RSS

Category Archives: PDF Attachment

(346) Best of 5 years ago this month/Sep-2007 (5)

(346) Best of 5 years ago this month/Sep-2007 (5)

Click on …

 

(189) મારી વાર્તાઓ, મારી પ્રસ્તાવનાઓ – ૧૦ (લૉટરી)

Click here to read Gujarati story with Preamble in English

પશ્ચિમના દેશોમાં સરકારી લૉટરી લોકોમાં ખૂબ જ પ્રચલિત છે. લૉટરીમાંથી પ્રાપ્ત થતી આવક રાજ્યો કે દેશનાં લોકકલ્યાણનાં કામોમાં વપરાય છે. લૉટરી રમનારા બહુ જ મોટી રકમનાં રોકડ ઈનામો જીતી શકે છે અને કોઈક તો રાતોરાત ખૂબ જ ધનિક પણ થઈ શકતા હોય છે. આમ છતાંય વધારે પડતી લૉટરી રમવી એ નાણાંનો વ્યય હોવા ઉપરાંત ઘણીવાર આર્થિક મુશ્કેલીનું કારણ પણ બની શકે છે.

અહીં તમે ‘લૉટરી’ સાથે સંબંધિત એક વાર્તા વાંચશો. વાર્તાનું કથાવસ્તુ સાચી હકીકત ઉપર આધારિત છે. હું જ્યારે ૧૯૯૪માં અમેરિકા ગયો હતો, ત્યારે વાર્તામાંના પાત્ર (નામ બદલી દેવામાં આવ્યું છે) સાથે મારા મિત્ર જાફરભાઈના સ્ટોર ઉપર મારે મુલાકાત થઈ હતી. તેઓશ્રી સ્ટોરના જૂના ગ્રાહક હતા અને તેમના ચાલ્યા ગયા બાદ તેમના વિષેની સઘળી વાત મેં રસપૂર્વક સાંભળી હતી. આ સઘળી માહિતી તે વખતથી મારા મગજમાં સંગ્રહાએલી પડી હતી, જેણે આગળ જતાં ૨૦૦૩માં આ વાર્તાનું સ્વરૂપ ધારણ કર્યું હતું.

દરેક કાર્ય હંમેશાં કારણમાંથી ઉદભવતું હોય છે, કારણ નહિ તો કાર્ય નહિ. જેવાં કારણો હોય તેવાં સારાં કે નરસાં કાર્યો નિપજતાં હોય છે. કેટલાંક કાર્યો માત્ર સહજભાવે થતાં કાર્યો જ હોય છે અને તેથી પેલા સારા કે નરસા એવા વિભાગ હેઠળ આવતાં નથી. કોઈપણ વ્યક્તિ કોઈ ઘટનાને કેવા દૃષ્ટિકોણથી જૂએ છે કે વિચારે છે તે મુજબ તેની સારાનરસાની વ્યાખ્યા આકાર લેતી હોય છે. કોઈ એક કાર્ય એક જણને સારું લાગે, તો તે જ કાર્ય અન્યને ખરાબ પણ લાગી શકે. આ બહુ જ સરળ છતાંય સંદિગ્ધ લાગતી માનવના સ્વભાવની સમસ્યાને મારી વાર્તામાં વણી લેવામાં આવી છે.

અહીં મને મારા અભ્યાસકાળ દરમિયાન વાંચેલી કવિતા યાદ આવે છે. ઘણું કરીને તે કાવ્યના કવિ હતા રમણિક અરાલવાળા અને કાવ્યનું શીર્ષક હતું ‘દૃષ્ટિભેદ’. સુખ અને દુ:ખની વ્યાખ્યા ઉપર આવવા પહેલાં કવિ કેટલાંક ઉદાહરણો આપે છે. અંતે કવિ પોતાનું સુખદુ:ખ અંગેનું મંતવ્ય એ રીતે રજૂ કરે છે કે કોઈપણ પરિસ્થિતિને જોનારો તેનો દૃષ્ટા તેના દૃષ્ટિભેદ પ્રમાણે એક જ પરિસ્થિતિને સુખદાયક કે દુ:ખદાયક સમજતો હોય છે. અહીં હું અનેક ઉદાહરણો પૈકી માત્ર એક જ ટાંકીશ. આ ઉદાહરણ છે, પૂર્ણિમાની રાત્રિનું. જે લોકો આર્થિક રીતે સુખી છે અને પોતાના પ્રિયજનની સાથે છે, તેઓ પૂર્ણિમાની રાત્રિનો ભરપુર આનંદ લૂંટતા હોય છે; પણ જેઓ દુ:ખી છે અને પ્રિયજનથી દૂર છે તેઓ અને ચોર લોકો એ જ રાત્રિને ગોઝારી એટલે કે અપ્રિય ગણતા હોય છે. રાત્રિ તો એક જ છે; પણ તેને જોવાના દૃષ્ટિકોણ અલગઅલગ છે, પરિસ્થિતિઓ અલગઅલગ છે અને તેને જોનારા દૃષ્ટાઓ પણ અલગઅલગ છે. છેલ્લે કવિ કાવ્યનું સમાપન કરતાં કહે છે કે સુખ અને દુ:ખ માનવી જ નક્કી કરે છે, જ્યારે કુદરત તો હંમેશાં તટસ્થ જ હોય છે. તેને તો કોઈ લેવાદેવા નથી હોતી કે કે જુદીજુદી જાતના લોકો ઉપર કોઈ એક જ ઘટનાની કેવી કેવી અસર પડે છે. આમ આ તો કુદરતની સ્વાભાવિક પ્રક્રિયા છે કે જે પોતાની રીતે પોતાના માર્ગે મુક્ત રીતે વહ્યા જ કરે છે.

આવો અને ઉપર ચર્ચિત તત્ત્વદર્શી વાતને સમજવા માટે આગળ વાંચો. ધન્યવાદ.

– વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

લૉટરી

‘ઓ માય ગોડ ! આઈ કાન્ટ બિલીવ !’ના હૃદયદ્રાવક ઉદગાર સાથે મારિયાના હાથમાંથી બંડલ સરકીને ફ્લોર ઉપર પડી ગયું. પછી તો તે બહાવરી બનીને કબાટના પ્રત્યેક ખાનાને ફંફોસી વળી. તેના પગ આગળ એવાં જ બંડલોનો ઢગલો થતો રહ્યો. કબાટને યથાવત્ રાખીને રાડ પાડતી મારિયા પાસેની ઇઝીચેર ઉપર ઢગલો થઈને ફસકી પડી. હીબકાં ભરતી ચોધાર આંસુએ મારિયા હૈયાફાટ રડવા માંડી.

આજે વહેલી પરોઢે જ્યારે જ્યોર્જ હાર્ટએટેકથી મૃત્યુ પામ્યો હતો, ત્યારે તેની પાંપણો પણ ભીની થઈ ન હતી. ચર્ચયાર્ડમાં તેની દફનવિધિ વખતે પણ તે જ્યોર્જની ત્રાહિત વ્યક્તિની જેમ શૂન્યમનસ્ક ઊભી રહી હતી. સ્નેહીજનો શિષ્ટાચાર ખાતર મારિયાનો હાથ દબાવીને, ખભા ઉપર હાથ મૂકીને કે પછી મસ્તક ઉપર હાથ પસવારીને સૌ કોઈ શબ્દો દ્વારા અથવા મૌન રહીને દિલાસો આપતાં હતાં, તે વખતે મારિયાને આવાં કૃત્રિમ કે વાસ્તવિક આશ્વાસનોની જરૂર ન હતી; કેમ કે તે રૂઢિચૂસ્ત અને ધર્મપરાયણ સાચી અમેરિકન મહિલા હતી.

જીવન-મૃત્યુ, હર્ષશોક, અમીરી-ગરીબી, તંદુરસ્તી-બીમારીકે જીવનના કોઈપણ ચઢાવઉતારને પ્રભુની ઇચ્છા સમજનારી સ્થિતપ્રજ્ઞ આ મારિયાને કબાટ પાસેનાં લૉટરીની ટિકિટોનાં બંડલોના ઢગલાએ એવી તો અકળાવી દીધી હતી કે હવે તેના રૂદન ઉપર પોતાનો કોઈ કાબૂ રહ્યો ન હતો. દિવસભર જ્યારે તેને આશ્વાસનની જરૂર ન હતી, ત્યારે તે ફરજ બજાવનારાં ઘણાંબધાં હતાં. પરંતુ હાલ જ્યારે તેને લાગેલા આઘાતમાંથી ઊગરવું છે, ત્યારે સૂમસામ બંગલામાં પોતે અને પોતાના રૂદનના પડઘા સિવાય કોઈ ન હતું. દૂરદૂરનાં અલગ અલગ સ્ટેટમાં પોતપોતાનાં પરિવારો સાથે રહેતાં દીકરા-દીકરીઓનાં આગમન તો હવે આવતી કાલથી શરૂ થશે. શું ત્યાં સુધી પોતે રડ્યે જ જવાનું કે પછી આપમેળે જ ચૂપ થઈ જવાનું !

પરંતુ મારિયા પોતાના જ આશ્ચર્ય વચ્ચે અચાનક રડતી બંધ થઈ ગઈ. આમ થવામાં મારિયાનું પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનું સોશિઅલ સાયન્સીઝની વિવિધ વિદ્યાશાખાઓનું વાંચન સહાયરૂપ બન્યું.

મારિયાના ચિત્તે ચિંતનનાં સોપાનો ચઢવાનું શરૂ કર્યું. પ્રથમ સોપાને તેણે ભયના સંવેગ વિષે વિચારવા માંડ્યું. તેને રાજનીતિના એક પ્રચલિત સૂત્રની યાદ આવી ગઈ કે ‘ભય વિના પ્રીતિ નહિ’. રાજાશાહી કે સરમુખત્યારશાહી શાસનપ્રથામાં શાસકનો ભય પ્રજાને અનુશાસનમાં રાખે. લોકશાહીમાં પણ હળવી માત્રામાં આ જ નિયમ લાગુ પડે. પણ…પણ પ્રજાને ક્યાં સુધી ભયભીત રાખી શકાય ? ભયનું સાતત્ય ભય પામનારને કોઈક એવી પળ સુધીમાં તો એવી સ્થિતિ ઉપર લાવી દે કે પોતે ભય સામે બાથ ભીડવાની ક્ષમતા ધારણ કરી લે. પરંતુ આ તો થઈ દુન્યવી રાજ્યવ્યવસ્થાના ભિન્નભિન્ન પ્રકારોની વાત કે જ્યાં ભય ઉપર નિર્ભયતા કદાચ જીત મેળવી પણ લે !

મારિયાના ચિંતને રાજ્યશાસ્ત્ર તરફથી ધર્મશાસ્ત્ર તરફ વળાંક લીધો અને વિચારવા માંડી કે ‘પરંતુ એકમાત્ર સામ્રાજ્ય એવું છે કે જ્યાં ભયનો ભય સદા પ્રજ્વલિત જ રહે છે, કદીય ઠંડો નથી પડતો ! એ છે પ્રભુનું સામ્રાજ્ય ! ઈશ્વર એ તો સમ્રાટોનો સમ્રાટ, શાસકોનો શાસક, પોતાનાં પ્રત્યેક સર્જનોનો સર્જક; પણ પોતે તો સ્વયંભૂ જ ! ધાર્મિક વૃત્તિવાળા લોકો ડરતા હોય છે, ઈશ્વરથી; અને જે ઈશ્વરથી પણ નથી ડરતા, તે ડરતા હોય છે, મૃત્યુથી ! જો કે ઈશ્વર તો કૃપાળુ છે, કોઈને ડરાવે શાનો ! પરંતુ ધર્મશાસ્ત્રોમાં માનવીઓને ઈશ્વરથી અને મૃત્યુથી ડરવાનું પ્રબોધાયું છે.’

મારિયા જ્યોર્જના રિડીંગરૂમના કબાટ પાસેના નિષ્ફળ લૉટરીની ટિકિટોના ઢગલાને ટ્યુબલાઈટના ઝળહળતા પ્રકાશમાં જોઈ રહી અને વિચારવા માંડી કે, ‘જ્યોર્જ તેમના ચારચાર દાયકાના દાંપત્યજીવન દરમિયાન કાં તો ઈશ્વરથી ડર્યો નથી કે પછી મૃત્યુથી પણ ડર્યો નથી ! જો ડર્યો હોય તો માત્ર પોતાનાથી એટલે કે મારાથી, મારિયાથી !’

