RSS

Category Archives: FB

(૫૩૦) એક પૂર્ણ વર્તુળ ૨૨ વર્ષ ઓહિયાં કરી ગયું ! – અનુવાદ (A full circle swallowed 22 years)

Click here to read in English

હાલમાં સમગ્ર વિશ્વના લોકોનાં બંધિયાર માનસોની બારીઓને વૈશ્વિકરણના ખ્યાલે ખોલી દીધી છે. સંખ્યાબંધ લોકો પોતાની માતૃભૂમિમાંથી સુખી કૌટુંબિક જીવન જીવવા માટે વધુ અર્થોપાર્જન કરવાના હેતુસર વિદેશોમાં સ્થળાંતર કરી રહ્યા છે. કેટલાક વળી પોતાના વસવાટના સ્થળેથી વિદેશોમાં એટલા માટે કાયમી ધોરણે સ્થાયી થઈ રહ્યા છે કે જેથી પોતાના વર્તમાનકાલીન જીવનમાં માત્ર બદલાવ લાવવાનો પોતાનો શોખ સંતોષાય. આમ દેશાંતર આર્થિક કારણસર હોય કે શોખ ખાતર હોય, પણ તે બધીય રીતે જોતાં એક શુભ વાત છે.

પણ … હું મારું ‘પણ’ મારા વાચકોને નિરુત્સાહી કરવા માટે નથી પ્રયોજી રહ્યો. હું આપ સૌને અગાઉથી માનસિક રીતે તૈયાર કરવાનો પ્રયત્ન કરું છું કે સૌ કોઈ દેશાંતર કરવા માટે હંમેશાં તૈયાર રહે, કેમ કે ઈશ્વર એવું ન કરે, પણ એવું દેશાંતર કે જે ભવિષ્યે સૌ કોઈને કરવાની ફરજ પડે.

દુનિયાના દેશો કોઈપણ શાસન પદ્ધતિ જેવી કે લોકશાહી, રાજાશાહી કે સરમુખત્યારશાહી હેઠળ હોય, પરંતુ તેઓ ગમે ત્યારે ક્રાંતિકારી કે રાજકીય કટોકટીમાં આવી શકે છે. તેઓ એવી કટોકટીપૂર્ણ કે અવાંછિત અને દુ:ખદ એવી ખોટી માન્યતાઓ ધરાવવાની પરિસ્થિતિમાં આવી શકે છે, કે જ્યાં અન્યો પરત્વે અસહિષ્ણુતા હોય, રૂઢિગત ધિક્કારની લાગણી હોય, વંશીય હુમલાઓ થતા હોય, નિર્દોષોની સરેઆમ કત્લેઆમ થતી હોય, કહેવાતી જાતિવાદી સફાયાની અરેરાટીપૂર્ણ હિંસાત્મક ઘટનાઓ ઘટતી હોય અથવા તો અન્ય કોઈપણ પ્રકારના ત્રાસ અને જુલ્મ આચરવામાં આવતા હોય. કોઈપણ સમયે આવી માનવસર્જિત આફતો કાં તો શાસક પક્ષ તરફથી પ્રેરિત હોય અથવા શાસિત પ્રજામાંથી ક્રાંતિ કે પરિવર્તનના નામ હેઠળ ઉદ્ભવતી હોય. આપણે લોકો હંમેશાં એવી ખતરનાક પરિસ્થિતિમાં જીવતા હોઈએ છીએ જેમ કે મધુર ગીત ગાતા કોઈ પંખીએ પોતાનાં ઈંડાંને સેવવા માટે તોપના નાળચામાં માળો બાંધ્યો હોય! આજકાલ અચાનક પરિસ્થિતિ બદલાઈ જતી હોય છે અને સરળ રીતે પસાર થઈ રહેલી માનવ જિંદગી એકદમ હાનિગ્રસ્ત થઈ જતી હોય છે.

જો કે ઈશ્વર આપણને બચાવે, પરંતુ આવા સંજોગો માટે આપણે પોતાની જિંદગી, પ્રતિષ્ઠા અને સન્માન બચાવવા માટે દેશાંતર કરવા માટેનો કઠોર નિર્ણય લેવા માટે માનસિક રીતે તૈયાર રહેવું જોઈએ. માણસે ભાગ્યે ફેંકેલા પડકારને ઝીલી લેવા માટે તત્પરતા દાખવવી જોઈએ અને ‘જે થવાનું હોય તે ભલે થાય’ એવી તૈયારી સાથે હિંમતવાન અને સાબદા બની રહેવું પડે.

અહીં હું એક મારા ભલા મિત્ર મિ. જાફરઅલી સુણસરા (જેફ)ની ઓળખાણ આપીશ. તેઓ યુગાન્ડા (આફ્રિકા)માં જન્મ્યા હતા. તેમણે માત્ર પ્રાથમિક શિક્ષણ ભારતમાં લીધું હતું અને અમેરિકામાં સ્થાયી થયા હતા. અમે મિત્રો છીએ, પણ તેથીય વધારે કહું તો છેક ૧૯૫૯થી અમે એકબીજાના ભાઈ સમાન છીએ. મિ. જાફરભાઈના જીવનની ૨૨ વર્ષની કષ્ટભરી જીવનયાત્રાની કહાની આ લેખની મારી પ્રસ્તાવના પછી તરત જ શરૂ થશે, જેમાંની તેમની ધીરજ, તેમનો સંઘર્ષ અને તેમના વ્યક્તિત્વના ઘણા બધા ગુણોનું મૂલ્યાંકન તમે આપમેળે જ કરી શકશો.

“ધી મોર્નિંગ કોલ” ન્યૂઝ પેપરમાં તા.૦૬ નવેમ્બર, ૧૯૯૪ના રોજ તેના પત્રકાર બોબ વિટમન દ્વારા લખાયેલો નીચે દર્શાવેલા શીર્ષક હેઠળનો લેખ પ્રસિદ્ધ થયો હતો. આ લેખને અહીં એ હેતુસર પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યો છે કે જેથી મારા સુજ્ઞ વાચકો તેમાંના સંદર્ભ અને માહિતીને તારવી શકે અને પોતાના જીવનની ગમે તેવી વિષમ પરિસ્થિતિ સામે એક ખડકની જેમ ટટ્ટાર ઊભા રહીને તેનો મુકાબલો કરવા માટેની પ્રેરણા મેળવી શકે.

મારા ભલા વાચકો, હવે આગળ વાંચો અને ખૂબ જ નમ્ર અને અસાધારણ સામર્થ્ય ધરાવતા એવા પ્રખર માનવની બે દસકાઓ કરતાં પણ વધારે સમયની સંઘર્ષ ગાથાના સાક્ષી બનો :

નાગરિકતા વિહોણા એક યુગાન્ડનની ૨૨ વર્ષની કષ્ટદાયક જીવનયાત્રાનો અંત આવશે
(“Stateless” Ugandan’s 22 – year Odyssey will end)

“આજથી બરાબર ૨૨ વર્ષ પહેલાંના આ જ મહિને મિ. જાફરઅલી સુણસરા યુગાન્ડાના કમ્પાલા એરપોર્ટ ઉપર હજારેક લોકોની લાઈનમાં ઊભેલા હતા. જ્યારે લાઈનમાં તેમનો વારો આવ્યો, ત્યારે પોતાના યુનિફોર્મમાં કડક મિજાજના લાગતા એ ઓફિસરે સુણસરાના યુગાન્ડન જન્મ પ્રમાણપત્રને હાથમાં લીધું અને અને તેના ઉપર એક સિક્કો મારી દીધો. ભૂંસી ન શકાય તેવી જાંબુડિયા રંગની એ શાહી જ્યારે સુકાઈ ત્યારે એ દિવસે જાણે કે શુષ્ક હોય એવા આફ્રિકન સૂર્યના પ્રકાશમાં મિ. સુણસરાએ એક જ શબ્દ વાંચ્યો કે જેને મિટાવવા તેમને બે દસકા જેટલો સમય લાગ્યો. એ શબ્દ હતો “નાગરિકતાવિહીન (Stateless)”.

તે જ દિવસે સુણસરાની ત્રણ ખંડોની કષ્ટભરી જીવનયાત્રા શરૂ થઈ જે છેવટે સાચે જ જૂના લેહ કાઉન્ટી કોર્ટહાઉસના કોર્ટરૂમમાં ગુરૂવારે એ વખતે સમાપ્ત થશે, જ્યારે ૬૧ વર્ષના વયોવૃદ્ધ એવા આ ઈસમ પોતાનો હાથ ઊંચો કરીને યુનાઈટેડ સ્ટેટ્સ પરત્વેની વફાદારીના શપથ લેશે અને યુનાઈટેડ સ્ટેટ્સના નાગરિક બનશે. લેહ કાઉન્ટીના નાગરિકત્વ ડિપાર્ટમેન્ટના ક્લાર્ક મિ. બર્નાડેટ કારવેલના મત મુજબ એ દિવસે સાંજે ૪-૦૦ કલાકે ઓછામાં ઓછા બીજા ૪૮ જણ ખાસ નાગરિકત્વ સમારોહમાં યુનાઈટેડ સ્ટેટ્સના નાગરિક બનશે.

મિ. સુણસરાએ અગાઉ એવું કદીય ધાર્યું નહિ હોય કે તેઓ તેમના જીવનમાં એક દિવસે અમેરિકાના પેન સિલ્વેનિયા રાજ્યના એલન ટાઉન નામના શહેરમાં કાયમી વસવાટ કરશે. મિ. સુણસરા સુખી એવા વ્યાપારી કબીલા અને વિષુવૃત્તીય યુગાન્ડા દેશના વેપારી કુટુંબમાં જન્મ્યા હતા. જ્યારે પૂર્વ આફ્રિકા બ્રિટીશ કોલોની તરીકે હતું, ત્યારે તેમના દાદા ભારતથી યુગાન્ડામાં આવી વસ્યા હતા. બ્રિટીશ સરકાર ગ્રેટ બ્રિટનના તાબા હેઠળના આ દેશમાં ભારતીયો વસવાટ કરીને સરકારને મદદરૂપ થાય તે માટે તેમને પ્રોત્સાહિત કરતી હતી. લગભગ દસ હજાર જેટલા ભારતીયો યુગાન્ડાની સરકારી નોકરીઓમાં અને તેના વેપારધંધામાં જોડાયા હતા.

પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી મિ. સુણસરા ૧૯૫૭માં યુગાન્ડાના લિરા ખાતે ‘નોર્થન પ્રોવિન્સ બસ કંપની’માં જોડાયા. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ટિકિટ એક્ઝામિનર, મિકેનિક તથા ટ્રાફિક મેનેજર તરીકે સેવાઓ આપી અને ૧૯૬૫માં કંપનીના સ્ટોક હોલ્ડર અને ડાયરેક્ટર બન્યા.

ઈ.સ.૧૯૬૦માં મિ. સુણસરાએ મદ્રાસ (ભારત)ની એક છોકરી સાથે લગ્ન કર્યાં અને તેમના દાંપત્યકાળમાં તેઓ ત્રણ દીકરીઓ અને એક દીકરાનાં માવતર બન્યાં. સુણસરાને ચાર બેડરૂમનું સરસ મજાનું ઘર હતું, ત્રણ કાર હતી અને રજાઓ દરમિયાન તેઓ નિયમિત રીતે આલ્બર્ટ સરોવર ખાતે ફિશીંગ કરવા જતા. આમ તેઓ સઘળી રીતે સફળ અને સુખી હતા.

પરંતુ ૧૯૭૧માં લશ્કરના ફિલ્ડ માર્શલ ઈદી અમીને સરકારનો કબજો લઈ લીધો અને દેશ અંધાધૂધીમાં ઘેરાઈ ગયો. લશ્કર ગામડાંઓ ઉપર ગેરિલા પદ્ધતિએ ત્રાટકતું અને પોલિસ પણ નાગરિકો ઉપર કેર વર્તાવતી. પોતાના કુટુંબની સલામતી માટે દેશમાં શાંતિ ન સ્થપાય ત્યાં સુધીના સમયગાળા માટે સુણસરાએ પત્ની અને બાળકોને પત્નીના પિયર મદ્રાસ (ભારત) ખાતે મોકલી દીધાં. એ વખતે એમને જરા પણ ખબર ન હતી કે તેઓ પોતાનાં કુટુંબીજનોને આવનારાં ૧૬ વર્ષો સુધી નહિ મળી શકે.

મિ. જેફે સલામતી ખાતર કુટુંબને ભારત મોકલી દીધું એ તેમનું દૂરંદેશીપણું હતું, કારણ કે અમીન ક્રમે ક્રમે લઘુમતી ભારતીઓ ઉપર સખ્તાઈ વધારતો જતો હતો. એક વખતે તો મિ. સુણસરાની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને પૂછપરછ માટે ત્રણ દિવસ સુધી લશ્કરી કેમ્પમાં ગોંધી રાખવામાં આવ્યા હતા. વળી એ જ વખતે બસ કંપનીના ચિફ એક્ઝ્યુકેટિવ ઓફિસરને પણ પકડી લેવામાં આવ્યા હતા અને ત્યાર પછી તેમનો કોઈ પત્તો-પગેરુ મળ્યાં ન હતાં. જો કે મિ. સુણસરાને ઈજા પહોંચાડ્યા વિના મુક્ત કરી દેવામાં આવ્યા હતા, પણ તેમનું હવે પછીનું જીવન પહેલાં જેવું રહ્યું ન હતું. તેઓ કદીય પોતાની ઓફિસે પાછા ફરી શક્યા નહિ અને કંપની વિખેરાઈ ગઈ હતી. તેઓ કેટલાક મિત્રો અને સંબંધીઓના ત્યાં લપાતા-છુપાતા રહ્યા. દુ:ખદ બીના તો એ રહી કે તેઓ એક જ સ્થળે બે રાત્રિથી વધારે રહી શક્યા ન હતા.

પછી તો, ઓગસ્ટ ૧૯૭૨માં અમીને જાહેરનામું બહાર પાડી દીધું કે યુગાન્ડામાં વસતા ભારતીયોએ દેશને છોડી જ દેવો પડશે. યુનાઈટેડ નેશન્સે લોકોને દેશમાંથી સહીસલામત બહાર લઈ જવા માટેનો કાર્યક્રમ ઉતાવળમાં ઘડી કાઢ્યો. મિ. સુણસરા અને તેમનું બહોળું કુટુંબ અને લઘુમતીઓમાંના બીજા ૪૫૦૦૦ જેટલા માણસોને યુરોપના જુદાજુદા સ્થળોના આશ્રય કેમ્પોમાં હવાઈ માર્ગે ખસેડી દેવામાં આવ્યા. તેઓને કોઈ રોકડ નાણાં કે ચીજવસ્તુ પણ લેવા દેવામાં ન આવી. વળી આવા દરેકના જન્મ પ્રમાણપત્ર ઉપર યુગાન્ડન અધિકારીઓએ ‘નાગરિકતાવિહીન (Stateless)’ના સિક્કા મારી દીધા. યુનોએ મિ. સુણસરાને નોર્વેમાં વસવાટ આપી દીધો. નોર્વેજિયન સરકારે તેમને દરિયાકિનારે આવેલા બર્ગન શહેરમાં વસવાટ માટે એક એપાર્ટમેન્ટ આપ્યું અને શિપ યાર્ડમાં કામદાર તરીકેની નોકરી અપાવી દીધી. આ સમય દરમિયાન મિ. સુણસરાના બહોળા પરિવારમાંનાં તેમનાં માતા, ભાઈઓ-ભાભીઓ અને તેઓનાં બાળકોએ યુનાઈટેડ સ્ટેટ્સમાં વસવાટ લઈ લીધો હતો. એ લોકોને એલનટાઉનના સેન્ટ જહોન્સ લુથરન ચર્ચે સ્પોન્સર કર્યાં હતાં અને તેમને લેહ વેલીમાં વસાવી દેવામાં આવ્યાં હતાં.

મિ. સુણસરાને નોર્વે પસંદ ન હતું. તેઓ ત્યાંની ઠંડી સાથે અનુકૂલન સાધી શકતા ન હતા. તેમને ત્યાંના લોકો મૈત્રીભાવવાળા ન લાગ્યા. વળી તેઓ શારીરિક રીતે થકવી નાખતા માનવીય શ્રમકાર્યથી ટેવાયેલા ન હતા. તેમને હંમેશાં એમ જ લાગ્યા કરતું હતું કે કુટુંબને બોલાવી લેવા માટે નોર્વે યોગ્ય સ્થળ નથી. આમ જ્યાં સુધી પોતે અન્ય વિકલ્પ ન વિચારી કાઢે ત્યાં સુધી તેમણે કુટુંબને ભારત ખાતે જ રહેવાનું જણાવી દીધું.

મિ. સુણસરા ચિંતનશીલ માણસ હતા. તેઓ પોતાની ભૂલો કબૂલ કરી લેવામાં જરાય સંકોચ અનુભવતા ન હતા. એમણે નોર્વેમાં પાછા ન ફરવાના ઈરાદા સાથે ૧૯૭૬માં અમેરિકા જવાનો દૃઢ નિશ્ચય કરી લીધો. તેમને તેમનાં માતુશ્રી અને ભાઈને મળવા જવા માટે અમેરિકાના અગિયાર અઠવાડિયાંના ટ્રાવેલ વિઝા મળી ગયા અને એ મુદ્દત વીતી ગયા પછી તેઓ કદીય નોર્વે પાછા ફર્યા ન હતા. મિ. સુણસરાને ખબર હતી કે તેઓ યુ.એસ. ઈમિગ્રેશન કાયદાનો ભંગ કરી રહ્યા હતા, વળી સાથે સાથે તેમને એ ખબર પણ ન હતી કે એ સરકારી તંત્ર દ્વારા એ કાયદાઓમાં કેવી અને કેટલી બાંધછોડ થઈ શકે. તેમનું દૃઢ માનવું હતું કે નિરાશ્રિત તરીકેની તેમની કથની યુ. એસ. ઈમિગ્રેશન સત્તાવાળાઓને તેમની દુર્દશામાંથી તેમને ઉગારવાની ફરજ પાડશે અને તેઓ કાયમી ધોરણે અમેરિકાવાસી બની શકશે.

પરંતુ સચ્ચાઈ જે હતી તેની સામે તેમની ધારણા મુજબ કશું બની શક્યું નહિ. તેમણે જ્યારે એ વખતના અમેરિકન પ્રમુખ જીમિ કાર્ટરને પોતાની કરૂણ કથની લખી જણાવી, ત્યારે યુ. એસ. ઈમિગ્રેશન અને નેચરલાઈઝેશન સર્વિસ (INS) તરફથી સાવ સંક્ષિપ્ત અને તોછડો જવાબ મળી ગયો કે ‘પ્રમુખને કોઈપણ રીતે કાયદાને સુધારવાની સત્તા નથી.’

બીજી તરફ ઈમિગ્રેશન અને નેચરલાઈઝેશન સર્વિસ (INS) તરફથી મિ. સુણસરા વિઝાની મુદ્દત કરતાં વધારે સમય અમેરિકામાં રોકાયા હોવા છતાં તેમનો કોઈ પીછો કરવામાં આવ્યો નહિ. આ સમય દરમિયાન મિ. સુણસરાના મિત્રે તેમને એલનટાઉનના કોલેજ હાઈટ્સ બોલેવર્ડ ખાતે આવેલા ‘સેવન ઈલેવન ફુડ સ્ટોર’માં કાઉન્ટર પાછળ નોકરી આપી. વર્ષો પસાર થતાં ગયાં. મિ. સુણસરાને પત્ની બાળકોનો વિયોગ દુ:ખદાયક લાગતો હતો. પછી તો બધાંના હિતમાં ઠીક સમજીને મિ. સુણસરા ફિલાડેલ્ફીઆ જઈને ઈમિગ્રેશન અધિકારીઓ સમક્ષ હાજર થઈ ગયા. એ લોકોએ તેમને દેશ છોડી જવા માટેનો ઓર્ડર હાથમાં પકડાવી દીધો.

