RSS

Tag Archives: તમાકુ

(539) નર્મમર્મ વ્યથાકથા

સુજ્ઞ વાચકો,

અત્રે આ શ્રેણીના પાંચેય વિભાગો સંકલિત સ્વરૂપે એકસાથે મૂક્યા છે.

‘તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી શરમકથા!’ ભાગ-૧  

‘તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી શરમકથા!’ ભાગ-૨

 ‘તમાકુત્યાગના પ્રયોગો અથવા સાચે જ મારી શરમકથા!’ ભાગ-૩

‘તમાકુત્યાગના પ્રયોગો અથવા મારું પરોપદેશે પાંડિત્યમ્!’ ભાગ-૪

‘તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી સાફલ્યકથા’ – ૫ (સંપૂર્ણ)

Honestly speaking, Author had stopped chewing tobacco after two or three failures for the periods of one to three years many times; but, on this day Oct.15, 2017, he has once again been victim of this worst habit. His efforts are still going on, but the lesson for others remains useful and unchanged to learn how it is sad to be slave of any worse habit harmful to health. The Author does admit that he has no right to advise anybody in this regard, but as a cause of humanity he is here with his shameful appearance as an old man of 77 years.

Hope my good Readers will excuse him (me) with their generosity.

With warm regards,

-વલીભાઈ મુસા 

 

 

Tags: ,

(૫૧૬) ‘તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી સાફલ્યકથા!’ – ૫ (સંપૂર્ણ)

આગામી ૩૧મી મે, ૨૦૧૬ના રોજ યુનો દ્વારા જાહેર કરાયેલ ‘વિશ્વ તમાકુ નિષેધ દિન (World No Tobacco Day)’ આવશે; પરંતુ તમાકુના વ્યસનને ના(No) કહેવા માટે ‘શુભસ્ય શીઘ્રમ્’ અનુસાર મારે એ દિવસની કંઈ રાહ જોવી જરૂરી નથી. વળી તમાકુત્યાગની મથામણ, સફળતા અને નિષ્ફળતાને ઉજાગર કરતી પાંચેક વર્ષના સમયગાળામાં પથરાયેલી મારી શ્રેણી લગભગ તમાકુ ચાવવાના વ્યસન આસપાસ જ હાલ સુધી ફરતી રહી છે; પરંતુ વાસ્તવમાં તો વ્યાપક અર્થમાં તે તમાકુનાં બધા જ પ્રકારનાં વ્યસનો એટલે કે ‘ખાપીસૂં’ (ખાવી, પીવી અને સૂંઘવી)ને લાગુ પડે છે. આ ત્રણેય પ્રકારનાં વ્યસનોમાં ધૂમ્રપાન એ વધુ ખતરનાક એટલા માટે છે કે જો તે જાહેર જગ્યાએ કરવામાં આવતું હોય તો તે આસપાસના લોકો માટે અનીચ્છનીય અને ફરજિયાત દ્વિસ્તરીય ધૂમ્રપાન (Second-hand smoking) બની જાય છે. આમ નિર્દોષ અને નિર્વ્યસની લોકો પોતે ન ચાહવા છતાંય ધૂમ્રપાન કરનારાઓના દોષે ધૂમ્રપાનનો શિકાર બનતા હોય છે. આંકડાઓ જણાવે છે કે આવા સેકન્ડ-હેન્ડ સ્મોકીંગના કારણે વિશ્વ આખાયમાં દર વર્ષે ૬ લાખ માણસોના આરોગ્ય ઉપર વિપરિત અસર થતી હોય છે, જે પેલા ૬૦ લાખ મરનારા લોકોના ૧૦% બરાબર થાય છે અને તેઓ વિના કારણે મોતને ભેટતા હોય છે.

મારો ‘તમાકુત્યાગ’ શ્રેણીનો આ આખરી લેખ છે.  આ અગાઉના લેખના શીર્ષકના ઉત્તરાર્ધમાં મેં ચાલાકીપૂર્વક ‘મારું પરોપદેશે પાંડિત્યમ્!’ શબ્દો દ્વારા વ્યસનની મારી લાચારી સામેની ‘બચાવપ્રક્રિયા (Defense Mechanism)’ અજમાવી હતી. વળી તેની નીચેની નોંધમાં પણ મારા તમાકુત્યાગના ઢચુપચુ નિર્ણયને નિષ્ફળતા મળવાના સંજોગોમાં વાચકો તરફથી દયાભાવ મળી રહે તે માટે ‘એવો મારો હાલ પૂરતો તો તાર્કિક ખ્યાલ છે!’ શબ્દો સિફતપૂર્વક આગોતરા ગોઠવી દીધા હતા! આ બધા પિષ્ટપેષણ પાછળનો મારો એક જ આશય છે કે માત્ર તમાકુ જ નહિ, પણ શરાબ અને અન્ય જીવલેણ ડ્રગ આદિના વ્યસનીઓ એકવાર તેમનો ભોગ બન્યા પછી તેમાંથી છૂટવા માટે કેવા વલવલતા હોય છે તેનો વાચકોને ખ્યાલ આવી શકે. એક અનિષ્ટ અનેક અનિષ્ટોને નોંતરે અને આમ અનિષ્ટોની પરંપરા સર્જાઈ જાય એવું પણ બનતું હોય છે. ડ્રગના વ્યસનીઓ પોતાની જરૂરિયાતને સંતોષવા ચોરી, લૂંટફાટ અને કોઈકવાર ખૂન કરવાની સ્થિતિ સુધી પહોંચી જતા હોય છે એવી વાતો જગજાહેર છે, એટલે આપણે એમને પડતી મૂકીને વ્યસનોમાંથી મુક્ત થવા માટેના નક્કર મનોવૈજ્ઞાનિક ઉપાયો વિચારવાની દિશામાં આગળ વધીએ. આ ઉપાયો મારા સ્વાનુભવમાંથી નિપજેલા છે અને મનોવિજ્ઞાનના ‘તાલીમનું રૂપાંતર (Transfer of training)’ના સિદ્ધાંત પ્રમાણે માત્ર તમાકુ ચાવવાના વ્યસનીઓને જ નહિ, પણ તમામ પ્રકારના વ્યસનીઓને પણ લાગુ પડી શકે છે. હવે હું લેખની કદમર્યાદાને સંતુલિત રાખવા વ્યસનમુક્તિ માટેની માત્ર ટીપ્સ અને તેને સંલગ્ન કેટલીક સ્પષ્ટતાઓ જ આપીશ.

(૧) વ્યસનમુક્તિ માટે બાહ્ય મદદો કે શિખામણો કારગત નીવડતી નથી. વ્યક્તિનો પોતાનો મક્કમ ઈરાદો જ પરિણામલક્ષી બની શકે.

(૨) વ્યસન ઓછું કરતા જઈને તેને ધીમે ધીમે છોડવાનો ખ્યાલ ભ્રામક છે. એકી ઝાટકે વ્યસનને તિલાંજલિ આપવી જોઈએ.

(૩) વ્યસન છોડવા માટે કોઈ નોંધપાત્ર દિવસની રાહ જોવી કે એવા દિવસને પસંદ કરવો તે મનોવૈજ્ઞાનિક પરિભાષાએ વ્યર્થ પુરવાર થશે. એવા નોંધપાત્ર દિવસની રાહ જોવાનો મતલબ એ કે આપણે એ દિવસ આવે ત્યાંસુધી આપણા વ્યસનના લુત્ફ(આનંદ)ને જાળવી કે પકડી રાખવા માગીએ છીએ, એટલે કે આપણે આપણા વ્યસનની આસક્તિને જરાય ઢીલી પડવા દેવા નથી માગતા. આ જ રીતે વળી એવો કોઈ દિવસ પસંદ કરવા પાછળનો તાર્કિક ખ્યાલ એ પણ હોય છે કે માણસ એ દિવસને યાદ રાખીને ભવિષ્યે એવી ગણતરીઓ મૂકી શકે કે વ્યસન છોડ્યાને કેટલો સમય થયો. બસ, આ જ બાબત ભવિષ્યે આપણને ફરી એ વ્યસન તરફ દોરી જશે; કારણ કે આપણા માનસમાંથી વ્યસનનો એ વિચાર નાબુદ થયો નથી. ભલા, શું આપણે મૂર્ખાઈભર્યા એવા આપણા આ પરાક્રમનો ઇતિહાસ લખવા માગીએ કે જેમાં આ બધી તારીખો દર્શાવવી પડે? આ લેખકે આવી મુર્ખાઈઓ કરી છે અને એમાંથી જ શાણાઓએ શાણપણ ગ્રહણ કરવાનું છે.

(૪) જે તે પ્રકારના વ્યસનત્યાગનો અન્ય નિર્દોષ વિકલ્પ પણ કદીય લેવો નહિ; ઉદાહરણ તરીકે, તમાકુ ચાવવાનો વ્યસની મુખવાસ લેવાનું શરૂ કરે. એનો મતલબ એ થાય કે હજુ એ મૂળ વ્યસનનો આનંદ મેળવવા હવાતિયાં મારે છે. દેખીતું જ છે કે એ મુખવાસ એને સંતુષ્ટ કરશે નહિ અને ફરી એ મૂળ વ્યસન તરફ પાછો વળી જશે. ટૂંકમાં મૂળ વ્યસનના વિચારનું જ નિર્મૂલન થવું જરૂરી છે અને એવો કોઈ વિકલ્પ લેશો તો એ એમ થવા દેશે નહિ. શરાબ, ડ્રગ આદિમાં પણ આવા કોઈ વિકલ્પોથી બચવું જોઈએ.

(૫) વ્યસનને સહજભાવે છોડી દેવું જોઈએ. મનમાં એવો વિચાર કદીય ન લાવવો કે આપણે વ્યસન છોડીને કોઈ મહાન કામ કરી રહ્યા છીએ. ઊલટાનું એમ વિચારવું જોઈએ કે જે લોકો વ્યસની નથી એ લોકો જ ખરા મહાન માણસો છે. વ્યસન પકડવા પહેલાં આપણે પણ તેઓના જેવા જ મહાન હતા, પણ પછીથી અધમ બન્યા. હવે ‘જાગ્યા ત્યાંથી સવાર’ના ન્યાયે આપણે વ્યસનત્યાગ કર્યો એ આપણા માટે સારી વાત તો ગણાય, પણ એ મહાનતા તો નથી જ. વળી આવો વ્યસન છોડ્યાનો ધમંડ પેલા વ્યસનના વિચારને પ્રજળતો જ રાખશે અને ફરી વાર એ જ વ્યસન આપણું અધ:પતન આણવા મહેમાન બનીને આવ્યા વગર રહેશે નહિ.

