RSS

Tag Archives: અનુવાદ

(617) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૪૩ (આંશિક ભાગ – ૪) બાજ઼ીચા-એ-અતફ઼ાલ હૈ દુનિયા મિરે આગે(ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

બાજ઼ીચા-એ-અતફ઼ાલ હૈ દુનિયા મિરે આગે (શેર ૯ થી ૧૧)

ઈમાઁ મુઝે રોકે હૈ જો ખીંચે હૈ મુઝે કુફ઼્ર
કાબા મિરે પીછે હૈ કલીસા મિરે આગે (૯)

[ઈમાઁ= ઈમાન, આસ્થા, શ્રદ્ધા, ધર્મનિષ્ઠા; કુફ઼્ર= અજ્ઞાનતા, અનેકેશ્વરવાદની માન્યતા; કાબા= મુસ્લિમોનું મક્કાનું ધર્મસ્થાન; કલીસા= ખ્રિસ્તીઓનું ચર્ચ, (અહીં) પાશ્ચાત્ય સંસ્કૃતિના અર્થમાં]

અર્થઘટન અને રસદર્શન : 

આ શેરનો પ્રત્યક્ષ અનુવાદ તો કંઈક આવો થાય કે ‘મારી ધર્મનિષ્ઠા મને આગળ વધતાં રોકી રાખે છે અને અજ્ઞાનતા મને આગળ ખેંચ્યે જાય છે. કાબા મારી પાછળ રહી જાય છે અને ચર્ચ આગળ રહે છે.’ પરંતુ આ તો માત્ર વાચ્યાર્થ થયો ગણાય. આ શેર પાછળનો વ્યંજનાર્થ તો વાચ્યાર્થથી ઘણો આગળ છે, જેને જાવિદ અખ્તરે આમ દર્શાવ્યો છે: “‘હું મારા ઈમાનથી ભટકી ગયો છું. કલીસાનો મતલબ ચર્ચ એટલે કે વેસ્ટર્ન કલ્ચર, જે મને પોતાની તરફ ખેંચી રહ્યું છે; અને કાબા મારી પાછળ છે, જે મારી જડો (મૂળ) છે અને તે પાછળ રહી ગઈ છે. આમ હું વચ્ચે જ અસમંજસમાં અટવાઈ ગયો છું.’ આજે આપણી સ્થિતિ પણ આવી જ છે, જે આપણે ગ઼ાલિબના આ શેરમાં મહસૂસ કરી શકીએ છીએ.”

કાબા અને કલીસા શબ્દો પ્રતીકાત્મક છે જે અનુક્રમે ધાર્મિક સદાચરણ અને દુન્યવી પ્રલોભનને સમજાવે છે. સામાન્ય રીતે પાશ્ચાત્ય સંસ્કૃતિ ભોગવાદમાં માને છે, જ્યારે પૌર્વાત્ય સંસ્કૃતિ આધ્યાત્મિકતાને પ્રાધાન્ય આપે છે. આજનો માનવી આ બંને સંસ્કૃતિઓ વચ્ચે ફંગોળાય છે અને તે એવો અવઢવમાં જીવે છે કે તે નક્કી જ કરી શકતો નથી કે આદર્શ જીવન કોને સમજવું. ગ઼ાલિબ  ભારતમાંના અંગ્રેજ શાસનના સાક્ષી હતા. અંગ્રેજોની રહેણીકરણી મોટાં શહેરોને પ્રભાવિત કરી રહી હતી અને ગ઼ાલિબનો વસવાટ મોટાભાગે દિલ્હીમાં અને અલ્પાંશે કલકત્તામાં રહ્યો હતો. આમ પાશ્ચાત્ય સંસ્કૃતિનો ભારતીય સંસ્કૃતિ સાથેના ટકરાવનો એ પ્રારંભિક તબક્કો હોવા છતાં ગ઼ાલિબ આ શેરમાં પોતાની આર્ષદૃષ્ટિએ આપણા વર્તમાનને જુએ છે.

આ શેરને વ્યક્તિગત ધોરણે અને ચારિત્ર્ય ઘડતરને અનુલક્ષીને સમજીએ તો માનવી સાત્વિક જીવનરાહ અપનાવવા માગે તો ખરો; પણ દુન્યવી પ્રલોભનો તેના માટે અવરોધક બનતાં હોય છે. આમ આ શેરમાં ગ઼ાલિબનું તત્ત્વજ્ઞાનીય વ્યક્તિત્વ પ્રગટે છે.

