RSS

Tag Archives: જન્મદિવસ

(552) જન્મદિવસે (ગ઼ઝલ) – ૧૨

તકતી – ગાલગાગા ગાલગાગા ગાલગા (રમલ મુસદ્દસ મહઝૂફ)

જન્મદિવસે વર્ષ મોટો થાઉં છું,
શેષ વયમાં વર્ષ છોટો થાઉં છું.

ઉંમરે મોટા થવાથી શું વળે?
છેવટે હું સાવ ખોટો થાઉં છું.

ધ્યેય વણ આ જીવવું શા કામનું?
પીઠિકાવણનો હું લોટો થાઉં છું.

ફક્ત ખાવું ઘોરવું ના જિંદગી,
એ થકી તો માત્ર પોટો થાઉં છું.

જીવવું ગર જાત કાજે થાય તો,
બેસણે હું સ્થૂળ ફોટો થાઉં છું.

પણ ‘વલી’ મોટાઇ ચાહે, દે કહી,
લોકહૈયે સૂક્ષ્મ ફોટો થાઉં છું.

-વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)

તા.૨૮૧૧૧૭

(ફેસબુક – ‘ગ઼ઝલ ગઝલ તો લખું હું’ ગ્રુપ તા.૨૮૧૧૧૭)

 

 

 

 

 

 

 

 

 
2 Comments

Posted by on December 12, 2017 in ગ઼ઝલ

 

Tags: ,

(518) Best of the year 2014 (4)

You may click on :

(૪૦૮) એક અદના માણસની પ્રેરણાદાયી અદની નિષ્ઠાઓ !

(૪૨૧) મારાં હાઈકુ (પ્રકીર્ણ) ભાગ -૧૨ (ક્રમાંક -૧૭૭ થી ૧૮૮)

(૪૨૩) એક ધ્રુવપંક્તિ ઉપરનો મારો પ્રતિભાવ

(૪૨૬) તાંહળેતાંહળે પીજો ! (હાસ્યકાવ્ય)

(૪૩૫) મારો જન્મદિવસ – નવી નજરે

(૪૩૯) હળવાં વૅલન્ટાઇન હાઈકુ (૧૮૯ થી ૧૯૯)

(૪૪૦) “લ્યો, હું તો જીવતો રહ્યો, મરી ન ગયો !!!”

(૪૪૧) પ્રકીર્ણ હાઈકુ : (ક્રમાંક ૨૦૦થી ૨૧૦)

(૪૪૨) અવિસ્મરણીય અને સ્તુત્ય એક કાર્યક્રમની ઝલક

(૪૪૭) પ્રકીર્ણ હાઈકુ : (ક્રમાંક ૨૧૧થી ૨૨૦)

(૪૪૮) ગૌરવર્ણો ભિક્ષુક (ભાવાનુવાદિત કાવ્ય) [1]

(૪૫૦) મુજ ભાર્યા પણ જાણે આ લગ્નેતર લફરું !!! (ભાવાનુદિત કાવ્ય) [2]

(૪૫૧) ભેદી જળ … (ભાવાનુદિત કાવ્ય) [3]

(૪૫૨) જ્યમ અસ્ખલિત મેઘ વરસે…(ભાવાનુદિત કાવ્ય) [4]

(૪૫૩) મલાલાને (નોબલ પુરસ્કાર સ્વીકારતાં) – (ભાવાનુવાદિત કાવ્ય) [5]

(૪૫૪) વિખૂટા પડ્યાનો વલવલાટ (ભાવાનુવાદિત કાવ્ય) [6]

 

-Valibhai Musa 

 

 
Leave a comment

Posted by on April 1, 2016 in લેખ, Best of the year

 

