RSS

Tag Archives: ગ઼ઝલ

(592) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન  અને રસદર્શન -૨૨ (આંશિક ભાગ – ૧) નુક્તા-ચીં હૈ ગ઼મ-એ-દિલ… (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

નુક્તા-ચીં હૈ ગ઼મ-એ-દિલ (શેર ૧ થી ૩)

નુક્તા-ચીં હૈ ગ઼મ-એ-દિલ ઉસ કો સુનાએ ન બને
ક્યા બને બાત જહાઁ બાત બતાએ (બનાયે) ન બને (૧)

(નુક્તા-ચીં = દરેક વાતમાં દોષ કાઢવાવાળો; બાત બનના= મનોકામના પૂરી થવી; બાત બનાના= સુફિયાણી વાત કરીને કોઈને છેતરવું, જૂઠું બોલવું, મીઠી મીઠી વાતો કરવી)

 

ગ઼ાલિબની ખૂબ જ વિખ્યાત ગ઼ઝલો પૈકીની આ ગ઼ઝલ ચલચિત્રો, ટી.વી. શ્રેણીઓ અને મહેફિલોમાં અચૂક સ્થાન પામી છે અને એકાધિક ગાયકોએ પોતાના મધુર કંઠે તેને ગાઈ છે. દર્શકો અને શ્રોતાઓની દાદ દ્વારા પોરસાયેલી આ ગ઼ઝલનો મત્લા શેર લાજવાબ છે. શેરના ઉલા (પ્રથમ) મિસરા ‘ઉસ’ને અનુલક્ષીને કહેવાયો છે, જે ‘માશૂકા’ માટે અભિપ્રેત છે. ઉર્દૂમાં ‘માશૂક’ શબ્દ પ્રિયતમ અને પ્રિયતમા બંને માટે સામાન્ય તરીકે પ્રયોજાય છે, આપણે બેઉ માટે અનુક્રમે માશૂક અને માશૂકા એમ જ રાખીશું. શાયરની માશૂકા દરેક વાતમાં દોષ કાઢવાવાળી અર્થાત્ આલોચક છે અને તેથી તે પોતાના દિલની ગમગીનીને તેની આગળ બયાન કરવાનું મુનાસિબ સમજતા નથી. આમ જ્યારે માશૂકા સાથે કોઈ વાત થતી જ ન હોય તો પછી પોતાના દિલના દર્દને હળવું કરવાની તેમની વાત કઈ રીતે બને, અર્થાત્ તેની મનોકામના કઈ રીતે સિદ્ધ થઈ શકે.

* * *

મૈં બુલાતા તો હૂઁ ઉસ કો મગર ઐ જજ઼્બા-એ-દિલ
ઉસ પે બન જાએ કુછ ઐસી કિ બિન આએ ન બને (૨)

(જજ઼બા-એ-દિલ= મનોભાવ, મનનો આવેશ)

‘ન બને’ રદીફ અને તેની પૂર્વેના કાફિયા – શબ્દાંતે ‘આએ’ પ્રાસ થકી ગ઼ઝલ સુમધુર અને મનનીય બની રહે છે.  ગ઼ઝલકારની રદીફ અને કાફિયાની યોગ્ય પસંદગી એ ગ઼ઝલની અર્ધી મંઝિલ સર કરી શકે છે. ગ઼ઝલના આ બીજા શેરમાં કમાલની વિભાવના પેશ થઈ છે. શાયર પોતાના મનોભાવને અભિવ્યક્ત કરવા માશૂકાને પોતાની પાસે બોલાવે તો છે, પણ તેણીના પક્ષે એવું કંઈક બની જાય છે કે તે આવતી નથી અને દૂરી જ નિભાવે છે. આમ શાયર અફસોસ કરે છે કે તેના આવ્યા વગર તેનો મનોભાવ તો કેવી રીતે પ્રગટ થઈ શકે. ગ઼ાલિબની ગ઼ઝલોના શેરમાં આવા સૂક્ષ્માતીત સૂક્ષ્મ સંવેગો ગુંથાતા હોય છે કે આપણે આફરિન આફરિન પોકારી ઊઠીએ. ગ઼ાલિબ માનવીય વર્તણૂકો (Human behavior)ના એવા અભ્યાસુ છે કે આપણે ભાવુકો તેમને બિરદાવ્યા વગર રહી જ ન શકીએ.

