RSS

Tag Archives: પ્રતિભાવ

(૪૧૪) ‘બ્લોગપ્રકાશને સજ્જતા’ ઉપર ભાવપ્રતિભાવ

‘વેબગુર્જરી’ બ્લોગ ઉપરના મારા ‘વલદાની વાસરિકા’ લેખશ્રેણી હેઠળના લેખ ‘બ્લોગપ્રકાશને સજ્જતા’ ઉપર આવેલા વિવિધ પ્રતિભાવોમાંનો એક પ્રતિભાવ મને યુ.એસ.એ. સ્થિત ભાઈશ્રી મનસુખલાલ ડી. ગાંધી તરફથી મેઈલ દ્વારા મળ્યો હતો. બ્લોગીંગ પ્રવૃત્તિમાં જે તે લેખો ઉપર વાચકોના અરસપરસ વાચકોવાચકો વચ્ચેના અથવા લેખક સાથેના સૌજન્યપૂર્ણ પ્રતિભાવોની જે આપલે થતી હોય છે તે એક સારી બાબત ગણાતી હોય છે. આપણે જોતા હોઈએ છીએ કે ઘણીવાર એવી રસપ્રદ ચર્ચાઓ જામતી હોય છે કે ત્રાહિત વાચકોને મૂળ લેખ કે કૃતિ કરતાં વિશેષ તો આવી ચર્ચાઓમાં મજા પડતી હોય છે. બ્લોગજગતમાં તો પ્રતિભાવો વાંચવાના શોખીનોનો એક ખાસ વર્ગ હોય છે. નિખાલસભાવે અને ખુલ્લા મને થતી આવી ચર્ચાઓથી જે તે વિષયની સારી છણાવટ થતી હોય છે અને અન્યોન્યનાં દૃષ્ટિબિંદુઓ જાણવા મળી રહેતાં હોય છે.

હવે આપણે મૂળ વાત ઉપર આવીએ તો શ્રી મનસુખભાઈએ ‘બ્લોગપ્રકાશને સજ્જતા’ વિષય ઉપર પોતાનો પ્રતિભાવ આ પ્રમાણે આપ્યો હતો : “આજરોજે ‘વેબગુર્જરી’ ઉપર તમારો ઉપરોક્ત લેખ વાંચ્યો. તમારી એક રીતે વાત બરાબર છે કે બ્લોગરો ઘણા થઈ ગયા છે અને તેઓએ આત્મમંથન કરવું જોઈએ. વળી તમને નથી લાગતું કે બ્લોગરો ભલે તેમને જે લખવું હોય તે લખે અને જેમને વાંચવું હશે તેઓ જ વાંચશે, અને નહીં વાંચે તેમની આપણે શા માટે ચિંતા કરવી….??? આ બહાને ગુજરાતી તો લખાતું રહેશે ને…??? આમ આ બહાને ‘ગુજરાતી’ પણ જીવતી રહેશે….આ કાંઈ પરીક્ષાનું પેપર થોડું જ છે કે જે લખાય તે બરાબર ચીપીચીપીને જ લખાવું જોઈએ ! દરેકે ‘ફરજિયાત’ વાંચવું અને ટિપ્પણી પણ ‘ફરજિયાત’ લખવાની… એવું થોડું હોય ??? જેમને પણ શોખ હોય તે લખે અને જેઓ લખે છે તે પણ ‘ગુજરાતી’માં જ ને ! પછી અફસોસ કે બળાપો શાને માટે…?.

બીજાઓ માટે ખોટી ચિંતા કરવાના બદલે, તમે જોરદાર લખતાં રહો; અમને ‘ગુજરાતી’ વાંચવાનું ગમે છે, તમારું લખાણ અમને ગમે છે અને અમે ચોક્કસ વાંચતાં રહીશું…..” (Mansukhlal D.Gandhi, U.S.A.)

મનસુખભાઈના ઉપરોક્ત પ્રતિભાવ સામેનો મારો પ્રતિભાવ કે ખુલાસો જે ગણો તે નીચે પ્રમાણે રહ્યો હતો :

“મનસુખભાઈના મેઈલ રૂપે આવેલા પ્રતિભાવને મેં પોતે જ અહીં કોમેન્ટ બોક્ષમાં એટલા માટે મૂક્યો હતો કે જેથી અન્ય વાચકો તેમના દૃષ્ટિબિંદુને પણ સમજી શકે. વળી એ જ પ્રતિભાવના મારા જવાબી પ્રતિભાવ માટે હું Reply હેઠળ આ લખાણ એટલા માટે લખી રહ્યો છું, કે જેથી ચર્ચાના વિષયનું સાતત્ય જળવાઈ રહે.