Tags: , , , , , , , , ,

(૪૮૦) મારો જન્મદિવસ – તિર્યક (તિરછી) નજરે

મારા આગલા જન્મદિવસ નિમિત્તે લખાયેલા લેખ “મારો જન્મદિવસ – નવી નજરે” ઉપર એક નજર નાખી આવીને આજે મારા આજના ૭૪મા જન્મદિવસે ‘કંઈક’ લખવા જઈ રહ્યો છું, ત્યારે આ લેખનું શીર્ષક તો ઉપર મુજબ સહજ રીતે પહેલું જ લખાઈ જાય છે અને ‘કંઈક’ જે લખવાનું છે તે તો હવે આવી રહ્યું છે. તિર્યક, તિરછી, ત્રાંસી કે બાડી આંખ (Crossed eye) એ આંગિક ક્ષતિ ગણાય છે, પણ અહીં  તિર્યક (તિરછી) નજરે જોવાની વાત છે. હું મારા ૭૩મા જન્મદિવસને અવલોકવા માટેની મારી એ ‘નવી નજર’ને અહીં સહેજ તિરછી કરીને મારા આજના જન્મદિવસને અવલોકીશ. આપ્તજનોને, સ્નેહીજનોને, મિત્રવૃંદને અને બ્લૉગવાચકોને વળી લાગશે કે આ તે વળી કેવી તિરછી નજર હશે અને એ તિરછી નજરે શું અવલોકાશે. તો મિત્રો, એ જાણવા માટે આપ સોએ આગળ વાંચવું જ રહ્યું.

વેદકાલીન ઋષિમુનિઓ આશ્રમનિવાસી છાત્રોને ‘દીર્ઘાયુષ્યમાન ભવ:’ કે ‘શતં જીવેમ શરદ:’ જેવા શબ્દોએ આશીર્વાદ આપતા, જેમાં ‘દીર્ઘ’ શબ્દ તો મોઘમ ગણાય અને તેથી તેમાં નિશ્ચિત વર્ષોનું આયુષ્ય ન સમજાય; પરંતુ ‘શતં જીવેમ શરદ:’માં તો નિશ્ચિત સો શરદ ઋતુઓ સુધીનો જીવિતકાલ અભિપ્રેત છે જ. આમ આનો મતલબ એમ સમજવો રહ્યો કે એ કાળે વધુમાં વધુ સો વર્ષનું આયુષ્ય પર્યાપત ગણાતું હશે અને એનાથી વધારે લાંબું આયુષ્ય જીવનાર અને જીવનારને સંલગ્ન લોકો માટે એ મોજ ન રહેતાં બોજ બની જતું હશે. એવું દીર્ઘ આયુષ્ય ભલે સંખ્યાત્મ્ક (Quantitative) રીતે આકર્ષક અને નવાઈ પમાડનાર લાગે, પણ તેને ગુણાત્મક (Qualitative) રીતે જોતાં નાપસંદ જ કરવું ઘટે.

ભારતીય મુખ્ય ત્રણ ઋતુઓ શિયાળો, ઉનાળો અને ચોમાસુ; એમ વળી પ્રત્યેકની બે પેટા ઋતુઓ અનુક્રમે હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ તરીકે ઓળખાય છે. હેમંત એ ગુલાબી ઠંડીની ઋતુ ગણાય, વસંતને ઋતુરાજનું બિરૂદ અપાય તો વર્ષાને વળી જીવનદાયિની તરીકે ઓળખવામાં આવે. આમ આ ત્રણેય પેટાઋતુઓને તેમની અનુગામી ઋતુ કરતાં ચઢિયાતી ગણવામાં આવે છે અને તેની પાછળનો તર્ક આ પ્રમાણે હોઈ શકે. હેમંતની ઠંડી સહ્ય હોય, જ્યારે શિશિરની ઠંડી હાડકાંને પણ ધ્રૂજાવી નાખે; વસંત ફૂલોની ઋતુના કારણે અહ્લાદક લાગે, જ્યારે ગ્રીષમમાં માથું ફોડી નાખતી ગરમી હોય; અને, વર્ષામાં અમૃતશો વરસાદ વરસતો હોય, જ્યારે શરદ તો આયુર્વેદની દૃષ્ટિએ રોગોની માતા ગણાય. હવે આપણે પેલા ઋષિમુનિઓની સો શરદ સુધી જીવવાના આશીર્વાદની વાતના રહસ્યને એ અર્થમાં પામી શકીએ કે શરદ ઋતુના રોગોમાંથી માણસ બચી જઈને એ ઋતુને હેમખેમ પાર પાડે તો ભયો ભયો ! આમ ભારતીય ઋતુચક્ર પ્રમાણે શરદ ઋતુનો છેલ્લો દિવસ એ જોખમી તબક્કાનો અંતિમ દિવસ ગણાય અને જે જણ જીવી ગયો તેણે જાણે કે નવજીવન પ્રાપ્ત કરી લીધું. અહીં એક તર્ક લડાવી શકાય કે આ નવજીવનની ખુશીમાં જ કદાચ દિવાળીના તહેવારો ઊજવવામાં આવતા હશે અને દિવાળીની રાત્રે ફટાકડા પણ ફોડવામાં આવતા હશે !

