RSS

Tag Archives: કલાપી

(590) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૨૦ (આંશિક ભાગ – ૨) દિલ-એ-નાદાન તુઝે હુઆ ક્યા હૈ… (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

દિલ-એ-નાદાન તુઝે હુઆ ક્યા હૈ (શેર ૪ થી ૭)

જબ કિ તુઝ બિન નહી કોઈ મૌજૂદ
ફિર યે હંગામા એ ખુદા ક્યા હૈ (૪)

(હંગામા= તોફાન)

અર્થઘટન અને રસદર્શન :

આ ચોથા શેર સાથેના આગામી ત્રણેય શેર સીધા પારલૌકિક માશૂકા એવા ઈશ્વર-અલ્લાહને સંબોધીને વ્યક્ત થયા છે, પરંતુ ગિલા-શિકવા તો માશૂકા અંગેના જ છે. દિલના દર્દને દૂર કરવા માટેની માશૂકની આરજૂ, ગમગીની અંગેના કારણ સામેની માશૂકાની ચૂપકીદી કે પછી એ ચૂપકીદી તોડીને માશૂકને સીધો સવાલ કરવાથી માશૂકાએ દૂર રહેવું એવી આ સઘળી ફરિયાદો ઈલાહી સમક્ષ રજૂ થાય છે. આ ચોથા શેરમાં તો માશૂક ખુલ્લી રીતે દિવ્ય એવા ઈશ્વરને કહે છે કે તું તો હર જગ્યાએ મોજુદ હોય છે, તારાથી કશું જ છૂપું નથી હોતું અને આમ છતાંય આ બધો ખળભળાટ, પ્રક્ષોભ કે ઉત્પાત જે થઈ રહ્યો છે તે બધું શું છે? આ ખળભળાટ એટલે બીજું કંઈ નહિ, માશૂકાની માશૂક પરત્વેની ઉદાસીનતા; જેના કારણે માશૂકને બેચેની રહ્યા કરે છે અને તેથી તેના દિલોદિમાગમાં ઉથલપાથલ થયા કરે છે. ઈશ્વર સર્વવ્યાપી છે એનો મતલબ એ કે  વિશ્વની સઘળી સૂક્ષ્મ કે સ્થુળ ઘટનાઓ અને પદાર્થો; એ બધાં, કવિ કલાપીની એક ગ઼ઝલના શબ્દો ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે’ની જેમ કહીએ તો, તેમની પાછળ તેની (ઈશ્વરની) મોજુદગી હોય જ છે. આમ આ ચોથા શેરમાં માશૂક ઈશ્વરને કહે છે કે મારા મારી માશૂકા સાથેના મારા તાલૂકાત(સંબંધ)નો તું તો ચશ્મદીદ ગવાહ છે તેમ છતાંય અમારી વચ્ચે આ કશ્મકશ કેમ સર્જાઈ રહી છે?

સંક્ષિપ્તે કહેતાં ઈશ્વરનું અસ્તિત્વ સઘળે છે, નરસિંહ મહેતાના શબ્દોમાં કહીએ તે અખિલ બ્રહ્માંડમાં છે. માનવી પોતાના માથે તૂટી પડતી આફતો કે નિષ્ફળતાઓ ટાણે છેવટે ઈશ્વરનું શરણ શોધે છે અને આ જ આ શેરની ફલશ્રુતિ છે.

* * *

યે પરી ચેહરા લોગ કૈસે હૈં
ગમજ઼ા-ઓ-ઇષ્વા-ઓ-અદા ક્યા હૈ (૫)

(પરી ચેહરા= પરી જેવા રૂપવાન ચહેરા; ગમજ઼ા-ઓ-ઇષ્વા-ઓ-અદા= આંખના ઈશારા અને હાવભાવ)

અર્થઘટન અને રસદર્શન :

ગ઼ાલિબ ગ઼ઝલના આ પાંચમા શેરમાં બ્રહ્મજ્ઞાનમાં સરી પડતા લાગે છે. સુફી મત પ્રમાણે ઈશ્વર સિવાય સઘળું ભ્રામક (Illusory) છે, તેમ છતાંય ગ઼ાલિબ તો માને છે કે એ બધું ભ્રામક હોવા છતાંય દૃશ્યો, ધ્વનિઓ કે પછી લાગણીઓ આપણા ચિત્તને તો મોહિત કરી જ દેતાં હોય છે. આ શેર અને આગામી બે શેરમાં કેટલીક ભાવાત્મક, સૂક્ષ્મ અને સ્થુળ બાબતોની યાદી સાથે ગ઼ાલિબ ઈશ્વરની સત્યતા અને તેના અસ્તિત્વને પુરવાર કરે છે. શેરના પહેલા મિસરામાં સ્વરૂપવાન લોકો અને પછી તરત જ બીજા મિસરામાં એમના આંખના ઈશારા અને હાવભાવ જોઈને શાયર આશ્ચર્યભાવ અનુભવતાં એ ઈશ્વરને પૂછી બેસે છે કે આ બધું શું છે! અગાઉ જણાવ્યા મુજબ આ ‘ક્યા હૈ’ પ્રશ્નમાં વિધાન સમાયેલું છે અને એ વિધાન છે કે ‘હે ઈશ્વર, આ તારી જ લીલા છે.’ લોકોના આંખોના ઈશારા કે હાવભાવમાં કેટલી બધી વિવિધતાઓ હોઈ શકે છે. આપણે માત્ર આંખોના ઈશારાઓમાંની  વિવિધતાઓને વર્ગીકૃત કરીએ તો તેમાં આપણે લોલુપતા, પ્રેમ, કરુણા, ક્રોધ, તિરસ્કાર, સંતોષ, વાત્સલ્ય, વિકાર એવા કોણ જાણે કેટકેટલા ભાવોને આપણે સમજી શકીએ. આ જ પ્રમાણે વ્યક્તિ જે કંઈ હાવભાવ પ્રદર્શિત કરે છે તેમાંથી પણ આપણને કેટકેટલા સંકેતો મળતા હોય છે. આમ સૌની આંખો તો તેમની રચનાની રીતે એક સમાન હોય છે, સૌનાં શારીરિક અંગોનાં હલનચલન પણ સરખાં જ થતાં હોય છે; અને તેમ છતાંય એ સઘળાંમાં કેવી કેવી ભિન્નતાઓ જોવા મળે છે. આ સઘળું ભાવાત્મક કે સૂક્ષ્મ જે કંઈ અનુભવાય છે તેની પાછળ ઈશ્વરનો જ હાથ હોય છે. આમ ઈશ્વરને રહસ્યમય ગણાવાયો છે. તેના ભેદને કોઈ પામી શકતું નથી અને તેથી જ તો કોઈ તત્ત્વચિંતક કહે છે કે ‘બ્રહ્માંડના નિશ્ચિત અને વિસ્મયકારક વ્યવસ્થાતંત્રને અવલોકીને, હે ઈશ્વર, તને જાણવા અને સમજવામાં મારી વિચારશક્તિ કમજોર પડે છે, ગોથાં ખાય છે. જ્યાં મારી બુદ્ધિ અણુના માપ જેટલું પણ અંતર કાપીને તારી નજીક આવવા મથે છે, ત્યાં તો તું માઈલો દૂર ચાલ્યો જાય છે.’

* * *

શિકન-એ-જ઼ુલ્ફ઼-એ-અમ્બારી ક્યોં હૈ
નિગાહ-એ-ચશ્મ-એ-સુર્મા-સા ક્યા હૈ (૬)

(શિકન-એ-જ઼ુલ્ફ઼-એ-અમ્બારી= આકાશનાં ઘટાટોપ વાદળો જેવી જુલ્ફાંની લટ; નિગાહ-એ-ચશ્મ-એ-સુર્મા= સુરમો આંજેલી આંખોમાંથી નીકળતી નજર)

અર્થઘટન અને રસદર્શન :

ગ઼ાલિબના આ શેરને ચર્ચાની એરણ ઉપર લેવા પહેલાં ફરી એક વાર આપણે કવિ કલાપીની ગ઼ઝલ ‘આપની યાદી’ના આ શેરને યાદ કરીએ :

“માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!”

