ગુજરાતી સાહિત્યજગતને પોતાના ‘સ્પંદન’, ‘ઉપાસના’ અને ‘ત્રિપથગા’ એવા ત્રણ કાવ્યસંગ્રહોના તેજપુંજ થકી અજવાળનાર ‘આકાશદીપ’ ઉપનામધારી, નિવૃત્ત વીજેજનેર, એવા માન્યવરશ્રી રમેશભાઈ પટેલ હવે પોતાની પ્રથમ ઈ-બુક ‘કાવ્યસરવરના ઝીલણે’ દ્વારા ગુજરાતી નેટજગતમાં પદાર્પણ કરી રહ્યા છે. ‘ત્રિપથગા’ના વિમોચનટાણે સાહિત્યધુરંધરોએ તેમને જે શબ્દોમાં નવાજ્યા છે તેના તોલે તો કદાચ નહિ જ આવી શકે તેવી અવઢવ સાથે હું તેમના માટે અને તેમની કવિતાઓ માટે એકમાત્ર ‘પોલાદી’ વિશેષણ વાપરવા માગું છું. રમેશભાઈના ચાહકો આ ‘વિવેચક’ને એટલે કે મને મનમાં કદાચ ‘બબુચક’ તરીકે સંબોધશે, એટલા માટે કે કવિ અને તેની કવિતા તો ઋજુ હોય, તો પછી અહીં ઉભય માટે ‘પોલાદી’ વિશેષણ પ્રયોજાય શાને! આ વાતનો સંક્ષિપ્તમાં ખુલાસો એ જ કે રમેશભાઈનાં કાવ્યો અને તેઓ પોતે તકલાદી નથી. બ. ક. ઠાકોરનાં કાવ્યો માટે એક કાળે વિવેચકોએ ‘કઠોર’ શબ્દ પ્રયોજ્યો હતો અને તેમનાં કાવ્યોની અર્થ-રસ-ગ્રહણની પ્રક્રિયાને ‘નારિકેલપાક’’ની ઉપમા આપી હતી. અહીં રમેશભાઈનાં કાવ્યો માટે ‘પોલાદી’ શબ્દ ‘સમજવા માટે દુષ્કર’ એ અર્થમાં મેં નથી પ્રયોજ્યો, પણ તેમનાં કાવ્યો નક્કર છે, ‘આકાશ’ના એક અન્ય અર્થ ‘પોલાણ’ની જેમ નહિ! તેમનાં કાવ્યો, કાવ્યોની પંક્તિઓ અને પંક્તિઓમાંના શબ્દો સઘળાં અર્થસભર, ચિંતનશીલ, લયબદ્ધ, એકબીજાનાં પુરક અને એકબીજાને ઉપકારક બની રહે છે.
હું કોઈ પૂર્ણકાલીન કે અંશકાલીન સાહિત્યનો કોઈ વિવેચક નથી. મારા બ્લોગ ઉપર મારા કેટલાક બ્લોગર મિત્રોનાં કાવ્યો કે લેખો ઉપરના મારા પ્રતિભાવો, કેટલાંકનાં ચરિત્રચિત્રણો અને હ્યુસ્ટનસ્થિત મારા મિત્ર શ્રી વિજયકુમાર શાહનાં બેએક પુસ્તકો ઉપરનાં મારાં અવલોકનો એવી કેટલીક સામગ્રી થકી હું મારી તેરમી અને હાલ પૂરતી આખરી ઈ-બુક ‘સમભાવી મિજાજે’ ને આજકાલમાં પ્રસિદ્ધ કરવામાં હતો. મારી આ પ્રસ્તાવના કદાચ મારા એ પુસ્તકનું એક પ્રકરણ બની રહે, કેમ કે રમેશભાઈએ મને આની આગોતરી સંમતિ આપી જ દીધી છે. આવાં અવલોકનો, પ્રતિભાવો, પ્રસ્તાવનાઓ કે સમીક્ષાઓ એવા લેખક્ની જ સ્વઉપાર્જિત મૂડી ગણાતી હોય છે, પણ મારી પ્રણાલિકા એ રહી છે કે મારાં આ પ્રકારનાં લખાણોના આધારરૂપ કૃતિઓના કર્તાઓની સંમતિ હું મેળવતો જ હોઉં છું, કારણકે આને હું સાહિત્યજગતનો શિષ્ટાચાર ગણું છું અને તેવી કૃતિઓને મારા સર્જનના બીજરૂપ સમજતો હોઉં છું. મારા જીવનના બ્લોગીંગ શરૂ કરવા પહેલાંના છેલ્લા ત્રણેક દશકાઓ દરમિયાન મારી ધંધાકીય વ્યસ્તતાના કારણે હું સાહિત્યવાંચનથી અલિપ્ત થઈ ગયો હતો અને તેથી જ મારા વિવેચનની એક મર્યાદા રહેતી હોય છે કે હું વર્તમાન સાહિત્ય કે તેવા સાહિત્યકારોને તેમના ઉલ્લેખો થકી ઉચિત ન્યાય આપી શકતો નથી. જો કે શ્રી વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદીના મંતવ્ય મુજબ વિવેચકે તો જે તે કૃતિ સાથે જ જોડાએલા રહીને તેની રમણીયતાને સમજવાની અને સમજાવવાની હોય છે. તેણે પર્યવસાયી (અંતિમવાદી) બનીને કૃતિ વિષેના કોઈ ચુકાદાઓ સંભળાવવાના નથી હોતા, પણ સર્જકે અનુભવેલી તેના સર્જન વખતની આનંદ- સમાધિના સ્વરૂપને તપાસવાનું હોય છે. આ પ્રસ્તાવનાના વાચકો અને આ કાવ્યસંગ્રહના કવિએ પણ છેલ્લે એ જ તપાસવાનું રહેશે છે કે મારા આ વિવેચનલેખમાં હું કેટલા અંશે સફળ કે નિષ્ફળ રહ્યો છું.