ભૂમિતિના વિષયમાં જે તે પ્રમેય સિદ્ધ થવાના અંતે ‘ઇતિ સિદ્ધમ’ લખવામાં આવે તેમ અહીં એ વાત સિદ્ધ થાય છે કે દિવાળી પછીના નૂતન વર્ષનો હેમંતનો પહેલો દિવસ એ પ્રત્યેક જીવિત ભારતીયનો જન્મદિવસ ગણાવો જોઈએ ! આ હેમંત ઋતુ સૂર્યના વૃશ્ચિક રાશિમાં પ્રવેશથી શરૂ થાય છે અને ધન રાશિની સમાપ્તિએ અંત પામે છે કે જે સામાન્યત: નવેમ્બરના મધ્યભાગથી જાન્યુઆરીના મધ્ય ભાગ સુધીની ગણાય. હેમંતની આહ્લાદકતાને કલાપીના ‘ગ્રામમાતા’ ખંડકાવ્યના પ્રારંભની આ પંક્તિઓથી માણી લઈએ.

ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમન્તનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં !

સાંપ્રતકાલીન ચિંતનાત્મક લલિત નિબંધોમાં રેવ. ફાધર વાલિસના જેવો દબદબો જેમનાં લખાણોમાં વર્તાય છે એવા શ્રી કૃષ્ણકાંત ઉનડકટના “ચાલો, આપણે આપણો એક ‘ડે’ ઊજવીએ” નિબંધમાં તો એમણે દરેક વ્યક્તિને વર્ષના કોઈપણ એક દિવસને ‘માય ડે’ તરીકે ઊજવવાની સલાહ આપી છે, કે જે દિવસ પોતાની મરજી મુજબ જીવવાનો હોય; પરંતુ અહીં તો હું ‘બર્થ ડે’ને જ ‘માય ડે’ તરીકે ઊજવવાની વાત કરી રહ્યો છું અને એ ‘બર્થ ડે’ પણ આપણો વ્યક્તિગત નહિ, પરંતુ આપણા સૌ ભારતીયોનો સહિયારો એ એક જ દિવસ  યાને કે નવીન વર્ષની હેમંત ઋતુનો પહેલો દિવસ. બેંકો, વીમા કંપનીઓ અને એવાં કેટલાંય ખાનગી સાહસોનું જેમ રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છે, એમ ભારતના પ્રત્યેક નાગરિકના જન્મદિવસોનું પણ રાષ્ટ્રીયકરણ અર્થાત્ સામાન્યીકરણ કરી નાખીને હેમંતના પહેલા દિવસને ‘અવર ડે’ તરીકે ઊજવવામાં આવે તો જન્મદિવસોની ઉજવણીઓનું બિન ઉત્પાદક એવું કેટલું બધું ખર્ચ બચી જાય ! જો કે ‘દિલકો બહલાનેકે લિયે ગ઼ાલિબી ખયાલ અચ્છે હૈ’વાળી આ તો એક વાત થાય છે, આમ છતાંય પોતપોતાનાં પરિવારોના તમામ સભ્યો પૂરતો આ પ્રયોગ અમલમાં મુકાય તો જરાય ખોટું નથી. વળી કોલેજોમાં ઉજવાતા ‘Fishpond Day’ની જેમ આબાલવૃદ્ધ સૌ કુટુંબીજનો આ ‘અવર ડે’ પૂરતાં મોકળા મને એકબીજાં સાથે હળેમળે અને આમોદપ્રમોદ કરી લે તો આખુંય વર્ષ તનાવમુક્ત પસાર થાય અને ઘણી કૌટુંબિક સમસ્યાઓ હલ પણ થઈ શકે.

અમારા બહોળા પરિવારમાં ‘પાશેરામાં પહેલી પૂણી’ના ન્યાયે જે તે મહિનામાં આવતા તમામ સભ્યોના જન્મદિવસો એક સાથે અને કોઈ એક દિવસની નજીકના રવિવારે ઊજવવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે. કહેવાય છે ને કે કોઈ શુભ વિચારને અમલમાં મૂકવાનું કાર્ય પોતાનાથી જ શરૂ થવું જોઈએ.

આશાવાદી છું કે ‘જન્મદિવસોની ઊજવણીઓ’નો આ નવતર ખ્યાલ મારા સુજ્ઞ વાચકો સુધી પહોંચ્યા સિવાય રહેશે નહિ.

ધન્યવાદ.

