RSS

Tag Archives: આત્મલક્ષી

(618) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૪૪ (આંશિક ભાગ – ૫) બાજ઼ીચા-એ-અતફ઼ાલ હૈ દુનિયા મિરે આગે(ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

બાજ઼ીચા-એ-અતફ઼ાલ હૈ દુનિયા મિરે આગે (શેર ૧૨ થી ૧૪)

હૈ મૌજ-જ઼ન ઇક ક઼ુલ્જ઼ુમ-એ-ખ઼ૂઁ કાશ યહી હો
આતા હૈ અભી દેખિએ ક્યા ક્યા મિરે આગે (૧૨)

[મૌજ-જ઼ન= જલદ વહેતું; ક઼ુલ્જ઼ુમ-એ-ખ઼ૂઁ= ખૂનની નદી]

અર્થઘટન અને રસદર્શન :

ગ઼ાલિબના કોઈક શેર આપણને અર્થઘટનમાં મુશ્કેલ લાગતા હોય છે, તેનું કારણ એ હોય છે કે તેમાં અતિ લાઘવ્ય હોવા ઉપરાંત અગાઉના કોઈ શેર સાથે તેનો પૂર્વાપર સંબંધ હોય છે. તો વળી ઘણીવાર વાક્છટાપૂર્ણ આલંકારિક શૈલીના કારણે મૂળ કથન ગૌણ બની જતાં એવા શેર સમજાતા નથી હોતા અને પરિણામે તેમનાં એકાધિક અર્થઘટનો થઈ શકતાં હોય છે. આમ અંધજન અને હાથીની કહાનીની જેમ દરેક સમીક્ષક પોતાની સમજ પ્રમાણે અર્થ તારવે છે. ગ઼ાલિબના પ્રશંસકો શેર અર્થઘટનના સાચાપણા સુધી ન પહોંચી શકવાના કારણને તેમની મર્યાદા ન ગણતાં તેને મતાંતરક્ષમાની દૃષ્ટિએ કૌશલ્ય તરીકે સ્વીકારે છે.

આ શેરના પ્રથમ મિસરામાં ગ઼ાલિબ તેમના અન્ય શેરમાં ભિન્ન ભિન્ન રીતે પ્રયોજાતા બદનના લહૂને પ્રવેગે વહેતી ખૂનની નદી (ફા.દરિયા) તરીકે ઓળખાવ્યું છે. અહીં માશૂકના શરીરની નસોમાં લોહી એટલું તો પ્રબળ રીતે પરિભ્રમણ કરી રહ્યું છે કે તેમની આંખોમાંથી અશ્રુની જગ્યાએ ધસમસતી નદીની જેમ લોહી વહેવા માંડે છે. ગ઼ાલિબ પોતાના કેટલાક શેરમાં જુદીજુદી રીતે રૂઢિપ્રયોગ તરીકે લોહીનાં આંસુએ રડવાની વાતનો ઉલ્લેખ કરે છે, પરંતુ અહીં તો પરાકાષ્ઠા છે. માશૂકા માશૂકના ઈશ્કની ગહરાઈને સમજી શકી ન હોઈ તેણીએ માશૂકના દિલને વેધક આઘાત પહોંચાડ્યો છે. આમ છતાંય માશૂક એ આઘાતને હળવાશથી લે છે, એમ કહીને કાશ આ આઘાત આખરી હોત તો કેવું સારું થાત! જો એમ હોત તો હું તેને આસાનીથી જીરવી લેત!

ઉપરોક્ત લોહીના આંખો દ્વારા અશ્રુ રૂપે વહેવાના અર્થઘટનના બદલે એમ પણ લઈ શકાય કે તે લોહી બદનમાં જ ફર્યા કરે છે, પણ તેની ગતિ તો ઊછાળા મારતી અને ત્સુનામીની જેમ ગાંડીતુર બનેલી નદી જેવી જ છે. લોહીના પરિભ્રમણની ગતિ અત્યાધિક થઈ જાય, ત્યારે વેદનાની પરાકાષ્ઠા અનુભવાતી હોય છે. માણસ જ્યારે ભયભીત બને, કોઈ માનસિક આઘાત અનુભવે અથવા તો આક્રોશમાં આવી જાય; ત્યારે હૃદયના ધબકારા વધી જતા આવી અસહ્ય બેચેની અનુભવે છે.      

શેરના બીજા મિસરામાં માશૂકા તરફથી આઘાત પામેલા માશૂક આપણ ભાવકને સંબોધીને કહે છે કે હજુ તો તમે જુઓ તો ખરા કે આથી પણ વધારે આગળ શું શું આવનાર છે! અહીં ‘ક્યા કયા’ નો પ્રમાણ દર્શાવતો એક અર્થ ‘આગળના દુ:ખ કરતાં વધારે દુ:ખ’ એમ લઈ શકાય, તો બીજા અર્થમાં સંખ્યાત્મક રીતે ‘આગળના કરતાં વધારે કંઈક કેટલાંય દુ:ખો’ એમ પણ  સમજી શકાય. આમ પ્રથમ મિસરામાંની મનોવ્યથાને પણ આંબી જાય તેવી આપત્તિજનક ઘટનાઓનો સંકેત બીજા મિસરામાં આપવામાં આવ્યો છે.