(૬) વ્યસનને મનોમન છોડી દેવાના બદલે ઓછામાં ઓછા એકાદ કોઈ આપ્તજનને સાક્ષી રાખો અને પોતાની ડગમગી જવાની સ્થિતિમાં એ તમને હૈયાધારણ આપે તેવી તેને જવાબદારી સોંપો. વ્યસન છોડ્યાનો સાર્વજનિક ઢંઢેરો તો પીટશો જ નહિ, કેમ કે એવા ત્રાહિતોમાંનો તમારા જેવો કોઈ વ્યસની તમને પોતાના તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે.

(૭) જે પ્રકારના વ્યસનમાંથી તમે મુક્ત થયા હો તે પ્રકારના વ્યસનીઓનો સહવાસ છોડી દો અને નિર્વ્યસની માણસો સાથે જ હળવામળવાનું રાખો.

(૮) જ્યારે જ્યારે પણ છોડેલા વ્યસનને ફરી પકડવાનો વિચાર આવે, ત્યારે પોતાના અજ્ઞાત મનને ત્રાહિતની જેમ મનોમન અથવા શાબ્દિક આજ્ઞા (Command) આપો કે એ માર્ગે ફરી પાછા જવાનું નથી.

(૯) વ્યસન છોડ્યા પછીના થોડાક દિવસો સાવધાની માગશે. વ્યસનનો એ વિચાર માથું ઊંચકીને તમને ઢીલા પાડવાની કોશિશ કરે, ત્યારે વિચારોને અન્યત્ર વાળવા; જેમ કે વ્યાયામ કરવો, ચાલવું કે દોડવું, કુદરતી વાતવરણમાં ફરવા જવું, મનોરંજનની પ્રવૃત્તિમાં લાગી જવું, પુસ્તક વાંચવું વગેરે.

(૧૦) વ્યસન છોડ્યા પછી કોઈ શારીરિક તકલીફો ઊભી થાય તો ડોક્ટરની સારવાર લેવી.

(૧૧) વ્યસન છોડ્યા પછીની માનસિક બેચેની અવગણો અથવા એને પડકાર સમજીને એનો મુકાબલો કરો. થોડાક આવા કપરા દિવસો પસાર થયા પછી તમને શારીરિક અને માનસિક ચેતનાનો અનુભવ થશે. તમને ભૂખ લાગશે, ભોજનનો સાચો સ્વાદ અનુભવશો, તમને નવજીવન મળ્યાનો અહેસાસ થશે.

(૧૨) બકરું કાઢતાં ઊંટ ન પેસી જાય, અર્થાત્ તમારું વજન ન વધી જાય તે માટે સલાડ, ફળફળાદિ લેવાનું રાખો.

(૧૩) મિત્રોમાં કે સગાંસંબંધીમાં કોઈ વ્યસની હોય તો તેમને વ્યસન છોડવા માટે સમજાવવાનું રાખો. એ લોકો વ્યસન છોડે કે ન છોડે, પણ અન્યોને શિખામણ આપનાર તરીકે તમારું પોતાનું મનોબળ દૃઢ થશે અને તમે વ્યસનથી હંમેશના માટે દૂર રહેશો.

સમાપને કહેતાં આજના લેખને અગાઉના લેખવાળું ‘પરોપદેશે પાંડિત્યમ્’ વેણ લાગુ નહિ પડે, કેમ કે આ લેખના શીર્ષકમાં જ મેં ‘મારી સાફલ્યકથા’ શબ્દો મૂકી જ દીધા છે. મારા તમાકુત્યાગના સંઘર્ષનો આ દ્વિતીય અને આખરી તબક્કો છે અને એમ જ રહેશે કેમ કે મેં તમાકુને ખરે જ અલવિદા કહી દીધી છે. વાચકો વિચારશે કે લેખકશ્રી એક તરફ વ્યસનમાંથી મુક્ત થનારાઓને તેમણે કોઈ મહાન કાર્ય કર્યું છે એવું ન સમજી બેસવાની સલાહ આપે છે અને પોતે પોતાની સિદ્ધિને ‘સાફલ્યકથા’ તરીકે કેમ ઓળખાવે છે? આનો સીધો જવાબ એ છે કે અગાઉના લેખોમાંનાં શીર્ષકોએ પ્રયોજાયેલો પુનરાવર્તિત શબ્દ ‘શરમકથા’ હવે ભૂતકાળ બન્યો હોઈ તેની સ્થાનપૂર્તિ માટે આ ‘સાફલ્યકથા’ શબ્દ વિનમ્ર ભાવે મુકાયો છે, નહિ કે કોઈ આત્મશ્લાઘાના ભાવ ભાવે.

-વલીભાઈ મુસા

‘તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી શરમકથા!’ ભાગ-૧  

‘તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી શરમકથા!’ ભાગ-૨

 ‘તમાકુત્યાગના પ્રયોગો અથવા સાચે જ મારી શરમકથા!’ ભાગ-૩

‘તમાકુત્યાગના પ્રયોગો અથવા મારું પરોપદેશે પાંડિત્યમ્!’ ભાગ-૪

 

Edit

 
5 Comments

Posted by on March 22, 2016 in લેખ

 

Tags: , , , , , ,

(૫૧૫) તમાકુત્યાગના પ્રયોગો અથવા મારું પરોપદેશે પાંડિત્યમ્! – ૪ (ક્રમશ:)

[આ હળવા લેખમાં તર્ક અને હકીકતનું સંમિશ્રણ છે. લેખનું શીર્ષક સૂચક છે. એ અંગે તર્ક કરવાની દરેક વાચકને છૂટ છે. આ લેખ જનકલ્યાણ અર્થે નિ:સ્વાર્થ ભાવે લખાયો છે એટલું જ હાલમાં તો હું કહીશ!!!]

#  #  #  #  #

એ એક ઝાડ હતું અને એ પણ વળી સફરજનનું જ. તેની નીચે માણસ બેઠો હતો, ખુરશીમાં જ તો; યુરોપિયન દેશોમાં વાણ ભરેલા ખાટલા ન હોય! તેનું નામ ન્યુટન હતું. એ ઝાડ કોઈ પહાડ કે જંગલમાં નહિ હોય, કેમ કે એટલે દૂર સુધી કોઈ બેસવા માટેની ખુરશી ઊંચકીને ન લઈ જાય! આમ માની લેવું પડે કે એ ઝાડ તેના આંગણા કે વરંડાના બગીચામાં હશે કે પછી તેના ફાર્મહાઉસની વાડીમાં. એ ઝાડ ગમે ત્યાં હોય પણ એ ઘટનામાં હોવું જરૂરી હતું. એ ઝાડ સફરજનનું હોવાના બદલે એવા કોઈ વજનદાર ફળનું હોત તો ચાલી શકત, પણ માણસ તો ન્યુટન હોવો જ જરૂરી હતો. ન્યુટન જ એટલા માટે કે એ વિચારશીલ માણસ હતો. એ પાછો મારા જેવો બુઠ્ઠા મગજવાળો માણસ ન હતો. (અહીં જો કે હું ‘મારાતમારા જેવો બુઠ્ઠા મગજવાળો’ એમ લખીને તમને પણ મારી સાથે સાંકળવાનો હતો, પણ હું તમને બક્ષું છું.). એ વૈજ્ઞાનિક ભેજાવાળો માણસ હતો. માત્ર પ્રાથમિક શિક્ષણ પામેલાઓ પણ આ વાત જાણે છે, એટલે એને ખેંચીખેંચીને મારા અને તમારા ભેજાનું દહીં નહિ કરું. વાતની ફલશ્રુતિ ઉપર આવી જાઉં તો તેણે એ ઘટના ઉપરથી ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત શોધી કાઢ્યો. વળી સફરજનનું એ ફળ એણે ખાઈ પણ લીધું હશે, જે તેના માટે અમરફળ પુરવાર થયું અને એ ન્યુટન અમર થઈ ગયો.

સામાન્ય ઘટનાઓ અને તેમને આનુષંગિક તર્કપ્રક્રિયાઓ થકી કેવી કેવી વૈજ્ઞાનિક શોધો થતી હોય છે, નહિ? બીજા જણે વળી ચાની કીટલીના વરાળથી ઊંચાનીચા થતા ઢાંકણ ઉપરથી વરાળની શક્તિનો ક્યાસ કાઢી લીધો અને વરાળ એંજિંન શોધી કાઢ્યું. ત્રીજાએ વળી ફલાણું શોધી કાઢ્યું, ચોથાએ ઢીકણું શોધી કાઢ્યું; તો વળી પાંચમાએ પૂછડું શોધી કાઢ્યું, તો છઠ્ઠાએ બાંડણું! આ બધા બોલીના શબ્દો છે એટલે કદાચ બધા શબ્દોના અર્થ જાણવા ન પણ મળે, માટે શબ્દકોશને આરામની સ્થિતિમાં જ રાખજો. હવે મારે ‘ગલીમેં ગલી’ એવી અંદર આવ્યે જતી હજાર ગલીઓને ગાઈ બતાવવા માટે ઘેલા થયેલા ગાયક જેવી ટાંટિયાખેંચ ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું નથી, એટલે આગળ ગણતરી કરાવ્યા વગર વાતને વીંટો વાળીને આગળ વધું છું. પરંતુ આપ સૌએ એક વાત નોંધવી રહે કે આ બધી મહાન શોધો સામાન્ય ઘટનાઓમાંથી નિપજી છે. ઘટનાઓ ભલે સામાન્ય હતી; પણ એ ઘટનાઓના સાક્ષી અસામાન્ય હતા, તેમના તર્ક પણ અસામાન્ય હતા.

આપણે બોલચાલમાં ‘તર્ક નહિ તો તુક્કો’ શબ્દો પ્રયોજતા હોઈએ છીએ અને આ શબ્દોનું અર્થઘટન સમજવા  કોઈ તર્ક કે તુક્કો લડાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, કેમ કે તેમાંનો અર્થબોધ સ્વયં સ્પષ્ટ અને સ્વયંસિદ્ધ છે. તર્કમાં ગંભીરતા હોય છે, ઊંડાણ હોય છે, ઔચિત્ય હોય છે, પરિણામલક્ષિતા હોય છે, તેમાં કંઈક તથ્ય હોય છે, તેમાં ક્રમિકતા હોય છે; જ્યારે તુક્કો અગંભીર, છીછરો, અનુચિત, પરિણામવિહીન, ક્ષુલ્લક અને આડેધડ વિહરનારો હોય છે. તર્ક કરવા માટે અક્ષમ માણસ તુક્કા લડાવતો હોય છે, જે હાસ્યાસ્પદ બની રહે છે અને કોઈ પરિણામ પ્રાપ્ત થતું નથી હોતું. વૈજ્ઞાનિક શોધો એ તર્કની પેદાશ હોય છે, નહિ કે તુક્કાઓની! આમ છતાંય તુક્કાને ઉતારી પાડી શકાય નહિ, કેમ કે તુક્કા લડાવતાં લડાવતાં કોઈકવાર તર્ક હસ્તગત થઈ જતો પણ હોય છે. આમ તુક્કાને તર્કનો જનક ગણવો પડે. જનક એટલે બાપ, હોં કે !.

