RSS

Tag Archives: પ્રેમપત્ર

(612) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન  અને રસદર્શન – ૩૮ (આંશિક ભાગ – ૨) હજ઼ારોં ખ઼્વાહિશેં ઐસી કિ હર ખ઼્વાહિશ પે દમ નિકલે   (ગ઼ઝલ)  – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

હજ઼ારોં ખ઼્વાહિશેં ઐસી કિ હર ખ઼્વાહિશ પે દમ નિકલે   (શેર ૪ થી ૬)

 

 

 

 

 

 

ભરમ ખુલ જાએ જ઼ાલિમ તેરે ક઼ામત કી દરાજ઼ી કા
અગર ઇસ તુર્રા-એ-પુર-પેચ-ઓ-ખ઼મ કા પેચ-ઓ-ખ઼મ નિકલે (૪)

[ભરમ= રહસ્ય (Secrecy); જ઼ાલિમ= ઘાતકી, જુલ્મી; ક઼ામત= શરીરની ઊંચાઈ, મહત્તા, વ્યક્તિત્વ; દરાજ઼ી= અધિકતા, લંબાઈ, મોટાઈ; તુર્રા-એ-પુર-પેચ-ઓ-ખ઼મ=  સ્ત્રીઓને પહેરવાની ખાસ હૅટ(મુગટ)માં પરોવાતું પીછું; પેચ-ઓ-ખ઼મ= વક્રતા કે સ્થિરતાનો વળ]

માશૂકમુખે મુકાયેલો આ શેર ગ઼ાલિબે હળવા હૈયે લખ્યો લાગે છે, કેમ કે તેમાં માશૂકાની ભારોભાર ટીખળી કરવામાં આવી છે. પ્રથમ તો માશૂકાને અહીં જુલ્મી તરીકે સંબોધવામાં આવે છે, તેમાં માશૂકનો કોઈ નકારાત્મક કટુભાવ નથી, પણ પ્રેમાળ સંબોધન છે. માશૂકાની નખરાંબાજી જ કંઈક એવી છે કે માશૂકનું દિલ  હચમચી જાય છે; અને ઘાતકી નહિ, પણ મીઠડો એવો દિલ ઉપરનો ઘાવ માશૂકને માશૂકાને જાલિમ તરીકે સંબોધવા પ્રેરે છે. પહેલા મિસરામાં માશૂકાની દૈહિક આભાસી ઊંચાઈની મશ્કરી કરતાં માશૂક કહે છે કે તારી અધિક દેખાતી ઊંચાઈનો ભેદ હમણાં ખૂલી જશે.

બીજા મિસરામાં માશૂકાની ઊંચાઈનો ભેદ ખૂલી જવાનું કારણ આપવામાં આવ્યું છે. માશૂકાએ શૃંગારના ભાગરૂપે માથે પીછાની કલગીવાળો મુગટ ધારણ કરેલો છે અને તેના કારણે તે વાસ્તવમાં છે તેના કરતાં વધારે ઊંચી દેખાય છે. હવે જો કોઈ કારણે એ કલગીની સ્થિરતાનો વળ ખૂલી જવા પામે અને કલગી નીચે ઊતરી જાય તો તેના કારણે વધારાની દેખાતી ઊંચાઈ ઘટી જાય અને તેની વાસ્તવિક ઊંચાઈ છતી થાય. આમ માશૂકાની વધારે પડતી દેખાતી આભાસી ઊંચાઈ ઉપરના રહસ્યનો પડદો આપમેળે ઊંચકાઈ જાય.

