RSS

Tag Archives: ભરત મુનિ

(૫૦૯-અ) કાવ્ય – કલા કે શાસ્ત્ર; કે પછી એ બંને ? (સંકલન)

પુરોવચન :

‘વલદાની વાસરિકા’ શ્રેણીએ અગાઉ ‘અનુવાદન’ વિષયે આવા જ પ્રશ્નાર્થચિહ્ન શીર્ષકે આવી ગયેલા મારા લેખની જેમ આજે ‘કાવ્ય’ વિષયે એ જ અભિગમે કંઈક લખવાની મારી નેમ છે. વળી આ એક ગહન વિષય હોઈ મારે સંદર્ભ સાહિત્યનો સહારો લેવો પડે તે પણ એક હકીકત છે, કેમ કે વિદ્યાભ્યાસ દરમિયાન વાંચેલું, જાણેલું લગભગ અર્ધી સદી પછી માત્ર યાદદાસ્તના સહારે લખાય તો હકીકતદોષમાં સપડાવાનો ભય રહે. લલિત નિબંધ એ સર્જનાત્મક સાહિત્ય હેઠળ આવે અને ત્યાં તો એના લખવૈયાને કોઈ માનસિક દબાણ હેઠળ રહેવું ન પડે, પરંતુ અહીં તો મારા માટે જવાબદારીભરી ભિન્ન પરિસ્થિતિ છે. જોઈએ વારુ, એ જવાબદારીનાં વહન અને પાલન કેટલા અંશે અત્રે થાય છે, તેની મને અને સુજ્ઞ વાચકોને, લોકબોલીએ કહું તો, ખળે (અર્થાત્ છેલ્લે) ખબર પડશે.

પંડિતયુગના સમર્થ નિબંધકાર આનંદશંકર બાપુભાઈ ધ્રુવે પોતાના એક નિબંધમાં ઘોડેસ્વારી અંગેનું સરસ મજાનું દૃષ્ટાંત આપતાં સમજાવ્યું છે કે ગુરુત્વમધ્યબિંદુંના સિદ્ધાંતને માત્ર શીખી લેવાથી ઘોડેસ્વારી આવડે નહિ; બસ એવું જ કાવ્યસર્જન અંગે પણ છે. કાવ્યશાસ્ત્ર અંગે પ્રાચીન કે અર્વાચીન મીમાંસકોએ આપેલી વ્યાખ્યાઓ કે નિયમોને કંઠસ્થ કરી લેવાથી કાવ્ય લખી શકાય નહિ. આમ છતાંય સહજ અને સ્વાભાવિક રીતે આત્મસૂઝ દ્વારા ઊર્મિ પ્રગટ થયેથી લખાઈ ચૂકેલું કાવ્ય અપ્રત્યક્ષ રીતે પણ મીમાંસકોએ દર્શાવેલાં લક્ષણો ધરાવતું અને તેનાં લક્ષ્યો પાર પાડતું તો હોવું જ જોઈએ. આમ કાવ્ય એ શાસ્ત્ર ગણાય કે કલા એ બે વચ્ચેના સમાધાનકારી નિષ્કર્ષ ઉપર આવીએ તો આપણે સ્વીકારવું પડે કે કાવ્ય એ બંને છે. કાવ્ય એના સર્જન દરમ્યાન એ જ્ઞાત કે અજ્ઞાતપણે શાસ્ત્રને અનુસરે છે અને સર્જાઈ ગયા પછી એ કલાસ્વરૂપે આપણી સામે પ્રગટ થાય છે. આમ છતાંય કલા એ માત્ર પરિણામ નથી, પણ કાવ્યસર્જનની પ્રક્રિયા દરમિયાન શાસ્ત્ર સાથે એ જોતરાય પણ છે.

