યુગોયુગોથી
ઘર કરી ગયેલી એ ‘અમાનુષિતા’ને
ન જાકારો દઈએ !

ચાલો ને, આપણે સૌ
ધર્મોમાં માનવાનું પણ બંધ કરી દઈએ;
જ્યાં સુધી કે
આપણે એકેએક જણને
સમજાવી ન શકીએ કે
આપણે સૌ એક જ પરમ પિતાનાં
સંતાનો જ છીએ !

આપણે રહેંસી ન નાખીએ નિજ સંતતિને,
જ્યમ રહેંસી ક્રૌર્યે પેશાવરે હવણાં !
સંતાનો આપણાં ન અવ માત્ર ભવિષ્ય જ,
વારસ પણ ખરાં માનવ્ય તણા તખતનાં.

તો વળી, ચાલો ને આપણે
બદલી દઈએ આ ધરિત્રીને
એવા સ્થળ મહીં
કે જે હોયે, રમણીયતા અને શાંતિ,
વિનયન અને પરમ સુખ થકી સભર,
જેથી આવનારી પેઢીઓ
સદાકાળ યાદ કરતી રહે આપણને,
આ બહુમૂલ્ય નજરાણા થકી !

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

[કવિશ્રી મુકેશ રાવલના આભારસહ]

રસદર્શન :

આપણે અગાઉ પ્રૉફેસર મુકેશ રાવલનાં તેમના અંગ્રેજી કાવ્યસંગ્રહ “Pots of Urthona”માંનાં કેટલાંક કાવ્યોના ભાવાનુવાદો અને રસદર્શનો અવલોક્યાં. અહીં હૃદયવિદારક એવી સાંપ્રત એક ઘટનાને વિષય બનાવીને કવિ આપણી સમક્ષ આવ્યા છે. તાજેતરમાં પાકિસ્તાનની પેશાવર સ્થિત આર્મી સ્કૂલમાં આતંકવાદી હુમલામાં ૧૪૧ બાળકો અને શિક્ષકોએ જીવ ગુમાવ્યા. કવિ એ સંવેદનશીલ જીવ હોય છે અને સામાન્ય જનથી અધિક માત્રામાં તેનું હૃદય ઘટનાઓના આઘાતપ્રત્યાઘાતોની અસર ઝીલે છે. માનવતાના હત્યારા એવા આતંકવાદીઓ કદાચ પોતાના બાલ્યકાળને વીસરી ગયા હોય, પણ તેમનાં પોતાનાં બાળકોના વર્તમાન બાલ્યજીવનના સાક્ષી તો હશે જ ! પ્રભુના પયગંબર કે બાલગોપાલ સમાં આવાં નિર્દોષ બાળકોને હણવાં એ કોઈ બહાદુરી નથી, પણ કાયરતા છે. કવિ બર્બરતાભરી આ ઘટનાથી વ્યથિત તો થાય છે, છતાંય આપણે કાવ્યાંતે જોઈશું તો આપણને લાગશે કે કવિ સાવ નિરાશાવાદી બનતા નથી.

કાવ્યારંભે કવિ સમગ્ર માનવજાતને ઉદ્દેશીને અને એમાંય વળી પોતાની જાતને પણ તેમાં સામેલ કરીને ‘આપણે’ એવા શબ્દપ્રયોગથી પોતાની વ્યથા ઠાલવે છે, આ શબ્દોમાં કે “ચાલો, આપણે ‘માનવી’ હોવાના બિરુદને સ્વૈચ્છિક રીતે ફંગોળી દઈએ !”. અહીં સીધીસાદી વાત કે ‘આપણે આપણી જાતને માનવી કહેવડાવવાને લાયક નથી !’ને કવિ કાવ્યમય લઢણે ભાવવાહી રીતે રજૂ કરે છે. યુગોયુગોથી માનવીઓનાં દિલોમાં ધરબાયેલી આ અમાનવીયતા જ્યાં સુધી દૂર ન થાય, ત્યાં સુધી આપણે માનવ તરીકે ઓળખાવાનું બંધ કરી દેવું જોઈએ. કવિની વાત પણ યથાર્થ જ છે કે જો માનવી માનવતા જ ગુમાવી બેઠો હોય તો તે માનવી કહેવડાવાને લાયક નથી, તે તો પશુતુલ્ય જ કહેવાય !