* * *

ખેલ સમઝા હૈ કહીં છોડ઼ ન દે ભૂલ ન જાએ
કાશ યૂઁ ભી હો કિ બિન મેરે સતાએ ન બને (૩)

શેરના ઉલા મિસરામાં માશૂક  એવી ભીતિ મહસૂસ કરે છે કે માશૂકા ઇશ્કને ખેલ સમજીને તેનાથી દૂર ભાગી જાય કે તેને ભૂલી પણ જાય. પરંતુ તરત પાછા સાની મિસરામાં મન મનાવી લેતાં માશૂક કહે છે કે માશૂકા પક્ષે પોતાના તરફની અવહેલના ત્યારે જ શક્ય બને, જ્યારે કે તે તેને સતાવતા હોય કે પરેશાન કરતા હોય! ગ઼ાલિબની મોટા ભાગની ગ઼ઝલોમાં વિપ્રલંભ (વિયોગ) શૃંગાર રસ પ્રયોજાયેલો જોવા મળે છે અને તેથી જ તો તેમની ગ઼ઝલોમાંથી આપણે લુત્ફ લઈ શકીએ છીએ. આમેય કહેવાય પણ છે જ ને કે ‘જો મજા ઇંતઝારમેં હૈ, વો પાનેમેં નહીં’.

* * *

– મિર્ઝા ગ઼ાલિબ                                                                             (ક્રમશ:)
(ગ઼ઝલ ક્રમાંક – ૧૯૨)

* * *

ઋણસ્વીકાર :

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) http://techwelkin.com/tools/transliteration/ (દેવનગરી-ગુજરાતી સ્ક્રીપ્ટ કનવર્ટર)
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા
(૫) Courtesy : https://rekhta.org (અંગ્રેજી વર્ઝન)

* * *

English Version :

I cannot pour my heart to her, for she does criticize
How can I get my goal when I, cant even verbalize (1)

I do call out to her, my feelings, but what can I say
Something happens and she cant help but stay away (2)

She should not forsake forget me, for it is no play
Without my teasing, if only, she found it hard to stay (3)

– Courtesy : https://rekhta.org

 

Tags: , , , , ,

(577) Best of the year 2017 (7)

You may click on the following titles for the Best of my Articles in the year 2017.

(૫૨૭) જેનો અંત સારો, તેનું સઘળું સારું – અનુવાદ (All’s well that ends well)

(૫૨૮) બધા જ ડોક્ટર નાણાંભૂખ્યા નથી હોતા -અનુવાદ (Not All Doctors Money Hungry)

(૫૨૯) મરહૂમ ડો. મુસા, એક તબીબ કે જે કદીય નહિ ભુલાય – અનુવાદ (Dr. Musa, a Physician will be missed)

(૫૩૦) એક પૂર્ણ વર્તુળ ૨૨ વર્ષ ઓહિયાં કરી ગયું ! – અનુવાદ (A full circle swallowed 22 years)

(૫૩૧) દૃઢ નિશ્ચયની તાકાત   (Power of Determination) – અનુવાદ

(૫૩૫) હાહાહા…હાસ્ય-હાઈકુનાં હાસ્યદર્શન – (૧ થી ૩)

(536) વ્યંગ્ય કવન – હા-હા-હા…હાસ્ય-હાઈકુનાં હાસ્યદર્શન (૪)

(૫૩૭) પછી તો આપણું રહ્યું ક્યાં સુખ! (વ્યંગ્યકવન / અછાંદસ)

(૫૩૮) ‘પ્રતિલિપિ’ સાથેનો મારો પરિચય વાર્તાલાપ

(539) નર્મમર્મ વ્યથાકથા

(540) ગ઼ઝલસર્જનનો પ્રથમ અનુભવ – અનેરો આનંદ, અનેરી પરિતૃપ્તિ! (ગ઼ઝલ) – ૧

(544) પુરપાટ ઝડપે (ગ઼ઝલ) – ૫

(545) ક્યાંક ખીલે (ગ઼ઝલ) -૬

(547) ભલે બૂરું અમારું છે (ગ઼ઝલ) – ૮

(548) ભૂલો કરે તું માનવ (ગ઼ઝલ) – ૯

(549) રડે જો આપ્તજન (ગ઼ઝલ) – ૧૦

(550) ગોરી રાધે (ગ઼ઝલ) – ૧૧

(551) વ્યંગ્ય કવન – હા-હા-હા…હાસ્ય-હાઈકુનાં હાસ્યદર્શન (૫)