ભાઈશ્રી ‘આકાશદીપ’ના આ કાવ્યસંગ્રહમાં કાવ્યપ્રકારો અને વિષયોનું વૈવિધ્ય જોવા મળે છે. મારી ધારણા મુજબ તેમણે લગભગ બધા જ કાવ્યપ્રકારો ઉપર પોતાનો કાવ્યકસબ અજમાવ્યો છે. તેમનાં કેટલાંક ઊર્મિકાવ્યો વિષે કંઈક લખવા પહેલાં મારા પોતાના બ્લોગ ઉપરનાં ‘મારાં ઊર્મિકાવ્યો’ લેખની પ્રસ્તાવનામાં મેં એક જ લીટીમાં તેની જે વ્યાખ્યા આપી હતી તેને રજૂ કરીશ. એ શબ્દો હતા : ‘Lyric is a poem that expresses the personal feelings of the lyricist’. આ વ્યાખ્યા મારી પોતાની મૌલિક હોવાનો મારો કોઈ દાવો નથી, કેમ કે અનુસ્નાતક સુધીના મારા અંગ્રેજી અને ગુજરાતીના વિશાળ વાંચનના પરિપાકરૂપે આ કે આવી કોઈ વ્યાખ્યાઓ મારા કે કોઈનાય મનમાં આકાર લઈ શકે છે. મારા કથનના મૂળ રાહે હું આવું તો મારે કહેવું પડશે કે રમેશભાઈએ ઊર્મિકાવ્યની ઉપરોક્ત વ્યાખ્યાને પોતાનાં અનેક કાવ્યોમાં સાર્થક કરી બતાવી છે. ‘આટલું વ્હાલ કેમ ઢોળે?’ કાવ્યમાંની આ કડી કવિના હૃદયોલ્લાસને વ્યક્ત કરે છે:‘ઝૂમી ઝૂમી ફૂલડે એ શું ખોળે/ સખી, વાયરા આટલું વ્હાલ કેમ ઢોળે?’. મારા સમગ્ર કાવ્યસંગ્રહના ઝીણવટભર્યા અવલોકનમાં મને દેખાયું છે કે તેમણે તેમનાં ઊર્મિકાવ્યોમાં ક્યાંક વિષાદને તો ક્યાંક ઉલ્લાસને અભિવ્યક્ત કર્યો છે. સાહિત્યજગતમાંની સનાતન એક વ્યાખ્યા ‘શીલ તેવી શૈલી’ મુજબ અતિ સંવેદનશીલ જીવ એવા રમેશભાઈએ પોતાની રચનાઓમાં પોતાના હૃદયની સઘળી સંવેદનાઓને નીચોવી દઈને તેમણે આ કાવ્યસંગ્રહ દ્વારા આપણા સુધી પહોંચાડી છે.
ગુજરાતી બ્લોગજગતના અન્ય એક મહાનુભાવ જુગલકિશોર વ્યાસશ્રી ક્યાંક કવિતા વિષે લખે છે,‘… અને ચિત્તને કોઈ અગમ્ય તરફ લઈ જાય તેવું કૌશલ્ય બતાવે તે પણ કાવ્યની જ એક અનન્યતા છે’. રમેશભાઈ પોતાનાં માત્ર ઊર્મિકાવ્યો જ નહિ, પણ તમામ કાવ્યપ્રકારોમાં આ વિધાન મુજબનું પોતાનું અનન્ય કૌશલ્ય બતાવે છે. એ જ જુગલકિશોરભાઈએ સાવ દેશી શબ્દોમાં ‘કાવ્ય’ને એમ સમજાવતાં આગળ લખ્યું છે કે ‘… મહત્વની વાત જ એ છે કે ભાવ કે વિચાર આપણને સ્પર્શી જાય, ઝણઝણાવી મૂકે તોય આપણને એનો ભાર ન રહે કે એનાથી ધરવ ન થાય અને વારંવાર એને માણવા મન રહે, ત્યારે આપણી કાવ્યમીમાંસાના પંડિતો (વિવેચકો) તેને ‘કાવ્ય’ કહે છે.’ રમેશભાઈનાં ‘અમારા હાલ’, ‘તરુ આપણું સહિયારું’, ‘હું માનવને ખોળું’ વગેરે જેવાં કાવ્યો જુગલકિશોરભાઈની આ વાતની સાક્ષી પૂરે છે. “રટે રાધા” માંની પંક્તિઓ ‘કા’ન કુંવરના મોરલાના છોગે, સખી મારી નજરું ગૂંથાણી / વૃન્દાવનની વાટે ભૂલીને ભાન હું ભોળી ભરમાણી / રટે રાધા! કા’નાના કામણે ચૂંદડીના પાલવડે પ્રીત્યું બંધાણી./’ વગેરે આપણને કવિ દયારામની યાદ અપાવી જાય છે; યાદ કરો “દયારામ રસસુધા” ની રચનાઓ ‘શ્યામ રંગ સમીપે ન જાવું’ કે પછી ‘રાતલડી કોની સંગે જાગ્યા ઘાયલ છોજી, કેઈનાં નેનબાણા વાગ્યાં!’.
રમેશભાઈનાં પ્રકૃતિકાવ્યોમાંની તેમની નિરૂપણકલા એટલી સહજ અને રમણીય હોય છે કે તેવી કૃતિઓને વાંચતાં આપણે જે તે ઋતુ કે પ્રાકૃતિક વાતવરણનો અનુભવ કરતા હોઈએ તેવું જ આપણને લાગે. આમ આવાં કાવ્યો આપણા માટે ‘સ્પંદન’ સમાન બની રહે છે. કવિએ પોતે રચેલા જે તે કાવ્ય વખતે તેણે અનુભવેલાં સ્પંદનો (waves)ને એ કાવ્યના માધ્યમ દ્વારા વાચકમાં અનુકંપિત કરાવી શકે તો અને માત્ર તો જ એ કાવ્યને અને તેના કવિને સફળ ગણાવી શકાય. આખા કાવ્યસંગ્રહમાં આપણને મોટી સંખ્યામાં આવાં પ્રાકૃતિક વર્ણનનાં કાવ્યો મળી રહેશે. કવિ ન્હાનાલાલના આવા એક કાવ્યની પંક્તિઓ ‘ઝીણા વરસે મેહ, ભીંજે મારી ચુંદલડી’ વાંચતાં જેમ કાવ્યનાયિકાની સાથે આપણે પણ ભીંજાઈ જઈએ; બસ, તે જ રીતે, રમેશભાઈ પોતાના ‘સિંધુના બિંદુથી’ કાવ્યની આ પંક્તિ ‘ધરતી મેહુલિયાના સુભગ મિલને, મદમાતી ધરતીએ પ્રગટી સુવાસ’ થકી પહેલા વરસાદથી ભીની માટીની સોડમનો આપણે અનુભવ કરી શકીએ છીએ. ‘ગ્રીષ્મ’ કાવ્ય આપણને શરીરે દઝાડે છે તો ‘ગાજ્યાં ગગન’, ‘ગગન શરદનું’ અને ‘હેલે ચઢી તમારી યાદ’ વગેરે કાવ્યો પ્રાચીન કાલીન ઋતુકાવ્યો બનીને આપણને માનસિક અને આત્મિક એવી વિરહની આગમાં તરફડાવે છે.