જગતભરના દેશોમાં વિવિધ વિદ્યાશાખાઓમાં સંશોધનો ચાલ્યા કરે છે અને હજારો લાખો સંશોધન વૈજ્ઞાનિકો દિવસરાત કામ કરતા હોય છે. જે તે દેશોની સરકારો અવનવાં સંશોધનો માટે અઢળક નાણાંની ફાળવણી પણ કરતી હોય છે. મને પણ આવા સંશોધક થવાના અભરખા જાગ્યા હતા, પણ કોલેજનાં પગથિયાં નહિ જોયેલા એવા મને એ સંશોધન કેન્દ્રોવાળા પટાવાળા તરીકે પણ રાખે નહિ. આ વાત મારે સમજી લેવી જોઈએ અને હું સમજી પણ ગયો, કેમ કે હું થોડોક સમજદાર હતો ને! હવે મારા માટે એક જ વિકલ્પ બાકી રહેતો હતો કે મારે અંગત રીતે કોઈક સંશોધનકાર્ય કરવું. વળી સંશોધન એવું હાથ ધરવું કે જેમાં ખાસ કંઈ  ખર્ચ હોય નહિ, કોઈ મોંઘી સાધનસામગ્રી કે મશિનરીની જરૂર પડે નહિ; કે પછી કોઈ કાચી કે પાકી પ્રયોગશાળા પણ બાંધવી પડે નહિ. સંશોધન માટે તર્ક દ્વારા સંશોધનનો વિષય મળી રહે અને મગજ એ મારી પ્રયોગશાળા બને. આમ આવા ઝીરો બજેટથી મેં મારું કામ શરૂ કરવાનું વિચાર્યું.

મેં હમણાં કહ્યું ને કે સર્વપ્રથમ મારે સંશોધનનો કોઈ વિષય મેળવવા માટે તર્ક લડાવવો પડે અને એ માટે મેં ખૂબ મથામણ કરી, પણ મને ઠોસ એવો કોઈ તર્ક લાધ્યો નહિ. છેવટે એમ વિચાર આવ્યો કે મારે મારી પોતાની તર્કશક્તિને વેડફી નાખવાના બદલે અન્ય કોઈના તર્કનો સીધો લાભ લઈને સંશોધન માટેનો વિષય મેળવી લેવો અને પછી મારે એ જ તર્કને આગળ વધારતા રહેવું. સંશોધનો માટેના આવા તર્કો પ્રારંભે હાસ્યાસ્પદ લાગતા હોય છે અને તેથી સ્વાભાવિક છે કે કોઈ આપણી માગણી સામે સ્વમુખે પોતાનો તર્ક રજૂ કરે નહિ. પછી તો મેં આંખ અને કાન ખુલ્લાં રાખીને મિત્રો વચ્ચે બેસવાનું શરૂ કર્યું.

અમારા મિત્રમંડળમાં કોઈને દારૂ કે એવા ઘાતક પદાર્થોના સેવનનું વ્યસન નહિ; પણ હા, એક મિત્ર હતો જે તમાકુ ચાવવાનો વ્યસની હતો. બીજા મિત્રોને અને મને એના આ વ્યસનની સૂગ ન હતી, પણ અમારામાં એક જણ એવો હતો કે જે પેલાનું તમાકુનું વ્યસન છોડાવી દેવા માટે હંમેશાં તેના મગજની નસો ખેંચ્યે જતો હતો. એકવાર તેણે અમારી રાત્રિબેઠકમાં પેલાને આક્રોશમય અવાજે કહ્યું કે ‘તમાકુ તો ગધેડાં પણ ખાતાં નથી!’ અને હું ઝબકી ઊઠ્યો. મને મારા સંશોધનનો વિષય મળી ગયો  હતો અને મેં કામ હોવાનું બહાનું બતાવીને એ લોકોને છોડીને હું ઘરે પહોંચી ગયો. મારા સંશોધનના પ્રારંભની એ પહેલી રાત્રિ  હતી. મેં પેલા ન્યુટનના ‘સફરજન નીચે જ પડ્યું અને ઉપર કેમ ન ગયું’ એવા તર્કની જેમ ગધેડા અને તમાકુને સંલગ્ન મારો તર્ક લડાવવાનું શરૂ કર્યું. અચાનક પ્રાથમિક શિક્ષણ વખતની કોઈક કવિતાની એક લીટી યાદ આવી ગઈ : ‘સક્કરખોરનું સાકર જીવન, ખરના પ્રાણ જ હરે’. આનો અર્થ સમજતાં લાગ્યું કે જેમ સાકર ખાવાથી ગધેડું તરત જ મરી જાય, તેમ મારા મિત્રના કહેવા મુજબ તમાકુ ખાવાથી પણ ગધેડું તત્કાલ મરી જતું હશે અને તેથી જ તે તમાકુ ખાતું નહિ હોય. આનો મતલબ એમ થાય કે સાકર અને તમાકુ બંને ગધેડા માટે ઝેર સમાન હોવાં જોઈએ.

મારો તર્ક પાણીના રેલાની જેમ આગળ વધવા માંડ્યો. સાકર અને તમાકુથી ગધેડું મરે, પણ માણસ મરે નહિ અને મરે તોયે તરત જ મરે નહિ, કેમ કે તે માણસ માટે હળવું ઝેર રહેતું હશે. આ હળવું ઝેર લાંબા ગાળે માણસને મધુપ્રમેહ કે કેન્સરની બિમારીમાં અવશ્ય સપડાવે અને છેવટે તો તે મરે જ. પરંતુ મારે તો  માણસ વિષે વિચારવાનું છે જ નહિ, કારણ કે એ તો વિષયાંતર થયું ગણાય. વળી અન્ય પ્રાણીજગતની તુલનાએ આજકાલ તેમનાથી પણ બદતર થતા જતા માનવી વિષે તો શાનું વિચારવાનું જ હોય!  મારે તો ગધેડા વિષે જ વિચારવાનું છે, નહિ કે માણસ વિષે; પછી ભલે ને તે માણસ ગધેડા જેવો કેમ ન હોય!

હવે આપણે તમાકુ અને/અથવા સાકરથી ગધેડું મરે એમ માનીએ એ પહેલાં એક શંકા ઊઠાવવી પડે કે એ પ્રાણીનું કલેજું શું શરીરમાંથી બહાર નીકળીને ક્યાંય ચરવા જતું રહેતું હશે! સૌના ભણવામાં આવ્યું જ છે કે મનુષ્ય કે પ્રાણીમાત્રના શરીરના આંતરિક અવયવોમાં કલેજું વિષશોષક છે. એ પોતે બિચારું ટુકડેટુકડા ન થઈ જાય ત્યાં સુધી એ ઝેરને શોષી લઈને એ પ્રાણીના જીવને બચાવી લેવાનો પ્રયત્ન કરે છે. આત્મહત્યા કરનારાઓનું પોસ્ટમોર્ટમ થાય ત્યારે મરનારનું કલેજું તપાસવામાં આવતું હોય છે જેથી ઝેરના કારણે મૃત્યુ થયું છે નહિ તે નક્કી થાય. જોયું? મારો તર્ક પણ ગધેડું જેમ સીધું ન ચાલે તેમ આડોઅવળો ફંટાતો જાય છે, માટે મારે મારા તર્ક આગળ ગાજર લટકાવવું પડશે. લ્યો ત્યારે, મારા તર્ક આગળ ગાજર ધરીને હું ગધેડા અને તમાકુ; અથવા ગધેડા અને સાકરનાં પરસ્પર બાપે માર્યાં વેર જેવા મુદ્દાને ડચકારીને આગળ હંકારું.

વૈજ્ઞાનિક સંશોધનમાં જેમ ચોકસાઈ અતિ આવશ્યક ગણાય છે તેમ મારું પણ આ તર્કવિજ્ઞાન છે એટલે તમને ચોકસાઈ હેઠળ કહેવું પડશે કે અગાઉ સાકર કહેવાયું છે એટલે કોઈએ તેને માત્ર ગાંગડાવાળી સાકર જ એમ સમજી લેવાનું નથી, ખાંડને પણ સાકર ગણવી પડે. ખાંડ અને સાકર જોડિયા બહેનો જ ગણાય. બસ એમ જ, તમાકુ સેવનના પણ અનેક પ્રકાર છે અને તે સઘળાયને તમાકુ હેઠળ જ ગણવા પડે. હવે આપણે મૂળ મુદ્દે આવીએ તો ઝેરની માત્રા વધી જાય ત્યારે જ તે ઘાતક નીવડે. એટલે જ તો પેલું કલેજું શરીરમાંથી બહાર નીકળી જઈને ક્યાંય ચરવા નહિ, પણ શરીરની અંદર જ રહીને બહાદુર યોદ્ધાની જેમ મરવા માટે તત્પર રહેતું હોય છે.

વચ્ચે એક વાત જણાવી દઉં કે હવે હું માત્ર તમાકુ અંગેની ચર્ચા કરીશ અને સાકર કે ખાંડને ટાળીશ. બંનેમાં ઝેર હોવાની વાત સાબિત થઈ જ રહી છે ત્યારે એનાં તારણો બંનેને સરખાં લાગુ પડશે જ. જો કે સાકર/ખાંડને કીડીમંકોડાઓ સાથે ઘનિષ્ઠ સંબંધ કેમ છે અને એ જીવોને મધુપ્રમેહ થતો હશે કે કેમ તે અલગ ચર્ચાનો વિષય હોઈ આપણે એ મુદ્દાને અભરાઈએ મૂકીને હાલ તો કામનું જ વિચારીએ. સાકર કે ખાંડને સફેદ ઝેર ગણવામાં આવે છે અને આવા સફેદ ઝેરમાં મીઠા અને સોડાનો પણ સુમાર થતો હોય છે. ગુજરાતીમાં આ મતલબનું એક જોડકણું પણ છે કે “ખાંડ, મીઠું અને સોડા એ સફેદ ત્રણ ઝેર કહેવાય, નિત ખાવા પીવામાં એ વિવેક બુદ્ધિથી જ લેવાય.”