* * *

આશિક઼ હૂઁ પ(ર) માશૂક઼-ફ઼રેબી હૈ મિરા કામ
મજનૂઁ કો બુરા કહતી હૈ લૈલા મિરે આગે (૧૦)

[આશિક઼= પ્રેમી; માશૂક઼-ફ઼રેબી= માશૂકની કાનભંભેરણી}

અર્થઘટન અને રસદર્શન :

આ શેરનો પ્રથમદર્શી સીધો અનુવાદ મારા મતે માશૂકને અર્થાત્ શાયરને અન્યાય કરી બેસશે, તેમ છતાંય આપણે તેનો સીધો અનુવાદ પ્રથમ જાણી લઈએ. ત્યારબાદ આગળ જતાં આપણે એ અન્યાયને ન્યાયમાં પરિવર્તિત કરી લઈશું. 

અહીં માશૂક કહે છે કે ‘હું મારી પ્રિયતમાનો આશિક તો છું, છતાંય અન્ય પ્રેમીયુગલો પૈકીની ખાસ તો માશૂકાઓને ફરેબ આપવાનું એટલે કે તેમની કાનભંભેરણી કરવાનું અધમ કામ પણ હું કરું છું. આગળ બડાઈ હાંકતાં કહે છે કે મારી આ હરકતથી લૈલા જેવી લૈલા પણ મારી આગળ મજનૂને ખરાબ ચીતરે છે.’  

આ સીધા અનુવાદથી પ્રથમ તો આપણને હસવું આવે અને પછી ખેદ પણ થાય કે શાયર ગ઼ાલિબ અર્થાત્ ગ઼ઝલનાયક આવી સાવ હલકી અને નીચી પાયરીએ ઊતરી શકે ખરો? ના, હરગિજ નહિ; કેમ કે આપણો શાયર તો ખાનદાન છે અને પ્રેમીયુગલોમાં વિખવાદ જગાવવાનું ખલનાયકનું કામ તો તે કરે જ નહિ. શાયરના મારા આ બચાવનામા સામેની દલીલ એ છે કે આવું હિચકારું કૃત્ય કરનારા અન્ય જ હોય,પણ આમ કહેવાની એક લઢણ મુજબ શાયર પોતાની જાત ઉપર એ બાબત લઈને આપણને શેર સંભળાવે છે. આ ગ઼ઝલનો રદીફ ‘મિરે આગે’ છે અને તેથી તમામ શેરનાં કથન પહેલી નજરે શાયર અર્થાત્ માશૂકને જ લાગુ પડતાં દેખાવા છતાં સમગ્રતયા એમ જ માનવું પડશે કે એ સઘળું ત્રાહિતને અનુલક્ષીને કહેવાયું છે.  આ શેરમાંનો માશૂક સાચો આશિક છે અને અન્ય આશિકોને પોતાના જેવા જ સમજે તે સ્વાભાવિક છે. આમ પ્રેમભંગ થવાથી પોતાને જેવું દુ:ખ થાય તેવું અન્યોને પણ થઈ શકે તેવું માનનાર ‘માશૂક઼-ફ઼રેબી’નું કામ ન જ કરે.

તો પછી ખલનાયકીને અંજામ આપનારા એવા પણ નિમ્નસ્તરીય આશિકો હોઈ શકે જે એકતરફી પ્રેમના કારણે તેમની માશૂકાને પામવામાં નિષ્ફળ જતાં સાચાં પ્રેમીઓ પરત્વે તેમનો ઈર્ષાભાવ જાગે અને ‘પેટનો બળ્યો ગામ બાળે’ના ન્યાયે તેમના વચ્ચે દૂરી લાવવાનું દુરાચારણ આદરી બેસે. આવા હતાશાનો ભોગ બનેલા આશિકો અન્ય નિર્દોષોને સંતાપ આપીને પોતે ઉપલકિયો આત્મસંતોષ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા હોય છે. આ શેરનો ખલનાયક એવી તો મોટી શેખી હાંકે છે કે તે લૈલાને પણ પોતાની તરફ આકર્ષી શકે છે અને તેના પ્રેમી મજનૂ વિષે પણ તેની પાસે એલફેલ બોલાવી શકે છે. આમ આ શેરમાં માનવ સ્વભાવના એક નકારાત્મક પાસાને ઉજાગર કરવામાં આવ્યું છે. ગ઼ાલિબ માનવ વર્તણૂકોના કેવા અભ્યાસુ છે તેનો એક વધુ સબળ પુરાવો આપણને આ શેરમાંથી મળે છે.

