RSS

Tag Archives: દ;લપતરામ

(૪૩૭-અ) સાહિત્યમાં સ્વવિવેચન – એક નવતર ખ્યાલ

સ્વવિવેચન એટલે સાહિત્યસર્જકે સ્વસર્જનને જાતે જ વિવેચવું. મારી હળવી અદાએ કહું તો ગૃહિણી જે તે વાનગી બનાવી લીધા પછી તેનો સ્વાદ પારખવા થોડુંક ચાખી લે અને ખામીખૂબી ચકાસી લે તેવી આ વાત કહેવાય ! અત્રે તો સાહિત્યસર્જનના સંદર્ભે જ વાત કરવાનો વિચાર છે, તેમ છતાંય વિશેષમાં એટલું તો કહીશ જ કે વિશાળ અર્થમાં આ ‘સ્વવિવેચન’ માનવીના જીવનઘડતરને પણ એટલા જ અંશે લાગુ પડે છે. આત્મસુધારણા માટે આંતરદર્શન જેવો શ્રેષ્ઠ કોઈ ઉપાય નથી. ડુઆન એલન હાહ્ન (Duane Alan Hahn) નામે વિચારક સ્વવિવેચન વિષે આમ કહે છે. : “તમે એક ભવ્ય અને ચળકતી તલવાર છો અને આત્મવિવેચન એ તમારા માટે સરાણનો પથ્થર છે. આ સરાણથી તમે દૂર ભાગશો નહિ; જો એમ કરશો તો તમે ધાર વગરના બૂઠા અને નકામા બની જશો. હંમેશાં ધારદાર રહો.”

કોઈપણ કલાનો વિવેચક એ તો કલાકારનો મિત્ર, માર્ગદર્શક અને સુધારક હોય છે. સાહિત્ય પણ કલાનો એક પ્રકાર જ છે અને સામાન્ય રીતે આનો વિવેચક સર્જકથી ભિન્ન એવો ત્રાહિત ઈસમ હોય છે. પરંતુ અહીં સર્જકે પોતે જ પોતાના જ સર્જન માટે ત્રાહિત બની જવાનું છે અને તો જ તે તાટસ્થ્ય જાળવી શક્શે. આ એક દુષ્કર પ્રક્રિયા છે. અહીં આંતરનિરીક્ષણ દ્વારા આ ભગીરથ કાર્યને પાર પાડવાનું છે. આના સમર્થનમાં ફિયોદોર દોસ્તોવ્સ્કીનું આ કથન જડબેસલાક બંધ બેસે છે, ‘મારા મતે બુદ્ધિમાન માણસ એ છે કે જે મહિના દરમિયાન ઓછામાં ઓછો એક વખત પોતાની જાતને મૂર્ખ તરીકે ઓળખાવતો રહે.’ અહીં સર્જક અને વિવેચકની એમ બેવડી ભૂમિકા પોતે જ ભજવવાની હોય છે. અહીં અનુકૂળતા એ છે કે સર્જનની ભૂમિકા પૂરી થઈ ગયા પછી જ વિવેચનની ભૂમિકા શરૂ થાય છે. આ એક નવતર ખ્યાલ કે પ્રયોગ છે, જેને મેં પોતે મારા પોતાના લખેલા વિવેચનલેખોના સંગ્રહ ‘ સમભાવી મિજાજે’ ના વિવેચક તરીકે અજમાવી જોયો છે અને તેને જાણવા, નાણવા અને માણવા માટે હું પાદનોંધમાં તેનો સંદર્ભ તો આપીશ, પરંતુ હાલ તો ટૂંકમાં જ જણાવી જ દઉં કે ‘ સ્વવિવેચન’ માં સર્જનના ગુણાવગુણને સર્જકે પોતે જ વાચકો સામે પ્રામાણિકપણે ધરી દેવાના હોય છે.’

મારા પ્રયોગને કોઈ કદાચ ન વાંચે તો તેમની જાણ માટે મારા ત્યાંના જ એક વિધાનને અહીં દોહરાવું છું કે ‘આ એક દોહ્યલું કામ છે અને મજાકમાં કહું તો કોઈ કુશળ કેશકર્તક પોતાના જ કેશનું પોતાના હાથે સફળ કર્તન કરે, તેવી સ્વવિવેચનની અજનબીભરી આ વાત છે. અહીં લેખક અને વિવેચક એમ બંને ‘હું’ જ હોઈ જરૂર પડે ત્યાં મારે જ મારા કાન ખેંચવાના રહેશે !’ અહીં કવીશ્વર દલપતરામના વિખ્યાત પ્રહસનમાંની બે પાત્રોને લાગુ પડતી એકપાત્રીય ઉક્તિઓને પણ યાદ કરી લઈએ કે ‘વાડી રે વાડી, શું છે દલા તરવાડી ? / રીંગણાં લઉં બેચાર ? લે ને દસબાર !’ આમ વાડી અને દલા તરવાડીની ભૂમિકા એક જ વ્યક્તિ અદા કરે છે; બસ, તેમ જ અહીં સર્જક અને વિવેચક વિષે સમજવાનું રહેશે.

હવે આ સ્વવિવેચનને દૃશ્ય અને અદૃશ્ય એમ બંને રીતે રાખી શકાય છે. રહસ્યમય લાગતા મારા આ વિધાનને મારે સમજાવવું પડશે, નહિતર મારા સુજ્ઞ વાચકો મને સ્વર્ગસ્થ જાદુગર કે. લાલની જ્ગ્યાએ પૃથ્વીસ્થ વી. લાલ સમજી બેસશે ! આ માટે એક ઉદાહરણ બસ થઈ પડશે. તમે મોડા સુધી જાગીને કોઈ કાવ્ય, ગઝલ કે વાર્તા લખી ચૂક્યા છો. જો તમે બ્લોગર હો તો તેને તરત જ Publish કરી દેવા માટે હરખપદુડા થયા વગર ચૂપચાપ સૂઈ જજો. હવે વહેલી સવારે તમે જાગશો, ત્યારે તમારું મગજ તાજગીસભર હશે. હવે તમારે એ કૃતિને બીજા કોઈની કૃતિ સમજીને વાંચી લેવાની છે. હવે તમને તેમાંની ખામીઓ કે ખૂબીઓ દેખાશે. આ તમારા સ્વવિવેચનની કાચી સામગ્રી છે. હવે તમારી એ મૂળ કૃતિને યથાવત્ જાળવી રાખીને તમે અલગથી તમારી કૃતિ વિષે ‘દલા તરવાડી’ની જેમ જે કંઈ લખશો તે તમારું દૃશ્ય સ્વવિવેચન કે રસદર્શન જે કહો તે બની રહેશે. વાચકો તમને સર્જક અને વિવેચક એવા બે ઈલ્કાબોથી નવાજશે. હવે તમારે તમારી જ કૃતિના વિવેચક તરીકે જાહેર નથી થવું, તો તમે તમારી કૃતિમાં જ ઘટતા ફેરફારો કરી લેશો, જે તમારાં સ્વસૂચનોનું અમલીકરણ તમારા દ્વારા જ થઈ ગયું હોવાના કારણે અદૃશ્ય સ્વવિવેચન ગણાશે. જો કે કોમ્પ્યુટર ઉપર કામ કરતાં ચાલુ કામે થતા જતા શાબ્દિક કે વસ્તુવિષયક ફેરફારોને તો આપણે લેખનપ્રક્રિયાના ભાગરૂપે જ સમજીશું. પરંતુ આપણે અહીં જે સ્વવિવેચનની વાત કરી રહ્યા છીએ તે તો પ્રસિદ્ધ થવા માટે તૈયાર (Ready to Publish) પ્રકારની કૃતિને જ લાગુ પડે છે.

સ્વવિવેચન થકી સાહિત્યસર્જકની સ્વઘડતરની પ્રક્રિયાને સમજવા માટે અને આ લેખમાંના નવીન વિચાર કે ખ્યાલને આપ વાચકોના મનમાં અંકે કરાવવા માટે નીચે એક પ્રતીક આપું છું, જેનું શીર્ષક છે – ““Self made man” (સ્વસર્જિત માનવ).