ઇશ્કે હકીકીની ગ઼ઝલના આ શેરમાં ઈશ્વરના સ્વરૂપને ગૂઢ અર્થમાં સમજતાં એ ફલિત થાય છે કે દુન્યવી માશૂકાના ચહેરાના સૌંદર્યમાં કે પછી બાગબગીચાઓમાં ખીલતાં ફૂલોમાં પણ ઈશ્વરનું સૌંદર્ય પરોક્ષ રીતે સમાયેલું છે. આપણા ગ઼ાલિબ પણ ગ઼ઝલના આ છઠ્ઠા શેરમાં માશૂકાના શ્યામ કેશની લટમાં કે તેની સુરમો આંજેલી આંખોમાં પણ પરોક્ષ રીતે ઈશ્વરદર્શન જ કરે છે. માશૂકાની કેશલટને મેઘભર્યાં કાળાં ડિબાંગ વાદળો સાથે સરખાવીને શાયર એ બંને વચ્ચેની શ્યામરંગી સામ્યતા જ નથી બતાવતા,પણ આપણને એ કેશલટમાંથી ઉદ્ભવતી ચમક કે ઝાંયને પણ દૃષ્ટિગોચર કરાવે છે. વળી એ જ પ્રમાણે સુરમાની લકીર ખેંચેલી આંખોમાંથી પણ એવી જ ચમક કે આભા પ્રગટતી હોય છે. આમ માશૂકાની એ કેશલટની ઝાંય કે સુરમો આંજેલી આંખોમાંથી નીકળતી નજર એ જ્યોતિનું સૂક્ષ્મ સ્વરૂપ છે. ઈશ્વરના રૂપની જુદાજુદા ધર્મોએ આપેલી વિભાવનાઓ પ્રમાણે તેને જ્યોતિ (હિંદુ મત), નૂર (ઈસ્લામ મત) કે Light (ક્રિશ્ચિયાનિટી મત) સ્વરૂપે ગણવામાં આવ્યો છે. આમ માશૂકાની કેશલટની ઝાંય કે ચમક કે પછી તેની આંખોમાંથી પ્રગટતી આભા એ બધાંને ગ઼ાલિબ પરમ જ્યોતિ સ્વરૂપ એવા ઈશ્વરના અંશ સમાન ગણીને આશ્ચર્યભાવ પ્રગટ કરે છે અને પૂછે છે કે ‘આ બધું શું છે?’

              * * *

સબ્જ઼ા-ઓ-ગુલ કહાઁ સે આયે હૈં
અબ્ર ક્યા ચીજ઼ હૈ હવા ક્યા હૈ (૭)

(સબ્જ઼ા-ઓ-ગુલ= હરિયાળી અને ફૂલો; અબ્ર= વાદળ, મેઘ)

અર્થઘટન અને રસદર્શન :

ગ઼ાલિબ આ શેરમાં ઈશ્વર-અલ્લાહની મહાનતા દર્શાવવા માટે ચાર ઉદાહરણો આપે છે; હરિયાળી, ફૂલો, વાદળ અને હવા. ઈન્સાન આ ચાર તો શું કોણ જાણે અનંત એવાં કેટકેટલાંય ઈશ્વરનાં સર્જનો ઉપર ગોર (મનન-ચિંતન) કરે તો તેના અસ્તિત્વ અને તેની અપરંપાર શક્તિઓ વિષે તેને કોઈ સંદેહ રહે નહિ. વરસાદના પાણી અને અને અન્ય સ્રોતોના સિંચન થકી માનવી પૃથ્વીપટ ઉપર હરિયાળી નિહાળી શકે છે. ધરતીના ગર્ભમાં સચવાયેલાં એ બી ઊગી નીકળે છે અને મનહર હરિયાળી લહેરી ઊઠે છે. આવું જ ફૂલો વિષે છે, જ્યાં આપણને રંગબેરંગી અને અવનવા આકારનાં ફૂલો જોવા મળે છે. વર્ષા ઋતુમાં વાદળો આમથી તેમ દોડાદોડ કરતાં અને અનરાધાર વરસાદ વરસાવીને પ્રાણીમાત્ર માટે ઘાસચારા, વૃક્ષો અને અનાજ ઉપલબ્ધ કરાવે છે. કોઈ વાર મંદ, કોઈવાર સ્થિર, તો વળી કોઈવાર પવનરૂપે ગતિશીલ બનતી હવા એ વિધાતાનું એવું સર્જન છે કે જે અદૃશ્ય છતાં અનુભવી શકાય છે. આ બધાં ખાલિક (સર્જનહાર)ની ખલકત (સર્જનો) છે, પ્રાણીમાત્રના જીવનનો આધાર છે. આમ ગ઼ાલિબ ગ઼ઝલના ક્રમાંક ૫ થી ૭ સુધીના શેરમાં ‘ક્યા હૈ’ના પ્રશ્ન સાથેના આશ્ચર્યભાવ વડે આપણને ઈશ્વરની મહાનતાનું દર્શન અને તે અંગેનું ચિંતન કરાવે છે. કોઈક ચિંતક માનવીને ઉદ્દેશીને કહે છે કે, ‘તું માત્ર તારી નજરને જમીન ઉપર ખોડીને ન ચાલ, પણ આસપાસ અને ઉપર જો; તને પ્રકૃતિમાં ઈશ્વરની મહાનતાની પ્રતીતિ થયા સિવાય રહેશે નહિ.’

ગ઼ાલિબે આ ત્રણેય શેરમાં સર્વશક્તિમાન ઈશ્વરની મહાનતાને સમજાવવા માટેનાં પસંદ કરેલાં ઉદાહરણોને વર્ગીકૃત કરીએ તો આ પ્રમાણે જોવા મળશે. પાંચમા શેરમાં સ્વરૂપવાન ચહેરા, આંખોના ઈશારા અને હાવભાવોમાં ઈશ્વરના અસ્તિત્વને સમજાવાયું છે, જે સૂક્ષ્મ છે. છઠ્ઠા શેરમાં સ્થુળ એવી માશૂકાના કેશની લટ અને કાજળમઢી તેની આંખો જે દૃશ્યમાન છે, પણ આંખની નજર એ સૂક્ષ્મ છે. સાતમા શેરમાં દૃશ્યમાન હરિયાળી, ફૂલો અને વાદળાં છે તથા અનુભવજન્ય સૂક્ષ્મ એવી હવા છે. આમ ગ઼ાલિબ કૃતિ પાછળ પરોક્ષ રીતે કર્તા એટલે કે ઈશ્વર એવા તેની ઓળખ આપવા માટે આ ત્રણેય શેરમાં સ્થુળ અને સૂક્ષ્મ એવાં બંને પ્રકારનાં ઉદાહરણોને પ્રયોજે છે.

મિર્ઝા ગ઼ાલિબ

(ગ઼ઝલ ક્રમાંક – ૧૬૩)                                                        (ક્રમશ: ભાગ – ૩)

* * *

ઋણસ્વીકાર :

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) http://techwelkin.com/tools/transliteration/ (દેવનગરી-ગુજરાતી સ્ક્રીપ્ટ કનવર્ટર)
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા
(૫) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ
(૬) Courtesy –  urduwallahs.wordpress.com
(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

 

Tags: , , ,

(૪૯૬-અ) ખંડકાવ્યનું સ્વરૂપ અને ‘હાઈકુ-ખંડકાવ્ય’ના ખુદના પ્રયોગ ઉપરનું સ્વવિવેચન

ગુજરાતી ભાષાનું માતૃકૂળ જેમ સંસ્કૃત મનાય છે, બસ તેમ જ ખંડકાવ્યનો પ્રાદુર્ભાવ પણ સંસ્કૃતમાંથી થયો હોવાનો કેટલાક વિદ્વાનોનો મત છે. મહાકવિ કાલિદાસની સદાબહાર કૃતિ ‘મેઘદૂત’ને જુદાજુદા વિદ્વાનો મહાકાવ્ય, ક્રિડાકાવ્ય કે કેલિકાવ્ય એવા સાહિત્યપ્રકાર તરીકે ઓળખાવે છે, પણ એકમાત્ર વિશ્વનાથ જ એને ખંડકાવ્ય ગણાવે છે અને પશ્ચિમના મીમાંસકો એને સમર્થન પણ આપે છે. વિશ્વનાથના મતે ‘મેઘદૂત’માં મહાકાવ્યનાં ગણાવાતાં લક્ષણો પૈકી અમુક જ વિદ્યમાન છે. આપણા બ. ક. ઠાકોર વળી તેને સુસંકલિત મુક્તકોના કાવ્ય તરીકે ઓળખાવે છે. ‘મેઘદૂત’ને ગમે તે સાહિત્યપ્રકારે વિદ્વાનો ઓળખે, પણ તેમાં કથાતત્ત્વ પ્રમુખ સ્થાને હોઈ તેને હાલના ખંડકાવ્યની વ્યાખ્યા હેઠળ ગણતાં વિશ્વનાથ જ સાચા ઠરે.