પરંતુ અહીં આશ્ચર્યજનક ટેકનિકલ બાબત એ હતી કે તેમને દેશબહાર હાંકી કાઢવા માટે સામે કોઈ દેશ હોવો જોઈએ જે ન હતો. આ ગાળામાં અમીનને પદભ્રષ્ટ કરી દેવામાં આવ્યો હતો. યુગાન્ડામાં હજુય અંધાધૂંધી પ્રવર્તતી હતી, છતાંય તે લોકો મિ. સુણસરાને સ્વીકારવા તૈયાર ન હતા. નોર્વે તેમને પોતાના દેશમાં ફરી પાછા ફરવા દે તેમ ન હતું, કેમ કે એમણે તેમનું જીવન સુખમય બનાવવા માટે તેમને એક તક આપી હતી, જે તેમણે પોતે જ ગુમાવી દીધી હતી. વળી ભારત કે જ્યાં તેમનાં પત્ની રહેતાં હતાં તે પણ તેમને સ્વીકારવા બંધનકર્તા ન હતું. આમ મિ. સુણસરા યુનાઈટેડ સ્ટેટ્સ માટે સમસ્યારૂપ બની ગયા હતા. મિ. સુણસરાના વકીલ તેમના હદપાર થવા માટેના ઓર્ડરમાંની સમયમર્યાદા વધારવા માટેનો કેસ જીતી ગયા હતા. પછી તો આ મુદ્દત વધારો, વળી મુદ્દત વધારો અને મુદ્દત વધારા ઉપર વધુ ને વધુ મુદ્દત વધારા એમ ચાલતું રહ્યું. છેવટે ૧૯૮૪માં ઈમિગ્રેશન અને નેચરલાઈઝેશન સર્વિસ (INS) દ્વારા તેમને સ્પષ્ટ રીતે જણાવી દેવામાં આવ્યું કે હવે તેમને દેશ છોડી જવા માટેનો મુદ્દત વધારો નહિ આપવામાં આવે અને તેમણે ૨૧મી ફેબ્રુઆરીએ પોતાનાં બિસ્તરાં-પોટલાં સાથે દેશનિકાલ થવા માટે તૈયાર રહેવું પડશે.

પરંતુ, ઈમિગ્રેશન અને નેચરલાઈઝેશન સર્વિસ (INS) મિ. સુણસરાને કયા દેશમાં મોકલી આપે તે એક રસપ્રદ મુદ્દો હતો. જો કે આ અવઢવ પરિસ્થિતિ લાંબા સમય સુધી રહી નહીં અને આ સમયગાળામાં જ એવો માર્ગ નીકળી આવ્યો કે INSની ક્વોટા પદ્ધતિ હેઠળ થોડાક દિવસો બાકી હતા અને અમેરિકામાં કાયમી વસવાટ માટેની તેમના ભાઈ લિયાકતઅલીની સ્પોન્સરશીપ હેઠળ તેમનું નામ નીકળી આવ્યું. જો કે અહીં વાર્તાનો અંત આવતો નથી. કાયદા પ્રમાણે INSની અમેરિકામાં નવેસરથી પ્રવેશ કરવા માટેની એક જરૂરિયાત પૂરી થવી જરૂરી હતી. મિ. સુણસરાએ એક વખત દેશ બહાર નીકળી જઈને ફરીથી અમેરિકામાં દાખલ થવું પડે અને તો જ તેમના કેસના કાગળો પ્રોસેસ થાય અને તેમના કાયમી વસવાટ માટેની ફાઈલ ખુલે.

પરંતુ કાયદાતંત્રની જોગવાઈ-૨૨ હેઠળ મિ. સુણસરા મુસાફરી માટેના માન્ય સાધનિક કાગળો વગર અમેરિકા બહાર જઈ શકે નહિ. અમેરિકા આવા કાગળો આપી શકે નહિ, કેમ કે હજુ સુધી ટેકનિકલી તો તેઓ અમેરિકાના ગેરકાનૂની વસાહતી કહેવાય. આમ છતાંય તેમનું સદ્ભાગ્ય એક ડગલું આગળ આવ્યું અને તેમને તેમની યુવાનવયનો એક મિત્ર ન્યુયોર્કમાં મળી ગયો કે જે મેનહટન ખાતેની યુગાન્ડા કોન્સ્યુલેટ ઓફિસમાં અધિકારી તરીકેની ફરજ બજાવતો હતો. આ મિત્રની મદદથી ટ્રાવેલીંગ માટેના કામચલાઉ કાગળો મળી ગયા. હવે જે કંઈ થઈ રહ્યું હતું તે ઝડપથી થઈ રહ્યું હતું. હવે તેઓ હવાઈ સફર દ્વારા નોર્વે પહોંચ્યા. નોર્વેના ઓસ્લોમાંની યુ. એસ. કોન્સ્યુલેટ ઓફિસમાં જઈને અમેરિકાના કાયમી વસવાટ માટે સઘળી પ્રક્રિયા પૂર્ણ કરી અને છેવટે તેઓ એક કાયદેસરના અમેરિકાના નિવાસી તરીકે હવાઈયાત્રા થકી ન્યુયોર્ક પાછા ઊડી આવ્યા.

ત્યારપછી લગભગ તરત જ મિ. સુણસરા ૧૬ વર્ષના પોતાનાં પત્ની અને બાળકોના સાથેના વસમા વિયોગ પછી તેમને મળવા અને તેમને અમેરિકા લઈ જવા તેઓ ભારત આવ્યા. વર્ષો સુધીની જુદાઈ બાદ કુટુંબ ભેગું થયું ત્યારે તેમનો મોટો દીકરો મહંમદ ૨૬ વર્ષનો યુવાન બની ગયો હતો. તેમની સૌથી નાની દીકરી નસીમ જ્યારે તેને છેલ્લી જોવામાં આવી હતી ત્યારે તે માત્ર ૧૫ જ મહિનાની બાળકી હતી, તેણે પોતાનું હાઈસ્કૂલનું શિક્ષણ પૂરું કરી દીધું હતું. મિ. સુણસરા ભારત ખાતે એક મહિના કરતાં વધારે સમય સુધી રહ્યા અને એ વસંત ઋતુમાં આખુંય કુટુંબ એલનટાઉન ખાતે એકત્ર થયું.

પછી દીકરી રૂકસાના પરણી ગઈ. તેણી પોતાના પતિ અને એક દીકરી કે જે મિ. સુણસરાની દોહિત્રી થાય તેની સાથે શિકાગો રહે છે. બીજી એક દીકરી શાહેદા મેરિડિયન બેંકમાં કામ કરે છે અને નસીમ કેડર ક્રેસ્ટ કોલેજમાં અભ્યાસ કરી રહી છે. તેણી દાંતના ડોક્ટરની આસિસ્ટન્ટ તરીકે કામ કરવાની ઇચ્છા ધરાવે છે. મહંમદ એમોસ ખાતે હેરિસન અને લેહ સ્ટ્રીટ મુકામે આવેલા ‘ડોન્સ ફુડ સ્ટોર’માં મદદ કરી રહ્યો છે. મિ. સુણસરા અને તેમના ભાઈ લિયાકતઅલી સદરહુ સ્ટોર અને હવે બીજા એક કોલેજ હાઈટ્સ બોલેવર્ડના ‘સેવન ટેન ફૂડ સ્ટોર’ તરીકે ઓળખાતા સાહસમાં ભાગીદાર છે.

પાંચ વર્ષ પછી મિ. સુણસરા અમેરિકાના કાયમી વસાહતી થઈ ગયા અને હવે તેઓ અમેરિકન નાગરિકત્વ મેળવવાપાત્ર બની ગયા છે. તેમણે થોડાક મહિના પહેલાં નાગરિકત્વ મેળવવા માટેની પરીક્ષા પણ ઉત્તીર્ણ કરી દીધી છે. તેઓ આ અઠવાડિયામાં યોજાનારી ઓલ્ડ કોર્ટહાઉસ ખાતેની નાગરિકત્વ મેળવવા માટેની પ્રતિષ્ઠિત ઉજવણીમાં ભાગ લેવા માટેની રાહ જોઈ રહ્યા છે.

મિ. જાફરઅલી સુણસરા માને છે કે છેવટે એક પૂર્ણ વર્તુળ સમાપ્ત થયું.”

છેલ્લે હું જહોન ડ્રિંકવોટર દ્વારા લિખિત નાટક ‘અબ્રાહમ લિંકન’ના એક સંવાદને ટાંકીશ : ‘જ્યારે કોઈ સફળતા પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે તે કેટલી સહજ લાગતી હોય છે!’

-વલીભાઈ મુસા
(તા.૦૬-૦૬-૨૦૦૭)

સૌજન્ય (Courtesy) : “The Morning Call” (USA)

(Translated from English version titled as “A full circle swallowed 22 years published on June 06, 2007)

 

Tags: , , , , , , , ,

(૫૨૯) મરહૂમ ડો. મુસા, એક તબીબ કે જે કદીય નહિ ભુલાય – અનુવાદ (Dr. Musa, a Physician will be missed)

(૫૨૯) મરહૂમ ડો. મુસા, એક તબીબ કે જે કદીય નહિ ભુલાય – અનુવાદ  (Dr. Musa, a Physician will be missed)

Click here to read in English

તા. ૦૭ જુલાઈ, ૧૯૯૪ ને ગુરૂવારના રોજ ડો. મુસા જ્યારે ટેનિસ રમી રહ્યા હતા, ત્યારે તેમના ઉપર પહેલો અને છેલ્લો હૃદયરોગનો જીવેલેણ હુમલો થયો હતો અને તેમણે ઘટનાસ્થળે જ છેલ્લો શ્વાસ લીધો હતો. તેમનાં પોતીકાં અને પોતીકા સરખાં સઘળાં સ્નેહીજનો માટે એ આઘાતજનક સમાચાર હતા. તેમનું આમ અચાનક અવસાન પામવું એ મધ્યાહ્ને સૂર્યાસ્ત સમાન હતું, કેમ કે એ જ મહિનાની ૨૫મી તારીખે તેઓ પોતાની જિંદગીનાં માત્ર ૪૧ જ વર્ષ પૂરાં કરવાના હતા.

