મલાલાને (નોબલ પુરસ્કાર સ્વીકારતાં)
(ભાવાનુવાદ)
એ.કે.૪૭ની ગોળીઓની વર્ષા તણી એ રમઝટે,
સ્વાત, પાકિસ્તાનના એ દાંતાળા મારગડે,
એકલાઅટૂલાએ જ્યાં ધૈર્ય ધરવું કઠિન,
એવા વનરાવને એ નાનકડી કિશોરી,
નિજ વૅનમાં,
હુમલા સામેના પ્રતિકાર તણો પડકાર ઝીલી લે
ને ન થાય આધીન એ ઘાતકી ઘેલછાઓને;
બની નિ:સંકોચ
અને વળી મુક્ત વિશ્વ તણા મુક્ત માનવીની જ્યમ
રહી નિર્ભયા, ન જરાય ઝૂકતી !
ઊભી રહી અડીખમ વૈષમ્ય સામે સ્મિતસહ
અને ચીંધ્યો મારગ સાવ સાચો જગતને;
શાંતતા અને અધિકાર રક્ષવા,
રહી ઊભી ટટ્ટાર નતમસ્તકે
અને બોલાવ્યો જયજયકાર –
જ્ઞાન, શાંતિ અને જ્યોતિ તણો;
વળી જુલમગાર અને રક્તપાતી શાસન તણા
અંધારા પ્રદેશ મહીં, થઈ મશાલ તું ઊભરી !
– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)
* * * * *
To Malala (On receiving the Nobel prize)
Among the bullety bushes of AK 47
where it’s hard to be composed and one
at a forked road in Swat, Pakistan
a tiny girl when attacked in a van
chose to resist and not to be tamed
the whims of cruelty and not be ashamed
as a free human being of a free world
remained fearless, never be curled
she stood with a smile against the odd
and showed the world the right road
For peace and rights stood upright
hailed the knowledge, peace and light
became the torch in the darkened zone
a midst the tyrannical bloody throne
– Mukesh Raval
* * * * *
રસદર્શન
સાહિત્યકાર પોતાનાં સર્જનોમાં સુખદ કે દુ:ખદ ઘટતી એવી સામાજિક સાંપ્રત ઘટનાઓથી અલિપ્ત રહી શકે નહિ. એમાંય વળી કવિજીવ તો ગણાય, સાવ સંવેદનશીલ; અને તેથી જ તો આપણા કવિ પાકિસ્તાનની સ્વાત ખીણની માત્ર ૧૭ જ વર્ષની કિશોરી મલાલા યુસુફઝઈ કે જેણે આતંકવાદીઓ સામે અડીખમ ઊભી રહીને જે શૌર્ય બતાવ્યું હતું અને જે બદલ તેને શાંતિ માટેનું નોબલ પ્રાઈઝ મળ્યું હતું એ ઘટનાને વિષય બનાવીને આપણને આ કાવ્ય આપે છે. ૨૦૧૪નું આ નોબલ પ્રાઈઝ ભારતના ‘બચપન બચાવો આંદોલન’ના વાહક શ્રી કૈલાશ સત્યાર્થી અને સ્ત્રીશિક્ષણની પુરસ્કર્તા આ મલાલાને સંયુક્ત રીતે અપાયું હતું. તાલિબાન દ્વારા સ્વાત ખીણમાં છોકરીઓના અભ્યાસ ન કરવાના ફતવાનો ઉલ્લઘંન કરતાં મલાલાએ પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. તેના આ પ્રતિકારથી છંછેડાયેલા આતંકવાદીઓએ તેના ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.