‘અરરર… જ્યોર્જે મને કેવા સ્થાને બેસાડી દીધી ! પોતાના મૃત્યુથી અને સૌના ઈશ્વરથી પણ ઉપર ! મારાથી ડરીને, મને અંધારામાં રાખીને, ચોરીછૂપીથી મને ગંધ પણ ન આવે તેવી રીતે આટઆટલાં વર્ષો સુધી લૉટરીનો જુગાર ખેલતો રહ્યો ! માન્યામાં આવતું નથી ! એ જાણતો હતો કે મારિયાને હરામની કમાણી ખપતી નથી ! એને ખબર હતી કે અમારું હંગેરીઅન ભાષાનું દૈનિક સમાચારપત્ર લૉટરીનાં પરિણામો ન છાપવાના કારણે બહોળો ફેલાવો ન પામી શકતાં વેચી દેવું પડ્યું હતું. વાચકોની વિનંતિઓ સામે મેં મચક આપી ન હતી. જ્યોર્જે મારા પ્રત્યેના પ્રેમના કારણે કે પછી મને રાજી રાખવા મારી વાત સાથે સંમત થયો હતો. જો તેનું સાચા દિલનું સમર્થન હતું, તો પછી તેના વર્તનમાં આમ કેમ બન્યું !’

મારિયા મુંઝવણમાં મુકાઈ ગઈ કે, ‘આજે જ અવસાન પામેલા જ્યોર્જને તેના આ ગુનાહિત કૃત્ય બદલ ધિક્કારવો કે પછી તેની દયા ખાવી ! તેના અનૈતિક કૃત્યથી મારી લાગણીને ભલે ઠેસ પહોંચી હોય, પણ આ અપવાદ સિવાય જીવનભર તેણે સુખ કે દુ:ખમાં ખરા દિલથી મને ચાહી છે; તો તેનો તિરસ્કાર તો કેવી રીતે કરી શકું ! વળી એ પણ તેના મૃત્યુ પછી ! જે થયું તે બદલી શકાય તેમ નથી, તો શા માટે મારે તેના આત્માને વ્યથિત કરવો !

જ્યોર્જ હયાત હોત અને આ ભંડો ફૂટ્યો હોત તો કદાચ કંઈક જુદું જ પરિણામ આવત ! મારિયાએ સહૃદયતાપૂર્વક જ્યોર્જને માફ તો કરી દીધો, પણ તેની જિજ્ઞાસા વધી પડી એ જાણવા માટે કે તેનામાં આ નકારાત્મક વલણ ક્યારથી અને કેમ દાખલ થયું ! જ્યોર્જના મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ માટેની મારિયાની ઉત્કંઠા વધી ગઈ. સમગ્ર પ્રકરણને સંતાનોથી છુપાવવાના બદલે તેમના જ સહકારથી જ્યોર્જની આ આદતના સમયગાળાને શોધી કાઢવાનું માર્યાએ વિચાર્યું. લૉટરીનાં બંડલો ઉથલાવવાથી જૂનામાં જૂની તારીખ મળી જવાની આશા બંધાઈ. વળી કોઈ ટિકિટોનો નિકાલ કરી દેવામાં આવ્યો હોય તો જે તે લૉટરીવિક્રેતા પાસેથી જ્યોર્જ તેમનો કેટલા સમયથી ગ્રાહક હતો તે જાણવું સરળ હતું. મારિયા મનોવૈજ્ઞાનિક પરિભાષામાં જાણવા માગતી હતી કે દશેક વર્ષ પહેલાં તેમનું અખબાર વેચાઈ ગયા પછી જ્યોર્જ લૉટરીના રવાડે ચઢ્યો હતો કે તે પહેલાંથી જ તેની લત હતી. જો પહેલેથી જ તેમ હોય, તો મારિયાએ વિચાર્યું કે, ‘તો દાદ દેવી પડે તેની દિલી મહાનતાને અને સાથેસાથે તેની ચતુરાઈને કે જેણે પોતાની બૉડી લેન્ગવેજથી પણ મને આ વાતનો અણસાર સુદ્ધાં ન આવવા દીધો!’

મારિયાના વિચારોએ મૂળ વાતને વળગી રહેતાં થોડીક અવળી દિશા પકડી, ‘જ્યોર્જને નાણાંની ભૂખ ન હતી. સુખેથી જીવી શકાય તેવી રોયલ્ટીની આવક હતી. સ્ટૉકના ધંધામાં કમાએલાં અઢળક નાણાંની બેંકરસીદો હતી. ભવિષ્યની સલામતી માટે વ્યક્તિગત અને સંયુક્ત વીમાઓનું રક્ષણ હતું. સંતાનોને સારામાં સારું શિક્ષણ આપ્યું હતું અને સૌ પગભર હતાં. આલીશાન બંગલો અને બંને માટેની જુદીજુદી કાર હતી. આટલું બધું હોવા છતાં અગમ્ય એવું શું કારણ હતું કે જ્યોર્જ લૉટરીના અનૈતિક માર્ગે ચઢ્યો હતો. લૉટરીમાં કમાયો હશે કે ખોયું હશે ?

મારિયાની ધાર્મિકતા અને રૂઢિચૂસ્તતાએ તેને હળવેથી એ મુદ્દે વિચારતી કરી કે ‘ઈશ્વરસર્જિત મહામૂલ્ય માનવીને આત્મનિર્ભર થવા માટે શારીરિક, માનસિક અને બૌદ્ધિક શક્તિઓ મળી છે. પરિશ્રમ અને પ્રમાણિકતાથી રોજીરોટી મેળવવાની કૌવત છતાં માનવી પોતાના ભાગ્યને બદલવા આવા ટૂંકા માર્ગ અપનાવે તે કેવું કહેવાય !’

આગળ વિચારવાનું પડતું મૂકીને મારિયા ઇઝીચેરમાંથી સફાળી બેઠી થઈ. જ્યોર્જની લૉટરીપ્રિયતાનો કોઈ સંકેત મળી જાય તે આશાએ તેણે જ્યોર્જના રાઈટીંગ ટેબલનાં ખાનાંઓને વારાફરતી ખેંચવા માંડ્યું. વચ્ચેના ખાનાના ઊંડણના ગુપ્ત ખાનામાંથી એક પરબીડિયું તેના હાથે ચઢ્યું. ઉપર મારિયાનું નામ હતું. તેણે કુતૂહલપૂર્વક ઝડપભેર વાંચવા માંડ્યું. આમાં લખ્યું હતું :

‘વહાલી મારિયા,

જીવનભર તારો ગુનેગાર બનીને હું લૉટરી રમતો રહ્યો છું. અનેકવાર ખોટાં બહાનાં બતાવીને તારાથી વિખૂટો પડીને લૉટરીની ટિકિટો ખરીદવાનું તને અપ્રિય કામ હું કરતો રહ્યો. મારું કૃત્ય માફીને લાયક ન હોવા છતાં હું આશાવાદી છું કે તું મને માફ કરશે જ. તારો ઉદ્દામવાડી સ્વભાવ તને રોકશે, પણ તારો મારા પ્રત્યેનો અનહદ પ્રેમ તને માફ કરવાની ફરજ પાડશે.

મારા મતે સરકારી લૉટરી જુગાર ન હતી. ખાનગી સટ્ટાબજાર કે કેસિનોવાળાઓ કરતાં આ લૉટરી અલગ પડતી હતી. તેની વ્યવસ્થા અને વિશ્વસનીયતા વિષે કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ હું માનું છું કે લૉટરીની રમતનો અતિરેક કોઈના જીવનને બરબાદ પણ કરી શકે. ખેર, અહીં આ ચર્ચાને હું સમાપ્ત કરું છું. પ્લીઝ, હવે આગળ વાંચ.

તું મારા જીવનમાં આવી, ત્યારે એક જીવતી-જાગતી લૉટરી જ બનીને આવી હતી. મારી પાસે ગરીબી સિવાય બીજું શું હતું ? લગ્નપૂર્વેના મારા જીવનથી તું પરિચિત હોવા છતાં ફરી પુનરાવર્તન એટલા માટે કરું છું કે સુખ અને સમૃદ્ધિનાં સ્વપ્ન મેં એ દિવસોમાં જ સેવ્યાં હતાં. કોઈક વિચારકે કહ્યું છે કે જ્યારે કોઈ માણસ સ્વપ્નો સેવતો બંધ થઈ જાય, ત્યારે માની લેવું કે તેણે મરવાની શરૂઆત કરી દીધી. સ્વપ્ન એ તો જીવનનો પ્રાણવાયુ છે. હતાશાપૂર્ણ એ દિવસોમાં સ્વપ્નોએ તો મને જીવતો રાખ્યો છે. સ્વપ્નો સિદ્ધ થવા માટે પુરુષાર્થ અને પ્રારબ્ધ જરૂરી છે. શરાબી અને લંપટ પિતાથી ત્રાસી ગયેલી મારી માતા બીજે પરણી ગઈ હતી. અમને ભાઈ-બહેનોને જીવાડવા માટે શૉપલિફ્ટીંગથી માંડીને ઘરફોડ ચોરીઓ સુધી પહોંચી ગયેલો મારો બાપ જેલમાં વધારે અને બહાર ઓછો એમ કરતાંકરતાં જેલમાં જ અવસાન પામ્યો. હું સંઘર્ષ કરતો હતો, ત્યારે મારા ભાગ્યને જગાડવા મારી પાસે માત્ર લૉટરીનો જ સહારો હતો. તને આશ્ચર્ય થશે કે તે દિવસોમાં લૉટરી મારા ભાગ્યને જગાડી શકી ન હતી, પણ તેણે મને જીવતો રાખ્યો હતો અને તે જ મારા માટે પૂરતું હતું.

જોગસંજોગે હું તારા પિતાજીના અખબારમાં મામુલી કમ્પોઝીટરમાંથી મારી મહેનત અને કામ પ્રત્યેની વફાદારી વડે મેનેજીંગ ડિરેક્ટર પદે પહોંચ્યો. આ ગાળામાં આપણી વચ્ચે પ્રણ્યના અંકુર ફૂટ્યા. તારા મહાન પિતાએ મને તારા કુટુંબમાં સમાવી દીધો. તું અઢળક સંપત્તિની એકમાત્ર વારસ અને હું માત્ર તારો સહભાગી જ બની રહ્યો. આંખના પલકારામાં તારું એ આપણું બની ગયું. મારી કૌટુંબિક જવાબદારીઓ પણ આપણી સહિયારી બની ગઈ. મારા જીવનમાં તારી સાથેનું જોડાણ એ એક રીતે તો બે આત્માઓનું જોડાણ બની રહ્યું. પ્રેમાળ, નિરભિમાની અને સંવેદનશીલ પત્ની પામવાનું સૌભાગ્ય મારા જેવા કોઈ નસીબદારને જ પ્રાપ્ત થાય. આપણા પાશ્ચાત્ય ઢબના કૌટુંબિક જીવનમાં અશક્ય ગણાય તે આપણા જીવનમાં શક્ય બન્યું. મારા માટે તો તું મૂલ્યમાં ન આંકી શકાય તેવો લૉટરીનો મોટો જેકપૉટ પુરવાર થઈ. ભૌતિક અને આધ્યાત્મિક એમ બંને પ્રકારે મૂલ્યવાન તેવી તારા જેવી મૂલ્યવાન લૉટરી સામે મેં કાગળની એકાદ કે અડધા ડૉલરની ટિકિટોને પ્રાધાન્ય આપ્યું, તેમ જો તને લાગે તો મને માફ કરી દેજે. તું મહાન છે, બાકી તને છેહ દેવા પાછળ મારી કોઈ ધનલાલસા ન હતી.

હવે હું જરૂરી મૂળ મુદ્દા ઉપર આવું છું. આપણા શહેરની વેસ્ટ એન્ડ વિસ્તારની સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકમાં મારું એક એકાઉન્ટ છે. પ્રથમ નોમિની તરીકે તારું નામ અને ઈશ્વર ન કરે અને તું હયાત ન હોય તો બીજા નોમિની તરીકે આપણા શહેરના જે તે વખતે જે હોય તે શેરીફને નિયુક્ત કર્યા છે. લૉટરીની ટિકિટો આપણી આવકમાંથી ખરીદાઈ છે, પણ નાનાંમોટાં લાગેલાં સઘળાં ઈનામો તે ખાતામાં માત્ર જમા જ થતાં રહ્યાં છે. ઉપાડ માટે મેં કોઈ ચેક્સુવિધા લીધી નથી. ખાતામાં કેટલી રકમ હશે તે જાણવાની ઇચ્છા ન થાય તે માટે મેં પાસબુક પણ મેળવેલ નથી. બેંક તરફના ખાતાને લગતા કોઈ પત્રવ્યવહાર માટે લાઈફ ટાઈમ રેન્ટ ભરેલા પોસ્ટ બોક્ષનો સહારો લીધો છે.

