RSS

Tag Archives: યુનો

(564) આ વિશ્વમાં પ્લાસ્ટિક (ગ઼ઝલ) – ૨૨

તકતી – ગાગાલગા * 4 (રજઝ સાલિમ)

આ વિશ્વમાં પ્લાસ્ટિક તણો વપરાશ વધતો જાય છે,
તેના થકી ભાવી પ્રલય પૃથ્વી તણો વરતાય છે.

પ્લાસ્ટિક અને ઈશ્વર સનાતન નાશ પામે ના કદી,
એ બેઉનું બાકી રહેવું આખરે સમજાય છે.

નહિ તો પછી તરુલોપથી આવે પ્રલય સમજી જ લો,
કુદરત તણો એ કોપ નહિ પણ માનવીથી થાય છે.

આગોતરી મળતી ખબર એ દી પ્રલયના આખરી,
વાવો વૃક્ષો છેલ્લી પળે પ્રલયે ભલે ભેળાય છે.

તાકાત અણુશસ્ત્રો તણી દર્શાવતાં રાષ્ટ્રો બધાં,
વેરાન થાશે વિશ્વ આ યુનો મહીં ચર્ચાય  છે.

જે તોપમુખમાં બાંધતું માળો વિહગ નિરાંતવું,
અંજામથી અણજાણ એ તો મન મહીં હરખાય છે.

પ્લાસ્ટિક તજો, વાવો તરુ, એ મંત્ર ફેલાવો ‘વલી’,
અણુઆયુધો નાબૂદ કરવાં તુજ શિરે ક્યાં જાય છે?

-વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)

(તા.૦૧૦૧૧૮)

(ફેસબુક – ‘ગ઼ઝલ તો લખું હું’ ગ્રુપ તા.૦૧૦૧૧૮)

 

 

 

 

 

 

 

 
1 Comment

Posted by on January 26, 2018 in ગ઼ઝલ

 

Tags: , , , , ,

(૫૧૬) ‘તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી સાફલ્યકથા!’ – ૫ (સંપૂર્ણ)

આગામી ૩૧મી મે, ૨૦૧૬ના રોજ યુનો દ્વારા જાહેર કરાયેલ ‘વિશ્વ તમાકુ નિષેધ દિન (World No Tobacco Day)’ આવશે; પરંતુ તમાકુના વ્યસનને ના(No) કહેવા માટે ‘શુભસ્ય શીઘ્રમ્’ અનુસાર મારે એ દિવસની કંઈ રાહ જોવી જરૂરી નથી. વળી તમાકુત્યાગની મથામણ, સફળતા અને નિષ્ફળતાને ઉજાગર કરતી પાંચેક વર્ષના સમયગાળામાં પથરાયેલી મારી શ્રેણી લગભગ તમાકુ ચાવવાના વ્યસન આસપાસ જ હાલ સુધી ફરતી રહી છે; પરંતુ વાસ્તવમાં તો વ્યાપક અર્થમાં તે તમાકુનાં બધા જ પ્રકારનાં વ્યસનો એટલે કે ‘ખાપીસૂં’ (ખાવી, પીવી અને સૂંઘવી)ને લાગુ પડે છે. આ ત્રણેય પ્રકારનાં વ્યસનોમાં ધૂમ્રપાન એ વધુ ખતરનાક એટલા માટે છે કે જો તે જાહેર જગ્યાએ કરવામાં આવતું હોય તો તે આસપાસના લોકો માટે અનીચ્છનીય અને ફરજિયાત દ્વિસ્તરીય ધૂમ્રપાન (Second-hand smoking) બની જાય છે. આમ નિર્દોષ અને નિર્વ્યસની લોકો પોતે ન ચાહવા છતાંય ધૂમ્રપાન કરનારાઓના દોષે ધૂમ્રપાનનો શિકાર બનતા હોય છે. આંકડાઓ જણાવે છે કે આવા સેકન્ડ-હેન્ડ સ્મોકીંગના કારણે વિશ્વ આખાયમાં દર વર્ષે ૬ લાખ માણસોના આરોગ્ય ઉપર વિપરિત અસર થતી હોય છે, જે પેલા ૬૦ લાખ મરનારા લોકોના ૧૦% બરાબર થાય છે અને તેઓ વિના કારણે મોતને ભેટતા હોય છે.

