RSS

Tag Archives: ઉમાશંકર જોશી

(621) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૪૭ (આંશિક ભાગ – ૩) આહ કો ચાહિએ ઇક ઉમ્ર અસર હોતે તક (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ * વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

This image has an empty alt attribute; its file name is image.png

આહ કો ચાહિએ ઇક ઉમ્ર અસર હોતે તક (શેર ૫ થી ૬)

હમ ને માના કિ તગ઼ાફ઼ુલ ન કરોગે લેકિન
ખ઼ાક હો જાએઁગે હમ તુમ કો ખ઼બર હોતે તક (૫)

[તગ઼ાફ઼ુલ= અવગણના; ખ઼ાક=માટી]

ગ઼ઝલના અન્ય શેરની સરખામણીએ આ શેર સરળ છે તો ખરો, પણ તેમાં ઘુંટાયેલી આશિકી અને દર્દ એવાં તો સંવેદનશીલ છે કે બીજા મિસરાના પઠન વખતે ભાવક એવો તો ભાવવિભોર બની જાય કે જાણે તે પોતે જ અવસાન પામી ચૂક્યો છે અને હાય અફસોસ કે માશૂકાને તેની ખબર સુદ્ધાં પણ નથી! મૌલિક અને અલૌકિક સાહિત્યસર્જનની એ તો ખૂબી હોય છે કે તેમાં ભાવક સર્જકનો હમદર્દ બની રહે છે.

પ્રથમ મિસરાના પઠનમાં  ‘લેકિન’ શબ્દ આવે ત્યાં સુધી માશૂકની જેમ આપણે પણ આશાવાદી રહીએ છીએ અને પાકો યકિન ધરાવીએ  છીએ કે તેણી માશૂકની અવહેલના કદીય કરશે નહિ; પરંતુ ‘લેકિન’ શબ્દ આપણા અને માશૂકના ભ્રમનો ભુક્કો બોલાવી દે છે કે માશૂકા એવી તો કઠોર છે કે તે કદીય દાદ આપશે નહિ. અહીં ગ઼ાલિબની શબ્દ પાસેથી કામ લેવાની કાબેલિયત તો જુઓ કે ‘લેકિન’ શબ્દ માત્ર જ આપણને ઘણું કહી જાય છે.

બીજા મિસરામાં હૃદયને હલાવી નાખતી માશૂકની વેદના એવી રીતે પડઘાય છે કે માશૂકાની બેરહમીનો કરુણ અંજામ માશૂકના મોતથી જ આવશે. આમ માશૂક માશૂકાને આગાહ કરતાં જણાવે છે ભલે તેમની ચાહતનો  પ્રતિભાવ ન મળે તોય તેઓ તો જીવનભર પોતાના પક્ષે માશૂકાને ચાહતા જ રહેશે.  વળી આમ ને આમ ચાહતાં ચાહતાં જ મોત આવી જશે અને માશૂકાને આ સમાચારની જાણ થવા પહેલાં તો કબ્રમાં દફન થતાં તેમનું અસ્તિત્વ માટીમાં ફેરવાઈ પણ ગયું હશે. આખીય ગ઼ઝલમાં આપણે જોઈએ છીએ કે ‘હોતે તક’ રદીફને  દરેક શેરમાં પૂર્ણ ન્યાય અપાયો છે.

કોઈ મીમાંસકો આ શેરને માશૂકના માશૂકા તરફના ટોણા કે કટાક્ષ તરીકે જુએ છે. તેમનું માનવું એમ છે કે માશૂક માને તો છે જ કે એક વખત એવો આવશે કે માશૂકાનો પ્રેમ તેમના તરફ ઊભરાશે તો ખરો, પણ તે એટલું બધું મોડું થઈ ગયું હશે કે માશૂક કબ્રમાં માટી થઈ ગયા હશે! અહીં આપણે ગુજરાતી કવિ ઉમાશંકર જોશીના ‘બળતાં પાણી’ કાવ્યની અંતિમ પંક્તિ ‘અરે એ તે ક્યારે ભસમ સહુ થઈ જાય પછીથી’ને સાંકળી શકીએ. સંક્ષિપ્તમાં આ કડીને સમજીએ તો નદીના જન્મદાતા પહાડમાં લાગેલા દવને હોલવવા માટે નદી ઝડપથી વહીને, સમુદ્રમાં ભળીને, વાદળ બનીને વરસવા ઇચ્છે છે, પણ ત્યાં સુધીમાં તો  બધું બળીને ભસ્મ થઈ ગયું હશે! 

* * *

પરતવ-એ-ખૂર સે હૈ શબનમ કો ફ઼ના કી તાલીમ
મૈં ભી હૂઁ એક ઇનાયત કી નજ઼ર હોતે તક (૬)

[પરતવ-એ-ખ઼ુર= સૂર્યનાં કિરણો; શબનમ= ઝાકળ; ફ઼ના= મરી ફીટવું; ઇનાયત= કૃપા, મહેરબાની] 

ગ઼ાલિબ તેમના શેરમાં ઉપમાઓ (Similes) અને દૃષ્ટાંતો આપવામાં માહિર છે, વળી એ ઉપમાઓ કે દૃષ્ટાંતો ચીલાચાલુ ન હોતાં વિશિષ્ઠ હોઈ કાબિલે તારીફ પણ હોય છે. પ્રાકૃતિક દૃશ્યો પરત્વેની તેમની અવલોકનશક્તિ ગજબની હોય છે. વળી ભાષાના અલંકારો તેમના કથનને સંપૂર્ણ રીતે સહાયક બની રહે છે. શેરના પ્રથમ મિસરામાં ગ઼ાલિબ વૃક્ષોનાં પાંદડાં કે ફૂલની પાંખડીઓ ઉપર વહેલી પરોઢે બાઝતાં ઝાકળબિંદુ અને ઊગતા સૂર્યનાં કિરણો વચ્ચેના તાલને સમજાવે છે. સૂર્યનાં કિરણો પાસેથી એ ઝાકળબિંદુઓ દરરોજ  ફના થવાની જાણે કે તાલીમ લે છે, વળી માત્ર તાલીમ જ નહિ, ફના થઈ પણ બતાવે છે. અહીં આપણે જ્યારે ગ઼ાલિબને ઉપમાઓના બાદશાહ તરીકે ઓળખાવતા હોઈએ, ત્યારે આપણે પણ આપણી કલ્પનાશક્તિને થોડીક ધારદાર બનાવીને આ શેરના અર્થઘટનમાં યથાશક્તિ યોગદાન આપી શકીએ. અહીં કલ્પી શકાય કે ઝાકળબિંદુઓ સૂર્યનાં કોમળ કિરણોના સ્પર્શને ઝંખે છે. તેમની આ ઝંખનાનો ઉદ્દેશ કદાચ એ હોઈ શકે, કે તેમના કલેવર ઉપર નાનકડું પણ એક મેઘધનુષ્ય સર્જાઈ જાય અને તેમનું અલ્પકાલીન જીવન  ધન્ય બની જાય. ખેર, હવે આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ તો આ મિસરામાં ઝાકળના અસ્તિત્વની કાળમર્યાદા બતાવાઈ છે. સૂર્યકિરણોનો સ્પર્શ થયો ન થયો  અને તે ઝાકળ બિદું બાષ્પ બનીને હવામાં ભળી જાય છે, હાલ સુધી જે દૃશ્યમાન હતું તે અદૃશ્ય બની જાય છે.