મારા અગાઉ અપાયેલા એ ખુલાસાને અહીં દોહરાવું છું કે ઉર્દૂ ભાષામાં માશૂક઼ શબ્દ પ્રિયતમ અને પ્રિયતમા  એમ બંનેને લાગુ પડતો હોય છે, પણ પૂર્વાપર સંબંધને અનુરૂપ માશૂક કે માશૂકા એમ સમજવાનું હોય છે. આપણા આ શેરના પ્રથમ મિસરામાં પ્રયોજાયેલા શબ્દઘટક ‘માશૂક઼-ફ઼રેબી’માંના ‘માશૂક’ને નારી જાતિમાં અર્થાત્ માશૂકાના અર્થમાં સમજવાનો છે, જેની પ્રતીતિ આપણને બીજા મિસરાથી થાય છે. પેલા ખલનાયકનું કામ માશૂકાને બહેકાવવાનું છે, નહિ કે માશૂકને. ખલનાયક ચાલાક છે અને તે સારી રીતે જાણે છે કે પુરુષ કરતાં સ્ત્રીને છેતરવી સહેલી છે અને તેથી જ તો તેની આપવડાઈ હેઠળ તે લૈલાને છેતરી હોવાનો દંભ કરે છે. જો કે લૈલા-મજનૂની પ્રેમકહાની તો ભૂતકાલીન છે અને છતાંય તેને વર્તમાનમાં લાવીને ખલનાયક તેની અતિશયોક્તિની પરાકાષ્ઠાનું પ્રદર્શન કરે છે.    

* * *

ખ઼ુશ હોતે હૈં પર વસ્લ મેં યૂઁ મર નહીં જાતે
આઈ શબ-એ-હિજ્રાઁ કી તમન્ના મિરે આગે (૧૧)

[વસ્લ= મિલન; શબ-એ-હિજ્રાઁ= જુદાઈની રાત; તમન્ના= ખ્વાહિશ]

આ શેરના પ્રથમ મિસરામાં માશૂકના મનોભાવનું ઉત્કૃષ્ટ સમતોલન (equilibrium) જોવા મળે છે. આપણને લાગે છે કે માશૂકે માશૂકા પરત્વેના ઈશ્ક સબબે કંઈક ગંભીરતા ધારણ કરી છે. તે કહે છે કે માશૂકાના મિલનટાણે તેમને ખુશી તો અવશ્ય થાય છે, પણ એ ખુશી ઉશ્કેરાટમાં તબદિલ થયા વગર સંયમિત રહે છે; અને તેથી જ તો તેઓ મિલનની ખુશીના અતિરેકમાં મરી જતા નથી, પણ જીવિત જ રહે છે. આમ માશૂકે જીવતા રહેવું જરૂરી છે, એટલા માટે કે આ મિલન તો હવે પછીના આનંદમય સહજીવન માટેનું પહેલું સોપાન છે. જો જીવન જ રહેવા ન પામે તો એ મિલન વ્યર્થ બની રહે. હવે આપણે એ સમજવાનું રહે છે કે માશૂકને માશૂકાના મિલનની ખુશી ઉપર નિયંત્રણ રાખવાનું અને તે થકી જીવિત રહેવાનું બળ ક્યાંથી મળ્યું, તો તેનો જવાબ આપણને બીજા મિસરામાંથી મળે છે.

માશૂક કહે છે કે માશૂકાના મિલનની ખુશીમાં મરી જતાં મને અટકાવનાર, મારી આગળ વહારે આવનાર જો કોઈ હોય તો તે છે મારી આગામી (ભવિષ્યની) જુદાઈની દુ:ખમય વેળાને પામવાની મારી ખ્વાહિશ. આ મિસરામાં ખૂબ નાજૂક ભાવ સમાયેલો છે, જેને ઉવેખતાં આપણને સમજાશે કે મૂલ્યવાન જિંદગીને આમ મિલનના આનંદમાં મરી જઈને વેડફવાની નથી, પણ જીવિત રહીને માણવાની છે. પછી તો એક સમય એવો આવવાનો જ છે કે જ્યારે માશૂકાથી છૂટા પડવાનું બનશે અને ત્યારે આ બચાવેલી જિંદગી તે ટાણે ન્યોછાવર કરી શકાશે અને મૃત્યુ સાર્થક બનશે. આમ માશૂકાથી જુદાઈની દુ:ખમય વેળા જોવાની ખ્વાહિશના કારણે જ મિલનવેળાનું  સંભવિત એ મૃત્યુ પાછળ હડસેલાઈ ગયું. અહીં ‘શબ-એ-હિજ્રાઁ’ માંના શબ્દ ‘શબ’ને  રાતના અર્થમાં નહિ, પણ ‘દુ:ખ’ના પ્રતીક તરીકે સમજવાનો છે. 