નોંધ :-

આ શેરમાંની ‘લહૂ’ને લગતી ગ઼ાલિબની પરિકલ્પનાને અનુરૂપ નીચેના કેટલીક ગ઼ઝલના શેર સરખાવવા અને સમજવા જેવા છે :   

રગોં મેં દૌડ઼તે ફિરને કે હમ નહીં ક઼ાઇલ
જબ આઁખ હી સે ન ટપકા તો ફિર લહૂ ક્યા હૈ

ઐસા આસાઁ નહીં લહૂ રોના
દિલ મેં તાક઼ત જિગર મેં હાલ કહાઁ

હૈ ખ઼ૂન-એ-જિગર જોશ મેં દિલ ખોલ કે રોતા
હોતે જો કઈ દીદા-એ-ખ઼ૂઁનાબા-ફ઼િશાઁ ઔર

* * *

ગો હાથ કો જુમ્બિશ નહીં આઁખોં મેં તો દમ હૈ
રહને દો અભી સાગ઼ર-ઓ-મીના મિરે આગે (૧૩)

[ગો= અગર જો; જુમ્બિશ= આમતેમ હલાવવાની ક્રિયા; દમ= શક્તિ, કૌવત; સાગ઼ર-ઓ-મીના= મદિરા રાખવાનું પાત્ર, સુરાહી]

અર્થઘટન અને રસદર્શન :

વળી પાછો આ જ ગ઼ઝલનો સાતમો શેર એ જ મતલબે પણ જુદા અંદાઝમાં અહીં ફરી આવ્યો છે, જે મદિરા અને મદિરાપાનની તારીફને બયાન કરે છે. સાતમા શેરમાંનો શબ્દસમૂહ ’પૈમાના-એ-સહબા’ અને આ શેરમાંનો શબ્દસમૂહ ‘સાગ઼ર-ઓ-મીના’ સમાન અર્થો ધરાવે છે. બંનેમાં ગ઼ાલિબે શરાબને ઉચ્ચતમ પાયરી બક્ષી છે. ગ઼ઝલ સાહિત્યમાં શરાબ અને શાયર એકબીજાના પર્યાય મનાય છે અને તેથી જ તો મોટા ભાગના શાયરો શરાબથી દૂર રહી શક્યા નથી. આપણા ગ઼ાલિબ પણ બાદા-ખ઼્વાર (શરાબી) જુમાતના સભ્ય છે, જેનો તેમણે નિખાલસપણે ઘણા શેરમાં સ્વીકાર કર્યો છે.

આ શેર આપણી આગળ એવું શબ્દચિત્ર રજૂ કરે છે કે જ્યાં શરાબની મહેફિલ જામી છે. તેજ (કડક) શરાબ (Fire-water)ના અતિસેવનથી ગ઼ાલિબ મદોન્મત બની ગયા હોઈ સાથીઓ તેમની નજર સામેથી સુરાહી અને પ્યાલાને હઠાવવા જઈ રહ્યા છે. આ જ ટાણે સાથીઓને એવી હરકત ન કરવાનું કહેવા માટે જાણે આ શેર રચાયો છે.

જ્યાં દાદ ઉપર દાદ આપવાનું મન થાય તેવા આ પહેલા મિસરામાં ગ઼ાલિબ સાથીઓને સંબોધતાં કહે છે કે ભલે ને શરાબના પ્યાલા તરફ હાથ લંબાવવાની મારામાં શક્તિ ન રહી હોય, પણ મારી આંખોમાં હજુ તો દમ છે કે જેના વડે ઓછામાં ઓછો હું શરાબને જોઈ તો શકું છું અને તે રીતે તેના દર્શનમાત્રથી પણ તેનું પાન કર્યાનો અહેસાસ હું કરી લઈશ.

બીજા મિસરામાં પ્રથમ મિસરામાંનું  કારણ આપીને ગ઼ાલિબ સાથીઓને સુરાહી કે પ્યાલાને હટાવી લેવાની મનાઈ ફરમાવતાં કહે છે એમને મારી નજર આગળ રહેવા દો, કેમ કે હું મારી આંખો વડે જ તેમાંના શરાબને પી લઈશ. આમ આ આખો શેર એ રીતે કહેવાયો છે કે જે આપણને રસિક રમૂજ પૂરી પાડે છે અને સાથે ગ઼ાલિબનું પિયક્કડપણું કેટલું અમર્યાદ હશે તેની સાબિતી પણ આપે છે. તદુપરાંત આ શેર દ્વારા ગ઼ાલિબે શરાબને ભવ્યતા પણ બક્ષી છે.