હવે આપણે સંસ્કૃતના એ સમયકાળથી આગળ વધીને ગુજરાતી તરફ આવીએ તો ખંડકાવ્ય એ પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન એમ ત્રણેય કાળનાં સાહિત્યમાંનું નાજુક ને નમણું સાહિત્યસ્વરૂપ રહ્યું છે. પ્રાચીન સાહિત્યમાં તેનાં મૂળ મળે છે, તો મધ્યકાલીનમાં કંઈક જુદા સ્વરૂપે તે વહે છે. જ્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં તે પ્રફુલ્લિત કાવ્યપ્રકારરૂપે ખીલે છે. કાળક્રમે તે મહાકાવ્ય અને આખ્યાનકાવ્યના તબક્કા વટાવીને અર્વાચીન સમયના શુદ્ધ ખંડકાવ્યનું રૂપ ધારણ કરે છે. આ કાવ્યપ્રકાર આપણને હિંદીમાં અને આપણી ભગિનીભાષા મરાઠીમાં પણ જોવા મળશે. એ ભાષાઓમાં વળી તેના બદલાતા સ્વરૂપે વિભિન્ન પ્રકારો ગણાવાયા છે.

કેટલાક ગુજરાતી મીમાંસકો ખંડકાવ્યના મૂળને પ્રેમાનંદનાં આખ્યાનોમાં જુએ છે અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના આ કવિને ખંડકાવ્યના જનક તરીકે ઓળખાવે છે. એ આખ્યાનો અતિદીર્ઘ હતાં અને ‘કડવાં’ એવા વિભાગોમાં વહેંચાયેલાં હતાં. ગુજરાતી વિવેચનસાહિત્યમાં નવલરામ પંડ્યા દ્વારા ખંડકાવ્યની ઓળખનો પહેલો ઉલ્લેખ થયો છે. સૌથી પહેલાં બાલાશંકરના ‘ક્લાન્ત કવિ’ને નવલરામે અને પછીથી મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ તેને ખંડકાવ્ય તરીકે ઓળખાવ્યું છે. આગળ જતાં ‘કાન્ત’ અને ‘કલાપી’ કે જે ખંડકાવ્યોના પ્રખર ઘડવૈયા મનાય છે, એમનાં એ કાવ્યો વાર્તાતત્ત્વના લક્ષણે અને કદમર્યાદાએ આખ્યાનની લઘુ આવૃત્તિ બને છે. વળી એ આખ્યાનોનું ‘કડવાં’માંનું વિભાજન આપણા હાલના પ્રચલિત ખંડકાવ્યમાં છંદ વિભાજનમાં વર્તાય છે.

આમ સમગ્ર ચર્ચાના અંતે વ્યવહારુ એવા નિષ્કર્ષ ઉપર આવી શકાય કે જે કાવ્યમાં કથા હોય, એ કથા જુદાજુદા ઘટનાક્રમમાં આગળ વધતી હોય અને જે તે ઘટનાના સાહિત્યરસને અનુરૂપ છંદવૈવિધ્ય આવતું જતું હોય તેને ખંડકાવ્ય કહેવાય. આ ખંડકાવ્યને બીજી સરળ રીતે સમજવું હોય તો કહી શકાય કે તે એક છંદોબદ્ધ પદ્યનવલિકા જ છે. આમાં ઊર્મિકાવ્ય અને નાટ્યકાવ્યનાં તત્ત્વોનું સંમિશ્રણ થયેલું હોય છે. નવલિકા કે એકાંકી નાટકની જેમ ખંડકાવ્યમાં માનવજીવનનું કોઈ એકાદ પાસું જ પ્રગટ થાય છે અને પાત્રના જીવનના કોઈ મહત્ત્વના સંઘર્ષને નિરૂપવામાં આવે છે. મહાકાવ્ય કે આખ્યાનમાં આપણી નવલકથાની જેમ કથાવિસ્તાર કે ઘટનાઓનું ઊંડાણ જોવા મળે છે અને તેમાં માનવજીવનનાં અનેક પાસાંઓ અને પ્રસંગોને આવરી લેવાતા હોય છે. વળી જેમ ઊર્મિકાવ્યમાં કોઈ એક જ ભાવનું પ્રાધાન્ય હોય છે, તેમ ખંડકાવ્યમાં પ્રસંગોને અનુરૂપ અનેક ભાવોનું સંમિશ્રણ હોય છે. મહાકાવ્યોમાં સર્ગો દ્વારા, આખ્યાનકાવ્યોમાં કડવાંઓ દ્વારા તેમ ખંડકાવ્યમાં છંદોના વૈવિધ્ય દ્વારા ભાવવિભાજનો થતાં રહે છે.

‘ખંડકાવ્ય’ને કાવ્યપ્રકારે સમજી લીધા પછી હવે આપણે ગુજરાતી સાહિત્યમાં થયેલા તેના ખેડાણ ઉપર એક નજર નાખીએ. તો ‘કાન્ત’ અને ‘કલાપી’એ આના વિકાસમાં ગુણાત્મક યોગદાન આપ્યું છે. કાન્ત’ તો ગુજરાતી કવિતાની એક ઘટના તરીકે ઓળખાયા છે. કવિશ્રી ‘કાન્ત’ અને ‘કલાપી’ સમકાલીન, સમવયસ્ક અને સમભાવી મિત્રો હતા. આમ એ બેઉ મિત્રોનાં કાવ્યો એકબીજાંની અસર ઝીલ્યાં છે. ‘કાન્ત’નાં ‘વસંતવિજય’, ‘ચક્રવાકમિથુન’ અને ‘દેવયાની’ ખંડકાવ્યોમાંનું તેમનું કવિત્વ એવું સંગીન અને સનાતન બની રહ્યું છે કે એને આજે પણ માપદંડ તરીકે જોવાય છે. તો વળી ‘કલાપી’નાં ખંડકાવ્યોમાં પ્રણયની અતૃપ્તિની વેદના પરોક્ષ રીતે અનુભવાય છે. તેમનાં ‘ગ્રામમાતા’, ‘ભરત’ આદિ ખંડકાવ્યોની મોહિની એવી તો રહી છે કે વાચક તેમને પુન: પુન: માણ્યા કરે છતાંય તૃપ્તિનો અહેસાસ કરી શકે નહિ.

લેખની કદમર્યાદાના કારણે વર્તમાનકાળ સુધીનાં ઉત્કૃષ્ટ ખંડકાવ્યનાં સર્જનોને અવલોકવાનું સ્થગિત કરીને આપણે ખંડકાવ્યને સંબંધિત તેનાં લક્ષણોમાં કરવામાં આવતી બાંધછોડ દ્વારા થતી પ્રયોગશીલતાને થોડીક સમજી લઈએ. ગુજરાતી સાક્ષરયુગના સર્જકો કાવ્યમાં છંદબદ્ધતાને અનિવાર્ય સમજતા હતા. છંદ વગરના કાવ્યને કાવ્ય ગણી જ શકાય નહિ તેવી તેમની ચુસ્ત માન્યતા હતી. એ જ સાક્ષરયુગના કવિ નાનાલાલે નાટ્યકવિતા ‘જયા અને જયંત’ને મુક્ત કે ડોલન શૈલીએ લખીને છીંડું પાડ્યું અને અગેય કે અછાંદસ રચનાઓ લખાવા માંડી. હાલમાં તો આનો મહિમા ખૂબ જ વધી ગયો છે અને અપરિપક્વ અછાંદસ સર્જનોએ કવિતાના સ્તરને સાવ નીચું લાવી દીધું છે. અધૂરામાં પૂરું બ્લૉગસુવિધાએ તો માત્ર પદ્યને જ નહિ, પણ તમામ સાહિત્યપ્રકારોને વિકસવા કરતાં વધારે વિકૃત થવા માટેનું વધારે બળ પૂરું પાડ્યું છે. આ તો જરા આડવાત થઈ.

હવે આપણે ખંડકાવ્ય અંગે વિચારીએ તો તેમાં છંદવિધાનને વેગળું મૂકી શકાય ખરું? આનો એક જ જવાબ હોઈ શકે કે પ્રયોગશીલતામાં તો જૂનું કંઈક તજો અને નવું કંઈક અપનાવો તો જ એને પ્રયોગશીલતા કહેવાય ને! છંદવિહિન ખંડકાવ્યો ભાવવાહી વાંચન કરી શકવાની ક્ષમતા ધરાવે તો એ પણ ઉત્તમતાને પામી શકે છે. જો કે આમાં પેલો બદલાતા જતા છંદો જેવો આરોહવરોહ ન આવવાના કારણે માણવા મળતી મધુરતાની લિજ્જતને ગુમાવવી પડે છે. આમ છતાંય પરિપક્વ સર્જક પેલી છંદની ગેરહાજરીને સાલવા દે નહિ અને એવા અછાંદસ ખંડકાવ્યને પણ રસપ્રદ બનાવી શકે. અહીં એ વાત ધ્યાનમાં રહેવી જોઈએ કે આવા સર્જનમાં ખંડકાવ્યમાં આવશ્યક એવું કથાતત્ત્વ તો હોવું જ જોઈશે, નહિ તો એને કોઈ ખંડકાવ્ય તરીકે સ્વીકારશે જ નહિ. આવા પ્રયોગશીલ ખંડકાવ્યમાં છંદને એકમાત્ર અવગણવા સિવાય તેનાં અન્ય આવશ્યક લક્ષણો તો જળવાવાં જ જોઈશે. આવું અછાંદસ ખંડકાવ્ય જો ટૂંકું લખવામાં આવે તો એનું ‘લઘુ ખંડકાવ્ય’નું નામાભિધાન પણ કરી શકાય.