છેલ્લે આશા રાખું છું કે આ ખાતામાંથી જે કંઈ રકમ મળે તે ઉપરાંત મારા પોતાના પાકતા વીમાની રકમને સામેલ કરીને તેનું ફેમિલી ટ્રસ્ટ બનાવીને વ્યાજની આવકમાંથી તને ઠીક લાગે તેવી ચેરિટી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે. ઈશ્વર તને દીર્ઘાયુષ્ય બક્ષે. તું પણ મને માફી બક્ષે તે જ અભ્યર્થના સાથે વિરમું છું.

તારો અને શાશ્વત કાળ પર્યંત માત્ર તારો જ,

જ્યોર્જ’

પત્ર પૂરો થયો. આંખોમાં અશ્રુ તો ઊભરાયાં, પણ વેદના શમી ગઈ. ત્વરિત નિર્ણય લેવાઈ ગયો, ફેમિલી ટ્રસ્ટ રચી દેવાનો. ટ્રસ્ટનો બીજો કોઈ હેતુ નહિ, માત્ર એક જ કે જ્યોર્જની મૃત્યુતિથિએ વર્ષભરની આવક જેટલી લૉટરીની ટિકિટોનું જરૂરિયાતમંદ લોકોમાં મફત વિતરણ કરવું.

આનાથી વિશેષ સારી બીજી કઈ રીતે જ્યોર્જને અંજલિ આપી શકાય તેમ હતી !

-વલીભાઈ મુસા

તા.૨૧-૧૦-૨૦૦૩

 

Tags: , , , , , ,

(183) મારી વાર્તાઓ, મારી પ્રસ્તાવનાઓ – ૬ (નખ્ખોદ!)

Click here to read Gujarati story with Preamble in English

કુટુંબ ચલાવવું અને દેશ ઉપર શાસન કરવું એ બંને સમકક્ષ છે. બંનેમાં સર્વગ્રાહી આવડત જોઈએ. કુટુંબ અને દેશના સરળ અને સફળ સંચાલન માટે અનુક્રમે જરૂરી હોય છે, પ્રણાલિકાઓ અને કાયદાઓ. આ બંને સામાજિક સંસ્થાઓના વડાઓએ જીવતા લોકો સાથે કામ પાર પાડવાનું હોય છે. ઘણીબધી સમસ્યાઓ સામે આવે અને તેમનો નિવેડો સમયસર અને આદર્શ રીતે પણ કરવામાં આવે તે જરૂરી બની જાય છે. જો તેમ ન થાય તો પરિસ્થિતિ વધુ વણસે અને સમધારણ સ્થિતિને પુન: પ્રસ્થાપિત કરવાનું મુશ્કેલ તો જરૂર બની જાય, પણ અશક્ય તો ન જ ગણાય. કોઈપણ સમસ્યા તેના ઉકેલનો ઉપચાર લઈને જ જન્મતી હોય છે, શરત એ હોય છે કે તેને ઉકેલવાની શુદ્ધ દાનત હોવી જરૂરી હોય છે.

ઘણા ભાગે ગેરસમજો, અસહિષ્ણુતાઓ, અયોગ્ય રજૂઆતો વગેરે જેવી પાયારૂપ બાબતો કેટલીક કૌટુંબિક સમસ્યાઓમાં કારણભૂત બનતી હોય છે. અહીં મારી અન્ય એક અપ્રસિદ્ધ ગુજરાતી વાર્તા રજૂ કરવામાં આવી રહી છે, જે આજકાલ વિશ્વવ્યાપી મનોવૈજ્ઞાનિક એવી ‘પેઢી અંતર’ (Generation Gap) ની સમસ્યાને સમજાવવાનો પ્રયત્ન કરે છે અને જેના કારણે બધા જ સમાજોમાં કુટુંબજીવનની સાહજિકતા જોખમમાં મુકાઈ રહી છે.

આ વાર્તાની રજૂઆતની શૈલી કંઈક વિશિષ્ટ છે. મેં આ વાર્તાનાં માવતર પાત્રોને ક્યાંક વ્યક્તિગત તો ક્યાંક બંનેને ઉદ્દેશીને સંબોધન કરતાં કરતાં તેમના કુટુંબમાં ઉદભવેલી સમસ્યા અંગેના તેમના મનોવ્યાપારોને અભિવ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે. Generation Gap (પેઢી અંતર) ની સાથે સાથે અહીં એક Communication Gap (વાણીવિનિમયનો આંતરો કે શુન્યાવકાશ) પણ પોતાનો ભાગ ભજવે છે, જે ગેરસમજ ઉત્પન્ન થવા માટે જવાબદાર બને છે.

હું આપ સૌ વાંચકોને પ્રતિભાવો મળવાની અપેક્ષાએ આગળ વાંચવા નિમંત્રું છું.

– વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

નખ્ખોદ !

ભક્તિભાવ વ્યાપી જાય સમગ્ર ચેતનાતંત્રમાં એવું આ અતિ પ્રાચીન કોટ્યાર્ક મંદિર. અહીંના વાતવરણમાં મદિરાના નશા કરતાં સાવ જુદો જ નશો છે. આ નશો એટલે વૈરાગ્યનો નશો, ચિત્તની પ્રસન્નતાનો નશો, મનની શાંતિનો નશો ! દર્શનાર્થીઓનાં દિલોદિમાગ ઉપર એક અદ્ભુત આધ્યાત્મિક સામ્રાજ્યા અહીં છવાઈ જાય છે. આ મંદિરમાં પ્રસ્થાપિત થયેલી છે એક મૂર્તિ, નામે ‘માતૃકા’. બેનમૂન શિલ્પ છે મૂર્તિનું ! શિલ્પનો વિષય પણ ઉત્તમોત્તમ ! માતા અને તેની કોખમાંનું બાળક ! વાત્સલ્યભાવથી પુલકિત એવી માતાનું હૃદય જાણે કે ત્રીજું સ્તન હોય તેમ વાત્સલ્યપાનથી પરિતૃપ્ત એવું શિશુ માતાના ત્રિભંગ દેહને ચીપકી રહ્યું છે ! સંતાનભૂખપીડિત યાત્રિકો અહીં અંતર્ધ્યાન બનીને હાથ ફેલાવે છે, માથાં ટેકવે છે, અશ્રુ સારે છે !

પણ…આજે તો, રાગ અને ત્યાગની પરસ્પર વિરોધી જેમની પ્રાર્થનાઓ એક્બીજી સાથે ટકરાઈ રહી છે એવાં તમે બંને અહીં ઊભાં છો, મુકુલરાય અને ધર્મલક્ષ્મી ! વાનપ્રસ્થના આરે આવી ઊભેલાં તમે ‘માતૃકા’ને ધર્મસંકટમાં મૂકી દેતાં ઊભાં છો !

મુકુલરાય, તમે તો યોગીહઠ લઈને આંખમાંથી અંગારા ઓકતી ત્રાટક નજરે માતૃકા સામે જોઈ રહ્યા છો. તમારા ઓષ્ઠ નિશ્ચેતન, પણ મન આર્તનાદ કરી રહ્યું છે. તમારા શ્વાસની આવનજાવનમાં એક જ શબ્દ ઘૂંટાઈ રહ્યો છે, ’નખ્ખોદ ! હા, નખ્ખોદ !’. તમે માતૃકા આગળ નખ્ખોદનો શ્રાપ પ્રાર્થી રહ્યા છો ! જ્યારે, ધર્મલક્ષ્મી, તમે તો બંધ આંખે જિહ્વારટણ દ્વારા દેવીને કાકલૂદીભરી પ્રાર્થના કરતાં આશીર્વાદ યાચી રહ્યાં છો કે તમારા ત્યાં ઝટ પારણું બંધાય ! સદીઓથી પોતાની કોખમાં બાળક તેડીને ઊભેલાં માતૃકાદેવી આવી દ્વિધામાં કદીય મુકાયાં નહિ હોય કે એક જ અને તે પણ વયોવૃદ્ધ યુગલ પરસ્પર વિરોધી માગણી સાથે તેમની સામે હોય !

તમે જ્યારે સદેહે અહીં ઊભા છો, મુકુલરાય, ત્યારે તમારું મન તમને અતીત તરફ ખેંચી જાય છે અને તમે તમારા વિદ્યાર્થીકાળની હાઈસ્કૂલની પાટલી ઉપર ગોઠવાઈ જાઓ છો. તમારા અધ્યાપક તમને ‘મુકુંદરાય’ વાર્તા ભણાવી રહ્યા છે. તમારા અધ્યાપકે ભાવવાહી સ્વરે વાર્તાના અંત ભાગમાં આવતો ‘નખ્ખોદ……નખ્ખોદ !’નો જે ઉચ્ચાર કરેલો તેના જ પડઘા જાણે કે મંદિરના આ નીરવ વાતાવરણમાં ઘંટનાદની જેમ ગૂંજી રહ્યા છે અને તે જ પડઘા તમારા મનમંદિરમાં પણ ! તમે તો પેલા મુકુંદરાયના પિતા કરતાં એક ડગલું આગળ વધીને સાચે જ દેવી આગળ પ્રત્યક્ષ માગણી મૂકી રહ્યા છો, નખ્ખોદની ! એ ડોસાએ તો પોતાની વિધવા પુત્રી ગંગા આગળ વિમળશાની પીથા વણઝારાના પ્રસંગવાળી ઘટના કહીને નખ્ખોદ માટેનું પરોક્ષ કથન કર્યું હતું ! ખરેખર, મુકુલરાય, તમારી મનોવ્યથાને તમારો સિદ્ધાર્થ સમજી શક્યો હોત, તો તમે દેવી આગળ ધર્મલક્ષ્મીની પ્રાર્થનાના સહયાચક જરૂર થયા હોત !

ધર્મલક્ષ્મી, તમે પણ તમારા પતિની મનોવેદનાથી સુવિદિત તો ખરાં, પણ તેની પરાકાષ્ઠાથી અજ્ઞાત છો; નહિ તો તમારા એક માત્ર સિદ્ધાર્થના નખ્ખોદની માગણી કરતા તમારા પતિને તમે જરૂર વારી દીધા હોત ! તમે જ્યારે માતૃકા આગળ પુત્રવધૂ યશોધરાનો ખોળો ભરાય તેવી પ્રાર્થના કરી રહ્યાં છો, ત્યારે તમે પણ યશોધરાની ઉંમરે પહોંચી જતાં તમારા ભૂતકાળને વાગોળવા માંડો છો. તમને સિદ્ધાર્થનો જન્મસમય યાદ આવી જાય છે. તમારી પ્રથમ લગ્નતિથિની ઉજવણીમાં જાણે કે સહભાગી થવા ઉતાવળે આવી પહોંચેલો એ સિદ્ધાર્થ ! એ વખતે તમારું સંયુક્ત કુટુંબ હતું. આ કુટુંબપ્રથામાં માબાપ સંતાનજન્મનો આનંદ બાહ્ય રીતે પ્રગટ કરી શકે નહિ, કંઈક એવી પરંપરાકે કે પછી વડીલોની મર્યાદાના કરણે ! તમારા માટે આનંદ હતો કે કેમ તે વિચારવાની પણ તમારામાં સૂઝબૂઝ ન હતી. આમ છતાંય આગંતુકને જન્મતો અટકાવવાની તમારા પતિની દરખાસ્તને તમે પ્રેમપૂર્વક ફગાવી દીધી હતી. તમે સિદ્ધાર્થને જન્મવા દીધો હતો.