અહીં ગ઼ઝલરસિકોને એમ લાગશે કે ગ઼ાલિબ જેવા કદાવર ગજાના શાયરે માશૂકાની ઊંચાઈ જેવા ક્ષુલ્લક મુદ્દાને આમ પ્રાધાન્ય આપીને આ શેરને સાવ પ્રભાવહીન કેમ બનાવ્યો હશે! પરંતુ વાસ્તવમાં એવું નથી, કેમ કે કોઈપણ રૂપસુંદરીની ઊંચાઈ તેના વ્યક્તિત્વને જાજરમાન બનાવે છે અને તેથી તેના સૌંદર્યમાં ઇજાફો થતાં તેના જોનાર ઉપર તેની આંખને આંજી દેતો પ્રભાવ પડતો હોય છે. પરંતુ અહીં ગ઼ાલિબ તો માશૂકાની આભાસી ઊંચાઈને નિમિત્ત બનાવીને માશૂક દ્વારા થતો માશૂકાનો ઉપહાસ દર્શાવવા માગે છે. વળી આ ઉપહાસના શબ્દો પણ કેવા રમૂજી છે – ‘ભરમ ખુલ જાએ જ઼ાલિમ તેરે ક઼ામત કી દરાજ઼ી કા!’

* * *

મગર લિખવાએ કોઈ ઉસ કો ખ઼ત તો હમ સે લિખવાએ
હુઈ સુબ્હ ઔર ઘર સે કાન પર રખ કર ક઼લમ નિકલે (૫)

[ – ]

ગ઼ાલિબનો આ અતિમૂલ્યવાન શેર છે. આ શેરમાં ઉર્દૂનો અઘરો એકેય શબ્દ ન હોઈ તેના વાચ્યાર્થને પામવો તો અત્યંત સહેલો છે, પરંતુ આ શેરના ઇંગિત અર્થોને માણવાની મજા તો કંઈક ઓર આવશે. બીજો મિસરો તો ગમે તેવા ધીરગંભીર વાચકને પણ હસાવ્યા સિવાય રહેશે નહિ. માશૂક કહે છે કે પોતાની માશૂકા ઉપર અન્ય કોઈ પ્રેમીએ પ્રેમપત્ર લખવો હોય તો મારી પાસે લખાવે, હું તેનો લહિયો બનીને એ પત્ર લખી આપવા રાજીખુશીથી તૈયાર છું. કોઈ પણ પ્રેમી કે પ્રેમીઓને પ્રેમપત્ર લખી આપવાની સેવા આપવા હું વહેલી સવારથી જ કાન ઉપર કલમ ખોસીને મારા ઘરેથી બજારમાં નીકળી પડ્યો છું. કાન પાછળ કલમ ખોસી રાખવાની માશૂકની ક્રિયા આપણને સુથારીકામ કરતા મિસ્ત્રીઓની યાદ અપાવ્યા વગર રહેશે નહિ. એ લોકો પેન્સિલ ખોવાઈ ન જાય અને હાથવગી મળી રહે તે માટે તેમ કરતા હોય છે.

અહીં ભલે આપણે માશૂકની બાલિશ લાગતી આ હરકતને હસી કાઢીએ, પરંતુ તેમાંની માશૂકની ભારોભાર  ઘુંટાયેલી વેદનાને આપણે ઉવેખવી પડશે. અહીં માશૂકા ઉપરનો એવો કટાક્ષ છે કે તે પોતે તો પ્રેમપત્ર લખી શકતો નથી, પણ બીજાઓને પ્રેમપત્ર લખી આપીને હું આત્મસંતોષ મેળવી લઈશ. પોતે પ્રેમપત્ર લખી ન શકવાનાં સંભવિત બે કારણો હોઈ શકે. એક, પોતે માશૂકા તરફથી સતત અવહેલના પામતો હોઈ તેને હિંમત નથી થતી કે તે પત્ર લખીને વધુ અપમાનિત થાય; અને બે, પોતે પ્રેમપત્ર લખવામાં સંકોચ અનુભવે છે અને છતાંય તેની તુષ્ટિ માટે બીજાઓનો પ્રેમપત્ર લખી આપીને પોતે મનોમન સંતોષ મેળવી લે. વળી મારા મતે ત્રીજી સંભાવના એ પણ હોઈ શકે કે માશૂક અન્ય હરીફ પ્રેમીઓને એવો સંદેશો આપવા માગે છે કે ‘જુઓ, હું મારી માશૂકાનો ખરેખરો પ્રેમી હોવા છતાં તેને પત્ર લખી શકવાની હિંમત ધારણ કરી શકતો નથી અને તમારા લોકો માટે એ કામ કરી આપવાની હું તૈયારી બતાવું છું તે ઉપરથી તમારે સમજી લેવું ઘટે છે કે તમારે પ્રેમપત્ર લખવાનું દુ:સાહસ ન કરવું જોઈએ અને તમારે મારી માશૂકાથી દૂરી રાખવી જોઈએ.’

