RSS

Category Archives: વ્યક્તિવિશેષ

(578) હાસ્યલેખક શ્રી હરનિશભાઈ જાનીનું દુ:ખદ અવસાન

સાહિત્યપ્રેમી મિત્રો,

એક દુ:ખદ સમાચર શેર કરવાના કે અમેરિકાસ્થિત હાસ્યલેખક અને મારા પરમ મિત્ર એવા હરનિશભાઈ જાની હવે આપણી વચ્ચે રહ્યા નથી. અમે બંને રૂબરૂ તો કદીય મળ્યા ન હતા, પણ હજારો માઈલ દૂર હોવા છતાં અમે સાવ નિકટતા અનુભવતા રહ્યા હતા. મારી ૨૦૧૧ની અમેરિકાની મુલાકાત ટાણે તેમનો ફોન આવ્યો હતો કે તમે ક્યાં છો તે જણાવો અને મારાં પત્ની હંસા અને હું તમને મળવા આવીએ. મેં ખૂબ દૂર હોવાના કારણે એમને તકલીફ ન લેવાની વિનંતી કરી અને તેઓ માની ગયા હતા. તેઓ હૃદયરોગના દર્દી હતા અને બાયપાસ વખતના તેમના અનુભવોનો સરસ મજાનો હાસ્ય નિબંધ મને મારી પોતાની ૨૦૧૦ની બાયપાસ સર્જરીને હળવાશથી લેવા માટે મોકલી આપ્યો હતો.

તેમનું સાહિત્યસર્જન વોલ્યુમમાં ઓછું પણ દમદાર વધારે રહ્યું છે. ગુજરાતી સાહિત્યમાં નવતર લાગે તેવાં તેમનાં બે હાસ્યપુસ્તકો ‘સુશીલા’ અને ‘સુધન’ અનુક્રમે તેમનાં માતા અને પિતાના નામે જ નામકરણ ધરાવે છે. આ બે પુસ્તકો થકી રતિલાલ બોરીસાગરના શબ્દોમાં કહીએ તો ‘તેમણે ગુજરાતી હાસ્યલેખકોની પ્રથમ હરોળમાં હકપૂર્વક પોતાનું સ્થાન અંકે કરી લીધું છે.’ અનેક ગુજરાતી સાહિત્યસંસ્થાઓનાં પારિતોષિકો ઉપરાંત તેમને  ખ્યાતનામ ‘જ્યોતીન્દ્ર હ. દવે પારિતોષિક’ પણ એનાયત થયું છે.

તેમના “જ્યોતીન્દ્ર દવે પારિતોષિક મળ્યા પછી….” શીર્ષકના હાસ્યનિબંધને મેં આપણી ‘વેબગુર્જરી’ના રવિવારી સર્જનાત્મક સાહિત્ય હેઠળ પ્રકાશિત કરેલ ત્યારે મેં એમને એક અંગત મેઈલ મોકલીને મારો એક સુઝાવ દર્શાવ્યો હતો કે જેમ રણજિતરામ પારિતોષિક હાસ્યલેખકશ્રી જ્યોતીન્દ્ર દવેને મળ્યું હતું અને જ્યોતીન્દ્ર દવે પારિતોષિક તમને મળ્યું છે, તો એ સિલસિલો ચાલુ રાખવા ‘હરનિશ જાની પારિતોષિક’ હાલ  જ જાહેર કરી દો તો કેમનું રહે અને તેઓ ખુશ થઈ ગયા હતા અને વળતા જવાબમાં હાસ્યલેખકની અદામાં લખ્યું હતું કે ‘વલીભાઈ, એ માટે તો મારે પહેલાં મરવું પડે ને!’.

આવા હાજર જવાબી શ્રી હરનિશભાઈ આજે સાચે જ મરી ગયા છે એવા સમાચાર ફેસબુક ઉપર વાંચતાં દિલ ભરાઈ આવ્યું અને બેગમ અખ્તરની ગાયેલી દર્દમય ગ઼ઝલ ‘દિલ તો રોતા હી રહે ઔર આંખસે આંસું ન બહે’ની યાદ આવી ગઈ. હમણાં થોડા સમય પહેલાં જ તેમનું છેલ્લું પુસ્તક ‘તીરછી નજરે અમેરિકા’ મને મળ્યું હતું, જે હાલ મારા વર્કીંગ ટેબલ ઉપર સામે જ પડ્યું છે.

મારા બ્લોગ ઉપર તેમના પ્રત્યેક હાસ્યલેખમાંથી એકેક વક્રોક્તિ દર્શાવતા લેખના પુરોકથનના શબ્દો આ પ્રમાણે રહ્યા છે:

“આટલા સુધી મારા સુજ્ઞ વાચકોને એમ લાગ્યા કર્યું હશે કે આ લેખકડો હરનિશભાઈની ઉપરોક્ત પુસ્તકમાંની વક્રોક્તિઓની લૉલીપૉપ જ બતાવ્યે જાય છે, મોંઢામાં ચગળવા ક્યારે આપશે! તો ભાઈ-બાઈ, હું Carrot and stick જેવું તો હરગિજ નહિ કરું; અને લ્યો ત્યારે હવે હું એક પછી એક લૉલીપૉપ આપવા માંડું છું જેને આપ મમળાવી મમળાવીને તેનું રસપાન કરવા માંડો. લેખલાઘવ્યને મદ્દેનજર રાખતાં હરનિશભાઈના પ્રત્યેક હાસ્યલેખમાંની નોંધપાત્ર એકેક વક્રોક્તિને જ અત્રે સ્થાન આપી શકીશ. રસના ચટકા હોય, કંઈ કૂંડાં ન હોય; હોં કે!”

ઉપરોક્ત લેખનો લિંક આ પ્રમાણે છે :

https://musawilliam.wordpress.com/2015/02/11/463-a_harnish-jani_diaspora/

ચાલો, આપણે સૌ સ્વર્ગસ્થના આત્માને શાંતિ મળી રહે અને તેમનાં આપ્તજનોને આઘાત સહન કરવાની શક્તિ મળી રહે તેવી ઈશ્વરને પ્રાર્થના કરીએ.

વલીભાઈ મુસા    

* * *

 

Tags: , , , ,

(૫૩૧) દૃઢ નિશ્ચયની તાકાત   (Power of Determination) – અનુવાદ

Click here to read in English

આપણા જીવનના કોઈપણ ક્ષેત્રમાં કારકીર્દિ બનાવવા માટે કે ઉદ્દેશો સિદ્ધ કરવા માટે દૃઢ નિશ્ચયનું આગવું મહત્ત્વ છે. આજનો દૃઢ નિશ્ચય એ આવતી કાલની સફળતા છે. ટોમી લાસોર્ડા (Tommy Lasorda) કહે છે, ‘શક્ય અને અશક્ય વચ્ચેનો તફાવત માણસના દૃઢ નિશ્ચયમાં રહેલો છે.’ આ બધાં દૃઢ નિશ્ચયમાંથી નિપજતાં હકારાત્મક ભવિષ્ય કથનો છે. કોઈપણ માણસ માટે આવું આવું  હજુય વધારે કહેવું આસાન છે. માત્ર એમ કહેવું એ એક બાબત છે અને તેને અમલમાં મૂકવું એ જુદી બાબત છે. તમને જીવનમાં આગળ ને આગળ વધવામાં દૃઢ નિશ્ચયનું ચાલક બળ કે તેની શક્તિ તમને સક્રિય બનાવે છે. ઘણીવાર માણસને પોતાના સંઘર્ષ દરમિયાન ઘણીબધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે અને તેથી ઘણીવાર તે નાસીપાસ કે હતાશ થઈ જતો હોય છે. પરંતુ આવા સમયે તમારી દૃઢ નિશ્ચયની શક્તિ એ અવરોધને દૂર કરવા માટેની મદદ કરવા માટે આગળ આવતી હોય છે.

અત્રે હું મહાત્મા ગાંધી, અબ્રાહમ લિંકન કે ઘણા એવા મહાન માણસોની વાત કરવા નથી માગતો. એ લોકો તો માનવજાતની ભલાઈ માટેનાં જે સ્વપ્નાં સેવ્યાં હતાં તેમને પોતાના દૃઢ નિશ્ચયના બળે સિદ્ધ કરી શક્યા. સુજ્ઞ વાચકો વિશ્વભરમાં તેમના વિષે લખાયેલાં અઢળક પુસ્તકોમાંથી તેમના વિષેની માહિતી મેળવી શકે છે.

પરંતુ આજનો મારો લેખ તો એક વિદ્યાર્થી વિષેનો છે. અલબત્ત તેણે જે કંઈ સિદ્ધિ મેળવી બતાવી તે પોતાની જ કારકીર્દિ બનાવવા અને તે કારકીર્દિથી જે કંઈ લાભ કે ફાયદા થશે તે માત્ર પોતાના કુટુંબ માટેના જ હોઈ શકે, પણ તેમાંથી મળવા પામનારો બોધપાઠ એ વિશ્વભરના અસંખ્ય વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. એક અંગ્રેજી કાવ્યમાં કહેવાયું પણ છે કે પ્રતિકૂળતાઓને પણ તકમાં પરિવર્તિત કરી શકાય છે. આ લેખના નાયકે એ સિદ્ધ કરી બતાવ્યું કે કેવી રીતે કોઈ અશક્ય વસ્તુને દૃઢ નિશ્ચયની તાકાત વડે શક્યમાં બદલી શકાય છે.

હું આ લેખના નાયકને ઓળખાવું તે પહેલાં મારા વાચકોને મારા અગાઉના લેખ ‘એક સજ્જનનું મૃત્યુ’ની યાદ અપાવીશ. અહીં જેની વાત કરવામાં આવનાર છે તે એ જ સજ્જનના પુત્ર અશરફ જ છે. તેની સફળતાની ગાથા વર્ણવવાનો હેતુ માત્ર એ નથી કે તેનાં ગુણગાન ગવાય, પરંતુ એથીય વિશેષ તો એ છે કે વિદ્યાર્થીઓનો એક મોટો સમૂહ કે જે પોતાના માધ્યમિક શિક્ષણમાં બહુ જ ખરાબ પરિણામ આવ્યું હોવાના કારણે કોલેજ શિક્ષણ મેળવવાનું મુલતવી રાખ્યું હોય તેમને પ્રેરણા મળી રહે.