વળી આગળ વધતાં કવિ પોતપોતાના ધર્મોને પણ છોડી દેવાનું આપણને જણાવે છે અને એ પણ ત્યાં સુધી કે જ્યાં સુધી આપણે તમામ ધર્મોના અનુયાયીઓને એ વાત ન સમજાવી શકીએ કે આપણે એક જ પરમ પિતાનાં સંતાનો છીએ. માનવબાળ જન્મે છે, ત્યારે તેનો કોઈ ધર્મ હોતો નથી. આમ જગતના સર્વ ધર્મોમાં જન્મતાં બાળકો તો સૃષ્ટિના એક જ સર્જનહારનાં સંતાનો જ કહેવાય. આ એક પરમ સત્ય છે અને બધા જ ધર્મોના અનુયાયીઓએ એ સારી રીતે સમજી લેવું જોઈએ કે આપણે તમામ માનવીઓ બંધુત્વથી જોડાયેલા છીએ અને એક જ પ્રકૃતિમાતા પાસેથી આપણે પોષણ મેળવીએ છીએ. આમ આવી ઘાતકી  હિંસા તો ભાઈના હાથે જ ભાઈની થઈ ગણાય.

અહીં સુધી કવિ સર્વસામાન્ય રીતે માનવતા ધારણ કરવાની અને સર્વ માનવો એક જ પરમપિતા એવા ઈશ્વરનાં સંતાનો છે એ સ્વીકારવાની વાત જણાવ્યા પછી તાજેતરની પેશાવરમાં ઘટેલી ઘટનાના હવાલા થકી કવિ આપણને શિખામણ આપતાં જણાવે છે કે આપણે આપણી જ સંતતિની હત્યા ન કરવી જોઈએ. આપણાં સંતાનો એ માત્ર આપણું ભવિષ્ય જ નહિ, પણ તેઓ માનવતા રૂપી તખ્તનાં વારસો છે. એમણે એ સ્થાને બેસીને માનવતાની રક્ષા કરવાની છે. ભલા, જેમના શિરે માનવતા જાળવી રાખવાની જવાબદારી આવવાની છે, તેમને જ આપણે અકાળે મિટાવી દઈએ તો પછી એ માનવતા કઈ રીતે ચિરંજીવ રહી શકશે !

કાવ્યસમાપને કવિ એવો આશાવાદ વ્યક્ત કરે છે કે આપણે આપણામાં માનવતાને વિકસાવીને આ ધરતીને એવા સ્થળ તરીકે પરિવર્તિત કરી દઈએ કે જ્યાં સર્વત્ર રમણીયતા, પરમ શાંતિ, વિવિધ કલાઓનો વિકાસ અને પરમ સુખ પ્રવર્તમાન હોય. આપણે એવો માનવતાવાદી અમૂલ્ય વારસો આપણી સંતતિને આપતા જઈએ કે આપણી ભાવી પેઢીઓ આપણને સદા યાદ કરતી રહે.

