RSS

Tag Archives: માનવકલ્યાણ

(૪૩૫) મારો જન્મદિવસ – નવી નજરે

આજે મારો જન્મદિવસ છે, એમ કહેવા કરતાં આજની સાતમી જુલાઈ એ મારી જન્મતારીખ છે એમ કહેવાનું હું વધારે પસંદ કરીશ. વાચકમિત્રો વિચારશે કે આ તો ભલા શબ્દરમત થઈ, દિવસ કહો કે તારીખ કહો શો ફરક પડે ! જી હા, ફરક પડે અને તે જ અત્રે આપ સૌને સમજાવવાનો પ્રયત્ન કરીશ. જોઈએ વારુ, હું આમાં કેટલી માત્રામાં સફળ થાઉં છું !

મારો જન્મદિવસ તો ૦૭-૦૭-૧૯૪૧ છે અને આજે હું મારા જીવનનાં ૭૩ વર્ષ પૂરાં કરીશ; પરંતુ મારા જન્મના એ દિવસ સિવાયના પછીથી દર વર્ષે જે તોતેર દિવસો આવ્યા, તે તો મારા એ જન્મદિવસની યાદ અપાવતી તારીખોના હતા. ખલિલ જિબ્રાન તો કહે છે કે “જિંદગી કદીય પીછેહઠ નથી કરી શકતી કે ગઈ કાલમાં રોકાઈ નથી રહેતી.” આમ એ દિવસ તો પાછો આવતો નથી, પણ હા એ તારીખો તો આવતી જ રહેતી હોય છે અને એ તારીખો તો મારી કે કોઈની પણ બિનહયાતી પછી પણ આવતી જ રહે; પછી ભલેને કોઈ તેમને યાદ કરે કે ન કરે !

કુટુંબીજનો, મિત્રો અને સ્નેહીઓ તો પ્રણાલિકાગત રીતે ‘Happy birthday’ કે ‘Many many happy returns of the day’ જેવા અંગ્રેજીમાં કે એ મતલબના ગુજરાતી કે અન્ય કોઈ ભાષામાં આપણને શુભ સંદેશા પાઠવતાં હોય છે અને એમાં Day અર્થાત્ દિવસ શબ્દ જ પ્રયોજાતો હોય છે. અહીં હું કંઈ વિશેષ પિષ્ટપેષણ કરવા માગતો નથી, પણ એમ કહેનારાઓના પક્ષે બેસીને તેમના શબ્દને અલ્પાંશે યથાર્થ ઠેરવીશ કે એ તારીખે થએલા આપણા જન્મની ખુશીની ઉજવણીની એ તારીખોવાળા દિવસો પુન:પુન: આવ્યા કરે અને આપણે દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરીએ એવી ભલી લાગણી એ લોકો દર્શાવતા હોય છે. એ એક બીજી વાત છે કે આવો સંદેશો ઝીલનાર વ્યક્તિ પોતે જ જાણતી હોય છે છે કે પોતાની જિંદગી એ મોજ છે કે બોજ છે, પણ દુનિયાદારીના આવા ઔપચારિક વ્યવહારોને માન આપીને તેણે હસતું મોઢું રાખવું પડતું હોય છે અને તેને પેલી શુભેચ્છાઓનો હકારાત્મક જવાબ ‘Thank you’ કે ‘આભાર’ જેવા શબ્દોથી ‘કાકા’ કહીને આપવો પડતો હોય છે !

હવે હું એક એવી વાત કહેવા જઈ રહ્યો છું કે જે સાંભળીને તમે અંગ્રેજી ‘O’ જેવો આકાર બંને હોઠ વડે કરીને કપાળમાં આડી કરચલીઓ પાડ્યા વગર નહિ રહી શકો. Happy કે Unhappy બર્થડેટ તો પ્રત્યેક વર્ષે આવે, પણ આપણો Happy અને માત્ર Happy જ બર્થડે તો વારંવાર આવી શકે અને એ પણ બદલાતી તારીખોએ તો વળી ! આપણા મૂળ જન્મદિવસને એ જ રીતે ભલે આપણે માનતા કે મનાવતા રહીએ, પણ જીવાતા જતા જીવનમાં આવતા રહેતા આપણા એ નવીન જન્મદિવસોને મનમાં તો યાદ કરતા જ રહેતા હોઈએ છીએ. આ તો કંઈક પુનર્જન્મ (Rebirth) જેવી કંઈક વાત થઈ રહી હોય તેવું તમને લાગશે અને વાત સાચી પણ છે, પરંતુ હું મર્યા પછીના કોઈ પુનર્જન્મની વાત નથી કરી રહ્યો; વાત કરું છું, આપણા જીવન દરમિયાન ભાગ્યબળે મળતા જતા પુનર્જન્મોની જ તો !