કવિ પોતાનાં કેટલાંક કાવ્યોમાં આધ્યાત્મજ્ઞાનના વિષયને પણ સ્પર્શ્યા સિવાય રહી શક્યા નથી, જેની મિસાલ તરીકે ‘અમારા હાલ’ કાવ્યને દર્શાવી શકાય. આની છેલ્લી કંડિકા જૂઓ:’જાણ્યા જાણ્યા તોય રહ્યા સદા અજાણ, હરિ એવા દીઠા અમે અમારા હાલ’. મારા “આત્મા – સંક્ષિપ્ત અભ્યાસ’ લેખમાંના કોઈક અજ્ઞાતના ઈશ્વરના નૈકટ્યની પ્રાપ્તિ વિષેના અવતરણને કવિના આ વિચારના સમર્થનમાં અહીં દર્શાવું છું કે ‘જ્યાં મારી બુદ્ધિ અણુંના માપ જેટલું પણ અંતર કાપીને તારી નજીક આવવા મથે છે, ત્યાં તો તું માઈલો દૂર ચાલ્યો જાય છે.’ તો વળી નિરંજન ભગતની યાદ આપતું આ કાવ્ય ‘અવિનાશી અજવાળું’ પણ માણવા જેવું ખરું! તેની સરસ મજાની પંક્તિ છે: ‘નથી અમારું નથી તમારું, આ જગ સૌનું સહિયારુ/મારામાં રમતું તે તારામાં રમતું, અવિનાશી અજવાળું’ આ સંદર્ભે કવિવર રવીન્દ્રનાથ ટાગોરને તેમના આ કથન ‘ઈશના સૌંદર્યને માણે અને જાણે એનું નામ કવિ’ થી યાદ કરીએ. ‘ગીતા છે મમ હૃદય’ કાવ્ય તો જેમ ગીતા જીવનનો સાર સમજાવે છે, બસ તેવી જ રીતે આ લઘુ કાવ્ય એ પણ જાણે કે ગીતાનો જ સાર હોય તેવી રીતે કવિ લાઘવ્યમાંઆપણને ઘણું ઘણું કહી જાય છે. આ કડી ‘શ્રી કૃષ્ણ વદે, સુણ અર્જુન સખા,ગીતા છે મમ હૃદય/ સોંપી લગામ પ્રભુને હાથ ,આવી જા તું મમ શરણ’ તો સાચે જ આપણને ગુજરાતી સાહિત્યના પંડિત યુગની કવિતાઓની યાદ અપાવી જાય છે.
કવીશ્વર દલપતરામની શૈલીની યાદ અપાવતી ‘સિંહ રાજા જ બોલ્યા’ એક રચના છે. તો વળી પોતે ‘પટેલ’ અટકધારી હોઈ કદાચ કિસાનપુત્ર હોવાના નાતે જગતના તાત એવા કિસાનને યથાયોગ્ય સમજી શક્યાની પ્રતીતિ આપણને તેમની કૃતિ ‘સવાયો તાત’માં થયા વગર રહેશે નહિ. વર્તમાન સમયની ‘જગતના તાત’ની અવદશાને દુનિયા ભલે નજરઅંદાજ કરતી હોય, પણ ‘હરિ’ને મન તો એવા કિસાનનો મરતબો અદકેરો જ છે. આ વાતની ગવાહી આપે છે, કવિના આ શબ્દો: ‘નથી સવાયો કોઈ તાતથી, ભોળી એની ભક્તિ / આંખે ઉભરે વહાલનાં વારિ, હૈયે ધરણીધરની મરજી’.
કવિએ ગુજરાત અને ભારત દેશ ઉપરનાં વતનપ્રેમ અને દેશભક્તિને લગતાં ‘મહેંકતું ગુજરાત’, ‘આઝાદી’ અને ‘જયહિંદ જયઘોષ ત્રિરંગા’ જેવાં કાવ્યો, ‘આદ્યાશક્તિ’ જેવાં ભક્તિકાવ્યો, ‘અમે રે ઉંદર’ જેવાં વ્યંગકાવ્યો વગેરે જેવી કાવ્યોની વિવિધતાઓ આપવામાં કવિએ કોઈ કસર છોડી નથી. જૂના જમાનાના શ્યામ-શ્વેત બોલપોટના જમાનાનું જે કાળે લોકજીભે ખૂબ રમતું એવું ગુજરાતી ફિલ્મીગીત ‘ભાભી, તમે થોડાં થોડાં થાજો વરણાગી’ ને વર્તમાન સમયના સંદર્ભમાં ‘ઓ ભાભી તમે’ શીર્ષકે રમેશભાઈએ સરસ મજાનું પેરડી કાવ્ય રચીને કમાલ કરી બતાવી છે. કવિનું એક બીજું રસમય બાળકાવ્ય ‘આવ ને ચકલી આવ’ પણ મનભાવન બની રહે છે. ‘આવી જ દીપાવલી’ તહેવાર ઉપરનું ઉમળકાસભર કાવ્ય છતાં ‘વર્ષાન્તે સરવૈયું હાથ ધરજો, લાભ્યા તમે શું જગે?’ પંક્તિ થકી કવિ માનવજીવનના સાર્થક્ય અને સિદ્ધિપ્રમાણને ઉજાગર કરે છે. સંસ્કૃત કાવ્યમીમાંસક મમ્મટનું કવિતા કલા વિષેનું વિખ્યાત વિધાન છે કે કવિતા કાન્તા (પત્ની)ની જેમ મિષ્ટ વાણીમાં ઉપદેશને ઘોળીને પાઈ દેનારી હોય; બસ, આ જ રીતે રમેશભાઈ પણ પોતાના આખા કાવ્યસંગ્રહમાં ઠેરઠેર આવી પ્રયુક્તિઓ થકી માનવ જીવન વિષેના અનેક સંદેશાઓ અને ફલશ્રુતિઓ બતાવી જાણે છે. ‘ઉછાળો હર હૈયે તોફાન’ કાવ્ય ભ્રષ્ટાચાર અને પ્રદુષિત લોકશાહી સામે જંગનું એલાન કરતું અને વાચકના દિલમાં ઉત્તેજના જગાડતું સુંદરતમ કાવ્ય છે.