લેખસમાપન પૂર્વે કહેતાં ખંડકાવ્યમાં પ્રયોગશીલતાની જ્યારે અહીં વાત થઈ છે, ત્યારે હું ‘વલદા’ આત્મશ્લાઘા ન ગણી લેવાની વિનંતી સાથે પોતાના એક પ્રયોગની વાત મૂકવા માગું છું. આ પ્રયોગ એટલે હાઈકુમાં લખાયેલું મારું હાઈકુ-ખંડકાવ્ય – ‘મદિરાદૈત્યે બન્યો અંધ’. વળી આ રચના સુખાંત પામતી, પણ કરૂણરસ નિષ્પન્ન કરતી હોઈ તેને સંભવત: ‘કરૂણ પ્રશસ્તિ’ પણ ગણી શકાય. ખંડકાવ્યની જેમ અહીં હાઈકુઓના કારણે છંદવૈવિધ્ય શક્ય ન હોઈ ખંડકાવ્યના એ લક્ષણને અવગણતાં માત્ર કથાતત્ત્વના આધારે આને ‘હાઈકુ-ખંડકાવ્ય’ કે ‘ખંડ-હાઈકુ-કાવ્ય’ ગણી-ગણાવી શકાય.

આમ છતાંય હું નિખાલસ ભાવે એ પણ સ્વીકારું છું કે ‘એક સાંધો અને તેર તૂટે’ પ્રમાણે ‘હાઈકુ-ખંડકાવ્ય’નો પ્રયોગ કરવા જતાં ‘હાઈકુ’ના લક્ષણનો અહીં ભોગ લેવાય છે. હાઈકુ માટેની આવશ્યક શરત એ છે કે એ એક સ્વતંત્ર કૃતિ બની રહેવી હોઈએ. પરંતુ અહીં ખંડકાવ્યના આવશ્યક લક્ષણ ‘કથાતત્ત્વ’ને ન્યાય આપવા જતાં એ તમામ હાઈકુ એકબીજાં ઉપર આધારિત બની જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો એ પ્રત્યેક હાઈકુ સ્વતંત્રપણે ઊભાં રહીને કોઈ સ્વતંત્ર અર્થ કે વિચાર આપવા અસમર્થ નીવડે છે. આમ આ હાઈકુઓ ગણ કે માત્રા વગરનાં માત્ર ૧૭ અક્ષરીય છંદ સમાન બની રહ્યાં, પછી ભલે ને તે ૫-૭-૫ અક્ષરોની ત્રણ લીટીઓમાં વિભાજિત થઈને હાઈકુનો આભાસ કરાવતાં હોય! વળી એ પણ સાચું કે આખાય ખંડકાવ્યમાં હાઈકુની એક જ પેટર્ન હોઈ છંદવૈવિધ્યને જાળવી ન શકાય અને આમ તે અગેય જ રહે છે. આમ મારા સ્વવિવેચનની ફલશ્રુતિ એ આવીને ઊભી રહે છે કે મારા પ્રયોગમાં અપવાદરૂપ કેટલાંક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે તેવાં હાઈકુને બાદ કરતાં મોટાભાગનાં હાઈકુ પરાવલંબી બની રહે છે. આમ તટસ્થ ભાવે હું કહું તો આ પ્રયોગને હાઈકુના સ્વરૂપના મુદ્દે સંપૂર્ણ સફળ ન ગણતાં તેને અર્ધસફળ અને અર્ધસ્વીકાર્ય જ ગણવો રહ્યો.

આશા રાખું છું કે વાચકો મારા ઉપરોક્ત ‘મદિરાદૈત્યે બન્યો અંધ’ પ્રયોગશીલ કાવ્યને અલગથી વાંચીને તેના ઉપરના પોતાના વિવેચનાત્મક પ્રતિભાવો આપશે, તો મારા સમેત સઘળા પ્રયોગકર્તાઓ માટે ભવિષ્યે તે દિશાસૂચક બની રહેશે.

 

Tags: , , , , ,

(૪૮૦) મારો જન્મદિવસ – તિર્યક (તિરછી) નજરે

મારા આગલા જન્મદિવસ નિમિત્તે લખાયેલા લેખ “મારો જન્મદિવસ – નવી નજરે” ઉપર એક નજર નાખી આવીને આજે મારા આજના ૭૪મા જન્મદિવસે ‘કંઈક’ લખવા જઈ રહ્યો છું, ત્યારે આ લેખનું શીર્ષક તો ઉપર મુજબ સહજ રીતે પહેલું જ લખાઈ જાય છે અને ‘કંઈક’ જે લખવાનું છે તે તો હવે આવી રહ્યું છે. તિર્યક, તિરછી, ત્રાંસી કે બાડી આંખ (Crossed eye) એ આંગિક ક્ષતિ ગણાય છે, પણ અહીં  તિર્યક (તિરછી) નજરે જોવાની વાત છે. હું મારા ૭૩મા જન્મદિવસને અવલોકવા માટેની મારી એ ‘નવી નજર’ને અહીં સહેજ તિરછી કરીને મારા આજના જન્મદિવસને અવલોકીશ. આપ્તજનોને, સ્નેહીજનોને, મિત્રવૃંદને અને બ્લૉગવાચકોને વળી લાગશે કે આ તે વળી કેવી તિરછી નજર હશે અને એ તિરછી નજરે શું અવલોકાશે. તો મિત્રો, એ જાણવા માટે આપ સોએ આગળ વાંચવું જ રહ્યું.

વેદકાલીન ઋષિમુનિઓ આશ્રમનિવાસી છાત્રોને ‘દીર્ઘાયુષ્યમાન ભવ:’ કે ‘શતં જીવેમ શરદ:’ જેવા શબ્દોએ આશીર્વાદ આપતા, જેમાં ‘દીર્ઘ’ શબ્દ તો મોઘમ ગણાય અને તેથી તેમાં નિશ્ચિત વર્ષોનું આયુષ્ય ન સમજાય; પરંતુ ‘શતં જીવેમ શરદ:’માં તો નિશ્ચિત સો શરદ ઋતુઓ સુધીનો જીવિતકાલ અભિપ્રેત છે જ. આમ આનો મતલબ એમ સમજવો રહ્યો કે એ કાળે વધુમાં વધુ સો વર્ષનું આયુષ્ય પર્યાપત ગણાતું હશે અને એનાથી વધારે લાંબું આયુષ્ય જીવનાર અને જીવનારને સંલગ્ન લોકો માટે એ મોજ ન રહેતાં બોજ બની જતું હશે. એવું દીર્ઘ આયુષ્ય ભલે સંખ્યાત્મ્ક (Quantitative) રીતે આકર્ષક અને નવાઈ પમાડનાર લાગે, પણ તેને ગુણાત્મક (Qualitative) રીતે જોતાં નાપસંદ જ કરવું ઘટે.

ભારતીય મુખ્ય ત્રણ ઋતુઓ શિયાળો, ઉનાળો અને ચોમાસુ; એમ વળી પ્રત્યેકની બે પેટા ઋતુઓ અનુક્રમે હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ તરીકે ઓળખાય છે. હેમંત એ ગુલાબી ઠંડીની ઋતુ ગણાય, વસંતને ઋતુરાજનું બિરૂદ અપાય તો વર્ષાને વળી જીવનદાયિની તરીકે ઓળખવામાં આવે. આમ આ ત્રણેય પેટાઋતુઓને તેમની અનુગામી ઋતુ કરતાં ચઢિયાતી ગણવામાં આવે છે અને તેની પાછળનો તર્ક આ પ્રમાણે હોઈ શકે. હેમંતની ઠંડી સહ્ય હોય, જ્યારે શિશિરની ઠંડી હાડકાંને પણ ધ્રૂજાવી નાખે; વસંત ફૂલોની ઋતુના કારણે અહ્લાદક લાગે, જ્યારે ગ્રીષમમાં માથું ફોડી નાખતી ગરમી હોય; અને, વર્ષામાં અમૃતશો વરસાદ વરસતો હોય, જ્યારે શરદ તો આયુર્વેદની દૃષ્ટિએ રોગોની માતા ગણાય. હવે આપણે પેલા ઋષિમુનિઓની સો શરદ સુધી જીવવાના આશીર્વાદની વાતના રહસ્યને એ અર્થમાં પામી શકીએ કે શરદ ઋતુના રોગોમાંથી માણસ બચી જઈને એ ઋતુને હેમખેમ પાર પાડે તો ભયો ભયો ! આમ ભારતીય ઋતુચક્ર પ્રમાણે શરદ ઋતુનો છેલ્લો દિવસ એ જોખમી તબક્કાનો અંતિમ દિવસ ગણાય અને જે જણ જીવી ગયો તેણે જાણે કે નવજીવન પ્રાપ્ત કરી લીધું. અહીં એક તર્ક લડાવી શકાય કે આ નવજીવનની ખુશીમાં જ કદાચ દિવાળીના તહેવારો ઊજવવામાં આવતા હશે અને દિવાળીની રાત્રે ફટાકડા પણ ફોડવામાં આવતા હશે !