માનવજીવનમાં જીવતાંજીવ મળતા રહેતા પુનર્જન્મો બે પ્રકારના હોય છે, દૈહિક અને આત્મિક. દૈહિક પુનર્જન્મોમાં આવે; કુદરતી હોનારત કે માનવસર્જિત આફતોમાંથી બચવું, ગંભીર બિમારીમાંથી તંદુરસ્તી પ્રાપ્ત થવી, જીવનમાં આવતીજતી આસમાનીસુલતાની કે આઘાતપ્રત્યાઘાત સામે ટકી રહેવું વગેરે. તો વળી આત્મિક પુનર્જન્મોમાં આવી શકે; વૈચારિક પરિવર્તન થવું, જીવનનો નવીન દૃષ્ટિકોણ પ્રાપ્ત થવો, વ્યસનમાંથી મુક્ત થવું, માનવકલ્યાણનાં કામોમાં લગની લાગવી, નૈતિક અધ:પતનના માર્ગેથી પાછા વળવું ઇત્યાદિ.

ઉપરોક્ત ઉભય પ્રકારના પુનર્જન્મો આપણા જીવનના વળાંકો (Turning Points) બની શકે અને આધ્યાત્મિક ઉન્નતિના માર્ગે એ આપણને દોરી શકે, જો એમને ગંભીરતાપૂર્વક સ્વીકારવામાં આવે તો. જો આવી ઘટનાઓને સ્મશાનવૈરાગ્ય જેવી ગણી લેવામાં આવે તો જીવનમાં પરિવર્તન ન પણ આવે !

કોઈપણ માનવીની આત્મિક ઉન્નતિ કે અવગતિની તો કોઈ તવારિખો ન હોય. જે પળે ઉર્ધ્વતા તરફ આગળ વધો એ તમારો પુનર્જનમ અને પાછા હઠો એ મરણ બની રહે. આવા આત્મિક અનેક જન્મો અને એવાં અનેક મરણો જીવનભર ચાલ્યા કરતાં હોય છે. અનેક મર્યાદાઓ વચ્ચે જીવતો સંસારીજીવ પૂર્ણતા સુધી ભલે ન પહોંચે, પણ પૂર્ણતાની દિશામાં ભલે એક જ ડગલું વધે તો તેને પણ સાફલ્ય સમજવું રહ્યું.

ખાસ ઘટનાઓ ઉપર આધારિત દૈહિક પુનર્જન્મો તો આપણને સમજાતા હોય છે અને યાદ પણ રહેતા હોય છે. પરંતુ એવા અનેક જન્મદિવસો આપણને નિદ્રાત્યાગ પછી જાગૃતાવસ્થામાં આવતાં પણ મળતા રહેતા હોય છે. ઊંઘને અર્ધું મોત કહેવામાં આવે છે અને ઘણા કિસ્સાઓમાં આપણને એ જાણવા મળતું પણ હોય છે કે એવાઓ રાત્રે ઊંઘ્યા પછી સવારમાં કદીય જાગ્યા નથી હોતા અને ઊંઘની સ્થિતિમાં જ અનંત યાત્રાએ પહોંચી ગયા હોય છે. આમ આપણે આપણી સુખશય્યામાંથી આળસ મરડીને બેઠા થઈએ, ત્યારે સમજવું રહ્યું કે આપણને પુનર્જીવન પ્રાપ્ત થયું. બસ, આવી પ્રત્યેક સવાર એ આપણો નવીન જન્મદિવસ બની રહે છે. આપણે દિવસે પણ ઊંઘનારાઓમાંના હોઈએ અને જીવતા બેઠા થઈએ, તો તેને આપણે જે તે દિવસનું બોનસ જીવતદાન સમજવું પડે.