વાંચન દરમિયાન સ્મિતને ચહેરાથી જરાય વેગળું ન થવા દેનાર કેટલાંક રમુજી કાવ્યો પૈકી મુખ્ય તો એક છે ‘હાલો હાલોને ઘેલાભાઈની જાનમાં!’. ગુજરાતી બ્લોગ જગતમાં ધૂમ મચાવનાર ‘હાસ્ય દરબાર’ બ્લોગના ધણીધોરીઓ ભેગા મને પોતાને પણ સાંકળી દેતા આ કાવ્યની થોડીક પંક્તિઓ આ પ્રમાણે છે: ‘વલીભાઈએ બાંધ્યાં હાઈકાં રે, શબ્દોની તીખી કટાર / ઉંઘમાં મરકે મોટડા, વ્યંગની વાગે શરણાઈ / હાલો હાલોને ઘેલાભાઈની જાનમાં’. ‘ઓ મારા વરસાદ અને વહુ’ કાવ્યમાં તો વરસાદ અને વહુની સરખામણી કરીને કવિએ ‘કેમ કરી દઈએ રે જશ’ જેવી પંક્તિઓ દ્વારા વક્રોક્તિનો સહારો લઈને માર્મિક હાસ્ય નિરૂપ્યું છે. ‘ચાની રંગત’ કાવ્યમાં ચાને ભારતીય જીવનનો ભાગ બની ગએલી બતાવતાં કવિએ તેને ‘રૂપલી રાજરાણી’ની ઉપમા આપીને વ્યંગ્ય કવન દ્વારા ઘણાં લક્ષ સાધ્યાં છે. કવિની હાઈકુકાર તરીકેની ક્ષમતાને પણ નજર અંદાઝ નહિ કરી શકાય. પ્રથમ દૃષ્ટિએ સરળ લાગતું આ જાપાની હાઈકુ રચવું એ પણ પ્રખર કવિત્વશક્તિ માગી લે છે. કવિએ ‘તાંડવલીલા’ શીર્ષકે આપેલાં કેટલાંક હાઈકુઓ પૈકીનું એક હાઈકુ ભગવાન શંકરના તાંડવ નૃત્યને અનોખી રીતે અભિવ્યક્ત કરે છે, જે આ પ્રમાણે છે: ‘તાંડવલીલા / ત્સુનામી ને ભડકા / સ્તબ્ધ દુનિયા’!
હવે જ્યારે મારી આ પ્રસ્તાવનાનું સમાપન નજીક આવતું જાય છે, ત્યારે મને કહેવા દો કે મારા વિવેચનધર્મ અનુસાર મારે આ કાવ્યસંગ્રહમાંની કવિની ખૂબીઓની સાથે સાથે તેમની ખામીઓને પણ તટસ્થ ભાવે દર્શાવવી જરૂરી બની જાય છે. મારા આ કર્તુત્વને ‘ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં વાખવા’ જેવું ન સમજતાં સર્જક આને એ અર્થમાં સમજશે કે આવું દોષનિવારણ પોતાનાં આગામી સર્જનોમાં કરીને પોતાનાં સર્જનોને ઉત્તમોત્તમ બનાવી શકાશે.
બીજી એ સ્પષ્ટતા કરવી અહીં જરૂરી બની જાય છે કે અહીં સર્જનના ઈ કે પી પ્રકાશનપૂર્વે મને મળેલા ડ્રાફ્ટના આધારે જ્યારે હું આ લખી રહ્યો હોઉં, ત્યારે મારા આ લખાણને વિવેચન ન કહેતાં એને પ્રસ્તાવના જ કહેવી પડે. વિવેચન તો જે તે પુસ્તકની બહાર કોઈ સામયિક, સમાચારપત્ર કે કોઈ વિવેચકના પોતાના અંગત પુસ્તકમાં હોય છે, જ્યારે પ્રસ્તાવનાનું સ્થાન એ પુસ્તકની અંદર હોય છે. હવે બને એવું કે પ્રસ્તાવનાલેખક તરફથી સર્જકની કોઈ ક્ષતિઓ તરફ અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો હોય અને પોતાના સર્જનને આખરી રૂપ આપવા પહેલાં એવી ક્ષતિઓને પ્રસ્તાવનાલેખકની સંમતિથી સર્જક દ્વારા સુધારી લેવામાં આવે તો પ્રસ્તાવનામાંનો એવો ક્ષતિનિર્દેશ કે ટીકાટિપ્પણી અર્થહીન બની જાય. આમ પ્રસ્તાવનાને પણ મઠારી લેવી પડે અને તો જ ઉભય વચ્ચે એકસૂત્રતા જાળવી શકાય. અહીં વળી નવો પ્રશ્ન એ ઉદભવે કે આ પ્રકારના સુધારાવધારા થકી છેવટે સર્જન ખામીરહિત બની જતાં પ્રસ્તાવના માત્ર પ્રશંસાત્મક જ બની રહે. આમ વાચકને એમ જ લાગે કે વિવેચકે ન્યાયી વિવેચન કર્યું નથી. આ ખુલાસો એટલા માટે જરૂરી બની જાય છે કે આવી પરિસ્થિતિમાં વાચકોને વિવેચકના તાટસ્થ્ય વિષે કોઈ શંકાકુશંકા રહે નહિ.
અહીં રમેશભાઈ મને આપેલી ડ્રાફ્ટ કોપીને યથાવત્ જાળવી રાખીને કાવ્યસંગ્રહ પ્રસિદ્ધ કરશે તેમ માનીને હું કેટલાંક સૂચનો કરું તો તે અસ્થાને નહિ લેખાય. પ્રથમ તો તેમણે ‘ત્રિપથગા’માં અંગ્રેજી, ગુજરાતી અને હિંદી એમ ત્રણેય ભાષામાં પોતાની રચનાઓ રજૂ કરી હતી, તેની પાછળ ‘ત્રિપથગા’ને અનુલક્ષીને કવિના વિવિધ (જુદાજુદા) ત્રિવિધ આશયો પૈકીનો ત્રણ ભાષાનો આશય હશે; પણ અહીં આ કાવ્ય સંગ્રહને દ્વિભાષી (Bilingual) ન રાખતાં હિંદીમાં લખાએલી થોડીક જ રચનાઓને આ સંગ્રહમાંથી બાકાત રાખવી જોઈતી હતી.
‘ઓગષ્ટ ક્રાન્તિના ઓ યશભાગી’ કાવ્ય તેના નાયકોના ‘Flop Show’ ના કારણે હવે અપ્રસ્તુત થઈ જતું હોઈ તેને પણ અહીં બાકાત રાખ્યું હોત તો વાચકોને અન્ના હજારે આણિ કંપનીની નિષ્ફળતાની વ્યગ્રતામાંથી બચાવી શકાયા હોત. કેટલાંક કાવ્યોનાં શીર્ષકોમાં યોગ્ય વિરામચિહ્નોનોનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો જે તે કાવ્યમાંનો કવિનો ભાવ શીર્ષકના વાંચન માત્રથી વાચકોને સમજાયો હોત! આ બાબતના ઉદાહરણમાં કેટલાંક શીર્ષકો આ પ્રમાણે છે : – ‘ગાંધી આવી મળે !’, ‘ગબ્બર ગોખ ઝગમગે, રે લોલ !’ તો વળી, ઘણાં કાવ્યોમાં પણ પંક્તિઓના અંતે કે વચ્ચે પણ જ્યાં જરૂરી હોય ત્યાં વિરામચિહ્નો સમૂળગાં છે જ નહિ, જેને મોટી મર્યાદા સમજવી પડે! ‘વિરાટ તારી શાન !’ કાવ્ય જો સર્વસામાન્ય કોઈ પણ ક્રિકેટરના સંદર્ભે હોય તો બરાબર છે, પણ જો તે વ્યક્તિલક્ષી હોય; દા.ત. સચિન તેદુંલકર, તો કાવ્યમાં તેનો નામોલ્લેખ થવો જોઈતો હતો!