તા. ૧૧ જુલાઈ, ૧૯૯૪ના “ધી ટાઈમ્સ ન્યૂઝ” સમાચારપત્ર દ્વારા ઉપરોક્ત શીર્ષકવાળા ન્યૂઝ રિપોર્ટ થકી મરહૂમ ડો. મુસાને નીચે પ્રમાણે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી :

“પામરટન હોસ્પિટલના સ્ટાફ ફિઝિશ્યન ડો. અલીમહંમદ મુસાના મૃત્યુના સમાચાર સમગ્ર વિસ્તારમાં શુક્રવારના દિવસે ખૂબ જ ઝડપથી ફેલાઈ ગયા હતા. માત્ર ૪૧ જ વર્ષની ઉંમર ધરાવતા ડો. મુસા ગુરૂવારના દિવસે જ્યારે ટેનિસ રમી રહ્યા હતા ત્યારે હૃદયરોગના હૂમલાથી અવસાન પામ્યા હતા.

ઘણા લોકો ડો. મુસાને એક માત્ર ફિઝિશ્યન કરતાં પણ કંઈક વિશેષ તરીકે ઓળખતા હતા. દર્દીઓ કબૂલે છે કે જ્યારે તેઓ તેમની પાસે સારવાર માટે જતા ત્યારે તેઓ બહુ જ કાળજીપૂર્વક તેમને ખાસ કેસ તરીકે તપાસતા હતા. તેઓ ગમે તેટલા કાર્યમગ્ન હોય, છતાંય ક્યારેય તેઓ દર્દીઓની અવગણના કરતા ન હતા. તેઓ દર્દીના દરેક પ્રશ્નનો સાદી ભાષામાં એવી શાંતિથી જવાબ આપતા હતા કે જેથી તેઓ સારી રીતે સમજી શકે. તેઓ દર્દીએ કરવાની રહેતી દરેક પ્રક્રિયાને વિગતવાર સમજાવતા. તેઓ હંમેશાં દર્દી સાથે સહાનુભૂતિથી વર્તતા અને દર્દીના ભયને હળવો બનાવી દઈને તેની દરેક સમસ્યાનો ઉકેલ બતાવતા. જ્યારે કોઈ દર્દી અવસાન પામે ત્યારે તેઓ તેનાં સગાંવહાલાંને દિલસોજી વ્યક્ત કરતો અંગત ફોન અચૂક કરતા અને મરનારના કુટુંબને હૈયાધારણ આપતા. તેઓશ્રી પોતાની એવી ભલી વર્તણૂક બતાવતા કે આપણને જૂના સમયના ડોક્ટરોની આત્મીયતા યાદ આવી જાય કે જે આજકાલ ખૂબ જ ઝડપથી અદૃશ્ય થતી જાય છે.

ડો. મુસા ૧૯૮૫ની સાલમાં પામરટન હોસ્પિટલમાં જોડાયા હતા. હોસ્પિટલના પ્રબંધક મિ. પિટર કર્ને નિવેદન આપતાં જણાવ્યું હતું કે ડો. મુસાના મૃત્યુથી તેમના સાથી ડોક્ટરો, હોસ્પિટલનો આખોય સ્ટાફ અને કેટલાય મિત્રો ચિર કાળ સુધી શોકગ્રસ્ત રહેશે. તેમણે વધારામાં કહ્યું હતું કે ખાસ તો એવા અસંખ્ય દર્દીઓ કે જે તેમને ભલા, લાગણીશીલ અને કાળજીભરી સારસંભાળ લેનારા તબીબ તરીકે ઓળખતા હતા તેમને તો તેમની અસહ્ય ખોટ સાલશે જ.

ડો. મુસાની પ્રેક્ટિસ પામરટન હોસ્પિટલ પૂરતી સીમિત ન હતી. પામરટનમાં ડેલાવેર ખાતે તેમની પોતાની ઓફિસ પણ હતી. તેઓ નિયમિત રીતે ‘મેહનીંગ વેલી નર્સિંગ એન્ડ કોનવેલસન્ટ સેન્ટર’ ખાતે વિઝિટે જતા હતા અને ત્યાં પણ દર્દીઓની સારવાર કરતા હતા. તેમનો સૌમ્ય મિજાજ, દર્દીઓ પરત્વેની તેમની સહાનુભૂતિ તથા દર્દીઓની સમસ્યાઓને સમજવાની તેમની નૈસર્ગિક શક્તિ એ બધાં તેમના વ્યક્તિત્વનાં ઊડીને આંખે વળગે તેવાં પાસાં હતાં. સમાજમાં જ્યારે લોકો દોડધામ અને ધમાલભર્યું જીવન જીવતા હોય છે, ત્યારે ડો. મુસામાં આવું બધું જોવા મળતું ન હતું. તેઓ પોતાનો સુખી પરિવાર ધરાવતા હતા. તેઓ પોતાના કુટુંબને ખૂબ જ ચાહતા હતા અને કોઈ દર્દી તેમનાં પત્ની કે બાળકો વિષે કોઈ પ્રશ્નો પૂછે તો તેઓ નિ:સંકોચપણે અને આનંદભેર પ્રત્યુત્તર વાળતા હતા.

ડો. મુસા માત્ર પોતાના દર્દીઓની જ કાળજી લેતા ન હતા, તેઓ પોતાના સ્વાસ્થ્યની પણ એટલી જ કાળજી લેતા હતા. તેઓ ઊંચા, આકર્ષક શરીર સૌષ્ઠવ ધરાવતા અને તંદુરસ્તીના પ્રતીક જેવા ખડતલ હતા. પરંતુ તેમના દુર્ભાગ્યે તેમના ઉપર જબદદસ્ત પ્રહાર કર્યો. તેઓ જ્યારે પોતાની તંદુરસ્તીને જાળવવાની પ્રવૃત્તિમાં જ લાગેલા હતા, ત્યારે જ હૃદયરોગે તેમના ઉપર હુમલો કરીને તેમના જીવનને હણી લીધું. તેમના મૃત્યુએ શિષ્ટ અને અન્યોની કાળજી લેનાર એવા માણસ કે જેમને મળવું સૌ કોઈને ગમે એવા તેમને તેમના દર્દીઓ અને તેમના કુટુંબ વચ્ચેથી ચૂપચાપ ઊઠાવી લીધા. એમના પેંગડામાં પગ ઘાલી શકે તેવો ભાગ્યે જ કોઈ માણસ મળી શકે.

એવા દર્દીઓ કે જેમની ડો. મુસાએ સારવાર કરી હતી તેઓ એવા ભાગ્યશાળી પુરવાર થયા કે તેઓ ઓછામાં ઓછા તેમને ઓળખી તો શક્યા અને હકારાત્મક ગુણો ધરાવતા એવા તેમનો લાભ લઈ શક્યા. ખરે જ ડો. મુસા એક એવી ખાસ વ્યક્તિ તરીકે હંમેશાં યાદ રહેશે. કે જે તેમની ભલાઈ અને સેવાભાવનાના ગુણો થકી તેમના દર્દીઓ, મિત્રો, કુટુંબીજનો અને સહકાર્યકરોમાં પ્રિય રહ્યા હતા.

સાચે જ ડો. મુસા કદીય નહિ ભુલાય.”

* * *

પામરટન હોસ્પિટલના પ્રેસિડેન્ટ શ્રી એડવર્ડ જે. મિલર, એમ. ડી. દ્વારા મરહૂમનાં કુટુંબીજનોને નીચેના શબ્દોમાં શોકસંદેશો અને સહાનુભૂતિ પાઠવવામાં આવ્યાં હતાં :

“૭મી જુલાઈ અને ગુરૂવારના રોજ મારું કુટુંબ અને હું વર્જિનિયા ખાતે એક નાનું વેકેશન માણી રહ્યાં હતાં. રાત્રિના લગભગ અગિયાર વાગે જ્યારે અમે ઊંઘવાની તૈયારી કરી રહ્યાં હતાં ત્યારે અમારા રૂમમાં ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી. હું જ્યારે ફોન ઊઠાવવા જઈ રહ્યો હતો ત્યારે મને ફાળ પડી કે ચોક્કસ કંઈક દુ:ખદ ઘટના બની હોવી જોઈએ અને એવી કોઈ સમસ્યા હશે તો જ મને રાત્રે ફોન કરવામાં આવ્યો હશે અને આમ સાચે જ મારી ધારણા સાચી પડી અને મારા સહકાર્યકર ડો. મુસાના અવસાન અંગેના દુ:ખદ સમાચાર મને સાંભળવા મળ્યા. મારી પત્ની જોય અને હું ન માની શકાય તેવા સમાચાર સાંભળીને અમારી આંખમાંનાં આંસુઓને રોકી ન શક્યાં અને અમારી આખી રાત ઊંઘ્યા વગર જ પસાર થઈ. હું ડો. મુસાને છેલ્લાં આઠ વર્ષથી એકદમ નિકટથી ઓળખતો આવ્યો હતો. તેમને હું ખૂબ જ માન સન્માન આપતો હતો અને અસાધારણ સામર્થ્ય ધરાવતા શક્તિશાળી અને સૌમ્ય મહાનુભાવ તરીકે તેમને ઓળખતો હતો.