આટલા સુધી તો જન્મદિવસોની વાત થઈ, પણ આપણને જન્મપળો પણ પ્રાપ્ત થતી હોય છે. જીવમાત્ર બેમાંથી કોઈ એક રીતે અવસાન પામે છે, કાં તો છેલ્લો શ્વાસ લઈને અથવા છેલ્લો શ્વાસ છોડી દઈને. વ્યક્તિ જીવિત હોવાની સાબિતી એ ગણાય છે કે તેના શ્વાસોચ્છ્વાસ ચાલુ છે. હવે આ ચરખો થંભે ત્યારે જીવન અંત પામતું હોય છે. આમ આપણને એ ખબર નથી હોતી કે આપણે જે શ્વાસ લીધો તે પાછો છોડી શકીશું કે કેમ અને તે જ રીતે જે શ્વાસ છોડ્યો તે પાછો લઈ શકીશું કે કેમ ! એટલે જ તો જીવનને ક્ષણભંગુર કહેવામાં આવે છે અને આમ આપણે શ્વાસેશ્વાસે જીવતા થતા હોઈએ છીએ અને શ્વાસેશ્વાસે મરતા પણ હોઈએ છીએ. ‘સામાન સો બરસકા પલકી ખબર નહિ!’ એમ જે કહેવાય છે તે યથાર્થ જ છે. માતાની કૂખે જન્મતાં હૃદયના ધબકારા શરૂ થયા પછી જ નાભિનાળ (Umbilical Cord)ને કાપવામાં આવે છે. હવે આ ધબકતું હૃદય જે પળે બંધ પડ્યું, તે આપણું મોત બની રહે છે. આપણે માનવીઓ પોતાના એક હાથનાં આંગળાંનાં ટેરવાંને બીજા હાથના કાંડા ઉપરની નસને હળવેથી સ્પર્શીને નાડીના ધબાકારા મહેસુસ કરતાંકરતાં વિચારીએ તો ખ્યાલ આવી શકે કે આપણે કેવી નાજુક પરિસ્થિતિમાં જીવી રહ્યા હોઈએ છીએ. બસ, આ વિચાર માત્ર આપણને આત્મિક પુનર્જન્મ આપવા માટે પર્યાપ્ત બની રહેતો હોય છે.

સમાપને, આપણે બેન જ્હોન્સનનું (Ben Johnson) નું એક કાવ્ય (All credit goes to ‘Copy Right’ possessors.) યાદ કરી લઈએ, જેમાં તેમણે ઓક (Oak) નામના એક વૃક્ષ અને કમળના ફૂલની સરખામણી કરી છે. ઓકનું આયુષ્ય લગભગ ૩૦૦ વર્ષનું હોય છે, જ્યારે કમળની જિંદગી માંડ એકાદ દિવસની જ હોય છે. એ કાવ્યનો મધ્યવર્તી વિચાર એ છે કે આપણે કેટલું લાંબુ જીવીએ છીએ તેનો કોઈ મતલબ નથી, પણ આપણે કેવી રીતે જીવીએ છીએ તેનું જ મહત્ત્વ હોય છે. ગુણવત્તાસભર જીવન એ જ તો આયુષ્યનું સાચું મૂલ્યાંકન હોય છે.

– વલીભાઈ મુસા

આનુષંગિક મારા લેખો :

(1) “Customary celebrations of birthdays”

(૨) “પ્રણાલિકાગત જન્મદિવસોની ઊજવણીઓ”

(૩) ‘મારી કલમે હું’

 

Tags: , , , , , , , , , , , , , , , , ,

(૪૦૮) એક અદના માણસની પ્રેરણાદાયી અદની નિષ્ઠાઓ !

અત્રે એક રાષ્ટ્રીયકૃત બેંકના નિવૃત્ત થએલા કર્મચારીએ એ જ બેંકના નિવૃત્ત કર્મચારીઓના સ્નેહમિલનને સંબોધેલા પોતાના લિખિત વક્તવ્યને માત્ર મારા વાંચન માટે આપ્યું હતું. આ વક્તવ્યમાં આત્મશ્લાઘા થઈ જવાના ભય હેઠળ વક્તાએ પોતાની ચાલીસ વર્ષની દીર્ઘ સેવાઓ દરમિયાનના પોતાની નિષ્ઠાના કેટલાક પ્રસંગોને સંકોચસહ વર્ણવ્યા હોઈ મને લાગ્યું કે મારે ખુલ્લા મનથી તેમની નિષ્ઠાઓને યોગ્ય ન્યાય મળી રહે તે રીતે બિરદાવવી જોઈએ અને તે આશયે એ વક્તવ્યને તેમની મંજૂરીની અપેક્ષાએ સંવર્ધિત સ્વરૂપે આપ સૌ વાચકો સમક્ષ રજૂ કરતાં હું આનંદ અનુભવું છું. હું જાણું છું કે તેઓશ્રી ‘નેકી કર, કૂએમેં ડાલ’ ઉક્તિમાં માનનારા હોઈ અહીં જે કંઈ અભિવ્યક્ત કરવા જઈ રહ્યો છું તે કામ મારી પોતાની મનમરજીથી જ થઈ રહ્યું છે અને તેમને પણ આપ સૌ ભેળા આ લેખથી આશ્ચર્યસહ જાણવા મળશે કે તેઓશ્રી મારા બ્લોગ ઉપર ચઢી ગયા છે. આજકાલ આપણે જોઈએ છીએ કે વિશ્વભરના જૂજ જ અપવાદરૂપ દેશોને બાદ કરતાં સર્વત્ર લોકોમાં પોતાની ફરજો પ્રત્યે નિષ્ઠાનો અભાવ, ભ્રષ્ટાચાર અને સમાજોન્નતિ માટે વિઘાતક એવાં નિજિ સ્વછંદ વર્તનો દૃઢિભૂત થએલાં છે. હવે નીચે આપ સૌ તેઓશ્રીના વક્તવ્યને મારા તરફના વૃત્તાંત (Commentary) સ્વરૂપે વાંચશો.