મેં રમેશભાઈને મારી એક મર્યાદાની વાત જણાવી દીધી હતી કે હું કાવ્યપ્રકાર ‘ગઝલ’ ના બંધારણ આદિથી પૂરો અવગત ન હોઈ એવી કોઈ રચનાના વિષયવસ્તુમાત્રની ચર્ચાથી વિશેષ કશાયથી મને પરહેજ (સીમિત) રાખીશ. પરંતુ બ્લોગજગતનાં વિદુષી પ્રજ્ઞાબેન વ્યાસના કવિની ગઝલ ‘એકાંત’માં ઉપરના સૂચનને ટપકાવીશ કે ‘આ સુંદર ગઝલમાં મત્લા બરાબર નથી, આમ છતાંય ભાવવાહી રચના છે.’ ગઝલમાં ભલે મારી ચાંચ ન ડૂબતી હોવા છતાં હું તેને જાણી અને માણી શકું તો ખરો જ અને તેથી જ મને ખૂબ પસંદ પડેલી ‘છે કિનારા બે જુદા’ ગઝલનો એક શેર આપ વાચકો સાથે Share કરું છું, મુશાયરાઓમાં થતા પઠનની અદાથી કે ‘ધર્મ મારો ધર્મ તારો, છે કિનારા બે જુદા (૨)/જલ વહાવે એક બંને (શુક્રિયા), જલ વહાવે એક બંને, સત્ય એ સાચું બધે’.
“ચંદ્ર પર પ્રથમ પગ મૂકનાર અવકાશયાત્રી આર્મસ્ટ્રોંગ” શીર્ષકે કવિ દ્વારા લખાએલી રૂડી લઘુરચનાના પ્રતિભાવ રૂપે અન્ય એક મહાનુભાવ કે જેમને મેં Think Tank’ નું બિરૂદ આપ્યું છે તેવા શ્રી શરદભાઈ શાહે તે બ્લોગના Comment Box માં પોતાનો જે પ્રતિભાવ સ્વર્ગસ્થ આર્મસ્ટ્રોંગને અંજલિ આપતી તેમની આ શીઘ્રરચના થકી આપ્યો હતો, તેને અહીં વ્યક્ત કર્યા વિના હું નહિ રહી શકું.
“વિરાટ બ્રહ્માંડમાં દીઠી ધરા મારી સલુણી,
રમે નભે દૃષ્ટિ તો હૈયે રમે કોટિ કહાણી,
હશે જ કેવો રૂડો આ ચાંદ પૂંછું હું મનને,
દઉં સલામી જ, આર્મસ્ટ્રોંગ ચૂમ્યા ચંદ્રભૂમિ!”
– (રમેશ પટેલ( ‘આકાશદીપ’
“ચાંદ પર કદમ રખા નીલને પહલી બાર,
ચાંદને કહા હોગા, આના યહાં બારબાર!
મગર આજ નીલ હુઆ જબ તારતાર,
સચ કહું, ચાંદભી રોયા હોગા ઝારઝાર!”
– (શરદ શાહ)
મારી પ્રસ્તાવનાના અતિવિસ્તારથી હું વાકેફ છું જ, કેમકે રમેશભાઈએ પોતાના કાવ્યસંગ્રહને બૃહદ બનાવ્યો હોઈ મારે પણ તેમની સાથે ખેંચાવું પડ્યું છે. આમ છતાંય સાહિત્યજગતના શિષ્ટાચારના ભાગરૂપે હું વાચકોની ક્ષમા યાચું છું. મેં પ્રારંભે જ રમેશભાઈની નિવૃત્ત વીજ ઈજનેર તરીકેની ઓળખ આપી દીધી છે, તેની પાછળ પણ મારો ઈશારો છે કે જોખમી એવા વીજળીના તાર સાથે આસાનીથી રમત રમતાં રમતાં નોકરી પૂરી કરનાર એવા ભાઈશ્રી ‘આકાશદીપ’ કેવી આસાનીથી શબ્દોના તાર જોડી બતાવીને આપણને કાવ્યરમતમાં કેવા રમમાણ કરી દે છે! રમેશભાઈને તેમની કવિ તરીકેની સફળતા બદલ આપ સૌ વાચકો વતી અને મારી વતી ધન્યવાદ આપું છું. ગુજરાતી સાહિત્યને તેમના તરફથી વધુ ને વધુ નવીન સર્જનો મળતાં રહે તેવી અભ્યર્થના સાથે અત્રેથી વિરમું છું. જય હો!
-વલીભાઈ મુસા
Tags: અવલોકન, આકાશદીપ, આર્મસ્ટ્રોંગ, ઉપાસના, ઋજુ, ગઝલ, જુગલકિશોર વ્યાસ, ત્રિપથગા, દ;લપતરામ, દયારામ, નિરંજન ભગત, ન્હાનાલાલ, પોલાદી, રવીન્દ્રનાથ ટાગોર, વિવેચન, સ્પંદન, think tank
મારા આ લઘુલેખમાં મારી કલમે હું મારી ૭૧ વર્ષના સમયગાળામાં પથરાએલી મારી જીવનકથા તો ન જ લખી શકું તે એક હકીકત છે અને તેથી જ તો આજે ૭મી જુલાઈ, ૨૦૧૨ના રોજના મારા ૭૨મા જન્મદિવસને અનુલક્ષીને હું અહીં લક્ષ કે દિશા વિહીન કંઈક (જેની મને ખબર નથી કે હું શું લખીશ!) લખવા જઈ રહ્યો છું, જે લખાણ મારા વાચકોને આનંદમિશ્રિત કંટાળો આપવા અને વાંચન દરમિયાન ક્યાંક ક્યાંક તેમનાં નાકનાં ટેરવાંઓ ચઢાવવા માટે સક્ષમ પુરવાર થાય પણ ખરું! આપણા જીવનમાં આપણે કેટલાંય કંટાળાજનક જણ કે જણસો સાથે વળગેલા રહેતા હોઈએ છીએ, એટલા માટે કે આપણે કોઈક મજબુરીઓના કારણે આસાનીથી તેમની સાથેનો છેડો ફાડી શકતા નથી હોતા; પણ, અહીં તમારા કોમ્પ્યુટર સ્ક્રીન ઉપરના મારા આ લખાણથી ભાગી જવા અને તેનાથી પીછો છોડાવવા તમારાં આંગળીઓનાં ટેરવાંઓ તમારા કાબુમાં હોઈ તમે આસાનીથી મને અને મારા લેખને આટલેથી જ જાકારો આપી શકો તેમ છો.