-વલીભાઈ મુસા

(નોંધ :- ‘Face Book’ ઉપર શુભચિંતકોના શુભ સંદેશાઓના મારા પ્રત્યુત્તરમાં આ લેખની જાહેરાત થઈ ગઈ હોઈ સમયના અભાવે હું આને વિસ્તારી શકતો નથી અને યથાવત્ મૂકવા બદલ દિલગીરી વ્યક્ત કરું છું. જન્મદિવસોની ઊજવણીઓ પાછળની ફિલસુફીને જાણવા માટે મારા ગયા વર્ષના લેખ “મારો જન્મદિવસ – નવી નજરે”ને નીચે આપેલા લિંકે વાંચવાની ખાસ ભલામણ કરવાનાં આવે છે.)

જન્મદિવસને અનુલક્ષીને આનુષંગિક મારા લેખો :

(1) “Customary celebrations of birthdays”

(૨) “પ્રણાલિકાગત જન્મદિવસોની ઊજવણીઓ”

(૩) “મારી કલમે હું”

(૪) મારો જન્મદિવસ – નવી નજર્રે

 

 

Tags: , , , , , , , , , , , ,

(૪૪૦) “લ્યો, હું તો જીવતો રહ્યો, મરી ન ગયો !!!”

[ડિસ્ક્લેમર – આ લેખ સંપૂર્ણતયા એક ‘નિકમ્મા’ માણસનો આત્મલક્ષી (જાત અંગેનો) વાહિયાત લેખ છે. બ્લૉગવાચકના વાંચનની હરેક પળ કિંમતી હોય છે, તે એની જાણ બહાર ન હોવા છતાં; એ આ ધૃષ્ટતાપૂર્ણ હરકત કરવા કૃતનિશ્ચયી છે ! તો વાચકમિત્રો એને બકવા દો ! (‘વલદા’ ઊર્ફે ‘વિલિયમ’ના આત્માનો અવાજ!]

*   *   *   *   *   *

સર્વ પ્રથમ તો હું આપ સૌ વાચકોને માત્ર ભલામણ જ કરું છું (કોઈ આગ્રહ નથી, હોં !) કે આ ‘નિકમ્મા’ માણસનો ‘નિકમ્મો’ લેખ વાંચવા પહેલાં કે પછી પણ અનુકૂળતાએ તેનો એક લેખ મારો જન્મદિવસ –નવી નજરેને નજરતળે કાઢી લેશો. આમ કરવાથી મિરઝા ગાલિબના આ મતલબના એક શેર “મસ્જિદમાં ગુમાવેલા સમયનું સાટું પીઠામાં જઈને વાળો !” – (વાચ્યાર્થ ન લેતાં એના ગૂઢાર્થને પામવા જેવો છે !) પ્રમાણે તમે કંઈક ફાયદામાં રહેશો !

હવે મારા બકવાસને શરૂ કરવા પહેલાં પોતાના ચિંતનપ્રધાન લેખોથી વાચકોના ચારિત્ર્યઘડતર માટે અખબારોમાં મુલ્યવાન વાંચનસામગ્રી પીરસતા વિખ્યાત સાહિત્યકાર શ્રી કૃષ્ણકાન્ત ઉડનકટના (‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 10 ઓગસ્ટ, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ) લેખના એક ઉમદા અંશને તેમની સંમતિની અપેક્ષાએ નીચે આપી રહ્યો છું, જે મારા આગળ આવનારા લખાણને સહ્ય બનાવવા માટે અગાઉથી બેલીરૂપ બની રહેશે !