પ્રારંભે હાલ પૂરતો આ વક્તાનો અલ્પ પરિચય આપી દઉં છું કે કાણોદરના વતની એવા તેઓશ્રીનું નામ અહમદભાઈ ઈબ્રાહીમભાઈ માવત છે, જેમને હવે પછીથી મિ. માવત તરીકે ઓળખાવવામાં આવશે. તેમણે દેના બંકમાં ૪૦ વર્ષ, ૬ માસ અને ૭ દિવસની એકધારી સેવાઓ આપીને નિવૃત્તિ લીધી છે.

પોતાના વક્તવ્યની શરૂઆતમાં જ મિ. માવતે મનનીય એવા સુવિચારને આ શબ્દોમાં ટાંક્યો છે : ‘મૌન રહેવું તે ઉત્તમ છે, પણ સત્ય બોલવું તે વધારે ઉત્તમ છે; પ્રિય બોલવું તે ઉત્તમ છે, પણ ધર્મસ્વરૂપ બોલવું તે તો સર્વોત્તમ છે.’

આગળ તેઓ જણાવે છે કે ‘સર્વ પ્રથમ તો મને ઈશ્વર-અલ્લાહે માનવી તરીકેનો જન્મ આપીને આ દુનિયામાં મોકલ્યો તે બદલ તેનો આભાર માનું છું. બીજા ક્રમે મારાં માતાપિતાનો આભાર માનું છું કે જેમણે મારા પાલનપોષણની સાથેસાથે મારામાં સંસ્કારસિંચન કરીને મને એવી રીતે ઊછેર્યો કે જે થકી હું નિષ્ઠાપૂર્વક મારી નોકરી અંગેની અને સામાજિક તથા ધાર્મિક ફરજો બજાવી શક્યો. ત્રીજો આભાર પાલક માતા સમી મારી દેના બેંકનો માનું છું કે જેના માધ્યમે મને આર્થિક સદ્ધરતા પ્રાપ્ત થઈ.’

વધુમાં પોતાની બેંકકર્મચારી તરીકેની સેવાઓના સંદર્ભમાં તેઓશ્રી નિખાલસભાવે જણાવે છે કે ‘મેં Work is worship’ના ધ્યેયને આત્મસાત્ કરીને તદનુસાર મારી ફરજ બજાવવાનો જે સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે, તેનાથી મને અનહદ સંતોષ થવા ઉપરાંત મને આત્મગૌરવની અનુભૂતિ થઈ છે; જે મારા માટે મારા દ્રવ્યોપાર્જન  કરતાં પણ શ્રેષ્ઠ પુરવાર થયાં છે. હું કોઈની ટીકા સ્વરૂપે કહેતો નથી, પણ મારી નોકરી દરમિયાન મને બે જાતના સહકર્મચારીઓનો અનુભવ થયો છે; એક, કામ કરીને ખુશ થનારા; અને બીજા, કામ ન કરીને ખુશ થનારા. હું મારી જાતને ભાગ્યશાળી ગણું છું કે હું કામ કરીને ખુશ થનારાઓમાં ગોઠવાઈ શક્યો હતો અને મારી નોકરીના આટલા દીર્ઘકાળ દરમિયાન મને ‘કામચોરી’ કે ‘ફરજ પરત્વે બેદરકારી’નો વિચાર સુદ્ધાં પણ આવ્યો ન હતો.’