મનસુખભાઈનો મધ્યમમાર્ગી પ્રતિભાવ છે, જેમાં બ્લોગીંગ પ્રવૃત્તિમાંની બ્લોગરની સજ્જતાને નકારવામાં પણ આવી નથી કે તેને સમર્થન પણ આપવામાં આવ્યું નથી. અહીં દરેકે એ વિચારવાનું રહે છે કે હજારેક જેટલા જ બ્લોગરમિત્રો લાખો કે કરોડોની સંખ્યામાંના ગુજરાતી વાચકોને જ્યારે પોતાનું લખાણ પીરસતા હોય, ત્યારે લખાણની ગુણવત્તા તો જળવાવી જોઈએ કે નહિ ! આપણા ઘરમાંની ગૃહિણી કે ઘરકામ કરવાવાળી બાઈની દાઝેલા દૂધની ચા, ખામીયુક્ત રસોઈ, એઠાં રહી ગએલાં વાસણ કે વેઠ ઊતાર્યા જેવી કપડાંની ઈસ્ત્રી એ બધું ન ચલાવી લેતા હોઈએ તો અહીં તો ભાષાકીય ગંભીર બાબત છે.

મારા લેખમાં જોડણી અંગેની વાતને મેં આત્મપસંદગી ઉપર છોડી છે, પણ એ સિવાયની બાબતોમાં તો જાગરૂકતા હોવી જ જોઈએ ને ! શું આપણે વાક્યરચના કે વ્યાકરણની ભૂલોને પણ ચલાવી લેવા માગીએ છીએ ? શું આપણે અંગ્રેજી ક્રિયાપદોને પણ ગુજરાતી ક્રિયાપદોના વાઘા પહેરાવીશું ? શું આપણે ‘ઊંઘતો હતો’ને ‘સ્લીપતો હતો’ તેમ લખીશું ? શું આપણે અંગ્રેજી કે હિંદીમાં ગમે તેમ લખી શકીએ ખરા ? ગુજરાતી માટે અંગ્રેજીના જેવું Spellingની ઝડપી અને ખામીરહિત ચકાસણી માટેનું કોઈ સક્ષમ સોફ્ટવેર નથી; પણ માનો કે એવું કોઈ સોફ્ટવેર તૈયાર થાય તો પણ શું આપણે તેનો ઉપયોગ નહિ જ કરીએ ? વળી માનો કે આપણે તેનો ઉપયોગ કરવાના જ છીએ તો ભાષાશુદ્ધિનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો નહિ ગણાય ? દુનિયાના જે જે દેશોએ મેટ્રિક પદ્ધતિના તોલમાપનો સ્વીકાર કર્યો છે તેમના સાચાપણાના સ્વીકાર કે ખાત્રી માટે ઈટાલીના મ્યુઝિયમમાં પ્લેટિનમ ધાતુમાં એ બધા એકમોને નમૂના તરીકે મોજુદ રાખવામાં આવ્યા છે.

કોઈપણ ભાષાના શબ્દકોશ ભલે સંવર્ધિત થતા રહેતા હોય, પણ તેનું મહત્ત્વ તો ગણાતું જ રહેતું હોય છે. મારું તો માનવું છે કે શબ્દકોશોમાંથી જોડણીના નિયમોનાં પાનાં કાઢી નાખવાં જોઈએ. જે તે શબ્દની જોડણી ક્યા નિયમથી બની છે તેમાં ઊંડા ઊતરવાના બદલે જે તે શબ્દની જોડણી શબ્દકોશમાં જે છે તે છે જ એમ માની-મનાવી લેવું જોઈએ. ઉદાહરણ તરીકે અંગ્રેજી Station શબ્દમાં tioને ‘શ’ ગણવામાં આવ્યો છે, તો Tuition શબ્દમાં tioની આગળ વધારાનો ‘i’ અક્ષર છે તો છે જ અને તેને કેમ અને શા માટે એવી કોઈ વાત લાગુ પડશે જ નહિ. આ તો આપણું એવું વલણ ગણાય કે માસીએ તો સુઘડ કપડાં પહેરવાં જ જોઈએ, મા તો લઘરવઘર કે ફાટેલાં કપડાંમાં હોય તો પણ ચાલશે. અહીં ‘મા’ એટલે ‘માતૃભાષા’ અને ‘માસી’ એટલે ‘અન્ય ભાષા’ એમ સમજવું રહ્યું.

