RSS

Tag Archives: મહાત્મા ગાંધી

(૫૩૨) આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ – International Non-violence Day (અનુવાદ)

Click here to read in English.

આજે ૨જી ઓક્ટોબર છે જે સાંપ્રત યુગના મહામાનવ મહાત્મા ગાંધીની ૧૪૮મી જન્મજયંતી છે. તેઓ ૧૮૬૯માં આ દિવસે જન્મ્યા હતા. તેમની શહાદતના છ દસકા પછી જગતને હવે ગાંધીઅન ફિલોસોફીની અને એમાંય ખાસ કરીને તેમના અહિંસા અંગેના વિચારોની પ્રતીતિ થઈ રહી છે, જ્યારે કે આજકાલ આખુંય જગત આતંકવાદ અને એવા ઘણા બધા વાદની ધમકીઓ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. યુનોએ સાચી રીતે જ આજના દિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે જાહેર કર્યો છે અને ખરેખર એ જ તેમના માટેની મોટી શ્રદ્ધાંજલિ છે.

ચાલો, આપણે તેમના એ શબ્દોને યાદ કરીએ કે જે આ પ્રમાણે છે : “સાચે જ જગત નફરતથી થાકી ગયું છે. આપણને આ થાક પશ્ચિમનાં રાષ્ટ્રોમાં વધારે છવાયેલો દેખાઈ રહ્યો છે. આપણે જોઈએ છીએ કે નફરતના આ ગાનથી માનવતાને કોઈ લાભ પહોંચ્યો નથી. ચાલો, ભારતને ઇતિહાસનું એક પાનું ફેરવવાનો અને જગતને બોધપાઠ શિખવવાનો જશ ખાટવા દો.” જગતની પ્રવર્તમાન પરિસ્થિતિ અને સંજોગોમાં તેમના આ શબ્દો કેવા બંધબેસતા  છે! તેમણે જગતને એક માનવ શરીર સાથે સરખાવ્યું હતું. શરીરના કોઈપણ અવયવની વેદના આખા શરીર દ્વારા અનુભવાતી હોય છે. તેમના શબ્દો દૈવી લાગતા હતા પણ તેઓ એટલા નમ્ર અને પ્રમાણિક હતા કે તેમણે કદીય કોઈ તત્ત્વજ્ઞાની કે દેવદૂત હોવાનો દાવો કર્યો ન હતો.

આ દિવસે વિશ્વભરનાં પ્રસાર માધ્યમોએ મહાત્મા ગાંધી વિષે ઘણું બધું કહ્યું છે. આજના ખૂબ જ ભારેખમ વિષયને સ્પર્શવાનો મારો પ્રયત્ન મારા સુજ્ઞ વાચકોને સાવ ક્ષુલ્લક લાગશે અને તે હું સારી રીતે જાણું પણ છું, કેમ કે હું લેખના માફકસરના કદને જાળવી રાખવા માટે બંધાયેલો છું. મારી આ મર્યાદા છતાંય હું માત્ર અહિંસાના આ વિષયને તેના સમર્થનમાંનાં અન્ય અવતરણોની સહાયથી સારી રીતે ચર્ચવાનું પસંદ કરીશ.

ઈસ્લામના પયગંબર (સ.અ.વ. = સલામ હજો તેઉના ઉપર)ની એક હદીસ (કથનની સ્મૃતિ)માં કહેવાયું છે કે ‘માનવ રક્ત પવિત્ર છે અને તેને કોઈપણ સંજોગોમાં અકારણ વહાવી શકાય નહિ. જો કોઈ ઈસમ માનવ રક્તની આ પવિત્રતાને અવગણીને કોઈપણ એક જીવને હણશે, તો પવિત્ર કુરઆન એ કૃત્યને સમગ્ર માનવજાતની હિંસા કર્યા બરાબર ગણે છે.” હિંસાનાં ઘણાં સ્વરૂપો છે, પણ તેમને મુખ્યત્વે બે શ્રેણીમાં વિભાજિત કરી શકાય; શારીરિક અને માનસિક હિંસા. હિંસા જીભ દ્વારા પણ થઈ શકે. જો તમારા કથન દ્વારા કોઈની લાગણી દુભાય તો તેને પણ હિંસા તરીકે ઓળખાવી શકાય. પીર મશાયખ રહમતુલ્લાહ પોતાના એક બયાનમાં ફરમાવે છે કે ‘ખરો આસ્તિક પોતાના હાથ અને  જીભનો ઉપયોગ કરીને કોઈને ઈજા કે દુ:ખ પહોંચાડી શકે નહિ.’ તેઓ આગળ સમજાવે છે કે ‘કોઈને તેની લાગણી દુભાય તેવો ભૂંડો કાગળ લખવો એ તો બેવડી હિંસા છે.’ આ વાત તેઓ એ રીતે સમજાવે છે કે ભૂંડા કાગળના આ હથિયાર થકી સામેવાળાને દુ:ખ પહોંચાડનાર માણસ પોતાના હાથ અને તેની સાથેસાથે જીભનો પણ ઉપયોગ કરતો હોય છે. જીભનો મતલબ એ કે ભૂંડા કાગળનો વાચક જ્યારે એ કાગળ વાંચતો હોય છે ત્યારે તેને એવો ભાસ થતો હોય છે કે જાણે તે લખનારને સાંભળી રહ્યો છે.

ઈલેક્ટ્રોનિક કે મુદ્રિત વાંચન સામગ્રી એ પ્રવચન સમાન છે અને વક્તા કે લેખક તરફથી થતું જરા પણ અસમતુલન જગત માટે માનવીય હોનારત સર્જી શકે છે. અહિંસા દિવસની માત્ર ઉજવણી જગતને શાંતિમય બનાવી શકે નહિ. પરિણામલક્ષી શાંતિસ્થાપન માટે ઘણી બધી સાવધાનીઓ અને સ્વયંશિસ્ત પણ એટલાં જ જરૂરી છે. જ્યારે જ્યારે દુનિયામાં કોઈ સંવેદનશીલ ઘટના બને ત્યારે પ્રસાર માધ્યમની પવિત્ર ફરજ બની જાય છે કે તેઓ લોકોને હિંસા આચરવા માટે ન ઉશ્કેરે. તે એક પ્રસ્થાપિત નૈતિક સત્ય છે કે ધર્માંધતા અને નફરત એ અમાનવીય અને અપ્રમાણિત છે.

સામૂહિક હિંસાને અટકાવવા માટે એ બાબત ધ્યાનમાં લેવાવી જોઈએ કે કોઈ વ્યક્તિ કે નાના જૂથ દ્વારા કોઈ અનિચ્છનીય કાર્ય થયું હોય તો તે કોઈ ખાસ ધર્મની માન્યતાનું પ્રતિનિધિત્વ કરે છે અથવા તો જે તે ધર્મ તેના માટે જવાબદાર છે તેવું ઠરાવી શકાય નહિ. સમાચાર માધ્યમો દ્વારા આવી હિંસાત્મક ઘટનાઓને ઈસ્લામિક, ક્રિશ્ચિયન, યહૂદી કે હિંદુ પ્રેરિત એવી ઓળખ અપાય તે વ્યાજબી નથી. પ્રસાર માધ્યમે હિંસાના માર્ગે જતા મોટા સમુદાયને અટકાવવો જોઈએ અને ઊલટાનો તેને એવી રીતે પ્રોત્સાહિત કરવો જોઈએ કે તે સત્તાવાળાઓને શાંતિ અને સુલેહનું વાતવરણ પ્રસ્થાપિત કરવામાં મદદરૂપ બની રહે. લોકોને એ વિચારધારા અપનાવવા માટે માર્ગદર્શન અપાવું જોઈએ કે બચાવ કે આક્રમણના હેતુસર નિર્દોષ લોકોના જાનમાલને હાનિ પહોંચાડવી તેમાં કોઈ બહાદુરી કે ત્યાગ રહેલાં નથી.

અહિંસાના માર્ગ ઉપર ચાલવું મુશ્કેલ હોય છે અને ઘણીવાર તો તે નિરાશાજનક પણ નીવડે છે. ગાંધીજીએ આ મુદ્દાને આ રીતે સમજાવ્યો છે કે ‘અહિંસા વિષેની મારી શ્રદ્ધા હંમેશાં મજબૂત રહી છે. દુ:ખી જગતને શાંતિ અર્પવા માટે અહિંસાના ટૂંકા અને સરળ માર્ગ સિવાય બીજો કોઈ ઈલાજ નથી. મારા જેવા લાખો લોકો અહિંસાના આ માર્ગ ઉપર ચાલતાં નિષ્ફળતાને પામી શકે, પણ એ નિષ્ફળતા એ વ્યક્તિઓની ગણાવી જોઈએ, નહિ કે અહિંસાના એ સનાતન નિયમની.’

