RSS

Tag Archives: કાન્ત

(૪૧૮-અ) “કલાપીના ખંડકાવ્ય ‘ગ્રામ્યમાતા’ના સ્રોત ઉપર એક નજર”

જાણીતા સાહિત્યકાર અને ‘વેબગુર્જરી’ ઉપર કેટલાંક પુસ્તકોનો પરિચય આપનાર ડૉ.યોગેન્દ્ર વ્યાસ સાહેબનો ઈ-નેટ ઉપર વિગતે પરિચય પામવા જતાં મારે ક્રિસ્ટોફર કોલમ્બસ જેવું થયું ! ભારતના બદલે અમેરિકા પહોંચી જનાર એ જણની જેમ હું પણ વ્યાસ સાહેબના પરિચયના બદલે તેમના દ્વારા જ લખાએલ કલાપીના વિખ્યાત ખંડકાવ્ય ‘ગ્રામ્યમાતા’ વિષેના GGN ઉપરના તેમના લેખ “‘ગ્રામ્યમાતા’– એક હૃદયસ્પર્શી કાવ્ય” તરફ વળી ગયો અને આમ એ ખંડકાવ્ય વિષેના મારા જ્ઞાનમાં થોડીક વૃદ્ધિ થવા પામી. ગુજરાતી મુખ્ય વિષય સાથે સ્નાતક કક્ષાએ કલાપીને ભણતાં મેં જાણ્યું હતું કે એ ખંડકાવ્યનું મૂળ શીર્ષક ‘શેલડી’ હતું, જે પાછળથી ‘ગ્રામ્યમાતા’ બદલાઈ જવા પામ્યું હતું. મારા નમ્ર મતે ‘ગ્રામ્યમાતા’ના બદલે ‘ગ્રામમાતા’ શીર્ષક વધારે યોગ્ય ગણાવું જોઈએ, જેવી રીતે કે ‘ગ્રામ્યસેવક’ના બદલે પહેલી જ નજરે ‘ગ્રામસેવક’ શબ્દ વધુ યોગ્ય લાગે છે. વળી ‘ગ્રામ્ય’ અને ‘ગ્રામ’ શબ્દો તેમના પદપ્રકારો અને અર્થોની રીતે પણ એકબીજાથી અલગ પડે છે. વિશેષમાં કહું તો ‘કલાપીનો કેકારવ’ કે ‘કલાપીનો કાવ્યકલાપ’ પૈકીની કોઈ એકની કોઈક આવૃત્તિમાં ‘ગ્રામમાતા’ શીર્ષક વાંચ્યાનું મને ઝાંખું સ્મરણ પણ છે.

‘ગ્રામ્યમાતા’ના સ્રોત સબબે આગળ વધીએ તો પાંચસો-સાતસો વર્ષ પહેલાં મેરુતુંગ નામે થઈ ગએલા એક જૈન વિદ્વાન દ્વારા લોકસાહિત્ય ઉપરથી રચાએલા ‘ઇક્ષુરસપ્રબંધ’ સુધી આપણે પહોંચવું પડે. ‘મેરુતુંગ’ એ સંજ્ઞાવાચક નામ છે, પણ જેનો અર્થ થાય છે ‘પર્વતનું શિખર’. આ કૃતિ પુસ્તકરૂપે કે ઈ-નેટ ઉપર પણ  પ્રાપ્ય ન હોઈ તેની રજેરજ કથાવસ્તુ તો નહિ જાણી શકાય, પણ ‘ગ્રામ્યમાતા’ના સ્રોતને જાણવાના હેતુ પૂરતા આપણે વિચારીએ તો ‘ઇક્ષુ’નો અર્થ ‘શેલડી’ થાય છે અને આમ શીર્ષકનો અર્થ થાય ‘શેલડીના રસનો પ્રબંધ (વ્યવસ્થા)’. આમ કલાપીના ‘ગ્રામ્યમાતા’ કાવ્યના વિષયવસ્તુને ‘ઇક્ષુરસપ્રબંધ’ના અર્થ  સાથે મેળ પડતો  હોઈ કાવ્યનો સ્રોત  સુનિશ્ચિત થઈ જાય છે. વળી આ કાવ્યમાંની રહસ્યમય ઘટનાનું સામ્ય અંગ્રેજ કવિ વર્ડ્ઝવર્થ (Wordsworth) ના એક કાવ્ય“Goody Blake and Harry Gill” સાથે પણ સધાય છે.