બ્રહ્માંડના ગ્રહો ગોળગોળ ફર્યે જતા હોય છે, પણ પોતાની ધરીને જાળવી રાખતા હોય છે. આપણે જમીન ઉપર બે પગ રહે તેટલી જગ્યાનું કૂંડાળું દોરીને તેમાં ઊભા રહીને ફૂદડી ફરવા માંડીએ તો થોડી જ વારમાં કૂંડાળા બહાર નીકળી જતા હોઈએ છીએ. બસ, આવું જ મારે અહીં થઈ રહ્યું છે કે થઈ જાય છે. આ સંશોધનની મુખ્ય ધરી તમાકુ છે અને એ ધરીને આમ વચ્ચે વચ્ચે છોડી દેવી એ તર્કવિજ્ઞાનના સિદ્ધાંતો પ્રમાણે અતાર્કિક હોઈ આપ વાચકોની માફી માગીને હવે તમાકુના મુદ્દે જ વળગી રહેવાની ખાત્રી સાથે આગળ વધીશ.

મારા મિત્ર દ્વારા બોલાયેલા વાક્ય ‘તમાકુ તો ગધેડાં પણ ખાતાં નથી.’માંનો ‘પણ’ શબ્દ એ સૂચવે છે કે બીજાં પ્રાણીઓ પણ તમાકુ નહિ ખાતાં હોય, કેમકે તમાકુનાં ખેતરોને વાડ હોતી નથી. અહીં ગધેડાના ‘પણ’ સાથેના ઉલ્લેખથી અન્ય પ્રાણીઓની સરખામણીએ તે કંઈક અપ્રિય કે તિરસ્કૃત છે તેવું દર્શાવીને કહેવાવાળાએ તમાકુના વ્યસનીઓને મહેણું માર્યું લાગે છે કે “ફટ્  ભૂંડાઓ, ઢાંકણીમાં પાણી લઈને; નહિ તો છેવટે હથેળીમાં પાણી લઈને અને તેમાં નાક ડુબાડીને મરી જાઓ, કેમ કે ‘તમાકુ તો ગધેડાં પણ ખાતાં નથી!’”

સંયુક્ત રાષ્ટ્રસંઘ (UNO) દ્વારા દર વર્ષે ૩૧મી મેના દિવસને ‘ વિશ્વ તમાકુ વિરોધી દિન’ (No Tobacco Day) તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. અગાઉ વિષયાંતર ન થવા દેવાની ખાત્રીને પળભર ભૂલી જઈને તમને પૂછવાનું મન થાય છે કે આમ ને આમ યુનોવાળા વર્ષના બધા જ  દિવસોને કોઈક ને કોઈક દિન તરીકે જાહેર કરતા જશે, તો ત્યાર પછી રાત્રિઓનો વારો આવશે કે શું? વિશ્વમાં એટલી બધી સમસ્યાઓ વધતી જાય છે કે વર્ષની બધી જ રાત્રિઓ પણ પૂરી થયેથી કદાચ એવું પણ ન બને કે વર્ષના કોઈ એક દિવસ કે રાત્રિને બેત્રણ વિષયો સાથે સાંકળવામાં આવે? આ તો જરા એક વાત થઈ.

વિશ્વભરમાં ઉજવાતા ‘તમાકુ વિરોધી દિન’ની ઉજવણીના અનુસંધાને કેટલાક દેશો તમાકુના વાવેતર ઉપર જ પ્રતિબંધ મૂકવાનું વિચારી રહ્યા છે. તા. ૧૯૧૦૧૪ના એક ગુજરાતી અખબારના સમાચાર મુજબ આપણી ભારત સરકાર પણ આ દિશામાં વિચારતી થઈ હતી, પણ ખેડૂતોનાં આંદોલનોના ભય હેઠળ એ વિચાર કોરાણે મુકાઈ ગયો હોય તેમ લાગે છે. વાત પણ સાચી છે કે એક તરફ ખેડૂતો દેવામાં ડૂબતા જઈને આત્મહત્યા કરતા હોય, ત્યારે વધુ નફો આપતા તમાકુના વાવેતર ઉપર પ્રતિબંધ મૂકવો તે તો એમ થવા જેવું ન થાય કે કોઈને આપણે તેના હાથપગ બાંધીને તરવાનું કહીએ! હા, એ બની શકે કે તમાકુ કરતાં પણ વધુ આવક મેળવી આપતા પાકો માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવે અને તેમને શક્ય તેટલી તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે. વળી જનજાગૃતિ સિવાય માત્ર કાયદાઓ ઘડ્યે જવાથી ધાર્યું પરિણામ ન જ આવી શકે. આપણા ગુજરાતમાં ૨૦૧૪ના વર્ષમાં સિદ્ધપુર તાલુકાના વરસીલા ગામમાં અંદાજે ૬૦૦ વીઘા જમીનમાં તમાકુની ખેતી કરતા ૧૧૦ ખેડૂતોએ તમાકુની ખેતી ન કરવાનો તમાકુ નિષેધ દિને જ સંકલ્પ કર્યો હતો, જેના પ્રણેતા ગુજરાત કૃષિ એવોર્ડ વિજેતા શ્રી ઈસ્માઈલભાઈ શેરૂ હતા અને તેમની પડખે સરપંચશ્રી જનકભાઈ રાજપૂત હતા.

જો કે આ જનજાગૃતિનો ખ્યાલ પણ ભ્રામક જ છે, કેમ કે કોઈ એક જગ્યાએ જન જાગે તો બીજી જગ્યાએ જન ઊંઘે એવું પણ બને! તા.૦૬૦૨૧૫ના એક સમાચારપત્ર મુજબ હારીજ તાલુકામાં નર્મદા નદીનાં પાણી કેનાલો મારફતે ફરતાં થતાં ખેડૂતો વધુ ઉત્પાદન અને ઓછા ખર્ચવાળી ખેતી તરફ વળી ગયા છે. હારિજ તાલુકાના એ ખેડૂતોએ છેલ્લાં દસ વર્ષની સરખામણીએ પુષ્કળ પ્રમાણમાં તમાકુની ખેતી કરી છે, જેની જમીન ૭૧૦ હેક્ટર જેટલી થાય છે. માની લો કે તમાકુના વાવેતર ઉપર પ્રતિબંધનો કાયદો અસ્તિત્વમાં આવ્યો, પણ એ તો ‘ખાળે ડૂચા અને દરવાજા ઊઘાડા’ જેવું જ બની રહે. કેફી દ્રવ્યોના માફિયાઓને અન્ય દેશોમાંથી તમાકુ અને તમાકુનાં ઉત્પાદનોની દાણચોરી માટેનું આપણા દેશનું મોટું બજાર મળી રહે.

તમાકુના આ દૈત્યને નાથવાનો એક જ માર્ગ બાકી રહે છે કે તમાકુના ઉપભોક્તાઓને જ તેના સેવનથી દૂર કરવા. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આંકડાઓ મુજબ દુનિયામાં દર વર્ષે ૬૦ લાખ લોકો તમાકુના સેવનથી મૃત્યુ પામે છે. તમાકુના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને ચીન છે, તો બીજા સ્થાને આપણે છીએ. જો કોઈ વાચકને આ બીજા સ્થાનથી દુ:ખની લાગણી થતી હશે તો મારા માનવા મુજબ તેમને સાંત્વના એ રીતે મળી રહેવી જોઈએ કે પેલા ૬૦ લાખ મરનારાઓમાં છઠ્ઠા ભાગે એટલે કે ૧૦ લાખ આપણે ભારતીઓ છીએ અને આમ આપણે પ્રથમ સ્થાને છીએ! તમાકુના ઉપભોક્તાઓ તો કેટલા લાખ કરોડ રૂપિયા તમાકુવાળાં પાન, ગુટકા, બીડીસિગારેટ કે છીંકણી પાછળ ખર્ચતા હશે તેનો આપણે હિસાબ કરવાની જરૂર નથી, કેમ કે તે એમનાં ખિસ્સાંમાંથી ખર્ચાય છે; પરંતુ ભારત સરકાર તો એ લોકોની સારવાર પાછળ વર્ષે ૧.૫ લાખ કરોડ રૂપિયા બરબાદ કરે છે. તમાકુના સેવનથી મૃત્યુ પામનારા લોકોમાંના ૮૦ ટકા લોકો ગરીબ દેશોના હોય છે. ભારતમાં ૩૫% લોકો તમાકુનું સેવન કરે છે અને તે પણ દિનપ્રતિદિન વધતું જાય છે.

પરંતુ આ બધું જાણ્યા-જણાવ્યા પછી હું તમને પૂછું છું કે શા માટે માણસ વિવિધ રૂપે તમાકુ ખાય છે, વિવિધ રીતે તેનું ધૂમ્રપાન કરે છે અને એક જ રીતે એટલે કે નાસિકા દ્વારા તેને સૂંઘે છે? આ પ્રશ્નનો સીધોસટ જવાબ તમારા વતી હું જ આપી દઉં કે ‘માણસ એ માણસ છે, એ ગધેડો-ડી-ડું નથી!!!’

સુજ્ઞ વાચકો, હું મારા લેખના સમાપનના આરે પહોંચી રહ્યો છું અને આપને યાદ અપાવું કે મેં કહ્યું તો હતું કે હું તર્કવિજ્ઞાનની દિશામાં વિચારી રહ્યો છું. પરંતુ આપ, મેં આંકડાકીય જે કંઈ માહિતી રજૂ કરી છે, તેને તર્ક ન સમજી બેસતા! વળી આ કોઈ સંશોધન છે એમ પણ ન માની લેતા. હું તો આને વીજાણુ માધ્યમે થતી ‘ખણખોદ’ જ ગણું છું. ગૂગલ મહારાજની મફતિયા સેવાઓએ મારાં નાણાં બચાવ્યાં, તો જૂનાપુરાણા કમ્પ્યુટરે મારા તર્કવિજ્ઞાનના સાધન કે મશિન તરીકેનો સાથ આપ્યો, તો વળી મારા વર્કીંગ ટેબલે કે મારા શયનખંડે પ્રયોગશાળાની ગરજ સારી. આ સઘળું મારા માટે પહેલેથી જ ઉપલબ્ધ હતું એટલે આ લેખ પૂરતી ‘ખણખોદ’ ઝીરો બજેટથી જ થઈ ગણાય એમ હું માનું છું, પણ એમ તમને મનાવવાનો લેશમાત્ર પ્રયત્ન તો હું નહિ જ કરું.