હવે ગ઼ાલિબ શેરના પ્રથમ મિસરામાંના દૃષ્ટાંતને આધાર બનાવીને પોતાની કેફિયત રજૂ કરે છે. માશૂક માશૂકાને પૂર્ણત: પામવાની આશા તજી દઈને તેની માત્ર કૃપાદૃષ્ટિને સ્વીકાર્ય ગણી લે છે. ‘મૈં ભી હૂઁ’ એવા એકાક્ષરી ત્રણ શબ્દો મિતભાષી હોવા છતાં તે ‘મારું પણ અસ્તિત્વ’ એમ સમજાવી જાય છે. પેલા ઝાકળના બિંદુની જેમ જ માશૂકાની રહેમનજરની એક ઝલક જોવા મળી જાય કે પછી તરત જ માશૂક ફના થઈ જવા  તૈયાર છે. આમ માશૂકનું અસ્તિત્વ જે ટકી રહ્યું છે; તેનો એકમાત્ર આશય છે, માશૂકાની અમીદૃષ્ટિને જીવનની આખરી પળે માણી લેવાનો. આ મિસરાનો બીજો ઇંગિત અર્થ આમ પણ લઈ શકાય માશૂકાની રહેમનજરની આખરી ઝલક જોવા મળ્યાના આનંદના અતિરેકમાં તે માશૂકના મોતનું કારણ પણ બની જાય!  

કવિવર રવીન્દ્રનાથ ટાગોરના બંગાળી ભાષામાં લખાયેલા કાવ્ય ‘ઝાકળબિંદુ’ને ઝવેરચંદ મેઘાણીએ એ જ શીર્ષકે ગુજરાતીમાં અનુવાદિત કર્યું છે, જેની પ્રારંભની પંક્તિઓ આ પ્રમાણે છે : ‘ઝાકળના પાણીનું બિંદુ, એકલવાયુ બેઠું’તુ; એકલવાયુ બેઠું’તુ, ને સૂરજ સામે જોતું’તું; સૂરજ સામે જોતું’તું, ને ઝીણુંઝીણું રોતું’તું; સૂરજભૈયા, સુરજભૈયા, હું છું નાનું જળબિંદુ’ આ કાવ્યમાંનો વિચાર પણ આપણા મિસરામાંના વિચાર સાથે સુસંગત છે, કેમ કે બંનેમાં છેવટે તો ઝાકળબિંદુ ફના થાય છે.    

* * *

– મિર્ઝા ગ઼ાલિબ  ( ગ઼ઝલકાર)                                                                            (ક્રમશ: ભાગ-૪)

– વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

(ગ઼ઝલ ક્રમાંક – 79)

* * *

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

(૫) Courtesy : https://rekhta.org 

(૬) Courtesy –  urduwallahs.wordpress.com

(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ

* * *

 

Tags: , , ,

(૫૧૮-અ) ઊર્મિકાવ્ય – સર્જક અને ભોક્તાના હૃદયોલ્લાસને છલકાવતો એક ઋજુ કાવ્યપ્રકાર

પૂર્વ અને પશ્ચિમના કાવ્ય મીમાંસકોએ ઊર્મિકાવ્ય વિષે વિશદ ચર્ચાઓ કરી છે. એ ચર્ચાઓ એની ગેયતા-અગેયતા કે ભાવવાહી પઠન, તેનું આત્મલક્ષીપણું કે પરલક્ષીપણું કે પછી એના ઉગમસ્થાન આસપાસ થતી રહી છે. મોટા ભાગના વિદ્વાનોનો સામાન્ય મત એ રહ્યો છે કે આ કાવ્યપ્રકાર અંગ્રેજી સાહિત્યમાંથી વિશ્વભરની ભાષાઓમાં વિસ્તર્યો છે. અંગ્રેજી સાહિત્યમાં આ કાવ્યપ્રકારને લિરિક (Lyric) તરીકે ઓળખાવવામાં આવ્યો છે, જે લાયર (Lyre) ઉપરથી બન્યો છે; જેનો અર્થ થાય છે, એક પ્રકારનું વીણા જેવું વાદ્ય. આમ એમ જણાય છે કે પ્રારંભે લિરિકને ગેયરચના તરીકે જ પ્રસ્થાપિત કરવામાં આવી હોવી જોઈએ અને તેથી જ ગુજરાતી સાહિત્ય પરિષદના ઊર્મિકાવ્ય વિષેના ‘વાંચનકક્ષ આર્કાઈવ્ઝ’ પ્રમાણે આપણા ગુજરાતી સાક્ષરોએ પણ લિરિકની ગેયતાને સ્વીકારી છે અને તેમણે ગેયતાસૂચક ઓળખનામો પણ આપ્યાં છે; જેવાં કે નર્મદે ‘ગીતકવિતા’, નવલરામે ‘સંગીતકવિતા’ કે ‘ગાયનકવિતા’, નરસિંહરાવે ‘સંગીતકાવ્ય’, આનંદશંકરે ‘સંગીતકલ્પકાવ્ય’, રમણભાઈએ ‘રાગધ્વનિકાવ્ય’ વગેરે. કાળક્રમે લિરિકની ગેયતા ગૌણ બનતી રહી અને તેથી જ તો ન્હાનાલાલે એને ‘ભાવકાવ્ય’ તરીકેની ઓળખ આપી, તો વળી બળવંતરાયે તેને ‘ઊર્મિકાવ્ય’ ગણાવ્યું જે સંજ્ઞા ‘લિરિક’ના વિકલ્પે રૂઢ થઈ ગઈ.

ઊર્મિકાવ્યને ભલે ને એક ખાસ પ્રકાર તરીકે ભિન્ન રૂપે દર્શાવવામાં આવતું હોય, પણ મારા અંગત મતે વાસ્તવમાં તો કોઈપણ સાહિત્યસર્જન ઊર્મિના પરિપાક રૂપે જ હોય છે. ‘ઊર્મિ’ના શબ્દકોશીય અર્થો ‘ઉમળકો’, ‘આવેગ’, ‘લાગણીનો તરંગ કે ઉછાળો’, ‘ઉલ્લાસ’ વગેરે છે અને કોઈપણ સર્જન ઊર્મિ થકી જ સર્જાતું હોય છે. આમ ગદ્ય કે પદ્યનો કોઈપણ સાહિત્યપ્રકાર ઊર્મિસર્જન જ ગણાય. કાલિદાસનું ‘મેઘદૂત’ હોય, પ્રેમાનંદનું ‘આખ્યાન’ હોય, અખાના ‘છપ્પા’ હોય, બળવંતરાય ઠાકોરનાં ‘સોનેટ’ હોય, કલાપીનાં પ્રણયકાવ્યો હોય કે પછી કાન્તનાં ‘ખંડકાવ્યો’ હોય; અરે, એનાથી આગળ વધીએ તો ગદ્યનો કોઈપણ સાહિત્યપ્રકાર હોય – એ બધાં ઊર્મિસર્જનો જ ગણાય. કોઈપણ બાહ્ય સંવેદનશીલ ઘટના કે દૃશ્ય અથવા તો આંતરિક કોઈ વિચાર કે મનોભાવ સર્જકમાં ઊર્મિભાવ જગાડે અને કોઈક ને કોઈક સાહિત્યપ્રકારનું સર્જન થઈ જાય. આ તો એક વાત થઈ ગણાય અને ઊર્મિને વ્યાપક અર્થમાં પ્રયોજાતી હોવાનો મારો કે અન્યોનો એક મત સમજવો રહ્યો. આ લેખમાં તો આપણે ઊર્મિકાવ્યને એક માત્ર સ્વતંત્ર કાવ્યપ્રકાર સમજીને જ નહિ, પણ ઊર્મિતત્ત્વ ધરાવતા કોઈપણ કાવ્યને અનુલક્ષીને એ જ દિશામાં આગળ વધીએ.