‘ગ્રામ્યમાતા’ કાવ્યથી અજાણ વાચકો માટે એ કાવ્યનો સાવ સંક્ષિપ્તે સાર આપું તો, સરસ મજાના પ્રાકૃતિક વાતાવરણમાં શેલડીના એક ખેતરે અશ્વારૂઢ એક યુવાન આવે છે. વયોવૃદ્ધ ખેડૂતયુગલ શગડી પાસે તાપતું બેઠું છે. પેલો યુવાન પીવાનું પાણી માગે છે. વૃદ્ધા પેલા યુવાનને શેરડીના ખેતરના શેઢે લઈ જાય છે. એક શેરડીના સાંઠામાંથી છૂરી વડે એક માત્ર કાતળી કાપતાં જ શેરડીરસથી પ્યાલો ભરાઈ જાય છે. હજુ પોતાની તરસ છીપી ન હોઈ તે યુવાન રસનો બીજો પ્યાલો માગે છે. પરંતુ આ વખતે કેટલીય કાતળીઓ કાપવામાં આવતી હોવા છતાં પ્યાલામાં રસનું એકેય ટીપું પડતું નથી. વૃદ્ધા રડતીરડતી બોલી ઊઠે છે કે, ‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ; નહિ તો ના બને આવું !’. આ સાંભળતાં જ પેલો યુવાન વૃદ્ધાના પગે પડીને માફી માગતાં બોલી ઊઠે છે, ‘એ હું જ છું નૃપ, મને કર માફ ! બાઈ ! એ હું જ છું નૃપ, મને કર માફ ! ઈશ !’. શેરડીના રસનો પહેલો પ્યાલો પીતી વખતે એ યુવાન કે જે રાજા પોતે જ હોય છે તેના મનમાં એવો કુવિચાર આવતો હોય છે કે એ વિસ્તારના સુખી એવા ખેડૂતો પાસેથી વધુ કર કેમ ન લેવો જોઈએ ? હવે એ રાજા પશ્ચાત્તાપ કરીને વૃદ્ધાને ફરી શેરડીની કાતળી કાપવાનું કહે છે અને આ વખતે બહોળા રસ થકી પ્યાલો છલકાઈ જાય છે. આમ કાવ્ય સુખાંત પામે છે.

અન્નદાતા ગણાતા એવા ખેડૂતો પરત્વે શાસકોએ દયાભાવ રાખવો જોઈએ એવા સંદેશને અભિવ્યક્ત કરતા આ કાવ્યની પ્રેરણા કવિ કલાપીને વર્ડ્ઝવર્થના ઉપર દર્શાવાએલા કાવ્ય “Goody Blake and Harry Gill” ઉપરથી પણ મળી હોવાનું મનાય છે. બંને કાવ્યોમાં કેટલુંક સામ્ય તો કેટલોક વિરોધાભાસ જોવા મળે છે. કલાપીના કાવ્યમાં એક પક્ષે ખેડૂત સ્ત્રી અને સામા પક્ષે રાજા છે, તો વર્ડ્ઝવર્થના કાવ્યમાં એક પક્ષે ગૂડી બ્લેક (Goody Blake) નામે વયોવૃદ્ધ ગરીબ સ્ત્રી છે અને સામા પક્ષે હેરી ગિલ (Harry Gill) નામે ધનિક માણસ છે. બંને કાવ્યોના અંત તપાસતાં વિરોધાભાસ એ જણાય છે કે કલાપીના કાવ્યમાં રાજાના પશ્ચાત્તાપ પછી કાવ્યમાં સુખાંત સર્જાય છે, તો વર્ડ્ઝવર્થના કાવ્યમાં પેલી ગરીબ સ્ત્રીએ ઈશ્વરને પેલા ધનિક વિરુદ્ધ કરેલી બદદુઆના પરિણામે એ  ધનિક જીવનભર તેને મળેલા શ્રાપનો ભોગ બની રહે છે.