-વલીભાઈ મુસા

ઋણસ્વીકાર: નેટમાધ્યમે ગૂગલ સર્ચ દ્વારા પ્રાપ્ત થયેલા અગ્રગણ્ય અખબારો જેવાં કે દિવ્ય ભાસ્કર, સંદેશ વગેરેના લેખો

નોંધ :-

સુજ્ઞ વાચકોને ભલામણ કરવામાં આવે છે કે તમાકુશ્રેણીમાંના મારા નીચે દર્શાવેલા ત્રણ લેખો પણ તેઓ ક્રમસર અચૂક વાંચે. એમાય વળી ‘તમાકુત્યાગના પ્રયોગો અથવા સાચે જ મારી શરમકથા!’ ભાગ-૩ને તો અવશ્ય વાંચે કેમ કે તેમાં તમાકુમુક્તિની જાળ રચતા આ લેખક કરોળિયાની ફરી ભોંય ઉપર પટકાઈ ગયાની દાસ્તાન છે. તમાકુશ્રેણીના અત્રે મુકાયેલા  ‘તમાકુત્યાગના પ્રયોગો અથવા મારું પરોપદેશે પાંડિત્યમ્!’ ભાગ – ૪ પછી વળી પાછો એક પાંચમો લેખ આપવાની મારી મહેચ્છા છે, જેનું શીર્ષક હશે ‘તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી સાફલ્યકથા!’. આ પાંચમો લેખ એ મારો તમાકુ શ્રેણીનો આખરી લેખ હશે અને હું આશાવાદી છું કે આમ કંઈ વારંવાર શરમકથા અને સાફલ્યકથા એવા બદલાતા શબ્દોએ મારા માટે તમાકુ અંગે લખવાની આગળ ઉપર કોઈ નોબત નહિ આવે, કેમ કે ત્યારે હું મિત્રો અને કુટુંબીજનો સામે તમાકુને અલવિદા કહીને ઊંચી ગ્રીવાએ જોઈ શકવાની સ્થિતિમાં હોઈશ એવો મારો હાલ પૂરતો તો તાર્કિક ખ્યાલ છે!

‘તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી શરમકથા!’ ભાગ-૧  

‘તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી શરમકથા!’ ભાગ-૨

 ‘તમાકુત્યાગના પ્રયોગો અથવા સાચે જ મારી શરમકથા!’ ભાગ-૩

‘તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી સાફલ્યકથા!’ ભાગ-૫ (સંપૂર્ણ)

 
1 Comment

Posted by on March 19, 2016 in લેખ

 

Tags: , , , , , , , , , ,

(૫૧૪) તમાકુત્યાગના પ્રયોગો અથવા સાચે જ મારી શરમકથા! – ૩ (ક્રમશ:)

મારો આત્મલક્ષી આ તૃતીય લેખ અનેકાનેક વ્યસનમુક્તિ માટે સંઘર્ષ કરતા વ્યસનીઓની માનવસહજ હાલકડોલક નિર્ણયશક્તિના કારણે મળતી નિષ્ફળતાને ઉજાગર કરશે. સમાજના રીઢા અપરાધીઓ કાયદાની પકડમાં આવે, ત્યારે પોતાના અપરાધની કબૂલાત કરતા નથી હોતા અને ઊલટાના એમ માનતા હોય છે કે ‘અપરાધ કબૂલ કરવો એ જ મોટો અપરાધ છે.!’(Confession is the greatest crime). આવા સામાજિક અપરાધીઓ અને વ્યસનીઓ વચ્ચે પાયાનો ફરક એ રહેતો હોય છે કે પેલા અપરાધીઓ તો અન્યોને સંતાપતા હોય છે, જ્યારે વ્યસની તો પોતાની જાતને જ હાનિ પહોંચાડતા હોય છે. પેલા અપરાધીઓ કબૂલાતથી દૂર ભાગે છે, વ્યસની પોતાના દોષનો સ્વીકાર કરે છે અને પસ્તાય છે; પરંતુ એ પસ્તાવાથી વિશેષ કશુંય કરી શકતો નથી હોતો! આમ છતાંય બડભાગી કોઈક વીરલો વ્યસનને કોઈકવાર મહાત કરીને વિજય તો મેળવી લે છે, પણ ઘણા કિસ્સાઓમાં સમય જતાં એ વિજય તકલાદી પુરવાર થતો હોય છે અને વળી પાછી એ વ્યસન સાથેની તેમની દોસ્તી જામીને પાકી થઈ જતી હોય છે.

મારા કિસ્સામાં પણ આમ જ બન્યું હતું. ત્રેપન ત્રેપન વર્ષની અવિરત એવી મારી તમાકુસેવનની બૂરી આદતનો અંત આવ્યો હતો અને ભારતના આઝાદીદિન તા.૧૫-૦૮-૨૦૧0ની મધ્યરાત્રિના બરાબર બારના ટકોરે હું પણ મારી તમાકુની ગુલામીને ફગાવી ચૂક્યો હતો. આ વખતના મારા સંકલ્પને સફળ થવા માટેના સંજોગો અનુકૂળ હતા, કેમ કે એકાદ અઠવાડિયામાં મારા હૃદયની સારવાર થવાની હતી. મેં વિચાર્યું હતું કે સાપ જેમ દરમાં સીધો થાય તેમ મારે દવાખાને સીધા થવાનું જ હતું, તો ઘરેથી સીધા થઈને જ કેમ ન જવું! વળી મેં મારા ઉપર મારું સ્વૈચ્છિક મનોવૈજ્ઞાનિક દબાણ એવી રીતે મૂક્યું હતું કે મેં મારા બ્લોગ ઉપર મારા તમાકુત્યાગના પરાક્રમનો જાણીજોઈને ઢંઢેરો પીટી નાખ્યો હતો. અગાઉ અનેકવાર મેં તમાકુત્યાગના પ્રયત્નો કર્યા હતા, પણ એ બધા મારા પૂરતા ખાનગી રહ્યા હતા; ‘મનમાં પરણવું અને મનમાં રંડાવું’ પ્રકારના જ તો વળી! ચાર જ દિવસ પછી તા.૧૯-૦૮-૨૦૧૦ના રોજ તાકીદના ધોરણે મારી બાયપાસ સર્જરી થઈ. મારી કટોકટીજનક સ્થિતિના કારણે છ દિવસ સુધીની આઈ.સી.યુ.ની મારી નજરકેદ પછી મારા રૂમમાં મને ખસેડવામાં આવ્યો; ત્યારે મેડિકેશનના કારણે જ્યાં મને પીવાનું પાણી કે ખાવાનું પણ બેસ્વાદ લાગતું હતું, ત્યાં તમાકુ ચાવવાનો વિચાર સુદ્ધાં પણ ક્યાંથી આવે! દવાઓની આ આડઅસર એકાદ મહિના સુધી રહી, જે મારા માટે લાભદાયી પુરવાર થઈ અને મારા પોતાના માન્યામાં ન આવે તેવી તમાકુત્યાગની અકલ્પ્ય સિદ્ધિ મને પ્રાપ્ત થઈ.

પછી તો તમાકુસેવનના નશાથી પણ બલવત્તર એવો તમાકુત્યાગનો નશો મારા દિલોદિમાગ ઉપર એવો છવાઈ ગયો કે હું પૂરાં ત્રણ વર્ષ અને બે માસ સુધી કોઈપણ જાતના માનસિક દબાણ વગર તમાકુથી વિમુખ રહી શક્યો. પરંતુ હું જાણીજોઈને ‘ખેલ ખેલમેં’ તા.૧૧-૧૦-૨૦૧૩ ના રોજ ભેંશનાં શિંગડાંમાં ફરી મારા પગ ભરાવી બેઠો. એ દિવસ મારી દીકરીનો જન્મદિવસ હતો અને મેં  સ્વર્ગીય આનંદ માણવાની અનુભૂતિ સાથે લાંબા વિરામ બાદ મારાં ગલોફાંમાં પહેલીવાર તમાકુનો માવોમસાલો ભરીને તેને મારા મોબાઈલ ઉપરથી અધ્યાહાર SMS કરી દીધો, આ શબ્દોમાં કે ‘I have celebrated your birthday in my own way.’. એ બિચારીએ વળતો ફોન કરીને ‘કેવી રીતે ઊજવી’નો ખુલાસો માગ્યો, ત્યારે મેં એને લબડાવતાં કહ્યું હતું કે ‘સમય આવ્યે કહીશ’ અને એ સમય આવ્યો આઠેક મહિના પછી જ્યારે કે મારાં શ્રીમતીએ મને લપાતાંછુપાતાં તમાકુ ચાવતાં પકડી પાડ્યો હતો. સ્વાભાવિક જ છે કે માદીકરી વચ્ચે આવા કૌટુંબિક સનસનીખેજ સમાચારની આપલે થયા વગર રહે જ નહિ ને!

મારા તમાકુસેવનના ત્રણ વર્ષ અને બે માસના સન્યાસ પછી પુન: શરૂ થયેલી નઠારી આ ટેવનો મારો કબૂલાતનામાનો આ લેખ લખાઈ રહ્યો છે, ત્યારે બે વર્ષ અને પાંચ માસ પૂરા થઈ ચૂક્યા છે. મારાં આપ્તજનો અને મિત્રો-સ્નેહીઓ કે જે મને દિલોજાનથી ચાહે છે અને એવા કોઈ મારા જેવા તમાકુના બંધાણીઓ કે જેમણે કદાચ મારું ઉદાહરણ લઈને વ્યસનત્યાગ કર્યો હશે એ સઘળાને દુ:ખ થવા સાથે એક પ્રશ્ન પણ સતાવતો હશે કે મારે આમ કેમ કરવું પડ્યું હશે? મેં ઉપર ‘જાણીજોઈને’ શબ્દ સાથે ‘ભેંશનાં શિંગડાંમાં પગ ભરાવી બેઠો’ની જે વાત સહજ રીતે જણાવી દીધી છે તેને કંઈ ખુલાસો ન કહી શકાય તે હું સમજી શકું છું. ‘જાણીજોઈને’ શબ્દ સાથે સંકળાયેલા બે પ્રશ્નો – ‘શું જાણીને?’ અને ‘શું જોઈને?’ – અનુત્તર જ ઊભા રહે છે. આ પ્રશ્નોનો મારી પાસે કોઈ જવાબ નથી અને કોઈપણ વ્યસનમાં ગળાડૂબ હોય એવા કોઈપણ વ્યસની પાસે આવા પ્રશ્નોના જવાબ હોઈ શકે નહિ.