આ જ શેરનું બીજું શબ્દચિત્ર ગ઼ાલિબના જીવનના આખરી દિવસોને આધારિત એવું પણ બની શકે કે તેઓ જીવલેણ બીમારીના કારણે એટલા બધા કમજોર થઈ ગયા છે કે તેઓ પ્યાલા તરફ કદાચ તેમનો લકવાગ્રસ્ત હાથ પણ લંબાવી શકતા નથી અને તેથી તેઓ પથારીમાં પડ્યા પડ્યા તેને માત્ર જોઈ રહીને પણ સંતોષ માણી લેવા માગે છે. ગ઼ાલિબના જીવનના આખરી દિવસોને મેં ‘ગ઼ાલિબ પરિચય’માં અગાઉ વર્ણવી દીધા હોઈ અહીં હું તેની પુનરુક્તિ કરતો નથી. ગ઼ાલિબના જીવનને જાણનારાઓને ખબર છે કે તેઓ કેવી દુર્દશામાં જીવ્યા હતા અને તેથી જ તો શરાબ અને શાયરીના સહારે જ તેઓ લાંબું આયુષ્ય જીવી શક્યા હતા.

* * *

હમ-પેશા ઓ હમ-મશરબ ઓ હમરાજ઼ હૈ મેરા
ગ઼ાલિબકો બુરા ક્યૂઁ કહો અચ્છા મિરે આગે   (૧૪)

[હમ-પેશા= સમાન કારોબારવાળા; હમ-મશરબ= શરાબ પીવાની સમાન ટેવવાળા; હમરાજ઼= રહસ્યમિત્ર]

અર્થઘટન અને રસદર્શન :

હંમેશની જેમ ગ઼ાલિબનો લહેરી મિજાજે લખાયેલો આ આત્મલક્ષી (સ્વકેન્દ્રી) મક્તા શેર છે. શેરનું સ્વગતોક્તિ (soliloquy) કૌશલ્ય કાબિલેદાદ છે. જાત સાથે વાત કરનાર એકમાંથી બે ઈસમ થતો હોય છે, બસ તેમ જ આ શેરમાં બે ગ઼ાલિબ હોવાનો ભાસ થાય છે; પરંતુ વાસ્તવમાં તેમ નથી, ગ઼ાલિબ તો એક જ છે. તો પછી આપણે એકને શાયર અને બીજાને ગ઼ાલિબ પોતે એમ જ સમજવું પડશે અને તો જ આપણી સમજ ન્યાયી ગણાશે.

ગ઼ાલિબના સમકાલીન કોઈક શાયરે કે શાગિર્દે ઈર્ષાભાવે અથવા તો તેમની માશૂકાએ નફરતના ભાવે તેમને ઉતારી પાડતાં ભલાંબૂરાં વેણ કહ્યાં હશે કે તેમની પીઠ પાછળ નિંદા કરી હશે તેના જવાબરૂપે ચાલાકીભરી રીતે આ શેર લખાયો છે. શેરને આસાનીથી સમજવા માટે આપણે સાની મિસરાને પહેલો લેવો પડશે. શાયર ગ઼ાલિબ કહે છે તમે ‘ગ઼ાલિબ’ને મારી આગળ બૂરો કેમ કહો છો, એ તો મારી નજરે સારો માણસ જ છે. આત્મશ્લાઘાના દોષમાં પડ્યા વગર અને સામેના ટીકાકારના નામનિર્દેશ વગર સ્વબચાવ માટેની ગ઼ાલિબની પ્રયુક્તિ તેમને મોટા ગજાના હોશિયાર ગ઼ઝલકાર તરીકે સાબિત કરે છે.

હવે આપણને ઉલા મિસરામાંથી એ દલીલો જાણવા મળશે કે કયા આધારે શાયર ગ઼ાલિબ વાસ્તવિક ગ઼ાલિબને ‘અચ્છા’ ઈસમ તરીકે ઓળખાવે છે. તે કહે છે કે ‘(૧) અમે બંને સમાન કારોબાર (કામકાજ) કરવાવાળા અર્થાત્ શાયરો છીએ. (૨) અમે બંને શરાબપાનની ટેવવાળા છીએ. (૩) અમે રહસ્યમિત્રો છીએ, એટલે કે એકબીજાના ભેદને જાણવાળા છીએ. ભલા, આટઆટલું સામ્ય અને નિકટતા અમારી વચ્ચે હોય તો એમ એકબીજાને કેમ ન ઓળખી શકીએ! અને તેથી જ હું કહું છું કે ગ઼ાલિબ મારી આગળ અચ્છો ઇન્સાન છે, માટે તેને મારી આગળ બૂરો ન ચીતરો.’ આમ ગ઼ાલિબ પોતાના વક્તવ્યની તરકીબ થકી પોતાનો આત્મબચાવ (Self defence) કરે છે અને તેથી જ તો આ મક્તા શેર અન્ય મક્તા શેરના શિરોમણિરૂપ બની રહે છે.