પ્રથમ તો હું અહીં બરાબર બંધ બેસતું હેન્ડરસન (Henderson)નું એક રમૂજી અવતરણ મૂકીશ, જે આ પ્રમાણે છે : પિતાઓ પોતાનાં સંતાનોને ઉચ્ચ શિક્ષણ માટે એટલા માટે મોકલતા હોય છે કે કાંતો તેમણે કોલેજ શિક્ષણ લીધું હોય છે અથવા તો તેઓ કદીય કોલેજનાં પગથિયાં ચઢ્યા નથી હોતા. આપણા આ કિસ્સામાં અશરફના પિતા શ્રીમાન અહમદભાઈ પલાસરા કોલેજમાં ભણવા નહોતા ગયા, કેમ કે તેમને પોતાના માધ્યમિક શિક્ષણ પછી તરત જ એમના કૌટુંબિક ધંધામાં તેમની જરૂરિયાત હોવાના કારણે જોડાવું પડ્યું હતું. તેઓ ભલે કોલેજ શિક્ષણ મેળવી શક્યા ન હતા, પણ એ મતના તો જરૂર હતા કે તેમની ભવિષ્યની પેઢીએ યુનિવર્સિટી શિક્ષણ અવશ્ય મેળવવું જ જોઈએ.

palasara_ashraf.jpgહવે આપણે મિ. અશરફની વાત ઉપર આવીએ. ગામડાંઓમાં અંગ્રેજી માધ્યમમાં ભણવું જ્યારે જવલ્લે જ જોવા મળતું હતું, ત્યારે અશરફને તેના વતનની નજીકની સ્કૂલમાં અંગ્રેજી માધ્યમમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘરમાં અને સમાજમાં ઉપકારક થઈ પડે તેવું વતાવરણ ન હોઈ એ દિવસોમાં બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવું ઘણું મુશ્કેલ લાગતું હતું, કેમ કે મોટા ભાગનાં લોકો માત્ર ગુજરાતી માધ્યમમાં ભણેલાં હોઈ આવા અંગ્રેજી માધ્યમમાં ભણનાર બાળકને ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં માર્ગદર્શન અને વાતાવરણ  મળી શકતું હતું. શરૂઆતથી જ ભાષાકીય અવરોધના કારણે તેને અંગ્રેજી માધ્યમમાં ગણિત, વિજ્ઞાન જેવા વિષયોમાં પાયાની સમજ મેળવવામાં ખૂબ જ મથામણ કરવી પડતી હતી. સમય પસાર થતાં ભણવામાં સારો દેખાવ કરવાના બદલે તેની આ પ્રકારની મુશ્કેલીઓ ઘટવાના બદલે ઉત્તરોત્તર વધતી જ ગઈ. આમ તે ઘણીજ મુશ્કેલીથી તેના વિષયોમાં માંડ ઉત્તીર્ણ થઈ શકતો હતો. જ્યારે તે ચોથા ધોરણમાં અભ્યાસ કરતો હતો, ત્યારે ધંધાકીય સંજોગોના કારણે તેના કુટુંબને અમદાવાદ ખાતે સ્થળાંતર કરવું પડ્યું હતું. તેણે વિચાર્યું કે અભ્યાસમાં સારો દેખાવ કરવા માટે તેણે ગુજરાતી માધ્યમ અપનાવવું જોઈએ. પરંતુ તેના મરહૂમ પિતાએ તેને અંગ્રેજી માધ્યમમાં ચાલુ રહેવા ખૂબ સમજાવ્યો. અશરફ કહે છે, ‘શરૂઆતમાં અમદાવાદમાં ધોરણ ચોથામાં અચકાતાં અચકાતાં અંગ્રેજી માધ્યમમાં ચાલુ રહેવા માટે મેં નક્કી કર્યું, ત્યારે તે મને ખૂબ જ અઘરું લાગવા માંડ્યું અને એ જ માધ્યમમાં ચાલુ રહેવાના મારા મૂર્ખાઈભર્યા નિર્ણય બદલ હું પસ્તાતો હતો. પરંતુ મારા પિતાએ મને એમ કહીને પ્રોત્સાહિત કર્યો હતો કે એ લોકોએ મને અંગ્રેજી માધ્યમમાં એટલા માટે મૂક્યો છે કે જેથી હું અંગ્રેજી વિષય ઉપર સારું પ્રભુત્વ મેળવી શકું અને આગળ જતાં અમારા ધંધામાં મદદરૂપ થવા માટેનો હેતુ સિદ્ધ થઈ શકે. વધુમાં તેમણે કહ્યું હતું કે મારે અન્ય વિષયોમાં વધુ ગુણ મેળવવાની જરાય ચિંતા કરવાની નથી. પાછળથી મેં જાણી લીધું હતું કે તેમણે મને સાવ સાદી સલાહ એટલા માટે આપી હતી કે હું ગમે તે રીતે અંગ્રેજી માધ્યમમાં ચાલુ રહેવાના મારા નિર્ણયને વળગી રહું.”

મિ. અશરફે તેની એસ.એસ.સી. (૧૯૯૪) પરીક્ષા સાવ ઓછા એવા ૫૫% ગુણથી પસાર કરી. વળી એમાંય પણ તેનું માનવું હતું કે તેની ઓછી તૈયારી અને અત્યાર સુધીની લેવાયેલી પરીક્ષઓમાંના નબળા દેખાવને જોતાં આ એક કરિશ્મો જ હતો કે જે થકી તેણે એસ.એસ.સી. પરીક્ષા ઉત્તીર્ણ કરી હતી. તેને આ તબક્કે એવું લાગ્યું કે હવે પોતાની જિંદગીમાં આગળ ઉપર શું કરવું તેના ઉપર ગંભીર વિચારણા કરવા માટેનો સમય આવી ગયો હતો. હવે તો તેની પાસે બે જ વિકલ્પ હતા કે કાં તો ભણવાનું જ છોડી દઈને  કૌટુંબિક ધંધામાં જોડાઈ જવું કે પછી પોતાના મન  અને આત્માથી ગંભીર બનીને આગળ ભણવું અને અભ્યાસમાં સારો દેખાવ કરી બતાવવો. તેણે આગળ ભણવાનું પસંદ કર્યું અને ઉચ્ચતર માધ્યમિકમાં વાણિજ્ય પ્રવાહને પસંદગી આપીને પોતાનો નોંધપાત્ર દેખાવ બતાવ્યો અને આમ ૭૫% ગુણ સાથે હાયર એસ.એસ.સી. પરીક્ષા ઉત્તીર્ણ કરી. હવે વળી ફરી પાછા એ નક્કી કરવાનું હતું કે  તેણે કૌટુંબિક ધંધામાં જોડાઈ જવું કે આગળ યુનિવર્સિટી શિક્ષણ પ્રાપ્ત કરવું. આ તેના જીવનનો ખૂબ જ અગત્યનો વળાંક હતો. તેને કુટુંબના સભ્યો અને મિત્રો તરફથી કોલેજમાં ભણવા જવા માટેનું પ્રોત્સાહન મળ્યું. છેવટે તેણે આગળ ભણવાનું નક્કી કરી જ લીધું અને તે પણ માત્ર કોમર્સ ફેકલ્ટીનું ગ્રેજ્યુએશન  જ નહિ, પણ તેથીય કંઈક વિશેષ અગત્યનું ભણવું. તેણે વિચાર્યું કે કોમર્સમાંનું માત્ર ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન શિક્ષણ તો એવું બનીને રહી જશે કે ચીલાચાલુ ભણેલા એવા કમનસીબ મોટા સમુદાય ભેગા પોતાની જાતને પણ ભેળવી દેવી કે જેઓ નોકરી કે એવું કંઈક કરવા માટે આમથી તેમ ભટકતા હોય છે અને ભણવામાં કરેલી મહેનતના બદલામાં કશું જ પ્રાપ્ત કરી શકતા નથી હોતા. મારા વાચકોને એ જાણીને આશ્ચર્ય થશે કે તેણે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી એડવાન્સ કોર્સમાં જોડાવાનું નક્કી કરી જ લીધું. આમ જોઈએ તો તેનો આ નિર્ણય સાંકડા અને નાના મોંઢામાં મોટો કોળિયો મૂકવા જેવો હતો અને છતાંય તેણે એમાં જ ભણવા માટેનો પોતાનો દૃઢ નિશ્ચય કરી જ લીધો હતો.

અહીં પોતાના આ કઠોર નિર્ણયના પક્ષમાં તેનો હકારાત્મક મુદ્દો એ હતો કે તેનું હવે અંગ્રેજી ભાષા ઉપર નોંધપાત્ર પ્રભુત્વ હતું. તેને ચોક્કસ ખાત્રી હતી કે પોતાના સંઘર્ષના શસ્ત્ર વડે તે અન્ય વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરી શકશે. અને લ્યો ! તેણે પોતાની સી.એ.ની પરીક્ષા પ્રથમ જ પ્રયત્ને સમગ્ર ભારતમાં ૩૩મા ક્રમાંકે નવેમ્બર – ૨૦૦૦માં માત્ર ૨૨ વર્ષની ઉંમરે ઉત્તીર્ણ કરી લીધી. આ ખાસ પ્રકારની સ્પેશ્યલાઈઝ્ડ પ્રોફેશનલ ડિગ્રી હતી અને હવે તેના માટે ગેજ્યુએશનની એવી કોઈ ડિગ્રી મેળવવી જરૂરી ન હતી. આમ છતાંય તેણે સી.એ.ની પરીક્ષા ઉત્તીર્ણ કરે તે પહેલાં ૧૯૯૯માં જ ૭૦% ગુણે બી. કોમ. પરીક્ષા ઉત્તીર્ણ કરી દીધી હતી. વળી તેને લાગ્યું કે આ ડિગ્રી પર્યાપ્ત નથી અને તેણે ૨૦૦૧માં એલ.એલ.બી. (જનરલ) ડિગ્રી પણ મેળવી લીધી. હવે તેની પાસે સ્પેશ્યલાઈઝ્ડ સી.એ.ની ડિગ્રી સાથે ડબલ ગ્રેજ્યુએશનની ડિગ્રીઓ પણ હતી.

