RSS

Tag Archives: નામાબર

(609) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન  અને રસદર્શન – ૩૫ (આંશિક ભાગ – ૨) હર એક બાત પે કહતે હો તુમ કિ તૂ ક્યા હૈ (ગ઼ઝલ)  – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

હર એક બાત પે કહતે હો તુમ કિ તૂ ક્યા હૈ (શેર ૩ થી ૬)

 

 

 

 

 

 

યે રશ્ક હૈ કિ વો હોતા હૈ હમ-સુખન તુમ સે
વગર્ના ખ઼ૌફ઼-એ-બદ-આમોજ઼ી-એ-અદૂ ક્યા હૈ (૩)

[રશ્ક= ઈર્ષા; હમ-સુખન= પરસ્પર વાતચીત કરવી; વગર્ના = નહિ તો; અદૂ= શત્રુ, વેરી, હરીફ; ખ઼ૌફ઼= ડર; આમોજ઼ી= ઉશ્કેરણી, ભંભેરણી; ખ઼ૌફ઼-એ-બદ-આમોજ઼ી-એ-અદૂ= દુશ્મનની ખોટી કાનભંભેરણીનો ડર]

કોઈ કથા કે નાટકમાં માત્ર નાયક-નાયિકા જ હોય અને ખલનાયક ન હોય તો તેમાં રસ જામે નહિ. ગ઼ાલિબની  ગ઼ઝલોમાં નામાબર (સંદેશાવાહક) કે પછી માશૂકનો હરીફ ખલનાયક (Villain)ની ભૂમિકા  ભજવતો હોય છે. આમ સાહિત્યિક કૃતિઓમાં રસનિષ્પત્તિ માટે પ્રણયત્રિકોણ મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે.

પહેલા મિસરામાં માશૂક માશૂકાને સંબોધીને કહે છે કે ‘વો’ એટલે કે મારો હરીફ તારી સાથે વાતચીત કરે છે તેની મને ઈર્ષા થાય છે. ઈર્ષા થવાનું કારણ એ જ કે માશૂકના નસીબમાં માશૂકા સાથે વાત કરવાનું લખાયું નથી, કેમ કે માશૂકા તેમનાથી દૂર ભાગે છે અને વાત કરવાનો કોઈ મોકો આપતી નથી. આમ પોતે માશૂકા સાથે પ્રણયગોષ્ટિ કરવાથી મહરૂમ (વંચિત) રહી જતા હોય અને પેલો હરીફ છડેચોક તેમની માશૂકા સાથે વાત કરવાનો આનંદ લૂંટી રહ્યો હોય, ત્યારે સ્વાભાવિક છે કે માશૂકને જલન તો થાય જ.

બીજા મિસરામાં માશૂક નિશ્ચિંત હોવાનો કે બહાદુરી દેખાડવાનો દંભ કરે છે, અર્થાત્ શેખી મારે છે કે મારો દુશ્મન તારી કાનભંભેરણી કરશે એવો મને કોઈ ડર નથી. મને વિશ્વાસ છે કે તેની કાનભંભેરણીની તારા ઉપર કોઈ અસર નહિ થાય અને તેથી જ તો એ પ્રકારનો ડર મારા માટે કોઈ વિસાતમાં નથી. અહીં રદીફ ‘ક્યા હૈ’ બરાબર  બંધબેસતો છે અને માશૂકની દંભી બેફિકરાઈના સંદર્ભે પ્રયોજાયો છે.

અહીં બીજા મિસરા સંદર્ભે આ રસદર્શનકાર તેના પઠનને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણે જુદી રીતે મૂલવે છે. દુશ્મનની કાનભંભેરણી માશૂકા ઉપર કોઈ જ અસર નહિ કરે અને તેને એ પ્રકારનો કોઈ જ ડર નથી એમ જે કહેવાય છે એ માત્ર આશ્વાસન મેળવવા પૂરતો દંભ પણ હોઈ શકે. આ વાતને સમજવા માટે એક ઉદાહરણ લઈએ કે કોઈ મનોમન અંધારાથી ડરનારો માણસ પોતાની ભીરુતા છુપાવવા વારંવાર બોલ્યે જ જાય કે ‘જુઓ, હું કંઈ અંધારાથી ડરું છું?’. બસ, એવો જ કંઈક માશૂકના ઉપરોક્ત  વિધાન પાછળ તેના વિરુદ્ધનો ભાવ પણ હોઈ શકે; કેમ કે પહેલા મિસરામાં હરીફની તેની માશૂકા સાથેની વાતચીત તેનામાં ઈર્ષાનો ભાવ તો જગાડે જ છે. તો પછી એ જ હરીફ કે દુશ્મન તેની માશૂકાને જીતી લેવા માટે માશૂકની વગોવણી કર્યા વગર રહે ખરો! એટલે માશૂક મનમાં તો ડર ધરાવે જ છે કે પેલો પ્રતિસ્પર્ધી જરૂર માશૂકાની કાનભંભેરણી કરશે જ, પણ શાબ્દિક રીતે તો બેફિકરાઈ બતાવવી જ પડે છે; કારણ કે તે માશૂકાની નજરમાં વહેમીલો સાબિત થવા માગતો નથી. જો કે આ રસદર્શનકાર એ સ્પષ્ટતા તો અવશ્ય કરે જ છે કે આ અર્થઘટન તેનું મૌલિક છે અને તે અન્ય મીમાંસકોની મીમાંસાથી સાવ અલગ તો છે જ. હવે ગ઼ઝલપ્રેમીઓ સ્વતંત્ર છે કે તેમણે માશૂકના કયા મનોભાવને સ્વીકાર્ય ગણવો.