આપણે એવા કેટલાય સરકારી કે અર્ધસરકારી કર્મચારીઓની અનિયમિતતાના સાક્ષી બન્યા હોઈશું કે જેઓ ફરજ ઉપર હાજર થવાના સમયે પોતાના કાંડાઘડિયાળ તરફ સમય જોવાની તસ્દી સુદ્ધાં લેતા ન હોય, પરંતુ છૂટવાના સમય પહેલાં કાર્યાલયના ઘડિયાળને વારંવાર જોયા જ કરતા હોય ! મિ. માવત એવા નિષ્ઠાવાન કર્મચારી હતા કે બેંકના નિયમો અનુસાર કોઈ રેકર્ડને પોતાના ઘરે લાવી શકે તો નહિ, પણ આગામી દિવસે પોતાને કરવાનાં કામોને યાદ કરી લેતા અથવા નોંધ ટપકાવી દેતા હતા. આમ તેઓશ્રી પોતાના ઘરે કુટુંબ સાથેના આમોદપ્રમોદના સમયગાળામાં પણ પોતાની નોકરી અંગેના જ વિચારો કરે, તેને તો તેમની નિષ્ઠાની પરાકાષ્ઠા જ સમજવી પડે.

મિ. માવતને એક બ્રાન્ચમાં બદલી પામીને  જવાનું થયું હતું, જ્યાં ઢગલાબંધ કામ પેન્ડીંગ પડ્યું હતું. આ કામને આટોપવા માટે તેમણે સવારના આઠ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી મહિનાઓ સુધી કામ કરીને ખાતાકીય ઓડિટરને એવો સંતોષ આપ્યો હતો કે પેલા સાહેબને એક પણ તપાસનોંધ લખવી પડી ન હતી. ભાવવિભોર બનેલા એ ઓડિટરે બેંકમેનેજરને આ શબ્દો કહ્યા હતા કે ‘તમે ખુશનસીબ છો કે તમને મિ. માવત જેવા તાબા નીચેના કર્મચારી મળ્યા છે. ભવિષ્યે મારે નજીકની કોઈ બ્રાન્ચમાં ઓડિટ કરવા માટે આવવાનું થશે, ત્યારે અહીં હું જરૂર આવીશ અને એ પણ ખાસ તો મિ. માવતને મળવા માટે જ.’

મિ. માવતની નોકરી દરમિયાન તેમને એક એવી બ્રાન્ચમાં બદલી પામવું પડ્યું હતું કે જ્યાં છેતરપિંડી (Fraud) થઈ હતી અને બેંકે પોતાની વિશ્વસનીયતા ગુમાવી દીધી હતી. વીસેક વર્ષ જેટલી એ જૂની બ્રાન્ચ હોવા છતાં ત્યાં રોજ માંડ ચારપાંચ ગ્રાહકો આવતા હતા અને ડિપોઝીટ સાવ તળિયે બેસી ગઈ હતી. મિ. માવતે ત્રણેક વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક કામ કરીને તથા લોકોનો વિશ્વાસ સંપાદન કરીને બેંકને ગ્રાહકોની અવરજવરથી ધમધમતી કરી દીધી હતી અને  ડિપોઝીટમાં ચારથી પાંચગણો વધારો કરી દીધો હતો. બેંકને તો હજારો શાખાઓ હોય અને જે તે શાખાઓની આવી સિદ્ધિઓ તો અનેક હોય; એટલે મિ. માવતની કામગીરીને બિરદાવવામાં આવે કે ન આવે, પણ લોકોએ તો એમને પ્રશંસ્યા જ હતા, આ શબ્દોમાં કે ‘આપના જેવા કર્તવ્યનિષ્ઠ સાહેબો દેશભરનાં સરકારી ખાતાંઓમાં હોય તો દેશની કાયાપલટ થઈ જાય !’

વચ્ચે થોડાંક વર્ષો સુધી બેંકની ગ્રામ્ય શાખાઓના બદલે તેમને શહેરની મોટી શાખામાં કામ કરવાનું બન્યું હતું. અહીં પણ પેન્ડીંગ કામોના ઢગના ઢગ ખડકાએલા હતા. તેઓશ્રી પોતાની ફરજ હેઠળનું કામ કરવા ઉપરાંત અન્ય વિભાગોના કર્મચારીઓને તેમનાં કામો આટોપવામાં મદદરૂપ થતા હતા. મિ. માવતના બેંકસમય ઉપરાંતના  કામકાજ દરમિયાન તેમને સાથ આપતા ચોથા વર્ગના કર્મચારીઓ પૈકીના એક નિષ્ઠાવાન કર્મચારીએ   તેમને પૂછ્યું હતું, ‘માવત સાહેબ, આપને આટલું બધું કામ ખેંચતાં કંટાળો નથી આવતો ?’ ત્યારે મિતભાષી એવા મિ. માવત મુસ્કુરાતાં કહેતા કે ‘કામ એ મારો ખોરાક છે અને એ ખોરાક હું પૂરતો ન ખાઉં તો હું માંદો પડી જાઉં !’