“રાહ ન જુઓ. રાહ જોવામાં ઘણી વખત બહુ મોડું થઈ જતું હોય છે. જિંદગીની દરેક ક્ષણ એક સરપ્રાઇઝ છે અને દરેક સરપ્રાઇઝ પ્લેઝન્ટ નથી હોતી. સારું સરપ્રાઇઝ હોય એને આપણે ‘વ્હોટ અ પ્લેઝન્ટ સરપ્રાઇઝ’ કહીએ છીએ, સારું ન હોય એ સરપ્રાઇઝ આઘાત બની જતી હોય છે. જિંદગી જીવવી છે ? તો જિંદગી ઉપર ભરોસો ન કરો. જિંદગી જીવી લો. અત્યારે અને આ ક્ષણે જ. જિંદગી તમને છેતરે એ પહેલાં તમે એને છેતરતા રહો. ઘણા લોકો પાસે બધું જ હોય છે, બસ જિંદગી નથી હોતી. ઘરે જવાની ઉતાવળ ન હોય એવા માણસની વેદના ચીસો પાડતી હોય છે પણ કોઈ એ ચીસો સાંભળતું નથી. તમને રોજ ઘરે જવાની ઉતાવળ હોય છે ? જો આવું થતું હોય તો તમે નસીબદાર છો. કોઈ પ્રોમિસને પેન્ડિંગ ન રાખો, કોઈ વાયદાને અધૂરો ન છોડો, કોઈ ઇચ્છાને દબાવી ન રાખો. સમય દગાખોર છે, એનો જરાયે ભરોસો ન કરો. એ ક્યારેય જરાયે ધીમો કે આપણે કહીએ એમ ચાલવાનો નથી. એ તો એની રફતારથી જ ક્યારેક સીધી તો ક્યારેક આડી-ટેડી ચાલ ચાલતો રહેવાનો છે. સમયને પડકારીને કહો કે તારે જે રીતે ચાલવું હોય એ રીતે ચાલ, મને ફર્ક પડતો નથી, કારણ કે મારે જે કરવાનું છે એ હું ક્યારેય મુલતવી રાખતો નથી !”

સર્વપ્રથમ તો મારા ઉપરોક્ત લેખને ન વાંચનારાઓની જાણ માટે કહી દઉં કે મારી જન્મતારીખ ૭મી જુલાઈ છે અને વર્ષ છે, ૧૯૪૧. ચાલુ વર્ષના જ ગત જુલાઈની ૭મી તારીખે હું મારા જીવનનાં ૭૩ વર્ષ પૂરાં કરીને ૭૪મા વર્ષમાં પ્રવેશ્યો હતો. આમ તો હું મારાં સદગત ત્રણેય માવીતરને હરપળે મારા સાન્નિધ્યમાં જીવંત જ અનુભવતો હોઉં છું, પરંતુ એ દિવસે મારાં શ્રીકૃષ્ણનાં દેવકીમા સમાં મારાં નૂરીમા (My biological mother)ની વિશેષ યાદ આવી ગઈ. (અમારાં ‘જશોદામા’ અર્થાત ‘મલુકમા’ વિષેનો એક લેખ જાણે કે તેઓ અમારાં ખરાં મા ન હોય !’ શીર્ષકે મારા બ્લોગ ઉપર વિદ્યમાન છે જ.). નૂરીમાની યાદ આવવાનું કારણ એ હતું કે તેમનું અવસાન ૧૯૭૩ની સાલમાં થયું હતું. જો કે એમની મૃત્યુ તારીખ તો ૦૪-૦૧-૧૯૭૩ જ હતી અને ‘૭૩’ના આંકડા સિવાય અહીં અન્ય કોઈ સામ્ય ન હતું. પરંતુ આંકડાશાસ્ત્રમાં રસ ધરાવતા એવો હું એ તારીખને મારી આદત મુજબ ૭૩-૦૧-૦૪ ગોઠવી બેઠો અને મારા મનમાં એક વિચાર ઝબક્યો કે ‘વલદા, આ તો ૭૩ વર્ષ ૧ માસ અને ૪ દિવસ જેવું થયું ન ગણાય !’ ! પછી તો તરત જ મેં મારી જન્મતારીખમાં ૧ માસ અને ૪ દિવસ ઉમેરી દીધા અને જુલાઈ માસના ૩૧ દિવસને ધ્યાનમાં રાખીને નવીન તા.૧૧-૦૮-૧૪ને તારવી કાઢી. હવે આ તારીખને મારે શું સમજવું, એમ વિચાર કરતાંકરતાં મને લાગ્યું કે આને હું મારી નવીન જન્મતારીખ તો ન જ બનાવી શકું; કેમ કે કોઈ પણ વ્યક્તિની જન્મતારીખ તો નિશ્ચિત હોય છે, અફર હોય છે. મારો વિચાર આગળ ધપ્યો અને હું મનોમન તા.૧૧-૦૮-૧૪ને મારી મૃત્યુ તારીખ ધારી બેઠો.