ગાંધીજીએ માનવજીવનને સ્પર્શતા કોઈપણ મુદ્દાને જતો કર્યો નથી. આ વાતની પ્રતીતિ માટે સંશોધકો કે સામાન્ય માનવીઓ ‘ગાંધીજીનો અક્ષ્રરદેહ’ ગ્રંથશ્રેણી જોઈ શકે છે. આમાં તેમનું માત્ર સાહિત્યિક સર્જન જ નથી, પણ તેમનું સર્જનાત્મક અને પ્રવૃત્તિમય જીવન પથરાયેલું છે. વાચકોને એ જાણીને આશ્ચર્ય થશે કે લોકોના સામાન્ય રીતે જીવાતા જીવન સાથે સંકળાયેલી અનેક બાબતોને સંલગ્ન માનવજાતની ભલાઈ માટે એમણે વિપુલ માત્રામાં કામ કર્યું છે. તેઓ ખુલ્લા મનના માનવી હતા અને સાથે સાથે તેઓ ક્રાંતિકારી કર્મશીલ એવા સત્ય અને અહિંસાના માધ્યમે સમાજમાંનાં અનિષ્ટો સામે લડતા લડવૈયા પણ હતા. તેમનું વિચારવું, તેમનું બોલવું અને તે પ્રમાણેનું જ કાર્ય કરવું એ ત્રણેયમાં હંમેશાં એકસૂત્રતા જ રહેતી.

સમાપને, મહાત્મા ગાંધીને આપણા દ્વારા સહેતુક અને સહૃદયતાપૂર્વકની અપાતી શ્રદ્ધાંજલિમાં આપ સૌને પણ મારી સાથે સામેલ કરું છું. ચાલો, આપણે માત્ર શાબ્દિક જ નહિ; પરંતુ ક્રિયાત્મક રીતે તેમણે જગતને ચીંધેલા માનવતાના માર્ગ ઉપર ચાલવાનો પ્રયત્ન કરીએ.

ઈશ્વર વૈશ્વિક માનવતાના વિકાસ માટે આપણાં દિલોને પ્રેમથી ભરી દે એવી પ્રાર્થનાસહ,

-વલીભાઈ મુસા

(તા. ૦૨-૧૦-૨૦૦૭)

(Translated from English version titled as “International Non-violence Day” published on October 02, 2007)

 

 

Tags: , , , ,

(૫૩૧) દૃઢ નિશ્ચયની તાકાત   (Power of Determination) – અનુવાદ

Click here to read in English

આપણા જીવનના કોઈપણ ક્ષેત્રમાં કારકીર્દિ બનાવવા માટે કે ઉદ્દેશો સિદ્ધ કરવા માટે દૃઢ નિશ્ચયનું આગવું મહત્ત્વ છે. આજનો દૃઢ નિશ્ચય એ આવતી કાલની સફળતા છે. ટોમી લાસોર્ડા (Tommy Lasorda) કહે છે, ‘શક્ય અને અશક્ય વચ્ચેનો તફાવત માણસના દૃઢ નિશ્ચયમાં રહેલો છે.’ આ બધાં દૃઢ નિશ્ચયમાંથી નિપજતાં હકારાત્મક ભવિષ્ય કથનો છે. કોઈપણ માણસ માટે આવું આવું  હજુય વધારે કહેવું આસાન છે. માત્ર એમ કહેવું એ એક બાબત છે અને તેને અમલમાં મૂકવું એ જુદી બાબત છે. તમને જીવનમાં આગળ ને આગળ વધવામાં દૃઢ નિશ્ચયનું ચાલક બળ કે તેની શક્તિ તમને સક્રિય બનાવે છે. ઘણીવાર માણસને પોતાના સંઘર્ષ દરમિયાન ઘણીબધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે અને તેથી ઘણીવાર તે નાસીપાસ કે હતાશ થઈ જતો હોય છે. પરંતુ આવા સમયે તમારી દૃઢ નિશ્ચયની શક્તિ એ અવરોધને દૂર કરવા માટેની મદદ કરવા માટે આગળ આવતી હોય છે.

અત્રે હું મહાત્મા ગાંધી, અબ્રાહમ લિંકન કે ઘણા એવા મહાન માણસોની વાત કરવા નથી માગતો. એ લોકો તો માનવજાતની ભલાઈ માટેનાં જે સ્વપ્નાં સેવ્યાં હતાં તેમને પોતાના દૃઢ નિશ્ચયના બળે સિદ્ધ કરી શક્યા. સુજ્ઞ વાચકો વિશ્વભરમાં તેમના વિષે લખાયેલાં અઢળક પુસ્તકોમાંથી તેમના વિષેની માહિતી મેળવી શકે છે.

પરંતુ આજનો મારો લેખ તો એક વિદ્યાર્થી વિષેનો છે. અલબત્ત તેણે જે કંઈ સિદ્ધિ મેળવી બતાવી તે પોતાની જ કારકીર્દિ બનાવવા અને તે કારકીર્દિથી જે કંઈ લાભ કે ફાયદા થશે તે માત્ર પોતાના કુટુંબ માટેના જ હોઈ શકે, પણ તેમાંથી મળવા પામનારો બોધપાઠ એ વિશ્વભરના અસંખ્ય વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. એક અંગ્રેજી કાવ્યમાં કહેવાયું પણ છે કે પ્રતિકૂળતાઓને પણ તકમાં પરિવર્તિત કરી શકાય છે. આ લેખના નાયકે એ સિદ્ધ કરી બતાવ્યું કે કેવી રીતે કોઈ અશક્ય વસ્તુને દૃઢ નિશ્ચયની તાકાત વડે શક્યમાં બદલી શકાય છે.

હું આ લેખના નાયકને ઓળખાવું તે પહેલાં મારા વાચકોને મારા અગાઉના લેખ ‘એક સજ્જનનું મૃત્યુ’ની યાદ અપાવીશ. અહીં જેની વાત કરવામાં આવનાર છે તે એ જ સજ્જનના પુત્ર અશરફ જ છે. તેની સફળતાની ગાથા વર્ણવવાનો હેતુ માત્ર એ નથી કે તેનાં ગુણગાન ગવાય, પરંતુ એથીય વિશેષ તો એ છે કે વિદ્યાર્થીઓનો એક મોટો સમૂહ કે જે પોતાના માધ્યમિક શિક્ષણમાં બહુ જ ખરાબ પરિણામ આવ્યું હોવાના કારણે કોલેજ શિક્ષણ મેળવવાનું મુલતવી રાખ્યું હોય તેમને પ્રેરણા મળી રહે.

પ્રથમ તો હું અહીં બરાબર બંધ બેસતું હેન્ડરસન (Henderson)નું એક રમૂજી અવતરણ મૂકીશ, જે આ પ્રમાણે છે : પિતાઓ પોતાનાં સંતાનોને ઉચ્ચ શિક્ષણ માટે એટલા માટે મોકલતા હોય છે કે કાંતો તેમણે કોલેજ શિક્ષણ લીધું હોય છે અથવા તો તેઓ કદીય કોલેજનાં પગથિયાં ચઢ્યા નથી હોતા. આપણા આ કિસ્સામાં અશરફના પિતા શ્રીમાન અહમદભાઈ પલાસરા કોલેજમાં ભણવા નહોતા ગયા, કેમ કે તેમને પોતાના માધ્યમિક શિક્ષણ પછી તરત જ એમના કૌટુંબિક ધંધામાં તેમની જરૂરિયાત હોવાના કારણે જોડાવું પડ્યું હતું. તેઓ ભલે કોલેજ શિક્ષણ મેળવી શક્યા ન હતા, પણ એ મતના તો જરૂર હતા કે તેમની ભવિષ્યની પેઢીએ યુનિવર્સિટી શિક્ષણ અવશ્ય મેળવવું જ જોઈએ.

palasara_ashraf.jpgહવે આપણે મિ. અશરફની વાત ઉપર આવીએ. ગામડાંઓમાં અંગ્રેજી માધ્યમમાં ભણવું જ્યારે જવલ્લે જ જોવા મળતું હતું, ત્યારે અશરફને તેના વતનની નજીકની સ્કૂલમાં અંગ્રેજી માધ્યમમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘરમાં અને સમાજમાં ઉપકારક થઈ પડે તેવું વતાવરણ ન હોઈ એ દિવસોમાં બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવું ઘણું મુશ્કેલ લાગતું હતું, કેમ કે મોટા ભાગનાં લોકો માત્ર ગુજરાતી માધ્યમમાં ભણેલાં હોઈ આવા અંગ્રેજી માધ્યમમાં ભણનાર બાળકને ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં માર્ગદર્શન અને વાતાવરણ  મળી શકતું હતું. શરૂઆતથી જ ભાષાકીય અવરોધના કારણે તેને અંગ્રેજી માધ્યમમાં ગણિત, વિજ્ઞાન જેવા વિષયોમાં પાયાની સમજ મેળવવામાં ખૂબ જ મથામણ કરવી પડતી હતી. સમય પસાર થતાં ભણવામાં સારો દેખાવ કરવાના બદલે તેની આ પ્રકારની મુશ્કેલીઓ ઘટવાના બદલે ઉત્તરોત્તર વધતી જ ગઈ. આમ તે ઘણીજ મુશ્કેલીથી તેના વિષયોમાં માંડ ઉત્તીર્ણ થઈ શકતો હતો. જ્યારે તે ચોથા ધોરણમાં અભ્યાસ કરતો હતો, ત્યારે ધંધાકીય સંજોગોના કારણે તેના કુટુંબને અમદાવાદ ખાતે સ્થળાંતર કરવું પડ્યું હતું. તેણે વિચાર્યું કે અભ્યાસમાં સારો દેખાવ કરવા માટે તેણે ગુજરાતી માધ્યમ અપનાવવું જોઈએ. પરંતુ તેના મરહૂમ પિતાએ તેને અંગ્રેજી માધ્યમમાં ચાલુ રહેવા ખૂબ સમજાવ્યો. અશરફ કહે છે, ‘શરૂઆતમાં અમદાવાદમાં ધોરણ ચોથામાં અચકાતાં અચકાતાં અંગ્રેજી માધ્યમમાં ચાલુ રહેવા માટે મેં નક્કી કર્યું, ત્યારે તે મને ખૂબ જ અઘરું લાગવા માંડ્યું અને એ જ માધ્યમમાં ચાલુ રહેવાના મારા મૂર્ખાઈભર્યા નિર્ણય બદલ હું પસ્તાતો હતો. પરંતુ મારા પિતાએ મને એમ કહીને પ્રોત્સાહિત કર્યો હતો કે એ લોકોએ મને અંગ્રેજી માધ્યમમાં એટલા માટે મૂક્યો છે કે જેથી હું અંગ્રેજી વિષય ઉપર સારું પ્રભુત્વ મેળવી શકું અને આગળ જતાં અમારા ધંધામાં મદદરૂપ થવા માટેનો હેતુ સિદ્ધ થઈ શકે. વધુમાં તેમણે કહ્યું હતું કે મારે અન્ય વિષયોમાં વધુ ગુણ મેળવવાની જરાય ચિંતા કરવાની નથી. પાછળથી મેં જાણી લીધું હતું કે તેમણે મને સાવ સાદી સલાહ એટલા માટે આપી હતી કે હું ગમે તે રીતે અંગ્રેજી માધ્યમમાં ચાલુ રહેવાના મારા નિર્ણયને વળગી રહું.”