આપણા આ લેખના નાયક મહાશય પોતાની સી.એ. (ઈન્ડિયા)ની ડિગ્રીથી સંતુષ્ટ ન હતા, કેમ કે તેઓ પરદેશમાં પોતાની કારકીર્દિ બનાવવા માગતા હતા. આ માટે તેણે ૨૦૦૩માં સી.પી.એ. (યુ.એસ.એ.)ની પરીક્ષા આપી અને પ્રથમ પ્રયત્ને તેમાં પણ સફળતા મેળવી લીધી. હવે તે ડબલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ  અને ડબલ ગ્રેજ્યુએટ હતો. હજુ પણ એ જ ક્ષેત્રની ત્રીજી ડિગ્રી મેળવવાનું તેનું લક્ષ હતું અને તે ડિગ્રી હતી યુ.કે.ની એ.સી.સી.એ., જે એણે ૨૦૦૪માં મેળવી લીધી. હાલમાં એ ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની ઓસ્ટ્રેલીઆની ચોથી ડિગ્રી મેળવી લેવાના ફિરાકમાં છે, કેમ કે તેણે હવે ઓસ્ટ્રેલીઆમાં જ સ્થિર થવાનું વિચારી લીધું છે. તેને ખાત્રી છે કે એ પણ થઈને જ રહેશે. આ બધી ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની ડિગ્રીઓ ભેગી કરવાનો તેનો સીધો સાદો તર્ક એ છે કે તે દુનિયાના કોઈપણ ભાગમાં પોતની કારકીર્દિને પ્રસ્થાપિત કરી શકે તેવી ક્ષમતા કેળવાય. વળી ભવિષ્યે અનુકૂળતાએ તે  પોતાના જીવનની કદાચ આખરી એવી ઇન્ડિયાનીની એમ.કોમ.ની પરીક્ષા પણ ઉત્તીર્ણ કરવાની નેમ ધરાવે છે.

હવે આપણે તેણે આ સમયગાળામાં અનેક વૈશ્વિક કંપનીઓમાં પોતાની પ્રોફેશનલ કારકીર્દિ બનાવી છે તેના ઉપર દૃષ્ટિપાત કરીશું.

– ભારતમાં ઓગસ્ટ ૧૯૯૭થી એપ્રિલ ૨૦૦૨ સુધી ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની ફર્મ્સ જેવી કે તૃષિત ચોકસી એન્ડ એસોસિયેટ્સ, યુસુફ સી, મનસુરી એન્ડ કંપની અને મનુભાઈ એન્ડ કંપની.

– કે.પી.એમ.જી. મસ્કત (ઓમાન) કે જે ઓડિટ, એડવાઈઝરી અને ટેક્સ સર્વિસીઝની ચાર મોટી કંપનીઓમાંની એક છે તેમાં જુન, ૨૦૦૨થી જુલાઈ, ૨૦૦૫ સુધી કામ કર્યું.

– પ્રાઈસ વોટર હાઉસ કૂપર્સ (PwC)  કે જે પણ ઓડિટ, એડવાઈઝરી અને ટેક્સ સર્વિસીઝની ચાર મોટી કંપનીઓમાંની એક છે તેમાં ઓગસ્ટ-૨૦૦૫થી એપ્રિલ-૨૦૦૬ સુધી કામ કર્યું.

– હાલમાં ડેલોઈટ સિડની (ઓસ્ટ્રેલીઆ) ઓફિસમાં મે ૨૦૦૬થી કામ કરે છે.

અશરફ હાલમાં નીચેનાં પ્રોફેશનલ બોડીઝ/ચેપ્ટરમાં  સભ્યપદ ધરાવે છે.

– ધી ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI – India)
– સિડની ચેપ્ટર ઓફ આઈ.સી.એ.આઈ., સિડની – ઓસ્ટ્રેલીઆ
– કોલોરાડો સ્ટેટ બોર્ડ ઓફ એકાઉન્ટન્સી (licensed CPA) – Co. USA
– એસોસિએશન ઓફ ચાર્ટર્ડ સર્ટિફાઈડ  એકાઉન્ટન્ટ્સ (ACCA) – United Kingdom

આટલું જ પૂરતું નથી. તેનું ધ્યાન પોતાની પત્ની રૂબિનાની કારકીર્દિ પરત્વે પણ કેન્દ્રિત છે. તેણી એમ.કોમ. છે અને પોતાના માર્ગ A.C.C.A. (U.K.). ઉપર પ્રયાણ કરી રહી છે. તેણી હાલમાં જ એ પરીક્ષાનાં કુલ ૧૪ પેપર્સમાંથી છેલ્લાં ચાર પેપર્સની પરીક્ષા આપી રહી છે. તેની A.C.C.Aની ડિગ્રી મેળવવા આ ચાર પેપર્સ એક સાથે પાસ કરવાં ફરજિયાત છે.

અહીં આપણે અશરફની સત્ય ઘટનાત્મક કથાને પૂર્ણ કરીએ  છીએ. અશરફ જેવી પરિસ્થિતિમાં મુકાયેલા વિદ્યાર્થીઓ તેમના દૃઢ નિશ્ચય વડે કરેલા સંઘર્ષમાંથી પ્રેરણા મેળવી શકે છે. પોતાના ધ્યેય તરફ આગળ ધપવા માગતા કોઈપણ ઈસમ માટે દૃઢ નિશ્ચયની તાકાત એક ચૂંબકનું કામ કરતી હોય છે કે જેથી તેમાં તે રચ્યોપચ્યો રહીને સિદ્ધિ મેળવી શકે. થોમ્સ આલ્વા એડિસને કહ્યું છે કે ‘કેટલાક જીવનમાં નિષ્ફળ જનારા એવા લોકો હોય છે કે જેમને ખબર નથી હોતી કે તેઓ સફળતાના  કેટલા નજીક છે અને તેઓ પોતાની પ્રવૃત્તિ છોડી દેતા હોય છે. મારા પ્રિય મહાનુભાવ  મિ. ચર્ચિલ પણ કહે છે કે ‘નિષ્ફળતા ઉપર નિષ્ફળતા મળતી હોવા છતાં હતાશ થયા વગર મથામણ ચાલુ રાખવામાં જ સફળતા સમાયેલી છે.’

ઉપરોક્ત લેખ માત્ર વિદ્યાર્થીઓને જ લાગુ પડતો નથી. તે જીવનના કોઈપણ ક્ષેત્રમાં કામ કરતા તમામ પ્રકારના લોકોને એટલો જ લાગુ પડે છે. થિયોડોર રૂઝવેલ્ટ આ અંગેની એક સામાન્ય રીત સમજાવે છે કે, ‘તમારી પાસે જે કંઈ હોય અને તમે જ્યાં પણ હો ત્યાં તમે જે કંઈ કરી શકતા હો તે અવશ્ય કરતા રહો.’

મારા ભલા વાચકો, અહીં મારો લેખ પૂર્ણ થાય છે.

-વલીભાઈ મુસા

(તા.૧૭-૦૭-૨૦૦૭)

તા.ક. મારા વાચકોને એક આશ્ચર્યજનક સમાચાર આપું તો આ લેખ પ્રસિદ્ધ થયા પછી મિ. અશરફે પોતાની ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની C.A. (Australia)ની ચોથી  ડિગ્રી પણ ઉત્તીર્ણ કરી લીધી છે. હવે તેમની લાયકાત આમ વાંચી શકાશે, ” B.Com., LL.B., C.A.(India), C.P.A.(U.S.A.), A.C.C.A.(U.K.), C.A.(Australia). અભિનંદન (લેખક)

(તા.૦૮-૦૮-૨૦૦૭)

(Translated from English version titled as “Power of Determination“ published on July 17, 2007)

 

 

 

Tags: , , , , , ,

(૫૩૦) એક પૂર્ણ વર્તુળ ૨૨ વર્ષ ઓહિયાં કરી ગયું ! – અનુવાદ (A full circle swallowed 22 years)

Click here to read in English

હાલમાં સમગ્ર વિશ્વના લોકોનાં બંધિયાર માનસોની બારીઓને વૈશ્વિકરણના ખ્યાલે ખોલી દીધી છે. સંખ્યાબંધ લોકો પોતાની માતૃભૂમિમાંથી સુખી કૌટુંબિક જીવન જીવવા માટે વધુ અર્થોપાર્જન કરવાના હેતુસર વિદેશોમાં સ્થળાંતર કરી રહ્યા છે. કેટલાક વળી પોતાના વસવાટના સ્થળેથી વિદેશોમાં એટલા માટે કાયમી ધોરણે સ્થાયી થઈ રહ્યા છે કે જેથી પોતાના વર્તમાનકાલીન જીવનમાં માત્ર બદલાવ લાવવાનો પોતાનો શોખ સંતોષાય. આમ દેશાંતર આર્થિક કારણસર હોય કે શોખ ખાતર હોય, પણ તે બધીય રીતે જોતાં એક શુભ વાત છે.

પણ … હું મારું ‘પણ’ મારા વાચકોને નિરુત્સાહી કરવા માટે નથી પ્રયોજી રહ્યો. હું આપ સૌને અગાઉથી માનસિક રીતે તૈયાર કરવાનો પ્રયત્ન કરું છું કે સૌ કોઈ દેશાંતર કરવા માટે હંમેશાં તૈયાર રહે, કેમ કે ઈશ્વર એવું ન કરે, પણ એવું દેશાંતર કે જે ભવિષ્યે સૌ કોઈને કરવાની ફરજ પડે.

દુનિયાના દેશો કોઈપણ શાસન પદ્ધતિ જેવી કે લોકશાહી, રાજાશાહી કે સરમુખત્યારશાહી હેઠળ હોય, પરંતુ તેઓ ગમે ત્યારે ક્રાંતિકારી કે રાજકીય કટોકટીમાં આવી શકે છે. તેઓ એવી કટોકટીપૂર્ણ કે અવાંછિત અને દુ:ખદ એવી ખોટી માન્યતાઓ ધરાવવાની પરિસ્થિતિમાં આવી શકે છે, કે જ્યાં અન્યો પરત્વે અસહિષ્ણુતા હોય, રૂઢિગત ધિક્કારની લાગણી હોય, વંશીય હુમલાઓ થતા હોય, નિર્દોષોની સરેઆમ કત્લેઆમ થતી હોય, કહેવાતી જાતિવાદી સફાયાની અરેરાટીપૂર્ણ હિંસાત્મક ઘટનાઓ ઘટતી હોય અથવા તો અન્ય કોઈપણ પ્રકારના ત્રાસ અને જુલ્મ આચરવામાં આવતા હોય. કોઈપણ સમયે આવી માનવસર્જિત આફતો કાં તો શાસક પક્ષ તરફથી પ્રેરિત હોય અથવા શાસિત પ્રજામાંથી ક્રાંતિ કે પરિવર્તનના નામ હેઠળ ઉદ્ભવતી હોય. આપણે લોકો હંમેશાં એવી ખતરનાક પરિસ્થિતિમાં જીવતા હોઈએ છીએ જેમ કે મધુર ગીત ગાતા કોઈ પંખીએ પોતાનાં ઈંડાંને સેવવા માટે તોપના નાળચામાં માળો બાંધ્યો હોય! આજકાલ અચાનક પરિસ્થિતિ બદલાઈ જતી હોય છે અને સરળ રીતે પસાર થઈ રહેલી માનવ જિંદગી એકદમ હાનિગ્રસ્ત થઈ જતી હોય છે.