ગુજરાતી ભાષા જેમ સંસ્કૃત ભાષામાંથી આવતરણ પામી તેમ ગુજરાતી સાહિત્ય પણ સંસ્કૃત સાહિત્યની અસરને ઝીલ્યા વગર ન રહી શક્યું. આમાંય ખાસ કરીને સંસ્કૃતના મીમાંસા સાહિત્યે તો ગુજરાતી સાહિત્યસર્જનમાં તેનો મહત્ત્વનો ફાળો આપ્યો છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યસર્જનમાં સંસ્કૃતના એ પ્રખર વિદ્વાનોના જહેમતભર્યા તલસ્પર્શી અભ્યાસનું અચૂક દર્શન જોવા મળે છે. ચાલો, આપણે એ વિદ્વાનોએ કાવ્યતત્ત્વ અન્વયે તેમના વિચારો અને તારણોના પરિપાકરૂપે આપેલી કાવ્ય (વિશાળ અર્થમાં સાહિત્ય)ની વ્યાખ્યાઓનું વિહંગાવલોકન કરીએ. અહીં ભરતથી અભિનવગુપ્ત અને પ્રતીહારેન્દુરાજથી જગન્નાથ સુધીના મોટા ભાગના વિદ્વાનોના કાવ્ય વિષેના અભિપ્રાયોને આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. (આ માટેના મારા મુખ્ય સંદર્ભગ્રંથનો વિગતે ઉલ્લેખ લેખાંતે કરવામાં આવશે.)

– વલીભાઈ મુસા

* * *

કાવ્યની વ્યાખ્યાઓ :

(૧) ”शब्दार्थौ सहितौ काव्यम् ।” અર્થાત્ – શબ્દ અને અર્થનું સહિતત્વ એટલે કે એ બંનેનું એકરૂપ થવું એટલે કાવ્ય. (‘કાવ્યાલંકાર’ના સર્જક ‘ભામહ’ મતે)

(૨) ‘સાહિત્યદર્પણ’ના રચયિતા વિશ્વનાથના મતે “वाक्यं रसात्मकं काव्यम् ।” અર્થાત્- રસયુક્ત વાક્ય તે કાવ્ય.

(૩) (હેમચંદ્ર) વળી કાવ્યની વ્યાખ્યા આપતાં જણાવે છે કે “अदोषौ सगुणौ सालंकारौ च शब्दार्थौ काव्यम् ।” અર્થાત્- દોષહીન, ગુણયુક્ત અને સુઅલંકૃત શબ્દ તે કાવ્ય. (વિકિસ્રોત પ્રમાણે આ વ્યાખ્યા જગન્નાથના નામે ‘ रमणीयार्थप्रतिपादकः शब्दः काव्यम्’ શીર્ષક હેઠળ रसगङ्गाधरः/आनन १ ગ્રંથમાં જોવા મળે છે.‘વિકિસ્રોત’ સંશોધનાત્મક વેબસાઈટ હોઈ પ્રમાણભૂતતા માટે સુજ્ઞ વાચકોના મત પ્રતિભાવકક્ષમાં આવકાર્ય છે.)

(૪) મમ્મટનો મત કાવ્ય વિષે કંઈક આમ છે: “तददोषौ शब्दार्थौ सगुणावनलंकृति पुनः काव्यापि ।” વળી મમ્મટ કયારેક કાવ્ય અલંકારરહિત હોય એમ પણ ઇચ્છે છે.

(૫) “शब्दार्थौ सहितौ वक्रकविव्यापारशालिनि ।“-“वक्रोक्तिजीवितः” ના સર્જક કુન્તક કાવ્યની વ્યાખ્યામાં વક્રોક્તિ ઉપર ભાર મૂકવા ઉપરાંત “बन्धे व्यवस्थितौ काव्यं तद्विदाहलादकारिणि ।।” દ્વારા આમ પણ કહે છે કે ‘જ્ઞાતાઓને આનંદ આપનાર, તેમજ બંધમાં વ્યવસ્થિત રહેલા શબ્દ અને અર્થ એ કાવ્ય.’

(૬) પંડિત જગન્નાથ “रसगंगाधर”માં જણાવે છે કે “रमणीयार्थ प्रतिपादकः शब्दः काव्यम्।” અર્થાત્ – શબ્દનું રમણીય રીતે અર્થમાં પ્રતિપાદન કરે તે કાવ્ય.

(૭) દંડી કાવ્યની વ્યાખ્યા આમ આપે છે : ” शब्दार्थौ ईष्टार्थव्यवच्छिन्ना प्रतिपादकः काव्यम् ।” અર્થાત્ – જે સારા અર્થનું વિચ્છેદ પ્રતિપાદન કરે છે તે શબ્દ એટલે કાવ્ય.