ભૂમિતિના વિષયમાં જે તે પ્રમેય સિદ્ધ થવાના અંતે ‘ઇતિ સિદ્ધમ’ લખવામાં આવે તેમ અહીં એ વાત સિદ્ધ થાય છે કે દિવાળી પછીના નૂતન વર્ષનો હેમંતનો પહેલો દિવસ એ પ્રત્યેક જીવિત ભારતીયનો જન્મદિવસ ગણાવો જોઈએ ! આ હેમંત ઋતુ સૂર્યના વૃશ્ચિક રાશિમાં પ્રવેશથી શરૂ થાય છે અને ધન રાશિની સમાપ્તિએ અંત પામે છે કે જે સામાન્યત: નવેમ્બરના મધ્યભાગથી જાન્યુઆરીના મધ્ય ભાગ સુધીની ગણાય. હેમંતની આહ્લાદકતાને કલાપીના ‘ગ્રામમાતા’ ખંડકાવ્યના પ્રારંભની આ પંક્તિઓથી માણી લઈએ.

ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમન્તનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં !

સાંપ્રતકાલીન ચિંતનાત્મક લલિત નિબંધોમાં રેવ. ફાધર વાલિસના જેવો દબદબો જેમનાં લખાણોમાં વર્તાય છે એવા શ્રી કૃષ્ણકાંત ઉનડકટના “ચાલો, આપણે આપણો એક ‘ડે’ ઊજવીએ” નિબંધમાં તો એમણે દરેક વ્યક્તિને વર્ષના કોઈપણ એક દિવસને ‘માય ડે’ તરીકે ઊજવવાની સલાહ આપી છે, કે જે દિવસ પોતાની મરજી મુજબ જીવવાનો હોય; પરંતુ અહીં તો હું ‘બર્થ ડે’ને જ ‘માય ડે’ તરીકે ઊજવવાની વાત કરી રહ્યો છું અને એ ‘બર્થ ડે’ પણ આપણો વ્યક્તિગત નહિ, પરંતુ આપણા સૌ ભારતીયોનો સહિયારો એ એક જ દિવસ  યાને કે નવીન વર્ષની હેમંત ઋતુનો પહેલો દિવસ. બેંકો, વીમા કંપનીઓ અને એવાં કેટલાંય ખાનગી સાહસોનું જેમ રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છે, એમ ભારતના પ્રત્યેક નાગરિકના જન્મદિવસોનું પણ રાષ્ટ્રીયકરણ અર્થાત્ સામાન્યીકરણ કરી નાખીને હેમંતના પહેલા દિવસને ‘અવર ડે’ તરીકે ઊજવવામાં આવે તો જન્મદિવસોની ઉજવણીઓનું બિન ઉત્પાદક એવું કેટલું બધું ખર્ચ બચી જાય ! જો કે ‘દિલકો બહલાનેકે લિયે ગ઼ાલિબી ખયાલ અચ્છે હૈ’વાળી આ તો એક વાત થાય છે, આમ છતાંય પોતપોતાનાં પરિવારોના તમામ સભ્યો પૂરતો આ પ્રયોગ અમલમાં મુકાય તો જરાય ખોટું નથી. વળી કોલેજોમાં ઉજવાતા ‘Fishpond Day’ની જેમ આબાલવૃદ્ધ સૌ કુટુંબીજનો આ ‘અવર ડે’ પૂરતાં મોકળા મને એકબીજાં સાથે હળેમળે અને આમોદપ્રમોદ કરી લે તો આખુંય વર્ષ તનાવમુક્ત પસાર થાય અને ઘણી કૌટુંબિક સમસ્યાઓ હલ પણ થઈ શકે.

અમારા બહોળા પરિવારમાં ‘પાશેરામાં પહેલી પૂણી’ના ન્યાયે જે તે મહિનામાં આવતા તમામ સભ્યોના જન્મદિવસો એક સાથે અને કોઈ એક દિવસની નજીકના રવિવારે ઊજવવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે. કહેવાય છે ને કે કોઈ શુભ વિચારને અમલમાં મૂકવાનું કાર્ય પોતાનાથી જ શરૂ થવું જોઈએ.

આશાવાદી છું કે ‘જન્મદિવસોની ઊજવણીઓ’નો આ નવતર ખ્યાલ મારા સુજ્ઞ વાચકો સુધી પહોંચ્યા સિવાય રહેશે નહિ.

ધન્યવાદ.

-વલીભાઈ મુસા

(નોંધ :- ‘Face Book’ ઉપર શુભચિંતકોના શુભ સંદેશાઓના મારા પ્રત્યુત્તરમાં આ લેખની જાહેરાત થઈ ગઈ હોઈ સમયના અભાવે હું આને વિસ્તારી શકતો નથી અને યથાવત્ મૂકવા બદલ દિલગીરી વ્યક્ત કરું છું. જન્મદિવસોની ઊજવણીઓ પાછળની ફિલસુફીને જાણવા માટે મારા ગયા વર્ષના લેખ “મારો જન્મદિવસ – નવી નજરે”ને નીચે આપેલા લિંકે વાંચવાની ખાસ ભલામણ કરવાનાં આવે છે.)

જન્મદિવસને અનુલક્ષીને આનુષંગિક મારા લેખો :

(1) “Customary celebrations of birthdays”

(૨) “પ્રણાલિકાગત જન્મદિવસોની ઊજવણીઓ”

(૩) “મારી કલમે હું”

(૪) મારો જન્મદિવસ – નવી નજર્રે

 

 

Tags: , , , , , , , , , , , ,

(૪૪૩-અ) બ્લોગીંગમાં ‘પ્રતિભાવો’ અંગે વલદાના પ્રતિભાવો

સાહિત્યકારો પોતાનાં સર્જનોમાં ઘણીવાર એવાં કથનો પ્રયોજતા હોય છે કે જે લાંબાગાળે સૂત્રો કે સુવિચારો બની જતાં હોય છે. વિવેચન એ પણ એક સાહિત્યપ્રકાર છે અને તેમાંય આ નિયમ લાગુ પડતો હોય છે. બ્લૉગ ઉપરના પ્રતિભાવ એ એક રીતે જોવા જઈએ તો વિવેચનની લઘુ આવૃત્તિ જ છે. અત્રે કનૈયાલાલ મા. મુનશીના વિવેચનશાસ્ત્રમાંના તેમના એક સૂત્ર ‘નીતિ એ કલાની વિષકન્યા છે.’ને ધ્યાનમાં ન રાખીને ‘વેગુ’વાચકોને ઊઘાડી શિખામણનાં કટુવચનોને યથાશક્ય શર્કરાયુક્ત આવરણમાં લપેટીને વટિકા ગળાવવાનો મારો અત્રે વિચાર છે. ક્યાંક આવરણ પાતળું રહી ગયું હોય કે કટુવચનના કોઈક ભાગે એ આવરણ બરાબર ચોંટ્યું ન હશે તો કટુતાનો થોડોક સ્વાદ આવી જવાની શક્યતા પણ ભારોભાર રહેલી છે જ. ‘કારેલાના ગુણ કડવા નથી હોતા’ એવું માનનારાઓ ભલે અલ્પસંખ્યક હોય, તો પણ તેમને જ ધ્યાનમાં રાખીને ગૃહિણીઓ કે વીશીઓના મહારાજો દ્વારા સમારાએલાં કારેલાંની કડવાશને નીચોવીને અને થોડોક વધુ પ્રમાણમાં ગોળ નાખીને પણ ભોજનની થાળીમાં એક વધારાના વિકલ્પ તરીકે કારેલાંનું શાક પીરસાતું હોય છે. આ લેખમાં મને “‘વલદા’ ગૃહિણો” કે “‘વલદો’ મહારાજ”, જે કહો તે, એવું જ કંઈક હું રાંધવા જઈ રહ્યો છું; પેલા અલ્પસંખ્યકોને જ મદ્દેનજર રાખીને જ તો !