જો કે ઈશ્વર આપણને બચાવે, પરંતુ આવા સંજોગો માટે આપણે પોતાની જિંદગી, પ્રતિષ્ઠા અને સન્માન બચાવવા માટે દેશાંતર કરવા માટેનો કઠોર નિર્ણય લેવા માટે માનસિક રીતે તૈયાર રહેવું જોઈએ. માણસે ભાગ્યે ફેંકેલા પડકારને ઝીલી લેવા માટે તત્પરતા દાખવવી જોઈએ અને ‘જે થવાનું હોય તે ભલે થાય’ એવી તૈયારી સાથે હિંમતવાન અને સાબદા બની રહેવું પડે.

અહીં હું એક મારા ભલા મિત્ર મિ. જાફરઅલી સુણસરા (જેફ)ની ઓળખાણ આપીશ. તેઓ યુગાન્ડા (આફ્રિકા)માં જન્મ્યા હતા. તેમણે માત્ર પ્રાથમિક શિક્ષણ ભારતમાં લીધું હતું અને અમેરિકામાં સ્થાયી થયા હતા. અમે મિત્રો છીએ, પણ તેથીય વધારે કહું તો છેક ૧૯૫૯થી અમે એકબીજાના ભાઈ સમાન છીએ. મિ. જાફરભાઈના જીવનની ૨૨ વર્ષની કષ્ટભરી જીવનયાત્રાની કહાની આ લેખની મારી પ્રસ્તાવના પછી તરત જ શરૂ થશે, જેમાંની તેમની ધીરજ, તેમનો સંઘર્ષ અને તેમના વ્યક્તિત્વના ઘણા બધા ગુણોનું મૂલ્યાંકન તમે આપમેળે જ કરી શકશો.

“ધી મોર્નિંગ કોલ” ન્યૂઝ પેપરમાં તા.૦૬ નવેમ્બર, ૧૯૯૪ના રોજ તેના પત્રકાર બોબ વિટમન દ્વારા લખાયેલો નીચે દર્શાવેલા શીર્ષક હેઠળનો લેખ પ્રસિદ્ધ થયો હતો. આ લેખને અહીં એ હેતુસર પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યો છે કે જેથી મારા સુજ્ઞ વાચકો તેમાંના સંદર્ભ અને માહિતીને તારવી શકે અને પોતાના જીવનની ગમે તેવી વિષમ પરિસ્થિતિ સામે એક ખડકની જેમ ટટ્ટાર ઊભા રહીને તેનો મુકાબલો કરવા માટેની પ્રેરણા મેળવી શકે.

મારા ભલા વાચકો, હવે આગળ વાંચો અને ખૂબ જ નમ્ર અને અસાધારણ સામર્થ્ય ધરાવતા એવા પ્રખર માનવની બે દસકાઓ કરતાં પણ વધારે સમયની સંઘર્ષ ગાથાના સાક્ષી બનો :

નાગરિકતા વિહોણા એક યુગાન્ડનની ૨૨ વર્ષની કષ્ટદાયક જીવનયાત્રાનો અંત આવશે
(“Stateless” Ugandan’s 22 – year Odyssey will end)

“આજથી બરાબર ૨૨ વર્ષ પહેલાંના આ જ મહિને મિ. જાફરઅલી સુણસરા યુગાન્ડાના કમ્પાલા એરપોર્ટ ઉપર હજારેક લોકોની લાઈનમાં ઊભેલા હતા. જ્યારે લાઈનમાં તેમનો વારો આવ્યો, ત્યારે પોતાના યુનિફોર્મમાં કડક મિજાજના લાગતા એ ઓફિસરે સુણસરાના યુગાન્ડન જન્મ પ્રમાણપત્રને હાથમાં લીધું અને અને તેના ઉપર એક સિક્કો મારી દીધો. ભૂંસી ન શકાય તેવી જાંબુડિયા રંગની એ શાહી જ્યારે સુકાઈ ત્યારે એ દિવસે જાણે કે શુષ્ક હોય એવા આફ્રિકન સૂર્યના પ્રકાશમાં મિ. સુણસરાએ એક જ શબ્દ વાંચ્યો કે જેને મિટાવવા તેમને બે દસકા જેટલો સમય લાગ્યો. એ શબ્દ હતો “નાગરિકતાવિહીન (Stateless)”.

તે જ દિવસે સુણસરાની ત્રણ ખંડોની કષ્ટભરી જીવનયાત્રા શરૂ થઈ જે છેવટે સાચે જ જૂના લેહ કાઉન્ટી કોર્ટહાઉસના કોર્ટરૂમમાં ગુરૂવારે એ વખતે સમાપ્ત થશે, જ્યારે ૬૧ વર્ષના વયોવૃદ્ધ એવા આ ઈસમ પોતાનો હાથ ઊંચો કરીને યુનાઈટેડ સ્ટેટ્સ પરત્વેની વફાદારીના શપથ લેશે અને યુનાઈટેડ સ્ટેટ્સના નાગરિક બનશે. લેહ કાઉન્ટીના નાગરિકત્વ ડિપાર્ટમેન્ટના ક્લાર્ક મિ. બર્નાડેટ કારવેલના મત મુજબ એ દિવસે સાંજે ૪-૦૦ કલાકે ઓછામાં ઓછા બીજા ૪૮ જણ ખાસ નાગરિકત્વ સમારોહમાં યુનાઈટેડ સ્ટેટ્સના નાગરિક બનશે.

મિ. સુણસરાએ અગાઉ એવું કદીય ધાર્યું નહિ હોય કે તેઓ તેમના જીવનમાં એક દિવસે અમેરિકાના પેન સિલ્વેનિયા રાજ્યના એલન ટાઉન નામના શહેરમાં કાયમી વસવાટ કરશે. મિ. સુણસરા સુખી એવા વ્યાપારી કબીલા અને વિષુવૃત્તીય યુગાન્ડા દેશના વેપારી કુટુંબમાં જન્મ્યા હતા. જ્યારે પૂર્વ આફ્રિકા બ્રિટીશ કોલોની તરીકે હતું, ત્યારે તેમના દાદા ભારતથી યુગાન્ડામાં આવી વસ્યા હતા. બ્રિટીશ સરકાર ગ્રેટ બ્રિટનના તાબા હેઠળના આ દેશમાં ભારતીયો વસવાટ કરીને સરકારને મદદરૂપ થાય તે માટે તેમને પ્રોત્સાહિત કરતી હતી. લગભગ દસ હજાર જેટલા ભારતીયો યુગાન્ડાની સરકારી નોકરીઓમાં અને તેના વેપારધંધામાં જોડાયા હતા.

પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી મિ. સુણસરા ૧૯૫૭માં યુગાન્ડાના લિરા ખાતે ‘નોર્થન પ્રોવિન્સ બસ કંપની’માં જોડાયા. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ટિકિટ એક્ઝામિનર, મિકેનિક તથા ટ્રાફિક મેનેજર તરીકે સેવાઓ આપી અને ૧૯૬૫માં કંપનીના સ્ટોક હોલ્ડર અને ડાયરેક્ટર બન્યા.

ઈ.સ.૧૯૬૦માં મિ. સુણસરાએ મદ્રાસ (ભારત)ની એક છોકરી સાથે લગ્ન કર્યાં અને તેમના દાંપત્યકાળમાં તેઓ ત્રણ દીકરીઓ અને એક દીકરાનાં માવતર બન્યાં. સુણસરાને ચાર બેડરૂમનું સરસ મજાનું ઘર હતું, ત્રણ કાર હતી અને રજાઓ દરમિયાન તેઓ નિયમિત રીતે આલ્બર્ટ સરોવર ખાતે ફિશીંગ કરવા જતા. આમ તેઓ સઘળી રીતે સફળ અને સુખી હતા.

પરંતુ ૧૯૭૧માં લશ્કરના ફિલ્ડ માર્શલ ઈદી અમીને સરકારનો કબજો લઈ લીધો અને દેશ અંધાધૂધીમાં ઘેરાઈ ગયો. લશ્કર ગામડાંઓ ઉપર ગેરિલા પદ્ધતિએ ત્રાટકતું અને પોલિસ પણ નાગરિકો ઉપર કેર વર્તાવતી. પોતાના કુટુંબની સલામતી માટે દેશમાં શાંતિ ન સ્થપાય ત્યાં સુધીના સમયગાળા માટે સુણસરાએ પત્ની અને બાળકોને પત્નીના પિયર મદ્રાસ (ભારત) ખાતે મોકલી દીધાં. એ વખતે એમને જરા પણ ખબર ન હતી કે તેઓ પોતાનાં કુટુંબીજનોને આવનારાં ૧૬ વર્ષો સુધી નહિ મળી શકે.

મિ. જેફે સલામતી ખાતર કુટુંબને ભારત મોકલી દીધું એ તેમનું દૂરંદેશીપણું હતું, કારણ કે અમીન ક્રમે ક્રમે લઘુમતી ભારતીઓ ઉપર સખ્તાઈ વધારતો જતો હતો. એક વખતે તો મિ. સુણસરાની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને પૂછપરછ માટે ત્રણ દિવસ સુધી લશ્કરી કેમ્પમાં ગોંધી રાખવામાં આવ્યા હતા. વળી એ જ વખતે બસ કંપનીના ચિફ એક્ઝ્યુકેટિવ ઓફિસરને પણ પકડી લેવામાં આવ્યા હતા અને ત્યાર પછી તેમનો કોઈ પત્તો-પગેરુ મળ્યાં ન હતાં. જો કે મિ. સુણસરાને ઈજા પહોંચાડ્યા વિના મુક્ત કરી દેવામાં આવ્યા હતા, પણ તેમનું હવે પછીનું જીવન પહેલાં જેવું રહ્યું ન હતું. તેઓ કદીય પોતાની ઓફિસે પાછા ફરી શક્યા નહિ અને કંપની વિખેરાઈ ગઈ હતી. તેઓ કેટલાક મિત્રો અને સંબંધીઓના ત્યાં લપાતા-છુપાતા રહ્યા. દુ:ખદ બીના તો એ રહી કે તેઓ એક જ સ્થળે બે રાત્રિથી વધારે રહી શક્યા ન હતા.