‘સાહિત્ય’ એ એક કલા છે અને તે અંગે ભવિષ્યે મારો એક લેખ આવશે, પણ અહીં હું એ કહેવા માગું છું કે જો ‘ચિત્રકામ’ને આપણે ‘કલા’ તરીકે સ્વીકારીએ તો ‘મોર’નું ચિત્ર ‘મોર’ જેવું લાગવું જોઈએ અને તો જ તેને બ્લોગ ઉપર મૂકી શકાય. હવે ‘મોર’ તરીકે પહેલી નજરે ઓળખાતું જ ન હોય તેવા કોઈ અણઘડ ચિત્રને આપણે બ્લોગ ઉપર મૂકીશું તો શું આપણે ચિત્રની નીચે એમ લખીશું કે ‘આ મોરનું ચિત્ર છે !’ ? હાલમાં અમદાવાદમાં ‘સપ્તક’ના કાર્યક્રમો ચાલી રહ્યા છે, તો શું જે તે કલાકાર તેમાં કોઈ છબરડા વાળે તો સામે બેઠેલા શ્રોતાઓ એ ચલાવી લેશે ખરા ?

આ બધી વાતોનો સારાંશ એટલો જ છે કે દુનિયાભરની ભાષાઓમાં બ્લોગ લખાય છે અને એ બધી ભાષાઓમાં જો તેમનાં ધોરણો જળવાઈ રહેતાં હોય તો શું ગુજરાતી માટે આપણે આઝાદ છીએ?”

આશા સેવું છું કે આ વિષય ઉપર હજુ પણ વધુ ચર્ચા થતી રહે. ધન્યવાદ.

– વલીભાઈ મુસા

 

Tags: , , , , , , , , ,

(૩૧૬) પંચમ શુક્લ રચિત ‘ખેચરી’ ઉપરનો મારો પ્રતિભાવ

(૩૧૬) પંચમ શુક્લ રચિત ‘ખેચરી’ ઉપરનો મારો પ્રતિભાવ

ખેચરી

લિસોટાઈ જતું તાણ ને તણાવ ખેંચતું,
મંથર ગતિએ આભને વિમાન ખેંચતું.

સ્થિર થઈ ગઈ છે નજર બસની રાહમાં,
સૂમસામ આ સડકનું મન વિચાર ખેંચતું.

છે ટાઈનીય પીઠ પર પ્રસ્વેદ બિંદુઓ,
આઈફોનથી વિદેહી કોઈ કાન ખેંચતું.

ચોંટી ગયું છે ચિત્તમાં સ્ટોકિંગ શું કશુંક,
ઊખડ્યા કરે એ રોમરોમ અપાર ખેંચતું.

ફૂટપાથની તિરાડમાં ડેઈઝીના ફૂલ પર,
મધમાખીનું ભ્રમણ અકળ મીઠાશ ખેંચતું !

– પંચમ શુક્લ

બ્લોગ – પંચમ શુક્લ (પ્રત્યાયન)

અગાઉ માન્યવર મહોદય શ્રી જુગલકિશોરજીએ પંચમજીની એક રચના “જાત જરા ઢંઢોળો જદુપતિ” ના પ્રતિભાવમાં એક કાળે બ. ક. ઠાકોરનાં કાવ્યો (સોનેટ) વિષે જેમ કહેવાતું હતું તેવા જ શબ્દોમાં લખ્યું છે કે “તમારાં અને હિમાંશુભાઈનાં કાવ્યોમાં કેટલુંક એવું હોય છે, જેને નારિકેલપાકની માફક પામતાં પહેલાં કષ્ટ લેવું પડે.”

પ્રજ્ઞાબેને આ રચના ઉપર હઠયોગની એક મુદ્રા ખચેરી કે ખેચરીને અનુલક્ષીને પોતાનો વિદ્વતાપૂર્ણ અને માહિતીપ્રચુર પ્રતિભાવ આપ્યો છે.