(૮) ભરત મુનિએ ‘નાટ્યશાસ્ત્ર’ નામક પોતાની કૃતિમાં ભલે ‘નાટક’ના સ્વરૂપને સમજાવ્યું હોય તેમ છતાંય નાટકો પદ્ય સ્વરૂપે હોય તો તેમને ‘કાવ્યો’ જ સમજવાં પડે અને તેથી જ એ કાવ્યની વ્યાખ્યા પણ બની રહે. નાટકનાં અન્ય અંગોને બાદ કરતાં માત્ર કાવ્ય વિષેના ભરતના વિચારો સમજવાનો પ્રયત્ન કરીએ તો ભરતે કાવ્યસર્જનમાં રસ અને ભાવને પ્રાધાન્ય આપ્યું છે.

(૯) ઉદ્ભટના ‘કાવ્યાલંકારસાર સંગ્રહ’માં અલંકારો વિષેની વિશદ માહિતી સાંપડે છે અને તેણે કાવ્યરચનામાં અલંકારનો વિનિયોગ કરવા ઉપર ભાર મૂક્યો છે.

(૧૦) વામન વિરચિત ‘કાવ્યાલંકારસૂત્રવૃત્તિ’માં કાવ્યમાં અલંકાર વિષેની ઊંડાણથી ચર્ચા કરવામાં આવી છે. વામનની કાવ્યમાં અલંકાર અંગેની વિચારધારાને તેમના પોતાના સંક્ષિપ્ત આ શબ્દોમાં સમજી શકાય છે કે ‘અલંકાર એટલે કાવ્યમાં સૌંદર્ય આપનાર તત્ત્વ.’ આજકાલ પ્રયોગશીલ કવિઓ ગદ્યકાવ્યો લખે છે. ‘વેબગુર્જરી’માં અગાઉ ‘ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય : શ્રી બાબુ સુથારનાં ગદ્યકાવ્યો’ આવી ચૂક્યાં છે. ઈ.સ. ૮૦૦ આસપાસના સમયગાળામાં થઈ ગયેલા વિદ્વાન વામને એમના ગ્રંથના અધ્યાય-૩માં કાવ્યના પ્રકારોમાં આમ કહી જ દીધું છે કે ‘કાવ્યં ગદ્યં પદ્યં ચ’ ॥ ૨૧ ॥ અર્થાત્ ‘કાવ્ય ગદ્ય અને પદ્ય એમ બંને પ્રકારનું હોય છે.’

(૧૧) રુદ્રટના ‘કાવ્યાલંકાર’ ગ્રંથમાં કાવ્યપ્રયોજન અંગેના શ્લોકમાં કહેવાયું છે કે ‘વાણીના ઉજ્જવળ પ્રસારવાળો, સરસ કાવ્ય રચનારો મહાકવિ (પોતાના અને) બીજાના પણ ઝળહળતા, સ્ફુટ અને વિપુલ યશને કલ્પ ચાલે ત્યાં સુધી ફેલાવે છે. અહીં કવિ અને કાવ્યની શાશ્વતતા સમજાવવામાં આવી છે.

(૧૨) ‘ધ્વન્યાલોક’ના રચયિતા આનંદવર્ધને ‘શબ્દની વ્યંજનાશક્તિ ઉપર આધારિત ધ્વનિને કાવ્યના આત્મા તરીકે ઘોષિત કર્યો છે.’ તેમણે આ ધ્વનિના ‘રસધ્વનિ’, ‘અલંકારધ્વનિ’ અને ‘વસ્તુધ્વનિ’ એવા ત્રણ ભેદ સ્વીકાર્યા છે.

(૧૩) અભિનવગુપ્તનું કાવ્યશાસ્ત્રમાં મહત્ત્વનું યોગદાન એ છે કે તેમણે કાવ્યમાંથી કેવી રીતે રસ ઉત્પન્ન થાય છે તેનું સૂક્ષ્મ વિવરણ આપીને એમણે કાવ્યની આખી રસનિષ્પત્તિપ્રક્રિયા સમજાવી છે. વળી તેમણે ‘આનંદ એ જ કાવ્યનું અંતિમ ફળ’ એમ દર્શાવીને કાવ્યના શિરમોર સમા આ ઉમદા હેતુનો સ્વીકાર કર્યો છે. આ આનંદની અનુભૂતિ કવિને કાવ્યસર્જન વખતે અને ભાવકને તેના પઠન વખતે થતી હોય છે. મમ્મટ પણ કાવ્યને તત્ક્ષણ પરમ આનંદ આપનાર તરીકે ઓળખાવે છે. વળી આ આનંદને ‘બ્રહ્માનંદ સહોદર આનંદ’ પણ ગણાવાયો છે; અર્થાત્ બ્રહ્મપ્રાપ્તિથી થતા આનંદ જેવો જ આ કાવ્યાનંદ, જાણે કે એ બંને આનંદો એક જ માતાની કૂખે જન્મ્યા હોય એવા (સહોદર).