પછી તો, ઓગસ્ટ ૧૯૭૨માં અમીને જાહેરનામું બહાર પાડી દીધું કે યુગાન્ડામાં વસતા ભારતીયોએ દેશને છોડી જ દેવો પડશે. યુનાઈટેડ નેશન્સે લોકોને દેશમાંથી સહીસલામત બહાર લઈ જવા માટેનો કાર્યક્રમ ઉતાવળમાં ઘડી કાઢ્યો. મિ. સુણસરા અને તેમનું બહોળું કુટુંબ અને લઘુમતીઓમાંના બીજા ૪૫૦૦૦ જેટલા માણસોને યુરોપના જુદાજુદા સ્થળોના આશ્રય કેમ્પોમાં હવાઈ માર્ગે ખસેડી દેવામાં આવ્યા. તેઓને કોઈ રોકડ નાણાં કે ચીજવસ્તુ પણ લેવા દેવામાં ન આવી. વળી આવા દરેકના જન્મ પ્રમાણપત્ર ઉપર યુગાન્ડન અધિકારીઓએ ‘નાગરિકતાવિહીન (Stateless)’ના સિક્કા મારી દીધા. યુનોએ મિ. સુણસરાને નોર્વેમાં વસવાટ આપી દીધો. નોર્વેજિયન સરકારે તેમને દરિયાકિનારે આવેલા બર્ગન શહેરમાં વસવાટ માટે એક એપાર્ટમેન્ટ આપ્યું અને શિપ યાર્ડમાં કામદાર તરીકેની નોકરી અપાવી દીધી. આ સમય દરમિયાન મિ. સુણસરાના બહોળા પરિવારમાંનાં તેમનાં માતા, ભાઈઓ-ભાભીઓ અને તેઓનાં બાળકોએ યુનાઈટેડ સ્ટેટ્સમાં વસવાટ લઈ લીધો હતો. એ લોકોને એલનટાઉનના સેન્ટ જહોન્સ લુથરન ચર્ચે સ્પોન્સર કર્યાં હતાં અને તેમને લેહ વેલીમાં વસાવી દેવામાં આવ્યાં હતાં.

મિ. સુણસરાને નોર્વે પસંદ ન હતું. તેઓ ત્યાંની ઠંડી સાથે અનુકૂલન સાધી શકતા ન હતા. તેમને ત્યાંના લોકો મૈત્રીભાવવાળા ન લાગ્યા. વળી તેઓ શારીરિક રીતે થકવી નાખતા માનવીય શ્રમકાર્યથી ટેવાયેલા ન હતા. તેમને હંમેશાં એમ જ લાગ્યા કરતું હતું કે કુટુંબને બોલાવી લેવા માટે નોર્વે યોગ્ય સ્થળ નથી. આમ જ્યાં સુધી પોતે અન્ય વિકલ્પ ન વિચારી કાઢે ત્યાં સુધી તેમણે કુટુંબને ભારત ખાતે જ રહેવાનું જણાવી દીધું.

મિ. સુણસરા ચિંતનશીલ માણસ હતા. તેઓ પોતાની ભૂલો કબૂલ કરી લેવામાં જરાય સંકોચ અનુભવતા ન હતા. એમણે નોર્વેમાં પાછા ન ફરવાના ઈરાદા સાથે ૧૯૭૬માં અમેરિકા જવાનો દૃઢ નિશ્ચય કરી લીધો. તેમને તેમનાં માતુશ્રી અને ભાઈને મળવા જવા માટે અમેરિકાના અગિયાર અઠવાડિયાંના ટ્રાવેલ વિઝા મળી ગયા અને એ મુદ્દત વીતી ગયા પછી તેઓ કદીય નોર્વે પાછા ફર્યા ન હતા. મિ. સુણસરાને ખબર હતી કે તેઓ યુ.એસ. ઈમિગ્રેશન કાયદાનો ભંગ કરી રહ્યા હતા, વળી સાથે સાથે તેમને એ ખબર પણ ન હતી કે એ સરકારી તંત્ર દ્વારા એ કાયદાઓમાં કેવી અને કેટલી બાંધછોડ થઈ શકે. તેમનું દૃઢ માનવું હતું કે નિરાશ્રિત તરીકેની તેમની કથની યુ. એસ. ઈમિગ્રેશન સત્તાવાળાઓને તેમની દુર્દશામાંથી તેમને ઉગારવાની ફરજ પાડશે અને તેઓ કાયમી ધોરણે અમેરિકાવાસી બની શકશે.

પરંતુ સચ્ચાઈ જે હતી તેની સામે તેમની ધારણા મુજબ કશું બની શક્યું નહિ. તેમણે જ્યારે એ વખતના અમેરિકન પ્રમુખ જીમિ કાર્ટરને પોતાની કરૂણ કથની લખી જણાવી, ત્યારે યુ. એસ. ઈમિગ્રેશન અને નેચરલાઈઝેશન સર્વિસ (INS) તરફથી સાવ સંક્ષિપ્ત અને તોછડો જવાબ મળી ગયો કે ‘પ્રમુખને કોઈપણ રીતે કાયદાને સુધારવાની સત્તા નથી.’

બીજી તરફ ઈમિગ્રેશન અને નેચરલાઈઝેશન સર્વિસ (INS) તરફથી મિ. સુણસરા વિઝાની મુદ્દત કરતાં વધારે સમય અમેરિકામાં રોકાયા હોવા છતાં તેમનો કોઈ પીછો કરવામાં આવ્યો નહિ. આ સમય દરમિયાન મિ. સુણસરાના મિત્રે તેમને એલનટાઉનના કોલેજ હાઈટ્સ બોલેવર્ડ ખાતે આવેલા ‘સેવન ઈલેવન ફુડ સ્ટોર’માં કાઉન્ટર પાછળ નોકરી આપી. વર્ષો પસાર થતાં ગયાં. મિ. સુણસરાને પત્ની બાળકોનો વિયોગ દુ:ખદાયક લાગતો હતો. પછી તો બધાંના હિતમાં ઠીક સમજીને મિ. સુણસરા ફિલાડેલ્ફીઆ જઈને ઈમિગ્રેશન અધિકારીઓ સમક્ષ હાજર થઈ ગયા. એ લોકોએ તેમને દેશ છોડી જવા માટેનો ઓર્ડર હાથમાં પકડાવી દીધો.

પરંતુ અહીં આશ્ચર્યજનક ટેકનિકલ બાબત એ હતી કે તેમને દેશબહાર હાંકી કાઢવા માટે સામે કોઈ દેશ હોવો જોઈએ જે ન હતો. આ ગાળામાં અમીનને પદભ્રષ્ટ કરી દેવામાં આવ્યો હતો. યુગાન્ડામાં હજુય અંધાધૂંધી પ્રવર્તતી હતી, છતાંય તે લોકો મિ. સુણસરાને સ્વીકારવા તૈયાર ન હતા. નોર્વે તેમને પોતાના દેશમાં ફરી પાછા ફરવા દે તેમ ન હતું, કેમ કે એમણે તેમનું જીવન સુખમય બનાવવા માટે તેમને એક તક આપી હતી, જે તેમણે પોતે જ ગુમાવી દીધી હતી. વળી ભારત કે જ્યાં તેમનાં પત્ની રહેતાં હતાં તે પણ તેમને સ્વીકારવા બંધનકર્તા ન હતું. આમ મિ. સુણસરા યુનાઈટેડ સ્ટેટ્સ માટે સમસ્યારૂપ બની ગયા હતા. મિ. સુણસરાના વકીલ તેમના હદપાર થવા માટેના ઓર્ડરમાંની સમયમર્યાદા વધારવા માટેનો કેસ જીતી ગયા હતા. પછી તો આ મુદ્દત વધારો, વળી મુદ્દત વધારો અને મુદ્દત વધારા ઉપર વધુ ને વધુ મુદ્દત વધારા એમ ચાલતું રહ્યું. છેવટે ૧૯૮૪માં ઈમિગ્રેશન અને નેચરલાઈઝેશન સર્વિસ (INS) દ્વારા તેમને સ્પષ્ટ રીતે જણાવી દેવામાં આવ્યું કે હવે તેમને દેશ છોડી જવા માટેનો મુદ્દત વધારો નહિ આપવામાં આવે અને તેમણે ૨૧મી ફેબ્રુઆરીએ પોતાનાં બિસ્તરાં-પોટલાં સાથે દેશનિકાલ થવા માટે તૈયાર રહેવું પડશે.

પરંતુ, ઈમિગ્રેશન અને નેચરલાઈઝેશન સર્વિસ (INS) મિ. સુણસરાને કયા દેશમાં મોકલી આપે તે એક રસપ્રદ મુદ્દો હતો. જો કે આ અવઢવ પરિસ્થિતિ લાંબા સમય સુધી રહી નહીં અને આ સમયગાળામાં જ એવો માર્ગ નીકળી આવ્યો કે INSની ક્વોટા પદ્ધતિ હેઠળ થોડાક દિવસો બાકી હતા અને અમેરિકામાં કાયમી વસવાટ માટેની તેમના ભાઈ લિયાકતઅલીની સ્પોન્સરશીપ હેઠળ તેમનું નામ નીકળી આવ્યું. જો કે અહીં વાર્તાનો અંત આવતો નથી. કાયદા પ્રમાણે INSની અમેરિકામાં નવેસરથી પ્રવેશ કરવા માટેની એક જરૂરિયાત પૂરી થવી જરૂરી હતી. મિ. સુણસરાએ એક વખત દેશ બહાર નીકળી જઈને ફરીથી અમેરિકામાં દાખલ થવું પડે અને તો જ તેમના કેસના કાગળો પ્રોસેસ થાય અને તેમના કાયમી વસવાટ માટેની ફાઈલ ખુલે.