આજનું કારેલું એ છે કે જેને બ્લૉગની દુનિયાનાં માણસો ‘પ્રતિભાવ’ના નામે ઓળખે છે. બ્લૉગનું માળખું ગોઠવનારાઓએ તો તેના માટે અંગ્રેજી શબ્દ ‘Comment’ આપ્યો છે, જેનો સીધો અર્થ તો ‘ટીકા’ થાય છે; પણ આપણાં શાંતિપ્રિય ગુર્જરજનોએ એના માટે ‘પ્રતિભાવ’ શબ્દ અપનાવીને તેને ‘Response’ના અર્થમાં ગોળ કાણામાં ચોરસ ખીલાની જેમ લાકડાની હથોડીએ હળવેથી બેસાડી દીધો છે. મારા મતે Comment Box એ એક પ્રકારનું Magic Box છે કે જે લેખનાં વિવિધ પાસાંઓને દેખાડે છે. પ્રતિભાવના બે જ સારા શબ્દો સારા લેખકને ઊંચે લઈ જાય છે, તો એ જ બે સારા શબ્દો નઠારા લેખકને પાછો પાડી દેતા હોય છે. પહેલામાં કાબેલિયતને પ્રોત્સાહન મળતું હોય છે, તો બીજામાં મિથ્યા ગર્વને પોષણ મળતું હોય છે.

મારો એક હોસ્ટેલ મિત્ર ભજનો ગાવાનો શોખીન હતો અને જુદાજુદા સમયે નિશ્ચિત ભજન જ ગાતો. બાથરૂમમાં નહાતી વખતે તે ‘પ્રભુ ભાવ-ના ભૂખ્યા છે, ભોજનના થાળ શાને !’ ગાય. આ વાત એટલા માટે યાદ આવે છે કે બ્લોગર એ પણ પોતાના બ્લોગનો પ્રભુ છે અને વાચક એનો ભક્ત છે. આ પ્રભુ ભક્તની પાસે ગિફ્ટ પાર્સલ જેવી મોટી અપેક્ષા નથી રાખતો, માત્ર બેચાર શબ્દોના પ્રતિભાવની આશા રાખે છે. હવે એ પણ ન મળે ત્યારે એને એવું ગાવાનો વારો આવે કે ‘હું પ્રતિભાવનો ભૂખ્યો છું, ખાલીખમ થાળ શાને ?’

રેડિયોના જમાનામાં સમાચાર-વાંચનમાં શરૂઆતમાં અને વચ્ચેવચ્ચે ‘આ આકાશવાણી છે’ એમ જે કહેવાતું, બસ તેમ જ વચ્ચે આ ‘વલદા’ કહી રહ્યો છે કે “આ લેખ ‘વેબગુર્જરી’ માટે લખાઈ રહ્યો છે.” અને તેજીને કરવામાં આવતી ટકોરની જેમ ‘વલદા’ એ કહેવા માગે છે કે કલાકારને દાદ(પ્રશંસા) ન મળે તો એ બિચારો દાદ(ફરિયાદ) કરવા ક્યાં જાય ! વિશ્વવિખ્યાત તબલાવાદક ઝાકિરહુસેન પણ જો દાદ ન મળે તો સંચાલકોના મોંઢા ઉપર મળેલી ફીની નોટો ફેંકીને બગલમાં તબલાં દબાવીને સ્ટેજ છોડીને ભાગી જાય ! જો બ્લૉગર પોતાની જ કૃતિઓને પોતાના બ્લૉગ ઉપર મૂકતો હોય, તો તેના માટે તો સમજ્યા મારા ભાઈ કે, તે નિજાનંદ માટે લખે છે એટલે એને ભાવ, સમભાવ, અનુભાવ, પ્રતિભાવ, કટુભાવ, દ્વેષભાવ કે જે કહો તે ભાવ મળે કે ન મળે એને કોઈ ફરક પડશે નહિ; કેમ કે ત્યાં તો ‘વાડી’ અને ‘દલો તરવાડી’ એકના એક જ છે. પરંતુ એવી કોઈ સાઈટ કે એવાં કોઈ ઈ-સામયિક કે જે બિનવ્યાપારી ધોરણે કામ કરતાં હોય તેને તો અન્ય લેખકો ઉપર અવલંબિત રહેવું પડે અને એ લોકો જ્યારે કોઈ પુરસ્કારની અપેક્ષા વગર જાન રેડીને કંઈક લખતા હોય ત્યારે તે પ્રતિભાવ તો અવશ્ય ઝંખે જ ને !

કલાપીની આ કાવ્યપંક્તિ કે ‘કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહિ’ ને આપણે હરખપદુડા થઈને રટ્યા કરીએ અને વાચક તરીકે આપણે એને અમલમાં ન મૂકીએ તો ‘પોથીમાંના રીંગણા’ના ચિત્રને ચાવવા જેવું જ સમજવું પડે ને ! મોંઢામાં કાગળનો ડુચો વળશે, પણ એમાંથી સરસ મજાનાં મસાલાથી ભરેલાં રીંગણનાં સમારિયાંનો સ્વાદ તો ક્યાંથી મળવાનો છે ! અહીં વળી એક કાવ્યપંક્તિ યાદ આવી જાય છે, ‘મારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી’; જેને આમ ગાવાની ઇચ્છા થાય છે, ’મારાં નયણાંની આળસ રે, ન નીરખ્યાં ‘Like’ બટનને જરી !’ ભલાં ગુર્જરભાંડુડાંઓ, કોઈને ખુશ થઈને ભલે ઈનામ ન આપો, પણ મફતના ભાવની તાળી તો આપી શકાય ને ! ‘Like’ બટન એ ટેકનોલોજિકલ તાળી જ છે ! વળી તમે બ્લોગધારક હશો અને તમારા બ્લૉગમાં તમારો ફોટો હશે તો ‘Like’ બટનની હારોહાર તમારા ફોટા સાવ મફતમાં ગોઠવાતા જશે અને બ્લોગરે ‘Like’ ની જાણકારી મેળવવા માટેની મેઈલનો વિકલ્પ પસંદ કર્યો હશે તો બ્લૉગ સર્વિસ પ્રોવાઈડર પેલા લેખકને ‘Like’ની મેઈલ મોકલી આપીને મેટ્રિક પદ્ધતિમાં કહીએ તો એમને પાંચસો ગ્રામ (જૂનો માનાંક ‘શેર’) લોહી ચઢાવશે !

અમે કેટલાંક મિત્રો એક હાસ્યબ્લોગે એકવાર એવાં તોફાને ચઢેલાં (બહેનો પણ ભેગી હતી !) કે પ્રતિભાવોમાં ટોળટપ્પા કરીને થોડાક સમયમાં તો એ સાઈટને ગરમલ્હાય કરી દીધેલી. પછી તો થયું કે લાવોને આપણે અંગત રીતે એ બ્લૉગ માટે કોઈ હાસ્યલેખકોને નિમંત્રીએ. અમારા નિમંત્રણને માન આપીને કેટલાક લેખકોએ સરસ મજાના હાસ્યલેખો આપ્યા પણ ખરા. પરંતુ પછી તો થોડાક સમય માટે પ્રતિભાવોમાં થોડીક મંદી (Recession) આવી અને પેલા લેખો પ્રતિભાવ વગરના કોરા જવા માંડ્યા અને એક લેખકે તો શિષ્ટાચાર(Protocol) ને ભૂલી જઈને અંગત મેઈલમાં એવી હૈયાવરાળ કાઢી કે ‘જોયા, જોયા તમારા વાચકો, એકેયમાં Sense of humor તો છે જ નહિ; આવા બ્લૉગ ઉપર અમારી સોનાની સાંકળને પાણીમાં શા માટે નાખીએ !’ મિત્રો, બધાંય ‘વેગુ’વાચકોને સમજાય એ રીતે આ વાત અહીં એટલા માટે મૂકી છે કે ‘બાપલિયાં, જો જો હાં, અહીં ‘વેગુ’ ઉપર અમારાં નિમંત્રણને માન આપીને આવતા વિદ્વાન લેખકો અમને સંચાલકોને એવું મહેણું ન મારી જાય કે ‘જોયા, જોયા તમારા વાચકો; એકેયમાં કામની કદર કરવાની અક્કલ તો છે જ નહિ !’ અને પછી નવ અને બેનો સરવાળો કરી દે ! ( ન સમજાયું હોય, તો તેનું હિંદી કરી દઉં કે ’નૌ ઓર દોકા જુમલા કર દેં !; હજુ ન સમજાયું હોય તો કહું કે ‘નવ અને બેનો સરવાળો અગિયાર કરી દે !’ હાશ, હવે સમજાયું હશે ખરું !!!)