* * *

– મિર્ઝા ગ઼ાલિબ ( ગ઼ઝલકાર)                                                                            (ક્રમશ: ભાગ-૫)

– વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

(ગ઼ઝલ ક્રમાંક – 209)

* * *

ઋણસ્વીકાર :

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

(૫) Courtesy : https://rekhta.org  

(૬) Courtesy –  urduwallahs.wordpress.com

(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

 

Tags: , , , ,

(૩૭૬) ચૂંટેલાં કાવ્યોનું રસદર્શન: વાંસળી વેચનારો – ઉમાશંકર જોશી – ગુજરાતી કાવ્ય

(૩૭૬) ચૂંટેલાં કાવ્યોનું રસદર્શન: વાંસળી વેચનારો – ઉમાશંકર જોશી – ગુજરાતી કાવ્ય

Click here to read in English

મારા મિત્ર શરદ શાહે, થોડા સમય પહેલાં મારા આ પ્રકારના લેખ – વિલિયમ વર્ડ્ઝવર્થ (William Wordsworth)નું અંગ્રેજી કાવ્ય ‘We Are Seven’ (અમે સાત) ઉપર ટિપ્પ્ણી કરી હતી. તેમના અભિપ્રાય મુજબ, ગુજરાતી કે હિંદી કે ભારતની કોઇ પણ પ્રાંતીય ભાષાઓમાં લખાતી કવિતાઓમાં અંગ્રેજીમાં લખાતી કવિતાઓ કરતાં વધારે રસ અને સૌંદર્ય હોય છે. જેના જવાબમાં મારું કહેવું હતું કે કોઇ એક ભાષામાં બીજી ભાષાઓ કરતાં વધારે સારું સાહિત્ય થતું જ હોય છે, તેવું સર્વસામાન્ય તારણ કાઢી લેવું ઉચિત નથી. ભારતીય ભાષાઓનું સાહિત્ય બહુ જ ઉત્કૃષ્ટ હોવા છતાં વૈશ્વિક સ્તરે તેનો બહુ પ્રસાર નથી થયો તે સાચું છે. જે સાહિત્ય અન્ય આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં લખાય કે તેમાં અનુવાદિત થાય તે  સાહિત્યને જ વૈશ્વિક ક્ષેત્રે પ્રસિધ્ધિ મળવાની શક્યતાઓ વધારે રહે છે અને તેમ થવું એ સ્વાભાવિક પણ છે.

અંગ્રેજીમાં જેનો અનુવાદ ‘The Flute Vendor’ શિર્ષક હેઠળ થયો છે, તે સ્વર્ગસ્થ શ્રી ઉમાશંકર જોશી (૧૯૧૧-૧૯૮૮)નાં મૂળ ગુજરાતી કાવ્ય “વાંસળી વેચનારો’નું રસદર્શન કરાવવાનું મેં આજે નક્કી કર્યું છે. જ્યારે જ્યારે પણ ગુજરાતી ભાષા અને તેના સાહિત્યની ક્યાંય પણ ચર્ચા થતી હશે , ત્યારે ત્યારે  શ્રી ઉમાશંકર જોશીના નામનો ઉલ્લેખ થયા વિના રહેશે નહિ. તેઓશ્રી લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકાર છે. સાહિત્ય ક્ષેત્રનાં કંઇ કેટલાંય સન્માનો અને ખિતાબો તેમને મળ્યાં છે.