વળી કદાચ માનો કે આવા પ્રશ્નોના જવાબ અપાય તો તે સ્વબચાવ (Defense mechanism) માટેના જ હોવાના અને પ્રશ્નકર્તાને કદીય એવા જવાબોથી સંતોષ ન થાય એ પણ એક હકીકત છે. આમ છતાંય મેં જ જ્યારે આ સવાલો ઊભા કર્યા છે, ત્યારે મારે એના જવાબો આપવા જ રહ્યા અને એ બંને પ્રશ્નોનો મારો એક જ જવાબ છે ‘મારી માનસિક નિર્બળતા!’. મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આપ સૌ વાચકો સમજી શકશો અને હું પોતે પણ સમજી શકું છું કે મેં જે તમાકુત્યાગ કર્યો હતો તે દિલથી નહિ, પણ મજબૂરીથી કર્યો હતો. જે માણસ પોતાને વ્યસન ક્યારથી વળગ્યું તે જાણે છે, એ વ્યસન કેટલા સમય સુધી રહ્યું એ પણ તે જાણે છે; એ માણસ કયા દિવસથી વ્યસનનો ત્યાગ કર્યો તેની નિશ્ચિત તારીખ યાદ રાખે છે, કેટલાં વર્ષ અને ઉપર કેટલા માસ સુધી પોતે વ્યસનમુક્ત રહ્યો તેનો હિસાબ પણ તેની પાસે છે. વળી ફરી વ્યસન શરૂ કર્યા પછી હાલ સુધીમાં કેટલો સમયગાળો વ્યતીત થયો છે તેની પણ વેપારીનામાની જેમ તેને ખબર છે. આ સઘળું બતાવી આપે છે કે તેના માનસપટમાંથી તમાકુ સદંતર ભુંસાઈ નથી. અંગારા ઉપર રાખ વળેલી હોય, પણ અંદર અગ્નિ પ્રજળતો જ હોય તેવી આ વાત થઈ ગણાય. વ્યસનના ભોગ બનવું એટલે એક પ્રકારની સાધ્યદુષ્કર માનસિક બિમારીને નોંતરવી અને એ બિમારીનો ઈલાજ જડમૂળથી ન થાય તો ફરી ઉથલો મારે જ એ હકીકતને સ્વીકારવી જ રહી.

કોઈ વાચક વળી મારા આ લેખના ફલિતાર્થને જાણવા માટેનો સવાલ ઊઠાવે તો હું એટલું જ કહી શકું એમ છું કે લેખના શીર્ષક મુજબ મારા પોતાના માટે તો આ સાચે જ શરમકથા છે, પણ વ્યસનત્યાગ માટેની મારી મથામણ અને અંતે મને મળતી નિષ્ફળતા અન્ય એવા વ્યસનમુક્ત લોકો માટે દાખલારૂપ બની શકે કે કદી કોઈએ આવાં ઝેરનાં પારખાં કરવાનો વિચાર સુદ્ધાં પણ કરવો જોઈએ નહિ. પેટ ચોળીને શૂળ ઊભું કર્યા પછી તેના ઈલાજ માટે ફાંફાં મારવા કરતાં શૂળ ઊભું જ ન કરવું એમાં જ શાણપણ છે. આજનો યુવાવર્ગ તંદુરસ્તીને હાનિકારક એવાં વ્યસનોથી દૂર રહે એમાં જ એની ભલાઈ છે.

-વલીભાઈ મુસા

નોંધ :- (217) તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી શરમકથા – ૧ માટે અહીં ક્લિક કરો

           (218) તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી શરમકથા – ૨ માટે અહીં ક્લિક કરો.

           (૫૧૫) તમાકુત્યાગના પ્રયોગો અથવા મારું પરોપદેશે પાંડિત્યમ્ – ૪ માટે અહીં ક્લિક કરો.

           (૫૧૬)  તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી સાફલ્યકથા –  ૫ માટે અહીં ક્લિક કરો.

 

 
4 Comments

Posted by on March 15, 2016 in લેખ

 

Tags: , , , , , , ,

(૩૩૦) હળવા મિજાજે (પ્રસ્તાવના) – જુગલકિશોર વ્યાસ (૩)

(૩૩૦) હળવા મિજાજે (પ્રસ્તાવના) – જુગલકિશોર વ્યાસ (૩)

વલીભાઈની કેટલીક લવલી વાતો ! – જુગલકીશોર

કોઈના પુસ્તકની પ્રસ્તાવના લખવી તે સહેલી વાત નથી. એમાંય તે હળવા નીબંધોના પુસ્તકની પ્રસ્તાવના તો જોખમી જ ગણાય. પ્રસ્તાવના લખવાનું ગંભીર કાર્ય હળવા લેખો માટે હોય તોય શું થઈ ગયું, લખવાનું તો ગંભીરતાથી જ ને ! જો ‘હળવાશ’થી લખીએ તો પ્રસ્તાવનાની ગંભીરતા હણાય છે, ને જો ગંભીરતાથી લખીએ તો કોઈ જરુર કહેવાનું કે, “માથું દુખાડીને આ પ્રસ્તાવના લખનારે બીચાડા લેખકના હળવા નીબંધોની હવા કાઢી નાખી !”

આમ તો વલીભાઈ સાથે સીધો સંબંધ નહોતો. ધરતી પરથી તેઓએ ઈન્ટરનેટ પર ઉતરાણ (આમ તો ચડાણ) કર્યું ત્યારે એમણે પોતાનું ગાડું હાઈકુથી હાંઈક્યું હતું. આ હાઈકુમાંના સત્તર અક્ષરોમાં પછી તેઓ સમાયા નહીં ને જગ્યા સાંકડી પડી એટલે એમણે એમના ધોધમાર વાચનને એક પછી એક લેખોમાં વાળવા માંડ્યું…સારું થયું કે મારે ભાગે તો આ ‘હળવા’ લેખો આવ્યા, નહીંતર એમના પેટાવેલા ત્સુનામી (સું નામે બોલાવીશું એ બધા લેખોને ?)માંહું તો તણાઈ જ જાત.

કોઈ એક કાવ્યની ચર્ચા કરવામાં અમે બન્ને એક વાર કોમેન્ટ–બોક્સે ભેળા થઈ ગયા. આ કોમેન્ટબોક્સ આમ જોવા જાવ તો કોઈ જાહેર બગીચાના બાંકડા જેવાં હોય છે, જ્યાં કોઈ પણ આવીને બેસી શકે. એટલું જ નહીં પણ સૌ ચર્ચા કરતાં હોય તેમાં વચ્ચે પોતાની લુલી પણ હલાવી શકે. મેં એમ જ એક કાવ્યમાં મારી લુલી હલાવી હશે ને વલીભાઈને તે વાલી લાગી ગઈ હશે તે ઝાઝી ઓળખાણ–પાળખાણ વગર સીધું જ કહી દીધું કે “મારા હળવા નીબંધોની પ્રસ્તાવના તમે લખો !”

મેં તો વાતને હળવાશથી જ લીધેલી ! થયું, આ ભઈ કાં તો ઘર ભુલ્યા છે ને કાંતો મને બનાવે છે. એટલે થોડો સમય તો જવાબ ન આપ્યો. પણ પછીના પત્રમાં એમણે મારે માટે જે સંબોધન વાપર્યું તે કુલ મીલાકે સત્તર અક્ષર લાંબું હતું ! મારા નામની આગળ એક વીશેષણ, નામની પાછળ ‘જી’નું પુંછડું ને છેલ્લે અટકને સરકારી બનાવી દીધેલી ! “આજકાલ આટલા ભાવીક જનો ક્યાં મળે છે; આ ભાઈને મારામાં સાચ્ચે જ રસ જણાય છે, તો લાવને એમનું કામ કરી આપીએ” એવા કોઈક ભાવ સાથે, પછી તો મેં હા પાડી દીધેલી. અને એના ભાગ રુપે જવાબદારીપુર્વક એમના બ્લૉગોને વારાફરતી ખોલી જોયા. તો નર્યો ખજાનો જ નીકળ્યો !

એમના ખજાનાને વીંખતાં મને થયું, આ ભાઈને પોતાના પુસ્તક માટે પ્રસ્તાવનાની જરુર જ કેમ પડી હશે ? ઉંચું ને પડછંદ વ્યક્તીત્વ હોય, તેજસ્વી ચહેરો હોય, કપડાંની ભભક ને બોલચાલની છટા હોય તો માણસે પોતાની ઓળખાણ બીજા પાસે શા માટે કરાવવી ? એમનાં લખાણોમાંનાં આ બધાં વીશેષણો જોઈને – ખાનગીમાં કહું તો – મને શરમ જ આવી ગઈ ! આમને માટે હું વળી શું લખવાનો ? (વચ્ચે થોડો વધુ સમય પસાર કરીને મેં તેમની તત્પરતા નાણી જોયેલી. કદાચ વીચાર ફર્યો હોય તો કામ – એમનું સ્તો વળી – થઈ જાય ! પણ એમના હળવા નીબંધોને મારા પ્રસ્તાવનાના ભારે કુચડા વડે રગડવાનો જ ઈરાદો એમનો હશે તે નક્કી. ત્રીજી વાર પણ તેઓ ઈરાદે–મક્કમ જણાયા ! હશે, કંઈ નહીં, જેવા એમના ને એમના વાચકોનાં નસીબ….બીજું સું ?!… આપણે તો આપણાથી થાય તેટલું કર્યું….હજી જોકે એક ઉપાય તો છે જ. તેઓ ધારે તો મારી આ કુચડા–પ્રવૃત્તીને પુસ્તકને અંતે મુકીને ન્યાય આપી બચાવી શકે છે – મારી પ્રસ્તાવનાને ને એમનાં લખાણોને !)

હવે જ્યારે નક્કી થયું કે પ્રસ્તાવના લખવાની જ છે, ત્યારે એમના હળવા લેખોને મેં ભારે જવાબદારીપુર્વક વાંચવા શરુ કર્યા તો એમની વીશેષ શૈલીનો પરીચય થયો. પહેલી નજરે લાગે કે એમનું ગુજરાતી કાંઇક જુદા પ્રકારનું છે, સાધારણ માણસ લખે તેવું નથી. જુઓ –

“મારા ભલા વાચકો, ચર્ચામાંના વિષયની કોઈપણ વ્યાખ્યા એ તમારા ઉપર છોડું છું. મારા આ લેખના પહેલા ફકરામાં એવી કોઈ વ્યાખ્યા ન આપવાની મારી ખાત્રી ત્યાં મોજુદ છે અને હું તેને વળગી રહેવા માગું છું. પણ ધારો કે હું ભૂલથી એમ લખી નાખું કે ‘વિનોદવૃત્તિ એ રમુજને અનુભવવાની ક્ષમતાનું નામ છે’, તો તેને ધ્યાનમાં લેશો નહિ અને ભૂલી જજો કે તમે એ વાંચ્યું છે !”