(553) વ્યંગ્ય કવન – હા-હા-હા…હાસ્ય-હાઈકુનાં હાસ્યદર્શન (૬)

(555) ભલે હું નકામો (ગ઼ઝલ) – ૧૪

(556) ભેટ માંહે તલવાર બદલે (હઝલ-૧) – ૧૫

Thanks

-Valibhai

 

 

 

 

 
Leave a comment

Posted by on August 20, 2018 in લેખ, Best of the year

 

Tags: , , , , , ,

(565) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન -૧ (આંશિક ભાગ – ૧) દિલ હી તો હૈ ન સંગ-ઓ-ખ઼િશ્ત… (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ * વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

(‘વેબગુર્જરી’ ઉપર ઘણા લાંબા સમયથી ગ઼ાલિબનું ગ઼ઝલસાહિત્ય પ્રસિદ્ધ થઈ રહ્યું છે. શરૂઆતમાં ‘ગ઼ાલિબની શાયરીમાં ડોકિયું’ એ શીર્ષકે ગ઼ાલિબના છૂટાછવાયા શેરનું આચમન કરાવવામાં આવતું હતું. ત્યારપછી ‘ગ઼ાલિબકા અંદાઝે બયાં’ શીર્ષક હેઠળ ગુજરાતી લિપિમાં ગ઼ાલિબની આખી ગ઼ઝલો અને તેમાંના કઠિન શબ્દોના માત્ર અર્થ આપવામાં આવતા હતા કે જેથી ‘વેગુ’વાચકો જાતે મથામણ કરીને ગ઼ઝલોનો લુત્ફ લઈ શકે. પરંતુ હવેથી એ જ શ્રેણીને નવીન ઢબે રજૂ કરવામાં આવશે કે જેમાં શેરમાંના કઠિન શબ્દોના અર્થ ઉપરાંત શેરનું અર્થઘટન અને રસદર્શન પણ આપવામાં આવશે. અમે આશા સેવીએ છીએ કે આપ સૌ સુજ્ઞ વાચકો શાયરસમ્રાટ એવા મિરઝા ગ઼ાલિબની ગ઼ઝલોના શેરને ઊંડાણથી સમજીને તેનો આનંદ માણશો. ધન્યવાદ.  – વલીભાઈ મુસા)       

  • * * *   

 દિલ હી તો હૈ ન સંગ-ઓ-ખ઼િશ્ત (શેર ૧ થી ૩)                                          

દિલ હી તો હૈ ન સંગ-ઓ-ખ઼િશ્ત દર્દ સે ભર ન આએ ક્યૂઁ
રોએઁગે હમ હજ઼ાર બાર કોઈ હમેં સતાએ ક્યૂઁ (૧)

(સંગ= પથ્થર; ખ઼િશ્ત= ઈંટ)

અર્થઘટન અને રસદર્શન:

ગ઼ાલિબની વિખ્યાત ગ઼ઝલો પૈકીની આ ગ઼ઝલ કે જેને એકાધિક ગાયકોએ ગાઈ છે. ચલચિત્ર કે ટી.વી. શ્રેણીમાં આ ગ઼ઝલનું સ્થાન અચૂક હોય છે. આ દિલ પથ્થર કે ઈંટ નથી એમ કહીને ગ઼ઝલકાર દિલને સંવેદનશીલ હોવાનું જણાવે છે. જડ પદાર્થોને કોઈ સંવેદના હોતી નથી, જ્યારે દિલ તો ઋજુ હોઈ સુખ વખતે આનંદ અને દર્દ કે પરેશાની વખતે દુ:ખ અનુભવ્યા સિવાય ન જ રહી શકે. આમ દુ:ખ ટાણે તે એવું દુભાતું હોય છે કે આંખોમાંથી અશ્રુધારા ટપકી પડતી હોય છે. હવે આ શેરના બીજા મિસરામાં ગ઼ઝલકારની ખુમારી વ્યક્ત થાય છે. તે કહે છે કે અમે અમારા દુ:ખે ભલે હજારવાર રડી લઈશું; પણ મજાલ છે કે કોઈ ત્રાહિત અમને સતાવી જાય! અમારી એવી સતામણી ટાણે અમે આંખોમાંથી અશ્રુ સારવાના બદલે તેનો મુકાબલો કરીશું, તેની સામે કઠોર થઈ જઈશું.      