સ્વસર્જિત-માનવ

સમાપને, આપણે એક ગૌણ વાતને પણ સમજી લઈએ કે જે તે સર્જનકાર્ય દરમિયાન કે છેલ્લે જે કોઈ જોડણી, વ્યાકરણ કે વાક્યરચનાની ભૂલસુધારણા કરતાં રહીએ કે કરી લઈએ તે સર્જનપ્રક્રિયાના ભાગરૂપ છે, જેને આપણે યાંત્રિક પ્રક્રિયા જ સમજવી રહી. એ બધી તો જે તે સર્જનના શરીરની ટાપટીપ ગણાય. વિવેચકે તો સર્જનના આત્માને ઓળખાવવાનો છે.

Disclaimer: If Image published here falls under breach of any copyright; the copyright holder/s might simply intimate me/us by mail and the same will be removed immediately.

પાદનોંધ :

પ્રસ્તાવના – ‘ હું જ મારા વિવેચનસંગ્રહ (સમભાવી મિજાજે)નો વિવેચક !’

 

Tags: , , ,

(૪૦૨) ગુજરાતી ભાષાનું ભવિષ્ય .. એક ચિંતન – દિદાર હેમાણી (અક્ષરનાદ) – મારો પ્રતિભાવ (૧)

મૂળ લેખ : ગુજરાતી ભાષાનું ભવિષ્ય .. એક ચિંતન – દિદાર હેમાણી  (ક્લિક કરો)

મારો પ્રતિભાવ (૧) 

મિત્રો, 

વણવિચાર્યા ગુજરાતી ભાષા વિષેના અભિપ્રાયો આપીને ગુજરાતી ભણતા કે શીખતા વિદ્યાર્થીઓ અને ગુજરાતી શીખવતા કે શીખતા (!!!) શિક્ષકોને બેજવાબદાર બનાવશો નહિ. પેલી ચીની કહેવતને સમજીએ :’જો દેશના વિકાસ માટે એક વર્ષની યોજના બનાવવી હોય તો અનાજ વાવો, દસ વર્ષની યોજના બનાવવી હોય તો વૃક્ષો વાવો અને સો વર્ષની યોજના બનાવવી હોય તો બાળકો વાવો.’ આમાં વાત એમ છે કે બાળકોને ભણાવીને જે રીતે તૈયાર કરવામાં આવે તેનું પરિણામ સો વર્ષે મળે. આટલા એક સૈકાના સમયગાળામાં આગળની પેઢીઓ નામશેષ થઈ ગઈ હોય અને પેલાં તૈયાર થએલાં બાળકો જેવી રીતે ઘડાયાં હોય તે પ્રમાણેની દેશની નીતિરીતિ બની રહે. અહીં મેં એ કહેવતનો અભિપ્રેત અર્થ સમજાવ્યો છે.

ચીનને આપણે ૧૯૬૨થી દુશ્મન દેશ ગણતા આવ્યા હોઈ તેની કહેવતને એ જ અર્થમાં ન સમજતાં ‘બાળકો’ અંગેની વાતમાં ગુજરાતી ભાષાના સંદર્ભે વિચારતાં સો વર્ષનો એ સમયગાળો ટૂંકાવીને આપણે દસ વર્ષનો જ કરવો પડશે. જો ગુજરાતી ભાષાને બદલાવ, પરિવર્તન, સમયનો તકાજો એવાં રૂડાંરૂપાળાં બહાનાંઓ થકી ‘ઘઉંમાંથી કાંકરા વીણવા’ના બદલે ‘કાંકરામાંથી ઘઉં વીણવા’ જેવી સ્થિતિમાં લાવી જ દેવાની હોય તો ગુજરાત વિધાનસભામાં ‘મન ફાવે તેમ ગુજરાતી પ્રયોજો’ એવો ઠરાવ જ પસાર કરાવી લઈએ તો દસના બદલે પાંચ જ વર્ષમાં આપણે ધાર્યું પરિણામ મેળવી શકીશું !

અરે મારા ભાઈઓ અને બહેનો (જો તેમનામાંથી પણ કોઈ બહેનો ગુજરાતી ભાષા ઉપર ઝાડુ ફેરવીને તેને કહેવાતી રીતે ચોખ્ખી કરી દેવામાં માનતી હોય તો જ !), આપણી નહિ તો બીજાની છાતી ઉપર હાથ મૂકીને આપણે કહીએ કે આપણે જો અંગ્રેજી ભાષા જાણતા હોઈએ તો આપણે ગુજરાતી માટે હમણાં જે ગાવાવગાડવાનું શરૂ કર્યું છે, તેવી ઠોકંઠોક ત્યાં ચલાવીશું ખરાં ? કોમ્પ્યુટર ઉપર એકાદ લીટી પણ છાપ્યા પછી તરત જ ‘Check Spelling’ ના ખોળાનો આપણે આશરો નહિ લઈએ ? આ જ રીતે આપણે ગુજરાતી લેક્સિકોનનો સહારો લઈને શું આપણે ભૂલસુધાર ન કરી શકીએ ? ભાઈ-બાઈ, ગુજરાતી તો શું દુનિયાની કોઈપણ ભાષા શીખવા જઈશું તો તેની પ્રવર્તમાન પદ્ધતિને જ અનુસરવું પડશે.

અંગ્રેજીમાં તો Spelling ની બાબતમાં એટલી બધી અનિયમિતતાઓ છે કે આપણે  એ બધું અંગ્રેજી શીખવા માટે હરખપદુડા થઈને સાંખી લઈએ. આપણે સ્ટેશન શબ્દમાં Station એમ લખીએ છીએ અને આપણા મગજમાં ‘શ’ માટે tio રૂઢ થઈ જાય અને પછી ટ્યુશન માટે આપણે ‘Tution’ લખી નથી નાખતા, કેમ કે આપણને ખબર છે કે વચ્ચે I (આઇ) ઘૂસી ગયો છે અને તેને બરાબર યાદ રાખીને Tuition જ લખીશું. આવી તો અંગ્રેજીમાં શબ્દેશબ્દે મારામારી છે. આપણે  ‘સાયકોલોજી’માં કાકા કહીને આગળ ‘P’ મૂકીશું. અંગ્રેજીના કેટલાક શબ્દો દેશેદેશે અલગ રીતે બોલાય છે તેને પણ આપણે યાદ રાખીશું. બ્રિટીશ ઉચ્ચારમાં Schedule ને શેડ્યુલ બોલીશું, ભારતીય ઉચ્ચારમાં શિડ્યુલ બોલીશું અને અમેરિકન અંગ્રેજીમાં સ્કેડ્યુઅલ કે સ્કેજ્યુઅલ બોલીશું. ગુજરાતીમાં આ બધી સરખામણીએ ઘણી ઓછી તકલીફો છે. ગુજરાતી બોલીઓને બાજુએ રાખો તો આપણી શુદ્ધ ગુજરાતી દુનિયાના કોઈપણ દેશમાં બોલાય ત્યાં જો બોલવાવાળો સજાગ રીતે બોલે તો બધે જ ‘પત્નીના ભાઈ’ ને ‘સાળા’ તરીકે જ સંબોધશે, શાળો (Looms) નહિ કે સાલો પણ નહિ (નહિ તો સગો સાળો પણ ગાળ સમજી બેસશે !).