મિ. અશરફે તેની એસ.એસ.સી. (૧૯૯૪) પરીક્ષા સાવ ઓછા એવા ૫૫% ગુણથી પસાર કરી. વળી એમાંય પણ તેનું માનવું હતું કે તેની ઓછી તૈયારી અને અત્યાર સુધીની લેવાયેલી પરીક્ષઓમાંના નબળા દેખાવને જોતાં આ એક કરિશ્મો જ હતો કે જે થકી તેણે એસ.એસ.સી. પરીક્ષા ઉત્તીર્ણ કરી હતી. તેને આ તબક્કે એવું લાગ્યું કે હવે પોતાની જિંદગીમાં આગળ ઉપર શું કરવું તેના ઉપર ગંભીર વિચારણા કરવા માટેનો સમય આવી ગયો હતો. હવે તો તેની પાસે બે જ વિકલ્પ હતા કે કાં તો ભણવાનું જ છોડી દઈને  કૌટુંબિક ધંધામાં જોડાઈ જવું કે પછી પોતાના મન  અને આત્માથી ગંભીર બનીને આગળ ભણવું અને અભ્યાસમાં સારો દેખાવ કરી બતાવવો. તેણે આગળ ભણવાનું પસંદ કર્યું અને ઉચ્ચતર માધ્યમિકમાં વાણિજ્ય પ્રવાહને પસંદગી આપીને પોતાનો નોંધપાત્ર દેખાવ બતાવ્યો અને આમ ૭૫% ગુણ સાથે હાયર એસ.એસ.સી. પરીક્ષા ઉત્તીર્ણ કરી. હવે વળી ફરી પાછા એ નક્કી કરવાનું હતું કે  તેણે કૌટુંબિક ધંધામાં જોડાઈ જવું કે આગળ યુનિવર્સિટી શિક્ષણ પ્રાપ્ત કરવું. આ તેના જીવનનો ખૂબ જ અગત્યનો વળાંક હતો. તેને કુટુંબના સભ્યો અને મિત્રો તરફથી કોલેજમાં ભણવા જવા માટેનું પ્રોત્સાહન મળ્યું. છેવટે તેણે આગળ ભણવાનું નક્કી કરી જ લીધું અને તે પણ માત્ર કોમર્સ ફેકલ્ટીનું ગ્રેજ્યુએશન  જ નહિ, પણ તેથીય કંઈક વિશેષ અગત્યનું ભણવું. તેણે વિચાર્યું કે કોમર્સમાંનું માત્ર ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન શિક્ષણ તો એવું બનીને રહી જશે કે ચીલાચાલુ ભણેલા એવા કમનસીબ મોટા સમુદાય ભેગા પોતાની જાતને પણ ભેળવી દેવી કે જેઓ નોકરી કે એવું કંઈક કરવા માટે આમથી તેમ ભટકતા હોય છે અને ભણવામાં કરેલી મહેનતના બદલામાં કશું જ પ્રાપ્ત કરી શકતા નથી હોતા. મારા વાચકોને એ જાણીને આશ્ચર્ય થશે કે તેણે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી એડવાન્સ કોર્સમાં જોડાવાનું નક્કી કરી જ લીધું. આમ જોઈએ તો તેનો આ નિર્ણય સાંકડા અને નાના મોંઢામાં મોટો કોળિયો મૂકવા જેવો હતો અને છતાંય તેણે એમાં જ ભણવા માટેનો પોતાનો દૃઢ નિશ્ચય કરી જ લીધો હતો.

અહીં પોતાના આ કઠોર નિર્ણયના પક્ષમાં તેનો હકારાત્મક મુદ્દો એ હતો કે તેનું હવે અંગ્રેજી ભાષા ઉપર નોંધપાત્ર પ્રભુત્વ હતું. તેને ચોક્કસ ખાત્રી હતી કે પોતાના સંઘર્ષના શસ્ત્ર વડે તે અન્ય વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરી શકશે. અને લ્યો ! તેણે પોતાની સી.એ.ની પરીક્ષા પ્રથમ જ પ્રયત્ને સમગ્ર ભારતમાં ૩૩મા ક્રમાંકે નવેમ્બર – ૨૦૦૦માં માત્ર ૨૨ વર્ષની ઉંમરે ઉત્તીર્ણ કરી લીધી. આ ખાસ પ્રકારની સ્પેશ્યલાઈઝ્ડ પ્રોફેશનલ ડિગ્રી હતી અને હવે તેના માટે ગેજ્યુએશનની એવી કોઈ ડિગ્રી મેળવવી જરૂરી ન હતી. આમ છતાંય તેણે સી.એ.ની પરીક્ષા ઉત્તીર્ણ કરે તે પહેલાં ૧૯૯૯માં જ ૭૦% ગુણે બી. કોમ. પરીક્ષા ઉત્તીર્ણ કરી દીધી હતી. વળી તેને લાગ્યું કે આ ડિગ્રી પર્યાપ્ત નથી અને તેણે ૨૦૦૧માં એલ.એલ.બી. (જનરલ) ડિગ્રી પણ મેળવી લીધી. હવે તેની પાસે સ્પેશ્યલાઈઝ્ડ સી.એ.ની ડિગ્રી સાથે ડબલ ગ્રેજ્યુએશનની ડિગ્રીઓ પણ હતી.

આપણા આ લેખના નાયક મહાશય પોતાની સી.એ. (ઈન્ડિયા)ની ડિગ્રીથી સંતુષ્ટ ન હતા, કેમ કે તેઓ પરદેશમાં પોતાની કારકીર્દિ બનાવવા માગતા હતા. આ માટે તેણે ૨૦૦૩માં સી.પી.એ. (યુ.એસ.એ.)ની પરીક્ષા આપી અને પ્રથમ પ્રયત્ને તેમાં પણ સફળતા મેળવી લીધી. હવે તે ડબલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ  અને ડબલ ગ્રેજ્યુએટ હતો. હજુ પણ એ જ ક્ષેત્રની ત્રીજી ડિગ્રી મેળવવાનું તેનું લક્ષ હતું અને તે ડિગ્રી હતી યુ.કે.ની એ.સી.સી.એ., જે એણે ૨૦૦૪માં મેળવી લીધી. હાલમાં એ ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની ઓસ્ટ્રેલીઆની ચોથી ડિગ્રી મેળવી લેવાના ફિરાકમાં છે, કેમ કે તેણે હવે ઓસ્ટ્રેલીઆમાં જ સ્થિર થવાનું વિચારી લીધું છે. તેને ખાત્રી છે કે એ પણ થઈને જ રહેશે. આ બધી ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની ડિગ્રીઓ ભેગી કરવાનો તેનો સીધો સાદો તર્ક એ છે કે તે દુનિયાના કોઈપણ ભાગમાં પોતની કારકીર્દિને પ્રસ્થાપિત કરી શકે તેવી ક્ષમતા કેળવાય. વળી ભવિષ્યે અનુકૂળતાએ તે  પોતાના જીવનની કદાચ આખરી એવી ઇન્ડિયાનીની એમ.કોમ.ની પરીક્ષા પણ ઉત્તીર્ણ કરવાની નેમ ધરાવે છે.

હવે આપણે તેણે આ સમયગાળામાં અનેક વૈશ્વિક કંપનીઓમાં પોતાની પ્રોફેશનલ કારકીર્દિ બનાવી છે તેના ઉપર દૃષ્ટિપાત કરીશું.

– ભારતમાં ઓગસ્ટ ૧૯૯૭થી એપ્રિલ ૨૦૦૨ સુધી ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની ફર્મ્સ જેવી કે તૃષિત ચોકસી એન્ડ એસોસિયેટ્સ, યુસુફ સી, મનસુરી એન્ડ કંપની અને મનુભાઈ એન્ડ કંપની.