પરંતુ કાયદાતંત્રની જોગવાઈ-૨૨ હેઠળ મિ. સુણસરા મુસાફરી માટેના માન્ય સાધનિક કાગળો વગર અમેરિકા બહાર જઈ શકે નહિ. અમેરિકા આવા કાગળો આપી શકે નહિ, કેમ કે હજુ સુધી ટેકનિકલી તો તેઓ અમેરિકાના ગેરકાનૂની વસાહતી કહેવાય. આમ છતાંય તેમનું સદ્ભાગ્ય એક ડગલું આગળ આવ્યું અને તેમને તેમની યુવાનવયનો એક મિત્ર ન્યુયોર્કમાં મળી ગયો કે જે મેનહટન ખાતેની યુગાન્ડા કોન્સ્યુલેટ ઓફિસમાં અધિકારી તરીકેની ફરજ બજાવતો હતો. આ મિત્રની મદદથી ટ્રાવેલીંગ માટેના કામચલાઉ કાગળો મળી ગયા. હવે જે કંઈ થઈ રહ્યું હતું તે ઝડપથી થઈ રહ્યું હતું. હવે તેઓ હવાઈ સફર દ્વારા નોર્વે પહોંચ્યા. નોર્વેના ઓસ્લોમાંની યુ. એસ. કોન્સ્યુલેટ ઓફિસમાં જઈને અમેરિકાના કાયમી વસવાટ માટે સઘળી પ્રક્રિયા પૂર્ણ કરી અને છેવટે તેઓ એક કાયદેસરના અમેરિકાના નિવાસી તરીકે હવાઈયાત્રા થકી ન્યુયોર્ક પાછા ઊડી આવ્યા.

ત્યારપછી લગભગ તરત જ મિ. સુણસરા ૧૬ વર્ષના પોતાનાં પત્ની અને બાળકોના સાથેના વસમા વિયોગ પછી તેમને મળવા અને તેમને અમેરિકા લઈ જવા તેઓ ભારત આવ્યા. વર્ષો સુધીની જુદાઈ બાદ કુટુંબ ભેગું થયું ત્યારે તેમનો મોટો દીકરો મહંમદ ૨૬ વર્ષનો યુવાન બની ગયો હતો. તેમની સૌથી નાની દીકરી નસીમ જ્યારે તેને છેલ્લી જોવામાં આવી હતી ત્યારે તે માત્ર ૧૫ જ મહિનાની બાળકી હતી, તેણે પોતાનું હાઈસ્કૂલનું શિક્ષણ પૂરું કરી દીધું હતું. મિ. સુણસરા ભારત ખાતે એક મહિના કરતાં વધારે સમય સુધી રહ્યા અને એ વસંત ઋતુમાં આખુંય કુટુંબ એલનટાઉન ખાતે એકત્ર થયું.

પછી દીકરી રૂકસાના પરણી ગઈ. તેણી પોતાના પતિ અને એક દીકરી કે જે મિ. સુણસરાની દોહિત્રી થાય તેની સાથે શિકાગો રહે છે. બીજી એક દીકરી શાહેદા મેરિડિયન બેંકમાં કામ કરે છે અને નસીમ કેડર ક્રેસ્ટ કોલેજમાં અભ્યાસ કરી રહી છે. તેણી દાંતના ડોક્ટરની આસિસ્ટન્ટ તરીકે કામ કરવાની ઇચ્છા ધરાવે છે. મહંમદ એમોસ ખાતે હેરિસન અને લેહ સ્ટ્રીટ મુકામે આવેલા ‘ડોન્સ ફુડ સ્ટોર’માં મદદ કરી રહ્યો છે. મિ. સુણસરા અને તેમના ભાઈ લિયાકતઅલી સદરહુ સ્ટોર અને હવે બીજા એક કોલેજ હાઈટ્સ બોલેવર્ડના ‘સેવન ટેન ફૂડ સ્ટોર’ તરીકે ઓળખાતા સાહસમાં ભાગીદાર છે.

પાંચ વર્ષ પછી મિ. સુણસરા અમેરિકાના કાયમી વસાહતી થઈ ગયા અને હવે તેઓ અમેરિકન નાગરિકત્વ મેળવવાપાત્ર બની ગયા છે. તેમણે થોડાક મહિના પહેલાં નાગરિકત્વ મેળવવા માટેની પરીક્ષા પણ ઉત્તીર્ણ કરી દીધી છે. તેઓ આ અઠવાડિયામાં યોજાનારી ઓલ્ડ કોર્ટહાઉસ ખાતેની નાગરિકત્વ મેળવવા માટેની પ્રતિષ્ઠિત ઉજવણીમાં ભાગ લેવા માટેની રાહ જોઈ રહ્યા છે.

મિ. જાફરઅલી સુણસરા માને છે કે છેવટે એક પૂર્ણ વર્તુળ સમાપ્ત થયું.”

છેલ્લે હું જહોન ડ્રિંકવોટર દ્વારા લિખિત નાટક ‘અબ્રાહમ લિંકન’ના એક સંવાદને ટાંકીશ : ‘જ્યારે કોઈ સફળતા પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે તે કેટલી સહજ લાગતી હોય છે!’

-વલીભાઈ મુસા
(તા.૦૬-૦૬-૨૦૦૭)

સૌજન્ય (Courtesy) : “The Morning Call” (USA)

(Translated from English version titled as “A full circle swallowed 22 years published on June 06, 2007)

 

Tags: , , , , , , , ,

(૫૨૯) મરહૂમ ડો. મુસા, એક તબીબ કે જે કદીય નહિ ભુલાય – અનુવાદ (Dr. Musa, a Physician will be missed)

(૫૨૯) મરહૂમ ડો. મુસા, એક તબીબ કે જે કદીય નહિ ભુલાય – અનુવાદ  (Dr. Musa, a Physician will be missed)

Click here to read in English

તા. ૦૭ જુલાઈ, ૧૯૯૪ ને ગુરૂવારના રોજ ડો. મુસા જ્યારે ટેનિસ રમી રહ્યા હતા, ત્યારે તેમના ઉપર પહેલો અને છેલ્લો હૃદયરોગનો જીવેલેણ હુમલો થયો હતો અને તેમણે ઘટનાસ્થળે જ છેલ્લો શ્વાસ લીધો હતો. તેમનાં પોતીકાં અને પોતીકા સરખાં સઘળાં સ્નેહીજનો માટે એ આઘાતજનક સમાચાર હતા. તેમનું આમ અચાનક અવસાન પામવું એ મધ્યાહ્ને સૂર્યાસ્ત સમાન હતું, કેમ કે એ જ મહિનાની ૨૫મી તારીખે તેઓ પોતાની જિંદગીનાં માત્ર ૪૧ જ વર્ષ પૂરાં કરવાના હતા.

તા. ૧૧ જુલાઈ, ૧૯૯૪ના “ધી ટાઈમ્સ ન્યૂઝ” સમાચારપત્ર દ્વારા ઉપરોક્ત શીર્ષકવાળા ન્યૂઝ રિપોર્ટ થકી મરહૂમ ડો. મુસાને નીચે પ્રમાણે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી :

“પામરટન હોસ્પિટલના સ્ટાફ ફિઝિશ્યન ડો. અલીમહંમદ મુસાના મૃત્યુના સમાચાર સમગ્ર વિસ્તારમાં શુક્રવારના દિવસે ખૂબ જ ઝડપથી ફેલાઈ ગયા હતા. માત્ર ૪૧ જ વર્ષની ઉંમર ધરાવતા ડો. મુસા ગુરૂવારના દિવસે જ્યારે ટેનિસ રમી રહ્યા હતા ત્યારે હૃદયરોગના હૂમલાથી અવસાન પામ્યા હતા.

ઘણા લોકો ડો. મુસાને એક માત્ર ફિઝિશ્યન કરતાં પણ કંઈક વિશેષ તરીકે ઓળખતા હતા. દર્દીઓ કબૂલે છે કે જ્યારે તેઓ તેમની પાસે સારવાર માટે જતા ત્યારે તેઓ બહુ જ કાળજીપૂર્વક તેમને ખાસ કેસ તરીકે તપાસતા હતા. તેઓ ગમે તેટલા કાર્યમગ્ન હોય, છતાંય ક્યારેય તેઓ દર્દીઓની અવગણના કરતા ન હતા. તેઓ દર્દીના દરેક પ્રશ્નનો સાદી ભાષામાં એવી શાંતિથી જવાબ આપતા હતા કે જેથી તેઓ સારી રીતે સમજી શકે. તેઓ દર્દીએ કરવાની રહેતી દરેક પ્રક્રિયાને વિગતવાર સમજાવતા. તેઓ હંમેશાં દર્દી સાથે સહાનુભૂતિથી વર્તતા અને દર્દીના ભયને હળવો બનાવી દઈને તેની દરેક સમસ્યાનો ઉકેલ બતાવતા. જ્યારે કોઈ દર્દી અવસાન પામે ત્યારે તેઓ તેનાં સગાંવહાલાંને દિલસોજી વ્યક્ત કરતો અંગત ફોન અચૂક કરતા અને મરનારના કુટુંબને હૈયાધારણ આપતા. તેઓશ્રી પોતાની એવી ભલી વર્તણૂક બતાવતા કે આપણને જૂના સમયના ડોક્ટરોની આત્મીયતા યાદ આવી જાય કે જે આજકાલ ખૂબ જ ઝડપથી અદૃશ્ય થતી જાય છે.

ડો. મુસા ૧૯૮૫ની સાલમાં પામરટન હોસ્પિટલમાં જોડાયા હતા. હોસ્પિટલના પ્રબંધક મિ. પિટર કર્ને નિવેદન આપતાં જણાવ્યું હતું કે ડો. મુસાના મૃત્યુથી તેમના સાથી ડોક્ટરો, હોસ્પિટલનો આખોય સ્ટાફ અને કેટલાય મિત્રો ચિર કાળ સુધી શોકગ્રસ્ત રહેશે. તેમણે વધારામાં કહ્યું હતું કે ખાસ તો એવા અસંખ્ય દર્દીઓ કે જે તેમને ભલા, લાગણીશીલ અને કાળજીભરી સારસંભાળ લેનારા તબીબ તરીકે ઓળખતા હતા તેમને તો તેમની અસહ્ય ખોટ સાલશે જ.

ડો. મુસાની પ્રેક્ટિસ પામરટન હોસ્પિટલ પૂરતી સીમિત ન હતી. પામરટનમાં ડેલાવેર ખાતે તેમની પોતાની ઓફિસ પણ હતી. તેઓ નિયમિત રીતે ‘મેહનીંગ વેલી નર્સિંગ એન્ડ કોનવેલસન્ટ સેન્ટર’ ખાતે વિઝિટે જતા હતા અને ત્યાં પણ દર્દીઓની સારવાર કરતા હતા. તેમનો સૌમ્ય મિજાજ, દર્દીઓ પરત્વેની તેમની સહાનુભૂતિ તથા દર્દીઓની સમસ્યાઓને સમજવાની તેમની નૈસર્ગિક શક્તિ એ બધાં તેમના વ્યક્તિત્વનાં ઊડીને આંખે વળગે તેવાં પાસાં હતાં. સમાજમાં જ્યારે લોકો દોડધામ અને ધમાલભર્યું જીવન જીવતા હોય છે, ત્યારે ડો. મુસામાં આવું બધું જોવા મળતું ન હતું. તેઓ પોતાનો સુખી પરિવાર ધરાવતા હતા. તેઓ પોતાના કુટુંબને ખૂબ જ ચાહતા હતા અને કોઈ દર્દી તેમનાં પત્ની કે બાળકો વિષે કોઈ પ્રશ્નો પૂછે તો તેઓ નિ:સંકોચપણે અને આનંદભેર પ્રત્યુત્તર વાળતા હતા.