‘વેગુ’મિત્રો, ‘જોયા, જોયા તમારા…’ લખતાં એના અનુસંધાને એક રમુજી ટુચકો યાદ આવ્યો છે; જેને અહીં નહિ મૂકું તો મારા લેખના ઉપરોક્ત લખાણમાંનો મારો રૂની પૂણીનો પ્રહાર કોઈને ઈજા પમાડી ગયો હોય તો તેમને રૂઝ નહિ વળે ! “શ્રીરામ અને સીતાજીના વનવાસ દરમિયાન સીતાજીની પતિસેવા જોઈને નરવાનરો પ્રભાવિત થયા અને માદાવાનરોને શિખામણ આપવા માંડ્યા કે ‘અલી વાંદરીઓ, જાઓ અને સીતામાતાને જોઈ આવો કે એ કેવાં ગુણિયલ છે અને પતિની કેવી સેવા કરે છે ! તમે લોકો તો એમાંનું કશું જ કરતી નથી !’ માદાવાનરોએ સીતામાતાને વચમાં ઊભાં રાખીને કેટલીયવાર સુધી તેમની ફરતે પ્રદક્ષિણા કરી અને ઝાડવાંઓ ઉપર પ્રતીક્ષા કરતા નરવાનરો પાસે જઈને કહ્યું, ‘જોયાં જોયાં, તમારાં સીતામાતાજી ! એમને પૂંછડી તો છે જ નહિ !’” આપ સૌ સમજદાર અને શાણા વાચકોને ‘વલદા’થી એવું થોડું કહેવાય કે ‘…. એટલા માટે જ તો ‘Like’નું બટન આપ્યું છે, ને !!!’

બ્લોગીંગમાંની પ્રતિભાવની વ્યવસ્થાને ગંભીરતાથી સમજવી પડશે અને લેખકોએ પણ માનસિક રીતે તૈયારી રાખવી પડશે કે All the times સારા પ્રતિભાવ ન મળે અને કોઈકવાર વાચકો દ્વારા તેમના કાન પણ ખેંચવામાં આવે અને ત્યારે પ્રત્યુત્તર આપવાની તેમની ફરજ પણ બની રહે. અપરિપક્વ લખાણના લેખકે સારા પ્રતિભાવોની અપેક્ષા રાખવી અસ્થાને છે. ઊલ્ટાનું એણે તો એમ ઇચ્છવું જોઈએ કે કોઈક એમની ખામીઓ બતાવે. જાહેરમાં એવી ટીકાટિપ્પણી ન ખમાય તેમ હોય તો અંગત મેઈલથી પણ જાણીજણાવી શકાય. સારા પ્રતિભાવો મેળવવા માટે લાંઘણ કરવી એ તો માગીને માન મેળવ્યા બરાબર ગણાય અને એવા માનનું મૂલ્ય પણ શું ગણાય ?

વાચકપક્ષે પણ એ અપેક્ષિત છે કે તેઓ પોતાના પ્રતિભાવોમાં લખાણની શિષ્ટતા જાળવે. બ્લોગ એ બુદ્ધિજીવીઓ અને બુદ્ધિશાળીઓ માટેના વિચારોના આદાનપ્રદાન માટેનું એક ફલક (Platform) છે; જ્યાં સૌએ ખેલેદિલીપૂર્વક વર્તવાનું છે, એકબીજાનાં માનસન્માનને જાળવવાનાં છે, તટસ્થ અભિપ્રાયો મુક્ત રીતે આપવાના છે, એને કુસ્તીનો અખાડો બનાવવાનો નથી ! અહીં એવું ન બને કે પેલા પ્રાચીન કવિએ ‘પશુમાં પડી તકરાર’ જેવું કોઈ વર્તમાન કવિએ લખવું પડે કે ‘બ્લોગરોમાં પડી તકરાર’ ! અહીં પ્રશંસાને સ્થાન છે, ખુશામતને નહિ; અહીં સ્પષ્ટવક્તાપણું આવકાર્ય છે, તોછડાઈ નહિ; અહીં જ્ઞાન, ગમ્મત, ચિંતન, અને મનનને અવકાશ છે, બાલિશતાને નહિ; અહીં વસુધૈવ કુટુંબકમ્-ની ભાવનાએ એકાદ કદમ આગળ વધવાનું છે, પીછે કદમ નહિ.

અનેક બ્લૉગરોને અનુભવ થયો હશે કે કોણજાણે કેટકેટલા અજનબી માણસો સાથેના તેમના સંપર્કો સંધાયા હશે અને મિત્રાચારીના અંકુરો ફૂટ્યા હશે, આ બ્લોગના માધ્યમ થકી ! અહીં ‘વલદા’ એમ કહે કે ‘એટલા બધા સંબંધો બંધાયા છે કે તેમનાથી એક નાનકડું ગામ સર્જાઈ રહે’ તો તેને અતિશયોક્તિ સમજતા નહિ. વલદાનું તારણ છે કે બ્લોગના માત્ર લેખન કે વાંચનથી સંબંધો બંધાતા નથી, કેમ કે એ તો બંને પક્ષે એક મૂક ક્રિયા માત્ર બની રહે છે; પ્રતિભાવના માધ્યમ દ્વારા જ સંબંધો બંધાય છે અને સાથેસાથે એ પણ ખરું કે વિવેકભાન ગુમાવાય તો સંબંધો વણસે પણ ખરા !

‘વલદા’ એ આ લેખમાં સાવધાની વર્તીને જે કહેવા ધાર્યું હતું તે કહી દીધું છે, કોઈની લાગણી ન દુભાય તેની તકેદારી પણ એણે રાખી છે, જે કંઈ લખાયું છે તે ‘વેબગુર્જરી’ પ્રત્યેના અહોભાવના કારણે જ તો; આમ છતાંય જાણેઅજાણે આજના આ લેખરૂપી કારેલાની કોઈ કડવાશ કોઈ વાચકની જીભને સ્પર્શી ગઈ હોય તો તેમની ક્ષમા પ્રાર્થીને ‘વલદા’ અત્રેથી વિરમે છે.

જય ગુર્જરી.

 

Tags: , , ,

(૪૧૮-અ) “કલાપીના ખંડકાવ્ય ‘ગ્રામ્યમાતા’ના સ્રોત ઉપર એક નજર”

જાણીતા સાહિત્યકાર અને ‘વેબગુર્જરી’ ઉપર કેટલાંક પુસ્તકોનો પરિચય આપનાર ડૉ.યોગેન્દ્ર વ્યાસ સાહેબનો ઈ-નેટ ઉપર વિગતે પરિચય પામવા જતાં મારે ક્રિસ્ટોફર કોલમ્બસ જેવું થયું ! ભારતના બદલે અમેરિકા પહોંચી જનાર એ જણની જેમ હું પણ વ્યાસ સાહેબના પરિચયના બદલે તેમના દ્વારા જ લખાએલ કલાપીના વિખ્યાત ખંડકાવ્ય ‘ગ્રામ્યમાતા’ વિષેના GGN ઉપરના તેમના લેખ “‘ગ્રામ્યમાતા’– એક હૃદયસ્પર્શી કાવ્ય” તરફ વળી ગયો અને આમ એ ખંડકાવ્ય વિષેના મારા જ્ઞાનમાં થોડીક વૃદ્ધિ થવા પામી. ગુજરાતી મુખ્ય વિષય સાથે સ્નાતક કક્ષાએ કલાપીને ભણતાં મેં જાણ્યું હતું કે એ ખંડકાવ્યનું મૂળ શીર્ષક ‘શેલડી’ હતું, જે પાછળથી ‘ગ્રામ્યમાતા’ બદલાઈ જવા પામ્યું હતું. મારા નમ્ર મતે ‘ગ્રામ્યમાતા’ના બદલે ‘ગ્રામમાતા’ શીર્ષક વધારે યોગ્ય ગણાવું જોઈએ, જેવી રીતે કે ‘ગ્રામ્યસેવક’ના બદલે પહેલી જ નજરે ‘ગ્રામસેવક’ શબ્દ વધુ યોગ્ય લાગે છે. વળી ‘ગ્રામ્ય’ અને ‘ગ્રામ’ શબ્દો તેમના પદપ્રકારો અને અર્થોની રીતે પણ એકબીજાથી અલગ પડે છે. વિશેષમાં કહું તો ‘કલાપીનો કેકારવ’ કે ‘કલાપીનો કાવ્યકલાપ’ પૈકીની કોઈ એકની કોઈક આવૃત્તિમાં ‘ગ્રામમાતા’ શીર્ષક વાંચ્યાનું મને ઝાંખું સ્મરણ પણ છે.