આ તો ભાઈ ‘ઘરનો જોગી જોગટો’ જેવી વાત આપણે કરી રહ્યા છીએ ! ફોર્બસ દલપતરામ પાસે ટ્યુશન લઈને શાસ્ત્રીય રીતે ગુજરાતી શીખે, સેમ્યુઅલ હેરી અમદાવાદ આકાશવાણી ઉપર આપણું માથું શરમથી ઝૂકી જાય તેવા ફાંકડા ઉચ્ચારોમાં સમાચારવાંચન કરી શકે, રેવ. ફાધર વાલેસ સરસ મજાના ચારિત્ર્યવિષયક નિબંધો લખે, BBC રેડિયો નિષ્ણાત ગુજરાતીભાષી પાસે ગુજરાતી સમાચારવાંચન કરાવે ! આ બધું કેમ બની શકે ? તો આનો જવાબ એ છે કે તેઓ ગુજરાતીને પરદેશી ભાષા તરીકે સ્વીકારીને પદ્ધતિસર શીખતા હોય છે. શૈક્ષણિક મનોવિજ્ઞાન કહે છે કે દુનિયાનો કોઈપણ ભાષાનો માણસ માતૃભાષાને બેદરકારીથી જ શીખતો હોય છે. અમેરિકા-ઈંગ્લેન્ડવાળા પણ વ્યાકરણમાં ઢઢ્ઢા જ હોય છે. એ લોકો સ્કૂલોમાં અંગ્રેજી વ્યાકરણ શીખવવા માટે બિનઅંગ્રેજી શિક્ષકો રાખતા હોય છે.

અતિવિસ્તાર થયો હોવા છતાં ઉપસંહારરૂપે એટલું જ કહેવાનું મન થાય છે કે આપણે ‘માતૃભાષા ગુજરાતી’ એમ બોલવાનું બંધ કરીને માત્ર ‘ગુજરાતી’ જ બોલવાનું રાખીએ અને ‘ગુજરાતી’ને પરાઈ ભાષા સમજી લઈને તે જ રીતે વ્યવસ્થિત શીખીશું તો જ શીખી શકાશે. નહિ તો …..!

-વલીભાઈ મુસા

 

 

 

Tags: , , , , ,

(૩૯૨-અ) ગુજરાતી ભાષા અને સાહિત્ય અંગેની કેટલીક અલપઝલપ વાતો

[‘વલદાની વાસરિકા’: સંપાદકીય પરિચય

શ્રી વલીભાઈ મુસા…આ નામ આંખને કે કાનને નવું તો નહીં જ લાગે. એમના બે ભાષામાં લખાતા બ્લૉગ ‘William’s Tales’ અને ‘વલદાનો વાર્તાવૈભવ’ જોયા છે ને ? આપણી વેગુની આ સાઈટની ડાબી બાજુએ ‘વેગુ સમર્થકો’ના બ્લૉગની યાદીમાં આ બન્ને બ્લૉગ નજરે પડશે.  જરૂર મુલાકાતે જજો.

 કોઇને એમ પણ સવાલ થશે એ કે આપણા બ્લૉગભ્રમણવાળાં મૌલિકા દેરાસરી અમને કેમ ત્યાં લઈ ન ગયાં? કબૂલ… કારણ માત્ર એટલું કે તેઓ તો સંપાદકોએ દોરેલી લક્ષ્મણરેખા – “ખબરદાર…! જે લોકો વેબગુર્જરી સાથે સંકળાયેલા હોય એમના બ્લૉગ પર કદી પગ ન મૂકજો!” –ને સાચવીને બ્લોગભ્રમણ કરતાં અને કરાવતાં રહ્યાં છે.

 ઓહો, ત્યારે એમ વાત છે….! હા, સાચી જ વાત છે. વલીભાઈ વેબગુર્જરી સાથે સીધી રીતે સંકળાયેલા છે.

આપણે વલીભાઈના લેખ વેગુ પર, આ પહેલાં પણ વાંચ્યા અને માણ્યા છે. તે લેખોને પણ હવે આ (નવા) વિભાગ ‘વલદાની વાસરિકા’  હેઠળ સાંકળી લીધા છે. અને તેથી જ શીર્ષકમાં (૬)નો આંકડો દૃશ્યમાન છે. હવે આ ક્રમ આગળ વધશે.

જેમ જેમ પરિસ્થિતિ બદલાતી જાય તેમ તેમ થતા રહેતા ફેરફારોને અનુરૂપ, તેમના બ્લૉગની લિંક ઉપરાંત હવે એમનાં લખાણો પણ, નિયમિતપણે, વેબગુર્જરીને મળશે….ક્યારેક કોઈ શ્રેણીના ભાગરૂપે, તો ક્યારેક કોઈ નવા વિષય પર લખીને.

 આવો, આજે મંગલાચરણમાં તેમની વાસરિકાનાં પાનાં પર એમણે શું લખ્યું છે તે વાંચીએ…

    –     સંપાદકો, વેબ ગુર્જરી.]

  • * * * * *

વિદ્વાન-વિદુષી ગુજરાતી-ગુજરાતણ ભાઈ-બહેનો,

અલ્પ વિરામે હું ઉપસ્થિત છું, આપ સૌની સામે એવી કેટલીક અલપઝલપ વાતો સાથે કે જેથી આપ સૌ કંઈક હળવાશ અનુભવવાની સાથેસાથે ગુજરાતી ભાષા અને સાહિત્ય અંગે કંઈક ખૂણાખાંચરાનું વિશેષ જાણી શકો.

(૧) શ્રી જુગલકિશોરભાઈના બ્લોગ ‘Net-ગુર્જરી’ ઉપરના કવિશ્રી સુંદરમ રચિત ‘અનુસ્વાર અષ્ટક’ના વાંચન દ્વારા હળવા મનોરંજન સાથે જોડણીમાંની અનુસ્વારની ગંભીરતાને સુપેરે સમજી શકાશે.

(૨) ગુજરાતી વ્યાકરણમાં એક્વચન/બહુવચન માટેનો કંઈક આવો નિયમ છે : “બે અથવા બેથી વધારેને બહુવચન કહેવાય.” (હિંદીમાં દ્વિવચન પણ છે.) હવે આ નિયમ આ ઉદાહરણમાં ખોટો પડતો લાગશે. એક (૧.૦) રૂપિયો, સવા (૧.૨૫) રૂપિયો, દોઢ (૧.૫) રૂપિયો, પોણા બે (૧.૭૫) રૂપિયા ! અહીં દોઢ (૧.૫) સુધી એકવચન રહે છે, પરંતુ પોણા બેથી (નહિ કે બે થી !) બહુવચન શરૂ થાય છે !!!

(૩) કવિશ્રી મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’ દ્વારા લિખિત ખંડકાવ્ય “વસંતવિજય”માં ‘કંપમાના પડે/લીધી માદ્રી નરેન્દ્ર ભુજની મહીં” પંક્તિમાંના ‘પડે/લીધી’ શબ્દોને પુસ્તકના છાપકામ દરમિયાન અનેક વાર બદલાવાયા હતા.

(૪) કવીશ્વ્રર દલપતરામ અને એલેકઝાન્ડર કિન્લોક  ફોર્બ્સ વચ્ચે એક ગેરસમજના કારણે વિવાદ ઊભો થયો હતો. ફોર્બ્સને દલપતરામ પાસેથી ગુજરાતી શીખવું હતું. ફોર્બ્સે (અંદાજે લખું છું, સત્તાવાર આંકડો ગૌણ બાબત છે.) રૂ|. ૨૫૦/- ટ્યુશન ફી કહી. દલપતરામે કહ્યું હતું, ‘અમે એક દીકરી સાથે કુટુંબમાં ત્રણ જણ છીએ. મને આટલી ઓછી રકમ નહિ પોષાય.’ પાછળથી ખુલાસો થયો કે ફોર્બ્સે એ રકમ દર મહિને આપવાનું કહ્યું હતું અને દલપતરામ એ રકમને વાર્ષિક સમજ્યા હતા. એ જમાનામાં ખેતસાથીઓનો પગાર વાર્ષિક બોલાતો હતો. આજે અમેરિકામાં નોકરિયાતનો પગાર વાર્ષિક બોલવાનો રિવાજ છે. આંકડો મોટો દેખાડવાનો આશય તો નહિ હોય ને !