સિદ્ધાર્થ પૂવે, ધર્મલક્ષ્મી, તમે બંને પ્રણયરેખાનાં સામસામાં બિંદુઓએ હતાં. તમારી દૃષ્ટિઓ એકબીજા તરફ મંડાયેલી હતી. પણ પછી તો તમે ત્રિકોણ બની ગયાં, ત્રિકોણ જ રહ્યાં ! હા, ત્રિકોણ જ ! સિદ્ધાર્થને ભાઈ કે બહેનની ભેટ આપવાની તમારી હિંમત ન ચાલી ! પ્રથમ પ્રસુતિનો એ કપરો કાળ પિયરમાં વીત્યો હતો. સિદ્ધાર્થ ઉદરમાં હતો, ત્યારથી જ તમારે કડવાં ઔષધ પીવાં પડેલાં ! પ્રસવકાળ એટલે મૃત્યુ તરફની અડધી મંઝિલ ! કાં તો મૃત્યુ તરફ ધકેલાઈ જવાનું અથવા જીવન તરફ પાછા ફરી જવાનું ! જન્મતાં જ સિદ્ધાર્થ ખૂબ કષ્ટ આપી ગયો, ખૂબ ખૂન વહાવી ગયો ! વળી જન્મ્યા પછી પણ તમારું ખૂન ચૂસતો રહ્યો ! હા, સફેદ ખૂન ! ચાલવા શીખ્યો તેથી પણ અધિક સમય સુધી તમે તેને સ્તનપાન કરાવતાં જ રહ્યાં. તમારા અંગસૌષ્ઠવને અવગણીને પણ તમે તમારી છાતી નિચોવતાં જ રહ્યાં ! સિદ્ધાર્થ આકળો પણ એવો જ કે કળ ન કરે ! ઘરનાં બધાંને પ્રત્યેક રાત્રિએ જન્માષ્ટમીનાં જાગરણ કરાવે ! તમારી કેટલીય રાત્રિઓ એવી વીતતી કે સવાર પડી જતી. પણ, ધર્મલક્ષ્મી, તમે તો જનેતા હતાં. સંતાનઉછેર પાછળનાં કષ્ટોનો હિસાબ જનેતા પાસે કદીય ન હોય ! નવીન પ્રભાત ઊગતું અને જૂના હિસાબો ભૂંસાતા રહેતા !

પરંતુ, મુકુલરાય, તમારાં છેલ્લી બે જ રાત્રિનાં જાગરણ એવાં રહ્યાં કે સિદ્ધાર્થ પ્રત્યેના તમારા અને તમારાં પત્નીના પ્રેમ અને પુરુષાર્થના સરવાળા મોટા જ થતા ગયા, એકેય રકમ ભૂંસાતી ન હતી. તમે વેપારી અને એ પણ ગ્રોસરીના પાકા વેપારી ! પરચુરણ સામાનથી માંડીને જથ્થાબંધ ચીજોનો વેપાર કરતા તમે હિસાબખિતાબમાં એક્કા હતા. તમારી નજર આગળ સિદ્ધાર્થના જન્મથી માંડીને એ એકાદ મહિના પહેલાં ગૃહસ્થી બન્યો ત્યાં સુધીનાં દૃશ્યો આવી ગયાં. છેલ્લા પખવાડિયામાં તો સાવ બદલાતો જતો સિદ્ધાર્થ તમારી ચકોર નજર આગળ ઉઘાડો પડતો જતો હતો. યશોધરાના મોહપાશમાં બંધાતો જતો સિદ્ધાર્થ પેઢી ઉપર આવતો તે પણ ઉછીનો ઉછીનો ! મુકુલરાય, તમારી વૈશ્યબુદ્ધિને એ સમજતાં વાર ન લાગી કે તમારી ભણેલીગણેલી અને રૂપાળી પુત્રવધૂના પ્રભાવ આગળ તેનું વ્યક્તિત્વ ઓગળતું જતું હતું. એકાદ મહિનાનાં કદાચ યશોધરાનાં નિશાભાષણો તેનામાં ધંધા પ્રત્યેની સૂગ ઉત્પન્ન કરવા માટે સમર્થ પુરવાર થયાં હતાં ! તમે તેની સાન ઠેકાણે લાવવા મધ્યસ્થી તરીકેની અસરકારક ભૂમિકા ભજવી શકે તેવા કોઈક પાત્રની શોધ ચલાવી રહ્યા હતા. તેના મિત્રો વિષે તમને ઊંડી જાણકારી ન હતી. આવા સંવેદનશીલ પ્રશ્ન સાથે તમે તેની સામે સીધા આવવા માગતા ન હતા, કેમ કે આમાં પિતાપુત્રની મર્યાદા લોપાવાનો ભય હતો. તમારી પાસે એવા પાત્ર તરીકે એક્માત્ર ધર્મલક્ષ્મીનો જ વિકલ્પ બાકી રહેતો હતો. ઘરની વાત ઘરમાં જ સીમિત રાખવા માટે આ જ ઉત્તમ માર્ગ હતો.

પણ અફસોસ, મુકુલરાય ! તમારી યોજના મનમાં જ રહી ગઈ અને એ સાંજે સિદ્ધાર્થે મર્યાદાની પાળ તોડી નાખતાં કોઈપણ જાતની પૂર્વભૂમિકા વગર તમને સીધું જ પૂછી નાખ્યું હતું, ‘પિતાજી, એ પરિચારિકાની તાલીમ લેવા માગે છે અને હું પણ તેની સાથે રહીને ખાનગી નોકરી કરું તો !’

સિદ્ધાર્થના આ શબ્દો સાંભળીને, મુકુલરાય, તમે ચોંકી ઊઠ્યા હતા. તમારા મસ્તક ઉપર તમારી દુકાનનાં તોલમાપ અને ત્રાજવાં જાણે કે પટકાવા માંડ્યાં હતાં ! તમારા ઉપર ચીજવસ્તુઓના ડબ્બા ઠલવાતા હોય અને અનાજના કોથળાઓના ભાર નીચે તમે ભીંસાતા-ગૂંગળાતા હોવ તેવું તમે અનુભવ્યું હતું ! વહુઘેલા સિદ્ધાર્થને તેની પરિચારિકાપત્નીનો પરિચારક થયેલો તમે જોઈ રહ્યા હતા ! વિચારતંદ્રામાં તમે એવા તો ખોવાઈ ગયા હતા, મુકુલરાય, કે સિદ્ધાર્થે જ તમને પુન:પ્રશ્નથી જાગૃત કર્યા હતા કે, ‘પિતાજી, મારી વાતનો પ્રત્યુત્તર ન વાળ્યો !’

આ સાંભળીને, મુકુલરાય, તમે હસવાનો પ્રયત્ન કરતા બોલી ઊઠ્યા હતા કે ‘ધંધામાં ઘણીબધી મહેનત છે. તારો વિચાર ખોટો નથી. મુનિમ અને હું અહીંનું ગબડાવ્યે જ જઈશું. વ્હાઈટ કોલર લાઈફ તો જીવી શકાય ! વળી આવકના નવીન બે સ્રોત વધશે, તમારી બંનેની નોકરીથી !’ આમ તમારા તરફની લીલી ઝંડી મળી ગઈ સમજીને તમારો સિદ્ધાર્થ તો હરખપદુડો થઈ ગયો હતો.

મુકુલરાય, આ પ્રસંગ પછીની પહેલી રાત તમારા માટે જાણે કે પ્રલયની રાત પુરવાર થઈ હતી ! તમે લાખ પ્રયત્ને ઊંઘી શક્યા ન હતા. કૉમ્પ્યુટર જેવા તમારા મગજના સ્કીન ઉપર એક દૃશ્ય આવી ગયું હતું. સિદ્ધાર્થ યુવાનીના ઉંબરે આવી ઊભો હતો. તે વરણાગિયો થતો જતો હતો. પેઢીના એ રજાના દિવસે એ બજારમાં લટાર મારવા ગયો હતો અને ઓસરીએ તેનો મોકલેલો ધોબી તેનાં કપડાં લેવા આવી ઊભો હતો. કરકસરવૃત્તિવાળાં ધર્મલક્ષ્મીને મન આ ભારે વાત હતી. તેમના અણગમાના ભાવને પારખી જતાં તમે તેમને સમજાવી દીધાં હતાં કે, ‘તને તેનાં કપડાંની બરાબર ઈસ્ત્રી કરતાં આવડતું નહિ હોય !’ વળી ધોબીના ગયા પછી તમારા રમતિયાળ સ્વભાવ મુજબ મરકમરક હસી પડતા તમે બોલ્યા હતા, ‘જોજે પાછી, તેની સ્ત્રી કરવામાં કાચી ન પડે ! આમાં તો ધોબીથી સર્યું, પણ પછી આગળ આપણે ધોબીના કૂતરા જેવી સ્થિતિમાં ન મુકાઈએ !’ તમારી આ મીઠી મજાકથી ધર્મલક્ષ્મી ‘જાઓ લુચ્ચા !’ કહીને ખડખડાટ હસી પડ્યાં હતાં.

આ પ્રસંગને યાદ કરતા, મુકુલરાય, તમે જ્યારે અસહ્ય વેદનાની આગમાં શેકાઈ રહ્યા હતા; ત્યારે તે જ રાત્રિએ તમારાં પત્ની બાજુના જ ઢોલિયામાં ઘસઘસાટ ઊંઘી રહ્યાં હતાં. તમારા જાગરણની એ ગોઝારી રાત્રિએ, મુકુલરાય, તમે વર્તમાનમાં આવી જતા સિદ્ધાર્થની સ્ત્રી વિષેના વિચારોના વમળમાં ઘુમરાવા માંડ્યા હતા. તમને એ સાંજના પ્રસંગથી એક વાતની પ્રતીતિ થઈ ચૂકી હતી કે સાચે જ તમે અને ધર્મલક્ષ્મી યશોધરાની પસંદગીમાં ક્યાંક ભૂલથાપ ખાઈ બેઠાં હતાં ! પુત્રપ્રેમના અતિરેકમાં તમે કન્યાપસંદગીમાં તેના જ દૃષ્ટિકોણને વિશેષ પ્રાધાન્ય આપ્યું હતું અને તમારા ભાવી પરત્વે દુર્લક્ષ સેવ્યું હતું. યશોધરા ભણેલી હતી, સુંદર હતી. રંગે થોડીક શ્યામ છતાં મોહક હતી. બંનેની બરાબરની જોડી જામે તેવી હતી. પ્રગતિશીલ વિચારો ધરાવતું તેનું કુટુંબ હતું. બહોળા પરિવારની તે એક માત્ર લાડલી પુત્રી હતી. બધું શ્રેષ્ઠ હતું, પણ કદાચ તેની સંસ્કારિતાની ઊંડી તપાસ અજાણતાં અવગણાઈ ગઈ હતી. સિદ્ધાર્થના બદલાતા જતા વર્તનની પાછળ યશોધરાનો દોરીસંચાર હોવાનું તમારું અનુમાન હતું અને એ અનુમાન સાંજના પ્રસંગથી વાસ્તવિક પુરવાર થયું હતું ! યશોધરાનું પોત પરોક્ષ રીતે સિદ્ધાર્થના શબ્દોથી પ્રકાશ્યું હતું. એકનો એક પુત્ર ધંધાનો – વૃદ્ધાવસ્થાનો સહારો બનવાના બદલે તે તમને તમારી હાલત ઉપર છોડી દઈને પોતાની નવીન દુનિયામાં ખોવાઈ જવા માગતો હોય તે વાત તમારા ગળે ઊતરતી ન હતી અને છતાંય આ એક હકીકત હતી.

આમ મુકુલરાય, તમારી યાદદાસ્તના ચોપડામાં લખાયેલું ખૂબ લાંબું ચાલેલું સિદ્ધાર્થનું ખાતું તાજું થયું હતું. તમે તેની સાથેની લેવડદેવડમાં ઘણું ધીરી બેઠા હતા ! ધર્મલક્ષ્મી તરફના કર્તૃત્વનો હિસાબ તો જુદો હતો. સામા પક્ષે દેવાળિયા સિદ્ધાર્થે તેના હાથ ઊંચા કરી દીધા હતા ! વળતરરૂપે કશું જ પાછું ફરવાની આશા રહી ન હતી. તમને લાગ્યું હતું, મુકુલરાય, કે સિદ્ધાર્થ પ્રત્યેનો તમારો પિતૃપ્રેમ ખોટનો વેપાર પુરવાર થયો હતો; જે તમારે ચોપડાના પીળા પાને લખવા સિવાય કોઈ આરોચારો ન હતો.