તેમના સૌમ્ય વ્યક્તિત્વનો મતલબ કે ખરે જ એ ખૂબ જ નમ્ર માણસ હતા અને તેમને શક્તિશાળી ગણાવતાં તેઓ હકીકતમાં બુદ્ધિમાન, સમભાવી અને પોતની ફરજને સમર્પિત હતા. હું કલાકોના કલાકો સુધી સતત ફરજ બજાવ્યે જતા તેમના પરિશ્રમને યાદ કરતો રહ્યો. હોસ્પિટલની અનંત એવી કેટલીય રાત્રિઓ દરમિયાન ફરજ ઉપરના એક ફિઝિશ્યનને જે વારંવાર સાંભળવા મળે એવા ‘તમારો આભાર’ શબ્દો કર્ણપટ ઉપર સંભળાતા રહ્યા. અલી કટોકટીના સમયે ત્વરિત નિર્ણય લઈ શકવાની શક્તિ ધરાવતા હતા અને નિરાશાના સમયે ધૈર્ય ધારણ કરી શકતા હતા. તેમના જીવનની કરૂણાંતિકા એવી ઘટી કે તેઓ પોતાના તાજેતરમાં જ નવીન બનાવેલા આલિશાન નિવાસ સ્થાનમાં આનંદપૂર્વક જીવી રહ્યા હતા અને જે હંમેશાં પોતાનાં સંતાનો વિષેની હર્ષભેર વાતો કર્યે જતા હતા એવા તેવાના સુખમય જીવનમાં અણધાર્યું અને કઠોર ભાગ્ય સમું એ મૃત્યુ આવ્યું.

આગળ એક અવતરણનો સહારો લઈને એમણે ઉમેર્યું કે આમ છતાંય આપણે યાદ રાખવું જોઈએ કે આપણા જીવનને કોઈ એક લાગણીશીલ માણસ સ્પર્શી જાય છે અને તેના ચાલ્યા જવાથી એની માત્ર મધુર યાદો જ બાકી રહી જતી હોય છે. એવી એ વિભુતિઓ આપણા જીવનમાં અનુભવાતા અંધકારને એ પોતાના થોડાક જ પ્રકાશ વડે પણ ઝળહળાવી દઈને દેદિપ્યમાન બનાવી દેતા હોય છે. એ માણસ આપણી વચ્ચે જ રહીને વિકાસ પામ્યો અને એક પ્રભાવશાળી અને મજબૂત માણસ તરીકે જ આપણી વચ્ચે જ અવસાન પામ્યો. આવનારાં વર્ષોમાં આપણે ભૂતકાળ તરફ નજર નાખીશું તો આપણને હંમેશાં એમ જ લાગશે કે આપણે એક યુવાન ફિઝિશ્યનને ગુમાવ્યા છે અને માત્ર એટલું જ વિચારતાં આપણે તેમના મહત્ત્વને ઘટાડી નાખ્યું ગણાશે. અલબત્ત, આપણે ડો. અલીને આપણી યાદોમાં જીવંત રાખીશું. આપણે તેમના હાસ્યને, તેમના સ્મિતને, તેમને પસંદ એવી તેમની વસ્તુઓમાં તેમને યાદ કરતા રહીશું. એ કોણ હતા અને કેવા હતા તે આપણે યાદ રાખીશું અને તો જ આપણે તેમને યુવાન અને જીવિત વ્યક્તિ રૂપે આવનારાં વર્ષોમાં સમજી શકીશું.”

પાછળથી સમગ્ર મેડિકલ સ્ટાફ વતી ડો. મિલરે ડો. અલી મુસા મેમોરિયલ ફંડ ઊભું કરવાની જાહેરાત કરી અને હોસ્પિટલમાં યોગ્ય જગ્યાએ સ્મૃતિચિહ્ન તરીકે ધાતુની તકતી મૂકવાનું નક્કી કર્યું.

લેખ સમાપન પૂર્વે હું ભારે હૃદયે મરહૂમ ડો. અલી મુસાના એક દર્દી – રિચર્ડ સેડોફ અને તેમનાં પત્ની બોબના કેટલાક શબ્દોને ટાંકીશ – “મેં તો ધાર્યું હતું કે મારા મૃત્યુના કોઈક દિવસે તેઓ (ડો. મુસા) મારી મૃત્યુશય્યા પાસે હાજર હશે, પણ અણધાર્યું એવું તે શું બની ગયું કે તેઓ મારી પહેલાં આ દુનિયાને છોડીને જતા રહ્યા! હું મારી એસ્પિરિનની ટીકડી લેતો હોઉં છું, ત્યારે મને ડો. મુસાની યાદ આવી જાય છે. એવા એ ભલા માણસ હતા કે જે દૂર દૂર ઇન્ડિયાથી અહીં ડોક્ટર થવા માટે આવ્યા હતા અને તેમની તરક્કીના એ ઉજ્જ્વળ સમયે જ મૃત્યુ તેમને તેમનાં વહાલાં કુટુંબીજનો, મિત્રો અને એમના વહાલા દર્દીઓ પાસેથી છીનવી ગયું.”

મારા પક્ષે સમાપને કહેતાં, સહાનુભૂતિ એ સુવર્ણ કરતાંય મૂલ્યવાન છે. સુવર્ણ પૃથ્વીના પેટાળમાંથી આવે છે, પણ સહાનુભૂતિ તો સ્વર્ગમાંથી આવે છે. સ્વર્ગ એ ધરતીથી ઉપર છે અને તેથી જ તો સહાનુભૂતિ એ સુવર્ણ કરતાંય મૂલ્યવાન છે.(એક અંગ્રેજી કાવ્ય ઉપર આધારિત)

અત્રે, મરહૂમ ડો. અલીમહંમદ મુસાના જીવન અને મૃત્યુને લગતા સતત ત્રણ લેખો થકી આ લેખમાળાને પૂર્ણ કરું છું. વળી મારા સુજ્ઞ વાચકોને ખાત્રી આપું છું કે મારા બ્લૉગ ઉપર જુદા જુદા વિષયો ઉપર ભવિષ્યે કંઈક ને કંઈક અવનવું આપતો રહીશ.

– વલીભાઈ મુસા
(તા.૨૩-૦૫-૨૦૦૭)

સૌજન્ય : “ધી ટાઈમ્સ ન્યૂઝ” (USA)

(Translated from English version titled as “Dr. Musa, a Physician will be missed” published on May 23, 2007)

 

Tags: , ,

Image

(૫૨૮) બધા જ ડોક્ટર નાણાંભૂખ્યા નથી હોતા -અનુવાદ (Not All Doctors Money Hungry)

Click here to read in English

મારા અગાઉના લેખ “જેનો અંત સારો, તેનું સઘળું સારું – All’s well that ends well”માં ઉપરોક્ત શીર્ષકવાળા ન્યુઝ રિપોર્ટનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે ડો. અલીમહંમદ મુસા હયાત હતા અને ઘણાં વર્ષોના તેમના અભ્યાસ અને અનુભવ પછી જ્યારે એમની પ્રાઈવેટ પ્રેક્ટિસ પૂરબહારમાં ધમધમી રહી હતી, ત્યારે સદરહુ રિપોર્ટ અગ્રગણય દૈનિક સમાચારપત્ર એવા “Early Times”માં પ્રસિદ્ધ થયો હતો.

“આપણે જ્યાં રહીએ છીએ – Where We Live” એવી “Early Times” અખબારની કોલમ હેઠળ સ્ટાફ રિપોર્ટર મિ. રોન ગોવર (Mr. Ron Gower) દ્વારા નીચે પ્રમાણેનું તેમનું દૃષ્ટિબિંદુ/મંતવ્ય રજૂ થયું હતું :

જ્યારે પ્રમુખશ્રી અને હિલેરી ક્લિન્ટને આરોગ્ય કાળજીની સુધારણા ઉપર ભાર મૂક્યો ત્યારે મારા મનમાં અનેક વિચારો ઉદ્ભવ્યા કે એવું શું કરવામાં આવે કે આરોગ્ય જાળવણીનું ખર્ચ ઓછું આવે. આરોગ્ય સેવાઓના ઊંચા ખર્ચનો મુદ્દો એ મારો હંમેશ માટે અને આજે પણ મુખ્ય વિષય જ રહ્યો છે કે કોઈપણ રીતે આ ખર્ચ અંકુશમાં આવવું જ જોઈએ.

આ એક હકીકત છે કે ઘણા ડોકટરો ઓછામાં ઓછું કામ કરીને દર્દી પાસેથી વધુમાં વધુ નાણાં વસુલતા હોય છે. ઘણા લોકો એવું કહેતા સાંભળવા મળે છે કે કેવી રીતે હોસ્પિટલોમાં તેમનો મૂલ્યવાન સમય વેડફાયો અને ડોક્ટરોએ કેવી રીતે દરવાજામાં માત્ર ડોકિયું કરીને તેમની પાસેથી તગડી ફી વસુલ કરી લીધી.

એક વખત હું મારા કુટુંબના એક સભ્યને એલન ટાઉનના એક સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર પાસે લઈ ગયો હતો. અમે વેઈટીંગ રૂમમાં બે કલાક સુધી રાહ જોઈ. છેવટે સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરે તેણીના કાનમાં એક નજર નાખી, પછી બીજા કાનમાં બેત્રણ મિનિટ સુધી કંઈક તપાસ કરી અને અમારી પાસેથી ૧૨૫ ડોલર પડાવી લીધા. એક વખતે હું મારા સસરાને ઈમરજન્સી સારવાર માટે હોસ્પિટલે લઈ ગયો હતો. તેમનો પગ ખૂબ જ સૂઝી ગયો હતો. ડોકટરે અમને ઠપકો આપ્યો કે અમે કેવી મામુલી તકલીફ માટે દર્દીને સારવાર માટે લાવ્યા છીએ. અમે બીજા ડોક્ટરની માગણી કરી અને એ કેસમાં ગેંગ્રીન (હાડકામાંનો સડો)ની ગંભીર બીમારીનું નિદાન થયું હતું.