(૫) દલપતરામે તેમના કાવ્યસર્જનમાં વરસાદી વાતાવરણને અનુલક્ષીને પ્રથમ કડી આ લખી હોવાનું મનાય છે. ‘સાગ (બારસાખ/મોભ)  ઉપર કાગ બેઠો અને રથે (ઘંટીએ) બેઠાં રાણી (પત્ની), બંદા બેઠા માંચીએ (ખાટલે) અને દુનિયા ડહોળે પાણી’ દલપતરામની પ્રારંભિક કાવ્યરચનાઓ જોડકણાં પ્રકારની હતી.

(૬) ઉત્તમ વાર્તાકાર રા. વિ. પાઠકે ‘ખેમી’ વાર્તામાં કોઈ અલંકારો કે એવા કોઈ ભારેખમ વર્ણન વગર માત્ર ‘ખેમી રાંડી’ એવા બે શબ્દો દ્વારા કરુણરસ જમાવ્યો હતો.

(૭) સાહિત્યમાં, ઘણી વાર આલંકારિક પ્રતિકાત્મક શબ્દપ્રયોગો એક અથવા બીજી રીતે તેમ જ યથાવત્ અથવા ઓછા કે વધતા અંશે રૂપાંતરિત સ્વરૂપે મળતા આવતા હોય છે. જ્યારે હું અનુસ્તાક કક્ષાએ અભ્યાસ કરી રહ્યો હતો, ત્યારે એકીસાથે મારે ગુજરાતીમાં શ્રી ગોવર્ધનરામ એમ. ત્રિપાઠી રચિત ‘સરસ્વતીચન્દ્ર’ ભાગ-૪ અને અંગ્રેજીમાં Thomas Hardy રચિત ‘The Return of the Native’ વાંચવાનું બન્યું હતું. મેં મારા ગુજરાતી અને અંગ્રેજીના બંને વિભાગીય વડા સાહેબો (HOD)ના ધ્યાને એક વર્ણન તે બંનેમાં સમાન હોવાની વાતને લાવી દીધી હતી. બંને વર્ણનો અનુક્રમે નદી અને પહાડી પગદંડી વિષેનાં હતાં. એ બંનેમાં સામાન્ય શબ્દસમૂહો કે વાક્યો કંઈક આ પ્રમાણે હતાં : “તે (બંને) વયોવૃદ્ધ માણસના માથા ઉપરની સેંથી (Parting line)ની જેમ પસાર થઈ રહ્યાં હતાં.”

(૮) ગુજરાતી સાહિત્યની નંદશંકર તુળજાશંકર મહેતા રચિત પહેલી નવલકથા ‘કરણ ઘેલો’ માંના ‘બાગલાણનો કિલ્લો’ પ્રકરણમાંની છેલ્લી લીટીએ જ ખબર પડે કે આ નવલકથાનું પ્રકરણ છે, નહિ તો એમ જ લાગે કે આ તો ‘કિલ્લા’ ઉપરનો નિબંધ જ છે.

(૯) ગુજરાતી સ્વરોમાં ઇ-ઈ અને ઉ-ઊ ની જેમ ઋ પણ દીર્ઘ હોય છે.

(૧૦) ગુજરાતી ટાઇપરાઇટરમાં કોઈ શબ્દમાં હૃસ્વ ઇ હોય તો તેને પહેલી છાપવી પડતી હતી. દા.ત. દુનિયા (દ્, ઉ, ઇ, ન્, ય્, આ)

(૧૧) અંગ્રેજી ભાષામાં ખ, ઘ, છ, ઠ, ઢ, ણ, ત, ભ, ષ, ળ, જ્ઞ વગેરેના ઉચ્ચારો છે જ નહિ અને તેથી તેના સ્વતંત્ર વ્યંજનો (alphabets) નથી. આ વ્યંજનો માટે આપણે ગુજરાતીમાં h કે hh ની મદદ લેતા હોઈએ છીએ; જેમ કે, kh, gh, chh, th, dh, bh વગેરે.

(૧૨) અંગ્રેજી T ના ત્ અને ટ્ તથા TH ના થ્ અને ઠ્ એમ બંને વિકલ્પો લેવાતા હોઈ જે તે લોકોમાંનાં પ્રચલિત નામોથી કોઈ અજાણ લોકો દ્વારા તલાજીને ટલાજી, ટોડરમલને તોડરમલ, થાનકીને ઠાનકી અને ઠાકોરને થાકોર બોલાવાની સંભાવના રહેતી હોય છે.

(૧૩) ન. ભો. દિવેટિયાના પુત્રનું નાની વયે અવસાન થતાં તેમને થએલી દુ:ખની લાગણીની અભિવ્યક્તિ રૂપે વિખ્યાત ભજનકાવ્ય ‘મંગલ મંદિર ખોલો દયામય’ નું સર્જન થયું.

(૧૪) અરદેશર ફરામજી ખબરદારની પુત્રી તેહમીનાના યુવાન વયે થએલા અવસાનને કારણે શોકમગ્ન કવિએ આપણને ‘દર્શનિકા’ નામે દીર્ઘ કાવ્ય આપ્યું. નરસિંહ મહેતાનાં પ્રભાતિયાંના મધુર એવા ઝૂલણા છંદમાં આખું ‘દર્શનિકા’ લખાયું છે. ધર્મ, તત્ત્વજ્ઞાન અને જીવનના મર્મને સમજાવતું આ દીર્ઘ ગેયકાવ્ય ગુજરાતી સાહિત્યનું અણમોલ ઘરેણું છે.

(૧૫) સાહિત્ય કે ચલચિત્રોમાં પ્રણય ત્રિકોણ તો નિરૂપાતો હોય છે, પરંતુ કવિ કલાપીના જીવનમાં દાંપત્ય ચતુષ્કોણ રચાયો હતો. રમા (રાજબા), કેસરબા (આનંદીબા) અને શોભના (મોંઘી) એ ત્રણ સત્તાવાર રાણીઓ અને ચોથા તેમના પોતાના થકી રચાએલા આ ચતુષ્કોણ દ્વારા ગુજરાતી સાહિત્યને આત્મલક્ષી (સ્વાનુભવરસિક) એવું ઉમદા પ્રણયસાહિત્ય મળ્યું.

(૧૬) રા. વિ. પાઠક ત્રણ તખલ્લુસ (ઉપનામ) ધરાવતા હતા; કવિ તરીકે ‘શેષ’, વાર્તાકાર તરીકે ‘દ્વિરેફ’ અને નિબંધકાર તરીકે ‘સ્વૈરવિહારી’.

(૧૭) જ્યોતીન્દ્ર હ. દવે એક કૉલેજમાં પોતાની પત્ની સાથે વક્તવ્ય આપવા ગયા હતા. તેમણે પ્રારંભિક સંબોધનમાં આમ કહ્યું હતું : ‘ભાઈઓ અને મારી સાથે આવેલી આ એક સ્ત્રીના અપવાદે સઘળી બહેનો !’ તો વળી, અન્યત્ર માત્ર પુરુષોની સભામાં તેમણે આમ કહ્યું હોવાનું અનુમાન કરી શકાય કે ‘ભાઈઓ અને (પોતપોતાના) ઘેર હાજર બહેનો !!!’

-વલીભાઈ મુસા

લેખકશ્રીની પાદ નોંધઃ આ લેખ ભૂતકાલીન સંસ્મરણો ઉપર આધારિત હોઈ તેમાં સ્મૃતિદોષની સંભાવનાઓ રહેલી છે, જે મારી છટકબારી માટે નહિ; પરંતુ એવી કોઈ ક્ષતિ તરફ મારું ધ્યાન દોરવા માટે લખું છું.