* * *

દૈર નહીં હરમ નહીં દર નહીં આસ્તાઁ નહીં
બૈઠે હૈં રહગુજ઼ર પે હમ ગ઼ૈર હમેં ઉઠાએ ક્યૂઁ (૨)

(દૈર= મંદિર; હરમ= મસ્જિદ; દર= દરવાજો; આસ્તાઁ= ઉંબરો; રહગુજ઼ર= જાહેર માર્ગ)

અર્થઘટન અને રસદર્શન:

સામાન્ય રીતે ગ઼ાલિબની ગ઼ઝલોનું અર્થકરણ કરવું દુષ્કર બની જતું હોય છે કેમ કે ગ઼ાલિબ અઘરા ઉર્દૂ શબ્દો પ્રયોજે છે. ઉર્દૂભાષી પાઠકો પણ કેટલાક શબ્દોના અર્થ પામવા માટે પોતાના હાથ ઊંચા કરી દેતા હોય છે. વળી શબ્દકોશમાંથી માત્ર શબ્દાર્થને જાણી લેવાથી કામ સરતું નથી, કેમ કે તેના વળી પાછા ઇંગિત અર્થો હોય છે. પ્રખર અભ્યાસુઓ જ એવા શબ્દોના મર્મ પામી શકતા હોય છે. આમ એક રીતે જોવા જોઈએ તો ગુજરાતી સાહિત્યનાં સૉનેટના પિતા તરીકેની ઓળખ પામેલા એવા સ્વ. બળવંતરાય કલ્યણરાય ઠાકોરનાં સર્જનો જેવી ગ઼ાલિબની ગ઼ઝલો પણ નળિયેરના મધુર પાણી જેવી હોય છે. ઉપરથી ઋક્ષ દેખાતા નળિયેરનાં પડ ઉખેળતા ગયા પછી જ એના મિષ્ટ પાણીને પામી શકાતું હોય છે. આ શેરની પ્રાસ્તાવિકા થોડીક દીર્ઘ બની છે તેની પાછળનો આ રસદર્શનકારનો આશય માત્ર  એ છે કે ભાવકો ગ઼ાલિબની  ગ઼ઝલોને પ્રથમ તબક્કે જ વાંચી લઈને નજરઅંદાજ ન કરી લે. હવે આપણે ગ઼ઝલના બીજા શેર ઉપર આવીએ.

ગ઼ાલિબ પોતે એ સ્થાન ઉપર બેઠેલા છે કે જે સ્થળ કોઈ મંદિર, મસ્જિદ, કોઈના ઘરનું દ્વાર કે તેનો ઉંબરો નથી. ઘર કોઈ વ્યક્તિનું હોય કે પછી કોઈ સમુદાયનું ધાર્મિક સ્થળ હોય, પણ એ સ્થાનો ઉપર વ્યક્તિગત માલિકીપણું કે આધિપત્ય હોવાના કારણે અન્ય કોઈને તેમાં પ્રવેશનો અધિકાર નથી મળતો. માલિકની પરવાનગી વગર એવાં સ્થાનોએ પ્રવેશી ગયેલાને હડસેલી દેવામાં આવે છે અથવા તો અપમાનિત કરી દેવામાં આવે છે. પરંતુ હરફન-મૌલા એવા ગ઼ાલિબ તો સાર્વજનિક જાહેર રસ્તા ઉપર બેઠેલા છે અને તેથી જ તો તેઓ બિન્દાસપણે કહી દે છે કે કોઈ કયા સબબ હેઠળ તેમને રસ્તા ઉપરથી ઊઠી જવાનું કહી દઈ શકે છે, કેમ કે એ માર્ગ તો સૌ કોઈનો ગણાય અને તેથી અવરજવરનો કોઈ અવરોધ ઊભો ન થાય તેવી રીતે રસ્તાના એક કિનારે બેઠેલાને કોઈ ઊઠી જવાનું કહી જ ન શકે. ગ઼ાલિબની જીવનકથની ઉપરથી જાણવા મળે છે કે તેઓ આટલા મહાન સર્જક હોવા છતાં તેમની ગરીબીના કારણે તેમને કેટલાક લોકોમાં માન સન્માન મળતાં ન હતાં. આમ ગ઼ઝલના આ બીજા શેરમાં પણ ગ઼ાલિબની ખુમારી અભિવ્યક્ત થાય છે.             