* * *

ચિપક રહા હૈ બદન પર લહૂ સે પૈરાહન
હમારે જેબ કો અબ હાજત-એ-રફૂ ક્યા હૈ (૪)

[પૈરાહન= વસ્ત્ર, પહેરણ; જેબ= ખિસ્સું; હાજત-એ-રફૂ = રફૂ કરવાની-તૂણવાની જરૂરિયાત]

સામાન્ય રીતે ઉર્દૂ કવિતામાં લોહી અંતર્ગત વર્ણનો સામાન્ય હોય છે, જે કોઈક સંવેદનશીલ પાઠકોને ઘણીવાર કઠતાં હોય છે; આમ છતાંય આ શેર મૌખિક પ્રસ્તુતિ માટે વજનદાર છે. પહેલા મિસરામાં સાવ સરળ રીતે એમ કહેવાયું છે કે લોહીથી તરબતર પહેરણ શરીર સાથે ચોંટી ગયું છે. અહીં છાતીના ભાગે લોહી નીકળી આવવાના કારણની કલ્પના કરવી રહે છે કે માશૂક પરેશાન હાલતમાં પોતાની છાતીને નહોર ભરીને એવા ઉઝરડા પાડે છે કે પહેરણ પણ લોહીથી ખરડાઈ જાય છે. બીજા મિસરામાં પણ સીધા શબ્દોમાં એમ કહેવાયું છે કે હવે અમારા પહેરણના ખિસ્સાને રફૂ કરવાની શી જરૂર છે. બંને મિસરાને સંયુક્ત રીતે સમજતાં એ નિષ્કર્ષ ઉપર આવી શકાય કે નહોર ભરવાના કારણે ફાટી ગયેલા પહેરણના ખિસ્સાને રફૂ કરવાનો કોઈ મતલબ રહેતો નથી. અહીં શાયરનું ચાતુર્ય સમજવા જેવું છે. પહેરણના ખિસ્સા નીચે હૃદય હોય છે અને એ હૃદય પણ માશૂકાની અવહેલનાના કારણે એવું તો ઘવાયું છે કે ત્યાં પણ લોહીનો અંત:સ્રાવ થયો છે. આમ આંતરિક હૃદય કે બાહ્ય ખિસ્સાને રફૂ કરીને સાંધવાનો કોઈ હેતુ રહેતો નથી. આ કથનને સમજવા માટે  ગંભીર રોગનો ભોગ બનેલા કોઈક દર્દીનું ઉદાહરણ લઈએ. આવો દર્દી પોતાની બીમારીથી એટલો બધો ત્રસ્ત થઈ ગયો હોય કે હવે તે કોઈપણ જાતની સારવાર લેવા ન માગતો હોય. આપણા માશૂક પણ માશૂકાથી એટલા બધા ત્રસ્ત  છે કે હવે તે ‘અબ હાજત-એ-રફૂ ક્યા હૈ’નો ઉદગાર કાઢી બેસે છે અને એ દ્વારા એ હૃદયના ઘાવ રૂઝાવવા કે ખિસ્સાને રફૂ કરવાથી બેપરવાહ રહેવા માગે છે. માશૂકની ત્રસ્તતા આપણને આ ગ઼ઝલના પહેલા જ મત્લા શેરમાં જાણવા મળે છે કે માશૂકા વારંવાર માશૂકને તેની હૈસિયત બતાવવા માટેનો પડકાર ફેંકતો એક જ મહેણાટોણાનો પ્રશ્ન પૂછ્યે રાખે છે ‘તુ ક્યા હૈ?’. આ આકરાં વેણ માશૂકના દિલને ઘાયલ કરે છે અને તેમાંથી જ આ સ્વતંત્ર શેરનો જન્મ થાય છે.