મારો ‘તમાકુત્યાગ’ શ્રેણીનો આ આખરી લેખ છે.  આ અગાઉના લેખના શીર્ષકના ઉત્તરાર્ધમાં મેં ચાલાકીપૂર્વક ‘મારું પરોપદેશે પાંડિત્યમ્!’ શબ્દો દ્વારા વ્યસનની મારી લાચારી સામેની ‘બચાવપ્રક્રિયા (Defense Mechanism)’ અજમાવી હતી. વળી તેની નીચેની નોંધમાં પણ મારા તમાકુત્યાગના ઢચુપચુ નિર્ણયને નિષ્ફળતા મળવાના સંજોગોમાં વાચકો તરફથી દયાભાવ મળી રહે તે માટે ‘એવો મારો હાલ પૂરતો તો તાર્કિક ખ્યાલ છે!’ શબ્દો સિફતપૂર્વક આગોતરા ગોઠવી દીધા હતા! આ બધા પિષ્ટપેષણ પાછળનો મારો એક જ આશય છે કે માત્ર તમાકુ જ નહિ, પણ શરાબ અને અન્ય જીવલેણ ડ્રગ આદિના વ્યસનીઓ એકવાર તેમનો ભોગ બન્યા પછી તેમાંથી છૂટવા માટે કેવા વલવલતા હોય છે તેનો વાચકોને ખ્યાલ આવી શકે. એક અનિષ્ટ અનેક અનિષ્ટોને નોંતરે અને આમ અનિષ્ટોની પરંપરા સર્જાઈ જાય એવું પણ બનતું હોય છે. ડ્રગના વ્યસનીઓ પોતાની જરૂરિયાતને સંતોષવા ચોરી, લૂંટફાટ અને કોઈકવાર ખૂન કરવાની સ્થિતિ સુધી પહોંચી જતા હોય છે એવી વાતો જગજાહેર છે, એટલે આપણે એમને પડતી મૂકીને વ્યસનોમાંથી મુક્ત થવા માટેના નક્કર મનોવૈજ્ઞાનિક ઉપાયો વિચારવાની દિશામાં આગળ વધીએ. આ ઉપાયો મારા સ્વાનુભવમાંથી નિપજેલા છે અને મનોવિજ્ઞાનના ‘તાલીમનું રૂપાંતર (Transfer of training)’ના સિદ્ધાંત પ્રમાણે માત્ર તમાકુ ચાવવાના વ્યસનીઓને જ નહિ, પણ તમામ પ્રકારના વ્યસનીઓને પણ લાગુ પડી શકે છે. હવે હું લેખની કદમર્યાદાને સંતુલિત રાખવા વ્યસનમુક્તિ માટેની માત્ર ટીપ્સ અને તેને સંલગ્ન કેટલીક સ્પષ્ટતાઓ જ આપીશ.

(૧) વ્યસનમુક્તિ માટે બાહ્ય મદદો કે શિખામણો કારગત નીવડતી નથી. વ્યક્તિનો પોતાનો મક્કમ ઈરાદો જ પરિણામલક્ષી બની શકે.

(૨) વ્યસન ઓછું કરતા જઈને તેને ધીમે ધીમે છોડવાનો ખ્યાલ ભ્રામક છે. એકી ઝાટકે વ્યસનને તિલાંજલિ આપવી જોઈએ.

(૩) વ્યસન છોડવા માટે કોઈ નોંધપાત્ર દિવસની રાહ જોવી કે એવા દિવસને પસંદ કરવો તે મનોવૈજ્ઞાનિક પરિભાષાએ વ્યર્થ પુરવાર થશે. એવા નોંધપાત્ર દિવસની રાહ જોવાનો મતલબ એ કે આપણે એ દિવસ આવે ત્યાંસુધી આપણા વ્યસનના લુત્ફ(આનંદ)ને જાળવી કે પકડી રાખવા માગીએ છીએ, એટલે કે આપણે આપણા વ્યસનની આસક્તિને જરાય ઢીલી પડવા દેવા નથી માગતા. આ જ રીતે વળી એવો કોઈ દિવસ પસંદ કરવા પાછળનો તાર્કિક ખ્યાલ એ પણ હોય છે કે માણસ એ દિવસને યાદ રાખીને ભવિષ્યે એવી ગણતરીઓ મૂકી શકે કે વ્યસન છોડ્યાને કેટલો સમય થયો. બસ, આ જ બાબત ભવિષ્યે આપણને ફરી એ વ્યસન તરફ દોરી જશે; કારણ કે આપણા માનસમાંથી વ્યસનનો એ વિચાર નાબુદ થયો નથી. ભલા, શું આપણે મૂર્ખાઈભર્યા એવા આપણા આ પરાક્રમનો ઇતિહાસ લખવા માગીએ કે જેમાં આ બધી તારીખો દર્શાવવી પડે? આ લેખકે આવી મુર્ખાઈઓ કરી છે અને એમાંથી જ શાણાઓએ શાણપણ ગ્રહણ કરવાનું છે.