આ તો એક તરફની વાત થઈ, પરંતુ બીજી તરફ જોઈએ તો મેડિકલના ક્ષેત્રમાં કેટલાક મહાન ડોક્ટરો પણ છે અને તેમાંના કેટલાક અમારા એરિઆમાં પણ છે. આ એવા ડોક્ટરો છે કે જે જેઓ દર્દીની સારી કાળજી લે છે, દર્દી સાથે વિવેક અને સહાનુભૂતિથી વર્તે છે. તેઓ ધીરજપૂર્વક અને શાંતિથી દર્દીને તપાસતા હોય છે, પ્રમાણિક હોય છે અને એ લોકો એવો વ્યાજબી ચાર્જ લેતા હોય છે કે જેનાથી બિલ મેળવતી વખતે દર્દીને હૃદયરોગનો હુમલો ન આવે! એ તો દેખીતું જ છે કે અમે અમારા એરીઆના બધા જ ડોકટરોને ન જ મળ્યા હોઈએ અને તેથી જ તો અમે જે કોઈને મળ્યા છીએ તેમના સાથેના અમારા પ્રથમ જ અનુભવ અંગે અત્રે કંઈક લખીએ છીએ.

આવા ભલા ડોક્ટરો પૈકીના એક કે જેમના પ્રત્યે અમને ખૂબ માન છે અને તે છે પામરટનના ડોક્ટર અલીમહંમદ મુસા. તેમણે અમારા કુટુંબના થોડાક જ સભ્યોની સારવાર કરી છે જેમાંના કેટલાક ગંભીર બીમારીના ભોગ બનેલા હતા. કેટલીકવાર તેમણે અમારા દર્દીને અન્ય સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોના ત્યાં મોકલ્યા છે કે જેઓ કદીય ડો. મુસાને મળેલા પણ ન હોય અને છતાંય તેમને તેમના વિષે ઊંચો અભિપ્રાય આપવો જ પડે કે તેમણે દર્દીને જે પ્રાથમિક સારવાર આપી હતી તે ઉત્તમ પ્રકારની હતી.

તાજેતરમાં જ મારા સસરા અવસાન પામ્યા. ડો. મુસાએ તેમના ફિઝિશ્યન તરીકે લગભગ દસેક વર્ષ સુધી તેમની સારવાર કરી હતી. મારા સસરાને બંને પગે ગેંગ્રીન ઉપરાંત ઘણી બધી ગંભીર સમસ્યાઓ હતી. તેમને કેટલાક હૃદયરોગના હુમલા પણ આવી ચૂક્યા હતા. તેમની ધમનીઓ અને ફેફસાંમાં સોજા પણ હતા. ડો. મુસાએ તેમની સારવાર કરવામાં કદીય પાછી પાની કરી ન હતી. તેમણે ડેવિડના મરતાં દમ સુધી તેમને સાજા કરવા માટે ભારેમાં ભારે ઈન્જેક્શનો આપીને ખૂબ જ જહેમત ઊઠાવી હતી. ઘણીવાર તેમના માટે તે સુપર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોને પણ બોલાવતા અને તેમની રોજબરોજની સુશ્રૂષા માટે પામરટન હોસ્પિટલની પરિચારિકાઓની પણ તેઓ સેવાઓ લેતા હતા.

ઘણીવાર તો અમારે ડો. મુસાને હોસ્પિટલમાં મળવાનું ન બન્યું હોય તેવા સંજોગોમાં પણ તેઓ નિયમિત રીતે ફોન દ્વારા દર્દીની તત્કાલીન પરિસ્થિતિની અમને જાણ કરતા હતા. એક મધ્યરાત્રીએ ડેવિડની જીવનલીલા સમાપ્ત થઈ. પછીની જ સવારે ડો. મુસાનો દિલગીરી દર્શાવતો ફોન આવી ગયો અને એમણે અમને સહાનુભૂતિ કાર્ડ પણ મોકલ્યું.

ડો. મુસા સાથે અમારે કોઈ અંગત કે સામાજિક મૈત્રીના સંબંધો ન હતા, સંબંધો હતા તો માત્ર અમારા ડોક્ટર તરીકેના વ્યાવસાયિક સંબંધો. આમ છતાંય માત્ર ધંધાકીય સંબંધોથી પણ આગળ વધીને તેમણે અમને તેમના વિષે એમ વિચારવાની ફરજ પાડી કે ખરે જ અમે માવજતની આત્મીય લાગણી ધરાવતી એક વ્યક્તિ સાથે કામ પાર પાડી રહ્યા છીએ અને અમને ચોક્કસ ખાત્રી હતી કે તેમ જ હતું.”

આગળ જતાં, ઉપરોક્ત અહેવાલ(Reporting)માં કોલમ-લેખકે પોતાના વ્યવસાયને સમર્પિત એવા કેટલાક ડોક્ટરનો ઉલ્લેખ કર્યો હતો. એ બધા ડોક્ટરો હતા : ફિઝિશ્યન ડો. માર્વિન સિન્ડર, સર્જન ડો. ઓર્લાન્ડો આસો, ફિઝિશ્યન ડો. જ્હોન સ્ટીલ, ત્વચારોગ નિષ્ણાતો અનુક્રમે ડો. ટેરી રોબિન્સ અને ડો. સુસાન કુક્રીર્ક.

છેલ્લે મિ. ગોવર પોતાના અહેવાલનું આ શબ્દોમાં સમાપન કરે છે : “જ્યારે રાષ્ટ્રીય આરોગ્ય સંભાળની સુધારણા માટેનાં પગલાં લેવાની વિચારણા કરવામાં આવે ત્યારે અત્રે ઉલ્લેખાયેલા વ્યાવસાયિકોનાં સલાહસૂચન લેવામાં આવે તો તે ઉત્તમ કાર્ય લેખાશે.”

મારા ભલા વાચકો, અત્રે આ લેખ પૂર્ણ થાય છે. હવે આપણે મારા હવે પછીના આખરી લેખ “મરહુમ ડો. મુસા, એક તબીબ કદીય નહિ ભુલાય (Dr. Musa, a Physician will be missed) એવા ડો. મુસાના જીવન ઉપર મૃત્યુ રૂપી પડેલા આખરી પરદાને વર્ણવતા દુ:ખદ લેખ સાથે મળીશું.

-વલીભાઈ મુસા
(તા. ૨૨-૦૫-૨૦૦૭)

સૌજન્ય (Courtesy) : “Early Times” (USA)

(Translated from English version titled as “Not All Doctors Money Hungry” published on May 22, 2007)

 

Tags: , , ,

(૫૨૭) જેનો અંત સારો, તેનું સઘળું સારું – અનુવાદ (All’s well that ends well)

Click here to read in English.

મારા આજના લેખના વિષયમાં છે, મારા સૌથી નાના ભાઈ મરહુમ હાજી ડો. અલીમહંમદ મુસા M.D. (Internal Medicine) કે જે અમેરિકા ખાતે સ્થાયી થયા હતા અને મધ્યાહ્ને સૂર્યાસ્તની જેમ તા.૦૭-૦૭-૧૯૯૪ના રોજ યુવાન વયે અવસાન પામ્યા હતા. તે ભારતમાં જન્મ્યા હતા અને અહીં ખાતે જ એમ. એસ. (જનરલ સર્જરી) સુધી અભ્યાસ કર્યો હતો, પરંતુ અફસોસ કે અમેરિકાની ભૂમિમાં તેમની દફનવિધિ થઈ હતી. તે દિવસ એ મારો પોતાનો જન્મદિવસ હતો અને હું તેમના તરફના અભિનંદનના ફોનની રાહ જોઈ રહ્યો હતો, પણ અમારા ભાગ્યે અમને જુદી જ રીતે માથે વીજળી ત્રાટકે તેવો તેમના અકાળ અવસાનનો આંચકો આપ્યો હતો. અહીં જોગાનુજોગ આંકડાકીય કરિશ્મા એવો બની રહ્યો કે મારો જન્મદિવસ તેમના અવસાનનો દિવસ બની રહ્યો; વળી એટલું જ નહિ, પણ મરહુમનું જન્મનું વર્ષ ૧૯૫૩ હતું અને એ સમયે હું ૫૩ વર્ષનો હતો. વળી બસ એ જ પ્રમાણે મારું જન્મ વર્ષ ૧૯૪૧ હતું અને તેઓ ૪૧ વર્ષની વયે અવસાન પામ્યા. બ્રહ્માંડોના સર્જનહારનાં એવાં રહસ્યો હોય છે કે તેનાં જ સર્જનો એવાં આપણા માટે એ રહસ્યોને જાણવાં એ આપણી શક્તિ બહારની વાત હોય છે.

મારો પ્રાસ્તાવિક પ્રથમ ફકરો મારા લેખના શીર્ષક સાથે બંધબેસતો નહિ લાગે, પણ હું તેને મરહુમનો ટૂંકો પરિચય આપવા માટે જરૂરી ગણું છું. પોતાના સાવ ટૂંકા જીવનમાં તેમણે કરેલા સંઘર્ષ અને પ્રાપ્ત કરેલી સિદ્ધિઓને વર્ણવું તે પહેલાં મેં મારા પોતાના પરિચયમાં દર્શાવ્યા મુજબ મારા એ ભાઈ પણ અમારાં કુટુંબીજન જેવા જ સામાન્ય માણસ હતા. અમે સઘળાં ભાઈ બહેનોએ ઈ.સ. ૧૯૫૭માં અમારા પિતાજીના અવસાનથી માથા ઉપરની છત્રછાયા ગુમાવી, ત્યારે મારા આ ભાઈ માત્ર ચાર જ વર્ષના હતા અને અમે તેમનો પુત્રની જેમ ઉછેર કર્યો હતો.

આ લેખ અમારી ભાવી પેઢી અને અન્યો માટે જીવનના કોઈપણ ક્ષેત્રમાંનાં ઉચ્ચતમ લક્ષાંકો સિદ્ધ કરવા માટે જરૂરી એવા સંઘર્ષ માટે તત્પર રહેવાની પ્રેરણા આપવાના હેતુસરનો છે.