‘ગ્રામ્યમાતા’ના સ્રોત સબબે આગળ વધીએ તો પાંચસો-સાતસો વર્ષ પહેલાં મેરુતુંગ નામે થઈ ગએલા એક જૈન વિદ્વાન દ્વારા લોકસાહિત્ય ઉપરથી રચાએલા ‘ઇક્ષુરસપ્રબંધ’ સુધી આપણે પહોંચવું પડે. ‘મેરુતુંગ’ એ સંજ્ઞાવાચક નામ છે, પણ જેનો અર્થ થાય છે ‘પર્વતનું શિખર’. આ કૃતિ પુસ્તકરૂપે કે ઈ-નેટ ઉપર પણ  પ્રાપ્ય ન હોઈ તેની રજેરજ કથાવસ્તુ તો નહિ જાણી શકાય, પણ ‘ગ્રામ્યમાતા’ના સ્રોતને જાણવાના હેતુ પૂરતા આપણે વિચારીએ તો ‘ઇક્ષુ’નો અર્થ ‘શેલડી’ થાય છે અને આમ શીર્ષકનો અર્થ થાય ‘શેલડીના રસનો પ્રબંધ (વ્યવસ્થા)’. આમ કલાપીના ‘ગ્રામ્યમાતા’ કાવ્યના વિષયવસ્તુને ‘ઇક્ષુરસપ્રબંધ’ના અર્થ  સાથે મેળ પડતો  હોઈ કાવ્યનો સ્રોત  સુનિશ્ચિત થઈ જાય છે. વળી આ કાવ્યમાંની રહસ્યમય ઘટનાનું સામ્ય અંગ્રેજ કવિ વર્ડ્ઝવર્થ (Wordsworth) ના એક કાવ્ય“Goody Blake and Harry Gill” સાથે પણ સધાય છે.

‘ગ્રામ્યમાતા’ કાવ્યથી અજાણ વાચકો માટે એ કાવ્યનો સાવ સંક્ષિપ્તે સાર આપું તો, સરસ મજાના પ્રાકૃતિક વાતાવરણમાં શેલડીના એક ખેતરે અશ્વારૂઢ એક યુવાન આવે છે. વયોવૃદ્ધ ખેડૂતયુગલ શગડી પાસે તાપતું બેઠું છે. પેલો યુવાન પીવાનું પાણી માગે છે. વૃદ્ધા પેલા યુવાનને શેરડીના ખેતરના શેઢે લઈ જાય છે. એક શેરડીના સાંઠામાંથી છૂરી વડે એક માત્ર કાતળી કાપતાં જ શેરડીરસથી પ્યાલો ભરાઈ જાય છે. હજુ પોતાની તરસ છીપી ન હોઈ તે યુવાન રસનો બીજો પ્યાલો માગે છે. પરંતુ આ વખતે કેટલીય કાતળીઓ કાપવામાં આવતી હોવા છતાં પ્યાલામાં રસનું એકેય ટીપું પડતું નથી. વૃદ્ધા રડતીરડતી બોલી ઊઠે છે કે, ‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ; નહિ તો ના બને આવું !’. આ સાંભળતાં જ પેલો યુવાન વૃદ્ધાના પગે પડીને માફી માગતાં બોલી ઊઠે છે, ‘એ હું જ છું નૃપ, મને કર માફ ! બાઈ ! એ હું જ છું નૃપ, મને કર માફ ! ઈશ !’. શેરડીના રસનો પહેલો પ્યાલો પીતી વખતે એ યુવાન કે જે રાજા પોતે જ હોય છે તેના મનમાં એવો કુવિચાર આવતો હોય છે કે એ વિસ્તારના સુખી એવા ખેડૂતો પાસેથી વધુ કર કેમ ન લેવો જોઈએ ? હવે એ રાજા પશ્ચાત્તાપ કરીને વૃદ્ધાને ફરી શેરડીની કાતળી કાપવાનું કહે છે અને આ વખતે બહોળા રસ થકી પ્યાલો છલકાઈ જાય છે. આમ કાવ્ય સુખાંત પામે છે.

અન્નદાતા ગણાતા એવા ખેડૂતો પરત્વે શાસકોએ દયાભાવ રાખવો જોઈએ એવા સંદેશને અભિવ્યક્ત કરતા આ કાવ્યની પ્રેરણા કવિ કલાપીને વર્ડ્ઝવર્થના ઉપર દર્શાવાએલા કાવ્ય “Goody Blake and Harry Gill” ઉપરથી પણ મળી હોવાનું મનાય છે. બંને કાવ્યોમાં કેટલુંક સામ્ય તો કેટલોક વિરોધાભાસ જોવા મળે છે. કલાપીના કાવ્યમાં એક પક્ષે ખેડૂત સ્ત્રી અને સામા પક્ષે રાજા છે, તો વર્ડ્ઝવર્થના કાવ્યમાં એક પક્ષે ગૂડી બ્લેક (Goody Blake) નામે વયોવૃદ્ધ ગરીબ સ્ત્રી છે અને સામા પક્ષે હેરી ગિલ (Harry Gill) નામે ધનિક માણસ છે. બંને કાવ્યોના અંત તપાસતાં વિરોધાભાસ એ જણાય છે કે કલાપીના કાવ્યમાં રાજાના પશ્ચાત્તાપ પછી કાવ્યમાં સુખાંત સર્જાય છે, તો વર્ડ્ઝવર્થના કાવ્યમાં પેલી ગરીબ સ્ત્રીએ ઈશ્વરને પેલા ધનિક વિરુદ્ધ કરેલી બદદુઆના પરિણામે એ  ધનિક જીવનભર તેને મળેલા શ્રાપનો ભોગ બની રહે છે.

વાત એમ હોય છે કે ઠંડીથી ધ્ર્રૂજતી ગૂડી બ્લેક હેરી ગિલના વાડામાંથી લાકડાં ચોરવા જાય છે અને તેણી હેરી ગિલના હાથે જ ઝડપાઈ જાય છે. જોકે તેણીને કોઈ સજા તો કરવામાં આવતી નથી હોતી, માત્ર તેણીને બાવડેથી પકડી લેવામાં આવે છે. તેણીના હાથમાંથી લાકડાં પડી જતાં હોય છે. ગૂડી બ્લેકને પોતાની મજબુરીના કારણે ચોરી કરતાં પકડાઈ જવું અને આમ અપમાનિત થવું એ જ મોટી સજા લાગતી હોય છે. તેણી પડી ગએલાં લાકડાં ઉપર પોતાનાં ઢીંચણ ટેકવીને ઈશ્વરને પ્રાર્થે છે આ શબ્દોમાં કે “God ! who art never out of hearing, O may he never more be warm !” અર્થાત્, ‘હે ઈશ્વર, તું કદીય કોઈની પ્રાર્થના સાંભળ્યા વગર રહેતો નથી હોતો, તે (હેરી ગિલ) કદીય પોતાના બદનમાં હૂંફ કે ગરમી પ્રાપ્ત કરવા ન પામો ! ‘ગરીબની હાય, કદી ન ખાલી જાય !’ એ ઉક્તિ પ્રમાણે ગમે તેટલાં ઊની વસ્ત્રો ધારણ કરવા છતાં, ગરમ ધાબળાઓ ઓઢવા છતાં અને અનેક ઉપાયો અજમાવવા છતાં હેરી ગિલ જીવનભર પોતાના બદનમાંની અસહ્ય ઠંડીથી પીડાતો રહે છે.

આંતરેઆંતરે વિવિધ ગેય અને અનોખા એવા અનુષ્ટુપ જેવા આવતા જતા છંદોમાં રચાએલું ‘ગ્રામ્યમાતા’ ખંડકાવ્ય એ ખંડકાવ્યોના પિતા ગણાતા કવિ મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’નાં ખંડકાવ્યો સાથે માનભેર ઊભું રહી શકે તેવું સર્વગુણે બળૂકું ખંડકાવ્ય છે. આમેય કવિશ્રી કાન્ત અને કલાપી એકબીજાના સમકાલીન, સમવયસ્ક અને સમભાવી મિત્રો હતા. આમ એ બેઉ મિત્રોનાં કાવ્યો એકબીજાની અસર ઝીલ્યા વગર રહી શકે ખરાં !

આ લઘુલેખના વાંચન પછી સાહિત્યરસિક એવાં વેબગુર્જરીજનો પ્રારંભે જ આપેલા સ્રોતે કવિ કલાપીના આ ખંડકાવ્ય ‘ગ્રામ્યમાતા’ને પણ વાંચ્યા વગર રહી શકશે ખરાં ?

ભલામણ : સુરેશભાઈ જાનીના ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ ઉપર વીડિયોરૂપે ગમતીલી આ રચના “‘ગ્રામમાતા’- કલાપી- નવા સ્વરૂપમાં“ને અવશ્ય માણો.

અંગ્રેજી કાવ્યની લિંક: Goody Black and Harry Gill – by William Wordsworth

ગુજરાતી કાવ્યની લિંક :  શ્રી વિશ્વદીપ બારડના બ્લૉગ “ફૂલવાડી” પર “ગ્રામ્યમાતા- કલાપી”

–  વલીભાઈ મુસા

 

Tags: , , , , ,