ઊર્મિકાવ્ય (Lyric) માટે પાશ્ચાત્ય વિવેચકોએ આપેલી વિવિધ વ્યાખ્યાઓમાંથી નિચોડરૂપે બહાર આવતી વ્યાખ્યા છે : “Lyric is a poem that expresses the personal feelings of the poet.”; અર્થાત્, ઊર્મિકાવ્ય એ એવું કાવ્ય છે કે જે કવિની અંગત લાગણીઓને અભિવ્યક્ત કરે છે. મેં મારા “My Lyric – I (મારું ઊર્મિકાવ્ય–૧)”ની અંગ્રેજી પ્રસ્તાવનામાં પણ આ વ્યાખ્યાને સમર્થન આપ્યું છે. ઉમાશંકર જોશીએ પોતાના ‘શૈલી અને સ્વરૂપ’ પુસ્તકમાં ‘અર્વાચીન ઊર્મિકાવ્ય’ નામના લેખમાં ઊર્મિકાવ્યની આ ચાર બાબતો ઉપર ભાર આપ્યો છે : (૧) ઊર્મિકાવ્ય માત્ર વિદેશી એટલે કે આયાતી જ છે એવું નથી. (૨) ઊર્મિકાવ્ય સિવાયની અન્ય કવિતાને પણ જો તેમાં ઊર્મિતત્ત્વની હાજરી હોય તો તેને પણ ઊર્મિકાવ્ય તરીકે ઓળખાવી શકાય. (૩) ઊર્મિકાવ્ય ગેય જ હોવું જરૂરી નથી; તે અગેય પણ હોઈ શકે. (૪) ઊર્મિકાવ્યને અતીત (ભૂતકાળ) છે, તેમ તેનું ભવિષ્ય પણ હોઈ શકે. ઉમાશંકરભાઈએ ઊર્મિકાવ્ય વિષે વિશેષ જે એક વાત કહી છે તે છે, ઊર્મિકાવ્યમાંથી કવિના ઉલ્લાસ, ઉમંગ કે ઉમળકાનું પ્રગટ થવું. ઊર્મિકાવ્યમાં કોઈ વિચાર કે ચિંતનને કોઈ સ્થાન નથી; ઊલટાનું એવું પણ બને કે એવો કોઈ વિચાર કે એવું કોઈ ચિંતન પોતે જ ઊર્મિકાવ્યનો વિષય બને.

ઊર્મિકાવ્યનું સર્જન એ વિશિષ્ટ પ્રક્રિયા છે. કોઈ ધન્ય પળે કોઈ દૃશ્ય કે ઘટના કવિના હૃદયને સ્પર્શી જાય અને ગમે તે કાવ્યપ્રકારે ઊર્મિકાવ્ય સર્જાઈ જાય. એ પછી હરિશ્ચંદ્ર ભટ્ટનું ‘નિર્દોષ ને નિર્મળ આંખ તારી’ હોય, કે બળવંતરાય ઠાકોરનું ‘ભણકારા’ હોય; અમૃત ‘ઘાયલ’ની ‘ભેટ્યો છું મોતને પણ કૈં વાર જિંદગીમાં’ (ગ઼ઝલ) હોય, કે બાલમુકુંદ દવેનું ‘જૂનું ઘર ખાલી કરતાં’ (સોનેટ) હોય; સુંદરમ્-નું ‘રંગ રંગ વાદળિયાં’ (બાળકાવ્ય) હોય, કે હરીન્દ્ર દવેનું ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં’ (ગીત) હોય; ‘કાન્ત’નું ‘સાગર અને શશી’ (પ્રકૃતિકાવ્ય) હોય, કે ‘મોરલી તો ચાલી રંગ રૂસણે’ જેવું કોઈ લોકગીત હોય. અહીં કેટલાંક ઊર્મિકાવ્યો જેમ જેમ યાદ આવતાં ગયાં તેમ ટપકાવાતાં ગયાં છે, ત્યારે ઊર્મિકાવ્યના વ્યાપમાં આવી શકે તેવી દીર્ઘ રચનાઓ તરીકે સંસ્કૃતના વિદ્વાન કવિ જયદેવના ૧૨ સર્ગ અને ૨૪ પ્રબંધમાં લખાયેલા માધવ અને રાધાના શૃંગાર, ભક્તિ અને પ્રણયને ઉજાગર કરતા ઊર્મિપ્રધાન ‘ગીતગોવિંદ’ સર્જનને, મહાકવિ કાલિદાસ રચિત ‘મેઘદૂત’ને તથા રવીન્દ્રનાથ ટાગોર રચિત નોબલ પ્રાઈઝ વિજેતા ‘ગીતાંજલિ’ને પણ યાદ કરી લઈએ. હજુય યાદી ઘણી લાંબી થઈ શકે, પણ લેખની કદમર્યાદા તેમ કરતાં રોકે છે.

ગુજરાતી સાહિત્યમાં માત્ર અને માત્ર ઊર્મિકાવ્યોના સંભવત: પ્રથમ સંગ્રહ તરીકે જેને ગણવામાં આવે છે, તે છે નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા કૃત ‘કુસુમમાલા’ અને તો વળી બ.ક. ઠાકોરે તો આપણને ચિંતનપ્રધાન એવાં કેટલાંય ચિંતનોર્મિ કાવ્યો આપ્યાં છે, જે ભલે ને આત્મલક્ષી હોય પણ આપણને પરલક્ષી જ ભાસે છે. તેમના ‘મ્હારાં સોનેટ’ સંગ્રહમાંનાં મોટા ભાગનાં સોનેટને ઊર્મિકાવ્યો જ ગણવાં પડે, કેમ કે પાશ્ચાત્ય મીમાંસકોએ પણ એવાં સોનેટ કે જે ઊર્મિપ્રધાન હોય તેમના માટે ‘Lyrical Sonnets’ (ઊર્મિલ સોનેટકાવ્યો) એવું નામાભિધાન પણ કર્યું છે.

લેખસમાપને આ લેખમાંની મારી મર્યાદાને સ્વીકારી કરી લઉં કે અત્રે હું સાંપ્રતકાલીન ઊર્મિકાવ્યોના કવિઓ કે તેમનાં કાવ્યોનો નામોલ્લેખ કરી નથી શક્યો, જેનું કારણ એ કે હું સાંપ્રત સાહિત્યવાંચનથી કેટલાક દસકાઓથી અલિપ્ત રહ્યો છું. ‘વેગુ’વાચકો પ્રતિભાવ કક્ષમાં એવા કોઈ કવિઓનાં ઉચ્ચ કોટિનાં સર્જનોને ઉલ્લેખશે તો તે આ લઘુલેખ સાથે ‘વેગુ’વાચકો માટે પૂરક વાંચનસામગ્રી બની રહેશે.