* * *

જલા હૈ જિસ્મ જહાઁ દિલ ભી જલ ગયા હોગા
કુરેદતે હો જો અબ રાખ જુસ્તુજૂ ક્યા હૈ (૫)

[જિસ્મ= શરીર; કુરેદતે= ફંફોસવું, આંગળાં વડે શોધવું; જુસ્તુજૂ= આકાંક્ષા, ઇચ્છા, તલાશ, શોધ]

મુશાયરાની શોભા વધારવા માટે સક્ષમ વધુ એક આ શેર છે. આ શેરની આંતરિક ખૂબીને સમજવા પહેલાં આપણે તેની બાહ્ય ખૂબીને પહેલી અવલોકીએ. શેરના પહેલા મિસરામાં વર્ણાનુપ્રાસ અલંકારમાં ચાર શબ્દોમાં ‘જ’ રણકાર સાંભળવા મળે છે અને વળી બીજા મિસરામાંના ‘જુસ્તજૂ’ શબ્દના ‘જુ’ સાથે તેનો તાલમેલ સધાય છે. આમ આ શેર કર્ણપ્રિય બની રહે છે.

શેરના પહેલા મિસરામાંનું કથન એવી કમનીય રીતે રજૂ થયું છે કે બીજા મિસરામાં શું આવશે તેનો અણસાર સુદ્ધાં પાઠકને થતો નથી. માશૂક માશુકાને મર્મવચન સંભળાવતાં કહે છે કે જ્યાં મારું આખું શરીર બળીને ભસ્મ થઈ ગયું છે, ત્યાં મારું દિલ પણ બળી ગયું હોવું જ જોઈએ. અહીં માશૂકાની અવહેલનાના કારણે યાતનાની આગમાં ઘેરાઈ ગયેલા માશૂકનો આક્રોશ વ્યક્ત થાય છે. જે દિલ માશૂકાને બેહદ ચાહતું હતું તે શરીરની સાથે બળીને નામશેષ થઈ ગયું છે.

બીજા મિસરામાં માશૂકાનો પશ્ચાત્તાપ એ રીતે સમજાય છે કે તેણી રાખના ઢગલામાં આંગળાં ફેરવીને માશૂકના દિલને ઢૂંઢવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે. અહીં આપણે થોડોક કલ્પનાનો રંગ ઉમેરવો પડશે કે માશૂક તો દિલ સમેત આખા શરીરથી બળીને ભસ્મ થઈ ગયો છે, તો પછી કેવી રીતે તે માશૂકાને સંબોધીને આ શેરને રટી શકે! તો આમાં આપણે આધ્યત્મિક ફિલોસોફીનો આશરો લઈને માનવું પડશે કે શરીર નાશવંત છે, પણ રૂહ (આત્મા) અમર છે; અને તેથી આ શેર માશૂકાની રાખના ઢગલામાં દિલ શોધવાની ચેષ્ટાને જોઈને માશૂકની રૂહ તેને છેલ્લે મર્મવચન (ટોણો) સંભળાવતાં કહે છે કે ‘જુસ્તુજૂ ક્યા હૈ’  અર્થાત્ ‘મારા દિલની શોધખોળનો હવે શો અર્થ  છે, કે જેના બળી જવા પાછળનું નિમિત્ત માત્ર તો તું જ છે ને!’ ’

* * *

રગોં મેં દૌડ઼તે ફિરને કે હમ નહીં ક઼ાઇલ
જબ આઁખ હી સે ટપકા તો ફિર લહૂ ક્યા હૈ (૬)

[રગ= નસ; ક઼ાઇલ= માનનારું; કબૂલ કરનારું,પ્રભાવિત થનારું; લહૂ= લોહી]

આ શેરના પહેલા મિસરાને સમજવા માટે બીજા મિસરાના ‘લહૂ’ શબ્દને અહીં સાંકળવો પડશે. શેરને સીધી લીટીએ સમજીએ તો માશૂક કહે છે કે પોતાના શરીરની નસોમાં થતા રુધિરાભિસરણ અર્થાત્ લોહીના પરિભ્રમણથી હું જરાય પ્રભાવિત થતો નથી, કેમ કે નસોમાં લોહીનું દોડવું કે ફરવું એ તો દરેક માનવીના શરીરની સર્વસામાન્ય પ્રક્રિયા છે. ખરેખર તો એ લોહી આંસુના વિકલ્પે આંખોમાંથી ટપકે તો જ તેનું મૂલ્ય હું આંકું, અન્યથા શરીરની અંદર જ ફર્યા કરતા લોહીની મારા મનથી કોઈ વિસાત નથી. આ તો આ શેરનો વાચ્યાર્થ થયો ગણાય, પણ તેનો ગૂઢાર્થ તો કંઈક જુદો જ છે.