૨૬મી જુન ૨૦૧૨ના રોજ હું માનનીયશ્રી જુગલકિશોરભાઈને અમદાવાદ ખાતે તેમના નિવાસસ્થાને મળવા ગયો હતો. તેમણે મને કેટલાંક પુસ્તકો ભેટ આપ્યાં હતાં, જેમાંનું એક હતું ‘મારે વિશે હું અને એક વી. આઈ. પી.ની આત્મકથા – ન. પ્ર. બુચ’, જેના સંકલનકાર હતા/છે તેઓશ્રી પોતે જ અર્થાત્ શ્રી જુગલકિશોર વ્યાસ. આ પુસ્તક તો હવે પછી વાંચીશ, પણ તેના શીર્ષકના એક અંશને મારા આ લેખના શીર્ષક માટે તફડાવી લેવાની ઈચ્છાને રોકી નથી શકતો. વળી આવી તફડંચી કરનારના જેવી ચાલાકીભરી મોડસ ઓપરેન્ડી (Modus Operandi) અપનાવીને મેં શીર્ષકને ઉપર મુજબ માત્ર શબ્દોએ જ બદલ્યું છે; પણ અહીં ‘નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે’ ની જેમ ખાટલાના ગમે તે છેડે માથું મૂકીને સૂઈએ પણ પીઠિકા તો ખાટલા વચ્ચે જ આવે જેવો ઘાટ થયો ગણાશે! આવી જ હોશિયારી મેં મારા એક લેખના શીર્ષક માટે ભૂતકાળમાં પ્રયોજી હતી, જેનું શીર્ષક હતું, ‘તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી શરમકથા’. પૂજ્ય મહાત્મા ગાંધીજીની આત્મકથાના શીર્ષક સાથે પડઘાતા મારા એ લેખના શીર્ષકના ‘શરમકથા’ શબ્દથી હું થોડીક હળવાશ અનુભવું છું, એટલા માટે કે કોઈ એમ નહિ જ માને કે હું એ મહામાનવ અને યુગપુરુષના પેંગડામાં પગ ઘાલવાનો પ્રયત્ન કરી રહ્યો છું.
ક્યાંક લખ્યાનું સ્મરણ થાય છે કે ૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરીએ હું સાડા છ વર્ષનો હતો અને બીજા દિવસે સ્થાનિક દવાખાને રાષ્ટ્રના બાપુજીની શહાદતની ગ્રામશોકસભામાં હું મારા બાપુજીની આંગળી પકડીને ગયો હતો. મારા પિતાજીએ મને સમજાવ્યાનું યાદ છે કે અમારા દવાખાનાના ચુસ્ત ગાંધીવાદી ડોક્ટર શ્રી હરિભાઉ લક્ષ્મણરાવ પુરોહિત સાહેબ મહારાષ્ટ્રીયન (મરાઠી) બ્રાહ્મણ હતા અને કોઈ ગાંધીભક્ત આવેશમાં આવી જઈને તેમને હાનિ ન પહોંચાડે તેવી દીર્ઘદૃષ્ટિ અને સમજદારી ગામના આગેવાનોએ દવાખાનાના મેદાનમાં જ શોકસભા રાખીને બતાવી હતી. કોઈ વાચક વિચારશે કે આ લેખના લેખકને એવી તો શી જરૂર ઊભી થઈ કે દેશ અને દુનિયા માટે આઘાતજનક એવી ગાંધીજીની હત્યાને અહીં સાંકળવામાં આવે છે! મારા સુજ્ઞ વાંચકોની જાણકારી માટે ખુલાસો કરી દઉં કે ભૂતકાળમાં પૂજ્ય બાપુજીએ બે કાર્યકરોને હાથશાળના ઉદ્યોગની પ્રત્યક્ષ તાલીમ લેવા માટે બેએક અઠવાડિયાં માટે અહીં કાણોદર ખાતે મોકલ્યા હતા. આમ અમારા ગામ અને બાપુજી વચ્ચે અપ્રત્યક્ષ પણ ઘનિષ્ટ એવો સંબંધ હતો કે જે સંબંધને કોઈ ઓળખનામ તો નહિ જ આપી શકાય.
નરસિંહ મહેતાના એક ભજનમાં કૂળ ઈકોતેર તારવાની કડી આવે છે, જ્યારે મારા કિસ્સામાં તો અહીં વરહ(!) ઈકોતેર ગાળવાની વાત છે. કવિશ્રી કરસનદાસ માણેકના ‘જીવન શું?’ કાવ્યની મારા જેવા સામાન્ય માણસને લાગુ પડતી આરંભની પંક્તિઓની જેમ જીવન એટલે સ્થુળ અર્થમાં કહીએ તો ‘મરતાં લગી જીવવું’ અને આમ હું ઈકોતેર વર્ષોથી એટલા માટે જીવી રહ્યો છું કે મારું મરણ ઠેલાતું રહ્યું છે! ઈ.સ. ૨૦૧૦ના ઓગસ્ટ માસમાં મારા મૃત્યુએ મને ઝડપી લેવાની કોશીશ કરી હતી, પણ અમદાવાદની કૃષ્ણા હાર્ટ હોસ્પિટલના હાર્ટના કારીગરોએ હાર્ટથી કામ કરીને મારા મૃત્યુની કોશીશને નાકામ કરી દીધી હતી. વીર નર્મદના ‘નવ કરશો કોઈ શોક રસિકડાં’ કાવ્યની જેમ જીવતાં જ એવું કોઈ મારા ઉપરનું શ્રદ્ધાંજલિકાવ્ય હું પોતે જ લખું એમ વિચારીને વળી પાછું માંડી વાળું છું, એટલા માટે કે ઘરવાળાં, ઘરવાળી અને સ્નેહીજનોને કમોસમે મિથ્યા રડાવવાં એ તેમનાં અશ્રુનો બગાડ કરવા સમાન ગણાશે!