–વલીભાઈ મુસા

* * *

ઋણસ્વીકાર :

(૧) જે તે રચના માટેનો લિંક આપવામાં આવ્યો છે તે બ્લૉગ કે વેબસાઈટનો અને ‘ગૂગલ’ શોધનો
(૨) અમેરિકાસ્થિત પ્રિય મિત્ર શ્રી ચીમનભાઈ પટેલનો એટલા માટે કે ‘વલદાની વાસરિકા’ માટે ‘ઊર્મિકાવ્ય (Lyric)’ વિષે લેખ લખવાનું વિચારતો હતો અને તેમના થકી મને પ્રેરકબળ મળ્યું.

 

Tags: , , , , ,

(512) Best of the year 2013 (3)

You may click on 

(૩૬૩) ‘વેલકમ, વેલકમ…’ (હાદશ્રેણી-૫)

(૩૬૯) ‘વલદાનો વાર્તાવૈભવ’ એક નવીન બ્લોગનો પ્રારંભ

(૩૭૨) એપ્રિલ ફૂલ !

(૩૭૬) ચૂંટેલાં કાવ્યોનું રસદર્શન: વાંસળી વેચનારો – ઉમાશંકર જોશી – ગુજરાતી કાવ્ય

(૩૭૭) ચૂંટેલાં કાવ્યોનું રસદર્શન: ‘અમે સાત છીએ’ (We Are Seven) – વિલિયમ વર્ડ્ઝવર્થ (અંગ્રેજી કાવ્ય)

(૩૭૮-અ) ભાષાવિષયક ત્રણ પ્રકીર્ણ લઘુલેખ

(૩૮૦) ‘વેગુ’પ્રકાશિત ‘ગ્રીષ્મવંદના’ ઈ-બુકમાંની મારી હળવી રચના

(381) Apology

(382) ચૂંટેલાં કાવ્યોનું રસદર્શન : ‘ઝેરી વૃક્ષ’ (A Poison Tree) – વિલિયમ બ્લેક (William Blake)નું અંગ્રેજી કાવ્ય

(383) ચૂંટેલાં કાવ્યોનું રસદર્શન: ‘રાણીની હરીફ’ (The Queen’s Rival) – સરોજિની નાયડુ (અંગ્રેજી કાવ્ય)

(૩૮૮) અનુકાવ્યયુગ્મ – પ્રયોગશીલ સહિયારું ભાષ્ય

(૩૯૦) ભાવવૈવિધ્યે વર્ષાવૈભવ !

(૩૯૨-અ) ગુજરાતી ભાષા અને સાહિત્ય અંગેની કેટલીક અલપઝલપ વાતો

(૩૯૪) વેગુ ઉપરના વિદ્વાન શ્રી મુરજીભાઈ ગડાના “સમય-૨ : સમય શું છે ?” લેખ ઉપરનો મારો પ્રતિભાવ

(૩૯૬) વેગુ ઉપરના મુરજીભાઈ ગડાના ‘સમયની સાથે સાથે…’ (૧) ઉપરનો મારો પ્રતિભાવ

(૩૯૭) માનવતાનો સાદ (Open to Re-blog and Publicize)

(૩૯૮) મારી વાર્તા ‘ભ્રમ ખોટો પડ્યો !’ ઉપરના પ્રતિભાવનો પ્રતિ-પ્રતિભાવ !

(૩૯૯) બાળનજરે સાહિત્યકાર !

(૪૦૦-અ) માતૃભાષા ભુલાય ખરી ?

(૪૦૦-બ) ગુજરાતી જોડણી – બે સાંપ્રત વિચારધારાઓ

(૪૦૦-ક) કૌંસની અંદર, કૌંસની બહાર અને કૌંસમાં કૌંસ !

(૪૦૨) ગુજરાતી ભાષાનું ભવિષ્ય .. એક ચિંતન – દિદાર હેમાણી (અક્ષરનાદ) – મારો પ્રતિભાવ (૧)

(૪૦૩) ગુજરાતી ભાષાનું ભવિષ્ય .. એક ચિંતન – દિદાર હેમાણી (અક્ષરનાદ) – મારો પ્રતિભાવ (૨)

(૪૦૪) ગુજરાતી ભાષાનું ભવિષ્ય .. એક ચિંતન – દિદાર હેમાણી (અક્ષરનાદ) – મારો પ્રતિભાવ (૩)

(૪૦૪-અ) એબ્સર્ડ એટલે … ?

(૪૦૫) વિશ્વતોમુખી આર્ષદૃષ્ટિ (ઈ.સ.૨૨૨૨)

-Valibhai Musa 

 

 

Tags: , , , , , , , , ,

(૪૬૭) “ગૌરવર્ણો ભિક્ષુક” : પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૪)

The fair skinned beggar

Sunlight,
the fair skinned beggar,
stands long hours
of summer mornings
at the veranda of my house
asking for nothing
irritating and annoying.
In the afternoon,
he jumps on our roof
and slowly walks down
to the balcony of Mrs. Maria,
drinks water and quenches his thirst
from the hanging bowl for birds,
peeps into her house,
watches her napping in her chair,
softly touches her cheeks
says something into her ears
and walks down
towards the West
singing a song
swinging his hands
carelessly as ever.
– Mukesh Raval
(Pots of Urthona – A Collection of Poems)
* * * * *

ગૌરવર્ણો ભિક્ષુક

સૂર્યપ્રકાશ
ગૌરવર્ણો ભિક્ષુક !
કલાકો સુધી ગ્રીષ્મ પ્રભાતે
મુજ ગૃહ તણા વરંડે
રહી ઊભો
ન કશુંય યાચે, તથાપિ
પજવતો, છંછેડતો મુજને !
વળી મધ્યાહ્ને
કૂદાકૂદ કરી અવ છપ્પરે
ગમન કરતો બિલ્લીપગે
શ્રીમતી મારિયાની અટારી ભણી !
પીએ પાણી,
વિહંગ તણી લટકતી કૂંડીઓ મહીંથી તહીં,
નિજ પ્યાસ તૃપ્ત કરવા.
વળી ડોકિયું કરી લે તેણીના ગૃહ મહીં
અને નિરખી લે તેણીને
ઝોકાં ખાતી નિજ ખુરશી મહીં.
તો વળી સ્પર્શી લે તેણીના ગાલોને
હળવી હથેળીઓ થકી
અને કાનોમાં કંઈક ગૂસપૂસ કરી લૈ
વહી જાતો મગરિબ ભણી,
ગાન ગણગણતો અને હાથ વીંઝતો
સાવ જ બિફિકરાઈથી હંમેશની જ જ્યમ !
* * *
– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)
(પ્રૉફેસર મુકેશ રાવલના કાવ્યસંગ્રહ ‘Pots of Urthona’માંથી સાભાર)