કાવ્યમીમાંસાના એક આવશ્યક સિદ્ધાંત અનુસાર કાવ્યકૃતિ ખુલ્લી ઉપદેશાત્મક ન બનવી જોઈએ, કેમ કે તેમ થતાં કાવ્યકલા પોતાના સૌંદર્યને ગુમાવે; પરંતુ અહીં આપણા કવિનું આ કાવ્ય એ બાબતે અપવાદ બની જાય છે. હિંસાચારની ઘટેલી ઘટનાના આધાર ઉપર રચાયેલા આ કાવ્યમાં માનવજાતને શિખામણ આપવામાં નથી આવી, પણ એક પ્રકારનું આહ્વાન કરવામાં આવ્યું છે કે હવે પછી આપણે આ પૃથ્વીને નંદનવન બનાવવા માટે શું કરવાનું રહે છે. સરળ શબ્દોમાં વહ્યે જતી અને આપણા અંતરને ઢંઢોળતી એવી ભાવસભર આ રચના બદલ કવિશ્રીને ધન્યવાદ.

– વલીભાઈ મુસા

(ભાવાનુવાદક અને રસદર્શનકાર)

[Published on ‘Wegurjari’ Dt.24062015] 

 

Tags: , , , ,

(૪૮૦) મારો જન્મદિવસ – તિર્યક (તિરછી) નજરે

મારા આગલા જન્મદિવસ નિમિત્તે લખાયેલા લેખ “મારો જન્મદિવસ – નવી નજરે” ઉપર એક નજર નાખી આવીને આજે મારા આજના ૭૪મા જન્મદિવસે ‘કંઈક’ લખવા જઈ રહ્યો છું, ત્યારે આ લેખનું શીર્ષક તો ઉપર મુજબ સહજ રીતે પહેલું જ લખાઈ જાય છે અને ‘કંઈક’ જે લખવાનું છે તે તો હવે આવી રહ્યું છે. તિર્યક, તિરછી, ત્રાંસી કે બાડી આંખ (Crossed eye) એ આંગિક ક્ષતિ ગણાય છે, પણ અહીં  તિર્યક (તિરછી) નજરે જોવાની વાત છે. હું મારા ૭૩મા જન્મદિવસને અવલોકવા માટેની મારી એ ‘નવી નજર’ને અહીં સહેજ તિરછી કરીને મારા આજના જન્મદિવસને અવલોકીશ. આપ્તજનોને, સ્નેહીજનોને, મિત્રવૃંદને અને બ્લૉગવાચકોને વળી લાગશે કે આ તે વળી કેવી તિરછી નજર હશે અને એ તિરછી નજરે શું અવલોકાશે. તો મિત્રો, એ જાણવા માટે આપ સોએ આગળ વાંચવું જ રહ્યું.

વેદકાલીન ઋષિમુનિઓ આશ્રમનિવાસી છાત્રોને ‘દીર્ઘાયુષ્યમાન ભવ:’ કે ‘શતં જીવેમ શરદ:’ જેવા શબ્દોએ આશીર્વાદ આપતા, જેમાં ‘દીર્ઘ’ શબ્દ તો મોઘમ ગણાય અને તેથી તેમાં નિશ્ચિત વર્ષોનું આયુષ્ય ન સમજાય; પરંતુ ‘શતં જીવેમ શરદ:’માં તો નિશ્ચિત સો શરદ ઋતુઓ સુધીનો જીવિતકાલ અભિપ્રેત છે જ. આમ આનો મતલબ એમ સમજવો રહ્યો કે એ કાળે વધુમાં વધુ સો વર્ષનું આયુષ્ય પર્યાપત ગણાતું હશે અને એનાથી વધારે લાંબું આયુષ્ય જીવનાર અને જીવનારને સંલગ્ન લોકો માટે એ મોજ ન રહેતાં બોજ બની જતું હશે. એવું દીર્ઘ આયુષ્ય ભલે સંખ્યાત્મ્ક (Quantitative) રીતે આકર્ષક અને નવાઈ પમાડનાર લાગે, પણ તેને ગુણાત્મક (Qualitative) રીતે જોતાં નાપસંદ જ કરવું ઘટે.