* * *

– મિર્ઝા ગ઼ાલિબ  ( ગ઼ઝલકાર)                                                                                    (સંપૂર્ણ)

– વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

(ગ઼ઝલ ક્રમાંક – 209)

* * *

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

(૫) Courtesy : https://rekhta.org  

(૬) Courtesy –  urduwallahs.wordpress.com

(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

* * *

 

Tags: , , , ,

(૫૧૪) તમાકુત્યાગના પ્રયોગો અથવા સાચે જ મારી શરમકથા! – ૩ (ક્રમશ:)

મારો આત્મલક્ષી આ તૃતીય લેખ અનેકાનેક વ્યસનમુક્તિ માટે સંઘર્ષ કરતા વ્યસનીઓની માનવસહજ હાલકડોલક નિર્ણયશક્તિના કારણે મળતી નિષ્ફળતાને ઉજાગર કરશે. સમાજના રીઢા અપરાધીઓ કાયદાની પકડમાં આવે, ત્યારે પોતાના અપરાધની કબૂલાત કરતા નથી હોતા અને ઊલટાના એમ માનતા હોય છે કે ‘અપરાધ કબૂલ કરવો એ જ મોટો અપરાધ છે.!’(Confession is the greatest crime). આવા સામાજિક અપરાધીઓ અને વ્યસનીઓ વચ્ચે પાયાનો ફરક એ રહેતો હોય છે કે પેલા અપરાધીઓ તો અન્યોને સંતાપતા હોય છે, જ્યારે વ્યસની તો પોતાની જાતને જ હાનિ પહોંચાડતા હોય છે. પેલા અપરાધીઓ કબૂલાતથી દૂર ભાગે છે, વ્યસની પોતાના દોષનો સ્વીકાર કરે છે અને પસ્તાય છે; પરંતુ એ પસ્તાવાથી વિશેષ કશુંય કરી શકતો નથી હોતો! આમ છતાંય બડભાગી કોઈક વીરલો વ્યસનને કોઈકવાર મહાત કરીને વિજય તો મેળવી લે છે, પણ ઘણા કિસ્સાઓમાં સમય જતાં એ વિજય તકલાદી પુરવાર થતો હોય છે અને વળી પાછી એ વ્યસન સાથેની તેમની દોસ્તી જામીને પાકી થઈ જતી હોય છે.

મારા કિસ્સામાં પણ આમ જ બન્યું હતું. ત્રેપન ત્રેપન વર્ષની અવિરત એવી મારી તમાકુસેવનની બૂરી આદતનો અંત આવ્યો હતો અને ભારતના આઝાદીદિન તા.૧૫-૦૮-૨૦૧0ની મધ્યરાત્રિના બરાબર બારના ટકોરે હું પણ મારી તમાકુની ગુલામીને ફગાવી ચૂક્યો હતો. આ વખતના મારા સંકલ્પને સફળ થવા માટેના સંજોગો અનુકૂળ હતા, કેમ કે એકાદ અઠવાડિયામાં મારા હૃદયની સારવાર થવાની હતી. મેં વિચાર્યું હતું કે સાપ જેમ દરમાં સીધો થાય તેમ મારે દવાખાને સીધા થવાનું જ હતું, તો ઘરેથી સીધા થઈને જ કેમ ન જવું! વળી મેં મારા ઉપર મારું સ્વૈચ્છિક મનોવૈજ્ઞાનિક દબાણ એવી રીતે મૂક્યું હતું કે મેં મારા બ્લોગ ઉપર મારા તમાકુત્યાગના પરાક્રમનો જાણીજોઈને ઢંઢેરો પીટી નાખ્યો હતો. અગાઉ અનેકવાર મેં તમાકુત્યાગના પ્રયત્નો કર્યા હતા, પણ એ બધા મારા પૂરતા ખાનગી રહ્યા હતા; ‘મનમાં પરણવું અને મનમાં રંડાવું’ પ્રકારના જ તો વળી! ચાર જ દિવસ પછી તા.૧૯-૦૮-૨૦૧૦ના રોજ તાકીદના ધોરણે મારી બાયપાસ સર્જરી થઈ. મારી કટોકટીજનક સ્થિતિના કારણે છ દિવસ સુધીની આઈ.સી.યુ.ની મારી નજરકેદ પછી મારા રૂમમાં મને ખસેડવામાં આવ્યો; ત્યારે મેડિકેશનના કારણે જ્યાં મને પીવાનું પાણી કે ખાવાનું પણ બેસ્વાદ લાગતું હતું, ત્યાં તમાકુ ચાવવાનો વિચાર સુદ્ધાં પણ ક્યાંથી આવે! દવાઓની આ આડઅસર એકાદ મહિના સુધી રહી, જે મારા માટે લાભદાયી પુરવાર થઈ અને મારા પોતાના માન્યામાં ન આવે તેવી તમાકુત્યાગની અકલ્પ્ય સિદ્ધિ મને પ્રાપ્ત થઈ.