 

Tags: , , , , , , , , , , ,

(૩૫૧) રમેશ પટેલ ‘આકાશદીપ’ કૃત ‘કાવ્યસરવરના ઝીલણે’ કાવ્યસંગ્રહ ઉપરની મારી પ્રસ્તાવના

ગુજરાતી સાહિત્યજગતને પોતાના ‘સ્પંદન’, ‘ઉપાસના’ અને ‘ત્રિપથગા’ એવા ત્રણ કાવ્યસંગ્રહોના તેજપુંજ થકી અજવાળનાર ‘આકાશદીપ’ ઉપનામધારી, નિવૃત્ત વીજેજનેર, એવા માન્યવરશ્રી રમેશભાઈ પટેલ હવે પોતાની પ્રથમ ઈ-બુક ‘કાવ્યસરવરના ઝીલણે’ દ્વારા ગુજરાતી નેટજગતમાં પદાર્પણ કરી રહ્યા છે. ‘ત્રિપથગા’ના વિમોચનટાણે સાહિત્યધુરંધરોએ તેમને જે શબ્દોમાં નવાજ્યા છે તેના તોલે તો કદાચ નહિ જ આવી શકે તેવી અવઢવ સાથે હું તેમના માટે અને તેમની કવિતાઓ માટે એકમાત્ર ‘પોલાદી’ વિશેષણ વાપરવા માગું છું. રમેશભાઈના ચાહકો આ ‘વિવેચક’ને એટલે કે મને મનમાં કદાચ ‘બબુચક’ તરીકે સંબોધશે, એટલા માટે કે કવિ અને તેની કવિતા તો ઋજુ  હોય, તો પછી અહીં ઉભય માટે ‘પોલાદી’ વિશેષણ પ્રયોજાય શાને! આ વાતનો સંક્ષિપ્તમાં ખુલાસો એ જ કે રમેશભાઈનાં કાવ્યો અને તેઓ પોતે તકલાદી નથી. બ. ક. ઠાકોરનાં કાવ્યો માટે એક કાળે વિવેચકોએ ‘કઠોર’ શબ્દ પ્રયોજ્યો હતો અને તેમનાં કાવ્યોની અર્થ-રસ-ગ્રહણની પ્રક્રિયાને ‘નારિકેલપાક’’ની ઉપમા આપી હતી. અહીં રમેશભાઈનાં કાવ્યો માટે ‘પોલાદી’ શબ્દ ‘સમજવા માટે દુષ્કર’ એ અર્થમાં મેં નથી પ્રયોજ્યો, પણ તેમનાં કાવ્યો નક્કર છે, ‘આકાશ’ના એક અન્ય અર્થ ‘પોલાણ’ની જેમ નહિ! તેમનાં કાવ્યો, કાવ્યોની પંક્તિઓ અને પંક્તિઓમાંના શબ્દો સઘળાં અર્થસભર, ચિંતનશીલ, લયબદ્ધ, એકબીજાનાં પુરક અને એકબીજાને ઉપકારક બની રહે છે.

હું કોઈ પૂર્ણકાલીન કે અંશકાલીન સાહિત્યનો કોઈ વિવેચક નથી.  મારા બ્લોગ ઉપર મારા કેટલાક બ્લોગર મિત્રોનાં કાવ્યો કે લેખો ઉપરના મારા પ્રતિભાવો, કેટલાંકનાં ચરિત્રચિત્રણો અને હ્યુસ્ટનસ્થિત મારા મિત્ર શ્રી વિજયકુમાર શાહનાં બેએક પુસ્તકો ઉપરનાં મારાં અવલોકનો એવી કેટલીક સામગ્રી થકી હું મારી તેરમી અને હાલ પૂરતી આખરી ઈ-બુક ‘સમભાવી મિજાજે’ ને આજકાલમાં પ્રસિદ્ધ કરવામાં હતો. મારી આ પ્રસ્તાવના કદાચ મારા એ પુસ્તકનું એક પ્રકરણ બની રહે, કેમ કે રમેશભાઈએ મને આની આગોતરી સંમતિ આપી જ દીધી છે. આવાં અવલોકનો, પ્રતિભાવો, પ્રસ્તાવનાઓ કે સમીક્ષાઓ એવા લેખક્ની જ સ્વઉપાર્જિત મૂડી ગણાતી હોય છે, પણ મારી પ્રણાલિકા એ રહી છે કે મારાં આ પ્રકારનાં લખાણોના આધારરૂપ કૃતિઓના કર્તાઓની સંમતિ હું મેળવતો જ હોઉં છું, કારણકે આને હું સાહિત્યજગતનો શિષ્ટાચાર ગણું છું અને તેવી કૃતિઓને મારા સર્જનના બીજરૂપ સમજતો હોઉં છું. મારા જીવનના બ્લોગીંગ શરૂ કરવા પહેલાંના છેલ્લા ત્રણેક  દશકાઓ દરમિયાન મારી ધંધાકીય વ્યસ્તતાના કારણે હું સાહિત્યવાંચનથી અલિપ્ત થઈ ગયો હતો અને તેથી જ મારા વિવેચનની એક મર્યાદા રહેતી હોય છે કે હું વર્તમાન સાહિત્ય કે તેવા સાહિત્યકારોને તેમના ઉલ્લેખો થકી ઉચિત ન્યાય આપી શકતો નથી. જો કે શ્રી વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદીના મંતવ્ય મુજબ વિવેચકે તો જે તે કૃતિ સાથે જ જોડાએલા રહીને તેની રમણીયતાને સમજવાની અને સમજાવવાની હોય છે. તેણે પર્યવસાયી (અંતિમવાદી) બનીને કૃતિ વિષેના કોઈ ચુકાદાઓ સંભળાવવાના નથી હોતા, પણ સર્જકે અનુભવેલી તેના સર્જન વખતની આનંદ- સમાધિના સ્વરૂપને તપાસવાનું હોય છે. આ પ્રસ્તાવનાના વાચકો અને આ કાવ્યસંગ્રહના કવિએ પણ છેલ્લે એ જ તપાસવાનું રહેશે છે કે મારા આ વિવેચનલેખમાં હું કેટલા અંશે સફળ કે નિષ્ફળ રહ્યો છું.

ભાઈશ્રી ‘આકાશદીપ’ના આ કાવ્યસંગ્રહમાં કાવ્યપ્રકારો અને વિષયોનું વૈવિધ્ય જોવા મળે છે. મારી ધારણા મુજબ તેમણે લગભગ બધા જ કાવ્યપ્રકારો ઉપર પોતાનો કાવ્યકસબ અજમાવ્યો છે. તેમનાં કેટલાંક ઊર્મિકાવ્યો વિષે કંઈક લખવા પહેલાં મારા પોતાના બ્લોગ ઉપરનાં ‘મારાં ઊર્મિકાવ્યો’ લેખની પ્રસ્તાવનામાં મેં એક જ લીટીમાં તેની જે વ્યાખ્યા આપી હતી તેને રજૂ કરીશ. એ શબ્દો હતા : ‘Lyric is a poem that expresses the personal feelings of the lyricist’. આ વ્યાખ્યા મારી પોતાની મૌલિક હોવાનો મારો કોઈ દાવો નથી, કેમ કે અનુસ્નાતક સુધીના મારા અંગ્રેજી અને ગુજરાતીના વિશાળ વાંચનના પરિપાકરૂપે આ કે આવી કોઈ વ્યાખ્યાઓ મારા કે કોઈનાય મનમાં આકાર લઈ શકે છે. મારા કથનના મૂળ રાહે હું આવું તો મારે કહેવું પડશે કે રમેશભાઈએ ઊર્મિકાવ્યની ઉપરોક્ત વ્યાખ્યાને પોતાનાં અનેક કાવ્યોમાં સાર્થક કરી બતાવી છે. ‘આટલું વ્હાલ કેમ ઢોળે?’ કાવ્યમાંની આ કડી કવિના હૃદયોલ્લાસને વ્યક્ત કરે છે:‘ઝૂમી ઝૂમી ફૂલડે એ શું ખોળે/ સખી, વાયરા આટલું વ્હાલ કેમ ઢોળે?’. મારા સમગ્ર કાવ્યસંગ્રહના ઝીણવટભર્યા અવલોકનમાં મને દેખાયું છે કે તેમણે તેમનાં ઊર્મિકાવ્યોમાં ક્યાંક વિષાદને તો ક્યાંક ઉલ્લાસને અભિવ્યક્ત કર્યો છે. સાહિત્યજગતમાંની સનાતન એક વ્યાખ્યા ‘શીલ તેવી શૈલી’ મુજબ અતિ સંવેદનશીલ જીવ એવા રમેશભાઈએ પોતાની રચનાઓમાં પોતાના હૃદયની સઘળી સંવેદનાઓને  નીચોવી દઈને તેમણે આ કાવ્યસંગ્રહ દ્વારા આપણા સુધી પહોંચાડી છે.