અહીં હું પણ નિખાલસભાવે કહું તો વિવેચક (બબૂચક!)નો વહેમ લઈને ફરતો એવો હું બુઠ્ઠા દાતરડા કે છરી વડે કદાચ હાથે લોહી પણ કાઢી બેસવાના જોખમ સાથે ‘ખેચરી’ રૂપી નાળિયેરને છોલીને અંદરની કઠોર કાચલીને ગૃહઉંબરે અફાળીને પોચા ખોપરાના આવરણનીય ભીતરમાંના મધુર પાક (પાણી)ને પાત્રમાં પામવા અને સમભાવીઓને પાન કરાવવાનો યથામતિએ પ્રયત્ન કરું છું.

‘ખેચરી’ શીર્ષક (નારિયેળની ચોટી!)થી આપણી મથામણ શરૂ કરીએ તો મારા નમ્ર મતે ‘ખેચરી’ શબ્દ ‘ખ=આકાશ’ સાથે સંબંધિત છે. વિધાતાએ સર્જેલા સઘળા જીવોને ‘ખેચર’, ‘ભૂચર’ અને ‘જળચર’ એમ ત્રણ પ્રકારે વિભાજિત કરી શકાય. કવિના મતે કંઈક જુદી જ વાત હોઈ શકે, કેમ કે આ રચનામાં ‘જળ’નો ઉલ્લેખ નથી અને અન્ય જે બેનો સમાવેશ થાય છે તે છે આભ અને સડક.

ફરી પાછા ‘ખેચરી’ શબ્દમાંથી અર્થ ખેંચવાનો અને વૈયાકરણીય પદચ્છેદ કરવાનો મિથ્યા પ્રયત્ન કરીએ તો આપણને ‘આકાશમાં વિહરનાર’ એવો અર્થ અને પદપ્રકાર તરીકે ‘વિશેષણ’ એમ જાણવા મળશે. ‘ખેચરી’ વિશેષણના વિશેષ્ય તરીકે જડ કે ચેતન પદાર્થો આવી શકે જેમાં અનુક્રમે વિમાન, પતંગ કે ગ્રહો અને વિહંગ હોઈ શકે.

હવે ‘ખ’ અર્થાત્ આકાશના બંધારણને સમજવાની કોશિશ કરીએ તો તે વાયુઓનું આભાસી આવરણ માત્ર છે. આકાશને આંબવા કે પકડવા આપણે જેમે જેમ ઊંચે ચઢતા જઈએ તેમ તેમ ઝાંઝવાના જળની જેમ દૂર અને દૂર હડસેલાતું જ જવાનું. આમ આકાશ એ વાસ્તવિકતા ન હોતાં માત્ર ભ્રમ છે અને તેથી તેને ભાવાત્મક (સ્થુળ તો નહિ જ) જ ગણી શકાય.

આટલે સુધીના કોઈક વાંચકોના મતે કંટાળજનક એવા પ્રારંભિક પિષ્ટપેષણ પછી ગઝલના માથે(શીર્ષક)થી ખભે અને એમ નીચે ઊતરવા માંડીએ. મારું માનવું છે કે ગઝલના આનંદને માણવાની ખરી શરૂઆત હવે થઈ ગણાશે. ‘ખ’ ભ્રમ છે, બસ તેમ જ આકાશમાં ઊડતા વિમાનને જોઈને કવિ એવો ભ્રમ (આભાસ) સેવે છે જાણે કે તે (વિમાન) મંથર ગતિએ આકાશને ખેંચી રહ્યું છે. કવિની કેવી ભવ્ય કલ્પના! મંથર (ધીમી) ગતિની કલ્પના એ અર્થમાં બંધબેસતી છે કે જમીન ઉપર રહ્યે રહ્યે વિમાન તો ધીમે ધીમે જ ખસતું લાગે, પછી ભલેને તેની ખરેખરી ગતિ કલાકના પાંચસો-સાતસો માઈલની હોય!

‘ખ’ની ભ્રામિકતા પછી તો આકાશેથી ઊતરીને નીચે રસ્તા ઉપર આવી જાય છે અને બસની પ્રતિક્ષામાં કવિની નજર  સ્થિર થઈ જાય છે. સૂમસામ એવી સડકના મનને સમજવા કવિનો વિચાર તેને જાણે કે પોતાના ભણી ખેંચે છે. આ કડીમાં પણ કવિને અકળ એવા કોઈક આભાસની અનુભૂતિ થાય છે.