– કે.પી.એમ.જી. મસ્કત (ઓમાન) કે જે ઓડિટ, એડવાઈઝરી અને ટેક્સ સર્વિસીઝની ચાર મોટી કંપનીઓમાંની એક છે તેમાં જુન, ૨૦૦૨થી જુલાઈ, ૨૦૦૫ સુધી કામ કર્યું.

– પ્રાઈસ વોટર હાઉસ કૂપર્સ (PwC)  કે જે પણ ઓડિટ, એડવાઈઝરી અને ટેક્સ સર્વિસીઝની ચાર મોટી કંપનીઓમાંની એક છે તેમાં ઓગસ્ટ-૨૦૦૫થી એપ્રિલ-૨૦૦૬ સુધી કામ કર્યું.

– હાલમાં ડેલોઈટ સિડની (ઓસ્ટ્રેલીઆ) ઓફિસમાં મે ૨૦૦૬થી કામ કરે છે.

અશરફ હાલમાં નીચેનાં પ્રોફેશનલ બોડીઝ/ચેપ્ટરમાં  સભ્યપદ ધરાવે છે.

– ધી ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI – India)
– સિડની ચેપ્ટર ઓફ આઈ.સી.એ.આઈ., સિડની – ઓસ્ટ્રેલીઆ
– કોલોરાડો સ્ટેટ બોર્ડ ઓફ એકાઉન્ટન્સી (licensed CPA) – Co. USA
– એસોસિએશન ઓફ ચાર્ટર્ડ સર્ટિફાઈડ  એકાઉન્ટન્ટ્સ (ACCA) – United Kingdom

આટલું જ પૂરતું નથી. તેનું ધ્યાન પોતાની પત્ની રૂબિનાની કારકીર્દિ પરત્વે પણ કેન્દ્રિત છે. તેણી એમ.કોમ. છે અને પોતાના માર્ગ A.C.C.A. (U.K.). ઉપર પ્રયાણ કરી રહી છે. તેણી હાલમાં જ એ પરીક્ષાનાં કુલ ૧૪ પેપર્સમાંથી છેલ્લાં ચાર પેપર્સની પરીક્ષા આપી રહી છે. તેની A.C.C.Aની ડિગ્રી મેળવવા આ ચાર પેપર્સ એક સાથે પાસ કરવાં ફરજિયાત છે.

અહીં આપણે અશરફની સત્ય ઘટનાત્મક કથાને પૂર્ણ કરીએ  છીએ. અશરફ જેવી પરિસ્થિતિમાં મુકાયેલા વિદ્યાર્થીઓ તેમના દૃઢ નિશ્ચય વડે કરેલા સંઘર્ષમાંથી પ્રેરણા મેળવી શકે છે. પોતાના ધ્યેય તરફ આગળ ધપવા માગતા કોઈપણ ઈસમ માટે દૃઢ નિશ્ચયની તાકાત એક ચૂંબકનું કામ કરતી હોય છે કે જેથી તેમાં તે રચ્યોપચ્યો રહીને સિદ્ધિ મેળવી શકે. થોમ્સ આલ્વા એડિસને કહ્યું છે કે ‘કેટલાક જીવનમાં નિષ્ફળ જનારા એવા લોકો હોય છે કે જેમને ખબર નથી હોતી કે તેઓ સફળતાના  કેટલા નજીક છે અને તેઓ પોતાની પ્રવૃત્તિ છોડી દેતા હોય છે. મારા પ્રિય મહાનુભાવ  મિ. ચર્ચિલ પણ કહે છે કે ‘નિષ્ફળતા ઉપર નિષ્ફળતા મળતી હોવા છતાં હતાશ થયા વગર મથામણ ચાલુ રાખવામાં જ સફળતા સમાયેલી છે.’

ઉપરોક્ત લેખ માત્ર વિદ્યાર્થીઓને જ લાગુ પડતો નથી. તે જીવનના કોઈપણ ક્ષેત્રમાં કામ કરતા તમામ પ્રકારના લોકોને એટલો જ લાગુ પડે છે. થિયોડોર રૂઝવેલ્ટ આ અંગેની એક સામાન્ય રીત સમજાવે છે કે, ‘તમારી પાસે જે કંઈ હોય અને તમે જ્યાં પણ હો ત્યાં તમે જે કંઈ કરી શકતા હો તે અવશ્ય કરતા રહો.’

મારા ભલા વાચકો, અહીં મારો લેખ પૂર્ણ થાય છે.

-વલીભાઈ મુસા

(તા.૧૭-૦૭-૨૦૦૭)

તા.ક. મારા વાચકોને એક આશ્ચર્યજનક સમાચાર આપું તો આ લેખ પ્રસિદ્ધ થયા પછી મિ. અશરફે પોતાની ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની C.A. (Australia)ની ચોથી  ડિગ્રી પણ ઉત્તીર્ણ કરી લીધી છે. હવે તેમની લાયકાત આમ વાંચી શકાશે, ” B.Com., LL.B., C.A.(India), C.P.A.(U.S.A.), A.C.C.A.(U.K.), C.A.(Australia). અભિનંદન (લેખક)

(તા.૦૮-૦૮-૨૦૦૭)

(Translated from English version titled as “Power of Determination“ published on July 17, 2007)

 

 

 

Tags: , , , , , ,

(૪૦૮) એક અદના માણસની પ્રેરણાદાયી અદની નિષ્ઠાઓ !

અત્રે એક રાષ્ટ્રીયકૃત બેંકના નિવૃત્ત થએલા કર્મચારીએ એ જ બેંકના નિવૃત્ત કર્મચારીઓના સ્નેહમિલનને સંબોધેલા પોતાના લિખિત વક્તવ્યને માત્ર મારા વાંચન માટે આપ્યું હતું. આ વક્તવ્યમાં આત્મશ્લાઘા થઈ જવાના ભય હેઠળ વક્તાએ પોતાની ચાલીસ વર્ષની દીર્ઘ સેવાઓ દરમિયાનના પોતાની નિષ્ઠાના કેટલાક પ્રસંગોને સંકોચસહ વર્ણવ્યા હોઈ મને લાગ્યું કે મારે ખુલ્લા મનથી તેમની નિષ્ઠાઓને યોગ્ય ન્યાય મળી રહે તે રીતે બિરદાવવી જોઈએ અને તે આશયે એ વક્તવ્યને તેમની મંજૂરીની અપેક્ષાએ સંવર્ધિત સ્વરૂપે આપ સૌ વાચકો સમક્ષ રજૂ કરતાં હું આનંદ અનુભવું છું. હું જાણું છું કે તેઓશ્રી ‘નેકી કર, કૂએમેં ડાલ’ ઉક્તિમાં માનનારા હોઈ અહીં જે કંઈ અભિવ્યક્ત કરવા જઈ રહ્યો છું તે કામ મારી પોતાની મનમરજીથી જ થઈ રહ્યું છે અને તેમને પણ આપ સૌ ભેળા આ લેખથી આશ્ચર્યસહ જાણવા મળશે કે તેઓશ્રી મારા બ્લોગ ઉપર ચઢી ગયા છે. આજકાલ આપણે જોઈએ છીએ કે વિશ્વભરના જૂજ જ અપવાદરૂપ દેશોને બાદ કરતાં સર્વત્ર લોકોમાં પોતાની ફરજો પ્રત્યે નિષ્ઠાનો અભાવ, ભ્રષ્ટાચાર અને સમાજોન્નતિ માટે વિઘાતક એવાં નિજિ સ્વછંદ વર્તનો દૃઢિભૂત થએલાં છે. હવે નીચે આપ સૌ તેઓશ્રીના વક્તવ્યને મારા તરફના વૃત્તાંત (Commentary) સ્વરૂપે વાંચશો.

પ્રારંભે હાલ પૂરતો આ વક્તાનો અલ્પ પરિચય આપી દઉં છું કે કાણોદરના વતની એવા તેઓશ્રીનું નામ અહમદભાઈ ઈબ્રાહીમભાઈ માવત છે, જેમને હવે પછીથી મિ. માવત તરીકે ઓળખાવવામાં આવશે. તેમણે દેના બંકમાં ૪૦ વર્ષ, ૬ માસ અને ૭ દિવસની એકધારી સેવાઓ આપીને નિવૃત્તિ લીધી છે.

પોતાના વક્તવ્યની શરૂઆતમાં જ મિ. માવતે મનનીય એવા સુવિચારને આ શબ્દોમાં ટાંક્યો છે : ‘મૌન રહેવું તે ઉત્તમ છે, પણ સત્ય બોલવું તે વધારે ઉત્તમ છે; પ્રિય બોલવું તે ઉત્તમ છે, પણ ધર્મસ્વરૂપ બોલવું તે તો સર્વોત્તમ છે.’

આગળ તેઓ જણાવે છે કે ‘સર્વ પ્રથમ તો મને ઈશ્વર-અલ્લાહે માનવી તરીકેનો જન્મ આપીને આ દુનિયામાં મોકલ્યો તે બદલ તેનો આભાર માનું છું. બીજા ક્રમે મારાં માતાપિતાનો આભાર માનું છું કે જેમણે મારા પાલનપોષણની સાથેસાથે મારામાં સંસ્કારસિંચન કરીને મને એવી રીતે ઊછેર્યો કે જે થકી હું નિષ્ઠાપૂર્વક મારી નોકરી અંગેની અને સામાજિક તથા ધાર્મિક ફરજો બજાવી શક્યો. ત્રીજો આભાર પાલક માતા સમી મારી દેના બેંકનો માનું છું કે જેના માધ્યમે મને આર્થિક સદ્ધરતા પ્રાપ્ત થઈ.’