ગુજરાતી બ્લોગજગતના અન્ય એક મહાનુભાવ જુગલકિશોર વ્યાસશ્રી ક્યાંક કવિતા વિષે લખે છે,‘… અને ચિત્તને કોઈ અગમ્ય તરફ લઈ જાય તેવું કૌશલ્ય બતાવે તે પણ કાવ્યની જ એક અનન્યતા છે’. રમેશભાઈ પોતાનાં માત્ર ઊર્મિકાવ્યો જ નહિ, પણ તમામ કાવ્યપ્રકારોમાં આ વિધાન મુજબનું પોતાનું અનન્ય કૌશલ્ય બતાવે છે. એ જ જુગલકિશોરભાઈએ સાવ દેશી શબ્દોમાં ‘કાવ્ય’ને એમ સમજાવતાં આગળ લખ્યું છે કે ‘… મહત્વની વાત જ એ છે કે ભાવ કે વિચાર આપણને સ્પર્શી જાય, ઝણઝણાવી મૂકે તોય આપણને એનો ભાર ન રહે કે એનાથી ધરવ ન થાય અને વારંવાર એને માણવા મન રહે, ત્યારે આપણી કાવ્યમીમાંસાના પંડિતો (વિવેચકો) તેને ‘કાવ્ય’ કહે છે.’ રમેશભાઈનાં ‘અમારા હાલ’, ‘તરુ આપણું સહિયારું’, ‘હું માનવને ખોળું’ વગેરે  જેવાં કાવ્યો જુગલકિશોરભાઈની આ વાતની સાક્ષી પૂરે છે. “રટે રાધા” માંની પંક્તિઓ ‘કા’ન કુંવરના મોરલાના છોગે, સખી મારી નજરું ગૂંથાણી / વૃન્દાવનની વાટે ભૂલીને ભાન હું ભોળી ભરમાણી / રટે રાધા!  કા’નાના કામણે ચૂંદડીના પાલવડે પ્રીત્યું બંધાણી./’ વગેરે આપણને કવિ દયારામની યાદ અપાવી જાય છે; યાદ કરો “દયારામ રસસુધા” ની રચનાઓ ‘શ્યામ રંગ સમીપે ન જાવું’ કે પછી ‘રાતલડી કોની સંગે જાગ્યા ઘાયલ છોજી, કેઈનાં નેનબાણા વાગ્યાં!’.

રમેશભાઈનાં પ્રકૃતિકાવ્યોમાંની તેમની નિરૂપણકલા એટલી સહજ અને રમણીય હોય છે કે તેવી કૃતિઓને વાંચતાં  આપણે જે તે ઋતુ કે પ્રાકૃતિક વાતવરણનો અનુભવ કરતા હોઈએ તેવું જ આપણને લાગે. આમ આવાં કાવ્યો આપણા માટે ‘સ્પંદન’ સમાન બની રહે છે. કવિએ પોતે રચેલા જે તે કાવ્ય વખતે તેણે અનુભવેલાં સ્પંદનો (waves)ને એ કાવ્યના માધ્યમ  દ્વારા વાચકમાં અનુકંપિત કરાવી શકે તો અને માત્ર તો જ એ કાવ્યને અને તેના કવિને સફળ ગણાવી શકાય. આખા કાવ્યસંગ્રહમાં આપણને મોટી સંખ્યામાં આવાં પ્રાકૃતિક વર્ણનનાં કાવ્યો મળી રહેશે. કવિ ન્હાનાલાલના આવા એક કાવ્યની પંક્તિઓ ‘ઝીણા વરસે મેહ, ભીંજે મારી ચુંદલડી’ વાંચતાં જેમ કાવ્યનાયિકાની સાથે આપણે પણ ભીંજાઈ જઈએ; બસ, તે જ રીતે, રમેશભાઈ પોતાના ‘સિંધુના બિંદુથી’ કાવ્યની આ પંક્તિ ‘ધરતી મેહુલિયાના સુભગ મિલને, મદમાતી ધરતીએ પ્રગટી સુવાસ’ થકી પહેલા વરસાદથી ભીની માટીની સોડમનો આપણે અનુભવ કરી શકીએ છીએ. ‘ગ્રીષ્મ’ કાવ્ય આપણને શરીરે દઝાડે છે તો ‘ગાજ્યાં ગગન’, ‘ગગન શરદનું’  અને ‘હેલે ચઢી તમારી યાદ’ વગેરે કાવ્યો પ્રાચીન કાલીન ઋતુકાવ્યો બનીને આપણને  માનસિક અને આત્મિક એવી વિરહની આગમાં તરફડાવે છે.

કવિ પોતાનાં કેટલાંક કાવ્યોમાં આધ્યાત્મજ્ઞાનના વિષયને પણ સ્પર્શ્યા સિવાય રહી શક્યા નથી, જેની મિસાલ તરીકે  ‘અમારા હાલ’ કાવ્યને દર્શાવી શકાય. આની છેલ્લી કંડિકા જૂઓ:’જાણ્યા જાણ્યા તોય રહ્યા સદા અજાણ, હરિ એવા દીઠા અમે અમારા હાલ’. મારા “આત્મા – સંક્ષિપ્ત અભ્યાસ’ લેખમાંના કોઈક અજ્ઞાતના ઈશ્વરના નૈકટ્યની પ્રાપ્તિ વિષેના  અવતરણને કવિના આ વિચારના સમર્થનમાં અહીં દર્શાવું છું કે ‘જ્યાં મારી બુદ્ધિ અણુંના માપ જેટલું પણ અંતર કાપીને તારી નજીક આવવા મથે છે, ત્યાં તો તું માઈલો દૂર ચાલ્યો જાય છે.’ તો વળી નિરંજન ભગતની યાદ આપતું આ કાવ્ય ‘અવિનાશી અજવાળું’ પણ માણવા જેવું ખરું! તેની સરસ મજાની પંક્તિ છે: ‘નથી અમારું નથી તમારું, આ જગ સૌનું સહિયારુ/મારામાં રમતું તે તારામાં રમતું, અવિનાશી  અજવાળું’ આ સંદર્ભે કવિવર રવીન્દ્રનાથ ટાગોરને તેમના આ કથન ‘ઈશના સૌંદર્યને માણે અને જાણે એનું નામ કવિ’ થી યાદ કરીએ. ‘ગીતા છે મમ હૃદય’ કાવ્ય તો જેમ ગીતા જીવનનો સાર સમજાવે છે, બસ તેવી જ રીતે આ લઘુ કાવ્ય એ પણ જાણે કે ગીતાનો જ સાર હોય તેવી રીતે કવિ લાઘવ્યમાંઆપણને ઘણું ઘણું કહી જાય છે. આ કડી ‘શ્રી કૃષ્ણ વદે, સુણ અર્જુન સખા,ગીતા છે મમ હૃદય/ સોંપી લગામ પ્રભુને હાથ ,આવી જા તું મમ શરણ’ તો સાચે જ આપણને ગુજરાતી સાહિત્યના પંડિત યુગની કવિતાઓની યાદ અપાવી જાય છે.