વાત એમ હોય છે કે ઠંડીથી ધ્ર્રૂજતી ગૂડી બ્લેક હેરી ગિલના વાડામાંથી લાકડાં ચોરવા જાય છે અને તેણી હેરી ગિલના હાથે જ ઝડપાઈ જાય છે. જોકે તેણીને કોઈ સજા તો કરવામાં આવતી નથી હોતી, માત્ર તેણીને બાવડેથી પકડી લેવામાં આવે છે. તેણીના હાથમાંથી લાકડાં પડી જતાં હોય છે. ગૂડી બ્લેકને પોતાની મજબુરીના કારણે ચોરી કરતાં પકડાઈ જવું અને આમ અપમાનિત થવું એ જ મોટી સજા લાગતી હોય છે. તેણી પડી ગએલાં લાકડાં ઉપર પોતાનાં ઢીંચણ ટેકવીને ઈશ્વરને પ્રાર્થે છે આ શબ્દોમાં કે “God ! who art never out of hearing, O may he never more be warm !” અર્થાત્, ‘હે ઈશ્વર, તું કદીય કોઈની પ્રાર્થના સાંભળ્યા વગર રહેતો નથી હોતો, તે (હેરી ગિલ) કદીય પોતાના બદનમાં હૂંફ કે ગરમી પ્રાપ્ત કરવા ન પામો ! ‘ગરીબની હાય, કદી ન ખાલી જાય !’ એ ઉક્તિ પ્રમાણે ગમે તેટલાં ઊની વસ્ત્રો ધારણ કરવા છતાં, ગરમ ધાબળાઓ ઓઢવા છતાં અને અનેક ઉપાયો અજમાવવા છતાં હેરી ગિલ જીવનભર પોતાના બદનમાંની અસહ્ય ઠંડીથી પીડાતો રહે છે.

આંતરેઆંતરે વિવિધ ગેય અને અનોખા એવા અનુષ્ટુપ જેવા આવતા જતા છંદોમાં રચાએલું ‘ગ્રામ્યમાતા’ ખંડકાવ્ય એ ખંડકાવ્યોના પિતા ગણાતા કવિ મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’નાં ખંડકાવ્યો સાથે માનભેર ઊભું રહી શકે તેવું સર્વગુણે બળૂકું ખંડકાવ્ય છે. આમેય કવિશ્રી કાન્ત અને કલાપી એકબીજાના સમકાલીન, સમવયસ્ક અને સમભાવી મિત્રો હતા. આમ એ બેઉ મિત્રોનાં કાવ્યો એકબીજાની અસર ઝીલ્યા વગર રહી શકે ખરાં !

આ લઘુલેખના વાંચન પછી સાહિત્યરસિક એવાં વેબગુર્જરીજનો પ્રારંભે જ આપેલા સ્રોતે કવિ કલાપીના આ ખંડકાવ્ય ‘ગ્રામ્યમાતા’ને પણ વાંચ્યા વગર રહી શકશે ખરાં ?

ભલામણ : સુરેશભાઈ જાનીના ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ ઉપર વીડિયોરૂપે ગમતીલી આ રચના “‘ગ્રામમાતા’- કલાપી- નવા સ્વરૂપમાં“ને અવશ્ય માણો.

અંગ્રેજી કાવ્યની લિંક: Goody Black and Harry Gill – by William Wordsworth

ગુજરાતી કાવ્યની લિંક :  શ્રી વિશ્વદીપ બારડના બ્લૉગ “ફૂલવાડી” પર “ગ્રામ્યમાતા- કલાપી”

–  વલીભાઈ મુસા

 

Tags: , , , , ,

(૩૯૨-અ) ગુજરાતી ભાષા અને સાહિત્ય અંગેની કેટલીક અલપઝલપ વાતો

[‘વલદાની વાસરિકા’: સંપાદકીય પરિચય

શ્રી વલીભાઈ મુસા…આ નામ આંખને કે કાનને નવું તો નહીં જ લાગે. એમના બે ભાષામાં લખાતા બ્લૉગ ‘William’s Tales’ અને ‘વલદાનો વાર્તાવૈભવ’ જોયા છે ને ? આપણી વેગુની આ સાઈટની ડાબી બાજુએ ‘વેગુ સમર્થકો’ના બ્લૉગની યાદીમાં આ બન્ને બ્લૉગ નજરે પડશે.  જરૂર મુલાકાતે જજો.