એ ગૂઢાર્થને સમજાવવા પહેલાં હું રુદન અને તેની સાથે સંલગ્ન આંસુ વિષયક થોડી ચર્ચા કરી લેવા માગું છું. લોકો રડે છે, જ્યારે કે તેઓ ઉદાસ, ભયભીત, ક્રોધિત અને હતાશા કે વેદનામય સ્થિતિમાં હોય; અને વળી કેટલીક વાર તો તેઓ ખુશ હોય ત્યારે પણ રડી પડતા હોય છે. રડવું બધા જ સંવેગોમાં ઉદભવતું હોય છે ટોમ લુત્ઝ (Tom Lutz) નામના જીવવિજ્ઞાની લાક્ષણિકતાઓને અનુલક્ષીને આંસુઓના ત્રણ પ્રકાર આપે છે. (૧) મૂળભૂત (Basal) આંસુ (૨) પ્રત્યાઘાતી (ઈજાના ફલસ્વરૂપ) આંસુ; અને, (૩) લાગણીજન્ય (મનોવૈજ્ઞાનિક કારણથી નિપજતાં) આંસુ.  ઘણીવાર એમ પણ બનતું હોય છે કે રડનાર પોતે પણ પોતાના રુદન ઉપર અંકુશ મૂકી ન શકે, જ્યાં સુધી તેની પ્રસન્નતા કે ગમગીનીનું મૂળભૂત જે કોઈ કારણ હોય તેની અસર સંપૂર્ણપણે તેના મનમાંથી સાવ ભૂંસાઈ ન જાય.

આપણા શેરના માશૂક તેમની માશૂકા તરફથી થતી અવગણનાના કારણે  હતાશામાં એવા તો ઘેરાઈ ગયા છે કે તેઓ લોહીનાં આંસુએ રડવા ઝંખે છે. ‘લોહીનાં આંસુએ રડવું’ એ રૂઢિપ્રયોગ છે અને તે અસહ્ય વેદનાથી દીર્ઘ કાળ સુધી રડ્યે જવાની ક્રિયાને સમજાવે છે. માશૂક શરીરના આંતરિક લોહીના પરિભ્રમણથી અને એ લોહીથી જરાય સંતુષ્ટ નથી. એ લોહી આંખોમાંથી અશ્રુરૂપે ટપકવું જોઈએ એમ તેઓ ઇચ્છે છે. અહીં માશૂક વિષાદની પરાકાષ્ઠામાંથી પસાર થઈ રહ્યા છે અને એમાંથી જલ્દી બહાર નીકળવા માટે ઘેરું રુદન કરી લેવા ઇચ્છે છે. છાનું કે હળવું રુદન તેમની વેદનાને લંબાવશે, જે તેમને માન્ય નથી.

સારાંશે કહીએ તો માશૂક લોહીનાં આંસુએ રડી લઈને ત્વરિત વિષાદમુક્ત થવા માગે છે. ખરે જ ‘ક્યા હૈ’ રદીફના ‘લહૂ’ કાફિયા સાથેના જોડાણની ચમત્કૃતિ મનભાવન બની રહે છે.

* * *

 

મિર્ઝા ગ઼ાલિબ                                                                            (ક્રમશ: ૩)

(ગ઼ઝલ ક્રમાંક – 179)

* * *

ઋણસ્વીકાર :

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

(૫) Courtesy : https://rekhta.org

(૬) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ

* * *

 

 

Tags: , , ,

(593) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન  અને રસદર્શન -૨૩ (આંશિક ભાગ – ૨) નુક્તા-ચીં હૈ ગ઼મ-એ-દિલ… (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

નુક્તાચીં હૈ ગ઼મદિલ (શેર થી )

 

 

 

ગ઼ૈર ફિરતા હૈ લિએ યૂઁ તિરે ખ઼ત કો કિ અગર
કોઈ પૂછે કિ યે ક્યા હૈ તો છુપાએ ન બને (૪)