ગઝલ આગળ વધતી વધતી આ કડીએ આવે છે, “છે ટાઈનીય પીઠ પર પ્રસ્વેદ બિંદૂઓ” અને આનો અર્થ ગ્રહણ કરવામાં વાચકની ખરી કસોટી લેવાઈ જાય છે. નેક ટાઈનો ઉપરનો ભાગ જે સામે દેખા દે છે તેને છાતી સમજતાં એ જ ટાઈના પાછળના ભાગને પીઠ સમજવો પડે. કેવી મનને પ્રફુલ્લિત કરી દે તેવી કવિકલ્પના અને વળી એટલું જ નહિ ‘ટાઈની પીઠ પર જામેલાં પ્રસ્વેદ બિંદુઓ’!ની વાત છોગામાં!!! કોઈ અકવિને તો ‘અહો, વૈચિત્ર્યમ્!’ જ લાગે! પણ ભાઈ, આ તો બ્રહ્માના ખટરસથી પણ દોઢી ચઢિયાતી એવી સાહિત્યના નવ રસવાળી કવિઓની દુનિયા છે! આઈફોનના માધ્યમે સામેના છેડેથી અદૃશ્ય એવી કોઈ વ્યક્તિ કવિના કાન ખેંચે છે, જે થકી બદનમાંથી વછૂટતો પરસેવો બદનના આંતરવસ્ત્ર અને પહેરણને ભેદીને ટાઈના નીચલા સ્તર (પીઠ) પર દેખાઈ આવે છે.

પ્રસ્વેદ બિંદુઓના અપવાદને બાદ કરતાં વળી ગઝલની આગામી કડીમાં ‘મોજાંઓની જેમ ચિત્તમાં ચોંટી ગએલું કશુંક’ ફરીવાર ભાવાત્મક કે ભ્રામક રૂપે આપણી સામે આવે છે જેમાં પેલા ‘ખ’ને અનુમોદન આપતી એ જ એ વાત છે. જેમ મોજાં (Stocking) પગ સાથે ચીપકેલાં રહે તેમ પેલું ચિત્તને ચીપકેલું પેલું ‘કશુંક’ એવી રીતે ઊખડવા મથે છે, જાણે કે રૂંવેરૂવાં ખેંચાઈ રહ્યાં હોય!

ગઝલની આખરી કડી વર્ષો પહેલાં મેં જોએલા એક અંગ્રેજી ચલચિત્ર ‘Sky above and mud below’ ની યાદ અપાવી જાય છે. ગઝલના પ્રારંભે આકાશની સફર કરાવનાર ગઝલકાર આપણને ફૂટપાથ ઉપર લાવી દે છે અને તિરાડમાં ઊગેલા ડેઈઝી ફૂલ અને તેમાંથી મધ ખેંચતી એવી મધમાખીનાં દર્શન કરાવે છે. વળી પાછી અહીં કવિ અકળ (અદૃશ્ય) એવી મીઠાશની એવી વાત કરે છે કે જે પેલા ‘ખ’ ના આભાસી અસ્તિત્વને વધુ એક પણ છેલ્લીવાર સાર્થક કરે છે.

આ વિવેચનલેખના અંતે પેલા ‘નારિકેલપાક’ ને ફરી વિસ્મરતાં અને મારી મર્યાદાઓને સુપેરે સમજતાં ખુલ્લા દિલે મને કહેવા દો કે મેં પ્રથમ નજરે રૂક્ષ દેખાતા એવા ‘ખેચરી’ નામધારી ગઝલરૂપી નાળિયેરને છોલવાનો અને તેના ગર્ભમાંના મિષ્ટ એવા પાણીને આ કોમેન્ટ બોક્ષરૂપી પ્યાલામાં ભરવાનો પ્રયત્ન કર્યો છે. જટિલ, સંદિગ્ધ અને ગહન વિચારને સમાવતી કોઈપણ કાવ્યરચનાને સમજવામાં દરેક વાંચકને પેલી ‘અંધજનો અને હાથી’વાળી વાત જેવું થવા સંભવ છે. આ ગઝલને હું જે રીતે સમજ્યો છું તે રીતે આ ગઝલ અને તેના પ્રતિભાવોના વાચકોને તે સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો છે.

‘ઠુકરા દો યા પ્યાર કરો’ ઉક્તિની જેમ ભાઈશ્રી પંચમ શુક્લજી અને વાંચકો આઝાદ છે, મારા વિવેચનને ઉપરોક્ત વૈકલ્પિક જે તે અંજામ આપવા સારુ.

ધન્યવાદ.

-વલીભાઈ મુસા

Proposed ebook “મારી નજરે”

 
6 Comments

Posted by on March 4, 2012 in લેખ

 

Tags: , , ,