વધુમાં પોતાની બેંકકર્મચારી તરીકેની સેવાઓના સંદર્ભમાં તેઓશ્રી નિખાલસભાવે જણાવે છે કે ‘મેં Work is worship’ના ધ્યેયને આત્મસાત્ કરીને તદનુસાર મારી ફરજ બજાવવાનો જે સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે, તેનાથી મને અનહદ સંતોષ થવા ઉપરાંત મને આત્મગૌરવની અનુભૂતિ થઈ છે; જે મારા માટે મારા દ્રવ્યોપાર્જન  કરતાં પણ શ્રેષ્ઠ પુરવાર થયાં છે. હું કોઈની ટીકા સ્વરૂપે કહેતો નથી, પણ મારી નોકરી દરમિયાન મને બે જાતના સહકર્મચારીઓનો અનુભવ થયો છે; એક, કામ કરીને ખુશ થનારા; અને બીજા, કામ ન કરીને ખુશ થનારા. હું મારી જાતને ભાગ્યશાળી ગણું છું કે હું કામ કરીને ખુશ થનારાઓમાં ગોઠવાઈ શક્યો હતો અને મારી નોકરીના આટલા દીર્ઘકાળ દરમિયાન મને ‘કામચોરી’ કે ‘ફરજ પરત્વે બેદરકારી’નો વિચાર સુદ્ધાં પણ આવ્યો ન હતો.’

આપણે એવા કેટલાય સરકારી કે અર્ધસરકારી કર્મચારીઓની અનિયમિતતાના સાક્ષી બન્યા હોઈશું કે જેઓ ફરજ ઉપર હાજર થવાના સમયે પોતાના કાંડાઘડિયાળ તરફ સમય જોવાની તસ્દી સુદ્ધાં લેતા ન હોય, પરંતુ છૂટવાના સમય પહેલાં કાર્યાલયના ઘડિયાળને વારંવાર જોયા જ કરતા હોય ! મિ. માવત એવા નિષ્ઠાવાન કર્મચારી હતા કે બેંકના નિયમો અનુસાર કોઈ રેકર્ડને પોતાના ઘરે લાવી શકે તો નહિ, પણ આગામી દિવસે પોતાને કરવાનાં કામોને યાદ કરી લેતા અથવા નોંધ ટપકાવી દેતા હતા. આમ તેઓશ્રી પોતાના ઘરે કુટુંબ સાથેના આમોદપ્રમોદના સમયગાળામાં પણ પોતાની નોકરી અંગેના જ વિચારો કરે, તેને તો તેમની નિષ્ઠાની પરાકાષ્ઠા જ સમજવી પડે.

મિ. માવતને એક બ્રાન્ચમાં બદલી પામીને  જવાનું થયું હતું, જ્યાં ઢગલાબંધ કામ પેન્ડીંગ પડ્યું હતું. આ કામને આટોપવા માટે તેમણે સવારના આઠ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી મહિનાઓ સુધી કામ કરીને ખાતાકીય ઓડિટરને એવો સંતોષ આપ્યો હતો કે પેલા સાહેબને એક પણ તપાસનોંધ લખવી પડી ન હતી. ભાવવિભોર બનેલા એ ઓડિટરે બેંકમેનેજરને આ શબ્દો કહ્યા હતા કે ‘તમે ખુશનસીબ છો કે તમને મિ. માવત જેવા તાબા નીચેના કર્મચારી મળ્યા છે. ભવિષ્યે મારે નજીકની કોઈ બ્રાન્ચમાં ઓડિટ કરવા માટે આવવાનું થશે, ત્યારે અહીં હું જરૂર આવીશ અને એ પણ ખાસ તો મિ. માવતને મળવા માટે જ.’

મિ. માવતની નોકરી દરમિયાન તેમને એક એવી બ્રાન્ચમાં બદલી પામવું પડ્યું હતું કે જ્યાં છેતરપિંડી (Fraud) થઈ હતી અને બેંકે પોતાની વિશ્વસનીયતા ગુમાવી દીધી હતી. વીસેક વર્ષ જેટલી એ જૂની બ્રાન્ચ હોવા છતાં ત્યાં રોજ માંડ ચારપાંચ ગ્રાહકો આવતા હતા અને ડિપોઝીટ સાવ તળિયે બેસી ગઈ હતી. મિ. માવતે ત્રણેક વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક કામ કરીને તથા લોકોનો વિશ્વાસ સંપાદન કરીને બેંકને ગ્રાહકોની અવરજવરથી ધમધમતી કરી દીધી હતી અને  ડિપોઝીટમાં ચારથી પાંચગણો વધારો કરી દીધો હતો. બેંકને તો હજારો શાખાઓ હોય અને જે તે શાખાઓની આવી સિદ્ધિઓ તો અનેક હોય; એટલે મિ. માવતની કામગીરીને બિરદાવવામાં આવે કે ન આવે, પણ લોકોએ તો એમને પ્રશંસ્યા જ હતા, આ શબ્દોમાં કે ‘આપના જેવા કર્તવ્યનિષ્ઠ સાહેબો દેશભરનાં સરકારી ખાતાંઓમાં હોય તો દેશની કાયાપલટ થઈ જાય !’

વચ્ચે થોડાંક વર્ષો સુધી બેંકની ગ્રામ્ય શાખાઓના બદલે તેમને શહેરની મોટી શાખામાં કામ કરવાનું બન્યું હતું. અહીં પણ પેન્ડીંગ કામોના ઢગના ઢગ ખડકાએલા હતા. તેઓશ્રી પોતાની ફરજ હેઠળનું કામ કરવા ઉપરાંત અન્ય વિભાગોના કર્મચારીઓને તેમનાં કામો આટોપવામાં મદદરૂપ થતા હતા. મિ. માવતના બેંકસમય ઉપરાંતના  કામકાજ દરમિયાન તેમને સાથ આપતા ચોથા વર્ગના કર્મચારીઓ પૈકીના એક નિષ્ઠાવાન કર્મચારીએ   તેમને પૂછ્યું હતું, ‘માવત સાહેબ, આપને આટલું બધું કામ ખેંચતાં કંટાળો નથી આવતો ?’ ત્યારે મિતભાષી એવા મિ. માવત મુસ્કુરાતાં કહેતા કે ‘કામ એ મારો ખોરાક છે અને એ ખોરાક હું પૂરતો ન ખાઉં તો હું માંદો પડી જાઉં !’

એકવાર બેંકમેનેજરે મિ. માવતને પૃચ્છા કરી કે, ‘મિ. માવત, મારી શાખામાં રોબોટની જેમ કામ કરતા તમે મને જણાવશો કે આટલી બધી મહેનત પાછળનું કારણ શું છે ?’

તેમણે મિતાભાષાએ જવાબ આપ્યો હતો, ‘અધુરી રહી ગએલી ફરજને સરભર કરવા જ તો !’

’મતલબ ?’

’મારી અગાઉની નાનકડી શાખામાં બેંકના લેવડદેવડના સમય પછી અમારે કરવાનાં કામો અડધાએક કલાકમાં આટોપાઈ જતાં હતાં. નિયમ અનુસાર તો બેંકના પૂરા સમય સુધી અમારે બેસવું પડે, પણ મારા બેંક મેનેજર પોતાના દૂરના વતનથી અપડાઉન કરતા હોઈ તેઓ વહેલા નીકળી જતા હતા. આમ તેમની સાથે મારે પણ નીકળી જવું પડતું હોઈ મારી એ સમયગાળાની અધુરી રહી ગએલી હાજરીને અહીં હું પૂરી કરી રહ્યો છું.’

હવે હું મહાત્મા ગાંધીના એક અવતરણને ટાંકીશ, જે આ પ્રમાણે છે : “ગ્રાહક એ તમારા ધંધાકીય સ્થળનો ખૂબ જ અગત્યનો મુલાકાતી છે. તે આપણા ઉપર અવલંબિત નથી, પણ આપણે તેના ઉપર અવલંબિત છીએ. તે આપણી જગ્યા ઉપરનો અંતરાયરૂપ માણસ નથી, પણ તે આપણા માટે એક ઉદ્દેશ કે હેતુ સમાન છે. તે આપણા ધંધાવ્યવસાયમાં બહારના માણસ તરીકે નથી, પણ તેના એક ભાગરૂપ છે. આપણે તેને સેવા પૂરી પાડીને તેના ઉપર કોઈ ઉપકાર નથી કરતા, પણ તે આપણને તેની સેવા કરવાની તક પૂરી પાડીને આપણા ઉપર ઉપકાર કરે છે.”