ગ઼ાલિબ પોતાની ઘણી ગ઼ઝલોમાં નામાબર (કાસદ)ને ઉલ્લેખે છે. માશૂકાને પત્રો પહોંચાડવાનું કામ બજાવતા આ કાસદ ઉપર માશૂકને ઘણીવાર શંકા થતી હોય છે કે રખેને એ કાસદ જ પોતાની માશૂકાનો વધુ કરીબી થઈને ખલનાયક તો નહિ બની જાય, આડખીલીરૂપ તો નહિ બની જાય! અહીં આ શેરમાં પણ ગ઼ાલિબ એવી જ વાત લાવે છે; પરંતુ અહીં કાસદ નહિ, પણ માશૂકનો હરીફ છે. માશૂકાના પોતાના ઉપરના પત્રને ગડી વાળીને લઈ ફરતો એ હરીફ બિનભરોંસાપાત્ર છે. તેમના પ્રણયની ગુપ્તતા એ નહિ જ જાળવે. કોઈક એને પૂછે કે તેના હાથમાં શું છે તો તે રહસ્ય ખુલ્લું કરી જ દેશે અને આમ જમાનાને માશૂકના ઇશ્કની જાણ થઈ જશે. એ તો સર્વવિદિત છે જ કે જમાનો હંમેશાં પ્રેમીયુગલોનો દુશ્મન જ રહ્યો છે. માશૂકનો હરીફ માશૂકને ઊઘાડો પાડી દઈને તેને બદનામ કરી દીધા પછી હળવેથી તે માશૂકાનો નિકટતમ પ્રેમી થઈ જશે. આ શેરમાં માનવસ્વભાવની શંકાશીલતાને ઉજાગર કરવામાં આવી છે. આપણને યાદ રહે કે ગ઼ાલિબની વાસ્તવિક કોઈ માશૂકા છે  જ નહિ. તેમની  ગ઼ઝલોમાં તેમની કલ્પનાની માશૂકા એક વિષય માત્ર જ બને છે. આમેય આપણે જાણીએ જ છીએ કે ગ઼ઝલકારની  ગ઼ઝલોમાં શરાબ અને સુંદરી હોય જ  અને તેથી જ તો શાયરીમાં રંગત આવતી હોય છે, અન્યથા એ સર્જન નીરસ જ બની રહે.

* * *

ઉસ નજ઼ાકત કા બુરા હો વો ભલે હૈં તો ક્યા
હાથ આવેં તો ઉન્હેં હાથ લગાએ ન બને (૫)

(નજાકત= કોમળતા); આતિશ = આગ]

આ શેરમાં શાયર માશૂકા પરત્વે હળવો આક્રોશ વ્યક્ત કરે છે. તે માશૂકાને સંબોધતાં કહે છે કે ભલેને તારામાં ગમે તેવી નજાકત (કોમળતા) હોય, પણ એ કશાય કામની નથી; અને તેથી હું સખ્ત શબ્દોમાં તારી નજાકતની આલોચના કરું છું. એવી નજાકત તો શા કામની કે જે પાસે હોય અને તેને સ્પર્શી ન શકાય. આમ માશૂકાની નજાકત આસમાનના સિતારાઓ જેવી છે; જે સુંદરતમ તો છે, પણ તેમને હાથમાં લઈ શકાતા નથી. આ શેરના બીજા મિસરામાં ‘હાથ’ શબ્દની પુનરાવૃત્તિ, પણ ભિન્ન અર્થોમાં, મનનીય બની રહે છે. ‘હાથ આવવું’નો મતલબ છે, ‘પ્રાપ્ત થવું’ અને ‘હાથ લગાવવો’નો મતલબ છે, ‘સ્પર્શ થવો’. આ શેર આપણને ગ્રીક દંતકથાના શાપિત રાજા ટેન્ટેલસની યાદ અપાવે છે કે જેના મોંઢા સુધી ફળ અને પાણી હોવા છતાં તે તેમને આરોગી કે પી શક્તો નથી.

* * *

કહ સકે કૌન કિ યે જલ્વાગરી કિસ કી હૈ
પર્દા છોડ઼ા હૈ વો ઉસ ને કિ ઉઠાએ ન બને (૬)

(જલ્વાગરી = તેજ (પ્રભા)ની જાદુગરી)