આજે મારા મૃત્યુ માટેની ધારેલી તા.૧૧-૦૮-૧૪ છે અને આજે આ જ તારીખે આ લેખ લખી રહ્યો છું. હું લખતાંલખતાં આટલા સુધી આવ્યો છું અને કોમ્પ્યુટરના ઘડિયાળમાં જોઉં છું, તો ભારતીય સાંજના ૫:૪૦ નો સમય બતાવે છે. હજુ તો મધ્ય રાત્રિના બાર વાગે તારીખ બદલાશે. જો હું અવસાન પામ્યો તો આજની તા.૧૧-૦૮-૧૪ એ મારી મૃત્યુતારીખ બની રહેશે, જેની સાથે મારા મૃત્યુ પછી મારે તો કોઈ મતલબ રહેશે નહિ; કેમ કે હું તો અનંતની યાત્રાએ પહોંચી ગયો હોઈશ ! વળી હું જીવતો રહ્યો, તો પણ આ તારીખ મારા માટે કોઈ ખપની રહેશે નહિ; સિવાય કે એક હાસ્યાસ્પદ તુક્કા તરીકેની મારા માટેની એક તારીખ ! પણ હા, તા.૧૨-૦૮-૧૪નું મારા માટે એક મહત્ત્વ રહેશે ખરું; કેમ કે મારા અંગત મતે જીવતદાન પામ્યા પછીની ફક્ત મારા માટેની જ એ મારી નવીન જન્મતારીખ તો જરૂર હશે !

આમ આજની મધ્યરાત્રિએ હું કુટુંબીજનો આગળ શાબ્દિક રીતે નહિ, પણ સ્વગત આ શબ્દો તો મારા મનમાં લાવીશ જ કે ‘લ્યો, હું તો જીવતો રહ્યો, મરી ન ગયો !!!’

-વલીભાઈ મુસા

 

Tags: , , , , , , , , , , , ,

(૪૩૫) મારો જન્મદિવસ – નવી નજરે

આજે મારો જન્મદિવસ છે, એમ કહેવા કરતાં આજની સાતમી જુલાઈ એ મારી જન્મતારીખ છે એમ કહેવાનું હું વધારે પસંદ કરીશ. વાચકમિત્રો વિચારશે કે આ તો ભલા શબ્દરમત થઈ, દિવસ કહો કે તારીખ કહો શો ફરક પડે ! જી હા, ફરક પડે અને તે જ અત્રે આપ સૌને સમજાવવાનો પ્રયત્ન કરીશ. જોઈએ વારુ, હું આમાં કેટલી માત્રામાં સફળ થાઉં છું !

મારો જન્મદિવસ તો ૦૭-૦૭-૧૯૪૧ છે અને આજે હું મારા જીવનનાં ૭૩ વર્ષ પૂરાં કરીશ; પરંતુ મારા જન્મના એ દિવસ સિવાયના પછીથી દર વર્ષે જે તોતેર દિવસો આવ્યા, તે તો મારા એ જન્મદિવસની યાદ અપાવતી તારીખોના હતા. ખલિલ જિબ્રાન તો કહે છે કે “જિંદગી કદીય પીછેહઠ નથી કરી શકતી કે ગઈ કાલમાં રોકાઈ નથી રહેતી.” આમ એ દિવસ તો પાછો આવતો નથી, પણ હા એ તારીખો તો આવતી જ રહેતી હોય છે અને એ તારીખો તો મારી કે કોઈની પણ બિનહયાતી પછી પણ આવતી જ રહે; પછી ભલેને કોઈ તેમને યાદ કરે કે ન કરે !

કુટુંબીજનો, મિત્રો અને સ્નેહીઓ તો પ્રણાલિકાગત રીતે ‘Happy birthday’ કે ‘Many many happy returns of the day’ જેવા અંગ્રેજીમાં કે એ મતલબના ગુજરાતી કે અન્ય કોઈ ભાષામાં આપણને શુભ સંદેશા પાઠવતાં હોય છે અને એમાં Day અર્થાત્ દિવસ શબ્દ જ પ્રયોજાતો હોય છે. અહીં હું કંઈ વિશેષ પિષ્ટપેષણ કરવા માગતો નથી, પણ એમ કહેનારાઓના પક્ષે બેસીને તેમના શબ્દને અલ્પાંશે યથાર્થ ઠેરવીશ કે એ તારીખે થએલા આપણા જન્મની ખુશીની ઉજવણીની એ તારીખોવાળા દિવસો પુન:પુન: આવ્યા કરે અને આપણે દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરીએ એવી ભલી લાગણી એ લોકો દર્શાવતા હોય છે. એ એક બીજી વાત છે કે આવો સંદેશો ઝીલનાર વ્યક્તિ પોતે જ જાણતી હોય છે છે કે પોતાની જિંદગી એ મોજ છે કે બોજ છે, પણ દુનિયાદારીના આવા ઔપચારિક વ્યવહારોને માન આપીને તેણે હસતું મોઢું રાખવું પડતું હોય છે અને તેને પેલી શુભેચ્છાઓનો હકારાત્મક જવાબ ‘Thank you’ કે ‘આભાર’ જેવા શબ્દોથી ‘કાકા’ કહીને આપવો પડતો હોય છે !