* * *

જબ વો જમાલ-એ-દિલ-ફ઼રોજ઼ સૂરત-એ-મેહર-એ-નીમરોજ઼
આપ હી હો નજ઼્જ઼ારા-સોજ઼ પર્દે મેં મુઁહ છુપાએ ક્યૂઁ (૩)

(જમાલ-એ-દિલ-ફ઼રોજ઼= મનને ઝળહળાવતું રૂપ; સૂરત-એ-મેહર-એ-નીમરોજ઼= મધ્યાહ્નના સૂર્યની જેમ;    નજ઼્જ઼ારા-સોજ઼= નજરને બાળી નાખનાર)

અર્થઘટન અને રસદર્શન:

સંસ્કૃત સાહિત્યના મહાકવિ કાલિદાસની ઉપમાઓ જેવી જ  ઉપમાઓ ધરાવતી ગ઼ાલિબની ગ઼ઝલો પૈકીની આ ગ઼ઝલના ત્રીજા શેરમાં ગ઼ાલિબે માશૂકાના સૌંદર્યને એવી રીતે ઉપસાવ્યું છે કે ભાવકનું દિલ વાહવાહ પોકારી ઊઠે. ગ઼ાલિબ માશૂકાને સંબોધીને કહે છે કે તારા ચહેરાનું સૌંદર્ય મધ્યાહ્નના સૂર્યની જેમ આંખોને આંજી નાખનારું અને મનને ઝળહાળાવી દેનારું છે. જ્યારે સમગ્રતયા તું પોતે જ મારી નજરને બાળી દેનાર  છે અને તેથી જ તો તારી સામે જોઈ જ શકાતું નથી, ત્યારે તારે તારા ચહેરાને ઓઝલ પાછળ છુપાવી દેવાની કોઈ જરૂર નથી. તારો ઝળહળતો ચહેરો એ પોતે જ જ્યારે તારો નકાબ બની જાય છે, ત્યારે તારે મોં છુપાવવા માટે બાહ્ય પડદાની કોઈ જ આવશ્યકતા નથી. અહીં માશૂકાના સૌંદર્યના વર્ણનની પરાકાષ્ઠા જોવા મળે છે.           

નોંધ:-

(આ ગ઼ઝલના  અર્થઘટન માટે મારે રાજેન્દ્ર કૃષ્ણના આ ગ઼ઝલના અંગ્રેજી વર્ઝનનો સહારો લેવો પડ્યો છે. અંગ્રેજીના અભ્યાસુઓ માટે તેમની આ સંપૂર્ણ ગ઼ઝલને હું આ લેખમાળાના ત્રણેય ભાગોમાં વિભાગવાર પરિશિષ્ઠમાં આપીશ.)     

 

મિર્ઝા ગ઼ાલિબ

(ગ઼ઝલ ક્રમાંક – ૧૧૬)                                                [ક્રમશ: આંશિક ભાગ – ૨]

* * *

પરિશિષ્ઠ : (શેર ૧ થી ૩)

Dil Hi To Hai Na Sang-O-Khist 

Heart it is, not a brick or stone
Why shouldn’t it feel the pain?
Let none tyrannize this heart 
Or I shall cry again and again

Neither the temple, nor the mosque
Nor on someone’s door or porch
I await on the path where He will tread
Why others should compel me to go?

The illumined grace that lights up the heart
And glows like the midday sun
That Self that annihilates all sights
When then it hides in the mysterious net?

– By Rajender Krishan  

 

ઋણસ્વીકાર :

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) http://techwelkin.com/tools/transliteration/ (દેવનગરી-ગુજરાતી સ્ક્રીપ્ટ કનવર્ટર) 
(૪) Courtesy –   Rajender Krishan
(૫) સૌજન્ય : urdustuff.blogspot અને વિકીપીડિયા

 

 