(૧૪) પ્રતિહારેન્દુરાજ કૃત ‘લઘુકૃતિ’માં કાવ્યમાં ગુણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. તેમના મતે કાવ્ય ‘ગુણસંસ્કૃત શબ્દાર્થ શરીર’ છે.

(૧૫) રાજશેખર રચિત ‘કાવ્યમીમાંસા’માં કાવ્ય અને કવિ વિષેની બૃહદ ચર્ચા છે. કવિ હોવાની આવશ્યક આઠ શરતો છે, જેમને તેમણે કવિત્વની માતાઓ તરીકે સરખાવી છે; જે આ પ્રમાણે છે : સ્વાસ્થ્ય, પ્રતિભા, અભ્યાસ, ભક્તિ, વિદ્વાનો સાથે વાતચીત, વ્યાપક જ્ઞાન, દૃઢ યાદશક્તિ અને ઉત્સાહ.

(૧૬) ‘દશરૂપક’ના કર્તા ધનંજયે વિશેષે તો નાટ્ય વિષે લખ્યું છે. સાહિત્યના નવ રસો પૈકીના શાંત રસને તેઓ નાટ્યના સંદર્ભમાં સ્વીકારતા નથી, કેમ કે એમાં અભિનયક્ષમતા હોતી નથી. આમ છતાંય તેઓ કાવ્યના સંદર્ભે શાંત રસને ગ્રાહ્ય ગણે છે; જેનું કારણ તેઓ એ આપે છે કે કાવ્ય એ માત્ર શબ્દનો જ પ્રાન્ત (વિસ્તાર) છે, અભિનયનો નહિ. આ વાત સાચી પણ છે, કેમ કે નાટકના પાત્રે શાંત રસમાં કોઈ અભિનય આપવાનો રહેતો નથી છે અને આપી શકાતો પણ નથી.

(૧૭) આચાર્ય ક્ષેમેન્દ્ર પોતાના ‘ઔચિત્યવિચારચર્ચા’ ગ્રંથમાં ‘ઔચિત્ય’ને કાવ્યમાં પાયાનું સ્થાન દર્શાવે છે. તેઓ પોતાનો ‘ઔચિત્ય’ વિષેનો વિચાર સમજાવતાં લખે છે કે લોકવ્યવહાર કે કાવ્યમાં અલંકાર ગમે તેટલા આકર્ષક હોય, પણ તે યોગ્ય સ્થાને હોય તો જ શોભે છે. આવું જ તેઓ ગુણ વિષે પણ કહે છે કે ગુણ ગમે તેટલા સુંદર હોય, પરંતુ તે ઔચિત્યયુક્ત હોય તો જ તેમને ગુણ કહેવાય; અન્યથા એ અવગુણમાં જ ખપે. આ વાતના સમર્થનમાં તેઓ સરસ મજાનો રમૂજી શ્લોક આપે છે, જેનો ભાવાર્થ આમ છે : ‘કટિમેખલાને કંઠમાં અને ચમકતા હારને કમર પર ધારણ કરનાર, હાથમાં નૂપૂર અને ચરણમાં કંકણ બાંધનાર, પ્રણામ કરનાર પ્રત્યે શૌર્ય અને શત્રુ પ્રત્યે કરુણા દર્શાવનાર કોણ હાસ્યાસ્પદ બનતા નથી ? ઔચિત્ય વિના નથી અલંકાર શોભતા, કે નથી ગુણ શોભતા.

(૧૮) હેમચંદ્રાચાર્ય ‘કાવ્યાનુશાસન’ના રચયિતા છે. એમના મતે કાવ્ય એટલે લોકોત્તર એવું કવિનું કર્મ (સર્જન). તેઓ શબ્દ અને અર્થને કાવ્યમાં ગૌણ સમજીને રસને જ પ્રાધાન્ય આપે છે અને કાવ્યના હેતુ તરીકે પ્રતિભાને મહત્ત્વ આપે છે.