મુકુલરાય, તમારા વિષાદની આ સ્થિતિમાં કેટલીક સુખદ પળો પણ તમને યાદ આવી જતી હતી. સિદ્ધાર્થના વેવિશાળટાણે તમે ધર્મલક્ષ્મીના કાનમાં એક વાત કહીને તેમને રાજીનાં રેડ કરી દીધાં હતાં. એ વાત હતી, તમારા ભાવી પૌત્રના નામકરણની ! તમે નક્કી કરી બેઠા હતા કે યશોધરા જ્યારે પણ તમારા પરિવારને પુત્રરત્નની ભેટ ધરશે, ત્યારે તેનું નામ ‘રાહુલ’ જ પાડવામાં આવશે ! સિદ્ધાર્થને યશોધરા નામધારી પત્ની મળવી તે કેવળ જોગસંજોગ જ હતો. ભગવાન તથાગતનું નામ સિદ્ધાર્થ જ હતું. મુકુલરાય, તમે ભાગ્યબળે જોડાયેલાં સિદ્ધાર્થ અને યશોધરાના ભવિષ્યે જન્મનાર પુત્રનું નામ ‘રાહુલ’ ધારી બેઠા હતા, તેની પાછળ એ જોગસંજોગનો પૂરો લાભ લઈને એ ત્રણેય નામની ત્રિપુટી રચી દેવાનો તમારો ખ્યાલ હતો ! તમારા મનમાં એવી કંઈક ગણતરી પણ મુકાઈ ગએલી કે ભગવાન તથાગતની જેમ જગકલ્યાણ અર્થે તો નહિ, પણ પરિવારકલ્યાણ ખાતર પણ તમારો સિદ્ધાર્થ યશોધરા અને રાહુલના મોહપાશમાં બંધાયા સિવાય તમારી ઉભયની વૃદ્ધાવસ્થા, બીમારી અને સુખદ મૃત્યુના ઈલાજરૂપ જરૂર બનશે ! પણ મુકુલરાય, જીવનમાં બધું જ માનવીનું ધાર્યું ન થતું હોવાના ન્યાયે સિદ્ધાર્થના જીવનમાં પરણ્યા પછીના એક જ માસમાં એવું કંઈક વિપરિત બની ગયું હતું કે તમારો સિદ્ધાર્થ તમને બેઉને ઊંઘતાં રાખીને તમારાથી દૂરદૂર યશોધરા તરફ ખેંચાઈ ગયો હતો ! રાહુલ તો હજુ જન્મવો બાકી હતો ! આ તેનું મહાભિનિષ્ક્રમણ તો નહિ, પણ અલ્પબુદ્ધિક્રમણ તો જરૂર હતું; કે જેણે તમારા માટે કદાચ સંન્યાસનો વિકલ્પ જ ખુલ્લો રાખ્યો હતો !

યશોધરાએ સિદ્ધાર્થને કામણ કર્યું હતું કે પછી સિદ્ધાર્થને યશોધરાનું કામણ થયું હતું, તે તમે નક્કી કરી શક્યા ન હતા, મુકુલરાય. નવીન સર્જાયેલી કે સર્જાવા પામતી કૌટુંબિક પરિસ્થિતિ માટે રહીરહીને તમારું મન યશોધરાને જવાબદાર ઠેરવતું હતું. મુકુલરાય, આ તમારું પક્ષપાતી વલણ હતું; કેમ કે તમે ઊંડેઊંડે સિદ્ધાર્થને તમારો પોતીકો ગણતા હતા, જ્યારે યશોધરા તમારે મન પરાઈ હતી. વ્યવસાયપસંદગી કે જીવનશૈલી એ વ્યક્તિગત બાબત હોવાનું તમે સ્વીકારતા પણ હતા. આમ સિદ્ધાર્થનો આવો કંઈક સ્વતંત્ર નિર્ણય હોત તો તમને આટલું બધું દુ:ખ થયું ન હોત ! પરંતુ તમે સ્પષ્ટ જોઈ રહ્યા હતા કે સિદ્ધાર્થના આ વિચાર પાછળ કોઈ આત્મનિર્ભરતાનો આદર્શ ન હતો, પણ યશોધરાનું વશીકરણ જ કારણભૂત હતું. તમે સિદ્ધાર્થને તેની જીવનગાડી ઇચ્છિત દિશાએ લઈ જવા કપાતા દિલે અનુમતિ આપી દીધી હતી, કેમ કે તમે તમારી અનુભવી આંખે પ્રાચીન અને અર્વાચીન વિચારધારાઓનો ટકરાવ તમારા નાનકડા પરિવારમાં થતો જોઈ રહ્યા હતા. સિદ્ધાર્થ અને યશોધરાની દુનિયાના વ્યાપમાં, મુકુલરાય, તમારા જેવાં જૂનવાણી અને વારસાગત વ્યવસાયનાં બંધાણી આવી શકે તેમ ન હતાં ! તેમને નવી પાંખો ફૂટી હતી, તેમને નિરંકુશ ઉડ્ડયન કરવું હતું. તેમની પાંખો તમારો ભાર વહી શકે તેમ ન હતી ! અને સાચે જ સિદ્ધાર્થે તો પોતાની પાંખો નીચી ઢાળી દઈને તમને ધરતી ઉપર પટકી દીધા હતા, કદાચ ધર્મલક્ષ્મી જ યશોધરાની પાંખે વળગી રહ્યાં હતાં !

મુકુલરાય, તમે અતીતને વાગોળી લીધા પછી વર્તમાનમાં પાછા ફરતા ધર્મલક્ષ્મીને તેમની પૂજાપ્રાર્થનામાં લીન રહેવા દઈને ચૂપકીદીપૂર્વક મંદિરના ઓટલે આવી બેસો છો. વિચારવા જેવું અને ન વિચારવા જેવું એમ સઘળું વિચારતા વિચારધૂમ્રના ગોટેગોટામાં તમે જ્યારે ગુંગળાઈ રહ્યા છો, ત્યારે તમને ખબર પણ ન પડે તેવી રીતે ધર્મલક્ષ્મી તમારો ખભો હલાવતાં વિનમ્રભાવે તમને પૃચ્છા કરે છે કે તમે દેવી પાસે શું યાચ્યું ? આંખોમાં છલકાઈ જવા મથતાં અશ્રુને ખાળતા તમે મુકુલરાય સહસા બોલી ઊઠો છો, ‘નખ્ખોદ !’. આ સાંભળીને હતપ્રભ બની જતાં, ધર્મલક્ષ્મી, તમે દયામણા ચહેરે અને ફાટી પડતા અવાજે પૂછી નાખો છો, ‘રે જીવ, પણ કોનું અને શા માટે ?’

ત્યારે મુકુલરાય, તમે મિતાક્ષરી પ્રત્યુત્તર વાળતાં બોલો છો, ‘સિદ્ધાર્થનું, યશોધરાનું; એ બંનેનું !’

ધર્મલક્ષ્મી, તમે માથે વીજળી ત્રાટકી હોય તેમ ચીસ પાડતાં અને મુકુલરાયના મોંઢે હાથ દેતાં બોલી ઊઠો છો, ‘નહિ નાથ…, નહિ !’. પરંતુ મુકુલરાય, તમે તો ગુસ્સાની આગમાં ભભૂકી ઊઠતા અસ્ખલિત વાક્ધોધપ્રપાત કરતા ગર્જી ઊઠો છો, ‘એ બંને સંતાનપ્રાપ્તિ માટે તરફડવાં જોઈએ ! એમની કૂખે રાહુલ ન જન્મવો જોઈએ ! એમને એમાં સુખ મળે કે ન મળે, પણ દુ:ખ તો નહિ જ મળે એની મને ખાત્રી છે; એવું દુ:ખ કે જે હું પુત્ર પામવાથી અનુભવી રહ્યો છું ! કોઈ માણસ માથે અસહ્ય દુ:ખ આવી પડે, ત્યારે પ્રભુને પ્રાર્થતાં એમ બોલતો હોય છે કે તેવું દુ:ખ દુશ્મનને પણ ન હજો ! સિદ્ધાર્થ આપણો દુશ્મન તો નથી જ ને ! એ તો આપણો પુત્ર છે ! આ મારો-આપણો સંતાનપ્રેમ જ છે !’

તમે બહાવરાં બનીને, ધર્મલક્ષ્મી, તમારા પતિનો પુણ્યપ્રકોપ સંભળી રહ્યાં છો. મુકુલરાય તેમની શ્રાપપ્રાર્થનાને આશીર્વાદની પ્રાર્થનાનો અંચળો ઓઢાડવા મથી રહ્યા છે. આ તેમનો વિચિત્ર વ્યાખ્યાવાળો પુત્રપ્રેમ હતો કે યશોધરા પ્રત્યેનો કટુભાવ એ સમજવામાં, ધર્મલક્ષ્મી, તમે ઊણાં ઊતરો તેમ છો; કેમ કે તમારામાં નિખાલસતા અને ભોળપણ છે. વળી એ સમજવું તમારા માટે જરૂરી પણ નથી, કારણ કે તમે જે જાણો છો તે મુકુલરાય નથી જાણતા ! ગેરસમજથી પીડાતા એવા મુકુલરાયને હાથ જોડીને કરગરતાં જરા ધીરજ રાખવાનું કહીને તમે વિગતે વાસ્તવિકતા રજૂ કરતાં કહેવા માંડો છો :

‘ભલા, તમે છેલ્લા બે દિવસથી અકળાતા-મૂંઝાતા મને લાગતા હતા, પણ તમારું દુ:ખ આટલી હદે પહોંચ્યું હશે તેની તો મને કલ્પના સરખી પણ ન હતી ! જીવનભરની સુખદુ:ખની સાથી એવી મને અંધારામાં રાખીને તમે એકલાએકલા તમારા જીવને ટૂંપતા રહ્યા ! માતૃકા ખોવાયેલાં સંતાનોને પાછાં પણ મેળવી આપે છે, સમજ્યા ? આપણો સિદ્ધાર્થ યશોધરામાં ખોવાઈ જવા માગતો હતો, પણ એ સમજદાર છોકરીની સમયસૂચકતાએ તેને વેળાસર ઠેકાણે લાવી દીધો છે. તેણે નર્સીંગનું ભણવા જવાનું માંડી વાળ્યું છે. માતૃકાનો આભાર માનવા તો હું તમને અહીં ખેંચી લાવી છું ! માતૃકાનાં દર્શન પછી જ તમને ખુશખબરી સંભળાવવાના મોહમાં અનર્થ સર્જાઈ ગયો ! યશોધરાએ મને માંડીને વાત કહી દીધી હતી કે આપણા લાડલાએ તમને સંતાપ્યા છે. એ ગરીબડીએ તો સહજભાવે સિદ્ધાર્થ આગળ પોતાનો એક વિચાર મૂક્યો હતો કે આપણે સંમતિ આપીએ તો તે નર્સીંગનું ભણવા જાય ! ભણી આવીને ગામમાં જ ખાસ કરીને પ્રસુતાઓની સેવા કરે. તેના મનમાં સદભાવનાનું આ બીજ મારી પોતાની પ્રસુતિપીડાની વાતો સાંભળીને જ રોપાયું હતું. તેની ગણતરી હતી કે તમે દયાળુ જીવ છો એટલે આ કાર્યમાં પ્રેરક બનશો જ. પરંતુ મૂર્ખી ભૂલથાપ ત્યાં ખાઈ ગઈ કે એ કામ મને સોંપવાના બદલે આવી ભલાઈની વાતનો યશ તેના પતિને મળે તેવા લોભમાં પડી ! સિદ્ધાર્થને એ વાત કહેતાં ન આવડી ! ગાંડિયાની અર્ધા સુધીની વાત બરાબર હતી, પણ તાજાં પરણેલાં અને બેત્રણ વર્ષ સુધીના વિરહનો વિચાર આવતાં તેણે પોતાના તરફની ન કહેવાની વાત કરી નાખી, જે તમને ખૂબ ભારે પડી ગઈ, નહિ ! અને ધર્મલક્ષ્મી, તમે મુકુલરાયને હસાવવાના હેતુસર તેમના ગાલ ઉપર ચૂંટી ભરતાં માર્મિક કથન કરો છો, ‘બાપ તેવા બેટા ! તમે પણ હું પિયર જતી અને એકાદ દિવસ પણ વધુ રોકાઈ જતી, તો કેવા ધુઆંપુઆં થઈ જતા હતા !’

પણ… મુકુલરાય, હકીકતની સચ્ચાઈની જાણ થતાં ધર્મલક્ષ્મીની મજાકમશ્કરીભરી વાત સાંભળીને હસવામાં તમને રસ નથી. તમે તો તમારી જાતને કોસતા અને મનોમન યશોધરાની માફી માગતા માતૃકાદેવી તરફ હરણફાળે ધસી જાઓ છો. દેવીનાં ચરણોમાં ઢગલો થઈ જતા નાના બાળકની જેમ રડી પડતા તમે પ્રાર્થી ઊઠો છો, ‘માફ કર ! હે માતા, મને માફ કર ! હું અપરાધી છું ! હું મારા સમગ્ર કૂળને ભરખી જવા રાક્ષસ બન્યો હતો ! તું કરૂણાદેવી છો ! તારી બંને બાજુએ શોભી ઊઠે તેવી મારા પરિવારની આ દેવીઓને ખાતર પણ તું અમને રાહુલ દે !’