ડો. મુસા માત્ર પોતાના દર્દીઓની જ કાળજી લેતા ન હતા, તેઓ પોતાના સ્વાસ્થ્યની પણ એટલી જ કાળજી લેતા હતા. તેઓ ઊંચા, આકર્ષક શરીર સૌષ્ઠવ ધરાવતા અને તંદુરસ્તીના પ્રતીક જેવા ખડતલ હતા. પરંતુ તેમના દુર્ભાગ્યે તેમના ઉપર જબદદસ્ત પ્રહાર કર્યો. તેઓ જ્યારે પોતાની તંદુરસ્તીને જાળવવાની પ્રવૃત્તિમાં જ લાગેલા હતા, ત્યારે જ હૃદયરોગે તેમના ઉપર હુમલો કરીને તેમના જીવનને હણી લીધું. તેમના મૃત્યુએ શિષ્ટ અને અન્યોની કાળજી લેનાર એવા માણસ કે જેમને મળવું સૌ કોઈને ગમે એવા તેમને તેમના દર્દીઓ અને તેમના કુટુંબ વચ્ચેથી ચૂપચાપ ઊઠાવી લીધા. એમના પેંગડામાં પગ ઘાલી શકે તેવો ભાગ્યે જ કોઈ માણસ મળી શકે.

એવા દર્દીઓ કે જેમની ડો. મુસાએ સારવાર કરી હતી તેઓ એવા ભાગ્યશાળી પુરવાર થયા કે તેઓ ઓછામાં ઓછા તેમને ઓળખી તો શક્યા અને હકારાત્મક ગુણો ધરાવતા એવા તેમનો લાભ લઈ શક્યા. ખરે જ ડો. મુસા એક એવી ખાસ વ્યક્તિ તરીકે હંમેશાં યાદ રહેશે. કે જે તેમની ભલાઈ અને સેવાભાવનાના ગુણો થકી તેમના દર્દીઓ, મિત્રો, કુટુંબીજનો અને સહકાર્યકરોમાં પ્રિય રહ્યા હતા.

સાચે જ ડો. મુસા કદીય નહિ ભુલાય.”

* * *

પામરટન હોસ્પિટલના પ્રેસિડેન્ટ શ્રી એડવર્ડ જે. મિલર, એમ. ડી. દ્વારા મરહૂમનાં કુટુંબીજનોને નીચેના શબ્દોમાં શોકસંદેશો અને સહાનુભૂતિ પાઠવવામાં આવ્યાં હતાં :

“૭મી જુલાઈ અને ગુરૂવારના રોજ મારું કુટુંબ અને હું વર્જિનિયા ખાતે એક નાનું વેકેશન માણી રહ્યાં હતાં. રાત્રિના લગભગ અગિયાર વાગે જ્યારે અમે ઊંઘવાની તૈયારી કરી રહ્યાં હતાં ત્યારે અમારા રૂમમાં ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી. હું જ્યારે ફોન ઊઠાવવા જઈ રહ્યો હતો ત્યારે મને ફાળ પડી કે ચોક્કસ કંઈક દુ:ખદ ઘટના બની હોવી જોઈએ અને એવી કોઈ સમસ્યા હશે તો જ મને રાત્રે ફોન કરવામાં આવ્યો હશે અને આમ સાચે જ મારી ધારણા સાચી પડી અને મારા સહકાર્યકર ડો. મુસાના અવસાન અંગેના દુ:ખદ સમાચાર મને સાંભળવા મળ્યા. મારી પત્ની જોય અને હું ન માની શકાય તેવા સમાચાર સાંભળીને અમારી આંખમાંનાં આંસુઓને રોકી ન શક્યાં અને અમારી આખી રાત ઊંઘ્યા વગર જ પસાર થઈ. હું ડો. મુસાને છેલ્લાં આઠ વર્ષથી એકદમ નિકટથી ઓળખતો આવ્યો હતો. તેમને હું ખૂબ જ માન સન્માન આપતો હતો અને અસાધારણ સામર્થ્ય ધરાવતા શક્તિશાળી અને સૌમ્ય મહાનુભાવ તરીકે તેમને ઓળખતો હતો.

તેમના સૌમ્ય વ્યક્તિત્વનો મતલબ કે ખરે જ એ ખૂબ જ નમ્ર માણસ હતા અને તેમને શક્તિશાળી ગણાવતાં તેઓ હકીકતમાં બુદ્ધિમાન, સમભાવી અને પોતની ફરજને સમર્પિત હતા. હું કલાકોના કલાકો સુધી સતત ફરજ બજાવ્યે જતા તેમના પરિશ્રમને યાદ કરતો રહ્યો. હોસ્પિટલની અનંત એવી કેટલીય રાત્રિઓ દરમિયાન ફરજ ઉપરના એક ફિઝિશ્યનને જે વારંવાર સાંભળવા મળે એવા ‘તમારો આભાર’ શબ્દો કર્ણપટ ઉપર સંભળાતા રહ્યા. અલી કટોકટીના સમયે ત્વરિત નિર્ણય લઈ શકવાની શક્તિ ધરાવતા હતા અને નિરાશાના સમયે ધૈર્ય ધારણ કરી શકતા હતા. તેમના જીવનની કરૂણાંતિકા એવી ઘટી કે તેઓ પોતાના તાજેતરમાં જ નવીન બનાવેલા આલિશાન નિવાસ સ્થાનમાં આનંદપૂર્વક જીવી રહ્યા હતા અને જે હંમેશાં પોતાનાં સંતાનો વિષેની હર્ષભેર વાતો કર્યે જતા હતા એવા તેવાના સુખમય જીવનમાં અણધાર્યું અને કઠોર ભાગ્ય સમું એ મૃત્યુ આવ્યું.

આગળ એક અવતરણનો સહારો લઈને એમણે ઉમેર્યું કે આમ છતાંય આપણે યાદ રાખવું જોઈએ કે આપણા જીવનને કોઈ એક લાગણીશીલ માણસ સ્પર્શી જાય છે અને તેના ચાલ્યા જવાથી એની માત્ર મધુર યાદો જ બાકી રહી જતી હોય છે. એવી એ વિભુતિઓ આપણા જીવનમાં અનુભવાતા અંધકારને એ પોતાના થોડાક જ પ્રકાશ વડે પણ ઝળહળાવી દઈને દેદિપ્યમાન બનાવી દેતા હોય છે. એ માણસ આપણી વચ્ચે જ રહીને વિકાસ પામ્યો અને એક પ્રભાવશાળી અને મજબૂત માણસ તરીકે જ આપણી વચ્ચે જ અવસાન પામ્યો. આવનારાં વર્ષોમાં આપણે ભૂતકાળ તરફ નજર નાખીશું તો આપણને હંમેશાં એમ જ લાગશે કે આપણે એક યુવાન ફિઝિશ્યનને ગુમાવ્યા છે અને માત્ર એટલું જ વિચારતાં આપણે તેમના મહત્ત્વને ઘટાડી નાખ્યું ગણાશે. અલબત્ત, આપણે ડો. અલીને આપણી યાદોમાં જીવંત રાખીશું. આપણે તેમના હાસ્યને, તેમના સ્મિતને, તેમને પસંદ એવી તેમની વસ્તુઓમાં તેમને યાદ કરતા રહીશું. એ કોણ હતા અને કેવા હતા તે આપણે યાદ રાખીશું અને તો જ આપણે તેમને યુવાન અને જીવિત વ્યક્તિ રૂપે આવનારાં વર્ષોમાં સમજી શકીશું.”

પાછળથી સમગ્ર મેડિકલ સ્ટાફ વતી ડો. મિલરે ડો. અલી મુસા મેમોરિયલ ફંડ ઊભું કરવાની જાહેરાત કરી અને હોસ્પિટલમાં યોગ્ય જગ્યાએ સ્મૃતિચિહ્ન તરીકે ધાતુની તકતી મૂકવાનું નક્કી કર્યું.

લેખ સમાપન પૂર્વે હું ભારે હૃદયે મરહૂમ ડો. અલી મુસાના એક દર્દી – રિચર્ડ સેડોફ અને તેમનાં પત્ની બોબના કેટલાક શબ્દોને ટાંકીશ – “મેં તો ધાર્યું હતું કે મારા મૃત્યુના કોઈક દિવસે તેઓ (ડો. મુસા) મારી મૃત્યુશય્યા પાસે હાજર હશે, પણ અણધાર્યું એવું તે શું બની ગયું કે તેઓ મારી પહેલાં આ દુનિયાને છોડીને જતા રહ્યા! હું મારી એસ્પિરિનની ટીકડી લેતો હોઉં છું, ત્યારે મને ડો. મુસાની યાદ આવી જાય છે. એવા એ ભલા માણસ હતા કે જે દૂર દૂર ઇન્ડિયાથી અહીં ડોક્ટર થવા માટે આવ્યા હતા અને તેમની તરક્કીના એ ઉજ્જ્વળ સમયે જ મૃત્યુ તેમને તેમનાં વહાલાં કુટુંબીજનો, મિત્રો અને એમના વહાલા દર્દીઓ પાસેથી છીનવી ગયું.”

મારા પક્ષે સમાપને કહેતાં, સહાનુભૂતિ એ સુવર્ણ કરતાંય મૂલ્યવાન છે. સુવર્ણ પૃથ્વીના પેટાળમાંથી આવે છે, પણ સહાનુભૂતિ તો સ્વર્ગમાંથી આવે છે. સ્વર્ગ એ ધરતીથી ઉપર છે અને તેથી જ તો સહાનુભૂતિ એ સુવર્ણ કરતાંય મૂલ્યવાન છે.(એક અંગ્રેજી કાવ્ય ઉપર આધારિત)

અત્રે, મરહૂમ ડો. અલીમહંમદ મુસાના જીવન અને મૃત્યુને લગતા સતત ત્રણ લેખો થકી આ લેખમાળાને પૂર્ણ કરું છું. વળી મારા સુજ્ઞ વાચકોને ખાત્રી આપું છું કે મારા બ્લૉગ ઉપર જુદા જુદા વિષયો ઉપર ભવિષ્યે કંઈક ને કંઈક અવનવું આપતો રહીશ.