પછી તો તમાકુસેવનના નશાથી પણ બલવત્તર એવો તમાકુત્યાગનો નશો મારા દિલોદિમાગ ઉપર એવો છવાઈ ગયો કે હું પૂરાં ત્રણ વર્ષ અને બે માસ સુધી કોઈપણ જાતના માનસિક દબાણ વગર તમાકુથી વિમુખ રહી શક્યો. પરંતુ હું જાણીજોઈને ‘ખેલ ખેલમેં’ તા.૧૧-૧૦-૨૦૧૩ ના રોજ ભેંશનાં શિંગડાંમાં ફરી મારા પગ ભરાવી બેઠો. એ દિવસ મારી દીકરીનો જન્મદિવસ હતો અને મેં  સ્વર્ગીય આનંદ માણવાની અનુભૂતિ સાથે લાંબા વિરામ બાદ મારાં ગલોફાંમાં પહેલીવાર તમાકુનો માવોમસાલો ભરીને તેને મારા મોબાઈલ ઉપરથી અધ્યાહાર SMS કરી દીધો, આ શબ્દોમાં કે ‘I have celebrated your birthday in my own way.’. એ બિચારીએ વળતો ફોન કરીને ‘કેવી રીતે ઊજવી’નો ખુલાસો માગ્યો, ત્યારે મેં એને લબડાવતાં કહ્યું હતું કે ‘સમય આવ્યે કહીશ’ અને એ સમય આવ્યો આઠેક મહિના પછી જ્યારે કે મારાં શ્રીમતીએ મને લપાતાંછુપાતાં તમાકુ ચાવતાં પકડી પાડ્યો હતો. સ્વાભાવિક જ છે કે માદીકરી વચ્ચે આવા કૌટુંબિક સનસનીખેજ સમાચારની આપલે થયા વગર રહે જ નહિ ને!

મારા તમાકુસેવનના ત્રણ વર્ષ અને બે માસના સન્યાસ પછી પુન: શરૂ થયેલી નઠારી આ ટેવનો મારો કબૂલાતનામાનો આ લેખ લખાઈ રહ્યો છે, ત્યારે બે વર્ષ અને પાંચ માસ પૂરા થઈ ચૂક્યા છે. મારાં આપ્તજનો અને મિત્રો-સ્નેહીઓ કે જે મને દિલોજાનથી ચાહે છે અને એવા કોઈ મારા જેવા તમાકુના બંધાણીઓ કે જેમણે કદાચ મારું ઉદાહરણ લઈને વ્યસનત્યાગ કર્યો હશે એ સઘળાને દુ:ખ થવા સાથે એક પ્રશ્ન પણ સતાવતો હશે કે મારે આમ કેમ કરવું પડ્યું હશે? મેં ઉપર ‘જાણીજોઈને’ શબ્દ સાથે ‘ભેંશનાં શિંગડાંમાં પગ ભરાવી બેઠો’ની જે વાત સહજ રીતે જણાવી દીધી છે તેને કંઈ ખુલાસો ન કહી શકાય તે હું સમજી શકું છું. ‘જાણીજોઈને’ શબ્દ સાથે સંકળાયેલા બે પ્રશ્નો – ‘શું જાણીને?’ અને ‘શું જોઈને?’ – અનુત્તર જ ઊભા રહે છે. આ પ્રશ્નોનો મારી પાસે કોઈ જવાબ નથી અને કોઈપણ વ્યસનમાં ગળાડૂબ હોય એવા કોઈપણ વ્યસની પાસે આવા પ્રશ્નોના જવાબ હોઈ શકે નહિ.

વળી કદાચ માનો કે આવા પ્રશ્નોના જવાબ અપાય તો તે સ્વબચાવ (Defense mechanism) માટેના જ હોવાના અને પ્રશ્નકર્તાને કદીય એવા જવાબોથી સંતોષ ન થાય એ પણ એક હકીકત છે. આમ છતાંય મેં જ જ્યારે આ સવાલો ઊભા કર્યા છે, ત્યારે મારે એના જવાબો આપવા જ રહ્યા અને એ બંને પ્રશ્નોનો મારો એક જ જવાબ છે ‘મારી માનસિક નિર્બળતા!’. મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આપ સૌ વાચકો સમજી શકશો અને હું પોતે પણ સમજી શકું છું કે મેં જે તમાકુત્યાગ કર્યો હતો તે દિલથી નહિ, પણ મજબૂરીથી કર્યો હતો. જે માણસ પોતાને વ્યસન ક્યારથી વળગ્યું તે જાણે છે, એ વ્યસન કેટલા સમય સુધી રહ્યું એ પણ તે જાણે છે; એ માણસ કયા દિવસથી વ્યસનનો ત્યાગ કર્યો તેની નિશ્ચિત તારીખ યાદ રાખે છે, કેટલાં વર્ષ અને ઉપર કેટલા માસ સુધી પોતે વ્યસનમુક્ત રહ્યો તેનો હિસાબ પણ તેની પાસે છે. વળી ફરી વ્યસન શરૂ કર્યા પછી હાલ સુધીમાં કેટલો સમયગાળો વ્યતીત થયો છે તેની પણ વેપારીનામાની જેમ તેને ખબર છે. આ સઘળું બતાવી આપે છે કે તેના માનસપટમાંથી તમાકુ સદંતર ભુંસાઈ નથી. અંગારા ઉપર રાખ વળેલી હોય, પણ અંદર અગ્નિ પ્રજળતો જ હોય તેવી આ વાત થઈ ગણાય. વ્યસનના ભોગ બનવું એટલે એક પ્રકારની સાધ્યદુષ્કર માનસિક બિમારીને નોંતરવી અને એ બિમારીનો ઈલાજ જડમૂળથી ન થાય તો ફરી ઉથલો મારે જ એ હકીકતને સ્વીકારવી જ રહી.