ઉપરોક્ત વિધાનને અનુરૂપ અને છતાંય સાવ સામાન્ય લાગતો મિ. માવતના કાર્યકાળ દરમિયાનનો એક પ્રસંગ અહીં યાદ કરવા જેવો છે. ચાલો, આપણે તેમના શબ્દોમાં જ વાંચીએ : ’એક દિવસે હું મારી ફરજ પૂરી કરીને ઘરે જવા નીકળતો હતો, ત્યાં એક ગ્રાહક તેની પાસબુક ભરાવવા આવ્યો. મેં પ્રથમ તો તેને એમ જ કહ્યું કે બેંકનો સમય પૂરો થઈ ગયો છે અને મારું કોમ્પ્યુટર પણ બંધ છે. પણ વળી પાછો વિચાર આવ્યો કે સાવ એવા સામાન્ય કામ માટે આ બિચારા ગ્રાહકને આવતી કાલે આવવું પડશે અને તેના બેએક કલાક બગડશે. મારા માટે તો માત્ર પાંચ જ મિનિટનો સવાલ છે અને મેં એ કામ કરી આપ્યું. એ ગ્રાહકના ચહેરા ઉપરની ખુશી જોઈને મને ખૂબ જ આત્મસંતોષ થયો હતો.’

માનવધર્મ જ શ્રેષ્ઠ છે એવાં માત્ર વાતોનાં વડાં કરનારા તો આપણને ઘણા મળી આવશે, પણ એ આદર્શ વિચારને આત્મસાત્ કરીને એવું આચરણ કરનારા તો બહુ ઓછા હશે. મિ. માવત પોતાની નોકરી હેઠળની જવાબદારી નિભાવે તે તો તેમણે વેતન મેળવવા સામેની બજાવેલી આંતરિક કામગીરી ગણાય; પરંતુ એમની નોકરી સાથે સંકળાએલા છતાં બાહ્ય એવા એક ઉમદા માનવીય વ્યવહારને ચરિતાર્થ કરતી એક વાત અત્રે નોંધનીય છે. આંગડિયા સર્વિસવાળાઓ બહારગામનાં કામો માટે સામાન્ય રીતે શારીરિક ખોડખાંપણ ધરાવતા કર્મચારીઓ રાખતા હોય છે. આમાં અમુક અંશે એવા અશક્તોને રોજીરોટી રળવા માટે મદદરૂપ થવા માટેનો ઉમદા આશય હોઈ શકે, પરંતુ તેમનો મુખ્ય હેતુ તો વહીવટીખર્ચ ઓછો લાવવાનો જ હોય છે. અહીં એવી ગેરસમજ ન થાય કે તેમને ઓછો પગાર આપીને તેમનું આર્થિક શોષણ કરવામાં આવતું હશે, પરંતુ એસ. ટી. બસમાં આવા મુસાફરોને મફત મુસાફરી માટેનો પાસ આપવામાં આવતો હોઈ તેઓનું મુસાફરી ભાડાખર્ચ બચે. મિ. માવત પોતાની શાખાની આવી આંગડિયા ટપાલો પોતાના વતનની બ્રાન્ચમાં લાવી દેતા હતા કે જેથી પેલા અપાહિજ માણસને ભીડભાડવાળી બસોમાં હાડમારીભરી સફર કરવી ન પડે.

મેં મારા આ લેખના શીર્ષકમાં ‘અદની નિષ્ઠાઓ’ શબ્દો પ્રયોજ્યા છે, તેની પાછળનો ગૂઢાર્થ તો એ જ છે એવી નિષ્ઠાઓ ભલે પહેલી નજરે મામુલી લાગતી હોય; પરંતુ તેમની પાછળ ઉદ્દાત ભાવનાઓ છુપાએલી હોય છે. બેંકની બિનજરૂરી લાઈટો કે પંખાઓની સ્વીચો બંધ કરી દેવી એ તો મિ. માવતની આદત બની ગઈ હતી. પોતે નમ્રભાવે એ પણ જણાવે છે કે જ્યારથી તેમણે પોતાનો અંગત સેલફોન વસાવ્યો હતો, ત્યારથી કદીય પોતાના અંગત કામ માટે તેમણે બેંકના લેન્ડલાઈન ફોનનો ઉપયોગ કર્યો ન હતો. બેંકમાં  આંગડિયા સર્વિસ શરૂ થઈ ન હતી, તે પહેલાં ગ્રાહકોને ત્વરિત સેવા મળી રહે તે માટે તેઓશ્રી પોસ્ટલ ટપાલો પોતાના વતનની પોસ્ટઓફિસમાં લાવી દેતા હતા કે જેથી એ ટપાલો જે તે જગ્યાએ એક દિવસ વહેલી પહોંચી શકે.

મિ. માવતનું એક માનવતાવાદી કાર્ય કે જે તેમના બેંક સિવાયના અંગત જીવનના ભાગરૂપ હતું, તેને વર્ણવતાં હું ભાવવિભોર બની જાઉં છું. એકવાર તેઓ અંગત કામે બસ દ્વારા અમદાવાદ જઈ રહ્યા હતા, ત્યારે વચ્ચે એક કારને ઝાડ સાથે ટકરાઈ જવાનો એક્સિડન્ટ થએલો જોઈને બસ થોભી ગઈ હતી. બધા મુસાફરો સાથે તેઓશ્રી પણ નીચે ઊતર્યા હતા. સદભાગ્યે કોઈની જાનહાનિ તો થઈ ન હતી, પણ ડ્રાઈવરના પગ દરવાજામાં ફસાઈ ગયા હતા અને દિલને હલાવી નાખે તેવી તે બિચારો વેદનાભરી ચીસો પાડી રહ્યો હતો. ત્યાં ભેગા થઈ ગએલા માણસોનો એક્મતે એવો અભિપ્રાય હતો કે કારનો દરવાજો કાપ્યા સિવાય પેલા બિચારાના પગ બહાર નીકળી શકે તેમ ન હતા.  મિ. માવતની બસ ઊપડી, ત્યારે તેમણે કંડક્ટરને વિનંતી કરી હતી કે થોડેક જ દૂરના શહેરના બસસ્ટોપે થોડાક વધારે સમય સુધી બસને થોભાવી દેવામાં આવે. મિ. માવતે બસ સ્ટેન્ડ પાસેની હાર્ડવેરની દુકાનેથી એક હાથ કરવત (Hack-saw)  ખરીદીને એક રીક્ષાવાળાને જવા-આવવાનું ભાડું ચૂકવી દઈને પેલા અકસ્માતના સ્થળે તેને પહોંચાડવાની જવાબદારી સોંપીને પોતાની બસની સફર આગળ ચાલુ રાખી હતી.

હવે આ લેખના સમાપન નજીક આવવા પહેલાં મિ. માવતે નિવૃત્ત એવા સાથી કર્મચારીઓને પોતાના વક્તવ્યને પૂર્ણ કરવા પહેલાં જે શબ્દો કહ્યા હતા તેમને અક્ષરશ: અહીં આપુ છું. : ‘મિત્રો, આપણે નિવૃત્ત થવા પહેલાં એ આંકડાઓ મૂકતા હતા કે આપણને નિવૃત્તિ વખતે કેટલાં નાણાં મળવાનાં છે. વળી હાલમાં પણ આપણે એવા જ આંકડા મૂકતા હોઈશું કે આપણે જીવીએ ત્યાં સુધીમાં એ નાણાંમાં કેટલી વૃદ્ધિ થશે. પરંતુ મારી નમ્રભાવે આપ સૌને વિનંતી છે કે આપણે આપણી આ ઉત્તરાવસ્થાએ એ પણ હિસાબ માંડીએ કે આપણે માનવકલ્યાણ માટે શું કર્યું અને કેટલું કર્યું. આપણી સામાજિક જવાબદારીઓ પૂર્ણ થઈ ગઈ છે. કોઈક અપવાદોને બાદ કરતાં મોટાભાગના મિત્રોનાં સંતાનો કમાતાંધમાતાં થઈ ગયાં હશે. આપણને મળેલાં નિવૃત્તિનાણાંમાંથી કેટલોક અંશ માનવકલ્યાણ માટે ખર્ચીએ. જો કારણોવશાત્ એ શક્ય ન હોય તો આપણે તન અને મનથી આપણી આજુબાજુ થતાં સેવાકીય કાર્યોમાં મદદરૂપ થઈએ. મારા વક્તવ્યને સમાપ્ત કરવા પહેલાં એ જણાવી દઉં કે હું મારા લખાણને લેખિત સ્વરૂપે એટલા માટે લાવ્યો છું કે જેથી હું તેને હું ફાઈલ કરી શકું અને ભવિષ્યે મારાં સંતાનો એ વાંચીને પોતાના જીવનમાં કંઈક પ્રેરણા મેળવી શકે. ધન્યવાદ.’

અંતે આપણે એક અંગ્રેજી કાવ્ય ‘Abu Ben Adam and Angel’ ની આખરી પંક્તિઓને યાદ કરી લઈએ, જે આ પ્રમાણે છે : “‘The God loves those who love Him, but loves those more who love their fellow-men.’ અર્થાત્ ‘ઈશ્વર તેઓને ચાહે છે કે જે તેને (ઈશ્વરને) ચાહે છે, પણ તે (ઈશ્વર) એ લોકોને વધારે ચાહે છે કે જેઓ પોતાના માનવબંધુઓને ચાહે છે.” સાથેસાથે આપણે  ગુજરાતીના વિખ્યાત કવિ સ્વ.શ્રી ત્રિભુવનદાસ ગૌરીશંકર લુહાર ‘સુંદરમ્’ની આ કાવ્યપંક્તિને પણ સ્મરીએ કે ‘હું માનવી માનવ થાઉં તો ઘણું !’