Tags: , , , , , , ,

(540) ગ઼ઝલસર્જનનો પ્રથમ અનુભવ – અનેરો આનંદ, અનેરી પરિતૃપ્તિ! (ગ઼ઝલ) – ૧

સામાન્યપણે હું ‘આ જ કંઈક શુભ અને આ જ કંઈ શુકનવંત’ એવી માનસિકતામાં સપડાયો નથી અને છતાંય કોઈક અગમ્ય કારણે હું ૭૭ના અંકને જીવનમાં કંઈક શુભ કે અશુભ એવી નવીનતાના જનક તરીકે સ્વીકારતો આવ્યો છું. મારા જીવનના હાલમાં ચાલી રહેલા ૭૭મા વર્ષે મારા અર્ધી સદીના સાહિત્યિક જીવનમાંની ગ઼ઝલસર્જનની મારી મનોકામના સિદ્ધ થઈ રહી છે. હાલમાં હું ‘વેબગુર્જરી’ માટેનું ગ઼ાલિબની ગ઼ઝલો ઉપર કામ કરી રહ્યો છું, ત્યારે મનમાં એક જ અફસોસ ઘુંટાયા કરતો હતો કે હું ગ઼ઝલ પદ્યપ્રકારમાં સાવ ભોઠ હોવા છતાં નાના મોંઢામાં મોટો કોળિયો મૂકી રહ્યો છું. આમ ગ઼ઝલસર્જનના મારા સુષુપ્ત ઉમળકાને આ વિચારથી ધક્કો પ્રાપ્ત થયો અને આજે હું મારી પ્રથમ ગ઼ઝલ રચવા શક્તિમાન બન્યો.

હું ‘ગુરુ વિના જ્ઞાન નહિ’ એવા સૂત્રને માનતો આવ્યો છું અને તે ન્યાયે મારી પ્રથમ ગ઼ઝલના અધકચરા સર્જનને મેં મારા પરમ સખા શ્રી સુરેશભાઈ જાની સાથે શેર કર્યું. તેમણે મને વિશેષ માર્ગદર્શન તો ન આપ્યું, પણ એક શેરમાં ખૂબ જ અસરકારક એવા શબ્દસમૂહ ‘કદમ હર કદમ પર’નું સૂચન કર્યું અને જેને મેં ગ્રાહ્ય તો રાખ્યું, પણ મને લાગ્યું કે ગ઼ઝલ પદ્યપ્રકારના કોઈક અનુભવી સમક્ષ મારે સમર્પિત થવું જોઈએ અને આ વિચારના એક જ ઝબકારે હ્યુસ્ટન (અમેરિકા) સ્થિત દેવિકાબહેન ધ્રુવનું નામ મારા માનસપટ ઉપર અંકાઈ ગયું. આમ મારી આ પ્રથમ ગ઼ઝલને સુયોગ્ય ઘાટ મળ્યો તે બદલ હું બહેનશ્રીનો ઋણી છું.

મારા લેખના શીર્ષકને ન્યાય આપવા તથા મારા જેવા નવોદિત એવા ગ઼ઝલસર્જકોને પ્રોત્સાહન મળી રહે તે આશય તરફ આગળ વધતાં મારા અનુભવ, આનંદ અને પરિતૃપ્તિને મારા સુજ્ઞ વાચકો સાથે વહેંચી રહ્યો છું.

કોઈપણ કાર્યના પ્રારંભ માટે જોગસંજોગનો ફાળો મહત્ત્વનો હોય છે અને તદનુસાર હું માનસિક રીતે મારાં કેટલાંક અંગત કારણોના લીધે થોડોક વ્યથિત હતો, જેની અસર મારી આ પ્રથમ ગ઼ઝલરચના ઉપર પડ્યા વગર ન રહી શકી. હું કોઈ ગાયક તો નથી, પણ મારા જે તે મિજાજને અનુરૂપ કોઈ ફિલ્મી ગીતના માત્ર મુખડાને એવા સમયે ગણગણી લેતો હોઉં છું અને ગુંજન શરૂ થયું ‘આંસુંભરી હૈ યહ જીવનકી રાહેં’નું! વિખ્યાત ગાયક સ્વ શ્રી મુકેશજીનું તેમના ખરજ રાગમાં ગવાયેલું આ ગીત આખું તો મોંઢે ન હતું પણ તેની પ્રારંભની કડીઓના ગાને મને એ જ રાગ કે લયમાં એકાદી ગ઼ઝલ લખવા માટે પ્રેર્યો અને પહેલો જ શેર જે એટલો બધો અસરકારક ન હોવા છતાં તેને મેં જીવનની પહેલી ગ઼ઝલરચનાના પહેલા શેર તરીકે કાયમ રાખ્યો. મને ગ઼ઝલના પારિભાષિક શબ્દોની કે તેની શાસ્ત્રીયતાની કોઈ જાણ ન હોવા છતાં મેં મારા સર્જાતા જતા શેરોને ગાતા જઈને શાબ્દિક ફેરફારો સાથે લખવાનું ચાલુ રાખ્યું. આમ અપરિપક્વ સ્વરૂપે ગ઼ઝલના નવ શેર લખાઈ ગયા.