# # # # #

રસદર્શન

પ્રોફેસર મુકેશ રાવલ, હિંદી જ્યાંની રાષ્ટ્રભાષા છે એવા ભારતના કવિ, એ રાજ્ય કે જ્યાં ગુજરાતી પ્રાદેશિક ભાષા છે અને દક્ષિણ ભારત અને અન્ય કેટલાંક રાજ્યોના પ્રમાણમાં અંગ્રેજીનું ઓછું ચલણ છે એવા ગુજરાતના કવિ, બનાસકાંઠા જિલ્લો કે જે હજુ પછાત જિલ્લા તરીકેના મહેણાને મિટાવવા મથામણ કરી રહ્યો છે એ જિલ્લાના કવિ, જ્યાંનો પાલનપુર તાલુકો કે જે મુખ્યત્વે કૃષિ સાથે સંકળાએલો છે એવા તાલુકાના કવિ અને તેમાંય વળી વગદા એવું નાના કદનું ગામડું કે જ્યાં શાળામાં ભણતાં બાળકો સિવાય કોઈનીય પાસે એકાદ અંગ્રેજી શબ્દ પણ સાંભળવા ન મળે અને જેમનો ત્યાં  જન્મ અને ઉછેર થયો હોય એવા એ ગામડાના કવિ અંગ્રેજી કાવ્યો લખે, એ કાવ્યો વિદેશનાં સામયિકોમાં સ્થાન પામે, વિદેશી વાચકોના પ્રશંસાત્મક અને પ્રોત્સાહક પ્રતિભાવો મેળવે અને આમ જેઓ વિશ્વકવિઓની હરોળમાં પોતાનું સ્થાન પાકું કરે – આ સઘળું દીવાસ્વપ્ન જેવું લાગે; છતાંય આપણા સામે એ હકીકત છે, જેનો ઈન્કાર નહિ થઈ શકે. કવિનાં એકએકથી ચઢી જાય તેવાં કલ્પનાતીત અનેક કાવ્યોમાંનાં શિરમોર ગણાય તેવાં એકાધિક કાવ્યોમાં જેને ગણાવી શકાય એવું આ કાવ્ય છે – ‘ગૌરવર્ણો ભિક્ષુક’. આ કાવ્યનો અનુવાદ અને રસદર્શન કરાવવામાં હું ગૌરવ અનુભવું છું.

આ કાવ્યને એકલા પ્રકૃતિકાવ્ય તરીકે કે માત્ર રૂપક કાવ્ય તરીકે કે પછી સજીવારોપણ અલંકારની ભવ્યતમ રચના તરીકે માત્ર ઓળખાવવામાં આવે, તો તેની અધૂરી ઓળખ બની રહેશે. પરંતુ આ કાવ્યમાં એ ત્રણેયનો ત્રિવેણીસંગમ થયો છે એમ કહીશું, તો જ એને પૂરો ન્યાય આપ્યો ગણાશે. કેટલાય ગુજરાતી કવિઓએ ‘તડકો’ ઉપર કાવ્યો, ગ઼ઝલો, દોહરાઓ, મુક્તકો કે હાઈકુઓ રચ્યાં છે. ‘સૈફ’ પાલનપુરી ‘તડકો’ ઉપર ગ઼ઝલ રચી કાઢે, શબ્દ અને લયના સ્વામી એવા વેણીભાઈ પુરોહિત ‘કોકણવરણો તડકો’ લખે, ઉમાશંકર જોશી ‘થોડોએક તડકો ઢોળાઈ ગયો’ જેવું પ્રાણવાન કાવ્ય આપે કે પછી ઉશનસ્, મણિલાલ દેસાઈ જેવા કવિઓ પોતાની રચનાઓમાં તડકાને વણી લે એ બધું ભવ્યાતિભવ્ય તો છે જ, પણ આપણા આ કાવ્યના કવિ તો તડકાને ‘જરા હટકે’ કવે છે.

કાવ્યકલગી તરીકે શીર્ષકને સમજીએ તો ‘ગૌરવર્ણો ભિક્ષુક’ એ શીર્ષક કાવ્ય પૂરું થતાં કોથળામાંથી બિલાડું કાઢવા જેવું લાગશે, છેતરામણું લાગશે; પણ વાચકે કાન પકડીને સ્વીકારવું અને કહેવું પડશે કે ‘ભાઈ, આ તો કવિકર્મ છે; કવિ આઝાદ છે, કવિની સૃષ્ટિ તો બ્રહ્માની સૃષ્ટિ કરતાં નિરાળી છે, કવિની કલ્પના ઉપર કોઈ લગામ ન હોઈ શકે, વગેરે વગેરે. કવિ તડકાને જ્યારે ભિક્ષુકનું રૂપક આપે ત્યારે વાચકને પ્રથમ ઝટકો તો લાગે, પણ એ તડકાની હરકતો વાંચીએ; ત્યારે આપણને તેનાં બેફિકરાઈ અને મનમોજીપણાનાં લક્ષણો ભિખારી કે ફકીર જેવાં લાગ્યા વગર રહે નહિ અને ત્યારે આપણે એ શીર્ષકને પ્રમાણિતતાની મહોર મારવી જ પડે.

સૂર્યપ્રકાશને માત્ર પ્રકાશ તરીકે ન ગણતાં એને ‘તડકો’ નામે પણ ઓળખી શકાય, પછી ભલે એને કૂણો કે પ્રખર એવાં વિશેષણો લાગુ પાડવામાં આવતાં હોય. કવિએ આ સૂર્યપ્રકાશને કાવ્યારંભે ‘The fair skinned beggar’ – (ગૌરવર્ણો ભિક્ષુક) તરીકેનું રૂપક આપીને ક્રિકેટની રમતવાળી પહેલી જ સિક્સર મારી દીધી છે. પૂર્વોક્ત કવિ વેણીભાઈ પુરોહિતે પણ તડકાને કોકરવરણા તરીકે જ ઓળખાવ્યો  છે ને ! ‘કોકર’ એટલે મિશ્ર ધાતુનું બનેલું જર્મન સિલ્વર અને બીજો અર્થ છે એવી રૂપેરી ત્વચાવાળી માછલી. તો આપણે જોઈ શકીએ કે બંને કવિઓએ તડકાનો રંગ તો સમાન જ પકડ્યો છે.

કવિએ સજીવારોપણ અલંકારની સહાય વડે તડકાને જ્યારે ભિક્ષુક તરીકે જ દર્શાવ્યો છે, ત્યારે હવે એ ખ્યાલ   સાથે પોતે આગળ વધી રહ્યા છે. આ સૂર્યપ્રકાશ અર્થાત્ ગ્રીષ્મનો તડકો સૂર્યોદયથી શરૂ થઈને મધ્યાહ્ન સુધીના કલાકો સુધી પોતાના વરંડે ભિક્ષુકની જેમ ઊભો રહીને કશું જ યાચ્યા વગર કવિને પજવવાનું, છંછેડવાનું શરૂ કરી દે છે. આ તો ભાઈ, ઉનાળાનો તડકો હોઈ તે વહેલી સવારથી જ તેની પ્રખરતાનાં એંધાણ આપી દે છે. કવિને તેની પજવણીની શરૂઆત જાણે આંગળીઓના ગોદા મારીને (Poking with fingers) પરેશાન કરવામાં આવે તેવી લાગે છે. હવે એ તડકો મધાહ્નની સ્થિતિએ આવીને કવિના છાપરા ઉપર કૂદાકૂદ કરીને વળી પાછો દબાતા પગલે કવિના ઘરની સામે રહેતી મારિયાના ઘરના ઝરૂખા તરફ જવા માંડે છે. કવિ અંગ્રેજી ભાષામાં  લખી રહ્યા હોઈ અંગ્રેજીભાષી વાચકોને આ કવિતા પોતીકી લાગે તે માટે પશ્ચિમના દેશોનું ખ્રિસ્તી નામ ‘મારિયા’ પસંદ કર્યું છે. આ કાવ્ય ગુજરાતીમાં લખાયું હોત તો ‘કોકિલા’, ‘ચંપા’ કે ‘મરિયમ’ નામ હોઈ શકત. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે અહીં કવિની આંતરસૂઝ કાબિલે દાદ છે.