ઉપસંહાર:

છેલ્લે આપણે ગુજરાતના ઇતિહાસના સુવર્ણકાળમાં થઈ ગયેલા ‘કાવ્યાનુશાન’ ગ્રંથના રચયિતા હેમચંદ્રાચાર્ય (ઈ.સ.૧૦૮૯-૧૧૭૩)ના આપણા લેખના વિષયે ‘કાવ્યપ્રયોજના’ પેટાશીર્ષકે આવેલા શ્લોકને યથાતથ ગુજરાતી ભાષાંતરે સમજી લઈને છૂટા પડીએ :

“તત્કાલ થયેલા રસાસ્વાદમાંથી નીપજનારી અને બીજા વિષયોને (ચિત્તપટ પરથી) હટાવી દેનારી જે બ્રહ્માસ્વાદના જેવી પ્રીતિ (અનુભવાય) તે ‘આનંદ’ કહેવાય. કાવ્યનું આ પ્રયોજન બધાં પ્રયોજનોના રહસ્યરૂપ છે ને કવિ તેમ જ સહૃદય ઉભયને લાગુ પડે છે. યશ તો કવિને પક્ષે જ, કારણ કે આવડા મોટા સંસારમાં કાલિદાસ આદિ કવિઓ જો કે ક્યારના ચાલ્યા ગયેલા છે; તેમ છતાં આજ સુધી સહૃદયો દ્વારા વખણાય છે. વેદ, આગમ આદિ શાસ્ત્રો શબ્દપ્રધાન હોય છે ને તેથી (આજ્ઞા આપતા) સ્વામી જેવા હોય છે, પુરાણ પ્રકરણ આદિમાં અર્થ પ્રધાન હોય છે તેથી મિત્ર જેવાં લાગે છે. ત્યારે કાવ્ય (આ બંને પ્રકારના ગ્રંથો કરતાં) જુદા લક્ષણવાળું હોય છે; તેમાં શબ્દ અને અર્થ બંને ગૌણ બને છે ને રસ પ્રધાન બને છે. જેમ પ્રિયપત્ની (પતિમાં) રસ જન્માવીને (તેને) પોતાની સન્મુખે આણીને ઉપદેશે તેમ આવું કાવ્ય પણ ‘રામ વગેરેની જેમ વર્તવું, રાવણ વગેરેની જેમ નહિ,’ એવે પ્રકારે ઉપદેશ આપે છે. આથી આ પ્રયોજન સહૃદયપક્ષે છે.”

ઋણસ્વીકાર :

(૧) યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ – ગુજરાત રાજ્ય દ્વારા પ્રકાશિત”ભારતીય સાહિત્યવિચાર મંજૂષા ભાગ ૧ અને ૨ (સંપાદક : ડૉ. રમેશ એસ. બેટાઈ અને સહસંપાદક : ડૉ. નારાયણ એમ. કંસારા (કાવ્યની વ્યાખ્યાઓ ૮ થી ૧૮)

(૨) સાવજરાવ સોઢા, જેમનો બ્લૉગ છે : https://sawajbhumi.wordpress.com/ (કાવ્યની વ્યાખ્યાઓ ૧ થી ૭) અને જેમનો લેખ છે : કાવ્યશાસ્ત્ર

(૩) આદર્શ સાર્વજનિક ગ્રંથાલય, કાણોદર (જિ. બનાસકાંઠા) – સંદર્ભગ્રંથો પૂરા પાડવા બદલ.

(૪) विकिस्त्रोतः (સંસ્કૃત વિકિસ્ત્રોત) https://sa.wikisource.org

 

Tags: , , , , , , , , , , ,

(૪૬૫) “માધુરી દીક્ષિત (સિનેતારિકા)” : પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૩)

Madhuri Dixit

Beauty and sweetness compete to sit
on the heavenly curve of her lip’s rim.
Even wind dare not whistle at her feet
she commands respect in the dream.

She sees and smiles and makes her way
Brings the spring at the soul’s bay
Like lightening in rain she keeps the pace
Quenches the thirst through godly face

A queen that wears the necklace of charm
And sways like the golden wheat in the farm
Venus in disguise steals hearts from screen
Through steps of dance let lookers scream

Deity of dance and smile personified
She takes at glance the world in her stride

-Mukesh Raval

(Courtesy: ‘Pots of Urthona’ – A Collection of Poems)

માધુરી દીક્ષિત (સિનેતારિકા)

નિજ લાવણ્ય અને માધુર્ય  સ્પર્ધતાં એકમેકને, બિરાજવા કાજે,
એ  લલિતાંગી  લલના તણા અધર-રેખના  દિવ્ય વળાંક  ઉપરે.