* * *

હુઈ ઇસ દૌર મેં મંસૂબ મુઝ સે બાદા-આશામી
ફિર આયા વો જ઼માના જો જહાઁ મેં જામ-એ-જમ નિકલે (૬)

[દૌર= યુગ, સમય; મંસૂબ= સંબંધ બંધાવો, સગાઈ થવી, નાતો જોડાવો; બાદા-આશામી= મદ્યપાન, શરાબસેવન; જામ-એ-જમ= જમશીદનો પ્યાલો]

આ શેરને ચર્ચાની એરણ ઉપર લેવા પહેલાં આપણે ‘જામ-એ-જમ’ એટલે કે જમશેદના પ્યાલા વિષેની જાણકારી મેળવી લઈએ. આમાં ‘જમ’ એ ‘જમશીદ’ નામનું ટૂકું રૂપ છે, નહિ કે જમ યાને જમરાજ. પ્રાચીન પર્સિયન દંતકથામાંનો જમશીદ નામે એક બાદશાહ કે જે ઘણી પર્સિયન કવિતાઓ કે વાર્તાઓમાં પાત્ર તરીકે આવે છે. જમશીદ પાસે નળાકાર બાહ્ય સપાટી ઉપર સાત બંગડી આકારના નકશીકામવાળો એક પ્યાલો (Seven ringed cup) હતો. આ પ્યાલામાં અમરત્વ પ્રાપ્ત કરવા માટેનું અમૃત ભરેલું રહેતું અને તેમાં નજર નાખીને તે બ્રહ્માંડનાં સાત સ્વર્ગ (જન્નત)ને જોઈ શકતો અને આમ પૃથ્વી ઉપર રહ્યે રહ્યે  તે સાત સાત જન્નતોના દીદાર (દર્શન)નો અનેરો આનંદ તે માણી શકતો.

હવે આપણે મૂળ શેર ઉપર આવીએ તો પ્રથમ મિસરામાં ગ઼ાલિબ કહે છે કે હાલના આ સમયમાં મારો શરાબસેવન સાથે અતૂટ નાતો બંધાઈ ગયો છે. તો વળી બીજા મિસરામાં તરત જ આપણને સાનંદાશ્ચર્ય આપતાં એ જણાવે છે, જાણે કે જામ-એ-જમનો એ જમાનો ફરી પાછો આવી ગયો! અહીં ‘નિકલે’ રદીફ એવી સરસ રીતે પ્રયોજાયો છે કે તેને ‘નીકળ્યા’ એમ બહુવચનમાં સમજતાં તેનો અર્થ એવો થાય કે પેલા જમશીદની પાસે તો માત્ર એક જ અલૌકિક પ્યાલો હતો, પણ હાલના આ  દૌરમાં તો અનેક પ્યાલાઓ નીકળી આવ્યા છે  વળી આપણે જામ-એ-જમ અને સાંપ્રત શરાબના પ્યાલાઓની સરખામણીની વધુ એક એવી કલ્પના પણ કરી શકીએ કે પેલો જમશીદ તો માત્ર તેના પ્યાલામાં સાત જન્નતોને જોઈ જ શકતો હતો, પણ અમારા યુગના આ પ્યાલામાંના શરાબના સેવન થકી અમે મસ્તીમાં એવા તો ઝૂમી ઊઠીએ છીએ કે અમે પ્રત્યક્ષ જન્નતનો આનંદ માણી શકીએ છીએ.