એકવાર બેંકમેનેજરે મિ. માવતને પૃચ્છા કરી કે, ‘મિ. માવત, મારી શાખામાં રોબોટની જેમ કામ કરતા તમે મને જણાવશો કે આટલી બધી મહેનત પાછળનું કારણ શું છે ?’

તેમણે મિતાભાષાએ જવાબ આપ્યો હતો, ‘અધુરી રહી ગએલી ફરજને સરભર કરવા જ તો !’

’મતલબ ?’

’મારી અગાઉની નાનકડી શાખામાં બેંકના લેવડદેવડના સમય પછી અમારે કરવાનાં કામો અડધાએક કલાકમાં આટોપાઈ જતાં હતાં. નિયમ અનુસાર તો બેંકના પૂરા સમય સુધી અમારે બેસવું પડે, પણ મારા બેંક મેનેજર પોતાના દૂરના વતનથી અપડાઉન કરતા હોઈ તેઓ વહેલા નીકળી જતા હતા. આમ તેમની સાથે મારે પણ નીકળી જવું પડતું હોઈ મારી એ સમયગાળાની અધુરી રહી ગએલી હાજરીને અહીં હું પૂરી કરી રહ્યો છું.’

હવે હું મહાત્મા ગાંધીના એક અવતરણને ટાંકીશ, જે આ પ્રમાણે છે : “ગ્રાહક એ તમારા ધંધાકીય સ્થળનો ખૂબ જ અગત્યનો મુલાકાતી છે. તે આપણા ઉપર અવલંબિત નથી, પણ આપણે તેના ઉપર અવલંબિત છીએ. તે આપણી જગ્યા ઉપરનો અંતરાયરૂપ માણસ નથી, પણ તે આપણા માટે એક ઉદ્દેશ કે હેતુ સમાન છે. તે આપણા ધંધાવ્યવસાયમાં બહારના માણસ તરીકે નથી, પણ તેના એક ભાગરૂપ છે. આપણે તેને સેવા પૂરી પાડીને તેના ઉપર કોઈ ઉપકાર નથી કરતા, પણ તે આપણને તેની સેવા કરવાની તક પૂરી પાડીને આપણા ઉપર ઉપકાર કરે છે.”

ઉપરોક્ત વિધાનને અનુરૂપ અને છતાંય સાવ સામાન્ય લાગતો મિ. માવતના કાર્યકાળ દરમિયાનનો એક પ્રસંગ અહીં યાદ કરવા જેવો છે. ચાલો, આપણે તેમના શબ્દોમાં જ વાંચીએ : ’એક દિવસે હું મારી ફરજ પૂરી કરીને ઘરે જવા નીકળતો હતો, ત્યાં એક ગ્રાહક તેની પાસબુક ભરાવવા આવ્યો. મેં પ્રથમ તો તેને એમ જ કહ્યું કે બેંકનો સમય પૂરો થઈ ગયો છે અને મારું કોમ્પ્યુટર પણ બંધ છે. પણ વળી પાછો વિચાર આવ્યો કે સાવ એવા સામાન્ય કામ માટે આ બિચારા ગ્રાહકને આવતી કાલે આવવું પડશે અને તેના બેએક કલાક બગડશે. મારા માટે તો માત્ર પાંચ જ મિનિટનો સવાલ છે અને મેં એ કામ કરી આપ્યું. એ ગ્રાહકના ચહેરા ઉપરની ખુશી જોઈને મને ખૂબ જ આત્મસંતોષ થયો હતો.’