મારી હંમેશની પ્રણાલિ મુજબ, અત્રે આ લેખમાં હું મારા મરહુમ ભાઈશ્રી અલીમહંમદે મને ગુજરાતીમાં લખેલા પત્રનો સહારો લઈશ, કે જેને મારે પાછળથી અંગ્રેજીમાં અનુવાદિત કરવો પડ્યો હતો કે જેથી મરહુમનો પુત્ર આસિફ અને પુત્રી અનિસા એ વાંચીને પ્રેરણા મેળવી શકે; કેમ કે તેઓ તે વખતે ગુજરાતી લખી કે વાંચી શકતાં ન હતાં. જો કે ઈશ્વરકૃપાએ તેઓ હાલમાં થોડીક માત્રામાં બોલાતા ગુજરાતીને સમજી શકે છે અને તેથી અમારાં માત્ર ગુજરાતીભાષી અન્ય કુટુંબીજનો સાથે વાતચીત કરવામાં તેમને કોઈ સમસ્યા નડતી નથી.

હવે આપણે મરહુમે લખેલા મૂળ પત્ર તરફ વળીએ. (આ લેખના હેતુ માટે જરૂરી ન હોય તેવી અંગત બાબતોને અત્રે અવગણવામાં આવી છે.)

“વહાલા વલીભાઈ,

ઘણા લાંબા સમય બાદ, હું મુક્ત મને આ પત્ર લખી રહ્યો છું. વિલંબ બદલ ક્ષમાયાચના. મારા જીવનમાં છેલ્લા આઠદસ મહિના ખૂબ જ મુશ્કેલીભર્યા રહ્યા, જેમાંથી હું સાંગોપાંગ પાર ઊતર્યો છું. મારી જુન ૩૦, ૧૯૮૫ના રોજ રેસિડેન્સી પૂરી થયા પછી હું આજે રાહતનો શ્વાસ લઈ રહ્યો છું અને તેથી જ તો ખાસ સમય ફાળવીને શાંતિથી આ પત્ર લખી રહ્યો છું. આ પત્રમાં મારા સારા અક્ષરો જોઈને આપ સમજી શકશો કે હું આજે ઉતાવળમાં નથી. ઘણા લાંબા સમયથી ભેગી થયેલી વાતો અને માહિતીઓ અંગે આ પત્રમાં વિગતે લખવાનો મારો આશય છે.

સર્વ પ્રથમ તો, મારા માટે અને આપના માટે પણ સૌથી મોટા સમાચાર એ છે કે અમેરિકન બોર્ડ ઓફ ઈન્ટરનલ મેડિસિન દ્વારા લેવાતી પ્રમાણપત્ર પરીક્ષા મેં પ્રથમ પ્રયત્ને જ ઉત્તીર્ણ કરી દીધી છે. આ પરીક્ષા ખૂબ જ અઘરી હોય છે. અમારી હોસ્પિટલે છેલ્લાં દસ વર્ષથી આ પરીક્ષા માટેની તાલીમ શરૂ કરી છે અને આ સમય દરમિયાન પ્રથમ પ્રયત્ને જ પહેલીવાર આ પરીક્ષામાં પાસ થનારા તરીકે મારો અમેરિકન સહાધ્યાયી અને હું જ નસીબદાર રહ્યા છીએ. હું અભિમાન નથી કરતો, પણ નિખાલસ ભાવે કહું તો મારા જીવનમાં મારા માટે આ મહાન ઘટના છે. આ મારા વિદ્યાર્થી જીવનની આખરી પરીક્ષા હતી અને મને એક ટકો પણ આશા ન હતી કે હું તેને પહેલા જ પ્રયત્ને ઉત્તીર્ણ કરી શકીશ. જો કે હું મારી શક્તિને હંમેશાં ઓછી જ આંકતો હોઉં છું, તેમ છતાંય અમેરિકન ગ્રેજ્યુએટ્સની સરખામણીએ હું ખરો ઊતર્યો કહેવાઉં. આ પરીક્ષાનું મહત્ત્વ અમેરિકન કે વિદેશી ડોક્ટર્સ અને મોખરાની યુનિવર્સિટીઓના ગ્રેજ્યુએટ્સ માટે ઘણું હોય છે. આ પરીક્ષા પસાર કર્યા પછી કોઈપણ માણસ પોતાની જાતને અમેરિકન ગ્રેજ્યુએટ્સની સમકક્ષ ગણી શકે. આ પરીક્ષા એ બેરર ચેક જેવી ગણાતી હોય છે અને તમે જ્યારે કોઈને કહો કે હું બોર્ડ સર્ટિફાઈડ ઈન્ટરનીસ્ટ છું, ત્યારે તમે કોઈ જોબ માટે ઉમેદવારી કરતા હો કે પછી પોતાની પ્રાઈવેટ પ્રેક્ટિસ શરૂ કરવા માગતા હો ત્યારે તમને બીજું કશું જ પૂછવામાં ન આવે કે અન્ય કોઈ પ્રમાણપત્ર પણ માગવામાં ન આવે.

આ હકીકત હજુ ચાલુ રહે છે, કેમ કે આ મારા જીવનની ઐતિહાસિક ઘટના છે. અમારી હોસ્પિટલમાં અમે આઠ ઉમેદવારો હતા, જે પૈકી પાંચ જણને પરીક્ષા આપવા માટે યોગ્ય ગણવામાં આવ્યા હતા. આ પાંચ પૈકીના ત્રણને વધુ એક વર્ષ સુધી અભ્યાસ કરવાનું કહેવામાં આવ્યું હતું. છેવટે પાંચમાંથી અમે બે જણ ઉત્તીર્ણ થયા હતા. એક અમેરિકન હતો કે જે ચીફ રેસિડેન્ટ હતો અને હું આસિસ્ટન્ટ ચીફ રેસિડેન્ટ હતો. અમારી હોસ્પિટલની પણ આ એક ઐતિહાસિક ઘટના હતી, કે જ્યાં એકી સાથે બે જણ પ્રથમ પ્રયત્ને જ આ પરીક્ષા ઉત્તીર્ણ કરી હોય. ખેર, મારું એક મુશ્કેલ સ્વપ્ન સાચું પડ્યું. હક તઆલાની અસીમ મહેરબાની કે અહીં અમેરિકા આવ્યા પછીની મારી ત્રણેય પરીક્ષાઓને મેં પ્રથમ પ્રયત્ને અને એ પણ સારા ગુણાંકે પાસ કરી છે. જો કે આ પરીક્ષા નોકરી માટે કે પ્રેક્ટિસ કરવા માટે ફરજિયાત નથી; આમ છતાંય કોઈપણ ડોક્ટર કે જે પોતાની કારકીર્દિ બનાવવા માગતો હોય તો તેના માટે આ અસાધારણ લાયકાત તો ગણાય જ.

હવે મારી પ્રાઈવેટ પ્રેક્ટિસના નિર્ણય ઉપર આવવા માટેના બીજા મહત્ત્વના સમાચાર આ મુજબ છે. મારી રેસિડેન્સીના છેલ્લા ત્રણ માસ મુશ્કેલીભર્યા હતા. હું એવા માનસિક દબાણ હેઠળ હતો કે મારો અભ્યાસ પૂર્ણ થયા પછી મારે શું કરવું. અહીં ઉત્તરોત્તર પરિસ્થિતિ વણસતી જાય છે. નજીકના ભવિષ્યમાં મેડિકલ ક્ષેત્રમાં વિદેશીઓ માટે દરવાજા કાયમી ધોરણે બંધ થઈ જવાની પણ પૂરી શક્યતા છે.

અહીં તમારા માટે બે જ વિકલ્પ છે; એક નોકરી અને બીજો પ્રાઈવેટ પ્રેક્ટિસ. વિદેશી તરીકે પ્રાઈવેટ પ્રેક્ટિસ જોખમી છે. અભ્યાસ પતી ગયા પછી કોઈપણ વિદેશી ડોક્ટર પ્રાઈવેટ પ્રેક્ટિસ કરવાની હિંમત કરી શકતો નથી હોતો, કેમ કે તેમાં સફળતાની કોઈ ખાત્રી નથી હોતી. આ સાહસનું સારું પરિણામ આવે કે ન પણ આવે! એવા અનેક દાખલાઓ સાંભળવા મળે છે કે વિદેશી ડોક્ટરોએ પોતાની હોસ્પિટલ કે ઓફિસને છેવટે બંધ જ કરી દેવી પડી હોય છે. પરંતુ મારા આંતરિક આત્મવિશ્વાસ, આપના તરફનો પ્રોત્સાહક ટેકો, એક સાહસિક વેપારીના પુત્ર હોવાનો આપણો ખ્યાલ અને અલ્લાહ ઉપરના અતૂટ વિશ્વાસના બળે ચારપાંચ સારી નોકરીની તકો હોવા છતાં પ્રાઈવેટ પ્રેક્ટિસ કરવાના નક્કર નિર્ણય ઉપર હું આવી ગયો છું. હું એક સારી જોબના કોન્ટ્રેક્ટ ઉપર સહી કરવાનો જ હતો, પણ મારો અંતરાત્મા આ માટે સાક્ષી પૂરતો ન હતો. મારા જીવનમાં મેં એક એવું લક્ષ નક્કી કરી રાખ્યું હતું કે ભારતમાં કે વિદેશમાં મારી પોતાની એક હોસ્પિટલ હોય. એ પણ એક હકીકત છે કે તમે એકવાર નોકરીમાં જોડાઈ ગયા પછી તમારા ધ્યેયથી ગયા જ સમજો. પછી તો તમે નોકરી છોડવાની હિંમત જ ન કરી શકો, કેમ કે ખાસ તો આ દેશમાં સફળતાના મુદ્દે પ્રાઈવેટ પ્રેક્ટિસ એક જુગાર જેવું સાહસ ગણાય છે. વળી પોતાની હોસ્પિટલ માટે મોટું મૂડીરોકાણ પણ કરવું પડે અને તે પણ વળતર મેળવવાની કોઈપણ જાતની સંગીન ખાત્રી વગર.