મારા અગાઉ જણાવ્યા મુજબ ગ઼ઝલમાં શરાબ અને સુંદરી અભિન્ન રીતે જોડાયેલાં રહેતાં હોય છે અને તેમના વગર ગ઼ઝલ સંભવી શકે જ નહિ. વળી મોટા ભાગના શાયરો પણ શરાબના નશાનો ભોગ બનતા જ હોય છે  અને તેથી જ તો તેમની ગ઼ઝલોમાં તેઓ શરાબને ખૂબ લાડ લડાવતા હોય છે અને તેથી જ શરાબ સાથે સંબંધિત એવા શેરમાં જીવંતતા લાવી શકતા હોય છે. ગ઼ાલિબ પણ દારૂની લતમાંથી બાકાત રહી શક્યા ન હતા. એટલે જ તો તેઓ પોતાનો એક શેર આમ સંભળાવે છે : “યે મસાઈલ-એ-તસવ્વુફ઼ યે તિરા બયાન ‘ગ઼ાલિબ’ / તુઝે હમ વલી (અલ્લાહનો નેક બંદો) સમઝતે જો ન બાદા-ખ઼્વાર હોતા (બાદા-ખ઼્વાર= શરાબી)”. દિલાવર ફ઼િગાર નામના એક શાયર પણ  ગ઼ાલિબના  આ શેરના સમર્થનમાં પોતાનો શેર આપે છે કે “’ગ઼ાલિબ’ કી શખ઼્સિય્યત મેં મહાસિન (ગુણ – virtue) હૈં બે-શુમાર / યે આદમી વલી થા ન હોતા જો બાદા-ખ઼્વાર”.  આ બંને શેરનો મતલબ એક જ છે કે જો ગ઼ાલિબ શરાબી ન હોત તો તેમનામાં બેસુમાર એટલા બધા ગુણ હતા કે તેમને અલ્લાહના નેક બંદા ગણવામાં આવતા.

(ક્રમશ: આંશિક ભાગ-૩)

* * *

મિર્ઝા ગ઼ાલિબ  (ગ઼ઝલકાર)                                                                                                                                                                                                                                                       

-વલીભાઈ મુસા (રસદર્શનકાર)

(ગ઼ઝલ ક્રમાંક – 220)

* * *

ઋણસ્વીકાર :

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

(૫) Courtesy : https://rekhta.org

(૬) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

(૭) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ

* * *

 

 

Tags: , ,

(551) વ્યંગ્ય કવન – હા-હા-હા…હાસ્ય-હાઈકુનાં હાસ્યદર્શન (૫)

ના અભણ તું!

થૈ લહિયો, લખતો,

હા, પ્રેમપત્ર!

જી હા, ઇશ્ક એ નશો છે! પછી એ હકીકી હોય કે મિજાજી! અહીં આ હાઈકુમાં તો મિજાજી જ સમજવાનો રહેશે, કેમ કે અહીં પ્રેમપત્ર લખવા-લખાવવાની વાત છે! ઇશ્કે હકીકી એ તો એવો દિવ્ય પ્રેમ છે કે જ્યાં માત્ર અનુભૂતિ જ થતી હોય છે, ત્યાં અભિવ્યક્તિને કોઈ સ્થાન નથી હોતું!

સામાન્ય રીતે પ્રેમીયુગલોને અને દુનિયાને આડવેર હોવાનું જોવા મળે છે. જગતના ઇતિહાસમાં અમર થએલી પ્રેમકહાનીઓનો અંજામ દુ:ખદ જ રહ્યો છે. પ્રથમ નજરે અન્યોન્ય પ્રેમમાં પડેલાં એવાં એ પ્રેમીપાત્રો એકબીજાંને રૂબરૂ મળી શકતાં નથી હોતાં. આવા સમયે પ્રેમપત્રોની આપલે જ તેમના વિરહના દુ:ખમાં સધિયારો પૂરો પાડે. આવા પ્રેમપત્રોમાં કવિઓની કવિતાઓ કે શાયરોની શાયરીઓ હોવી જરૂરી નથી હોતી. ઉભય પાત્રોની લેખિત અભિવ્યક્તિ અણઘડ સ્વરૂપે હોય તો પણ તેમને માન્ય રહેતી હોય છે.