માનવધર્મ જ શ્રેષ્ઠ છે એવાં માત્ર વાતોનાં વડાં કરનારા તો આપણને ઘણા મળી આવશે, પણ એ આદર્શ વિચારને આત્મસાત્ કરીને એવું આચરણ કરનારા તો બહુ ઓછા હશે. મિ. માવત પોતાની નોકરી હેઠળની જવાબદારી નિભાવે તે તો તેમણે વેતન મેળવવા સામેની બજાવેલી આંતરિક કામગીરી ગણાય; પરંતુ એમની નોકરી સાથે સંકળાએલા છતાં બાહ્ય એવા એક ઉમદા માનવીય વ્યવહારને ચરિતાર્થ કરતી એક વાત અત્રે નોંધનીય છે. આંગડિયા સર્વિસવાળાઓ બહારગામનાં કામો માટે સામાન્ય રીતે શારીરિક ખોડખાંપણ ધરાવતા કર્મચારીઓ રાખતા હોય છે. આમાં અમુક અંશે એવા અશક્તોને રોજીરોટી રળવા માટે મદદરૂપ થવા માટેનો ઉમદા આશય હોઈ શકે, પરંતુ તેમનો મુખ્ય હેતુ તો વહીવટીખર્ચ ઓછો લાવવાનો જ હોય છે. અહીં એવી ગેરસમજ ન થાય કે તેમને ઓછો પગાર આપીને તેમનું આર્થિક શોષણ કરવામાં આવતું હશે, પરંતુ એસ. ટી. બસમાં આવા મુસાફરોને મફત મુસાફરી માટેનો પાસ આપવામાં આવતો હોઈ તેઓનું મુસાફરી ભાડાખર્ચ બચે. મિ. માવત પોતાની શાખાની આવી આંગડિયા ટપાલો પોતાના વતનની બ્રાન્ચમાં લાવી દેતા હતા કે જેથી પેલા અપાહિજ માણસને ભીડભાડવાળી બસોમાં હાડમારીભરી સફર કરવી ન પડે.

મેં મારા આ લેખના શીર્ષકમાં ‘અદની નિષ્ઠાઓ’ શબ્દો પ્રયોજ્યા છે, તેની પાછળનો ગૂઢાર્થ તો એ જ છે એવી નિષ્ઠાઓ ભલે પહેલી નજરે મામુલી લાગતી હોય; પરંતુ તેમની પાછળ ઉદ્દાત ભાવનાઓ છુપાએલી હોય છે. બેંકની બિનજરૂરી લાઈટો કે પંખાઓની સ્વીચો બંધ કરી દેવી એ તો મિ. માવતની આદત બની ગઈ હતી. પોતે નમ્રભાવે એ પણ જણાવે છે કે જ્યારથી તેમણે પોતાનો અંગત સેલફોન વસાવ્યો હતો, ત્યારથી કદીય પોતાના અંગત કામ માટે તેમણે બેંકના લેન્ડલાઈન ફોનનો ઉપયોગ કર્યો ન હતો. બેંકમાં  આંગડિયા સર્વિસ શરૂ થઈ ન હતી, તે પહેલાં ગ્રાહકોને ત્વરિત સેવા મળી રહે તે માટે તેઓશ્રી પોસ્ટલ ટપાલો પોતાના વતનની પોસ્ટઓફિસમાં લાવી દેતા હતા કે જેથી એ ટપાલો જે તે જગ્યાએ એક દિવસ વહેલી પહોંચી શકે.

મિ. માવતનું એક માનવતાવાદી કાર્ય કે જે તેમના બેંક સિવાયના અંગત જીવનના ભાગરૂપ હતું, તેને વર્ણવતાં હું ભાવવિભોર બની જાઉં છું. એકવાર તેઓ અંગત કામે બસ દ્વારા અમદાવાદ જઈ રહ્યા હતા, ત્યારે વચ્ચે એક કારને ઝાડ સાથે ટકરાઈ જવાનો એક્સિડન્ટ થએલો જોઈને બસ થોભી ગઈ હતી. બધા મુસાફરો સાથે તેઓશ્રી પણ નીચે ઊતર્યા હતા. સદભાગ્યે કોઈની જાનહાનિ તો થઈ ન હતી, પણ ડ્રાઈવરના પગ દરવાજામાં ફસાઈ ગયા હતા અને દિલને હલાવી નાખે તેવી તે બિચારો વેદનાભરી ચીસો પાડી રહ્યો હતો. ત્યાં ભેગા થઈ ગએલા માણસોનો એક્મતે એવો અભિપ્રાય હતો કે કારનો દરવાજો કાપ્યા સિવાય પેલા બિચારાના પગ બહાર નીકળી શકે તેમ ન હતા.  મિ. માવતની બસ ઊપડી, ત્યારે તેમણે કંડક્ટરને વિનંતી કરી હતી કે થોડેક જ દૂરના શહેરના બસસ્ટોપે થોડાક વધારે સમય સુધી બસને થોભાવી દેવામાં આવે. મિ. માવતે બસ સ્ટેન્ડ પાસેની હાર્ડવેરની દુકાનેથી એક હાથ કરવત (Hack-saw)  ખરીદીને એક રીક્ષાવાળાને જવા-આવવાનું ભાડું ચૂકવી દઈને પેલા અકસ્માતના સ્થળે તેને પહોંચાડવાની જવાબદારી સોંપીને પોતાની બસની સફર આગળ ચાલુ રાખી હતી.