મારુત પણ ફફડે, ના સૂસવે, તેણીના કદમો સમીપે
વળી એ જે સ્વપ્ન મહીં પણ  નિજ આત્મગૌરવને રક્ષે.

દૃષ્ટિપાતે મૃદુ મલકતી માર્ગ કંડારતી એ
આણી દેતી વસંત ઋતુરાણી  નિજ આતમાંતરાલે

વર્ષાકાલીન દામિની સમ સરતી એ તેજલીસોટે ત્વરાએ
દૈવી વદને સૌંદર્યપાન તણી તીવ્ર તૃષા છિપાવે.

મોહિની તણા કંઠહારે  શોભે રાજરાણીસમી એ,
નિજ કોમલાંગે ઝૂલતી ઝૂમતા જ્યમ ગેહૂં સોનવર્ણા ખેતરોએ.

છૂપી  પ્રેમદેવી વીનસ સમ દિલડાં ચોરતી  ચિત્રપટ-પટલે
નૃત્યકલાએ ઠમકતાં ડગે ચિસાવે દર્શકોને હર્ષનાદે !

સાક્ષાત્ નૃત્યદેવી તણા મૂર્તિમંત પ્રતીકશી  મધુર માધુરી એ
જગ આખાને  નીરખી  લેતી  નિજ નર્તન તણાં  વિરાટ ડગલે !

-વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

(સૌજન્ય : Pots of Urthona (કલ્પનાનાં પાત્રો) – અંગ્રેજી કાવ્યસંગ્રહ)

રસદર્શન :

“વિચારનું સૌંદર્ય આકૃતિના સૌંદર્ય કરતાં વધુ જાદુઈ અસર ઉપજાવે છે” – સૉક્રેટીસનું આ વિધાન મુકેશભાઈના આ કાવ્યને અક્ષરશ: બંધ બેસે છે. આ કાવ્યની વાચક મુનિરા અમી મુકેશભાઈના કાવ્યને આ શબ્દોમાં ઓળખાવે છે, ‘માધુરીએ આ કાવ્ય વાંચવું જોઈએ કે જેથી તેના આત્મસંતોષમાં ઈજાફો થાય, કેમ કે આમાં તેની ગૌરવવંતી (dignified) પ્રશંસા છે.’ ફિલ્મી સાહિત્યમાં સિનેતારક-તારિકાઓ વિષે અભદ્ર ભાષા અને ગપસપ (gossip)ની ભરમાર હોય છે, જ્યારે આ કાવ્યમાં માધુરીના સૌંદર્યસભર વ્યક્તિત્વને શિષ્ટ સાહિત્ય રૂપે અને શૃંગારરસના પ્રમાણભાનને જાળવીને આલેખવામાં આવ્યું છે.

હજુ કાવ્યના રસદર્શનના પડાવે આવવા પહેલાં આપણે શૃંગારરસ વિષે થોડુંક જાણી લઈએ. ભરત મુનિ શૃંગારરસને આનંદદાયિત્વના જનક તરીકે ઓળખાવે છે અને તેથી જ સાહિત્યરસિયાઓ તેને રસરાજ તરીકે સ્વીકારે છે. તો વળી ભોજ તો શૃંગારરસ સિવાયના અન્ય રસોને સ્વીકારવાની જ ના પાડે છે. એ તો કહે છે કે કાવ્યનાટકાદિમાં કમનીયતા તો આ રસથી જ નિષ્પન્ન થઈ શકે છે. વિદ્વાન મમ્મટે તો શૃંગારરસની ઊંડાણથી મીમાંસા આલેખી છે. એ બધા તો ભૂતકાલીન વિદ્વાનો હતા અને એ બધી એમની વ્યાખ્યાઓ હતી, જ્યારે સાંપ્રતકાલીન દાદા ધર્માધિકારી ‘સૌંદર્ય મીમાંસા’માં જણાવે છે કે ‘રસિકતા વૈષયિકતા નથી. સૌંદર્ય વિષય નથી, પણ ભગવાનની વિભૂતિ છે. સૌંદર્ય માટેની અભિરુચિ એ જીવન છે.’