 કોઇને એમ પણ સવાલ થશે એ કે આપણા બ્લૉગભ્રમણવાળાં મૌલિકા દેરાસરી અમને કેમ ત્યાં લઈ ન ગયાં? કબૂલ… કારણ માત્ર એટલું કે તેઓ તો સંપાદકોએ દોરેલી લક્ષ્મણરેખા – “ખબરદાર…! જે લોકો વેબગુર્જરી સાથે સંકળાયેલા હોય એમના બ્લૉગ પર કદી પગ ન મૂકજો!” –ને સાચવીને બ્લોગભ્રમણ કરતાં અને કરાવતાં રહ્યાં છે.

 ઓહો, ત્યારે એમ વાત છે….! હા, સાચી જ વાત છે. વલીભાઈ વેબગુર્જરી સાથે સીધી રીતે સંકળાયેલા છે.

આપણે વલીભાઈના લેખ વેગુ પર, આ પહેલાં પણ વાંચ્યા અને માણ્યા છે. તે લેખોને પણ હવે આ (નવા) વિભાગ ‘વલદાની વાસરિકા’  હેઠળ સાંકળી લીધા છે. અને તેથી જ શીર્ષકમાં (૬)નો આંકડો દૃશ્યમાન છે. હવે આ ક્રમ આગળ વધશે.

જેમ જેમ પરિસ્થિતિ બદલાતી જાય તેમ તેમ થતા રહેતા ફેરફારોને અનુરૂપ, તેમના બ્લૉગની લિંક ઉપરાંત હવે એમનાં લખાણો પણ, નિયમિતપણે, વેબગુર્જરીને મળશે….ક્યારેક કોઈ શ્રેણીના ભાગરૂપે, તો ક્યારેક કોઈ નવા વિષય પર લખીને.

 આવો, આજે મંગલાચરણમાં તેમની વાસરિકાનાં પાનાં પર એમણે શું લખ્યું છે તે વાંચીએ…

    –     સંપાદકો, વેબ ગુર્જરી.]

  • * * * * *

વિદ્વાન-વિદુષી ગુજરાતી-ગુજરાતણ ભાઈ-બહેનો,

અલ્પ વિરામે હું ઉપસ્થિત છું, આપ સૌની સામે એવી કેટલીક અલપઝલપ વાતો સાથે કે જેથી આપ સૌ કંઈક હળવાશ અનુભવવાની સાથેસાથે ગુજરાતી ભાષા અને સાહિત્ય અંગે કંઈક ખૂણાખાંચરાનું વિશેષ જાણી શકો.

(૧) શ્રી જુગલકિશોરભાઈના બ્લોગ ‘Net-ગુર્જરી’ ઉપરના કવિશ્રી સુંદરમ રચિત ‘અનુસ્વાર અષ્ટક’ના વાંચન દ્વારા હળવા મનોરંજન સાથે જોડણીમાંની અનુસ્વારની ગંભીરતાને સુપેરે સમજી શકાશે.

(૨) ગુજરાતી વ્યાકરણમાં એક્વચન/બહુવચન માટેનો કંઈક આવો નિયમ છે : “બે અથવા બેથી વધારેને બહુવચન કહેવાય.” (હિંદીમાં દ્વિવચન પણ છે.) હવે આ નિયમ આ ઉદાહરણમાં ખોટો પડતો લાગશે. એક (૧.૦) રૂપિયો, સવા (૧.૨૫) રૂપિયો, દોઢ (૧.૫) રૂપિયો, પોણા બે (૧.૭૫) રૂપિયા ! અહીં દોઢ (૧.૫) સુધી એકવચન રહે છે, પરંતુ પોણા બેથી (નહિ કે બે થી !) બહુવચન શરૂ થાય છે !!!

(૩) કવિશ્રી મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’ દ્વારા લિખિત ખંડકાવ્ય “વસંતવિજય”માં ‘કંપમાના પડે/લીધી માદ્રી નરેન્દ્ર ભુજની મહીં” પંક્તિમાંના ‘પડે/લીધી’ શબ્દોને પુસ્તકના છાપકામ દરમિયાન અનેક વાર બદલાવાયા હતા.