ધર્મલક્ષ્મી અને મુકુલરાય, તમે જ્યારે માતૃકાની વિદાય લેતાં પાછાં પગલાં ભરી રહ્યાં છો, ત્યારે પરમ સંતોષના નશામાં તમે એવાં ચકચૂર બની જાઓ છો કે તમારા આયખાનો થાક ઊતરી જાય છે !

-વલીભાઈ મુસા

(તા.૧૦-૦૨-૧૯૯૨)

 

 

 

 

Tags: , , , , , , ,

(182) મારી વાર્તાઓ, મારી પ્રસ્તાવનાઓ –૫ (દીકરીવહુ)

Click here to read Gujarati story with Preamble in English

અહીં નીચે મારી એક ગુજરાતી વાર્તા આવશે. ટૂંકમાં કહું તો આ વાર્તા છેક ૧૯૮૦માં લખાઈ હતી, પણ થોડાક સમય પહેલાં એક હિંદી ચલચિત્ર ‘બાગબન’ પ્રદર્શિત થયું છે અને જોગસંજોગે મારી વાર્તા અને ચલચિત્રની પટકથામાં થોડાઘણા અંશે મળતાપણું આવે છે. આવું ઘણીવાર બનતું હોય છે, કેમ કે છેવટે તો લેખકો સમાજમાંના લોકોના જીવાતા જીવનમાંથી જ પાત્રોનાં સર્જન કરતા હોય છે. કોઈક વિચાર એક જ હોય, પણ જુદાંજુદાં પ્રસાર માધ્યમોમાં તેની રજૂઆતો એકબીજાથી અલગ પણ હોય!

સાહિત્યમાં, ઘણીવાર આલંકારિક પ્રતિકાત્મક શબ્દપ્રયોગો એક અથવા બીજી રીતે તેમ જ યથાવત્ અથવા ઓછા કે વધતા અંશે રૂપાંતરિત સ્વરૂપે મળતા આવતા હોય છે. જ્યારે હું અનુસ્તાક કક્ષાએ અભ્યાસ કરી રહ્યો હતો, ત્યારે એકીસાથે મારે ગુજરાતીમાં શ્રી ગોવર્ધનરામ એમ. ત્રિપાઠી રચિત ‘સરસ્વતીચન્દ્ર’ ભાગ-૪ અને અંગ્રેજીમાં Thomas Hardy રચિત ‘The Return of the Native’ વાંચવાનું બન્યું હતું. મેં મારા ગુજરાતી અને અંગ્રેજીના બંને વિભાગીય વડા સાહેબોના ધ્યાને એક વર્ણનની તે બંનેમાં સામ્યતા હોવાની વાતને લાવી દીધી હતી. બંને વર્ણનો અનુક્રમે નદી અને પહાડી પગદંડી વિષેનાં હતાં. એ બંનેમાં સામાન્ય શબ્દસમૂહો કે વાક્યો કંઈક આ પ્રમાણે હતાં : “તે (બંને) વયોવૃદ્ધ માણસના માથા ઉપરની સેંથી (Parting line) ની જેમ પસાર થઈ રહ્યાં હતાં.”

હવે, આપણે મારી અહીંની વાર્તાની પ્રસ્તાવનાના મુખ્ય મુદ્દા ઉપર આવીએ. અહીં આર્થિક રીતે મધ્યમ સ્થિતિ ધરાવતા એક કુટુંબની વાત છે. વિશ્વ આખાયમાં વૃદ્ધોની સમસ્યાઓ અને દુ:ખો એક સમાન જ હોય છે. તેમનાં વસવાટનાં સ્થળો બદલાય, તેમની ચામડીનો રંગ બદલાય, તેમના સમાજો બદલાય, તેમની પરિસ્થિતિઓ કે વાતાવરણો બદલાય; પણ, એ સઘળાં એકાકી હોય કે સજોડે હોય તેવાં તમામ વૃદ્ધજનોના કૂટપ્રશ્નો તો લગભગ એક જેવા જ હોય છે! યુવાનોએ વિચારવાનું રહે છે કે તેમના જીવનમાં પણ એક દિવસ એવો આવશે જ કે જ્યારે તેમને પણ વયોવૃદ્ધ થવું પડશે અને તેઓ હાલમાં પોતાનાં વડીલો સાથે જેવો વ્યવહાર કરશે, તેવા જ વ્યવહારનો અનુભવ તેમને પણ કદાચ પોતાનાં સંતાનોથી થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે જ. એમ કહેવાય પણ છે કે ‘વારા પછી વારો’ અને ‘જેવું વાવો તેવું લણો’.

‘દીકરીવહુ’ નાં વયોવૃદ્ધ પાત્રો જે કંઈ દુ:ખની લાગણીઓ અનુભવે છે તેને સમજવા અને તેમનાં દુ:ખોમાં સહભાગી થવા આગળ વાંચો.

– વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

દીકરીવહુ !

આ છે મુકુંદરાય. તેમના હાથમાં બકાલું ખરીદવા માટેની લાકડાની દાંડીવાળી થેલી છે. એકધારી ધીમી ગતિએ પોતે શાકમારકીટ તરફ જઈ રહ્યા છે. સફાઈદાર પાટલી પાડેલી ધોતી અને લોનના શ્વેત ઝભ્ભામાં તેઓ સજ્જ છે. ભદ્ર ગુજરાતી પોષાકમાં માથે સફેદ ટોપી માત્ર જ ખૂટે છે. છતાંય સંપૂર્ણ સફેદ થઈ ગએલા માથાના વાળ કદાચ ટોપીની જ ગરજ સારી રહ્યા છે. પોતે વન વટાવી ચૂક્યા છે.

થોડુંક ચાલ્યા પછી ચોક આવે છે. ત્યાંથી જમણી તરફ વળતાં આગળ શાકમારકીટ આવે છે. વચ્ચે આવે છે, તેમની હંમેશની પ્રાત:કાલીન પ્રથમ ખરીદી માટેની પાનની દુકાન. ખરીદી થતી આવી છે, મસાલેદાર ‘મિલન’ મુખવાસની બે પડીકીની ! બીજી દુકાનેથી નહિ,વળી ‘મિલન’ જ. દુકાનદાર કદી ખૂટવા દેતો નથી. અઠવાડિક ગુમાસ્તા ધારાની રજાના આગલા દિવસે તો ચાર પડીકી !

મુખવાસની બંને પડીકીઓ ગજવામાં સરકાવતા પોતે આગળ સરકે છે. વચ્ચે બસસ્ટૉપ આવે છે. પગ થંભી જાય છે. બાંકડા પર થેલી બિછાવીને બેસે છે. નજર મંડાઈ રહે છે, પોતે જે દિશામાંથી આવ્યા છે તે દિશા તરફ.

ઓચિંતુ તેમના ચહેરા ઉપર સ્મિત તરવરી ઊઠે છે. આંખો ઘેલછાભરી રીતે ક્ષણભર નાચી ઊઠે છે. વુદ્ધનું મન જાણે બોલી ઊઠે છે, એક કાવ્યપંક્તિના થોડાક ફેરફાર સાથેના શબ્દો : ‘તારા મારા મધુર મિલનનું હંમેશનું આ પ્રભાત !’

આગંતુક બાંકડા સમીપ આવે છે. આખો બાંકડો ખાલી હોવા છતાં વૃદ્ધ થોડા સરકીને જગ્યા આપે છે. આવનાર નિ:સંકોચપણે પાસે ગોઠવાઈ જાય છે. ચાલવાના પરિશ્રમને કારણે થોડીક હાંફ ચઢી ગઈ છે. મુકુંદરાયની નજર આવનારના ચહેરા ઉપર ખોડાયેલી રહે છે અને હાથ યંત્રવત્ ગજવામાં લંબાય છે. ‘મિલન’ મુખવાસની બે પડીકી સાથે એ હાથ બહાર આવે છે. હથેળી સમતલ થઈને લંબાય છે. આગંતુકનાં આંગળાં વૃદ્ધની હથેળીને ક્ષણભર સતાવીને એક પડીકી ઊઠાવી લે છે. ચાર આંખો ભેગી થાય છે. આંખો સ્નેહ વરસી જાય છે.

થોડીક ક્ષણો ચૂપકીદીમાં અને પછી ઔપચારિક વાતચીત શરૂ થાય છે :

‘આજે તારે કયું શાકભાજી…?’

‘ભીંડા, તમારે ?’

‘મારી વાત પછી. પહેલાં મને જવાબ આપ કે ભીંડા તો તને ભાવતા નથી !’

‘પણ દીકરાને, વહુને અને નાનાં છોકરાંને તો ભાવે છે ને !’ કથનમાં માર્મિક વ્યંગ છે.

મુકુંદરાય ઠાવકા થઈને આંખો ઉલાળતા બોલે છે, ‘આપણે તો વંત્યાક ! પણ હું નહિ હોં કે ! હવે મને પણ ભાવવા માંડ્યાં છે !’

બંને જણ હસી લે છે, હસી જવાય છે. રુચિ વિરુદ્ધની ખરીદીઓ અનિવાર્ય છે. રસોડાની રાણીઓના હૂકમ છે. હસી કાઢવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ નથી. વૃદ્ધોની રસના (જીભ) નાનાં બાળકોના જેવી થઈ જતી હોય છે. ભાવવા- ન ભાવવાના પ્રશ્નો વૃદ્ધો અને બાળકો માટે સરખા જ હોય છે. બાળકો રડીને કે જીદ કરીને ધાર્યું કરે-કરાવે; પણ મુકુંદરાય અને પાર્વતી જેવાં વૃદ્ધોએ ચલાવી લેવું પડે, હસી લેવું પડે. માત્ર શાકભાજી જેવી સામાન્ય રુચિ પૂરતાં જ નહિ, ઘણીબધી. જૂની અને નવી પેઢીનાં મતમતાંતર સહી અને હસી લેવાં પડે.

થોડીકવારની વળી પાછી ચૂપકીદી. મુકુંદરાય તો ‘હવે મને પણ ભાવવા માંડ્યાં છે !’ બોલીને મરકમરક હસી રહ્યા છે, પણ પાર્વતી ક્ષણભર વિચારોમાં ખોવાઈ જાય છે. તેમનો ચહેરો ગમગીનીની ચાડી ખાધા વગર રહેતો નથી.

મુકુંદરાયની પૃચ્છા થતાં પાર્વતી કદાચ યુવાનોને મોંઢે જ શોભી શકે તેવા શબ્દોમાં ગંભીરતાપૂર્વક વાત છેડે છે, ‘આખી રાત ઊંઘ આવતી નથી. બસ, એમ જ થયા કરે છે કે ક્યારે સવાર પડે અને તમારી મુલાકાત થાય ! દીકરાઓએ આપણને ભયંકર સજા કરી છે, પણ વ્યથા કોને કહેવી ? હું પૂછું છું, તમને કંઈ લાગણી નથી થતી ?’

‘અરે ભલી, સુગંધીદાર મુખવાસ અનેક કંપનીઓનો મળતો હોવા છતાં હું આપણા માટે ‘મિલન’ જ પસંદ કરું છું, તે ઉપરથી તને નથી સમજાતું !’ છેલ્લા કેટલાક મહિનાથી ‘મિલન’ની જ ખરીદીના રહસ્યને મુકુંદરાય ગર્વભેર છતું કરે છે.

મુકુંદરાયના રમતિયાળ સ્વભાવની ઈર્ષા કરતાં પાર્વતી નિસાસો નાખી દેતાં બોલે છે, ‘હું અભાગણી તમારી જેમ બદલાતી પરિસ્થિતિમાં અનુકૂલન સાધી શક્તી નથી. જવા દો આડી અવળી વાત. મારા મનમાં કેટલાય સમયથી ઘોળાયા કરતી વાત મૂકું ?’

‘’બોલ.’

એ પછી; પણ હું કહું છું કે દીકરાઓ વહુઓના કંકાસના કારણે જુદા થયા, આપણી વચ્ચે તેમણે કેમ દિવાલ ઊભી કરી દીધી ?’