બોલીવુડની ભાષામાં ભલે માધુરી દીક્ષિતને ‘ધકધક ગર્લ’ તરીકે ઓળખાવાઈ હોય, પણ આ કાવ્યના આરંભે  જ કવિએ તો માધુરીના સૌંદર્ય અને માધુર્યને તેના હોઠો ઉપર બિરાજવા માટે આપસમાં સ્પર્ધા કરતાં બતાવીને કોઈપણ જાતનો ઔચિત્યભંગ ન કરતાં થોડામાં ઘણું કહી દીધું છે ! અહીં કવિની ભવ્યાતિભવ્ય કલ્પનાનાં દર્શન થયા સિવાય રહેશે નહિ. વળી પોતાની સ્વપ્નાવસ્થામાં પણ જે નારી પોતાના આત્મગૌરવને જાળવી રાખે છે, તેના ચરણો આગળ પવન પણ સૂસવવાની હિંમત કરી શકતો નથી. આમ કહીને માદક પવનના વરુણદેવ પણ તેના ગૌરવની આમન્યા જાળવતા દર્શાવીને કવિએ અહીં ગજબની ક્માલ દેખાડીને માધુરીના વ્યક્તિત્વને  સુપેરે ઉપસાવ્યું છે.

ફિલ્મરસિયાઓ પુરોગામી મધુબાલાના મોહક સ્મિતની હરોળમાં માધુરીના સ્મિતને મૂકતા હોય છે, તો આપણા કવિ પણ એમ ગાંજ્યા જાય એવા નથી. એ તો કહે છે કે મૃદુ હાસ્યસહ દૃષ્ટિપાત કરતી આ સુંદરી પોતાના માર્ગ ઉપર ચાલે છે, ત્યારે માદક એવી ઋતુઓની રાણી વસંતને પોતાના આત્મામાં ભરી દે છે. પ્રભાવશાળી સૌંદર્યની સમ્રાજ્ઞી એવી એ એવી ઝડપથી પસાર થઈ જતી હોય છે કે જાણે વર્ષા ઋતુમાં આકાશમાં ઝબકતી વીજળી તેજલીસોટો પાડી દેતી હોય ! દૈવી ચહેરા ઉપર એવું તો અદ્ભૂત એનું સૌંદર્ય છે કે સૌંદર્યપિપાસુઓની સૌંદર્યપાનની તૃષા તત્ક્ષણ જ છિપી જાય.

કવિની કલ્પનાશક્તિની અને કાવ્યના શબ્દોને શણગારવાની આગવી કલા કાવ્યની આ કંડિકામાં ચમકે છે : “મોહિની તણા કંઠહારે  શોભે રાજરાણીસમી એ, નિજ કોમલાંગે ઝૂલતી ઝૂમતા જ્યમ ગેહૂં સોનવર્ણા ખેતરોએ.” પ્રાચીન સંસ્કૃત કવિઓના શ્લોકોમાંના અર્થાલંકારોની હરોળમાં બેસી શકે તેવી કવિની મનહર કલ્પના આપણને ઘઉંનાં ખેતરોમાં લઈ જાય છે કે જ્યાં ઘઉં પાકી ગયા છે અને સુકાવા માંડેલાં કણસલાં સુવર્ણરંગી દેખાય છે. અહીં કવિ દૃષ્ટાંત અલંકાર પ્રયોજતાં આપણને રસાવે છે કે ગળામાં મોહિનીરૂપી માળાથી રાજરાણી જેવી શોભતી અને કોમળ અંગો વડે ઝૂમતી આ સૌંદર્યવતી નારી મંદમંદ પવનથી ઝૂલતાં પેલાં સોનેરી કણસલાંની યાદ અપાવે છે.

માધુરી દીક્ષિત એ રૂપેરી પડદે અભિનય કરતી એક એવી નૈસર્ગિક કલાકાર છે, જેનો કોઈ દૃશ્યમાં પ્રવેશ થતાંની સાથે અને તેમાંય વળી એ જ્યારે નૃત્ય કરતી હોય, ત્યારે બોલપટના દર્શકો હર્ષનાદની ચીસો પાડી બેસે છે અને એની એ કલાને બિરદાવે છે. આ કાવ્ય અંગ્રેજી ભાષા અને ભાષીઓને ગ્રાહ્ય કરવું સુગમ પડે તેવી ચીવટના ભાગરૂપે કવિએ માધુરીને પ્રણયની દેવી વીનસ સાથે સરખાવી છે. ભારતીય સંદર્ભે પ્રણયના દેવતા તરીકે કામદેવ અને તેમનાં પત્ની રતિને ગણવામાં આવતાં હોય છે. પરંતુ અહીં કવિએ પોતાની આત્મસૂઝ વડે દેવી વીનસને પસંદ કરીને વિશ્વની ભિન્નભિન્ન સંસ્કૃતિઓના અભ્યાસુ હોવાનો પરચો બતાવ્યો છે.