અહીં માશૂકાના હુશ્નને બિરદાવવામાં આવ્યું છે. પર્દાની પાછળ છુપાયેલા હુશ્નના તેજની જાદુગરી કોની છે એ જાણવું કે સમજવું કોઈપણ બુદ્ધિમાન માણસની બૌદ્ધિક શક્તિ બહારનું છે. માશૂકાએ પોતાના હુશ્નને છુપાવવા માટે પોતના ચહેરા ઉપર પર્દો એવી રીતે નાખ્યો છે કે તેને ઉઠાવવામાં આવે તેવી કોઈ શક્યતા વર્તાતી નથી. ચહેરા ઉપર પર્દા કે નકાબનું હોવું એ સ્વરૂપવાન બાનુ માટે તહજીબ (શિષ્ટાચાર)નો એક ભાગ ગણાય છે. મર્દમાત્ર માટે એ સાહજિક આરજૂ હોય છે કે ઢંકાયેલા સૌંદર્ય તરફ વિશેષ આકર્ષણ કે લગાવ હોવો. અહીં શાયરની ઝંખના તો એ જ છે કે માશૂકાના સૌંદર્યનું અનાવરણ થાય અને તે એ સૌંદર્યને જોવા પામે, પણ સાથે સાથે તેને એ વાતનો યકિન પણ છે કે એ પર્દો નહિ જ ઊઠે. આ શેરને ઇશ્કે હકીકી સંદર્ભે લઈએ તો સમજાય છે કે અનુપમ સૌંદર્ય ઠેર ઠેર વેરાયેલું પડ્યું છે એવા બ્રહ્માંડનો સર્જનહાર ઈશ્વર પણ પર્દા પાછળ છુપાયેલો જ હોય છે કે જેને આપણે આપણાં ચર્મચક્ષુઓ વડે હરગિજ નિહાળી ન શકીએ, સિવાય કે આપણે આપણાં અંત:ચક્ષુ દ્વારા તેની અનુભૂતિ કરીએ.

* * *

– મિર્ઝા ગ઼ાલિબ                                                                                                                                                                                                (ક્રમશ:)

(ગ઼ઝલ ક્રમાંક – ૧૯૨)

* * *

ઋણસ્વીકાર :

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) http://techwelkin.com/tools/transliteration/ (દેવનગરી-ગુજરાતી સ્ક્રીપ્ટ કનવર્ટર)
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા
(૫) Courtesy : https://rekhta.org (અંગ્રેજી વર્ઝન)

* * *

English Version :

My rival roams, your message tucked so by his side
If someone were to ask what’s this, he’s unable to hide (4)

Her daintiness નજાકત be damned, tho’ noble, she may be as much
E’en when I manage to get hold, I’m unable to touch (5)

Who can fathom who it is behind the veil concealed
Its been dropped in such a way it cannot be unveiled (6)

– Courtesy : https://rekhta.org

 

 

Tags: , , , , , ,

(587) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૧૭ (આંશિક ભાગ – ૨)તસ્કીં કો હમ ન રોએઁ… (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબવલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

(ગતાંક આંશિક ભાગ – ૧ ના અનુસંધાને ચાલુ)

તસ્કીં કો હમ રોએઁ                      

તુઝ સે તો કુછ કલામ નહીં લેકિન નદીમ
મેરા સલામ કહિયો અગર નામાબર મિલે ()

(કલામ= વચન, શબ્દ, કથન; નદીમ= મિત્ર, સાથી; નામાબર= કાસદ-સંદેશાવાહક)

અર્થઘટન અને રસદર્શન :

આ શેરમાં સંવાદકીય સ્પર્શ છે, પરંતુ તેમાં ‘વણકહી’ કોઈ એવી બાબત છુપાયેલી છે કે જે કોઈક પેટા-ઘટના ઘટી હોવાનો સંકેત આપે છે અને આપણે વાચકોએ તે માટેની કલ્પના જ કરવી રહી. અહીં માશૂક તેના સંદેશાવાહક પરત્વે કંઈક ગુસ્સામાં હોય તેમ લાગે છે. આ ગુસ્સાનું કારણ એ હોઈ શકે કે એ કાસદ દ્વારા માશૂકાને પહોંચાડવાનો સંદેશો તેના સુધી પહોંચ્યો જ ન હોય! માશૂકા તરફથી સંદેશાનો કોઈ પ્રત્યુત્તર ન મળતાં કાસદની સંદેશો પહોંચાડવા માટેની બેદરકારી સાબિત થતી હોવાનું જણાય છે. માશૂકા સુધી સંદેશો ન પહોંચવાનું બીજું કારણ એ પણ હોઈ શકે કે તેણે સંદેશો દબાવી દીધો હોય! આમ થવા પાછળ માશૂકને એક એવી શંકા થાય છે કે એ સંદેશાવાહક પોતે જ એ માશૂકાની મોહિનીમાં ગિરફ્તાર થયો હોય. આ વાતને સાવ દેશી શબ્દોમાં એમ સમજી-સમજાવી શકાય કે ભૂખ્યા સાથે ભાત મોકલવામાં જેમ એવું જોખમ રહેલું છે કે તે પોતે જ એ ભોજનને આરોગી જાય! અહીં કાસદ પક્ષે એમ જ બન્યું હોવાની માશૂક શંકા સેવે છે અને તેથી જ તે થોડાક આક્રોશમાં અને થોડાક વ્યંગમાં માશૂકાને સંબોધતા હોય તેમ પોતાની હૈયાવરાળ કાઢતાં તેને કહે છે કે ‘હે સાથી, તને મારે કોઈ જ કલામ (શબ્દો) કહેવા નથી; પરંતુ હા, કદી મારો મોકલેલો કાસદ (પત્રવાહક) તારી પાસે આવી જાય તો તેને મારા સલામ જરૂર પાઠવજે!’