આપણા હાઈકુનાયકને પોતાની પ્રિયતમા તરફના પ્રેમપત્રની અપેક્ષા છે, પણ અફસોસ કે એ અપેક્ષા સંતોષાતી નથી. પ્રિયતમાની આ નિષ્ક્રિયતા માટે પ્રેમપત્ર પકડાઈ જવાનો ભય, પત્ર લખવાની ઉદાસીનતા (આળસ) કે પછી સ્ત્રીસહજ શરમાળપ્રકૃતિ જવાબદાર હોઈ શકે ! જે હોય તે,પણ અહીં પ્રિયતમની પ્રેમપત્ર પામવાની ઝંખના ગાંડપણની હદે એવી તીવ્ર બને છે કે તેમને ઇચ્છા થઈ આવે છે કે પોતે પ્રિયતમા વતી તેનો લહિયો બનીને પોતે જ પોતાને પ્રેમપત્ર લખે! પરંતુ આમ કરવામાં એક પારિભાષિક (Technical) બાબત એ નડે છે કે પ્રિયતમા અભણ નથી! અભણ વ્યક્તિ જ લહિયાનો સહારો લે અને આમ ભણેલીગણેલી પ્રિયતમા વતી પોતે પ્રેમપત્ર લખે એ કૃત્યમાં પોતાના પક્ષે ગાંડપણભરી ચેષ્ટા ગણાઈ જવાનો ભય રહેલો છે!.

આમ સઘળી પરિસ્થિતિની ફલશ્રુતિ તો એ જ આવીને ઊભી રહે છે કે પ્રિયતમા શિક્ષિત હોવા છતાં પ્રેમપત્ર  લખતી નથી અને પ્રિયતમ મહાશય તેણીના લહિયા બનીને પત્ર લખી પણ શકતા નથી! આમ તેમના લલાટે લખાએલું વિરહનું દુ:ખ ભોગવવા સિવાય તેમની પાસે કોઈ આરો (કિનારો) કે ચારો (ઘાસ!) રહેતો નથી! ન આમ કે ન તેમ એવી દ્વિધાભરી પરિસ્થિતિ તેમના તન અને મનને દઝાડે છે. પ્રેમપંથ પાવકની જ્વાળાઓથી જ સભર હોય ત્યાં શીતળતાની અપેક્ષા તો ક્યાંથી રાખી શકાય, હેં!

* * *

દૃષ્ટિકેમેરે,

થઈ ફ્લેશગન તું,

આંજે મુજને!

Photographyના ગુજરાતીમાં ભાષાંતરીય અને ભદ્રંભદ્રીય શબ્દો થાય ‘છબિકલા’ કે ‘તસ્વીરકલા’. રોજિંદાં ઉપયોગી અવનવાં ઉપકરણોમાં ક્રાંતિકારી પરિવર્તનો આવતાં જાય છે. સ્ટુડિયોમાં કેમેરાથી ફોટોગ્રાફ લેવાતો હોય તો લાઈટની વ્યવસ્થા હોય, પરંતુ Outdoor ફોટોગ્રાફીમાં કેમેરા સાથે ફ્લેશગન જોડાયેલી હોય છે. ફોટો લેતી વખતે ક્લિક કરતાંની સાથે જ ફ્લેશગનનો ઝબકારો થાય અને પરિણામે જેનો ફોટો લેવામાં આવતો હોય તે વ્યક્તિ કે દૃશ્ય બહુ જ સ્પષ્ટ દેખાઈ આવે. આ ઝબકારાથી સામે જો કોઈ વ્યક્તિ હોય તો તેની આંખો અંજાઈ જતાં બંધ થઈ જતી હોય છે અને ફરી ફોટો લેવો પડતો હોય છે.

આ બધી તો ફોટોગ્રાફી વિષેની વાત થઈ, પણ આપણા આ હાસ્ય હાઈકુમાં તો હાઈકુનાયકની કોઈક જુદી જ વાત છે. હાઈકુનાયકની પાસે પેલો સાધનિક કેમેરો નથી, પણ પોતાની પાસે દૃષ્ટિ રૂપી કેમેરા છે. આ કેમેરામાં ફ્લેશગન નથી, પણ સામેની હાઈકુનાયિકા પોતે જ જાણે કે ફ્લેશગન હોય તે રીતે તેના ચહેરામાંથી એવું જાજ્વલ્ય પ્રગટે છે કે જેથી હાઈકુનાયકની આંખો અંજાઈ જતાં બંધ થઈ જાય છે, જેના પરિણામે પોતાના દૃષ્ટિકેમેરામાં નાયિકાની તસ્વીર ઝીલાતી નથી.