હવે આ નટખટ તડકો મારિયાને પરેશાન કરવા કે એની સાથે ગમ્મત કરવા પહેલાં પક્ષીઓને પીવાના પાણીની કૂંડી (hanging bowl for birds)માંથી પાણી પીને પોતાની તૃષા છિપાવે છે. ‘તડકાનું પાણીનું પીવું’ એ ગજબનાક કવિની કલ્પના છે. એ તડકો કેટલીકવાર સુધી કૂંડીના પાણી ઉપર છવાયેલો રહીને અલ્પમાત્રામાં પણ એ પાણીનું બાષ્પીભવન કરે છે અને તેથી નજીવું પણ પાણીનું કદ ઘટે છે અને તેથી જ કવિએ તડકાને કૂંડીમાંથી જલપાન કરતો કલ્પ્યો છે. આ વર્ણનને કાવ્યત્વનું હીર ગણવું પડે, કેમકે અહીં કવિએ એક સામાન્ય ઘટનાને અસામાન્ય તરીકે વર્ણવી છે. હવે મારિયા સાથેનાં તડકાનાં ટીખળો ખરે જ માણવા જેવાં છે. પરંતુ એ પહેલાં કવિએ રમૂજભરી રીતે મારિયાને તેની ખુરશીમાં ઝોકાં ખાતી બતાવી છે. ગ્રીષ્મના ઢળતા દિવસે કોઈકવાર પવનની મંદ લહેર આવી જતાં કોઈપણ ઈસમ ઝોકું ખાઈ લે એ વાસ્તવિકતાને કવિએ અહીં ઉજાગર કરી છે.

અહીં આપણને તડકાની મારિયા સાથેની ચેષ્ટાઓ નાના બાળકની ચેષ્ટાઓ જેવી નિર્દોષ છતાંય અટકચાળા ભરી લાગશે. પડોશમાંના કોઈ બાળકની જેમ પ્રથમ તો એ તડકો મારિયાના ઘરમાં ડોકિયું કરી લે છે અને તેને ખુરશીમાં ઊંઘતી ઝડપી લે છે. આમ છતાંય તડકો પોતાનું શાણપણ એ રીતે બતાવે છે કે મારિયાની ઊંઘમાં ખલેલ પડે નહિ અને તે પોતાની રીતે માત્ર પોતાના પૂરતા આનંદ માટે તેની સાથે થોડીક ગમ્મત માણી લે. સૂર્યનાં એકદમ ત્રાંસાં કિરણો એની દાહકતાને ગુમાવતાં હોઈ એ તડકો કૂણો બને છે અને આમ પોતાની હળવી હથેળીઓથી એ મારિયાના ગાલોને સ્પર્શ કરી લે છે અને તેના કાનમાં ગૂસપૂસ પણ કરી લે છે.

કાવ્યસમાપને આવતાં કવિ વાચકને પણ હળવેકથી તડકાથી દૂર કરી દે છે. એ તડકો જાણે કે કોઈ ગાન ગણગણતો હોય તેમ હાથ હલાવતો રોજિંદા ક્રમ મુજબ પશ્ચિમ દિશા તરફ બિન્દાસ્તપણે સરકી જાય છે. કાવ્યની આ આખરી પંક્તિઓ એવી ધારદાર રીતે રજૂ થઈ છે કે તડકો ભલે ને આંખથી ઓઝલ થઈ જતો હોય, પણ ભાવકના દિલોદિમાગ ઉપર એક ઊંડી અસર છોડી જાય છે. કાવ્ય પૂરું થતાં ભાવક થોડાક સમય સુધી કાવ્યની ઘટનાઓને મનમાં મમળાવ્યે જાય છે અને કાવ્યરસથી તૃપ્ત થઈ જતાં એવો અકથ્ય આનંદ અનુભવે છે કે જે આનંદને કાવ્યમીમાંસકોએ *‘બ્રહ્માનંદ સહોદર આનંદ’ તરીકે ગણાવ્યો છે.

– વલીભાઈ મુસા  (રસદર્શનકાર)

[*‘બ્રહ્માનંદ સહોદર આનંદ’ = બ્રહ્મપ્રાપ્તિથી થતા આનંદ જેવો જ કાવ્યાનંદ, જાણે કે એ બંને આનંદો એક જ માતાની કૂખે જન્મ્યા હોય એવા (સહોદર)]

પ્રોફેસર મુકેશ રાવલનાં સંપર્કસૂત્રો :

ઈ મેઈલ – Mukesh Raval < rajshlokswarda@gmail.com
મોબાઈલ – ૯૮૭૯૫ ૭૩૮૪૭

પુસ્તક પ્રાપ્તિ : –

“Pots of Urthona” –  ISBN 978-93-5070-003-7 મૂલ્ય : રૂ|. ૧૫૦/- (શાંતિ પ્રકાશન, ડી-૧૯/૨૨૦, નંદનવન એપાર્ટમન્ટ, ભાવસાર હૉસ્ટેલ પાસે, નવા વાડજ, અમદાવાદ – ૩૮૦ ૦૧૩)

 

 

 

Tags: , , , ,

(૪૩૩-અ) હવે તો અદ્યતન સ્પેલચેકર એ જ કલ્યાણ !

તાજેતરમાં જ ‘વેબગુર્જરી’ના સાહિત્યવિભાગે નીલમબેન દોશીની ‘આઇ એમ સ્યોર…’ શીર્ષકે વાર્તા પ્રસિદ્ધ થઈ છે. મારા આજના ‘વલદાની વાસરિકા’ શ્રેણીએ લખાઈ રહેલા ગુજરાતી ભાષાવિષયક આ લેખ માટે મેં એ જ શીર્ષકને ભાગ – ૨ તરીકે પસંદ કરવાનું વિચાર્યું હતું, જેવી રીતે કે આજકાલ ‘દબંગ’, ‘ધૂમ’, ક્રિશ, આશિક જેવાં ચલચિત્રો એ જ શીર્ષકે પણ સળંગ વધતા જતા ક્રમાંકે આવતાં જાય છે; પરંતુ હું એમ કરતો નથી. કારણ દેખીતું જ છે કે ગુજરાતી ભાષા અંગેના આ ગુજરાતી લેખનું શીર્ષક હું અંગ્રેજીમાં રાખું તો એવું બને કે કોઈ શ્વેત ધોતીઝભ્ભાધારી ગુજરાતી સજ્જને માથે ટોપો (Hat) ધારણ કર્યો હોય ! જો કે આજકાલ લુપ્ત થઈ ગયેલી પ્રાચીન ગુજરાતીના ભવાઈના જનક અસાઈતની કોઈક ભવાઈમાં આવી વેશભૂષાવાળું પાત્ર જોવા મળતું હતું.