શેરના પહેલા મિસરામાંના શબ્દો ‘તુઝ સે તો કુછ કલામ નહીં’ મુહાવરા રૂપે બોલાયા હોય તેમ લાગે છે, જેનું  અર્થઘટન થાય કે ‘હવે મારે તને કશું જ કહેવાનું નથી.’ આ શુષ્ક શબ્દો પાછળ માશૂક રિસાયા હોવાનો ભાવ વર્તાય છે. માશૂકાનું નકારાત્મક વલણ કે સંદેશા સામેનું મૌન માશૂકને અકળાવે છે. એક તરફ પોતે તેના વિરહમાં તરફડી રહ્યા છે અને બીજી તરફ તેમની થતી ઉપેક્ષા તેમના આળા હૃદયને વધારે વ્યથા પહોંચાડે છે અને તેથી જ તેઓ ઓરતો કરતા હોય તેમ તેની સાથેનો સાવ છેડો ફાડી નાખવા જેવી ભારે વાત કરી બેસે છે. વાસ્તવમાં તો માશૂક આ શબ્દો દ્વારા ભીતરી સંદેશો તો એ જ આપતા લાગે છે કે તેઓ હજુય તેની પાછળ દિવાના છે જ, પણ નાછૂટકે જ તેમને એવાં કઠોર વેણ સંભળાવવાં પડે છે. આ શેરમાં બીજી ‘કલામ’ અને ‘સલામ શબ્દોની પ્રાસ-ચમત્કૃતિ નોંધનીય છે. આ બંને શબ્દો પરસ્પર પડઘાય છે અને તેથી આ શેરને ગ઼ાલિબના ઉમદા શેરોમાં સ્થાન મળી રહે છે.

* * *

તુમ કો ભી હમ દિખાએઁ કિ મજનૂ ને ક્યા કિયા
ફુર્સત કશાકશગ઼મપિન્હાઁ સે ગર મિલે ()

(ફુર્સત= અવકાશ; કશાકશ-એ-ગ઼મ-એ-પિન્હાઁ= આંતરિક દુ:ખોની ખેંચમતાણ)

અર્થઘટન અને રસદર્શન :

આ શેરનો શબ્દાર્થના આધારે ભાવાર્થ તો આમ જ થઈ શકે કે ‘શું અમે તમને (માશૂકાને) એ પણ બતાવીએ કે મજનૂએ શું કર્યું? મારાં આંતરિક દુ:ખોની ખેંચમતાણમાંથી મને જો રાહત મળે તો હું એ પણ કરી બતાવું.’ પરંતુ આવું માત્ર શાબ્દિક અર્થઘટન પર્યાપ્ત ન ગણાય. પદ્યમાં તો ઓછા શબ્દોમાં લાંબી વાતને ઘટ્ટ (Condensed) કરીને મૂકવામાં આવે, પણ વાસ્તવમાં એ વાત તો વિસ્તૃત જ હોય.