આ અગાઉ આતંકવાદના વિષયે ‘ચાલો ને આપણે…’ કાવ્ય આપી ચૂકેલા કવિનું મલાલાના શૌર્યને બિરદાવતું આ પ્રશસ્તિકાવ્ય છે. આતંકવાદીઓની રાઈફલની ગોળીઓ વચ્ચે આ કિશોરીએ ફના થઈ જવાની તત્પરતા બતાવી એ દર્શાવે છે કે તેનું મનોબળ કેટલું દૃઢ હશે. માર્ગ ભૂલેલા એ અધમ ધર્માંધો ધર્મના ઠેકેદાર બનીને બળજબરીપૂર્વક કોઈના ઉપર પોતાના આપખુદી વિચારો લાદવાનો પ્રયત્ન કરે તેને જુલ્મ જ કહેવાય. એ કહેવાતા મુસલમાનો એ ભૂલી જાય છે કે કુરઆને પાકમાં સ્પષ્ટ આયત છે કે અલ્લાહ જુલ્મગારોને પસંદ કરતો નથી અને એ પણ આદેશ છે કે મજહબના સ્વીકાર કે પાલન માટે બળજબરીને કોઈ સ્થાન નથી. મલાલાની સ્ત્રીશિક્ષણની તરફદારી એ કંઈ ગુન્હો નથી, કેમ કે કુરઆને શરીફમાં અને ઈસ્લામના પયગંબરની હદીસમાં દરેક સ્ત્રીપુરુષ માટે ઈલ્મ (જ્ઞાન) પ્રાપ્ત કરવાનું વાજીબ (ફરજિયાત) ઠરાવવામાં આવ્યું છે; પછી એ શિક્ષણ દીની હોય કે દુન્યવી. સ્વાતના ભયજનક એવા ખીણપ્રદેશમાં માનવતાના દુશ્મનો સામે નમતું જોખ્યા વગર મલાલાએ ગોળીઓથી વીંધાઈને જગતને જ્ઞાન અને શાંતિનો માર્ગ ચીંધ્યો. આમ જોઈએ તો મલાલાની આ અહિંસક લડત હતી, એણે પ્રતિકાર કરવા કોઈ હથિયાર ધારણ નહોતું કર્યું, પણ ગોળીઓને ઝીલવા માટે પોતાના તનબદનને સામે ધરી દીધું હતું. સદ્ભાગ્યે એ મરણશરણ તો ન થઈ, પણ એને પ્રાણઘાતક ઈજાઓ તો જરૂર થઈ હતી અને તે માટે એને વિદેશમાં સારવાર પણ લેવી પડી હતી.
કાવ્યસમાપને મુકાયેલી આ કડી : “જુલમગાર અને રક્તપાતી શાસન તણા અંધારા પ્રદેશ મહીં, થઈ મશાલ તું ઊભરી !”માં કવિએ મલાલાને મશાલનું રૂપક આપીને તેને ગૌરવ પ્રદાન કર્યું છે. જ્યાં જુલ્મ થતો હોય અને રક્તપાતનું શાસન ચાલતું હોય એ અંધારો પ્રદેશ કહેવાય અને એ અંધકારને મિટાવવા માટે જ્ઞાન અને સમજનો પ્રકાશ જોઈએ. મલાલાએ મશાલ બનીને લોકોને જાગૃતિનો પ્રકાશ પૂરો પાડ્યો. નૉબલ પુરસ્કારના અધિષ્ઠાતાઓએ મલાલાને જે માન સન્માન આપ્યું તેની અસર પેલા આતંકવાદીઓના માનસ ઉપર અવશ્ય પડી હશે. તેમને એ વાતની પ્રતીતિ થઈ જ હશે કે જગત સુકર્મોની અવશ્ય નોંધ લે છે અને દુષ્કર્મોને ધિક્કારે છે.
માનવ્ય પરત્વે અહોભાવની લાગણી જન્માવતા કવિના આ કાવ્ય બદલ તેમને ધન્યવાદ.
-વલીભાઈ મુસા (રસદર્શનકાર)
* * * * *
પ્રો. મુકેશ રાવલનાં સંપર્કસૂત્રો :
ઈ મેઈલ – Mukesh Raval < rajshlokswarda@gmail.com
મોબાઈલ – ૯૮૭૯૫ ૭૩૮૪૭
પુસ્તક પ્રાપ્તિ : –
“Pots of Urthona” – ISBN 978-93-5070-003-7 મૂલ્ય : રૂ|. ૧૫૦/- (શાંતિ પ્રકાશન, ડી-૧૯/૨૨૦, નંદનવન એપાર્ટમન્ટ, ભાવસાર હૉસ્ટેલ પાસે, નવા વાડજ, અમદાવાદ – ૩૮૦ ૦૧૩)
[…] Click here to read in English […]