મુકુંદરાયનો પ્રફુલ્લ મિજાજ ગંભીર બની જાય છે. ઊંડો શ્વાસ લેતાં તેમનાથી બોલી જવાય છે, ‘બે કુટુંબો વચ્ચેની દિવાલ ચણી છે તેમના કંકાસે, પણ આપણા બેની વચ્ચે ચણાઈ છે; તેમના આર્થિક સંજોગોના કારણે ! આપણે બંને કોઈ એકના ત્યાં સાથે રહીએ તો તેને ભારે પડીએ. તેમણે આપણને જુદાં પાડીને માત્ર આર્થિક સમજૂતિ સાધી લીધી છે, વિશેષ કંઈ કર્યું નથી.’

‘એટલે શું તેઓ એમ માનતાં હશે કે વયોવૃદ્ધ દંપતીનો પ્રેમ પણ વયોવૃદ્ધ થઈ જતો હશે ! હવે જવા દો એ લાંબીપહોળી વાત, પણ મને દુ:ખ એ વાતનું છે કે નાનાની વહુનો મારી સાથેનો વર્તાવ બરછટ છે. ખેર, હવે દીકરાને શી ફરિયાદો કરવી ?’

પાર્વતીનું છેલ્લું વાક્ય મુકુંદરાયના હૃદયતલને હચમચાવી દે છે. એમનો વડીલશાહી જુસ્સો અવાજમાં થોડા કંપ સાથે તેમની પાસે બોલાવે છે, ‘તો મારે નાનાને ટકોર કરવી પડશે. એ બધાં શું સમજતાં હશે એમના મનમાં ? એ પારકીજણીઓ તારા હૃદયને જરાપણ ઠેસ પહોંચાડે તે મારાથી સહન નહિ થાય, સમજી ?’

પાર્વતી સજળ નયને બોલી ઊઠે છે, ‘ભગવાનને ખાતર એમ કરશો નહિ. વાત આગળ વધે તો મારે ક્યાં જવું ? તમારી મોટી વહુ અને મારે તો એક પળવાર પણ ન બને, નહિ તો આપણે અદલબદલ થઈ જાત !’

વૃદ્ધા ‘તમારી મોટી વહુ’ શબ્દો ઉપર ભાર મૂકે છે. વાતવાતમાં સ્વાભાવિક રીતે જ દીકરા અને દીકરાવહુઓ બંનેનાં હોવા છતાં ‘મારા’ અને ‘તમારા’માં વહેંચાઈ જાય છે.

મુકુંદરાય વાતને વાળવાનો પ્રયત્ન કરતાં પાર્વતીને યાદ અપાવે છે, ‘પેલી તારા મનની વાત તો તેં કહી નહિ !’

પાર્વતી પોતાની વાતની યાદ અપાતાં ઓચિંતી અને કોઈપણ પૂર્વભૂમિકા વગર સહજ ભાવે જ બોલી જાય છે, ‘આપણે બંને ક્યાંક ભાગી જઈએ તો !’

મુકુંદરાય બેવડા વળીવળીને ખડખડાટ હસી પડે છે. હસવામાં જાહેર સ્થળનો ખ્યાલ પણ વીસરી જાય છે. પરંતુ પાર્વતીની આંખોમાં ધસી આવેલાં આંસુ જોઈને તેમનું હાસ્ય છોભીલું પડીને સંકેલાઈ જાય છે. ચોતરફ નજર ફેરવી લેતાં મુકુંદરાય એકીશ્વાસે બોલી દે છે, ‘આંસુ લૂછી નાખ, ભલી; કોઈ જોઈ જશે તો વરવું લાગશે. એક કામ કર, તું દેવમંદિરે જવાના બહાને અને હું લાયબ્રેરીના બહાને ઘરેથી નીકળીએ. આપણે પાર્કમાં મળીએ અને શાંતિથી વિચારીએ.’

* * * * *

પાર્કના એકાંત બાંકડા ઉપર મુકુંદરાય અને પાર્વતી એકબીજાંને એકદમ અડીને બેઠાં છે, પોતાની ઉંમરને પણ ભૂલી જઈને ! મુકુંદરાયના બંને હાથ પાર્વતીના જમણા હાથને ગુંગળાવવા મથી રહ્યા છે. પાર્વતી નવોઢાની જેમ શરમના ભારથી પોતાની પાંપણો ઢાળી દે છે. તેમને પોતાનો હાથ છોડાવવાની ઇચ્છા થતી નથી લાગતી. પતિની સુંવાળી અને શીતળ હથેળીઓનો રોમાંચક સ્પર્શ તેમની મહિનાઓની હૃદયવ્યથાને હળવી બનાવતો હોય તેમ લાગે છે. છતાંય આ સ્પર્શમાં યૌવનસહજ ઘેલછા નથી; પણ છે નિર્ભેળ, નિખાલસ અને પરિપક્વ દાંપત્યપ્રેમ.’

મુકુંદરાયની સાંત્વનાપૂર્ણ વાચા ઊઘડે છે, ‘તારામાં અને મારામાં ફરક એટલો કે તું તારા દુ:ખને વ્યક્ત કરી શકે છે, જ્યારે હું મૂંગા મોંઢે સહી લઉં છું; પણ સાચું કહું તો આ વિરહ મારાથી પણ નથી જીરવાતો. સંયુક્ત કુંટુંબવ્યવસ્થા સંતાનો અને વૃદ્ધો માટે આશીર્વાદરૂપ હોવા છતાં નવી પેઢીના ગળે આ વાત ઊતરતી કેમ નહિ હોય !’

‘પણ મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે આપણે સંયુક્ત હતાં, ત્યારે દેરાણીજેઠાણી વચ્ચે કંકાસ હતો તે માની લીધું; પણ હવે વિભક્ત થયા પછી શું ? છતાંય છેલ્લા ત્રણેક મહિનાથી તેમની એકબીજાના ત્યાંની અવરજવર બંધ, એકાદ મહિનાથી તો છોકરાં ઉપર પણ પ્રતિબંધ ! વળી અધૂરું હોય તેમ આપણા …’ પાર્વતીની આંખો વરસી જાય છે.

‘રડીશ નહિ, પારૂ. આપણા ઉપર પ્રતિબંધ ક્યાં છે ? આપણું તો સાહજિક જ એકબીજાના ત્યાં જવુંઆવવું ઓછું થયું છે. વળી દરરોજ સવારે આપણે મળીએ તો છીએ જ. આંખોના તેજના કારણે રાત્રે હું બહાર નીકળતો નથી; છતાંય જો તને વસવસો રહેતો હોય, તો હું દરરોજ તારા ત્યાં આવું.’

‘તમારી વાત ખરી; પણ મારા ત્યાં તમે આવો, ત્યારે વહુનું મોં ચઢેલું કે ઊતરેલું દેખાય નહિ અને મારું તો કાળજું કપાઈ જાય ! વળી મારાથી તમારા ત્યાં તો પગ જ મૂકી શકાય તેમ નથી. કંઈક એવો માર્ગ કાઢો ને કે આપણે બંને સાથે રહી શકીએ.’

‘માર્ગ તો એક જ બાકી રહે છે અને તે છે, ત્રીજું રસોડું ! પણ આ પોષાય ખરું ? વળી જ્ઞાતિમાં અને સમાજમાં કેવું ખરાબ દેખાય ! બબ્બે દીકરાઓ હોવા છતાં આપણે જુદાં રહીએ તે ન શોભે. આ બધીય વાતોને આપણે કદાચ અવગણીએ, પણ આપણી આજીવિકાનું શું ? તું માને છે કે હું છોકરાઓનાં સાલિયાણાંની આશા રાખું ! તો પછી આપણાથી કામ ધંધો પણ શો થાય ? કદાચ પેટિયું રળવા આપણે કંઈક કરીએ તેની લાજ આપણને તો શી આવવાની છે, પણ તારા જણેલાઓને તો આવે જ ને ! સગાંવહાલાં તેમના તરફ આંગળી ચીંધ્યા સિવાય રહે ખરાં ? માટે મને એ તો ઠીક નથી જ લાગતું કે આપણે આ સ્થળે જુદાં રહીએ !

બસસ્ટૉપવાળી વાતનું પુનરાવર્તન કરતાં પાર્વતીથી બોલી જવાય છે, ‘તો આપણે ભાગી જઈએ, અહીંથી અથવા આ જગતમાંથી ! પણ હવે આ વિયોગ મારાથી તો સહન નહિ જ થાય.’ પાર્વતીના શબ્દોમાં ભારોભાર વેદના છે.

‘આ સ્થળેથી ભાગી જવાની તારી વાત વિચારી શકાય, પણ જગતમાંથી શા માટે ? એનો અર્થ એ થાય કે આત્મવિલોપન ! મુર્ખાઈભરી વાત ન કર. આત્મવિલોપન એ કાયરતા અને પાપ બંને છે.’

‘દીકરીના આશ્રયે જઈએ તો !’

‘એ હરગિજ ન બને. દીકરીને સાસરિયે વળાવી, એટલે તે પરાઈ થઈ ચૂકી. પછી તેના ઉપર આપણો કોઈ હક્ક ચાલે નહિ. વળી એના સંજોગોનો તો વિચાર કરવો પડે ને !’

‘એના સંજોગો તો અનુકૂળ છે. જમાઈ એકલવાયા જીવ છે. કુટુંબમાં માતાપિતા કે ભાઈબહેન કોઈ નથી. વળી સુશીલા અને તેમના જીવ મળેલા છે. પોતે સારું કમાય પણ છે. જમાઈ આપણને પોતાનાં જ માબાપ ગણીને સાચવે તેવા ગુણિયલ છે. મારું માનો તો એ જ ઉત્તમ માર્ગ છે.’

‘તારી વાત સાચી. પરંતુ આપણે એ ચેક નાછૂટકે જ વટાવવાનું રાખીએ, બાકી આ સ્થળેથી ભગવાનભરોંસે ભાગી જવાની વાત હાલ પૂરતી વિચારી શકાય.

‘તો પછી વિચારવાનું શું હોય, નિર્ણય જ કરી લઈએ !’ પાર્વતીના શબ્દોમાં મક્કમતાનો રણકો છે.

‘પણ આપણે ભાગીને કેટલે દૂર જઈશું ? વળી આપણા પરાક્રમને દુનિયા જાણતી થાય તે નફામાં !’ મુકુંદરાયના વિધાનમાં આવેગ નહિ, પણ વ્યાવહારિકતા છે.

‘તો પછી યાત્રાએ જવાના બહાને ઘર તજીએ અને દૂરદૂર આવડા વિશાળ દેશના કોઈક ખૂણાના ગામડામાં ખોવાઈ જઈએ !’

‘તારો એ વિચાર ગમ્યો, પણ મને ડર છે કે કદાચ ફોટાઓ સાથેની સમાચારપત્રોમાં જાહેરાત અપાય તો ગમે તે માણસ આપણને ઓળખી ન પાડે ?’

‘આપણે આપણા ફોટાઓને પણ અહીં રહેવા ન દઈએ તો !’

‘તું ટૂંકું વિચારે છે, ભલી ! ફોટાઓ વગરની માત્ર વર્ણનાત્મક જાહેરાતો ક્યાં નથી અપાતી ! વળી આપણે જ્યાં હોઈએ ત્યાં સાથે જ હોઈએ, તેથી પકડાયા વિના રહીએ ખરાં ! આમ છતાંય તારી વાતમાં તથ્ય ખરું. ફોટા વગરની જાહેરાતથી જલ્દી પકડાઈ જવાની ભીતિ ઓછી.’

‘તો એવા પહાડી વિસ્તારમાં કે જ્યાં સમાચારપત્રો જતાં ન હોય ! આપણાં આદિ માનવ ભાઈબહેનોની વચ્ચે કે જે બિચારાં આપણી કહેવાતી ભદ્ર સંસ્કૃતિમાં વટલાયાં નહિ હોય ! અને, નહિ તો છેવટે જંગલમાં આપણને વાઘવરુ તો ભેટશે ને !’ આમ કહેતાં પાર્વતીથી ડૂસકું મૂકી દેવાય છે.

મુકુંદરાયની પાંપણો પણ ભીની થાય છે. એમનો અંતરાત્મા પાર્વતીની વાતને સમર્થન આપે છે કે સંયુક્ત કુટુંબવ્યવસ્થાની આપણી પ્રાચીન પરંપરા આ દેશમાંથી મરી પરવારશે. કહેવાય છે કે પશ્ચિમના દેશો આપણી ભારતીય સંસ્કૃતિ તરફ આકર્ષાવા માંડ્યા છે, જ્યારે આપણે તેમનું ફેંકી દીધેલું અપનાવી રહ્યાં છીએ. વ્યક્તિલક્ષી કુટુંબભાવના કદાચ આ દેશનાં લાખો વયોવૃદ્ધોને ભરખી તો નહિ જાય !’