(૪) કવીશ્વ્રર દલપતરામ અને એલેકઝાન્ડર કિન્લોક  ફોર્બ્સ વચ્ચે એક ગેરસમજના કારણે વિવાદ ઊભો થયો હતો. ફોર્બ્સને દલપતરામ પાસેથી ગુજરાતી શીખવું હતું. ફોર્બ્સે (અંદાજે લખું છું, સત્તાવાર આંકડો ગૌણ બાબત છે.) રૂ|. ૨૫૦/- ટ્યુશન ફી કહી. દલપતરામે કહ્યું હતું, ‘અમે એક દીકરી સાથે કુટુંબમાં ત્રણ જણ છીએ. મને આટલી ઓછી રકમ નહિ પોષાય.’ પાછળથી ખુલાસો થયો કે ફોર્બ્સે એ રકમ દર મહિને આપવાનું કહ્યું હતું અને દલપતરામ એ રકમને વાર્ષિક સમજ્યા હતા. એ જમાનામાં ખેતસાથીઓનો પગાર વાર્ષિક બોલાતો હતો. આજે અમેરિકામાં નોકરિયાતનો પગાર વાર્ષિક બોલવાનો રિવાજ છે. આંકડો મોટો દેખાડવાનો આશય તો નહિ હોય ને !

(૫) દલપતરામે તેમના કાવ્યસર્જનમાં વરસાદી વાતાવરણને અનુલક્ષીને પ્રથમ કડી આ લખી હોવાનું મનાય છે. ‘સાગ (બારસાખ/મોભ)  ઉપર કાગ બેઠો અને રથે (ઘંટીએ) બેઠાં રાણી (પત્ની), બંદા બેઠા માંચીએ (ખાટલે) અને દુનિયા ડહોળે પાણી’ દલપતરામની પ્રારંભિક કાવ્યરચનાઓ જોડકણાં પ્રકારની હતી.

(૬) ઉત્તમ વાર્તાકાર રા. વિ. પાઠકે ‘ખેમી’ વાર્તામાં કોઈ અલંકારો કે એવા કોઈ ભારેખમ વર્ણન વગર માત્ર ‘ખેમી રાંડી’ એવા બે શબ્દો દ્વારા કરુણરસ જમાવ્યો હતો.

(૭) સાહિત્યમાં, ઘણી વાર આલંકારિક પ્રતિકાત્મક શબ્દપ્રયોગો એક અથવા બીજી રીતે તેમ જ યથાવત્ અથવા ઓછા કે વધતા અંશે રૂપાંતરિત સ્વરૂપે મળતા આવતા હોય છે. જ્યારે હું અનુસ્તાક કક્ષાએ અભ્યાસ કરી રહ્યો હતો, ત્યારે એકીસાથે મારે ગુજરાતીમાં શ્રી ગોવર્ધનરામ એમ. ત્રિપાઠી રચિત ‘સરસ્વતીચન્દ્ર’ ભાગ-૪ અને અંગ્રેજીમાં Thomas Hardy રચિત ‘The Return of the Native’ વાંચવાનું બન્યું હતું. મેં મારા ગુજરાતી અને અંગ્રેજીના બંને વિભાગીય વડા સાહેબો (HOD)ના ધ્યાને એક વર્ણન તે બંનેમાં સમાન હોવાની વાતને લાવી દીધી હતી. બંને વર્ણનો અનુક્રમે નદી અને પહાડી પગદંડી વિષેનાં હતાં. એ બંનેમાં સામાન્ય શબ્દસમૂહો કે વાક્યો કંઈક આ પ્રમાણે હતાં : “તે (બંને) વયોવૃદ્ધ માણસના માથા ઉપરની સેંથી (Parting line)ની જેમ પસાર થઈ રહ્યાં હતાં.”

(૮) ગુજરાતી સાહિત્યની નંદશંકર તુળજાશંકર મહેતા રચિત પહેલી નવલકથા ‘કરણ ઘેલો’ માંના ‘બાગલાણનો કિલ્લો’ પ્રકરણમાંની છેલ્લી લીટીએ જ ખબર પડે કે આ નવલકથાનું પ્રકરણ છે, નહિ તો એમ જ લાગે કે આ તો ‘કિલ્લા’ ઉપરનો નિબંધ જ છે.

(૯) ગુજરાતી સ્વરોમાં ઇ-ઈ અને ઉ-ઊ ની જેમ ઋ પણ દીર્ઘ હોય છે.