કોઈ વાચક વળી મારા આ લેખના ફલિતાર્થને જાણવા માટેનો સવાલ ઊઠાવે તો હું એટલું જ કહી શકું એમ છું કે લેખના શીર્ષક મુજબ મારા પોતાના માટે તો આ સાચે જ શરમકથા છે, પણ વ્યસનત્યાગ માટેની મારી મથામણ અને અંતે મને મળતી નિષ્ફળતા અન્ય એવા વ્યસનમુક્ત લોકો માટે દાખલારૂપ બની શકે કે કદી કોઈએ આવાં ઝેરનાં પારખાં કરવાનો વિચાર સુદ્ધાં પણ કરવો જોઈએ નહિ. પેટ ચોળીને શૂળ ઊભું કર્યા પછી તેના ઈલાજ માટે ફાંફાં મારવા કરતાં શૂળ ઊભું જ ન કરવું એમાં જ શાણપણ છે. આજનો યુવાવર્ગ તંદુરસ્તીને હાનિકારક એવાં વ્યસનોથી દૂર રહે એમાં જ એની ભલાઈ છે.

-વલીભાઈ મુસા

નોંધ :- (217) તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી શરમકથા – ૧ માટે અહીં ક્લિક કરો

           (218) તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી શરમકથા – ૨ માટે અહીં ક્લિક કરો.

           (૫૧૫) તમાકુત્યાગના પ્રયોગો અથવા મારું પરોપદેશે પાંડિત્યમ્ – ૪ માટે અહીં ક્લિક કરો.

           (૫૧૬)  તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી સાફલ્યકથા –  ૫ માટે અહીં ક્લિક કરો.

 

 
4 Comments

Posted by on March 15, 2016 in લેખ

 

Tags: , , , , , , ,

(૪૪૦) “લ્યો, હું તો જીવતો રહ્યો, મરી ન ગયો !!!”

[ડિસ્ક્લેમર – આ લેખ સંપૂર્ણતયા એક ‘નિકમ્મા’ માણસનો આત્મલક્ષી (જાત અંગેનો) વાહિયાત લેખ છે. બ્લૉગવાચકના વાંચનની હરેક પળ કિંમતી હોય છે, તે એની જાણ બહાર ન હોવા છતાં; એ આ ધૃષ્ટતાપૂર્ણ હરકત કરવા કૃતનિશ્ચયી છે ! તો વાચકમિત્રો એને બકવા દો ! (‘વલદા’ ઊર્ફે ‘વિલિયમ’ના આત્માનો અવાજ!]

*   *   *   *   *   *

સર્વ પ્રથમ તો હું આપ સૌ વાચકોને માત્ર ભલામણ જ કરું છું (કોઈ આગ્રહ નથી, હોં !) કે આ ‘નિકમ્મા’ માણસનો ‘નિકમ્મો’ લેખ વાંચવા પહેલાં કે પછી પણ અનુકૂળતાએ તેનો એક લેખ મારો જન્મદિવસ –નવી નજરેને નજરતળે કાઢી લેશો. આમ કરવાથી મિરઝા ગાલિબના આ મતલબના એક શેર “મસ્જિદમાં ગુમાવેલા સમયનું સાટું પીઠામાં જઈને વાળો !” – (વાચ્યાર્થ ન લેતાં એના ગૂઢાર્થને પામવા જેવો છે !) પ્રમાણે તમે કંઈક ફાયદામાં રહેશો !

હવે મારા બકવાસને શરૂ કરવા પહેલાં પોતાના ચિંતનપ્રધાન લેખોથી વાચકોના ચારિત્ર્યઘડતર માટે અખબારોમાં મુલ્યવાન વાંચનસામગ્રી પીરસતા વિખ્યાત સાહિત્યકાર શ્રી કૃષ્ણકાન્ત ઉડનકટના (‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 10 ઓગસ્ટ, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ) લેખના એક ઉમદા અંશને તેમની સંમતિની અપેક્ષાએ નીચે આપી રહ્યો છું, જે મારા આગળ આવનારા લખાણને સહ્ય બનાવવા માટે અગાઉથી બેલીરૂપ બની રહેશે !