જો કે આ તો આડવાત થઈ અને મારા વિષયપ્રવેશ પહેલાં બીજી એક આડવાતનો આશરો લેવાનું મારા માટે જરૂરી છે. ‘પરગોલેક્સ’ કે અન્ય બ્રાન્ડની એ પ્રકારની કોઈપણ વટિકા માનવશરીરના મળત્યાગમાર્ગમાંના સર્જાએલા બંધને ખુલાસાબંધ ખોલી આપવાનું કામ કરે, બસ તેમ જ અહીં ખુલાસાબંધ એક વાત કરી લઉં કે એ વાર્તા અને આ લેખમાં અંશત: એક વાત પૂર્વાપાર સંબંધે અને પરસ્પર આધારિત એમ સમાન રીતે લાગુ પડે છે. એ વાત છે, ‘આત્મહત્યા કરવાના એક હજાર અને એક સરળ ઉપાય.’ એવી સંભવિત કોઈ ચોપડી અંગેની ! પરંતુ, મારે ‘આત્મહત્યા’ સબબે અહીં જે વાત કરવાની થાય છે; તે ઉપાયો અંગેની નથી, પણ તે માટેનાં અનેક કારણો પૈકીના એક શક્યત: અને મુજ સંશોધિત કારણ અંગેની છે.

અત્રે મારા મનમાં રમી રહેલા આત્મહત્યાના વિચારને ઉદ્દીપ્ત કરનારા જે કારણને હું ઉજાગર કરવા જઈ રહ્યો છું, તે કારણ સર્વત્ર વિદ્યમાન તો છે જ; પણ જે તે આત્મહત્યાના ઇચ્છુકે એ કારણને પોતાનામાં જગાડવું પડે, આપ વાચકોને વધુ વખત સુધી લોલીપોપ બતાવ્યા વગર સીધું જ ભાખી દઉં તો એ કારણને જગાડવા માટે આપણે ગુજરાતી ભાષાના પ્રુફ રીડર બનવું પડે. આપ કહેશો કે આ તો ખૂબ લાંબો અને કાંટાળો માર્ગ છે. પ્રુફ રીડર થવા પહેલાં ભાષામાં પારંગત થવું પડે. પારંગત થયા પછી પ્રુફ રીડીંગનું કામ હાથ ધરવું પડે. પ્રુફરીડીંગ કરતાંકરતાં જ તે લખનારના લખાણને મઠારવા જતાં કંટાળવું પડે. કંટાળાની શરૂઆતમાં બંને હાથોએ પોતાના માથાના વાળ પીંખવા પડે. આમ ધીમેધીમે આપણો કંટાળો પરાકાષ્ઠા તરફ આગળ ને આગળ વધતો જાય અને આપણા ચિત્તપ્રદેશમાં આત્મહત્યા કરી લેવાના વિચારોના કાંટા ફૂટતા જાય. આમ ને આમ એવી કોઈ નિશ્ચિત ધન્ય પળ આવી પણ જાય કે આત્મહત્યાના કાર્યને આખરી અંજામ અપાઈ જાય અને દુ:ખદ એવા આપણા જીવનનો સુખદ અંત આવી જાય. પછી તો એવું પણ બની શકે કે પેલા રશિયન વાર્તાકાર એન્ટોન ચેખોવની ‘એક સરકારી કારકુનનું મૃત્યુ !’ જેવી જ વાર્તા કોઈ વાર્તાકાર દ્વારા આવા શીર્ષકે લખાઈ જાય કે ‘એક ગુજરાતી પ્રુફ રીડરનું અકુદરતી મૃત્યુ !’.

અહીં વાચકને એમ લાગ્યા સિવાય રહેશે નહિ કે આ તો ભાઈ બગડી ગયેલા લાઈટરની દિવેટને દિવાસળીથી સળગાવીને પછી એ લાઈટર વડે બીડી કે સિગારેટ સળગાવવા જેવી વાત થઈ ન ગણાય ! જેને આ દુનિયામાંથી ટળવું છે, એ સીધી રીતે પણ ટળી તો શકે ! ભાઈ, વાત તો સાચી, પણ પછી પેલા કાર્યકારણના સિદ્ધાંતનું શું; એ તો પછી ખોટો પડી જાય ને ! ખેર, એ વાતને રહેવા દો અને મને તમારા મનની વાત કહેવા દો. તમારા મનમાં દેશી પાકી કેરીઓની જેમ એ વાત ઘોળાયા કરે છે કે અપમૃત્યુને ગળે લગાડનારો પ્રુફરીડર બીજી કોઈ ભાષાનો નહિ અને ગુજરાતીનો જ કેમ હોઈ શકે ! આનો સીધોસાદો જવાબ એ છે કે આપણી પાસે સક્ષમ એવું કોઈ રોબોટિક સોફ્ટવેર નથી કે જે Spellchecker તરીકેની ઝડપી અને કાર્યક્ષમ સેવાઓ આપી શકે; વળી જે કોઈ છે, તે આપણા દેશી બાબરિયા ભૂત જેવી છે કે જે પોતે તો થાકે જ નહિ; પરંતુ આપણને થકવી તો જરૂર નાખે. જો કે આપણાં સુભાગ્ય છે કે જીવનભર ગુજરાતી ભાષાના સંશોધન, સંમાર્જન, સંવર્ધન અને સંરક્ષણ માટે આજીવન તન, મન અને ધનનો ભોગ આપીને ઑનલાઈન ગુજરાતી લેક્સિકોનને હાથવગુ ઉપલબ્ધ કરાવનાર મરહુમ રતિલાલ ચાંદેરિયા (મુરબ્બી રતિકાકા) કે જે મૂર્ત સ્વરૂપે ભલે હવે આપણી વચ્ચે ન હોય, પરંતુ અમૂર્ત સ્વરૂપે તો ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ વચ્ચે ચિરકાળ સુધી જીવિત રહેશે જ. તેઓશ્રીના સોફ્ટવેરમાં ‘ઑનલાઈન સરસ સ્પેલચેકર’ની સુવિધા તો છે જ, પરંતુ તેમાં હજુય વધુ ને વધુ સંશોધનને અવકાશ તો છે જ. અંગ્રેજીની જેમ ઓટોચેક (Auto Check)ની સુવિધા ન હોવા ઉપરાંત આપણી ભાષા જ વિશેષે કરીને સંકુલ હોઈ જોડણીસુધાર માટેના અસંખ્ય શબ્દોને લાલ અને વક્ર અધોરેખાએ દર્શાવે છે. વળી જે શબ્દનો સુધારો સુચવાયો હોય તેના માટે અનેક વિકલ્પો આપવામાં આવ્યા હોય છે અને તેમાંથી આપણે જે સાચો હોય તેને જાતે જ પસંદ કરી લેવો પડે. ઘણીવાર અનુસ્વાર જરૂરી હોય તેવા શબ્દો અધોરેખિત બતાવવામાં આવ્યા નથી હોતા, એટલા માટે કે અનુસ્વારરહિત એવા શબ્દનું અસ્તિત્વ હોવા ઉપરાંત તે સાચો પણ હોય. વળી સમયનો વ્યય થાય એવી દુવિધા બીજી એ છે કે આપણા લખાણને કોપી-પેસ્ટ વડે પેલા સ્પેલચેકર બૉક્સમાં લાવવું-લઈ જવું પડે છે, જે તે મૂળ જગ્યાએ અંગ્રેજીની જેમ ભૂલસુધારણાકાર્ય થતું નથી; અર્થાત્ તે લખાણને ઑપરેશન થિયેટરમાં લઈ જવું પડતું હોય છે !