આમ અહીં ‘શિકાર કરનેવાલા ખુદ શિકાર હો ગય!’ જેવી સ્થિતિ નિર્માણ પામે છે. માશૂક પોતાના દૃષ્ટિકેમેરામાં માશૂકાના ચહેરાને ઝડપી લેવા માગે છે, એટલા માટે કે પોતે જ્યારે પણ ઇચ્છે ત્યારે તેનો વિચાર માત્ર કરતાં તેને પ્રત્યક્ષ નિહાળી શકે. તેની અપેક્ષા તો એવી છે કે ચર્મચક્ષુમાં ઝીલાએલી તસ્વીર અંત:ચક્ષુમાં એવી તો ઊંડી ઊતરી જાય કે તે કદીય વિસરાય નહિ! પણ, અફસોસ! માશુકનાં ચક્ષુઓમાં અંધકારના ઓળા ઊતરી આવે છે અને માશુકાનો ચહેરો ઓઝલ થઈ જાય છે.

* * *

દેવુની પારૂ

પ્લાસ્ટિક સર્જરીથી

ઘાવ રૂઝાવે!

શરદચન્દ્ર ચટ્ટોપાધ્યાયની બંગાળી નવલકથા ‘દેવદાસ’ ઉપર આધારિત અને એ જ ‘દેવદાસ’ શીર્ષકે અનેક ભાષાઓમાં બનેલી, પણ એકલી હિંદીમાં જ ચાર વખત બનેલી આ કરૂણાંતિકા ફિલ્મના એક દૃશ્યની પશ્ચાદભૂમિકાએ રચાએલું આ હાઈકુ છે. 1935 થી 2002 સુધીમાં પી.સી.બરૂઆ, કુંદનલાલ  સહગલ, દિલીપકુમાર (યુસુફભાઈ) અને શાહરૂખખાને ‘દેવદાસ’ પાત્રની ભૂમિકા નિભાવી હતી.

‘ગુજરાત સમાચાર’ની સાપ્તાહિક ‘ચિત્રલોક’ પૂર્તિમાં અશોક દવેના આ લખાણે મારા હાઈકુની પૂર્વભૂમિકા સમજાશે – “બીજે પરણી જતી પારો દેવદાસને નદીકિનારે મળે છે, ત્યારે બંને વચ્ચે છૂપા ક્રોધની આપ-લે થાય છે, જેમાં પારો કહે છે, તું ફક્ત બુદ્ધિશાળી જ છે, જ્યારે હું તો સુંદર પણ છું. ‘ઇતના અહંકાર? ઇતના અહંકાર અચ્છા નહિ’ એમ કહીને દેવદાસ પારોના ચેહરા ઉપર સોટી ફટકારી દે છે, જેથી આટલા લાવણ્યમય રૂપ ઉપર એક દાગ રહી જાય અને ભવિષ્યમાં પારો જેટલીવાર અરીસો જુએ, એટલી વાર એના ‘દેવા’ને યાદ કરે!”.

રવીન્દ્રનાથ ટાગોરના સમકાલીન એવા આ નવલકથાના લેખકના જમાનામાં મેડિક્લ સાયન્સમાં કોસ્મેટિક કે પ્લાસ્ટિક સર્જરીની સારવાર પદ્ધતિ અમલમાં હશે કે કેમ તેની તો આપણને ખબર નથી, પણ અહીં માની લેવામાં આવ્યું છે કે પારૂના કપાળમાં સેંથાના ભાગે સોટીથી પડેલા નિશાનને મિટાવવા પ્લાસ્ટિક સર્જરીનો સહારો લેવાય છે. આમ દેવાની લાંબા ગાળાની અને જીવનભર પારૂના મનમાં પોતાની યાદ તાજી રહેશે તેવી ધારણા ખોટી પડે છે.

* * *

સંસારઘાણી,

વરવધૂ ફેરવે

લગ્નમંડપે!