શેરના પ્રથમ મિસરામાં  સ્પષ્ટતા (Lucidity) હોઈ તેના અર્થગ્રહણ માટે કોઈ લમણાઝીક કરવી પડે તેમ નથી. હા, એટલું ખરું કે કોઈ લૈલા-મજનૂની પ્રેમકહાણી વિષે જાણતું ન હોય તો એ હકીકત જાણવાની મૂંઝવણ રહે કે મજનૂએ શું કર્યું હશે. ચાલો, આપણે આ શેરને સમજવા પૂરતી લૈલા-મજનૂ વિષેની થોડીક માહિતી મેળવી લઈએ. સાતમી સદીમાં એ વખતના અરેબિઆમાં આ પ્રેમકહાણી ઘટી મનાય છે. આ પ્રેમકહાણી ઉપર આધારિત પુષ્કળ સાહિત્ય અને ચલચિત્રો નિર્માણ પામ્યાં છે. શીરીં-ફરહાદ, રોમિયો-જુલિયેટ, હીર-રાંઝા, શેણી-વિજાણંદ કે શાહઝાદા સલીમ-અનારકલીની જેમ લૈલા-મજનૂની જોડી પણ સાચાં પ્રેમીયુગલો માટે આદર્શ ગણાય છે. પ્રેમીયુગલોના જીવનમાં યાતનાઓ સહજ હોય છે. લૈલા-મજનૂ એવું પ્રેમીયુગલ છે કે તેમનું મિલન થતું નથી અને તેથી તેમને ‘કુંવારાં પ્રેમી (Virgin Lovers) તરીકે ઓળખવામાં આવે છે. પ્રેમકહાણીનાં આ પાત્રો મદરસા (નિશાળ)માં સાથે ભણતાં હોય છે અને આમ તેઓ કિશોરાવસ્થાથી જ એકબીજાના પ્રેમમાં છે. લૈલા અમીર ઘરાનાની દીકરી છે, મજનૂ ગરીબ છે. આ બંને એકબીજાંને અનહદ ચાહે છે. લૈલાનાં કુટુંબીજનો તેને અન્યત્ર પરણાવી દે છે. મજનૂ લૈલાના નામનો પોકાર કરતો દીવાનો થઈને ભટક્યા કરે છે. દુનિયા તેને મજનૂ (દીવાના) તરીકે જાહેર કરે છે, સતાવે છે અને પથ્થરમારો પણ કરે છે. આખરે તે રણમાં ચાલ્યો જાય છે અને ત્યાં જ મરણ પામે છે. બીજી એક રિવાયત મુજબ લૈલાના ભાઈ કે પિતાએ મજનૂની હત્યા કરી હોવાનું મનાય છે. સામા પક્ષે લૈલા પણ મજનૂના વિરહમાં મૃત્યુ પામે છે. આમ આ પ્રેમી યુગલનું મિલન થતું નથી.

હવે આપણે ગ઼ાલિબના આ શેર ઉપર આવીએ. અહીં માશૂક પોતાની માશૂકાને મજનૂનો હવાલો આપીને જણાવે છે કે તેમની મનોદશા પણ મજનૂના જેવી જ છે. તે કહે છે કે હું પણ મજનૂની જેમ કરી શકું છું, પણ પોતે પોતાનાં અન્ય આંતરિક દુ:ખો વચ્ચે એવા ઘેરાયેલા છે કે તે એમ નથી કરી શકતા. તેઓ પણ મજનૂ જેટલા જ દુ:ખી છે અને તેથી તેઓ પણ મજનૂની જેમ તેમનું જુનૂન (ઘેલછા) પ્રદર્શિત કરી શકે છે, પણ સંયમ જાળવી લે છે. આમ માશૂક માશૂકાને એ બતાવવા માગે છે કે ભલે ને તેઓ મજનૂના જેવી દીવાનગી પ્રદર્શિત નથી કરી શકતા, પણ તેમની દિલની હાલત તો મજનૂના જેવી જ છે. આમ અહીં ઈશારો કરવામાં આવે છે કે એ  માશૂક મજનૂના જેવો દીવાનગીનો બાહ્ય દેખાવ નથી કરી શકતા અને તેથી તેનો મતલબ એ નથી કે તેઓ મજનૂની સરખામણીમાં ઓછા પ્રેમી છે. અહીં ગ઼ાલિબનાં આંતરિક દુ:ખોમાં તેમની આર્થિક દુર્દશા અને સંતાનવિહિનતાને સમજી શકાય છે.

બીજી પંક્તિમાંના કશાકશ શબ્દને સમજી લઈએ. ક્શાકશ એ મૂળ શબ્દ ‘કશ’ ઉપરથી બનેલો છે, જેનો અર્થ થાય છે, ખેંચાણ કે વિસ્તરણ. આમ કશાકશ એટલે ચિંતાઓ અને વ્યાધિઓમાં ખેંચાઈ જવું, ઘેરાઈ જવું. આમ છતાંય આપણી આ ગ઼ઝલનો નાયક પોતાનાં દુ:ખોને મજનૂના કરતાં પણ વધારે પીડાદાયક ગણે છે. મજનૂ તો તેનાં દુ:ખોને તેની જાહેરી દીવાનગીના માધ્યમે દુનિયા આગળ પોતે રજૂ કરી શકે છે અને તેથી તેની વ્યથા લોકોને સમજાય છે. પરંતુ આપણો ગ઼ઝલનાયક તો છૂપાં દુ:ખોથી પિડાઈ રહ્યો હોઈ તે પોતાનાં દુ:ખોની માત્રા દુનિયાને કે માશૂકાને બતાવી શકતો નથી.

* * *

મિર્ઝા ગ઼ાલિબ

                                                         (ક્રમશ: ભાગ – ૩)

* * *

ઋણસ્વીકાર :

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) http://techwelkin.com/tools/transliteration/ (દેવનગરી-ગુજરાતી સ્ક્રીપ્ટ કનવર્ટર)
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા
(૫) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ

 

Tags: , , , ,