અમે સઘળાં એટલે કે ડઝનમાં એક ઓછાં ભાઈભાંડું અમારા પિતાજીને તેમની આધેડ ઉંમરે ભૂખનાં પ્રાપ્ત થયાં હતાં, કેમ કે અમારાં પ્રથમ માતુશ્રીનાં સાતેય સંતાન થેલેસેમિઆ મેજર કે એવા કોઈ અગમ્ય રોગના કારણે ત્રણચાર વર્ષથી વધારે જીવી શક્યાં ન હતાં. અમારાં ત્રણેય માતાપિતા અભણ હતાં એટલે કોઈક ભણેલા પાસે ચોપડામાં જન્મતારીખ સળંગ બેઠામેળ (જમા-ઉધાર) પદ્ધતિએ લખાવી દેતાં હતાં. અમે જ્યારે ચોપડાનું એ પાનું ખોલતા ત્યારે અમને એ વાતે આનંદ આવતો કે દરેક જન્મનાર ભાઈભાંડુંને સર્જનહારને ત્યાંથી થએલી આવક તરીકે તારીખ સાથે જમા કરવામાં આવતાં હતાં અને તે જ રીતે કુટુંબમાંથી અવસાન પામનારને તારીખ સાથે ઉધારી દેવામાં આવતાં હતાં. દુન્યવી નાણાકીય વ્યવહારની જેમ વિધાતા સાથે ચાલતા કૌટુંબિક વ્યક્તિઓના જન્મમરણનું આ ખાતું એક એવા ઉમદા ખ્યાલને પેશ કરતું હતું કે દરેક જન્મનાર એ ઈશ્વર (અલ્લાહ) તરફથી આપણા કુટુંબમાં મૂકવામાં આવેલી થાપણ કે અનામત છે અને તે ઈચ્છે ત્યારે પોતાની અનામતને પાછી લઈ શકે છે અને આમ એ ટાણે આપણે રડવા-કકળવાનું ન હોય પણ હસતા મોંઢે એ અનામત પરત કરી દેવાની હોય!
આમ જન્મ તથા મૃત્યુ અને આ બંને અંતિમો વચ્ચે જીવવામાં આવે છે તે જીવન, પછી ભલે તે સુખમય હોય કે દુ:ખમય હોય, એ સઘળું ઈશ્વરની મરજીને આધીન સમજવામાં આવે તો આ એક માત્ર સમજણ જ શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક કે એવા કોઈ પણ ઇકાન્તવાળાં એવાં લાખ દુ:ખોની એક માત્ર દવા સિદ્ધ થઈ શકે તેમ છે. મારો કે અમારાં કુટુંબીજનોમાંથી કોઈનોય જન્મદિવસ કદીય ઊજવવામાં આવતો ન હતો. અમારાં માવીતર બિચારાંને તો તેમના પોતાના જન્મદિવસ કે ઉંમરની સાચી જાણ સુદ્ધાં પણ ન હતી. છપ્પનિયો કાળ કે ચોપ્પનિયો પ્લેગ માત્ર એ સમયનાં આધાર વર્ષ ગણવામાં આવતાં હતાં. ઈ.સ. પૂર્વે કે ઈસ્વીસન (B.C. કે A.D.)ની જેમ લોકો અમુક કે તમુક અને તે પહેલાં કે તે પછી એમ અંદાજીત વર્ષોથી પોતાની ઉંમર જાણવા કે જણાવવા પૂરતી પોતાની અટકળો લગાવતાં હતાં. ભણતર, આર્થિક સમૃદ્ધિ, ચલચિત્રોમાં એવાં દૃશ્યો, સંતાનો પરત્વેનો માતાપિતાનો પ્રેમ અને vice versa એવાં બધાં કારણોએ સાથે મળીને ઘરના મોભીના ખિસ્સા ઉપર હલ્લો બોલાવવો શરૂ કર્યો અને નિવારી શકાય તેવા બિનજરૂરી અને બિનઉત્પાદક જન્મદિવસની ઉજવણીના ખર્ચનો મધ્યમ વર્ગનાં કુટુંબોમાં પણ તેમના ઘરખર્ચમાં ઉમેરો થવા માંડ્યો. આજે તો નિશાળોમાં પણ જે તે છોકરાંઓના વર્ગ પૂરતી તેમના જન્મદિવસોની ઊજવણીઓ થાય છે અને બક્ષિસોની કે ચોકલેટોની આપલે પણ થતી હોય છે.
વચ્ચે એક આડવાત મૂકી દઉં કે થોડાંક વર્ષો પહેલાં અમેરિકા સ્થિત મારા મરહુમ મિત્ર જાફરભાઈ સાથે હું દુબઈ ગયો હતો. ત્યાં વસતા અમારા ગામના એક સુખી માણસે મને અમારા વતનના કેટલાક ગરીબ, બીમાર અને અસહાય માણસોને મદદ માટેની યાદી અને ત્યાંના ચલણનાં નાણાં આપ્યાં. મેં એક નામ ઉમેરવાનું સૂચવ્યું તો તેમણે કટાણું મોં કરતાં મને કહ્યું કે એ ભાઈનું નામ મારી યાદીમાં મેં કાયમી જરૂરિયતમંદ માણસ તરીકે ગઈ સાલ સુધી જાળવી રાખ્યું હતું, પણ મને એક વાતની જાણ થતાં મેં તે નામ કાયમ માટે રદબાતલ કરી દીધું છે. મેં તેમને ‘કઈ વાત?’ એમ પૂછ્યું તો તેમણે જવાબ આપ્યો કે ‘એ માણસ પોતાના દીકરાની જન્મદિવસની ઊજવણીનું નકામું ખર્ચ કરે છે માટે તે જરૂરિયાતમંદ ન ગણાય.’ મારા લેખનો અતિવિસ્તાર ન થાય તે માટે હું મારા વાચકો ઉપર એ અનુમાન કરવાનું છોડું છું કે મેં પેલા ભાઈને એવી કઈ દલીલોથી સમજાવ્યા હશે કે જેથી તેઓશ્રી પેલા જરૂરિયાતમંદ ભાઈને મદદ કરવા માટે માની ગયા હતા.