પરંતુ મેં તો અલ્લાહનું નામ ઉચ્ચારીને મારા એમ્પલોયરને ફોનથી જાણ કરી દીધી કે,‘હું દિલગીરીપૂર્વક જણાવું છું કે હું કોન્ટ્રેક્ટ ઉપર સાઈન નહિ કરી શકું.’ અમે જુલાઈમાં લિહાઈટન અવી ગયાં છીએ. આ અગાઉ ૧૯૮૨માં હું એક વર્ષ માટે અહીં હતો. એ વખતે હું આપણા એક ઈન્ડીઅન ડોક્ટરના સહજ સંપર્કમાં આવ્યો હતો. નવી જગ્યા જાણીતી તો હતી, પણ શરૂઆતના બે એક મહિના સુધી હું માનસિક અસ્વસ્થતામાં રહ્યો હતો. થોડીક હતાશાનું કારણ એ હતું કે અહીં તમારે સિનિયર ડોક્ટરો સામે મુકાબલો કરીને પોતાની કારકીર્દિ બનાવવાની હતી. ધીમે ધીમે અને મક્કમતાપૂર્વક હું આગળ વધતો ગયો અને હવે અલ્લાહની મહેરબાનીથી મારી પ્રેક્ટિસ પોસાય તે સ્થિતિમાં આવી ગઈ છે અને અલ્લાહ ચાહશે તો બેત્રણ વર્ષમાં આપણે સંતોષકારક સ્થિતિમાં આવી જઈશું.

મેં લિહાઈટન (Lehighton)અને પામરટન (Palmerton) એમ બે જગ્યાએ ઓફિસ શરૂ કરી દીધી છે. શરૂઆતમાં કેટલાક જણે મને હતાશ કરી દીધો હતો, પણ મેં તેમની સલાહ ધ્યાનમાં લીધી ન હતી. જો કે એ લોકો પણ તેમના પક્ષે અમુક અંશે સાચા પણ હતા. અહીં પ્રાઈવેટ પ્રેક્ટિસમાં જવાબદારીઓનો એક મોટો માનસિક બોજ રહેતો હોય છે. દિનપ્રતિદિન આ દેશમાં વળતર માટેના ખોટા દાવાઓ વધતા જાય છે. આ દાવાઓ સામેના રક્ષણ માટેના વીમાઓનાં પ્રીમિયમ પણ ખૂબ ઊંચાં હોય છે. વિશેષમાં આખું અઠવાડિયું અને ચોવીસે કલાક ફરજ બજાવવા માટે તૈયાર રહેવું પડતું હોય છે. તાકીદની સેવા તરીકે મધ્યરાત્રિએ પણ તમારે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવો પડે, વળી એટલું જ નહિ ખરાબ હવામાનની સ્થિતિમાં પણ ડોક્ટર દર્દીની વિઝિટ માટે બંધાયેલા હોય છે.

આગામી એપ્રિલ માસમાં મને અહીં પાંચ વર્ષ પૂરાં થશે. મેં એક યંત્રની જેમ અહીં કામ કર્યું છે. હજુ પણ મારી કારકીર્દિમાં સ્થિર થવા માટે બેત્રણ વર્ષ સુધી વધારે ઝઝૂમવું પડશે. અહીં આરોગ્ય જાળવણી માટેના સરકારી રાહે ઘણા ફેરફારો આવી રહ્યા છે. કેટલાંક વર્ષો પહેલાં, અહીં ડોક્ટરનો વ્યવસાય ધીકતી કમાણીનો ગણાતો હતો; પરંતુ હાલમાં તો અમેરિકન ડોક્ટરો પણ આ વ્યવસાય છોડીને ધંધામાં કે અન્ય પ્રવૃત્તિઓમાં જોડાઈ જતા હોય છે. આ પલાયનવૃત્તિ માટેનાં મૂળ મોટાં વળતર મેળવવા માટે થતા ખોટા મેડિકલ કેસો અને તેમાંથી ઉદ્ભવતી જવાબદારીના ભયમાં રહેલાં છે. પરંતુ, હું આ બધી ચિંતાઓ કરતો નથી. જે થવાનું હોય તે થાય અને તેના સામના માટે આપે મને માર્ગદર્શન આપ્યું છે તે મુજબ હું તૈયાર જ છું.

હવે, અહીં હું પત્ર સમાપ્ત કરું છું, કેમ કે મધયરાત્રિ પછીના ૨-૩૦ વાગી ગયા છે.

ખુદા હાફિઝ,

બધાંને ‘અમદુ’ના સલામ.” (તા.૩૧-૦૧-૧૯૮૬)

(‘અમદુ’ એ તેમનું બાલ્યકાળથી ચાલ્યું આવતું હુલામણું – Nick name નામ છે.)

સમાપને કહેતાં, હું મારા આ બ્લોગના વાચકોને મુંબઈ ખાતેની અમેરિકન કોન્સ્યુલેટ ઓફિસે લઈ જાઉં છું કે જ્યાં હું મરહુમ હાજી ડો. અલીમહંમદ મુસાની મરણોત્તર ધાર્મિક મિજલસમાં હાજરી આપવા માટે વિઝા મેળવવા મારા દીકરા અકબરઅલી સાથે ઊભો છું. હું વિઝા ઓફિસર આગળ અમેરિકાનાં મુખ્ય સમાચારપત્રોમાં છપાયેલા બે અહેવાલ મૂકું છું. (૧) મરહુમ ડો. મુસા, એક તબીબ કદીય નહિ ભુલાય (Dr. Musa, Physician will be missed) (૨) બધા જ ડોક્ટરો નાણાંભૂખ્યા નથી હોતા. (Not all doctors money hungry). એ ભલા ઓફિસર ખૂબ જ શાંતિથી બંને અહેવાલ પૂરેપૂરા વાંચે છે. કોઈપણ જાતના સાધનિક કાગળોની માગણી વગર એ ઓફિસર દિલગીરી વ્યકત કરીને અમને બંનેને અમેરિકાના વિઝા આપી દે છે.

સમાચારપત્રના ઉપરોક્ત બંને અહેવાલ હું આગામી બ્લોગ પોસ્ટ તરીકે મૂકીશ કે જેથી આજના આ લેખનું શીર્ષક ‘જેનો અંત સારો, તેનું સઘળું સારું’ ન્યાયી ઠરશે. હાલનો લેખ મરહુમના સંઘર્ષને દર્શાવે છે તો આગામી લેખો તેમના સંઘર્ષના પરિણામરૂપ એવી તેમની ભવ્ય સિદ્ધિઓને ઉજાગર કરશે. છેલ્લે અત્યંત મહત્ત્વની એ બાબતની નોંધ લેવાની કે મરહુમ હાજી ડો. મુસાની સફળતા પાછળ તેમનાં પત્ની અનવરીનું પીઠબળ હતું કે જેમણે તેમને સતત આગળ ને આગળ ધપ્યે જવાની પ્રેરણા પૂરી પાડી હતી.
– વલીભાઈ મુસા

તા.ક. લેખકે ઈ.સ. ૧૯૯૪માં અમેરિકા ખાતે મરહુમની ઓફિસની મુલાકાત લીધી હતી. શાનદાર હોસ્પિટલ, બહોળો સ્ટાફ અને માત્ર નવ જ વર્ષના સમયગાળામાં ૩૦૦૦ જેટલી ફાઈલો ધરાવતું કાર્યાલય જોઈને હર્ષ અને દુ:ખ મિશ્રિત એવી અશ્રુધારા ખાળી શકાઈ ન હતી.    

(Translated from English version titled as “All’s well that ends well” published on May 21, 2007)

 

Tags: ,

(૫૧૭) મધ્યમ માર્ગ કે તટસ્થભાવ – વલીભાઈ મુસા

માનવધર્મ

માનવીય સંબંધો નાજુક હોય છે. અસહિષ્ણુતા, ગેરસમજ, અપમાનજનક વર્તન, ઈર્ષાભાવ, સ્વાર્થવૃત્તિ, ખેલદિલી કે ક્ષમાવૃત્તિનો અભાવ, તેજોદ્વેષ કે તેજોવધ, બિનતંદુરસ્ત સ્પર્ધા, જીદ, મતભેદ અને તેમાંથી મનભેદ, છેતરપિંડી, ચાડીચુગલી, નિંદા, વિશ્વાસઘાત આદિ એવાં નકારાત્મક પરિબળો છે જે માનવીય સંબંધોમાં તિરાડ ઊભી કરી શકે છે. આજનો દોસ્ત કાલે દુશ્મન બની જાય, મધુર દાંપત્યજીવન ભગ્નસ્થિતિએ પહોંચે, પાડોશી ભવોભવનો દુશ્મન બની જાય, સહકાર્યકરો બાખડી પડે, અજાણ્યાઓ સાથે પણ ક્લેશ થાય; આ બધાં વણસેલા કે વણસતા જતા સંબંધોનાં કેટલાંક ઉદાહરણો છે.

આવા વણસેલા સંબંધોને કોઈ એક પક્ષ પુન: સ્થાપિત કરવા વિના વિલંબે પ્રયત્ન કરે તો ધાર્યું પરિણામ મળી શકતું હોય છે, કેમ કે એ કડવાશ જામીને ઘટ્ટ થઈ નથી હોતી. ઘણીવાર એવું પણ બની શકે આવી ઉતાવળ સંબંધોને વધુ વણસાવે, કેમ કે બંને પક્ષ અબોલાની સ્થિતિમાં થોડોક વધુ સમય ન રહ્યા હોઈ એકબીજા પ્રત્યેનો પહેલાંનો મધુર સંબંધ તેમને સાલતો નથી.  આ મુદ્દો “Relations or persons are valued high when they are  away from us.”ના સંદર્ભે સારી…

View original post 680 more words

 
1 Comment

Posted by on March 27, 2016 in લેખ, FB