હવે હું એક એવી વાત કહેવા જઈ રહ્યો છું કે જે સાંભળીને તમે અંગ્રેજી ‘O’ જેવો આકાર બંને હોઠ વડે કરીને કપાળમાં આડી કરચલીઓ પાડ્યા વગર નહિ રહી શકો. Happy કે Unhappy બર્થડેટ તો પ્રત્યેક વર્ષે આવે, પણ આપણો Happy અને માત્ર Happy જ બર્થડે તો વારંવાર આવી શકે અને એ પણ બદલાતી તારીખોએ તો વળી ! આપણા મૂળ જન્મદિવસને એ જ રીતે ભલે આપણે માનતા કે મનાવતા રહીએ, પણ જીવાતા જતા જીવનમાં આવતા રહેતા આપણા એ નવીન જન્મદિવસોને મનમાં તો યાદ કરતા જ રહેતા હોઈએ છીએ. આ તો કંઈક પુનર્જન્મ (Rebirth) જેવી કંઈક વાત થઈ રહી હોય તેવું તમને લાગશે અને વાત સાચી પણ છે, પરંતુ હું મર્યા પછીના કોઈ પુનર્જન્મની વાત નથી કરી રહ્યો; વાત કરું છું, આપણા જીવન દરમિયાન ભાગ્યબળે મળતા જતા પુનર્જન્મોની જ તો !

માનવજીવનમાં જીવતાંજીવ મળતા રહેતા પુનર્જન્મો બે પ્રકારના હોય છે, દૈહિક અને આત્મિક. દૈહિક પુનર્જન્મોમાં આવે; કુદરતી હોનારત કે માનવસર્જિત આફતોમાંથી બચવું, ગંભીર બિમારીમાંથી તંદુરસ્તી પ્રાપ્ત થવી, જીવનમાં આવતીજતી આસમાનીસુલતાની કે આઘાતપ્રત્યાઘાત સામે ટકી રહેવું વગેરે. તો વળી આત્મિક પુનર્જન્મોમાં આવી શકે; વૈચારિક પરિવર્તન થવું, જીવનનો નવીન દૃષ્ટિકોણ પ્રાપ્ત થવો, વ્યસનમાંથી મુક્ત થવું, માનવકલ્યાણનાં કામોમાં લગની લાગવી, નૈતિક અધ:પતનના માર્ગેથી પાછા વળવું ઇત્યાદિ.

ઉપરોક્ત ઉભય પ્રકારના પુનર્જન્મો આપણા જીવનના વળાંકો (Turning Points) બની શકે અને આધ્યાત્મિક ઉન્નતિના માર્ગે એ આપણને દોરી શકે, જો એમને ગંભીરતાપૂર્વક સ્વીકારવામાં આવે તો. જો આવી ઘટનાઓને સ્મશાનવૈરાગ્ય જેવી ગણી લેવામાં આવે તો જીવનમાં પરિવર્તન ન પણ આવે !

કોઈપણ માનવીની આત્મિક ઉન્નતિ કે અવગતિની તો કોઈ તવારિખો ન હોય. જે પળે ઉર્ધ્વતા તરફ આગળ વધો એ તમારો પુનર્જનમ અને પાછા હઠો એ મરણ બની રહે. આવા આત્મિક અનેક જન્મો અને એવાં અનેક મરણો જીવનભર ચાલ્યા કરતાં હોય છે. અનેક મર્યાદાઓ વચ્ચે જીવતો સંસારીજીવ પૂર્ણતા સુધી ભલે ન પહોંચે, પણ પૂર્ણતાની દિશામાં ભલે એક જ ડગલું વધે તો તેને પણ સાફલ્ય સમજવું રહ્યું.