એક આડવાત તરીકે હું આપને જાણ કરવાની લાલચ રોકી નથી શકતો કે મારા અનુસ્નાતક કક્ષાના અભ્યાસકાળ દરમ્યાન, મહાવિદ્યાલયના વાર્ષિકોત્સવના ભાગ રૂપે યોજાયેલ શીઘ્ર વક્તવ્ય સ્પર્ધામાં  બીજું સ્થાન પ્રાપ્ત કર્યાનું પ્રમાણપત્ર તે ઉત્સવના મુખ્ય મહેમાન એવા શ્રી ઉમાશંકર જોશીના હાથે મેં મેળવ્યું હતું. અજાણ વિષયની ચિઠ્ઠીવાળા પરબીડિયામાં તે દિવસે મારે ભાગે “આજે જો મહાત્મા ગાંધી હયાત હોત તો…’ એ વિષય ઉપર બોલવાનું થયું હતું.

આપણે કાવ્યની ચર્ચા હાથ પર લઇએ તે પહેલાં વાચક્ને તે કાવ્યનો પરિચય પણ થવો જોઇએ. આમ પહેલાં મૂળ ગુજરાતીમાં અને પછી તેના અંગ્રેજી અનુવાદ સ્વરૂપે એ કાવ્યને અહીં નીચે પ્રસ્તુત કરું છું.

વાંસળી વેચનારો

’ચચ્ચાર આને !

હેલી અમીની વરસાવો કાને !

ચચ્ચાર આને !

હૈયાં રૂંધાયાં વહવો ન શાને !’

મીઠી જબાને લલચાવી હૈયાં,

રસે પૂરા કિંતુ ખીસે અધૂરા,

શ્રમીણકોને અમથું રિબાવતો,

બરાડતો જોરથી બંસીવાળો.

ઘરાક સાચા સુણવા ના પામે

વેગે જતી ગાડી મહીં લપાઈ જે

બંસી સુણંતા પ્રણયોર્મિગોષ્ઠિની.

‘ચચ્ચાર આને !’

ના કોઈ માને

અને ખભે વાંસળી-જૂથ એનું

થયું ન સ્હેજે હળવું, ભમ્યો છતાં !

‘ચચ્ચાર આને!’

લો, ને રમો રાતદી સ્વર્ગ તાને !

‘ચચ્ચાર આને?’

‘દે એક આને !’

‘ના, ભાઈ, ના, ગામ જઈશ મારે,

છો ના ખપી ! ઈંધણથી જશે નહીં.

ચચ્ચાર આને ! બસ ચાર આને !!

પાછા વળંતાં, પછી જૂથમાંથી

ખેંચી મજાની બસ એક બંસી,

અષાઢની સાંજની ઝરમરોમાં

સૂરો તણાં રંગધનુ ઉડાવતી,

એણેય છેડી ઉરમાંથી ઝરમરો !.

જીવંત આવી સુણી જાહિરાત, કો

બાર મહીંથી જરી બ્હાર ઝૂકતી

બોલાવતી તાલી સ્વરેથી બાલા.

હવે પરંતુ લયલીન કાન,

ઘરાકનું લેશ રહ્યું ન ભાન !

– ઉમાશંકર જોશી

A Flute Vendor

“Four annas1 a piece!
Have a shower of nectar
deluge your ears!
Four annas a piece!
Why not let
your suffocated hearts gush?”

Cried loudly the flute vendor
enticing with a sweet tongue
the bosoms
of those relishing melody
but with empty pockets,
unfairly tormenting the toilers!

The genuine customers
were bereft of music.
Cozily listening to the flute
of amorous words
were those
speeding in cars.

“Four annas a piece!”
And despite wandering
no one bought
and the burden of the bunch
on his shoulders
diminished not.

“Four annas only!
Buy and revel
day and night
in heavenly melody!”
“Four annas each?”
“Sell for an anna.”

“No sir, no.
Will return to my village
though they remain unsold.
This is no firewood stock.
Four annas each.
Only at four annas a piece.”

Turning back, he picked
a nice one from the bunch of flutes.
In the drizzle of Ashadh2
he too began to spray from his heart
a fount of rainbow notes!

Hearing this live display
a maid from a window peeped
beckoned him with a clap.

Ears immersed in lilt the vendor
remained oblivious of the customer.