મારા શેરોમાં ક્ષતિયુક્ત છતાંય ક્યાંક ક્યાંક ‘લગાગા’નાં આવર્તનો હોવાની જાણ મને દેવિકાબહેન દ્વારા થઈ. મારા માનસમાં મુકેશજીના ગીતનો રાગ કે લય દૃઢ હતો અને એ લઢણનાં કોઈ ગુજરાતી કાવ્યો હોઈ શકે કે કેમ તેવો વિચાર કરું છું અને તરત જ પ્રાથમિક શિક્ષણમાં ભણવામાં આવેલી દલપતરામની કવિતા ‘પુરી એક અંધેરી ને ગંડુ રાજા’ યાદ આવી ગઈ અને તેને ગણગણવા માંડ્યું, પણ રાગ બંધબેસતો ન હતો. આમ થવાનું કારણ એ હોઈ શકે કે એ વખતના આપણા ગુરુજીઓ આપણી પાસે એ કાવ્ય છટાથી ગવડાવતા હતા. મુકેશજીના ગીતની કડીનો ઉપાડ ગળામાંથી અને હળવા રાગે થતો હતો. મેં ‘પૂરી એક અંધેરી’ કાવ્યની કડીઓને એ રીતે ગાઈ તો અદ્દ્લ ‘આંસુંભરી હૈ’ની સાથે રાગ બેસી ગયો. પછી તો, ‘જુદી જિંદગી છે’ – મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’ અને ‘જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું’ – મરીઝની ગ઼ઝલો યાદ આવતી ગઈ અને ‘લગાગા’ છંદવિધાન પાકું મનમાં દૃઢ થઈ જ ગયું.

પછી તો દેવિકાબહેન સાથે પત્રવ્યવહાર ચાલુ થઈ ગયો એમણે એક અપવાદમાં મારા એક શેરમાં થોડું ભાવપરિવર્તન લાવી દેવા જણાવીને બાકીના આઠેય શેર કાયમ રખાવ્યા. કોઈ શબ્દ બદલાવાના સમયે હું ઉચ્ચારછૂટની છટકબારી આગળ ધરતો તો તે સામે તેમનો દૃઢ આગ્રહ રહેતો કે મારે પોતાએ જ મથામણ કરીને વૈકલ્પિક શબ્દ શોધવો રહ્યો. આ માટે હું ગુજરાતી લેક્સિકનની મદદથી ‘લગાગા’ સાથે મળતો શબ્દ કે થોડીક માનસિક કવાયત કરીને એ શબ્દ શોધીને બદલતો રહ્યો. એકાદ બે સંજોગોમાં મેં શરણાગતી સ્વીકારીને તેમની પાસેથી એવા ફેરફારો મેળવ્યા. આમ મારી કાચી સામગ્રીને નવતર રૂપ અપાયું અને આખરે આખી ગ઼ઝલ ખામીરહિત બનીને નિભાડામાં પાકતી ઈંટ જેવા નક્કર સ્વરૂપે અસ્તિત્વમાં આવી.

મારી પાસે છંદશાસ્ત્રનું જ્ઞાન તો હતું જ અને ત્રણ અક્ષરના આઠ ગણની જે ચુસ્તતા ત્યાં જોવા મળે છે તેના બદલે ગ઼ઝલસર્જનમાં પાસેપાસેના લઘુ અક્ષરોને ગુરુ સમજી લેવાના કારણે ચાર અક્ષરો પણ થઈ શકે તેવી નવીન બાબત જાણવા મળી. દેવિકાબહેન સાથેના સમગ્ર પત્રવ્યવહારમાં એમણે જે માર્ગદર્શન પૂરું પાડ્યું તે મારા માટે કાયમી યાદ રાખવા જેવો બોધપાઠ બની રહ્યો છે. તેમની ચીવટ અને નિખાલસતા મને એવાં સ્પર્શી ગયાં છે કે તેને વર્ણવવા મારી પાસે શબ્દો નથી. એમણે અમેરિકાથી તેમના તરફથી મારી સાથે ટેલિફોનિક વાત કરીને તેમના છેલ્લા સૂચન સાથે મને સહમત કર્યો, જે મારા માટે સંભારણું બની રહ્યું છે.