હવે આ લેખના સમાપન નજીક આવવા પહેલાં મિ. માવતે નિવૃત્ત એવા સાથી કર્મચારીઓને પોતાના વક્તવ્યને પૂર્ણ કરવા પહેલાં જે શબ્દો કહ્યા હતા તેમને અક્ષરશ: અહીં આપુ છું. : ‘મિત્રો, આપણે નિવૃત્ત થવા પહેલાં એ આંકડાઓ મૂકતા હતા કે આપણને નિવૃત્તિ વખતે કેટલાં નાણાં મળવાનાં છે. વળી હાલમાં પણ આપણે એવા જ આંકડા મૂકતા હોઈશું કે આપણે જીવીએ ત્યાં સુધીમાં એ નાણાંમાં કેટલી વૃદ્ધિ થશે. પરંતુ મારી નમ્રભાવે આપ સૌને વિનંતી છે કે આપણે આપણી આ ઉત્તરાવસ્થાએ એ પણ હિસાબ માંડીએ કે આપણે માનવકલ્યાણ માટે શું કર્યું અને કેટલું કર્યું. આપણી સામાજિક જવાબદારીઓ પૂર્ણ થઈ ગઈ છે. કોઈક અપવાદોને બાદ કરતાં મોટાભાગના મિત્રોનાં સંતાનો કમાતાંધમાતાં થઈ ગયાં હશે. આપણને મળેલાં નિવૃત્તિનાણાંમાંથી કેટલોક અંશ માનવકલ્યાણ માટે ખર્ચીએ. જો કારણોવશાત્ એ શક્ય ન હોય તો આપણે તન અને મનથી આપણી આજુબાજુ થતાં સેવાકીય કાર્યોમાં મદદરૂપ થઈએ. મારા વક્તવ્યને સમાપ્ત કરવા પહેલાં એ જણાવી દઉં કે હું મારા લખાણને લેખિત સ્વરૂપે એટલા માટે લાવ્યો છું કે જેથી હું તેને હું ફાઈલ કરી શકું અને ભવિષ્યે મારાં સંતાનો એ વાંચીને પોતાના જીવનમાં કંઈક પ્રેરણા મેળવી શકે. ધન્યવાદ.’

અંતે આપણે એક અંગ્રેજી કાવ્ય ‘Abu Ben Adam and Angel’ ની આખરી પંક્તિઓને યાદ કરી લઈએ, જે આ પ્રમાણે છે : “‘The God loves those who love Him, but loves those more who love their fellow-men.’ અર્થાત્ ‘ઈશ્વર તેઓને ચાહે છે કે જે તેને (ઈશ્વરને) ચાહે છે, પણ તે (ઈશ્વર) એ લોકોને વધારે ચાહે છે કે જેઓ પોતાના માનવબંધુઓને ચાહે છે.” સાથેસાથે આપણે  ગુજરાતીના વિખ્યાત કવિ સ્વ.શ્રી ત્રિભુવનદાસ ગૌરીશંકર લુહાર ‘સુંદરમ્’ની આ કાવ્યપંક્તિને પણ સ્મરીએ કે ‘હું માનવી માનવ થાઉં તો ઘણું !’

જય હો.

– વલીભાઈ મુસા

(મિ. અહમદભાઈ માવત એ લેખકનાં માતાતુલ્ય મોટાં બહેન ચક્ષુદાતા લાડીબહેન D/O નુરભાઈ વજીરભાઈ મુસા અને પિતાતુલ્ય મોટાભાઈ (બનેવી) મરહુમ ઈબ્રાહીમભાઈ વજીરભાઈ માવતના સુપુત્ર છે. તેઓશ્રી અમારા ભાણેજ હોઈ અમે નુરભાઈ વજીરભાઈ મુસા પરિવાર તેમના માનવતાવાદી વિચારો અને આચરણોથી ગૌરવ અનુભવીએ છીએ.)

 

Tags: , , , , , , , , , , ,