– વલીભાઈ મુસા
(તા.૨૩-૦૫-૨૦૦૭)

સૌજન્ય : “ધી ટાઈમ્સ ન્યૂઝ” (USA)

(Translated from English version titled as “Dr. Musa, a Physician will be missed” published on May 23, 2007)

 

Tags: , ,

Image

(૫૨૮) બધા જ ડોક્ટર નાણાંભૂખ્યા નથી હોતા -અનુવાદ (Not All Doctors Money Hungry)

Click here to read in English

મારા અગાઉના લેખ “જેનો અંત સારો, તેનું સઘળું સારું – All’s well that ends well”માં ઉપરોક્ત શીર્ષકવાળા ન્યુઝ રિપોર્ટનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે ડો. અલીમહંમદ મુસા હયાત હતા અને ઘણાં વર્ષોના તેમના અભ્યાસ અને અનુભવ પછી જ્યારે એમની પ્રાઈવેટ પ્રેક્ટિસ પૂરબહારમાં ધમધમી રહી હતી, ત્યારે સદરહુ રિપોર્ટ અગ્રગણય દૈનિક સમાચારપત્ર એવા “Early Times”માં પ્રસિદ્ધ થયો હતો.

“આપણે જ્યાં રહીએ છીએ – Where We Live” એવી “Early Times” અખબારની કોલમ હેઠળ સ્ટાફ રિપોર્ટર મિ. રોન ગોવર (Mr. Ron Gower) દ્વારા નીચે પ્રમાણેનું તેમનું દૃષ્ટિબિંદુ/મંતવ્ય રજૂ થયું હતું :

જ્યારે પ્રમુખશ્રી અને હિલેરી ક્લિન્ટને આરોગ્ય કાળજીની સુધારણા ઉપર ભાર મૂક્યો ત્યારે મારા મનમાં અનેક વિચારો ઉદ્ભવ્યા કે એવું શું કરવામાં આવે કે આરોગ્ય જાળવણીનું ખર્ચ ઓછું આવે. આરોગ્ય સેવાઓના ઊંચા ખર્ચનો મુદ્દો એ મારો હંમેશ માટે અને આજે પણ મુખ્ય વિષય જ રહ્યો છે કે કોઈપણ રીતે આ ખર્ચ અંકુશમાં આવવું જ જોઈએ.

આ એક હકીકત છે કે ઘણા ડોકટરો ઓછામાં ઓછું કામ કરીને દર્દી પાસેથી વધુમાં વધુ નાણાં વસુલતા હોય છે. ઘણા લોકો એવું કહેતા સાંભળવા મળે છે કે કેવી રીતે હોસ્પિટલોમાં તેમનો મૂલ્યવાન સમય વેડફાયો અને ડોક્ટરોએ કેવી રીતે દરવાજામાં માત્ર ડોકિયું કરીને તેમની પાસેથી તગડી ફી વસુલ કરી લીધી.

એક વખત હું મારા કુટુંબના એક સભ્યને એલન ટાઉનના એક સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર પાસે લઈ ગયો હતો. અમે વેઈટીંગ રૂમમાં બે કલાક સુધી રાહ જોઈ. છેવટે સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરે તેણીના કાનમાં એક નજર નાખી, પછી બીજા કાનમાં બેત્રણ મિનિટ સુધી કંઈક તપાસ કરી અને અમારી પાસેથી ૧૨૫ ડોલર પડાવી લીધા. એક વખતે હું મારા સસરાને ઈમરજન્સી સારવાર માટે હોસ્પિટલે લઈ ગયો હતો. તેમનો પગ ખૂબ જ સૂઝી ગયો હતો. ડોકટરે અમને ઠપકો આપ્યો કે અમે કેવી મામુલી તકલીફ માટે દર્દીને સારવાર માટે લાવ્યા છીએ. અમે બીજા ડોક્ટરની માગણી કરી અને એ કેસમાં ગેંગ્રીન (હાડકામાંનો સડો)ની ગંભીર બીમારીનું નિદાન થયું હતું.

આ તો એક તરફની વાત થઈ, પરંતુ બીજી તરફ જોઈએ તો મેડિકલના ક્ષેત્રમાં કેટલાક મહાન ડોક્ટરો પણ છે અને તેમાંના કેટલાક અમારા એરિઆમાં પણ છે. આ એવા ડોક્ટરો છે કે જે જેઓ દર્દીની સારી કાળજી લે છે, દર્દી સાથે વિવેક અને સહાનુભૂતિથી વર્તે છે. તેઓ ધીરજપૂર્વક અને શાંતિથી દર્દીને તપાસતા હોય છે, પ્રમાણિક હોય છે અને એ લોકો એવો વ્યાજબી ચાર્જ લેતા હોય છે કે જેનાથી બિલ મેળવતી વખતે દર્દીને હૃદયરોગનો હુમલો ન આવે! એ તો દેખીતું જ છે કે અમે અમારા એરીઆના બધા જ ડોકટરોને ન જ મળ્યા હોઈએ અને તેથી જ તો અમે જે કોઈને મળ્યા છીએ તેમના સાથેના અમારા પ્રથમ જ અનુભવ અંગે અત્રે કંઈક લખીએ છીએ.

આવા ભલા ડોક્ટરો પૈકીના એક કે જેમના પ્રત્યે અમને ખૂબ માન છે અને તે છે પામરટનના ડોક્ટર અલીમહંમદ મુસા. તેમણે અમારા કુટુંબના થોડાક જ સભ્યોની સારવાર કરી છે જેમાંના કેટલાક ગંભીર બીમારીના ભોગ બનેલા હતા. કેટલીકવાર તેમણે અમારા દર્દીને અન્ય સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોના ત્યાં મોકલ્યા છે કે જેઓ કદીય ડો. મુસાને મળેલા પણ ન હોય અને છતાંય તેમને તેમના વિષે ઊંચો અભિપ્રાય આપવો જ પડે કે તેમણે દર્દીને જે પ્રાથમિક સારવાર આપી હતી તે ઉત્તમ પ્રકારની હતી.

તાજેતરમાં જ મારા સસરા અવસાન પામ્યા. ડો. મુસાએ તેમના ફિઝિશ્યન તરીકે લગભગ દસેક વર્ષ સુધી તેમની સારવાર કરી હતી. મારા સસરાને બંને પગે ગેંગ્રીન ઉપરાંત ઘણી બધી ગંભીર સમસ્યાઓ હતી. તેમને કેટલાક હૃદયરોગના હુમલા પણ આવી ચૂક્યા હતા. તેમની ધમનીઓ અને ફેફસાંમાં સોજા પણ હતા. ડો. મુસાએ તેમની સારવાર કરવામાં કદીય પાછી પાની કરી ન હતી. તેમણે ડેવિડના મરતાં દમ સુધી તેમને સાજા કરવા માટે ભારેમાં ભારે ઈન્જેક્શનો આપીને ખૂબ જ જહેમત ઊઠાવી હતી. ઘણીવાર તેમના માટે તે સુપર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોને પણ બોલાવતા અને તેમની રોજબરોજની સુશ્રૂષા માટે પામરટન હોસ્પિટલની પરિચારિકાઓની પણ તેઓ સેવાઓ લેતા હતા.

ઘણીવાર તો અમારે ડો. મુસાને હોસ્પિટલમાં મળવાનું ન બન્યું હોય તેવા સંજોગોમાં પણ તેઓ નિયમિત રીતે ફોન દ્વારા દર્દીની તત્કાલીન પરિસ્થિતિની અમને જાણ કરતા હતા. એક મધ્યરાત્રીએ ડેવિડની જીવનલીલા સમાપ્ત થઈ. પછીની જ સવારે ડો. મુસાનો દિલગીરી દર્શાવતો ફોન આવી ગયો અને એમણે અમને સહાનુભૂતિ કાર્ડ પણ મોકલ્યું.

ડો. મુસા સાથે અમારે કોઈ અંગત કે સામાજિક મૈત્રીના સંબંધો ન હતા, સંબંધો હતા તો માત્ર અમારા ડોક્ટર તરીકેના વ્યાવસાયિક સંબંધો. આમ છતાંય માત્ર ધંધાકીય સંબંધોથી પણ આગળ વધીને તેમણે અમને તેમના વિષે એમ વિચારવાની ફરજ પાડી કે ખરે જ અમે માવજતની આત્મીય લાગણી ધરાવતી એક વ્યક્તિ સાથે કામ પાર પાડી રહ્યા છીએ અને અમને ચોક્કસ ખાત્રી હતી કે તેમ જ હતું.”

આગળ જતાં, ઉપરોક્ત અહેવાલ(Reporting)માં કોલમ-લેખકે પોતાના વ્યવસાયને સમર્પિત એવા કેટલાક ડોક્ટરનો ઉલ્લેખ કર્યો હતો. એ બધા ડોક્ટરો હતા : ફિઝિશ્યન ડો. માર્વિન સિન્ડર, સર્જન ડો. ઓર્લાન્ડો આસો, ફિઝિશ્યન ડો. જ્હોન સ્ટીલ, ત્વચારોગ નિષ્ણાતો અનુક્રમે ડો. ટેરી રોબિન્સ અને ડો. સુસાન કુક્રીર્ક.

છેલ્લે મિ. ગોવર પોતાના અહેવાલનું આ શબ્દોમાં સમાપન કરે છે : “જ્યારે રાષ્ટ્રીય આરોગ્ય સંભાળની સુધારણા માટેનાં પગલાં લેવાની વિચારણા કરવામાં આવે ત્યારે અત્રે ઉલ્લેખાયેલા વ્યાવસાયિકોનાં સલાહસૂચન લેવામાં આવે તો તે ઉત્તમ કાર્ય લેખાશે.”

મારા ભલા વાચકો, અત્રે આ લેખ પૂર્ણ થાય છે. હવે આપણે મારા હવે પછીના આખરી લેખ “મરહુમ ડો. મુસા, એક તબીબ કદીય નહિ ભુલાય (Dr. Musa, a Physician will be missed) એવા ડો. મુસાના જીવન ઉપર મૃત્યુ રૂપી પડેલા આખરી પરદાને વર્ણવતા દુ:ખદ લેખ સાથે મળીશું.

-વલીભાઈ મુસા
(તા. ૨૨-૦૫-૨૦૦૭)

સૌજન્ય (Courtesy) : “Early Times” (USA)

(Translated from English version titled as “Not All Doctors Money Hungry” published on May 22, 2007)

 

Tags: , , ,