“રાહ ન જુઓ. રાહ જોવામાં ઘણી વખત બહુ મોડું થઈ જતું હોય છે. જિંદગીની દરેક ક્ષણ એક સરપ્રાઇઝ છે અને દરેક સરપ્રાઇઝ પ્લેઝન્ટ નથી હોતી. સારું સરપ્રાઇઝ હોય એને આપણે ‘વ્હોટ અ પ્લેઝન્ટ સરપ્રાઇઝ’ કહીએ છીએ, સારું ન હોય એ સરપ્રાઇઝ આઘાત બની જતી હોય છે. જિંદગી જીવવી છે ? તો જિંદગી ઉપર ભરોસો ન કરો. જિંદગી જીવી લો. અત્યારે અને આ ક્ષણે જ. જિંદગી તમને છેતરે એ પહેલાં તમે એને છેતરતા રહો. ઘણા લોકો પાસે બધું જ હોય છે, બસ જિંદગી નથી હોતી. ઘરે જવાની ઉતાવળ ન હોય એવા માણસની વેદના ચીસો પાડતી હોય છે પણ કોઈ એ ચીસો સાંભળતું નથી. તમને રોજ ઘરે જવાની ઉતાવળ હોય છે ? જો આવું થતું હોય તો તમે નસીબદાર છો. કોઈ પ્રોમિસને પેન્ડિંગ ન રાખો, કોઈ વાયદાને અધૂરો ન છોડો, કોઈ ઇચ્છાને દબાવી ન રાખો. સમય દગાખોર છે, એનો જરાયે ભરોસો ન કરો. એ ક્યારેય જરાયે ધીમો કે આપણે કહીએ એમ ચાલવાનો નથી. એ તો એની રફતારથી જ ક્યારેક સીધી તો ક્યારેક આડી-ટેડી ચાલ ચાલતો રહેવાનો છે. સમયને પડકારીને કહો કે તારે જે રીતે ચાલવું હોય એ રીતે ચાલ, મને ફર્ક પડતો નથી, કારણ કે મારે જે કરવાનું છે એ હું ક્યારેય મુલતવી રાખતો નથી !”

સર્વપ્રથમ તો મારા ઉપરોક્ત લેખને ન વાંચનારાઓની જાણ માટે કહી દઉં કે મારી જન્મતારીખ ૭મી જુલાઈ છે અને વર્ષ છે, ૧૯૪૧. ચાલુ વર્ષના જ ગત જુલાઈની ૭મી તારીખે હું મારા જીવનનાં ૭૩ વર્ષ પૂરાં કરીને ૭૪મા વર્ષમાં પ્રવેશ્યો હતો. આમ તો હું મારાં સદગત ત્રણેય માવીતરને હરપળે મારા સાન્નિધ્યમાં જીવંત જ અનુભવતો હોઉં છું, પરંતુ એ દિવસે મારાં શ્રીકૃષ્ણનાં દેવકીમા સમાં મારાં નૂરીમા (My biological mother)ની વિશેષ યાદ આવી ગઈ. (અમારાં ‘જશોદામા’ અર્થાત ‘મલુકમા’ વિષેનો એક લેખ જાણે કે તેઓ અમારાં ખરાં મા ન હોય !’ શીર્ષકે મારા બ્લોગ ઉપર વિદ્યમાન છે જ.). નૂરીમાની યાદ આવવાનું કારણ એ હતું કે તેમનું અવસાન ૧૯૭૩ની સાલમાં થયું હતું. જો કે એમની મૃત્યુ તારીખ તો ૦૪-૦૧-૧૯૭૩ જ હતી અને ‘૭૩’ના આંકડા સિવાય અહીં અન્ય કોઈ સામ્ય ન હતું. પરંતુ આંકડાશાસ્ત્રમાં રસ ધરાવતા એવો હું એ તારીખને મારી આદત મુજબ ૭૩-૦૧-૦૪ ગોઠવી બેઠો અને મારા મનમાં એક વિચાર ઝબક્યો કે ‘વલદા, આ તો ૭૩ વર્ષ ૧ માસ અને ૪ દિવસ જેવું થયું ન ગણાય !’ ! પછી તો તરત જ મેં મારી જન્મતારીખમાં ૧ માસ અને ૪ દિવસ ઉમેરી દીધા અને જુલાઈ માસના ૩૧ દિવસને ધ્યાનમાં રાખીને નવીન તા.૧૧-૦૮-૧૪ને તારવી કાઢી. હવે આ તારીખને મારે શું સમજવું, એમ વિચાર કરતાંકરતાં મને લાગ્યું કે આને હું મારી નવીન જન્મતારીખ તો ન જ બનાવી શકું; કેમ કે કોઈ પણ વ્યક્તિની જન્મતારીખ તો નિશ્ચિત હોય છે, અફર હોય છે. મારો વિચાર આગળ ધપ્યો અને હું મનોમન તા.૧૧-૦૮-૧૪ને મારી મૃત્યુ તારીખ ધારી બેઠો.