હિંદુ લગ્ન પ્રસંગે અગનસાખે સાત ફેરા ફરવાના વિધિવિધાનને અનુલક્ષીને લખાયેલા આ હાઈકુમાં સંસારને ઘાણીનું રૂપક આપવામાં આવ્યું છે. એક સમયે ખાદ્ય કે અખાદ્ય તેલ માટે બળદ વડે ચલાવવામાં આવતી ઘાણીમાં તેલીબિયાંને પીલવામાં આવતાં હતાં, પરંતુ આજે તો યાંત્રિક રીતે તેલ કાઢવામાં આવે છે.

લગ્નમંડપની આ અલ્પકાલીન ઘાણી વરવધૂ બંને સાથે મળીને ફેરવે છે, એટલે તેમના આ કાર્યમાં સરળતા રહેવા ઉપરાંત સાત જ ફેરા ફરવાના હોઈ ફેરા ફરવાનું કામ જલ્દીથી આટોપાય છે. સપ્તપદીના આ ફેરા જાણે કે એક રિહર્સલ માત્ર જ છે, ખરી સંસારઘાણી ફેરવવાનું કામ તો હવે પછીથી શરૂ થનાર છે. જીવનનિર્વાહ માટે દ્રવ્યોપાર્જન કરવું, સાંસારિક અન્ય જવાબદારીઓનું વહન કરવું, પ્રજોત્પત્તિ કરવી, તેમનું પાલનપોષણ કરવું વગેરે જવાબદારીઓની ઘાણી જીવનભર ફેરવ્યા જ કરવી પડતી હોય છે.

કૃષિજગતમાં એમ કહેવાય છે કે બળદ પાસેથી ખેતીનું દરેક પ્રકારનું કામ લઈ શકાય, જેમ કે હળે જોતરવા, કૂવામાંથી પાણી ખેંચવું, ગાડે જોડવા વગેરે. આમ બળદ પાસેથી ખેતીને લગતાં સઘળાં કામની અદલાબદલી થઈ શકે અને તે દરેક કામ સક્ષમતાથી પાર પણ પાડે. પરંતુ એ જ બળદને જો ઘાણીએ જોતરવામાં આવે તો પછી તે અન્ય કશાય કામનો રહે નહિ. ઘાણીના બળદની દુનિયા સીમિત થઈ જાય છે, તે દિવસરાત ગમે તેટલો ચાલે પણ ઠામનો ઠામ જ રહેતો હોય છે. બસ, આમ જ પતિપત્ની જેવાં સંસારઘાણીએ જોતરાય અને પછી તો જીવનભર તેમણે સંસારઘાણી ફેરવ્યે જ જવી પડતી હોય છે. દાંપત્યજીવનનું આ કઠોર સત્ય છે અને આ સત્યને જીવનભર જીરવવું પડતું હોય છે.

સંવાદિતા, સાહચર્ય, પરસ્પરમયતા, પ્રસન્નતા, સમાજલક્ષી જીવન, પ્રવૃત્તિશીલતા અને ફરી પાછી પ્રારંભની એ જ દૃઢિકરણ માટેની સંવાદિતા એવાં આ સાતેય સૂત્રોમાં પતિ-પત્ની વચ્ચે દાંપત્ય જીવનમાં કેવું સમાયોજન હોવું જોઈએ તથા તે માટે કેવી રીતે જીવવું જોઈએ તેનું સ્પષ્ટ માર્ગદર્શન અપાયું છે અને આડકતરી રીતે એવું પણ કહેવાયું છે કે આ બધું સાથે મળીને જ થઈ શકે. આમ સંસારઘાણીએ જોતરાયેલાં ઉભય પતિપત્નીએ કદમ મિલાવીને પરસ્પરના સહયોગથી જીવવાનું હોય છે. સુખમય દાંપત્યજીવન સંવાદિતા ઉપર આધારિત છે, જરા સરખી પણ વિસંવાદિતા જીવનને ઝેર બનાવવા સમર્થ નીવડતી હોય છે.

-વલીભાઈ મુસા

 

Tags: , , , , ,