કવીશ્વર દલપતરામની શૈલીની યાદ અપાવતી ‘સિંહ રાજા જ બોલ્યા’ એક રચના છે. તો વળી પોતે ‘પટેલ’ અટકધારી હોઈ કદાચ કિસાનપુત્ર હોવાના નાતે જગતના તાત  એવા કિસાનને યથાયોગ્ય સમજી શક્યાની પ્રતીતિ આપણને તેમની કૃતિ ‘સવાયો તાત’માં થયા વગર રહેશે નહિ. વર્તમાન સમયની ‘જગતના તાત’ની અવદશાને દુનિયા ભલે નજરઅંદાજ કરતી હોય, પણ ‘હરિ’ને મન તો એવા કિસાનનો મરતબો અદકેરો જ છે. આ વાતની ગવાહી આપે છે, કવિના આ શબ્દો: ‘નથી સવાયો કોઈ તાતથી, ભોળી એની ભક્તિ / આંખે ઉભરે વહાલનાં વારિ, હૈયે ધરણીધરની મરજી’.

કવિએ ગુજરાત અને  ભારત દેશ ઉપરનાં વતનપ્રેમ અને દેશભક્તિને લગતાં ‘મહેંકતું ગુજરાત’, ‘આઝાદી’ અને ‘જયહિંદ જયઘોષ ત્રિરંગા’ જેવાં કાવ્યો, ‘આદ્યાશક્તિ’ જેવાં ભક્તિકાવ્યો, ‘અમે રે ઉંદર’ જેવાં વ્યંગકાવ્યો વગેરે જેવી કાવ્યોની વિવિધતાઓ આપવામાં કવિએ કોઈ કસર છોડી નથી. જૂના જમાનાના શ્યામ-શ્વેત બોલપોટના જમાનાનું જે કાળે લોકજીભે ખૂબ રમતું એવું ગુજરાતી ફિલ્મીગીત  ‘ભાભી, તમે થોડાં થોડાં થાજો વરણાગી’ ને વર્તમાન સમયના સંદર્ભમાં ‘ઓ ભાભી તમે’ શીર્ષકે રમેશભાઈએ સરસ મજાનું પેરડી કાવ્ય રચીને કમાલ કરી બતાવી છે.  કવિનું એક બીજું રસમય બાળકાવ્ય ‘આવ ને ચકલી આવ’ પણ મનભાવન બની રહે છે. ‘આવી જ દીપાવલી’ તહેવાર ઉપરનું ઉમળકાસભર કાવ્ય છતાં ‘વર્ષાન્તે સરવૈયું હાથ ધરજો, લાભ્યા તમે શું જગે?’ પંક્તિ થકી કવિ માનવજીવનના સાર્થક્ય અને સિદ્ધિપ્રમાણને ઉજાગર કરે છે. સંસ્કૃત કાવ્યમીમાંસક મમ્મટનું કવિતા કલા વિષેનું વિખ્યાત વિધાન છે કે કવિતા કાન્તા (પત્ની)ની જેમ મિષ્ટ વાણીમાં ઉપદેશને ઘોળીને પાઈ દેનારી હોય; બસ, આ જ રીતે રમેશભાઈ પણ પોતાના આખા કાવ્યસંગ્રહમાં ઠેરઠેર આવી પ્રયુક્તિઓ થકી માનવ જીવન વિષેના અનેક સંદેશાઓ અને ફલશ્રુતિઓ  બતાવી જાણે છે. ‘ઉછાળો હર હૈયે તોફાન’ કાવ્ય ભ્રષ્ટાચાર અને પ્રદુષિત લોકશાહી સામે જંગનું એલાન કરતું અને વાચકના દિલમાં ઉત્તેજના જગાડતું સુંદરતમ કાવ્ય છે.

વાંચન દરમિયાન સ્મિતને ચહેરાથી જરાય વેગળું ન થવા દેનાર  કેટલાંક રમુજી કાવ્યો પૈકી  મુખ્ય તો એક છે ‘હાલો હાલોને ઘેલાભાઈની જાનમાં!’. ગુજરાતી બ્લોગ જગતમાં ધૂમ મચાવનાર ‘હાસ્ય દરબાર’ બ્લોગના ધણીધોરીઓ ભેગા મને પોતાને પણ સાંકળી દેતા આ કાવ્યની થોડીક પંક્તિઓ આ પ્રમાણે છે: ‘વલીભાઈએ બાંધ્યાં હાઈકાં રે, શબ્દોની તીખી કટાર / ઉંઘમાં મરકે મોટડા, વ્યંગની વાગે શરણાઈ / હાલો હાલોને ઘેલાભાઈની જાનમાં’. ‘ઓ મારા વરસાદ અને વહુ’ કાવ્યમાં તો વરસાદ અને વહુની સરખામણી કરીને કવિએ ‘કેમ કરી દઈએ રે જશ’ જેવી પંક્તિઓ દ્વારા વક્રોક્તિનો સહારો લઈને માર્મિક હાસ્ય નિરૂપ્યું છે. ‘ચાની રંગત’ કાવ્યમાં ચાને ભારતીય જીવનનો ભાગ બની ગએલી બતાવતાં કવિએ તેને ‘રૂપલી રાજરાણી’ની ઉપમા આપીને વ્યંગ્ય કવન દ્વારા ઘણાં લક્ષ સાધ્યાં છે. કવિની હાઈકુકાર તરીકેની ક્ષમતાને પણ નજર અંદાઝ નહિ કરી શકાય. પ્રથમ દૃષ્ટિએ સરળ લાગતું આ જાપાની હાઈકુ રચવું એ પણ પ્રખર કવિત્વશક્તિ માગી લે છે. કવિએ ‘તાંડવલીલા’ શીર્ષકે આપેલાં કેટલાંક હાઈકુઓ પૈકીનું એક હાઈકુ  ભગવાન શંકરના તાંડવ નૃત્યને  અનોખી રીતે અભિવ્યક્ત કરે છે, જે આ પ્રમાણે છે: ‘તાંડવલીલા / ત્સુનામી ને ભડકા / સ્તબ્ધ દુનિયા’!

હવે જ્યારે મારી આ પ્રસ્તાવનાનું સમાપન નજીક આવતું જાય છે, ત્યારે મને કહેવા દો કે મારા   વિવેચનધર્મ અનુસાર મારે આ કાવ્યસંગ્રહમાંની કવિની ખૂબીઓની સાથે સાથે તેમની  ખામીઓને પણ તટસ્થ ભાવે દર્શાવવી જરૂરી બની જાય છે. મારા આ કર્તુત્વને ‘ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં વાખવા’ જેવું ન સમજતાં સર્જક આને એ અર્થમાં સમજશે કે આવું દોષનિવારણ પોતાનાં આગામી સર્જનોમાં કરીને પોતાનાં સર્જનોને ઉત્તમોત્તમ બનાવી શકાશે.

બીજી એ સ્પષ્ટતા કરવી અહીં જરૂરી બની જાય છે કે અહીં સર્જનના ઈ કે પી પ્રકાશનપૂર્વે મને મળેલા ડ્રાફ્ટના આધારે જ્યારે હું આ લખી રહ્યો હોઉં, ત્યારે મારા આ લખાણને  વિવેચન ન કહેતાં એને પ્રસ્તાવના જ કહેવી પડે. વિવેચન તો જે તે પુસ્તકની બહાર કોઈ સામયિક, સમાચારપત્ર કે કોઈ વિવેચકના પોતાના અંગત પુસ્તકમાં હોય છે, જ્યારે પ્રસ્તાવનાનું સ્થાન એ પુસ્તકની અંદર હોય છે. હવે બને એવું કે પ્રસ્તાવનાલેખક તરફથી સર્જકની કોઈ ક્ષતિઓ તરફ અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો હોય અને પોતાના સર્જનને આખરી રૂપ આપવા પહેલાં એવી ક્ષતિઓને પ્રસ્તાવનાલેખકની સંમતિથી સર્જક દ્વારા સુધારી લેવામાં આવે તો પ્રસ્તાવનામાંનો એવો ક્ષતિનિર્દેશ કે ટીકાટિપ્પણી અર્થહીન બની જાય. આમ પ્રસ્તાવનાને પણ મઠારી લેવી પડે અને તો જ ઉભય વચ્ચે એકસૂત્રતા જાળવી શકાય. અહીં વળી નવો પ્રશ્ન એ ઉદભવે કે આ પ્રકારના સુધારાવધારા થકી છેવટે સર્જન ખામીરહિત બની જતાં પ્રસ્તાવના માત્ર પ્રશંસાત્મક જ બની રહે. આમ વાચકને એમ જ લાગે કે વિવેચકે ન્યાયી વિવેચન કર્યું નથી. આ ખુલાસો એટલા માટે જરૂરી બની જાય છે કે આવી પરિસ્થિતિમાં વાચકોને  વિવેચકના તાટસ્થ્ય વિષે કોઈ શંકાકુશંકા રહે નહિ.