આજે મારા મૃત્યુ માટેની ધારેલી તા.૧૧-૦૮-૧૪ છે અને આજે આ જ તારીખે આ લેખ લખી રહ્યો છું. હું લખતાંલખતાં આટલા સુધી આવ્યો છું અને કોમ્પ્યુટરના ઘડિયાળમાં જોઉં છું, તો ભારતીય સાંજના ૫:૪૦ નો સમય બતાવે છે. હજુ તો મધ્ય રાત્રિના બાર વાગે તારીખ બદલાશે. જો હું અવસાન પામ્યો તો આજની તા.૧૧-૦૮-૧૪ એ મારી મૃત્યુતારીખ બની રહેશે, જેની સાથે મારા મૃત્યુ પછી મારે તો કોઈ મતલબ રહેશે નહિ; કેમ કે હું તો અનંતની યાત્રાએ પહોંચી ગયો હોઈશ ! વળી હું જીવતો રહ્યો, તો પણ આ તારીખ મારા માટે કોઈ ખપની રહેશે નહિ; સિવાય કે એક હાસ્યાસ્પદ તુક્કા તરીકેની મારા માટેની એક તારીખ ! પણ હા, તા.૧૨-૦૮-૧૪નું મારા માટે એક મહત્ત્વ રહેશે ખરું; કેમ કે મારા અંગત મતે જીવતદાન પામ્યા પછીની ફક્ત મારા માટેની જ એ મારી નવીન જન્મતારીખ તો જરૂર હશે !

આમ આજની મધ્યરાત્રિએ હું કુટુંબીજનો આગળ શાબ્દિક રીતે નહિ, પણ સ્વગત આ શબ્દો તો મારા મનમાં લાવીશ જ કે ‘લ્યો, હું તો જીવતો રહ્યો, મરી ન ગયો !!!’

-વલીભાઈ મુસા

 

Tags: , , , , , , , , , , , ,

(228) હાસ્યહાઈકુ : ૧૨ – હાદના દાયરેથી (૭)


મોટેરાં, સમોવડિયાં અને છોટેરાં હાદજનો,

કહળાં (કુશળ) હશો.

મારા હાહા-11 માં તો પેલી બાપડી ભર ઊંઘમાં હતી અને પડખું ફરી ગઈ, એમાં ક્યાં ‘કિટ્ટા’ ની વાત આવી! વળી એ મૂઓ એટલો મોડા સુધી જાગતો હશે, ત્યારે જ તેણે આ દૃશ્ય જોયું હશે ને! વળી પાછો વિચાર આવે છે કે આપણે એ બિચ્ચારાની દયા ખાવી જોઈએ કે એક સત્તર અક્ષરના નાનકડા ‘આત્મલક્ષી’ હાઈકુડા માટે એણે રાત્યોના ઉજાગરા કર્યા! અહીં હું ફિલ્મો અને ટીવી સિરીયલોનો ચવાઈ ગએલો ડાયલોગ નહિ બોલું કે “‘કુછ પાનેકે લિએ કુછ ખોના પડતા હૈ |”

મારા અધીરા વાંચકો વિચારશે કે આ જૂની રેકર્ડ કેમ વગાડી, તો મારે નવો નક્કોર ડાયલોગ ફંગોળવો પડશે કે “કુછ નયા દેનેકે લિએ, કુછ પુરાના યાદ કરના પડતા હૈ |” ઈસ લિએ કે તેના સાથે હાહા-12 નું અનુસંધાન છે.

લેક્ષિકોનમાં ‘કિટ્ટા’ શબ્દ અને તેનો અર્થ મળ્યો, પણ તેના દુશ્મન (વિરોધી) નો શબ્દ ન મળ્યો; પણ, મારા UKG પૌત્રે મને ’બુચ્ચા’ શીખવ્યું છે, જો તમે લોકો એ શબ્દને માન્યતા આપો તો! તમારી જાણ સારું કહી દઉં કે (કૌંસમાં) 1971 થી 2010 સુધીમાં હજુ પાકિસ્તાને બાંગલા દેશને માન્યતા આપી નથી! (કૌંસ પૂરો)

===================================================

તો હાદજનો, મારા હાહા-12 માં ‘કિટ્ટા’નું સાટું આ રીતે વળે છે :-


હાસ્ય હાઈકુ – 12


ડબલબેડ

અવ વિશાળ, ભીંસે

કોણ તથાપિ!


– વલીભાઈ મુસા

હાસ્યદરબાર

 

Tags: , , , , , , ,