જૂઓ, કોઈપણ માતૃભાષી જીવના દિલમાં બળતરા તો હોય જ છે કે પોતે સાચું લખાણ લખે, શબ્દોના સાચા ઉચ્ચારો કરે; પણ બધાંયથી એમ થઈ શકતું નથી હોતું. આના માટે કોમ્પ્યુટર ટેકનોલોજિ જ બેલી બની શકે તેમ છે. જેમ પશ્ચિમના દેશોમાં અને અલ્પાંશે ભારતમાં પણ શિક્ષણસંસ્થાઓમાંથી આંક, ઘડિયા,પાડા કે ટેબલ ગયાં અને કેલ્ક્યુલેટરે સ્થાન લઈ લીધું; તેમ આપણી ભાષાવિષયક સમસ્યા પણ એવાં સોફ્ટવેરથી જ હલ થઈ શકશે. હું આ વિષયે અલ્પજ્ઞાનીય નહિ, અજ્ઞાની જ છું; એટલે ડહાપણ ડહોળવાથી વિશેષ તો શું કરી શકું ! હા, કોમ્યુટર પ્રોગામરોને વિચાર તો જરૂર આપી શકું તેમ છું કે જેનાથી અંગ્રેજીના જેવું શતપ્રતિશત ચોક્કસ સ્પેલચેકર તો કદાચ નહિ બની શકે, પણ હાલમાં ઉપલબ્ધ છે તેનાથી વિશેષ કાર્યક્ષમ તો જરૂર બની શકે. એક તો અગાઉ જણાવ્યા મુજબ ગુજરાતી લખાણને પેલા ઓપરેશન થિયેટરમાં લઈ જવાના બદલે સ્થળ ઉપર કામનો નિકાલ થાય તે માટે અંગ્રેજીની જેમ જે તે ગુજરાતી ફોન્ટના સોફ્ટવેરમાં સ્પેલચેકર જોડાઈ જવું જોઈએ. વળી ઓટોચેક પદ્ધતિએ આવવા માટે હું નીચે જે ઉદાહરણ આપવા જઈ રહ્યો છું તે રીતે જ ગુજરાતી ભાષાના બધા જ શબ્દોને આવરી લેવા જોઈએ. હવે આપણે એક સાચો શબ્દ ‘કોશિશ’ લઈએ. આપણે શક્યતાના ગણિત (Maths of Possibility) પ્રમાણે જોઈશું, તો એ શબ્દના ખોટા શબ્દો આટલા બની શક્શે : કોશીશ, કોશીસ, કોશીષ, કોશિસ, કોશિષ. પ્રોગ્રામરે લખાણમાં સાચો શબ્દ ‘કોશિશ’ લાવી દેવા માટેનો રસ્તો (Path) એવી રીતે કંડારી કાઢવો જોઈએ કે પેલા ખોટા શબ્દો પૈકીના ગમે તે કોઈ એકને છાપવામાં આવે તો એ બધા જ ‘કોશિશ’ એવા સાચા શબ્દમાં ફેરવાઈ જાય. જૂઓ મિત્રો, આ કંઈ વલદાનું સંશોધન છે એવી ભૂલ કરી લેવાની ભૂલ ભૂલમાં પણ કરી લેતા નહિ. અંગ્રેજી સ્પેલચેકર આ રીતે જ સર્જાયું હોવું જોઈએ એવા અનુમાન માત્રથી હું મારા વિચારોને દર્શાવી રહ્યો છું.

કોઈ કહેશે કે આટલી બધી મગજમારી કોણ અને શા માટે કરે; તો તેનો સીધોસાદો જવાબ છે પાપી પેટ જ કરે, પૈસા શું ન કરાવી શકે ! ગુજરાત સરકાર અનેક યોજનાઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે. ગુજરાતી ભાષાના સંવર્ધન અને વિકાસ માટે મોટી રકમ ફાળવીને કોઈ સોફ્ટવેર કંપનીને આ કામ સોંપવામાં આવે તો મારું માનવું છે કે તે ઓછામાં ઓછા છ મહિના અને વધુમાં વધુ એક વર્ષમાં આ કામ પાર પાડી શકે. એમના પાસે મોટી ટીમ હોવાથી આ સમયમર્યાદામાં એ કામ ચોક્કસ પૂર્ણ થઈ શકે. હવે વાત રહી આવા સ્પેલચેકરની વિશ્વસનીયતાની; તો જૂઓ મિત્રો, અંગ્રેજી કે અન્ય કોઈ વિદેશી કે દેશી ભાષાઓમાંનાં તેમનાં સ્પેલચેકર્સને કેટલીક મર્યાદાઓ તો નડતી જ હોય છે. આના માટે મારી એક જ દલીલ છે કે કોમ્પ્યુટર અક્કલ જેવું કામ તો કરી શકે છે, પણ તેનામાં અક્કલ હોતી નથી. અંગ્રેજીમાં hut ની જગ્યાએ તમે nut છાપી નાખ્યો હશે, તો સ્પેલચેકરનું કામ તમારા બંને શબ્દોના માત્ર સ્પેલિંગ ચકાસવાનું છે; નહિ કે તે તમને એમ બતાવે કે hut કરી નાખો. ગુજરાતીનું એક અશુદ્ધ વાક્ય લઈએ કે કે ‘કૂતરા ભસતા હતા.’ અહીં ગુજરાતી સ્પેલચેકર એ વાક્યના ત્રણેય શબ્દોમાં ભૂલ નહિ જ બતાવે, કેમ કે એ ત્રણેય શબ્દો અલગઅલગ રીતે તો સાચા જ છે; પણ ત્યાં વ્યાકરણની ભૂલના કારણે એ ત્રણેય શબ્દોમાં અનુસ્વાર નથી. પ્રોગ્રામરો આ કામ પણ કરી શકે, કેમ કે અંગ્રેજી સ્પેલચેકરમાં પણ મર્યાદિત રીતે ઉપયોગી થઈ શકતી આવી સુવિધા ઉપલબ્ધ હોય છે.

‘આઈ એમ સ્યોર’ કે ભવિષ્યે કોઈ ગુજરાતી ભાષાપ્રેમી શિક્ષણમંત્રી બનશે તો આ લેખમાંનું હાલનું દિવાસ્વપ્ન કદાચ નિશાસ્વપ્નમાં ફેરવાય અને એ નિશાસ્વપ્ન હકીકતમાં સાકાર પણ થઈ શકે ! સાથેસાથે એ પણ હકીકત છે કે ઉમાશંકર જોશીના કાવ્ય ‘નદી દોડે’ માંની આ પંક્તિ ‘અરે, એ તો ક્યારે, ભસમ સૌ થઈ જાય પછીથી ?’ જેવી પરિસ્થિતિને નિવારવા માટે સમર્થ અને નિષ્ઠાવાન એવા કોઈ ભાષાપ્રેમીને વિધાયક તરીકે બિનહરીફ ચૂંટવો પડે.

-વલીભાઈ મુસા 

 

Tags: , , , ,