ખાસ ઘટનાઓ ઉપર આધારિત દૈહિક પુનર્જન્મો તો આપણને સમજાતા હોય છે અને યાદ પણ રહેતા હોય છે. પરંતુ એવા અનેક જન્મદિવસો આપણને નિદ્રાત્યાગ પછી જાગૃતાવસ્થામાં આવતાં પણ મળતા રહેતા હોય છે. ઊંઘને અર્ધું મોત કહેવામાં આવે છે અને ઘણા કિસ્સાઓમાં આપણને એ જાણવા મળતું પણ હોય છે કે એવાઓ રાત્રે ઊંઘ્યા પછી સવારમાં કદીય જાગ્યા નથી હોતા અને ઊંઘની સ્થિતિમાં જ અનંત યાત્રાએ પહોંચી ગયા હોય છે. આમ આપણે આપણી સુખશય્યામાંથી આળસ મરડીને બેઠા થઈએ, ત્યારે સમજવું રહ્યું કે આપણને પુનર્જીવન પ્રાપ્ત થયું. બસ, આવી પ્રત્યેક સવાર એ આપણો નવીન જન્મદિવસ બની રહે છે. આપણે દિવસે પણ ઊંઘનારાઓમાંના હોઈએ અને જીવતા બેઠા થઈએ, તો તેને આપણે જે તે દિવસનું બોનસ જીવતદાન સમજવું પડે.

આટલા સુધી તો જન્મદિવસોની વાત થઈ, પણ આપણને જન્મપળો પણ પ્રાપ્ત થતી હોય છે. જીવમાત્ર બેમાંથી કોઈ એક રીતે અવસાન પામે છે, કાં તો છેલ્લો શ્વાસ લઈને અથવા છેલ્લો શ્વાસ છોડી દઈને. વ્યક્તિ જીવિત હોવાની સાબિતી એ ગણાય છે કે તેના શ્વાસોચ્છ્વાસ ચાલુ છે. હવે આ ચરખો થંભે ત્યારે જીવન અંત પામતું હોય છે. આમ આપણને એ ખબર નથી હોતી કે આપણે જે શ્વાસ લીધો તે પાછો છોડી શકીશું કે કેમ અને તે જ રીતે જે શ્વાસ છોડ્યો તે પાછો લઈ શકીશું કે કેમ ! એટલે જ તો જીવનને ક્ષણભંગુર કહેવામાં આવે છે અને આમ આપણે શ્વાસેશ્વાસે જીવતા થતા હોઈએ છીએ અને શ્વાસેશ્વાસે મરતા પણ હોઈએ છીએ. ‘સામાન સો બરસકા પલકી ખબર નહિ!’ એમ જે કહેવાય છે તે યથાર્થ જ છે. માતાની કૂખે જન્મતાં હૃદયના ધબકારા શરૂ થયા પછી જ નાભિનાળ (Umbilical Cord)ને કાપવામાં આવે છે. હવે આ ધબકતું હૃદય જે પળે બંધ પડ્યું, તે આપણું મોત બની રહે છે. આપણે માનવીઓ પોતાના એક હાથનાં આંગળાંનાં ટેરવાંને બીજા હાથના કાંડા ઉપરની નસને હળવેથી સ્પર્શીને નાડીના ધબાકારા મહેસુસ કરતાંકરતાં વિચારીએ તો ખ્યાલ આવી શકે કે આપણે કેવી નાજુક પરિસ્થિતિમાં જીવી રહ્યા હોઈએ છીએ. બસ, આ વિચાર માત્ર આપણને આત્મિક પુનર્જન્મ આપવા માટે પર્યાપ્ત બની રહેતો હોય છે.

સમાપને, આપણે બેન જ્હોન્સનનું (Ben Johnson) નું એક કાવ્ય (All credit goes to ‘Copy Right’ possessors.) યાદ કરી લઈએ, જેમાં તેમણે ઓક (Oak) નામના એક વૃક્ષ અને કમળના ફૂલની સરખામણી કરી છે. ઓકનું આયુષ્ય લગભગ ૩૦૦ વર્ષનું હોય છે, જ્યારે કમળની જિંદગી માંડ એકાદ દિવસની જ હોય છે. એ કાવ્યનો મધ્યવર્તી વિચાર એ છે કે આપણે કેટલું લાંબુ જીવીએ છીએ તેનો કોઈ મતલબ નથી, પણ આપણે કેવી રીતે જીવીએ છીએ તેનું જ મહત્ત્વ હોય છે. ગુણવત્તાસભર જીવન એ જ તો આયુષ્યનું સાચું મૂલ્યાંકન હોય છે.

– વલીભાઈ મુસા

આનુષંગિક મારા લેખો :

(1) “Customary celebrations of birthdays”

(૨) “પ્રણાલિકાગત જન્મદિવસોની ઊજવણીઓ”

(૩) ‘મારી કલમે હું’

 

Tags: , , , , , , , , , , , , , , , , ,