ભારતીય મુખ્ય ત્રણ ઋતુઓ શિયાળો, ઉનાળો અને ચોમાસુ; એમ વળી પ્રત્યેકની બે પેટા ઋતુઓ અનુક્રમે હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ તરીકે ઓળખાય છે. હેમંત એ ગુલાબી ઠંડીની ઋતુ ગણાય, વસંતને ઋતુરાજનું બિરૂદ અપાય તો વર્ષાને વળી જીવનદાયિની તરીકે ઓળખવામાં આવે. આમ આ ત્રણેય પેટાઋતુઓને તેમની અનુગામી ઋતુ કરતાં ચઢિયાતી ગણવામાં આવે છે અને તેની પાછળનો તર્ક આ પ્રમાણે હોઈ શકે. હેમંતની ઠંડી સહ્ય હોય, જ્યારે શિશિરની ઠંડી હાડકાંને પણ ધ્રૂજાવી નાખે; વસંત ફૂલોની ઋતુના કારણે અહ્લાદક લાગે, જ્યારે ગ્રીષમમાં માથું ફોડી નાખતી ગરમી હોય; અને, વર્ષામાં અમૃતશો વરસાદ વરસતો હોય, જ્યારે શરદ તો આયુર્વેદની દૃષ્ટિએ રોગોની માતા ગણાય. હવે આપણે પેલા ઋષિમુનિઓની સો શરદ સુધી જીવવાના આશીર્વાદની વાતના રહસ્યને એ અર્થમાં પામી શકીએ કે શરદ ઋતુના રોગોમાંથી માણસ બચી જઈને એ ઋતુને હેમખેમ પાર પાડે તો ભયો ભયો ! આમ ભારતીય ઋતુચક્ર પ્રમાણે શરદ ઋતુનો છેલ્લો દિવસ એ જોખમી તબક્કાનો અંતિમ દિવસ ગણાય અને જે જણ જીવી ગયો તેણે જાણે કે નવજીવન પ્રાપ્ત કરી લીધું. અહીં એક તર્ક લડાવી શકાય કે આ નવજીવનની ખુશીમાં જ કદાચ દિવાળીના તહેવારો ઊજવવામાં આવતા હશે અને દિવાળીની રાત્રે ફટાકડા પણ ફોડવામાં આવતા હશે !

ભૂમિતિના વિષયમાં જે તે પ્રમેય સિદ્ધ થવાના અંતે ‘ઇતિ સિદ્ધમ’ લખવામાં આવે તેમ અહીં એ વાત સિદ્ધ થાય છે કે દિવાળી પછીના નૂતન વર્ષનો હેમંતનો પહેલો દિવસ એ પ્રત્યેક જીવિત ભારતીયનો જન્મદિવસ ગણાવો જોઈએ ! આ હેમંત ઋતુ સૂર્યના વૃશ્ચિક રાશિમાં પ્રવેશથી શરૂ થાય છે અને ધન રાશિની સમાપ્તિએ અંત પામે છે કે જે સામાન્યત: નવેમ્બરના મધ્યભાગથી જાન્યુઆરીના મધ્ય ભાગ સુધીની ગણાય. હેમંતની આહ્લાદકતાને કલાપીના ‘ગ્રામમાતા’ ખંડકાવ્યના પ્રારંભની આ પંક્તિઓથી માણી લઈએ.

ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમન્તનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં !

સાંપ્રતકાલીન ચિંતનાત્મક લલિત નિબંધોમાં રેવ. ફાધર વાલિસના જેવો દબદબો જેમનાં લખાણોમાં વર્તાય છે એવા શ્રી કૃષ્ણકાંત ઉનડકટના “ચાલો, આપણે આપણો એક ‘ડે’ ઊજવીએ” નિબંધમાં તો એમણે દરેક વ્યક્તિને વર્ષના કોઈપણ એક દિવસને ‘માય ડે’ તરીકે ઊજવવાની સલાહ આપી છે, કે જે દિવસ પોતાની મરજી મુજબ જીવવાનો હોય; પરંતુ અહીં તો હું ‘બર્થ ડે’ને જ ‘માય ડે’ તરીકે ઊજવવાની વાત કરી રહ્યો છું અને એ ‘બર્થ ડે’ પણ આપણો વ્યક્તિગત નહિ, પરંતુ આપણા સૌ ભારતીયોનો સહિયારો એ એક જ દિવસ  યાને કે નવીન વર્ષની હેમંત ઋતુનો પહેલો દિવસ. બેંકો, વીમા કંપનીઓ અને એવાં કેટલાંય ખાનગી સાહસોનું જેમ રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છે, એમ ભારતના પ્રત્યેક નાગરિકના જન્મદિવસોનું પણ રાષ્ટ્રીયકરણ અર્થાત્ સામાન્યીકરણ કરી નાખીને હેમંતના પહેલા દિવસને ‘અવર ડે’ તરીકે ઊજવવામાં આવે તો જન્મદિવસોની ઉજવણીઓનું બિન ઉત્પાદક એવું કેટલું બધું ખર્ચ બચી જાય ! જો કે ‘દિલકો બહલાનેકે લિયે ગ઼ાલિબી ખયાલ અચ્છે હૈ’વાળી આ તો એક વાત થાય છે, આમ છતાંય પોતપોતાનાં પરિવારોના તમામ સભ્યો પૂરતો આ પ્રયોગ અમલમાં મુકાય તો જરાય ખોટું નથી. વળી કોલેજોમાં ઉજવાતા ‘Fishpond Day’ની જેમ આબાલવૃદ્ધ સૌ કુટુંબીજનો આ ‘અવર ડે’ પૂરતાં મોકળા મને એકબીજાં સાથે હળેમળે અને આમોદપ્રમોદ કરી લે તો આખુંય વર્ષ તનાવમુક્ત પસાર થાય અને ઘણી કૌટુંબિક સમસ્યાઓ હલ પણ થઈ શકે.

અમારા બહોળા પરિવારમાં ‘પાશેરામાં પહેલી પૂણી’ના ન્યાયે જે તે મહિનામાં આવતા તમામ સભ્યોના જન્મદિવસો એક સાથે અને કોઈ એક દિવસની નજીકના રવિવારે ઊજવવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે. કહેવાય છે ને કે કોઈ શુભ વિચારને અમલમાં મૂકવાનું કાર્ય પોતાનાથી જ શરૂ થવું જોઈએ.

આશાવાદી છું કે ‘જન્મદિવસોની ઊજવણીઓ’નો આ નવતર ખ્યાલ મારા સુજ્ઞ વાચકો સુધી પહોંચ્યા સિવાય રહેશે નહિ.

ધન્યવાદ.

-વલીભાઈ મુસા

(નોંધ :- ‘Face Book’ ઉપર શુભચિંતકોના શુભ સંદેશાઓના મારા પ્રત્યુત્તરમાં આ લેખની જાહેરાત થઈ ગઈ હોઈ સમયના અભાવે હું આને વિસ્તારી શકતો નથી અને યથાવત્ મૂકવા બદલ દિલગીરી વ્યક્ત કરું છું. જન્મદિવસોની ઊજવણીઓ પાછળની ફિલસુફીને જાણવા માટે મારા ગયા વર્ષના લેખ “મારો જન્મદિવસ – નવી નજરે”ને નીચે આપેલા લિંકે વાંચવાની ખાસ ભલામણ કરવાનાં આવે છે.)

જન્મદિવસને અનુલક્ષીને આનુષંગિક મારા લેખો :

(1) “Customary celebrations of birthdays”

(૨) “પ્રણાલિકાગત જન્મદિવસોની ઊજવણીઓ”

(૩) “મારી કલમે હું”

(૪) મારો જન્મદિવસ – નવી નજર્રે

 

 

Tags: , , , , , , , , , , , ,