જય હો.

– વલીભાઈ મુસા

(મિ. અહમદભાઈ માવત એ લેખકનાં માતાતુલ્ય મોટાં બહેન ચક્ષુદાતા લાડીબહેન D/O નુરભાઈ વજીરભાઈ મુસા અને પિતાતુલ્ય મોટાભાઈ (બનેવી) મરહુમ ઈબ્રાહીમભાઈ વજીરભાઈ માવતના સુપુત્ર છે. તેઓશ્રી અમારા ભાણેજ હોઈ અમે નુરભાઈ વજીરભાઈ મુસા પરિવાર તેમના માનવતાવાદી વિચારો અને આચરણોથી ગૌરવ અનુભવીએ છીએ.)

 

Tags: , , , , , , , , , , ,

(૪૦૫) વિશ્વતોમુખી આર્ષદૃષ્ટિ (ઈ.સ.૨૨૨૨)

[તાજેતરમાં જગતજમાદાર અમેરિકા ખાતેનાં ભારતનાં રાજ્દૂત દેવયાની ખોબરાગડેની તેમની સામે મુકાએલા આક્ષેપો અન્વયે કરવામાં આવેલી ધરપકડના પ્રત્યાઘાત રૂપે ભારતે અમેરિકા સામે હૂંકારો કરીને અમેરિકાના ભારતખાતેના રાજદ્વારીઓને આપવામાં આવતી સવલતોને સ્થગિત કરી દઈને જે પડકાર ફેંક્યો છે તે ઘટનાએ વિશ્વભરમાં ‘અહો આશ્ચર્યમ્’, ‘અરે વાહ !’, ‘વાહ, ભારતની ગજબની હિંમત !’ જેવા ઉદ્ગારોની લહેરો પ્રસરાવી દીધી છે. જો કે ભારતે પોતાની પાંગળી વિદેશનીતિ અને દૂરંદેશિતાના અભાવે ‘દેવયાની પ્રકરણ’ કરતાં પણ અનેક ઘણા ગંભીર મુદાઓ ટાણે અમેરિકાનું નાક દબાવવાના અનેક પ્રસંગો ગુમાવ્યા હોવા છતાં, ભલે પહેલી નજરે ક્ષુલ્લક જેવા લાગતા આ મુદ્દાએ પણ ભારતે જે અકલ્પ્ય સાહસ પ્રદર્શિત કર્યું છે; તેને અમેરિકન કૂટનીતિના ભોગ બનેલા પીડિત દેશોએ ઉમળકાભેર આવકાર્યું છે.

આપણા ભારતીય આર્ષદૃષ્ટાઓ મહર્ષિ અરવિંદ, સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી અને તાજેતરમાં મહાનુભાવ અબ્દુલ કલામ જેવાઓએ જે ભવિષ્યવાણીઓ આલેખી છે તે પ્રમાણે એક સમય એવો આવશે  જ્યારે કે ભારત વિશ્વનું નેતૃત્વપદ સંભાળશે. ભારતનું ભવિષ્યનું એ નેતૃત્વ આધ્યાત્મિકતાના પાયાઓ ઉપર મંડાએલું હશે અને તેનાં લક્ષ્યો હશે વિશ્વબંધુત્વ, વિશ્વશાંતિ અને માનવધર્મનો પ્રસાર.

અહીં મેં મારા આ લેખમાં બસો વર્ષ પછીની વિશ્વની સર્વપાંખીય ઉન્નતિમાં ભારતની ભૂમિકા અને પશ્ચિમના દેશોની ઓસરતી જતી પ્રભાવકતાને મારી કલ્પના વડે આલેખવાનો પ્રયત્ન કર્યો છે; જે ભલે પહેલી નજરે ‘શેખચલ્લીની તરંગી કલ્પનાઓ !’ કે ‘દિલકો બહલાનેકે લિએ ગાલિબી ખયાલ અચ્છે હૈ !’ જેવું લાગશે, પરંતુ હાલ પૂરતા સર્વાંશે નહિ તો અલ્પાંશે પણ આપણે એ સ્વીકારવું જ પડશે કે ‘વિશ્વરાષ્ટ્ર’ના નિર્માણ માટે  અને ‘માનવકલ્યાણ’નાં ઉદ્દાત લક્ષ્યોને સિદ્ધ કરવા માટે ‘વિશ્વશાંતિ એ જ આખરી ઉપાય’ના વિચારને આપણાથી સાવ અવગણી તો નહિ જ શકાય.

તો ચાલો, આપણે ભાવીના ભીતરમાં ડોકિયું કરીએ અને ઈ.સ. ૨૨૨૨ના વર્ષે આપણે સદેહે જીવિત તો નહિ જ હોઈશું, તેમ છતાંય આપણે આપણી જાતને બે સૈકાંઓ પછીની દુનિયામાં હાજરાહજૂર સમજીને એ વખતની સ્વર્ગીયસુખની અનુભૂતિ કરાવતા એવા કલ્પનાતીત લુત્ફ (આનંદ)ને માણીએ.]

                           વિશ્વતોમુખી આર્ષદૃષ્ટિ (ઈ.સ.૨૨૨૨)

ઈ.સ. ૨૨૨૨નું આ વર્ષ છે. છેલ્લી બે સદીમાં વિશ્વનો ભૌગોલિક નકશો તો બદલાઈ જ ચૂક્યો છે. એક કાળે આડોશપાડોશના નાના કે મોટા, અવિકસિત કે વિકસિત દેશો જે ગજા બહારનાં સંરક્ષણ બજેટો થકી સરહદી કે અન્ય વિવાદો માટે લડતાઝઘડતા હતા, તેમાંના મોટાભાગના દેશોનું ૨૨મી સદી સુધીમાં જ વિલિનીકરણ થઈ ચૂક્યું છે. વીસમી સદીમાંના દુનિયાના બસોથી પણ અધિક એટલા દેશો હવે માંડ ચાલીસેકની સંખ્યામાં આવી ચૂક્યા છે. એક જ પ્રકારના ભૌગોલિક અને સાંસ્કૃતિક વિસ્તારના અખંડ દેશો જે કૃત્રિમ રીતે વિભાજિત થઈ ગયા હતા, તે હવે ફરી જોડાઈ ગયા છે. એક સમયે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (USA), યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ સોવિયેટ રશિયા (USSR), યુનાઈટેડ આરબ એમિરાત (UAE) કે યુનાઈટેડ કિંગડમ (UK) જેવા સ્વાયત્ત રાજ્યો ધરાવતા સંયુક્ત દેશો છેલ્લાં પચાસેક વર્ષોમાં તો વધુ સંખ્યામાં અસ્તિત્વમાં આવી ચૂક્યા છે. દૂરના ભૂતકાળમાં છેક વીસમી સદીનાં બે વિશ્વયુદ્ધો પછી ઘણી વાર તંગદિલી સર્જાઈ હોવા છતાં ત્રીજું વિશ્વયુદ્ધ થયું નથી અને વિશ્વપ્રજાની આધ્યાત્મિક ઉર્ધ્વગામિતાના કારણે આવનારાં હજારો વર્ષો સુધી તેની શક્યતા પણ દેખાતી નથી. વિશ્વના દેશો આંતરિક વર્ગવિગ્રહો કે સરહદી યુદ્ધોથી મુક્ત થયા હોઈ તેમણે ભૌતિક સમૃદ્ધિ અને માનવતાવાદી વિચારધારામાં અકલ્પનીય પ્રગતિ સાધી છે.

વિશ્વભરમાં પરિવર્તનનો જે પવન ફૂંકાઈ રહ્યો છે, તેનું ઉદગમસ્થાન છે ભારત, કે જે બાવીસમી સદીના પૂર્વાર્ધ સુધી તો એ જ નામે ઓળખાતું હતું; પરંતુ એ જ સદીના ઉત્તરાર્ધથી તેના જ નેતૃત્વ હેઠળ થએલા દક્ષિણ એશિયાઈ બધા જ દેશોના વિલિનીકરણથી હવે તે USSA (યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ સાઉથ એશિયા) નામે ઓળખાય છે. જેમ એક કાળે USA  અમેરિકા નામે ઓળખાતું હતું, બસ એ જ રીતે આ USSA પણ લોકજીભે ‘બૃહદ ભારત’ તરીકે ઓળખાય છે. યુનાઈટેડ નેશન્સનું મુખ્ય કાર્યાલય ન્યુયોર્કથી  USSA (બૃહદ ભારત)ની રાજધાની દિલ્હી ખાતે આવી ગયું છે. એક જમાનામાં મહાસત્તાઓની શેહ હેઠળ યુનોનું જે તંત્ર ચાલી રહ્યું હતું, તે હવે મુક્ત રીતે કામ કરે છે; કેમ કે યુનોના બંધારણમાં ધરખમ ફેરફારો કરીને પેલી કહેવાતી મહાસત્તાઓના વિટો પાવરને નિર્મૂળ કરીને તેમને નહોર વિનાના વાઘ બનાવી દેવામાં આવ્યા છે. યુનોને પૂર્વના USSA (બૃ.ભા.) દેશ તરફથી નેતૃત્વ પ્રાપ્ત થતાં યુનોની કાર્યરીતિમાં નોંધપાત્ર  ફેરફારો આવી ચૂક્યા છે. હવે પેલું જૂનું યુનો નવીન એવા ‘ન્યુ યુનો’ નામે ઓળખાવા માંડ્યું છે. વીસમી સદીના પૂર્વાર્ધમાં વિશ્વને મળેલી ગાંધીઅન ફિલસુફી જે લાંબા ગાળા સુધી અપ્રસ્તુત બની ચૂકી હતી, તે હવે વિશ્વના માનવજાતના કલ્યાણ માટે અનિવાર્ય  બની ચૂકી છે.