આમ વિચારતાં છેવટે મુકુંદરાય ચૂકાદાની આખરી મહોર મારી દે છે, ’આપણે ભાગી જઈશું; બહુ જ નજીકના ભવિષ્યમાં ભાગી જઈશું, ક્યાંક યાત્રાએ જવાના બહાને !’

આ સાંભળતાં પાર્વતીનો ચહેરો પ્રસન્નતાથી છલકાઈ જાય છે.

* * * * *

આખરે અઠવાડિયા માટે યાત્રાએ જવાનો કાર્યક્રમ યોજાય છે. રેલવે સ્ટેશન ઉપર પુત્રો, પૂત્રવધૂઓ અને પૌત્રપૌત્રીઓ મુકુંદરાય અને પાર્વતીને વળાવવા માટે આવ્યાં છે. ઘણા મહિને રેલવે સ્ટેશન ઉપર આખા પરિવારને સાથે જોઈને પાર્વતીની આંખોમાં આંસુ ઉભરાઈ જાય છે. પુત્રો રડે છે. પુત્રવધૂઓનાં હૃદયોનાં ઊંડાણમાં છુપાઈ રહેલી સુષુપ્ત લાગણીઓ ઝળહળિયાંરૂપે આંખોમાં ડોકાઈ જાય છે. ભુલકાં પણ ગંભીર બની ગયાં છે. એક માત્ર મુકુંદરાયે જ લાગણી સાથેનો છેડો જાણે કે ફાડી જ નાખ્યો છે. તેઓ બ્રહ્માની જેમ નિર્લેપભાવે પોતાની કુટુંબસૃષ્ટિને નિહાળી રહ્યા છે !

યાત્રાગમનને અઠવાડિયું પૂરું થાય છે, દસ દિવસ પૂરા થાય છે. મુકુંદરાયના પુત્રોનાં ઘરોમાં સૌ કોઈની માનસિક ત્રાણ વધી ગઈ છે. મુંબઈ રહેતી બહેન સુશીલાને જણાવાય છે, એમ ધારીને કે બાબાપુજી તેના ત્યાં ગયાં હોય, પણ વ્યર્થ ! પ્રત્યુત્તરરૂપે તે પોતે જ બિચારી દોડતી આવે છે. સમાચારપત્રોમાં જાહેરાત આપવાનું વિચારાય છે, ત્યારે જ સૌના ધ્યાન ઉપર આવે છે કે બાબાપુજીના ફોટાઓને તેમના ઓરડાઓની દિવાલો ગળી ગઈ છે. સૌનો અંતરાત્મા શંકા અનુભવે છે કે માતાપિતાએ કદાચ ગૃહત્યાગ જ કર્યો છે !

સુશીલાનો ગુસ્સો ભભૂકી ઊઠે છે. તે કલ્પાંત કરીકરીને ભાઈઓ અને ભાભીઓને ઉપાલંભ આપે છે. જાહેરખબર આપવાનું વિચારતા ભાઈઓનો ઉધડો લઈ નાખતાં સુશીલા કહે છે, ‘જગત આખાયમાં બદનામીનો ઢંઢેરો પિટાવવો હોય તો તેમ કરી શકો છો !’

સુશીલા આગળ પૂછે છે, ‘તમે લોકોએ તેમને દુભવેલાં ખરાં ?’

આ પ્રશ્નનો કોઈનીય પાસે જવાબ નથી, છે માત્ર બધાંયની આંખોમાં આંસું ! વયોવૃદ્ધ અવસ્થાએ માતાપિતાને વિખૂટાં પાડવાં એટલે એક જ દેહને ઊભો ચીરવા બરાબર છે, તેવી પ્રતીતિ સૌને થાય છે. પરંતુ હવે ઢોળાયેલા દૂધ અને વેડફાએલા પાણી ઉપરનો અફસોસ નકામો છે.

ઓશિયાળા ચહેરા લઈને સામે બેઠેલી ભોજાઈઓને સુશીલાનો એક જ પ્રશ્ન છે, ‘તમારે લોકોને માતાપિતા છે કે નહિ ?’

પરંતુ સુશીલાને તેમની પાસેથી પશ્ચાત્તાપરૂપે રૂદનનાં ડૂસકાં સિવાય કંઈ જ સાંભળવા મળતું નથી. શાણી સુશીલા બાળકોની ઉલટતપાસમાંથી જાણી લે છે કે તેમની માતાઓનો દાદાદાદી સાથેનો વર્તાવ સારો ન હતો. બાલમંદિરે જતા એક ભુલકાની શાકમારકીટ પાસેના બસસ્ટૉપના બાંકડે દરરોજ દાદાદાદીને સાથે જોયાની માહિતી મળતાં સુશીલા ભાઈભાભીઓ સામે સૂચક નજરે જોતી જાય છે. ચારેય જણની આંખો અપરાધભાવે વારાફરતી ઢળતી જાય છે.

ભાઈઓથી આ વેદના સહન ન થતાં સુશીલાના ચરણોમાં પોતાનાં મસ્તક ઢાળી દેતાં નાનાં છોકરાંની જેમ બેઉ જણ કલ્પાંત શરૂ કરે છે. મોટાભાઈ વ્યથિત અવાજે છતાંય મક્કમ ભાવે બોલી નાખે છે, ‘સુશી, અમને માફ કર. દુનિયાદારીના વ્યવહારમાં પરોવાયેલા અમે માબાપની હૃદયવ્યથાથી અજાણ જ રહ્યા ! હવે બદનામીનો ઢંઢેરો પિટાવ્યા વગર આખી ધરતી ખૂંદી વળીને તેમને શોધવાનો પ્રયત્ન કરીશું. સફળતા મળશે તો સંયુક્ત કુટુંબમાં ફેરવાઈ જવાની ખાત્રી સાથે તેમને મનાવીને પાછાં તેડી લાવીશું. જો એકાદ મહિનામાં તેમનો પત્તો નહિ લાગે તો તારી સામે અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે નાનાં છોકરાંથી માંડીને અમારા સુધીનાં બધાંય સામૂહિક આત્મહત્યા કરીશું !’

‘નહીં…નહીં !’ કાળજાં ચીરી નાખતી એક કારમી ચીસ સુશીલા પાડી દે છે. તેની નજર સામે તરફડિયાં ખાતી લાશોનો ઢગલો તરવરી ઊઠે છે. તેનાથી એકી શ્વાસે બોલી જવાય છે, ‘બાબાપુજી સલમત છે; મુંબઈ છે, મારા ત્યાં જ છે ! બાની હઠ આગળ બાપુજી પાસે બીજો વિકલ્પ જ ક્યાં હતો !’

આટલું સાંભળતાં જ બધાંયનાં મોં પહોળાં થઈ જાય છે. વહેતાં અશ્રુ ઘડીભર થંભી જાય છે. બધાંયના ચહેરા ઉપરનું રૂદન પશ્ચાદભૂ તરફ સરકી જાય છે અને તેમની આંખોમાં અકથ્ય એવો આનંદ તરવરી ઊઠે છે. છોકરાં પણ હર્ષોલ્લાસથી ઘેલાં બની જાય છે.

પરંતુ સુશીલા બધાંનાં દિલોને હચમચાવી દેતી એક વાત તો નાછૂટકે હવે જ છેડે છે, ‘બાબાપુજીએ અમારા ઘરમાં પ્રવેશતાં જ એક આકરી શરત મૂકી હતી કે મારે ત્રાહિતોની હાજરીમાં તેમની લાજ કાઢવી અને તેમની ઓળખ સાસુસસરા તરીકેની આપવી ! આમ હું આટલા દિવસ તેમની દીકરીવહુ બનીને રહી. બિચારાંને તેમનું સ્વમાન…!’. સુશીલા આગળ ન બોલી શકી.

ફરી એકવાર સૌ મોકળા મને રડી લે છે.

– વલીભાઈ મુસા

(તા.૧૦૦૩૧૯૮૦)

 

 

Tags: , , , , , ,

(181) આખરી અંજલિ – સંવેદનાના સૂર (સૌજન્ય લેખ)

Click here to read Gujarati Article with Image & Preamble in English

મારા અગાઉના આર્ટિકલ “As if Mr. Jeff is alive!” (જાણે કે મિ.‘જેફ’ જીવતા જ છે!) ને વાંચ્યા પછી મારા કેટલાક વાંચકોએ મને વિનંતિ કરી કે મિ.‘જેફ’ (જાફરભાઈ) ઉપર ગુજરાત સમાચારમાં શ્રી નસીર ઈસ્માઈલીએ ‘સંવેદનાના સૂર’ શીર્ષકે લખેલા લેખને આ ફલક ઉપર પ્રસિદ્ધ કરવામાં આવે. તદનુસાર, સ્કેન કરેલો સદરહુ લેખ આ પ્રસ્તાવના સંલગ્ને સામેલ છે.

આ તબક્કે હું હેન્રી ફોર્ડ (Henry Ford) ના શબ્દો ટાંકીશ જે આ પ્રમાણે છે કે “ભેગા મળવું એ શરૂઆત છે, ભેગા જળવાઈ રહેવું એ વિકાસ છે અને ભેગા કામ કરવું એ સફળતા છે.” અહીં રજૂ કરવામાં આવનાર લેખ પોતે જ સ્વયં સ્પષ્ટ છે કે કેવી રીતે મારા મિત્ર મિ. જેફ પોતાના ધંધાકીય કાર્યક્ષેત્રમાં સફળ માણસ તરીકે પુરવાર થયા. એ લેખના લેખકે તો એક જ પ્રસંગ વર્ણવ્યો છે, પણ હું તો એવા સેંકડો પ્રસંગોનો સાક્ષી છું કે તેમણે કેવી રીતે પોતાના ગ્રાહકો જાણે કે તેમનાં જ કુટુંબીજનો હોય તેમ તેમના અંગત પ્રશ્નોને ઉકેલી આપ્યા હતા. આ બધું તેઓ એટલા માટે કરી શક્યા હતા કે તેમનું હૃદય માનવતાની લાગણીથી સભર હતું અને તેઓ હંમેશાં બીજાઓને પોતાની જાત કરતાં વધુ અગ્રતા આપતા હતા.

મિ. જેફ હંમેશાં પોતાના ગ્રાહકોને ખૂબ જ સન્માન આપતા હતા. કોઈક ઉદ્ધત ગ્રાહકો હોય તો તેમની સાથે પણ ખૂબ જ નમ્રતાથી વર્તતા હતા અને કદીયે ન તો એવાઓની લાગણીને ઠેસ પહોંચાડતા હતા કે ન તો તેમને અપમાનિત કરતા હતા. તેમનો ‘જવા દો’ વાળો સ્વભાવ કદીયે પોતાના ગ્રાહકો સાથે કોઈ સમસ્યા ઊભી થવા દેતો ન હતો. તેમના આ પ્રકારના વર્તનને સમજવા માટે ખલિલ જિબ્રાનનું એક કથન સાર્થક પુરવાર થશે જે આ પ્રમાણે છે: “કોઈ વ્યક્તિ તમને ઈજા પહોંચાડે, તો કદાચ તેને તમે ભૂલી જશો; પણ જો તમે તેને ઈજા પહોંચાડી, તો તમે તેને હંમેશ માટે યાદ રાખશો જ.” મિ. જેફ પોતાના જીવનના અનુભવો અને પોતે જિંદગીભર જે સંઘર્ષ કર્યો હતો તેમાંથી ઘણું શીખ્યા હતા અને તે રીતે તેમણે પોતાની જાતને ઘડી હતી. એમનો પોતાના અને અન્યોના જીવન વિષેનો દૃષ્ટિકોણ હંમેશાં હકારાત્મક અને આત્મવિશ્વાસપૂર્ણ રહ્યો હતો.

મિ. જેફનો નશ્વર દેહ કબરમાં છે, તેમનો આત્મા (રૂહ) જન્નતમાં છે; પણ તેમની મધુર યાદો એમની સાથે કોઈપણ સંબંધે સંપર્કમાં આવનાર તમામ લોકોનાં દિલોદિમાગમાં હંમેશ માટે જીવંત રહેશે.

આપણે ઈશ્વરને પ્રાર્થીએ કે તેમના આત્માને જન્નતમાં ઉચ્ચતમ દરજ્જો નસીબ થાય.

સહૃદયતાસહ,

વલીભાઈ મુસા

(પ્રસ્તાવનાલેખક અને અનુવાદક)

sanvedna-na-soor (સંવેદનાના સૂર)

 

Tags: , , , , , , , ,