– Umashankar Joshi

1. An anna was one-sixteenth of a rupee. Now, 4 annas = INR 0.25
2. The first month of monsoon

કોઇ એક ઘટનાને વર્ણવતું આ મુક્તછંદ – કોઇ પણ માત્રા વિનાનું/ મુક્તપ્રાસ શૈલીમાં લખાયેલું – કાવ્ય છે. કાવ્યનો નાયક કામદાર પણ છે, અને કલાકાર પણ છે. કાવ્યની શરૂઆતમાં તે વાંસળી વેચનારની ભૂમિકામાં રજૂ થાય છે. કાવ્યમય, શ્રૃંગાર રસસભર અને મૌખિક જાહેરાતસમી  ભાષામાં તે પોતાના ખભા ઉપરના વાંસળીજૂથમાંની વાંસળીઓને વેચવાનો પ્રયત્ન કરે છે, પણ તેમાં તે સફળ થતો નથી, કેટલાક મહેનતકશ વર્ગના લોકોને મન વાંસળીનું કોઇ મૂલ્ય જ નથી હોતું.  તેમને મન તો તે એક લાંબી નળી જેવા વાંસમાં, જેમાંના કોઇક કાણાંને આંગળીઓથી બંધ કરો, કોઇકને ખુલ્લાં રાખો અને એક છેડેથી ફૂંક મારો એવી, સામાન્ય કારીગીરીની, કાણાં પાડેલ એવી એક વસ્તુથી વધારે કંઇ જ નથી.  મજૂર જેવા કોઇ સામાન્ય વર્ગના કેટલાંક લોકોને વાંસળીની ચાર આનાની કિંમત પોષાતી નથી, તેથી તેઓ તેને એક આનામાં ખરીદવા માટે રકઝક કરે છે.

આ કાવ્યના ગુજરાતી પાઠ મુજબ મારા મતે, “છો ના ખપી! ઈંધણથી જશે નહીં” નો એ અર્થ અભિપ્રેત છે કે  વાંસળીને એક આનામાં વેચવાને બદલે,  ન વેચાએલી વાંસળીઓનો ઈંધણનાં લાક્ડાં તરીકે ઉપયોગમાં લઈ લેવાની તેની  તૈયારી એ પોતાની કલાકાર તરીકેની ખુમારીની દ્યોતક છે. શેરીએ શેરીએ તેની રઝળપાટને અંતે પણ તેના ખભા ઉપરનો ભાર જરા પણ હળવો થતો નથી. એ દિવસની તેના ધંધાની સરિયામ નિષ્ફળતાએ તેને હતાશ નથી કરી નાખ્યો. હવે, તે તેના વાંસળીઓના જથ્થામાંથી સરસ મજાની એક વાંસળીને ખેંચીને હોઠે લગાડીને  તેના સૂરોને વહેવડાવવાનું શરૂ કરે છે. આ હતી તેની જીવંત જાહેરાત, જેનાથી એક બાળકી તેના તરફ  આકર્ષાય પણ છે. બારીમાંથી ઝૂકીને, હાથેથી તાળી પાડીને તે બાળકી વાંસળીવાળાને બોલાવવા મથે છે. પરંતુ, હવે વાંસળીવાળો તો પોતાના તાનમાં એવો મશગૂલ છે કે તેના આ સંભવિત ગ્રાહક તરફ  તેનું ધ્યાન જ જતું નથી. તેના કાનમાં તો તેની જ વાંસળીનું ગુંજન ગુંજ્યા કરે છે. આ વખતે નથી તો તે વાંસળીનો કારીગર કે નથી વાંસળીનો વિક્રેતા; તે તો હવે એક કલાકાર, એક્માત્ર સાચો કલાકાર જ છ !

આમ આ કાવ્ય પણ શેક્સપિરીઅન ઢબના  સૉનેટની જેમ આ શબ્દોમાં અંત પામે છે કે ‘હવે પરંતુ લયલીન કાન, ઘરાકનું લેશ રહ્યું ન ભાન !’

વલીભાઇ મુસા (લેખક)

અશોકભાઈ વૈષ્ણવ (ભાવાનુવાદક) : Cell # 9825237008 (vaishnav_ashok@rocketmail.com)

બ્લોગ : અશોક વૈષ્ણવના ભાવાનુવાદો 

[મૂળ લેખ, અંગેજીમાં “Expositions of Chosen Poems – 3 (The Flute Vendor) – A Gujarati Poem” શીર્ષક હેઠળ, ૯મી મે, ૨૦૧૧ના રોજ લેખકની વેબસાઇટ William’s Tales (Bilingual Multi Topic Reads) ઉપર પ્રકાશિત થએલ હતો.]

 

Tags: , , , , , , , , , , ,