વિજ્ઞાનના આવિષ્કારોએ થોડીક પીછેહઠ કરવા માંડી છે. ખાસ કરીને કૃષિ ક્ષેત્રે ઓર્ગેનિક ખેતીનું ચલણ ૨૧મી સદીના પચાસના દશકથી લગભગ આખા વિશ્વમાં વ્યાપી ચૂક્યું છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓએ ધરતીનાં રસકસ ચૂસી લીધાં હતાં અને એ ધરતીની ફળદ્રુપતાને પાછી લાવવા માટે છાણિયા ખાતરને વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવા માટે પશુપાલનનો મહિમા વધ્યો છે. પશુપાલનના કારણે દૂધનું ઉત્પાદન વધ્યું હોઈ સમગ્ર વિશ્વમાંથી કુપોષણની સમસ્યા કાયમ માટે હલ થઈ ચૂકી છે. વિશ્વભરના દેશોએ મોટી નદીઓને સૂકી કે નાની નદીઓ સાથે સાંકળી દઈને વિશ્વને હરિયાળું બનાવી દીધું છે. જે જે દેશોમાં નદીઓનું અસ્તિત્વ જ નહોતું, ત્યાં નહેરોથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. વસુધૈવ કુટુંબકમ્ ની ભાવના જે એક કાળે માત્ર પોકળ આદર્શ તરીકે શબ્દની શોભા ગણાતી હતી, તે હવે વાસ્તવિકતા ધારણ કરી ચૂકી છે. દેશોદેશો કે રાજ્યોરાજ્યો વચ્ચેના જળવિવાદોના સ્થાને સત્તાધીશો અને પ્રજાઓનાં માનસોમાં માનવકલ્યાણની ઉદ્દાત ભાવનાઓ જન્મ લઈ ચૂકી છે અને વિવાદો શમી ગયા છે.

જગત હવે એક જ રાષ્ટ્ર બનવા તરફ જઈ રહ્યું છે અને વિશ્વના કેટલાક રાજનીતિજ્ઞો અને ધારાશાસ્ત્રીઓ તો વિશ્વરાષ્ટ્ર માટેના બંધારણના મુસદ્દાઓ પણ તૈયાર કરવા માંડ્યા છે. કેટલાય ધાતુશિલ્પીઓ અને ડિઝાઈનરો સમગ્ર વિશ્વ માટે સર્વસામાન્ય એવી મુદ્રાઓ કે ચલણી નોટોની ડિઝાઈનો પણ તૈયાર કરવા લાગી ગયા છે. યુનોમાં એક વિચારે જોર પકડવા માંડ્યું છે કે વિશ્વના અર્થતંત્રમાં કોઈ એક વિશિષ્ટ દેશ કે દેશોના ચલણી નાણાનું આધિપત્ય રહેવું જોઈએ નહિ. આમેય ડોલર, પાઉંડ અને યુરોના આભાસી મજબુતીના ફુગ્ગા ફૂટી ચૂક્યા છે. વિશ્વમાનવો બેંકો મારફતની લેવડદેવડની ઘરેડમાં આવતા જતા હોઈ સ્થુળ ચલણનો વપરાશ ઘટવા માંડ્યો છે. વિશ્વબેંકે પણ પોતાની કાર્યરીતિમાં માનવકલ્યાણને અગ્રીમતા આપી હોઈ તે અવિકસિત, અર્ધવિકસિત કે ગરીબ દેશો ઉપર વિશેષ ધ્યાન આપવા માંડી છે. માનવીમાત્રના હવા, પાણી, ખોરાક, વસ્ત્રપરિધાન અને રહેઠાણ ઉપરાંતના આરોગ્યસુવિધા અને શિક્ષણના અધિકાર જેવા માનવ અધિકારોને  માત્ર  સ્વીકારી જ લેવામાં નથી આવ્યા, પણ તેના ઉપર અમલીકરણ પણ કરવામાં આવી રહ્યું છે.

વિશ્વના બદલાઈ રહેલા આ વાતાવરણમાં હજુ સુધી અમેરિકા અને યુરોપીય દેશો અનુકૂલન સાધી શકતા નથી. આ દેશો વિશ્વના અન્ય દેશોની નજરમાં સાવ ઉપેક્ષિત ન બની જાય તે ભયમાત્રથી તેમણે ‘ન્યુ યુનો’ના સભ્યપદને બાહ્ય રીતે તો સ્વીકાર્યું છે, પણ આંતરિક રીતે  USSA (બ્રુ.ભા.)ના ‘ન્યુ યુનો’ના નેતૃત્વથી તેઓ તેજોવધની ભાવના અનુભવી રહ્યા છે. ‘ઝાઝી કીડીઓ સાપને તાણે’ તે ન્યાયે પશ્ચિમી દેશોના ભૂરંગોને વિશ્વના અન્ય દેશોએ USSA (બૃ.ભા.)ના નેતૃત્વને સંપૂર્ણ  સમર્થન આપીને એક સમયના તેમના વિશ્વ ઉપરના નિરંકુશ આધિપત્યને નામશેષ બનાવી દીધું છે. આમ છતાંય અમેરિકા તો હજુપણ પોતાની મુડીવાદી વિચારધારામાંથી બહાર આવી શકતું નથી. વિશ્વ જ્યારે કૃષિને અગ્રીમતા આપી રહ્યું છે, ત્યારે એક અમેરિકા માત્ર જ ઔધોગિક વિકાસને પ્રાધાન્ય આપી રહ્યું છે. વિશ્વના દેશો સાથે તાલમેલમાં રહેવાના બદલે તે પોતાની મુડીવાદી ઘેલછામાં એવા ખોટા નિર્ણયો લઈ રહ્યું છે કે જેથી તેનું અર્થતંત્ર રોજબરોજ કથળતું જ રહ્યું છે. વિશ્વના મોટા ભાગના દેશો પોતાની ઔદ્યોગિક જરૂરિયાતો માટે આત્મનિર્ભર બની ચૂક્યા હોઈ અમેરિકન કે અન્ય પશ્ચિમી ઉત્પાદનો હવે તેમના ઘરેલુ ઉપભોગ પૂરતાં સીમિત થઈ ચૂક્યાં છે.

અધૂરામાં પૂરું જે અમેરિકાએ અને સાથી દેશોએ તે વખતના જૂના યુનોના કહેવાતા વડીલપદે એકવીસમી સદીના પ્રારંભે મધ્ય પૂર્વના કેટલાક દેશો ઉપર યુદ્ધો લાદીને કે યુદ્ધોનો ભય બતાવીને દુનિયાને ઊંધાં ચશ્માં પહેરાવીને એમ બતાવવાની બેબુનિયાદ કોશિશ કરી હતી કે તેઓ   આણ્વિક, રાસાયણિક અને જૈવિક શસ્ત્રો ધરાવે છે અને છેવટે એ વાત પોકળ સાબિત થઈ હતી; બસ, હવે એ જ રીતે ખુદ અમેરિકા, બ્રિટન અને સાથી યુરોપીય દેશોએ પોતાનાં ચલણ ડોલર, પાઉંડ અને યુરોને સંગીન હોવાનાં પ્રમાણ આપવાની માંગ પૂર્વના અને આફ્રિકાના દેશો તરફથી ન્યુ યુનોના માધ્યમે ઊભી થઈ છે. ન્યુ યુનો દ્વારા નિયુક્ત થએલી તપાસ એજન્સીઓએ એ સઘળા દેશોનો ભાંડો એ તારણ જાહેર કરીને ફોડ્યો છે કે તેમણે છેલ્લી અઢીએક સદીઓથી પર્યાપ્ત હૂંડિયામણની જાળવણી વગર પોતાની ટંકશાળોમાં દિવસરાત પોતાનાં ચલણો છાપ્યે રાખીને જગતને મૂર્ખ બનાવ્યે જ રાખ્યું છે.  આમ ન્યુ યુનોએ એ દેશોની આર્થિક અસલિયતને ખુલ્લી પાડીને દુનિયાને ચોંકાવી દીધી છે. વિશ્વબેંક હવે ન્યુ યુનોના સભ્યપદ હેઠળના લગભગ તમામ દેશો માટેનું એક સમાન ચલણ શરૂ કરવા તરફ જઈ રહી છે. આ ચલણ ન્યુ યુનો ઝોન હેઠળના સત્તાવાર ચલણ તરીકે સ્વીકૃતિ પામનાર હોઈ અમેરિકા અને બ્રિટન સિવાયના દુનિયાના તમામ દેશોએ પોતપોતાનાં ચલણોના બદલે આ નવીન ચલણને પોતપોતાનું સમર્થન આપી દીધું છે.

– વલીભાઈ મુસા

 
5 Comments

Posted by on December 24, 2013 in ભારત, લેખ

 

Tags: , , , , , , , , , , , , , , , , , , , ,