જોયું ? પહેલાં તેઓ એમના ‘ભલા’ વાચકો ઉપર વ્યાખ્યા કરવાની જવાબદારી નાખી દે છે ને પોતે અગાઉથી જ એની ચેતવણી વાચકોને આપી દીધેલી તેની નોંધ – ચેતવણી ક્યાં લખી છે તેના સરનામા સાથે – આપે છે. પછી પાછા એ પોતે ચેતવણીને ‘વળગી જ રહેવાના છે’ તેવી ધમકીભરી જાણ કરે છે. પણ પછી કોણ જાણે કેમ – વાચક પર દયા આવી જવાથી કે વાચકને મુંઝવી નાખવા માટે – ‘ધારો કે…’ની ‘ભુલભુલામણી’ ભરી લપસણી જાહેરાત વડે વ્યાખ્યા આપવા આગળ આવે છે ! વાચક હજી કાંઇ વીચારવાની ‘ક્ષમતા’ મેળવે ન મેળવે ત્યાં તો વાંચીને ભુલી જવાની સુચના તેઓ આપી દ્યે છે જે વાચકને પોતાની ‘રમુજસમજશક્તી’ વીષે અસમંજસમાં નાખી દીયે છે !!

વાતને આમ ફેરવી ફેરવીને છતાં કુશળતા અને ચાતુરીપુર્ણ રીતે રજુ કરવાની તેમની શૈલી આ નીબંધોની એક ખાસ વાત ગણવી પડે.

એક બીજી વીશેષતા પણ તરત ધ્યાને ચડે તેવી છે તે વાચક સાથે સીધો નાતો જોડી દેવાની તેમની રીત. ક્યારેક તેઓ પડદા પાછળ રહીને સ્ટેજ પર ભજવાતા નાટકની ભુમીકા સમજાવતા લાગે છે તો ક્યારેક તેઓ કોઈની પાછળ ઉભા રહીને – તે માણસ જુએ નહીં તેમ – આપણને પરીચય કરાવતા જણાય છે. ક્યારેક ચોતરે બેસીને સૌ સાંભળે તેમ વાત માંડે છે તો ક્યારેક વળી આપણા કાનમાં કહેતા હોય તેમ વાત ફુંકે છે. ગમે તે રીતે, પણ વાત તો તેઓ એવી રીતે મુકે છે જાણે આપણે તેમને રુ–બ–રુ ‘સાંભળતા’ હોઈએ.

“કોઈ વાર્તા કે બનાવના વર્ણનમાં અંતભાગે અણધારી કે વિપરિત પરાકાષ્ઠા લાવી દેવાની કળા” વીષે તેઓ પોતાના નીબંધમાં ઉદાહરણ સાથે રજુઆત કરે છે ને શ્રી ક્ષ અને શ્રી ય વચ્ચેનો સંવાદ મુકે છે. (જુઓ પાન નં….) કોઈ જોક હોય તેવી શૈલીમાં અપાયેલો આ સંવાદ આખો રમુજનો સરસ પ્રકાર બની રહે છે.

એમના લેખોમાં ક્યારેક પોતે જ વાચકને હાસ્યના પ્રાગટ્ય વીષયક શંકામાં નાખીને વાચક પર નીર્ણય કરવાનું છોડે છે ! કહે છે –

“હું મારા આર્ટિકલને અહીં કોઈપણ જાતના માનસિક દબાણ વગર સમાપ્ત કરું છું કે જે તમને હસાવી દેવા કે ઓછામાં ઓછું સ્ટુડીઓમાં કોઈ ફોટોગ્રાફર બનાવટી સ્મિત લાવવા જેમ ‘cheese’ બોલવાનું કહે તેમ એકાદ સ્મિત પણ કરાવી લેવા સક્ષમ નીવડ્યો છે કે કેમ ! હા, હાહા, હાહાહા!!!”

અહીં તેઓ હસવાનો જે બીજો વીકલ્પ સુચવે છે તે એને તાદૃશ્ય કરી દેનારો છે ! ફોટો પડાવનારને ફોટોગ્રાફર કૃત્રીમ રીતે હસવા માટે ચીઝ બોલવાનો જે નુસખો બતાવે છે તેમાં હાસ્યનો એક પ્રકાર છતો થાય છે !! અને છેલ્લે, પોતાની આ કલા માટે હશે કે, પછી અન્યથા પણ લેખક સળંગ ત્રણ આવર્તનોમાં અનુક્રમે એક, બે, ત્રણ હા–કાર મુકીને ‘હાહા–કાર’ કરી જાણે છે.

બહલૂલ દાના નામના પ્રખર બુદ્ધીશાળી ને મસ્તરામ વ્યક્તીનું ચરીત્રચીત્રણ બહુ જ સરસ રીતે થયું છે. આપણો બીરબલ કે પેલો ગધેડા પર સવારી કરીને લોકોને ઉપદેશ આપતો ફીલસુફ અહીં યાદ આવી જાય છે. આ પ્રસંગમાં લેખકે જે ત્રણ પ્રસંગો મુક્યા છે તે એકએકથી ચડીયાતા અને બહુ મોટી શીખ આપનારા છે.

“હરખભેર બાઈડી પરણી આવેલો ભરથાર” મધુરજનીને પણ જીવનભરના બંધન તરીકે માનીને એનાથી છુટવા મથવાને બદલે એમાં જ રમમાણ બની જાય તેમ લેખક પોતાના તમાકુના વ્યસનને દર્શાવે છે. લગ્ન અને વ્યસનને સાથે મુકીને લેખકે જોખમી છતાં સફળ એવું ઉદાહરણ મુક્યું છે ! “અમદાવાદના કાળુપુરના એ જૂના રેલ્વે સ્ટેશન ઉપર પેલી મેઘલી રાત્રિએ તમાકુ સાથે થએલો એ સહજ મૈત્રીકરાર ક્યારે વૈવાહિક જીવનમાં પરિવર્તિત થઈ ગયો તેની ખબર સુદ્ધાં રહી નહિ.” અહીં તેમણે વ્યસનનું બહુ જ માર્મીક શબ્દચીત્ર આપ્યું છે. મૈત્રીકરારને વૈવાહીક જીવનમાં ફેરવાઈ જતો બતાવીને લેખકે તમાકુ સાથેના માનવીના સંબંધને બળુકી શૈલી ને સચોટ ઉદાહરણ વડે તીરસ્કાર્યો છે.

“માર્મિક વિનોદી પ્રશ્નોત્તરી” અને “ટાઈમપાસ તરંગી પ્રશ્નોત્તરી” આ બન્ને લેખો પાસેપાસે મુકાયા છે. પ્રથમમાંના પ્રશ્નો માર્મીક છે પણ રમુજના આશયવાળા નથી. એમાં જ્ઞાન પીરસવાનો સહજ પ્રયત્ન છે. બીજા લેખમાં ભલે ટાઈમ પાસ કરવા નીમીત્તે પણ જે સવાલો પુછ્યા છે તે બધા રમુજ અને તાર્કીકતાના નમુનાઓ છે ! આ પ્રકારની રમુજ આપણને હળવું અને રસાળ સાહીત્ય પુરું પાડે છે. બીજા લેખનો છેલ્લો તેરમો સવાલ લેખકે ખાસ જુદો તારવ્યો છે ! જુઓ, લેખક પોતાના ભોગે પણ કેવી નીર્દોષ રમુજ કરી લ્યે છે ! –

પ્ર. – ઉપરના 13ની સંખ્યામાંના પ્રશ્નોત્તરનાં જોડકાંમાં કયું સાવ નકામું છે ?

ઉ. – મને પૂછવાનું ઉત્તમ તો એ રહેશે કે કયું નકામું નથી !

વલીભાઈની વાતો વાંચવાની શરુઆતમાં જ મને એમના વીશાળ વાંચનનો ખ્યાલ આવી ગયો હતો. અનેક મહાનુભાવોનાં નામો, એમાંનાં મોટા ભાગનાંનાં અવતરણોને લેખકે આ બધા લેખોમાં છુટથી વેર્યાં છે. પણ જ્યારે મેં એમને ભારતીય કાવ્યમીમાંસાનાં કેટલાંક નામો સાવ સરળતાથી, જાણે ડાબા હાથનો ખેલ હોય તેમ, પ્રયોજતા જોયા ત્યારે સાનંદાશ્ચર્યથી હું ઘેરાઈ ગયો.

“ ‘તમારી સાથે જ્યારે પણ કંઈ વાત કરવાનું બને છે, ત્યારે પેલા સંસ્કૃતના પંડિત કુન્તકનો આત્મા ક્યાંકથી તમારામાં પ્રવેશી જતો હોય છે અને તમે વક્રોક્તિ કર્યા સિવાય રહેતા નથી! તમને સીધું બોલવું ફાવતું નથી કે પછી મારી સાથે જ આમ કરો છો ?’ ”

‘વક્રોક્તિજીવિત’ના લેખક અને વક્રોક્તીવાદને ભારતીય કાવ્યમીમાંસામાં મજબુત સ્થાન અપાવનાર કુંતકને અહીં, આટલી સહજતાથી ને સુક્ષ્મ રમુજ સાથે લાવી મુકીને વલીભાઈએ મારું આ લખવું વસુલ કરી આપ્યું છે !

વલીભાઈનાં લખાણોમાં ડગલે ન પગલે એવાં વાક્યો મળે છે જે એમની શૈલીનાં સ્ફુલ્લીંગો તરીકે ઓળખાવી શકાય. સાવ સહજ રીતે જાણે શ્વાસોચ્છ્વાસની રીતે તેઓ વાક્યો લાવી મુકે છે. આ વાક્યોમાં એમનું વીશાળ વાચન, એમની ફીલસુફી, ભાષાપ્રયોજનની અનુભવી શક્તી અને હળવાશ, એ બધું સાથે સાથે ચાલે છે. ભાગ્યે જ ક્યાંય કૃત્રીમતા વર્તાય છે, જુઓ –

“સ્મશાને કે ક્બ્રસ્થાને પહોંચી ગએલાં મડદાં કે મૈયતો પાછાં ન જ આવે તેવા સનાતન સત્યને મારી વાલી એ તમાકુએ ખોટું પાડ્યું છે !”