અહીં રમેશભાઈ મને આપેલી ડ્રાફ્ટ કોપીને યથાવત્ જાળવી રાખીને કાવ્યસંગ્રહ પ્રસિદ્ધ કરશે તેમ માનીને હું કેટલાંક સૂચનો કરું તો તે અસ્થાને નહિ લેખાય. પ્રથમ તો તેમણે ‘ત્રિપથગા’માં અંગ્રેજી, ગુજરાતી અને હિંદી એમ ત્રણેય ભાષામાં પોતાની રચનાઓ રજૂ કરી હતી, તેની પાછળ ‘ત્રિપથગા’ને અનુલક્ષીને કવિના વિવિધ (જુદાજુદા) ત્રિવિધ આશયો પૈકીનો ત્રણ ભાષાનો આશય હશે; પણ અહીં આ કાવ્ય સંગ્રહને દ્વિભાષી (Bilingual) ન રાખતાં હિંદીમાં લખાએલી થોડીક જ રચનાઓને આ સંગ્રહમાંથી બાકાત રાખવી જોઈતી હતી.

‘ઓગષ્ટ ક્રાન્તિના ઓ યશભાગી’ કાવ્ય તેના નાયકોના ‘Flop Show’ ના કારણે હવે અપ્રસ્તુત થઈ જતું હોઈ તેને પણ અહીં બાકાત રાખ્યું હોત તો વાચકોને અન્ના હજારે આણિ કંપનીની નિષ્ફળતાની વ્યગ્રતામાંથી બચાવી શકાયા હોત. કેટલાંક કાવ્યોનાં શીર્ષકોમાં યોગ્ય વિરામચિહ્નોનોનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો જે તે કાવ્યમાંનો કવિનો ભાવ શીર્ષકના વાંચન માત્રથી વાચકોને સમજાયો હોત! આ બાબતના ઉદાહરણમાં કેટલાંક શીર્ષકો આ પ્રમાણે છે : – ‘ગાંધી આવી મળે !’, ‘ગબ્બર ગોખ ઝગમગે, રે લોલ !’ તો વળી, ઘણાં કાવ્યોમાં પણ પંક્તિઓના અંતે કે વચ્ચે પણ જ્યાં જરૂરી હોય ત્યાં વિરામચિહ્નો સમૂળગાં છે જ નહિ, જેને મોટી મર્યાદા સમજવી પડે! ‘વિરાટ તારી શાન !’ કાવ્ય જો સર્વસામાન્ય કોઈ પણ ક્રિકેટરના સંદર્ભે હોય તો બરાબર છે, પણ જો તે  વ્યક્તિલક્ષી હોય; દા.ત. સચિન તેદુંલકર, તો કાવ્યમાં તેનો નામોલ્લેખ થવો જોઈતો હતો!

મેં રમેશભાઈને મારી એક મર્યાદાની વાત જણાવી દીધી હતી કે હું કાવ્યપ્રકાર ‘ગઝલ’ ના બંધારણ આદિથી પૂરો અવગત ન  હોઈ એવી કોઈ રચનાના વિષયવસ્તુમાત્રની ચર્ચાથી વિશેષ કશાયથી મને પરહેજ (સીમિત) રાખીશ. પરંતુ બ્લોગજગતનાં વિદુષી પ્રજ્ઞાબેન વ્યાસના કવિની ગઝલ ‘એકાંત’માં ઉપરના સૂચનને ટપકાવીશ કે ‘આ સુંદર ગઝલમાં મત્લા બરાબર નથી, આમ છતાંય ભાવવાહી રચના છે.’ ગઝલમાં ભલે મારી ચાંચ ન ડૂબતી હોવા છતાં હું તેને જાણી અને માણી શકું તો ખરો જ અને તેથી જ મને ખૂબ પસંદ પડેલી ‘છે કિનારા બે જુદા’ ગઝલનો એક શેર આપ વાચકો સાથે Share  કરું છું, મુશાયરાઓમાં થતા પઠનની અદાથી કે ‘ધર્મ મારો ધર્મ તારો, છે કિનારા બે જુદા (૨)/જલ વહાવે એક બંને (શુક્રિયા), જલ વહાવે એક બંને, સત્ય એ સાચું બધે’.

“ચંદ્ર પર પ્રથમ પગ મૂકનાર અવકાશયાત્રી આર્મસ્ટ્રોંગ” શીર્ષકે કવિ દ્વારા લખાએલી રૂડી લઘુરચનાના પ્રતિભાવ રૂપે અન્ય એક મહાનુભાવ કે જેમને મેં Think Tank’ નું બિરૂદ આપ્યું છે તેવા શ્રી શરદભાઈ શાહે તે બ્લોગના Comment Box માં પોતાનો જે પ્રતિભાવ સ્વર્ગસ્થ આર્મસ્ટ્રોંગને અંજલિ આપતી તેમની આ શીઘ્રરચના થકી આપ્યો હતો, તેને અહીં વ્યક્ત કર્યા વિના હું નહિ રહી શકું.

“વિરાટ બ્રહ્માંડમાં  દીઠી ધરા મારી સલુણી,
રમે નભે  દૃષ્ટિ તો  હૈયે  રમે કોટિ કહાણી,
હશે  જ કેવો  રૂડો આ ચાંદ પૂંછું હું મનને,
દઉં સલામી જ,  આર્મસ્ટ્રોંગ ચૂમ્યા ચંદ્રભૂમિ!”
– (રમેશ પટેલ( ‘આકાશદીપ’

“ચાંદ પર કદમ રખા નીલને પહલી બાર,
ચાંદને કહા હોગા, આના યહાં બારબાર!
મગર આજ નીલ હુઆ જબ તારતાર,
સચ કહું, ચાંદભી રોયા હોગા ઝારઝાર!”
– (શરદ શાહ)

મારી પ્રસ્તાવનાના અતિવિસ્તારથી હું વાકેફ છું જ, કેમકે રમેશભાઈએ પોતાના કાવ્યસંગ્રહને બૃહદ બનાવ્યો હોઈ મારે પણ તેમની સાથે ખેંચાવું પડ્યું છે. આમ છતાંય સાહિત્યજગતના શિષ્ટાચારના ભાગરૂપે હું વાચકોની ક્ષમા યાચું છું. મેં પ્રારંભે જ રમેશભાઈની નિવૃત્ત વીજ ઈજનેર તરીકેની ઓળખ આપી દીધી છે, તેની પાછળ પણ મારો ઈશારો છે કે જોખમી એવા વીજળીના તાર સાથે આસાનીથી રમત રમતાં રમતાં નોકરી પૂરી કરનાર એવા ભાઈશ્રી ‘આકાશદીપ’ કેવી આસાનીથી  શબ્દોના તાર જોડી બતાવીને આપણને કાવ્યરમતમાં કેવા રમમાણ કરી દે છે! રમેશભાઈને તેમની કવિ તરીકેની સફળતા બદલ આપ સૌ વાચકો વતી અને મારી વતી ધન્યવાદ આપું છું. ગુજરાતી સાહિત્યને તેમના તરફથી વધુ ને વધુ નવીન સર્જનો મળતાં રહે તેવી અભ્યર્થના સાથે અત્રેથી વિરમું છું.  જય હો!

-વલીભાઈ મુસા

 

Tags: , , , , , , , , , , , , , , , ,