આ લેખના સમાપને હું નવોદિત ગ઼ઝલકારોને એક મશવરો આપીશ કે ગ઼ઝલમાં ભાષાશુદ્ધિ તો જળવાવી જ જોઈએ. કોઈ સર્જક ‘જઈ’ કે ‘થઈ’ એવા શબ્દપ્રયોગ વખતે ઉચ્ચારછૂટ હેઠળ ‘ઈ’ને ‘ઇ’ એમ તો ન જ લખવું જોઈએ. આ ગૌણ વાત ઉપરાંત મારું મુખ્ય મંતવ્ય તો એ જ છે કે નવોદિતે શરૂઆતમાં ટૂંકી બહેરની ગ઼ઝલ લખવી જોઈએ કે જેથી સરળતા તો રહે જ, પણ સાથે સાથે આત્મવિશ્વાસ પણ અકબંધ જળવાઈ રહે. આ લખી રહ્યો છું, ત્યારે મારા મિત્ર શ્રી સુરેશભાઈની એક મેઈલ ટપકી પડી છે. તેમણે સાવ ટૂંકી અને સરળ શબ્દોમાં એક શિખામણ આપી છે કે ‘સરસ મજાના ઘણા શબ્દો મળી શકે તેવા રદીફ, કાફિયા પહેલેથી નક્કી કરો અને લખવાની ખૂબ મજા આવશે.’

હવે, મારા સુજ્ઞ વાચકોને વધુ લટકાવ્યા વગર નીચે મારી પ્રથમ ગ઼ઝલ આપું છું. આ ગ઼ઝલને ‘આંસુભરી હૈ જીવનકી રાહેં’ અથવા ‘મહોબ્બતકી જુઠી કહાનીપે રોયેં’ ના રાગમાં ગાવાનો પ્રયત્ન કરવાની ભલામણ કરવામાં આવે છે.

* * *

દુનિયા ધુતારી (ગ઼ઝલ) – ૧

તકતી- લગાગા લગાગા લગાગા લગાગા

(આ) દુનિયા ધુતારી, (એ) ઠગતી સદાયે
થયું ખિસ્સું ખાલી, ન બાકી જરાયે

હું તપતો રહ્યો છું, દુ:ખોના પ્રતાપે
વિસામા તણું કો, તરુ ના જણાયે

ગયાં સૌ નિકટનાં, કબરની મહીં જ્યાં
ખભો ના મળે કો, રુદન કાજ ક્યાંયે

સખાની જુદાઈ, કઠંતી કલેજે
હું ઝંખું દિલાસો, જો દિલ હળવું થાયે

છે ખારો સમંદર, નજર જ્યાં ફરે ત્યાં
મધુ જળની આશા, ન રાખું કદીયે

ને કંટક નડે છે,  કદમ હર કદમ પર
કદમ મુજ શિરે તો, ધરું કેમ હાયે

હું દર્દી થયો છું, મરણ પામવાને
તબીબો જીવાડે, ન જીવવું છતાંયે

ખુદાનો સહારો, ખરી એ જ આશા
ન છો હાથ લાગ્યો, એ શોધ્યો ઘણાંયે

‘વલી’ શું રડે જ્યાં, નડ્યાં વાલાં-દવલાં
જલ્યાં તનનાં કપડાં, કરું શું શિકવાયે

વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)
(તા.૧૯૦૯૧૭)

માર્ગદર્શક – સુશ્રી દેવિકા ધ્રુવ

* * *

અંતે આશા રાખું કે આપ સૌ આપના અમૂલ્ય પ્રતિભાવો આપીને વિના સંકોચે ગ઼ઝલમાંની ખામીઓ-ખૂબીઓ દર્શાવશો તો તે મારા માટે ચાલક (પ્રેરક) બળ (Motivation) બની રહેશે. ધન્યવાદ.

-વલીભાઈ મુસા

(‘વેબગુર્જરી’ તા.૦૫૧૧૧૭)

(ફેસબુક – ‘ગ઼ઝલ તો લખું હું’ ગ્રુપ તા.૧૮૧૧૧૭)

 

 
12 Comments

Posted by on November 6, 2017 in ગ઼ઝલ, લેખ

 

Tags: , , , ,