“કોઈક વિદ્વાન વિવેચકને સરસ્વતીદેવીને એમ વીનવવું પડે કે ‘હે દેવી, આ લેખકને અને તેના જેવા અન્યોને માફ કરી દેજે કેમ કે તેઓ બિચારાઓને ખબર જ નથી કે તેઓ શું લખી રહ્યા છે!’“
“લોકશાહીમાં વિવિધ ખાતાંઓના પ્રધાનો તરીકે જે તે ક્ષેત્ર કે વિષયના અનુભવીઓને જ જે તે ખાતાં સોંપવામાં આવતાં હોય છે. તો પછી, દારૂબંધી ખાતામાં દારૂડિયા પ્રધાનો જ નીમવામાં આવતા હશે, કેમ ખરું ને !”
““આ Free Style લેખ કોમ્પ્યુટર ઉપર ડ્રાફ્ટ કરી રહ્યો છું અને નીચે પાંચમું પાનું અડધે આવેલું દેખાતું હોઈ મને લાગે છે કે મારે લગામ વગરના તરંગ રૂપી આ ઘોડાની પીઠ ઉપરથી નીચે ભૂસકો મારવો જોઈએ અને મારા લખાણના અતિ વિસ્તારને મારે ખાળી લેવો જોઈએ, જો હું ઈચ્છતો હોઉં કે મારા બ્લોગને લોકો ઈચ્છાથી નહિ તો ભૂલથી પણ વાંચે !”

ઉપરના ઉદાહરણમાં જોવા મળે છે તેમ લેખક બે બાબતે જાગ્રત હોવા છતાં કેટલીક નબળાઈઓ ધરાવે છે ! એમાંની એક તે લખાણોનું ઘણું લંબાણ ને બીજું કે જે પ્રથમનું જ પરીણામ છે તે વીષયાન્તર ! મેં આ માટે એમને જાગ્રત કહ્યા તેના કારણોમાં મારે જવાની જરુર નથી કારણ કે લેખકે પોતે જ અવારનવાર તેનો જાતે સ્વીકાર કર્યો છે. જુઓ –

“હવે મારા વાચકોની તાલાવેલીનો અંત લાવવા મારા લેખના મુખ્ય વિષયે આવું છું અને હાલ સુધી આપ સૌને લબડાવવા બદલ માફી માગીને આગળ વધું છું.”

“હવે મારી ચર્ચાને આગળ લંબાવું છું, તેમ કહેવા કરતાં મારા માટેના એ પેલા અનામી ભાઈના વિચારોને અથવા તો અર્થવ્યવસ્થાકીય પ્રયોગને મારા સ્મરણ મુજબ સંક્ષિપ્તમાં રજૂ કરીશ.”

“આટલે સુધી વાંચકોને લાગ્યું હશે કે અહીં તો ગોળગોળ વાત કરવામાં આવી રહી છે…… કોઈક મારા ચર્ચાપત્રને આટલા સુધી વાંચતાં વાંચતાં આવીને એક વાતની ગાંઠ તો અવશ્ય વાળે કે આ ભાઈની ડાગળી ચસકી તો નથી ગઈ !”

હળવા નીબંધોમાં લંબાણનો મુદ્દો નબળાઈ રુપે ન લેવાય તે જાણું છું. જ્યોતીન્દ્ર દવેનો પ્રશ્નાર્થવાળો લેખ અસાધારણ લાંબો છે. વળી વીષયાન્તરને બાદ કરતાં બાકીનું લંબાણ ક્યાંક ને ક્યાંક અનેક પ્રકારનું વૈવીધ્ય લાવી આપવામાં મદદરુપ બને છે. તેથી લંબાણની બાબતને તે રીતે જ જોવી રહી.

આ બધા નીબંધોના વીષયો જોતાં બધા લેખો હળવા નથી. ‘હળવા મિજાજે’ શીર્ષક નીચે લેખકે કેટલુંક ગંભીર પણ મુક્યું છે છતાં એકંદરે એમનો આશય હળવા હૈયે ને હળવી રીતે સૌ વાચકોને કેટલીક બહુ જ મજાની વાનગીઓ પ્રેમથી પીરસી છે.
આપણા સાહીત્યમાં વીનોદને એક આદરપુર્ણ સ્થાન મળ્યું છે તેમાં એક કારણ વીનોદની સાથે સાથે જ એમાંથી મળતો રહેતો બોધ છે. હાસ્ય લેખકોમાંના મોટા ભાગના લેખકોએ પોતાના નર્મમર્મ દ્વારા જીવનના કેટલાય મર્મો સમજાવ્યા છે. મમળાવ્યા કરવાનું મન થાય તેવાં સુત્રો આપણને હાસ્યલેખકો પાસેથી મળતાં રહ્યાં છે.
એવાં જ કેટલાંક વાક્યો આપણા આ લેખક સુત્રરુપે મુકે છે, જે આપણને સહજ રીતે યાદ રહી જાય. આવાં વાક્યોમાં હળવાશ અને જ્ઞાન બન્નેનો અનુભવ થયા વગર રહેતો નથી. જુઓ –

“આત્મપરિચય આપવો એ ખતરનાક ખેલ ખેલવા બરાબર છે, ખાંડાની ધાર ઉપર ચાલવા જેવું જોખમકારક છે, કેમ કે લખવામાં જરાક પણ મર્યાદા બહાર હરખપદુડા થયા, તો સમજવું કે ગયા કામસે ! આત્માશ્લાઘા એ દૈહિક રીતે જીવતા રાખે તેવી આત્મહત્યાનો એક પ્રકાર છે,”

“જો તમારામાં સહેજ પણ રમુજવૃત્તિ હોય, તો તમારે અહીં હસવું જોઈએ; નહિ તો પછી આ અવતરણોને તમારા જીવનસાથી સાથે વહેંચો અને કદાચ તે તમારા ગાલ અને/અથવા ઓષ્ઠ ખેંચીને અથવા તો તમારી બગલોમાં ગલીપચી કરીને તમને હસવામાં મદદ કરશે !”

“એ કેવું સરસ કહેવાય કે કોઈપણ માણસ પોતાની મર્યાદાઓને જાતે સમજી શકતો હોય !”

મારી આ પ્રસ્તાવના પણ વધુ લાંબી થઈ જ ગઈ છે તેથી મનેય હવે શંકા થવા લાગી છે કે આના વાચકો પ્રસ્તાવનાકારને ક્ષમા નહીં આપે ! તેથી હું ય લેખકના પેલા લેખ “છેલ્લો પાસો”માં બતાવ્યા મુજબનો નુસખો વાપરી જોઉં !! એ લેખમાં એક એવા હાસ્ય કલાકારની વાત છે, જે ઓડીયન્સને અઘરી કહેવાય તેવી જોક્સ સંભળાવે છે ને છતાં કોઈ હસતું નથી ! છેવટે તે છેલ્લો પાસો ફેંકે છે ને પોતાની જ પીઠ થાબડીને બોલે છે –

“શાબાશ ! ઓડીયન્સને ન હસવા માટે હિપ્નોટાઈઝ કરવામાં આખરે તું સફળ થયો ખરો !”

વાચકોને મારે તો હસાવવાના હતા જ નહીં તેથી મારે મારી પીઠ થાબડવાની રહેતી નથી પણ લેખકે આ સંગ્રહને પ્રગટ કરીને જે કાર્ય કર્યું છે તેને માટે તો હું એમની જ પીઠ થાબડીને કહીશ કે, (‘વલી, વલીભાઈ, વલભૈ, વલદા, વિલિયમ, વલિયા, વલીડા, વિએન, વિએનજી, વલા, ભાઈ વલા’) વગેરે અનેક નામોથી સંબોધાતા એવા મારા મીત્ર વલીભાઈ ! તમારાથી હું તો અવશ્ય હીપ્નોટાઈઝ્ડ થયો છું.

અસ્તુ.

(પ્રસ્તાવના લખનાર પોતાની જોડણીમાં એક ઈ અને એક ઉનો પ્રયોગ કરવામાં માને છે તેથી તેમની જોડણી યથાવત્ રાખી છે.)

# # #

મારા ‘હળવા મિજાજે’માંના છેલ્લા ‘પાડદર્શન’ પ્રકરણમાં મુરબ્બીશ્રી જુગલકિશોર વ્યાસને લગતા લખાણનો અંશ : –

“હવે મૂળ વાતે આવું તો ‘જુકાકા’ (તેમના બ્લોગ ‘Net ગુર્જરી’ના વાચકોનું અને સમગ્ર ગુજરાતી બ્લોગ જગતમાં તેમને હુલામણું સંબોધન), ‘ન જાન, ન પહેચાન; માન, ન માન: મૈં તેરા મેહમાન !’ ઉક્તિ અનુસાર મુજ અજનબીને ‘વલીભાઈની કેટલીક લવલી વાતો !’ શીર્ષકે પ્રસ્તાવના લખી આપે તે ગજબ ભયો રામા (પણ, આગળ પેલા ફિલ્મીગીત મુજબ જુલમ ભયો તો ન જ ગવાય ને!) કહેવાય! બ્લોગજગતમાં કેટલાય નવીન નિશાળિયાઓને માર્ગદર્શન પૂરું પાડનાર, ભાષાશુદ્ધિ માટે બ્લોગર્સને જાગૃત કરનાર, પ્રતિભાવો દ્વારા નવોદિતોને ચાનક ચઢાવનાર, પોતાના બ્લોગ ઉપર વિવિધ વિષયો અને સાહિત્યપ્રકારો થકી ઉમદા વાચનસામગ્રી પીરસનાર એવા મુરબ્બીશ્રી જુકાકાનો પરિચય મને ખૂબ મોડેથી થયો તેનો વસવસો રહ્યા કરશે. જો કે મિરઝા ગાલિબના આધ્યાત્મિક અર્થમાં સમજવાના આ મતલબના એક શેર કે ‘મસ્જિદમાં ગુમાવેલા સમયનું સાટું પીઠામાં જઈને વાળો !’ની જેમ તેઓશ્રી અમદાવાદ ખાતે જ હોઈ અને મારું અંશત: કુટુંબ પણ ત્યાં જ હોઈ તેમને તેમની અનુકૂળતાએ અવારનવાર મળતા રહીને એ ખોટને સરભર કરીશ. વળી તેમની મારા લખાણના અતિ વિસ્તાર વિષેની પ્રેમાળ ટકોરને ગાંઠે બાંધીને તેમણે લખી આપેલી પ્રસ્તાવના બદલ ફરી એક વાર તેમનો ‘પાડ’ માનીને અત્રે મનોમન ‘અલમ અતિ વિસ્તરેણ’ ઉચ્ચારીને બીજા મદદગારો તરફ આગળ વધું છું.”

# # #

Note : – You may click here to preview my e-book “હળવા મિજાજે”.

 
1 Comment

Posted by on June 15, 2012 in લેખ, વિવેચન

 

Tags: , , , ,