મારા જન્મદિવસ નિમિત્તે લખાઈ રહેલા આ લેખમાં શરૂઆતમાં જણાવી દીધા મુજબ હું લક્ષહીન કે દિશાહીન આડુંઅવળું ઘણું લખી ચૂક્યો છું. હવે મૂળ પાટે આવી જતાં આપ સૌ વાચકોનો થોડો વધુ સમય લઈને એક વાત જણાવી દઈશ કે ઘણીવાર કેટલાક માણસોને પોતાને ન ગમતાં કાર્યોને અન્યોની લાગણીઓને સંતોષવા ખાતર પણ કરવા દેવાં પડતાં હોય છે. ‘માજા વેલા’ (એક સરસ મજાની ગુજરાતી વાર્તાનો નાયક) ના બહોળા કુટુંબ જેવું જ સંયુક્ત કુટુંબ ધરાવતા આ લેખના લેખક ‘મુસા વલા’ ભલે જન્મદિવસની ઊજવણીમાં ન માનતા હોય, પણ કુટુંબના સભ્યોની લાગણીને માન આપવા ખાતર પણ તેમણે પોતાની મૂક સંમતિ આપવી જ પડે તે પણ એક હકીકત છે. ઈ.સ. ૧૯૯૪માં મારા ત્રેપનમા જન્મદિવસની ઊજવણી રાત્રે થવાની હતી અને તે દિવસની સવારે જ અમેરિકાથી માત્ર મારા કુટુંબ ઉપર જ નહિ, પણ સમગ્ર ગામ અને આજુબાજુના વિસ્તાર ઉપર જાણે કે વીજળી ત્રાટકી હોય એવા મારા લધુબંધુ હાજી ડો. અલીમહંમદ મુસાના હૃદયરોગના પહેલા અને આખરી હુમલા થકી મધ્યાહ્ને સૂર્યાસ્તની જેમ માત્ર ૪૧ વર્ષની ઉંમરે થએલા અવસાનના ટ્રંકકોલે મને અને મારા કુટુંબને મારો જન્મદિવસ આગામી બાર વર્ષો સુધી ઊજવવાનું ભૂલવાડી દીધું હતું. છેલ્લે મારા પાંસઠમા જન્મદિવસે કુટુંબના તમામ જણે મારા પુત્રો અને મને પાલનપુરથી કારોબાર પતાવીને ઘરે આવતાં એવું ભેદી સરપ્રાઈઝ આપ્યું કે બાર વર્ષ પછી મારો જન્મદિવસ ઊજવાયો જે હાલ સુધી ચાલુ છે.
સમાપન પૂર્વે, હું મારી એક વાતને દર્શાવ્યા સિવાય રહી શકીશ નહિ. મારા અમેરિકા નિવાસી વડીલ મિત્ર મરહુમ મહંમદઅલી પરમાર ‘સુફી’ સાહેબ કે જેમની સાથે મારો અપ્રત્યક્ષ સહવાસ માત્ર ત્રણેક માસનો જ રહ્યો હતો, તેમના ‘આધ્યાત્મિક કાવ્યો’ બ્લોગ ઉપરના તેમના ‘આત્મપરિચય’ પેજ ઉપરના તેમના શબ્દોને અહીં હું મારા જન્મદિવસના મારા એક નવીન સંકલ્પ અન્વયે ટાંકું છું : “આધ્યાત્મનાં લક્ષણ જન્મની સાથે અલ્લાહે મને આપીને ધરતી પર મોકલ્યો એટલે પૂરું જીવન બેચેનીમાં રહ્યું કારણકે મારા સ્વતંત્ર આધ્યાત્મિક વિચારોને દબાવી રાખીને બીજાઓની મરજી મુજબ મારે જીવન જીવવું પડ્યું હતું. વિચારો કરવાની સ્વતંત્રતા અને વિચારો દર્શાવવાની સ્વતંત્રતાની ઘણી વાતો મેં સાંભળી હતી, પરંતુ આ જીવનમાં તેમને અમલમાં મૂકવાનું શક્ય બન્યું ન હતું. આમ છતાંય મેં મારાં કાવ્યોમાં મારા આધ્યાત્મિક વિચારો દર્શાવવાનો થોડોઘણો પ્રયત્ન કરેલો જ છે.”
ગુરુ દત્તાત્રેયે જેમની પાસેથી જે કંઈ શીખવા મળ્યું તેમ શીખતા જતાં ચોવીસ ગુરુઓ બનાવ્યા હતા. બસ. એ જ રીતે મારા ૭૨મા જન્મદિવસનો જે એક સંકલ્પ (Resolution) કરવા હું જઈ રહ્યો છું તે માટેની પ્રેરણા મને ‘સુફી’સાહેબના ઉપરોક્ત વિધાનમાંથી પ્રાપ્ત થઈ છે. મારો જે કંઈ સંકલ્પ છે તેને હું શાબ્દિક રીતે કે સવિસ્તાર જાહેર તો નહિ કરું, પણ મારી સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહવાસમાં આવનાર મારાં સ્નેહીજનો કે મિત્રોને મારા વાણી, વ્યવહાર કે વર્તનમાંનાં પરિવર્તનો ‘હાથ કંગનકો આરસી ક્યા!’ અનુસાર જાણવા મળી જ જશે તે નિ:શંક છે. રહસ્યમય જેવા લાગતા એવા મારા સંકલ્પને જાણવાની ઈંતજારીના ભાગ રૂપે ભવિષ્યે મારા ઉપર સંભવિત થનારા પ્રશ્નોના મારાથી બચવા અગમચેતી રૂપે સંકેત આપી દેતાં મને કહેવા દો કે મારો સંકલ્પ એ જ હશે કે હું મારી જિંદગીનાં શેષ વર્ષો મારી મરજી મુજબ એટલે કે વૈચારિક સ્વતંત્રતા સાથે જીવીશ, સતત નિર્ભયતાના એ ખ્યાલ અને શબ્દો સાથે કે ‘Who cares!’.
અંતે મારી ‘મિજાજ’ શબ્દના સંયોજન થકી જુદાંજુદાં શીર્ષકોએ જુદાજુદા વિષયોને આવરી લેતી પ્રસિદ્ધ થએલી અને પ્રસિદ્ધ કરવા ધારેલી મારા નિબંધો અને લેખોની ગુજરાતી ઈ-બુક્સ જેવી કે ‘હળવા મિજાજે’, ‘વિચારશીલ મિજાજે’, ‘પ્રસન્ન મિજાજે’, ‘સમભાવી મિજાજે’, ‘પરિવર્તિત મિજાજે’ અને અંગ્રેજી ઈ-બુક્સ જેવી કે ‘In Light Mood’, ‘In Thoughtful Mood’’ અને ‘In Changing Moods’ એમ મળીને કુલ્લે લખવામાં આવેલી આઠ ઈ-બુક્સ ઉપરાંતની વધુ એક ‘મિજાજ’ શબ્દધારી ઈ-બુક ‘મારા મિજાજે!’ને હવે પછી મારે માત્ર જીવી બતાવવાની છે. આયુષ્યદોરી સર્જનહારના હસ્તક હોઈ માત્ર તે જ જાણે છે કે હું મારા નવીન સંકલ્પ સાથે ભવિષ્યે કેટલા જન્મદિવસો ઊજવી શકીશ.
અસ્તુ.
-વલીભાઈ મુસા
Tags: જુગલકિશોર વ્યાસ, તમાકુત્યાગ, થેલેસેમિઆ, ન.પ્ર.બુચ
[…] Click here to read in English […]