કાવ્યના અંતિમ ચરણમાં માધુરીના લાજવાબ નૃત્યકૌશલ્યને બિરદાવતાં કવિ તેને સાક્ષાત્ નૃત્યદેવી સાથે સરખાવીને તેના નૃત્યની કોઈ એવી અદા જાણે કે પોતે પ્રત્યક્ષ નિહાળતા હોય તેમ વર્ણવે છે કે ‘જગ આખાને  નીરખી  લેતી  નિજ નર્તન તણાં  વિરાટ ડગલે !’ શાસ્ત્રીય નૃત્યમાં શારીરિક મુદ્રાઓ આવશ્યક અંગ તરીકે  મનાય છે. નર્તકનૃત્યમાં ‘લસ્ય’ એક એવો આયામ ગણાતો હોય છે કે જેમાં સ્ત્રીસહજ લાલિત્યપૂર્ણ મુખડાના ભાવો અને ચાલ પ્રધાનપદે  હોય છે. કવિએ પોતાના કાવ્યમાં પ્રયોજેલા અંગ્રેજી શબ્દ ‘Stride’ના સમાનાર્થી ગુજરાતી શબ્દ માટે મારે (આ અનુવાદકને) ખાસ્સી એવી માનસિક જહેમત ઊઠાવવી પડી છે અને દીર્ઘ વિચારણાના અંતે બરાબર બંધબેસતો ‘વિરાટ ડગલે’ શબ્દયુગ્મ મનમાં ઝબકી જાય છે અને મારાથી તે અહીં પ્રયોજાઈ જાય છે.

આ કાવ્યના ભાવાનુવાદક અને રસદર્શનકાર એવા આ લેખકડાને ચિત્રકાર એમ. એફ. હુસૈન દ્વારા નિર્મિત,  માધુરી દીક્ષિત દ્વારા અભિનિત અને શાસ્ત્રીય નૃત્યો ઉપર આધારિત ‘ગજગામિની’ જોવાનો મોકો મળ્યો નથી, પણ એના વિષે વિવિધ માહિતીસ્રોતોમાંથી જાણવા મળ્યું છે તે મુજબ આ ફિલ્મ ભલે હિટ ન ગઈ હોય, પણ કલાપ્રેમીઓ અને ફિલ્મ સમીક્ષકોએ તેને બિરદાવી હતી. આપણા કવિ મહાશયે એ ફિલ્મ જોઈ હોય અથવા અન્ય ફિલ્મોમાં માધુરીનાં નૃત્યો અવલોક્યાં હોય કે પછી  પોતે નૃત્યકલાના વિશારદ હોય, પણ તેમણે કાવ્યના અંતિમ ચરણે મિતભાષી શબ્દોમાં માધુરીના નૃત્યને ઉજાગર કરીને વાચકોને રસતરબોળ કરી દીધા છે.

શૃંગારરસ નિરૂપણમાં સમતોલન જાળવી રાખીને માધુરી દીક્ષિતનાં સૌંદર્ય અને નૃત્યકલાને સન્માનપૂર્વક અભિવ્યક્ત કરતા અને સૌજન્યપૂર્ણ વ્યવહારે એટલે કે અભિનેત્રીના સ્વાભિમાનને જરાય ઠેસ ન પહોંચે એવા મૃદુ ભાવે  લખાયેલા આ કાવ્ય બદલ કવિ શ્રી મુકેશભાઈને ખોબલેખોબલે ધન્યવાદ.

-વલીભાઈ મુસા (રસદર્શનકાર)

પ્રો. મુકેશ રાવલનાં સંપર્કસૂત્રો :

ઈ મેઈલ – Mukesh Raval < rajshlokswarda@gmail.com
મોબાઈલ – ૯૮૭૯૫ ૭૩૮૪૭

પુસ્તક પ્રાપ્તિ : –

“Pots of Urthona” –  ISBN 978-93-5070-003-7 મૂલ્ય : રૂ|. ૧૫૦/- (શાંતિ પ્રકાશન, ડી-૧૯/૨૨૦, નંદનવન એપાર્ટમન્ટ, ભાવસાર હૉસ્ટેલ પાસે, નવા વાડજ, અમદાવાદ – ૩૮૦ ૦૧૩)

 

 

Tags: , , , , , , , , , , , , , , , ,