(૧૦) ગુજરાતી ટાઇપરાઇટરમાં કોઈ શબ્દમાં હૃસ્વ ઇ હોય તો તેને પહેલી છાપવી પડતી હતી. દા.ત. દુનિયા (દ્, ઉ, ઇ, ન્, ય્, આ)

(૧૧) અંગ્રેજી ભાષામાં ખ, ઘ, છ, ઠ, ઢ, ણ, ત, ભ, ષ, ળ, જ્ઞ વગેરેના ઉચ્ચારો છે જ નહિ અને તેથી તેના સ્વતંત્ર વ્યંજનો (alphabets) નથી. આ વ્યંજનો માટે આપણે ગુજરાતીમાં h કે hh ની મદદ લેતા હોઈએ છીએ; જેમ કે, kh, gh, chh, th, dh, bh વગેરે.

(૧૨) અંગ્રેજી T ના ત્ અને ટ્ તથા TH ના થ્ અને ઠ્ એમ બંને વિકલ્પો લેવાતા હોઈ જે તે લોકોમાંનાં પ્રચલિત નામોથી કોઈ અજાણ લોકો દ્વારા તલાજીને ટલાજી, ટોડરમલને તોડરમલ, થાનકીને ઠાનકી અને ઠાકોરને થાકોર બોલાવાની સંભાવના રહેતી હોય છે.

(૧૩) ન. ભો. દિવેટિયાના પુત્રનું નાની વયે અવસાન થતાં તેમને થએલી દુ:ખની લાગણીની અભિવ્યક્તિ રૂપે વિખ્યાત ભજનકાવ્ય ‘મંગલ મંદિર ખોલો દયામય’ નું સર્જન થયું.

(૧૪) અરદેશર ફરામજી ખબરદારની પુત્રી તેહમીનાના યુવાન વયે થએલા અવસાનને કારણે શોકમગ્ન કવિએ આપણને ‘દર્શનિકા’ નામે દીર્ઘ કાવ્ય આપ્યું. નરસિંહ મહેતાનાં પ્રભાતિયાંના મધુર એવા ઝૂલણા છંદમાં આખું ‘દર્શનિકા’ લખાયું છે. ધર્મ, તત્ત્વજ્ઞાન અને જીવનના મર્મને સમજાવતું આ દીર્ઘ ગેયકાવ્ય ગુજરાતી સાહિત્યનું અણમોલ ઘરેણું છે.

(૧૫) સાહિત્ય કે ચલચિત્રોમાં પ્રણય ત્રિકોણ તો નિરૂપાતો હોય છે, પરંતુ કવિ કલાપીના જીવનમાં દાંપત્ય ચતુષ્કોણ રચાયો હતો. રમા (રાજબા), કેસરબા (આનંદીબા) અને શોભના (મોંઘી) એ ત્રણ સત્તાવાર રાણીઓ અને ચોથા તેમના પોતાના થકી રચાએલા આ ચતુષ્કોણ દ્વારા ગુજરાતી સાહિત્યને આત્મલક્ષી (સ્વાનુભવરસિક) એવું ઉમદા પ્રણયસાહિત્ય મળ્યું.

(૧૬) રા. વિ. પાઠક ત્રણ તખલ્લુસ (ઉપનામ) ધરાવતા હતા; કવિ તરીકે ‘શેષ’, વાર્તાકાર તરીકે ‘દ્વિરેફ’ અને નિબંધકાર તરીકે ‘સ્વૈરવિહારી’.

(૧૭) જ્યોતીન્દ્ર હ. દવે એક કૉલેજમાં પોતાની પત્ની સાથે વક્તવ્ય આપવા ગયા હતા. તેમણે પ્રારંભિક સંબોધનમાં આમ કહ્યું હતું : ‘ભાઈઓ અને મારી સાથે આવેલી આ એક સ્ત્રીના અપવાદે સઘળી બહેનો !’ તો વળી, અન્યત્ર માત્ર પુરુષોની સભામાં તેમણે આમ કહ્યું હોવાનું અનુમાન કરી શકાય કે ‘ભાઈઓ અને (પોતપોતાના) ઘેર હાજર બહેનો !!!’

-વલીભાઈ મુસા

લેખકશ્રીની પાદ નોંધઃ આ લેખ ભૂતકાલીન સંસ્મરણો ઉપર આધારિત હોઈ તેમાં સ્મૃતિદોષની સંભાવનાઓ રહેલી છે, જે મારી છટકબારી માટે નહિ; પરંતુ એવી કોઈ ક્ષતિ તરફ મારું ધ્યાન દોરવા માટે લખું છું.

 

Tags: , , , , , , , , , , ,