(૪) જે તે પ્રકારના વ્યસનત્યાગનો અન્ય નિર્દોષ વિકલ્પ પણ કદીય લેવો નહિ; ઉદાહરણ તરીકે, તમાકુ ચાવવાનો વ્યસની મુખવાસ લેવાનું શરૂ કરે. એનો મતલબ એ થાય કે હજુ એ મૂળ વ્યસનનો આનંદ મેળવવા હવાતિયાં મારે છે. દેખીતું જ છે કે એ મુખવાસ એને સંતુષ્ટ કરશે નહિ અને ફરી એ મૂળ વ્યસન તરફ પાછો વળી જશે. ટૂંકમાં મૂળ વ્યસનના વિચારનું જ નિર્મૂલન થવું જરૂરી છે અને એવો કોઈ વિકલ્પ લેશો તો એ એમ થવા દેશે નહિ. શરાબ, ડ્રગ આદિમાં પણ આવા કોઈ વિકલ્પોથી બચવું જોઈએ.

(૫) વ્યસનને સહજભાવે છોડી દેવું જોઈએ. મનમાં એવો વિચાર કદીય ન લાવવો કે આપણે વ્યસન છોડીને કોઈ મહાન કામ કરી રહ્યા છીએ. ઊલટાનું એમ વિચારવું જોઈએ કે જે લોકો વ્યસની નથી એ લોકો જ ખરા મહાન માણસો છે. વ્યસન પકડવા પહેલાં આપણે પણ તેઓના જેવા જ મહાન હતા, પણ પછીથી અધમ બન્યા. હવે ‘જાગ્યા ત્યાંથી સવાર’ના ન્યાયે આપણે વ્યસનત્યાગ કર્યો એ આપણા માટે સારી વાત તો ગણાય, પણ એ મહાનતા તો નથી જ. વળી આવો વ્યસન છોડ્યાનો ધમંડ પેલા વ્યસનના વિચારને પ્રજળતો જ રાખશે અને ફરી વાર એ જ વ્યસન આપણું અધ:પતન આણવા મહેમાન બનીને આવ્યા વગર રહેશે નહિ.

(૬) વ્યસનને મનોમન છોડી દેવાના બદલે ઓછામાં ઓછા એકાદ કોઈ આપ્તજનને સાક્ષી રાખો અને પોતાની ડગમગી જવાની સ્થિતિમાં એ તમને હૈયાધારણ આપે તેવી તેને જવાબદારી સોંપો. વ્યસન છોડ્યાનો સાર્વજનિક ઢંઢેરો તો પીટશો જ નહિ, કેમ કે એવા ત્રાહિતોમાંનો તમારા જેવો કોઈ વ્યસની તમને પોતાના તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે.

(૭) જે પ્રકારના વ્યસનમાંથી તમે મુક્ત થયા હો તે પ્રકારના વ્યસનીઓનો સહવાસ છોડી દો અને નિર્વ્યસની માણસો સાથે જ હળવામળવાનું રાખો.

(૮) જ્યારે જ્યારે પણ છોડેલા વ્યસનને ફરી પકડવાનો વિચાર આવે, ત્યારે પોતાના અજ્ઞાત મનને ત્રાહિતની જેમ મનોમન અથવા શાબ્દિક આજ્ઞા (Command) આપો કે એ માર્ગે ફરી પાછા જવાનું નથી.

(૯) વ્યસન છોડ્યા પછીના થોડાક દિવસો સાવધાની માગશે. વ્યસનનો એ વિચાર માથું ઊંચકીને તમને ઢીલા પાડવાની કોશિશ કરે, ત્યારે વિચારોને અન્યત્ર વાળવા; જેમ કે વ્યાયામ કરવો, ચાલવું કે દોડવું, કુદરતી વાતવરણમાં ફરવા જવું, મનોરંજનની પ્રવૃત્તિમાં લાગી જવું, પુસ્તક વાંચવું વગેરે.

(૧૦) વ્યસન છોડ્યા પછી કોઈ શારીરિક તકલીફો ઊભી થાય તો ડોક્ટરની સારવાર લેવી.

(૧૧) વ્યસન છોડ્યા પછીની માનસિક બેચેની અવગણો અથવા એને પડકાર સમજીને એનો મુકાબલો કરો. થોડાક આવા કપરા દિવસો પસાર થયા પછી તમને શારીરિક અને માનસિક ચેતનાનો અનુભવ થશે. તમને ભૂખ લાગશે, ભોજનનો સાચો સ્વાદ અનુભવશો, તમને નવજીવન મળ્યાનો અહેસાસ થશે.

(૧૨) બકરું કાઢતાં ઊંટ ન પેસી જાય, અર્થાત્ તમારું વજન ન વધી જાય તે માટે સલાડ, ફળફળાદિ લેવાનું રાખો.

(૧૩) મિત્રોમાં કે સગાંસંબંધીમાં કોઈ વ્યસની હોય તો તેમને વ્યસન છોડવા માટે સમજાવવાનું રાખો. એ લોકો વ્યસન છોડે કે ન છોડે, પણ અન્યોને શિખામણ આપનાર તરીકે તમારું પોતાનું મનોબળ દૃઢ થશે અને તમે વ્યસનથી હંમેશના માટે દૂર રહેશો.

સમાપને કહેતાં આજના લેખને અગાઉના લેખવાળું ‘પરોપદેશે પાંડિત્યમ્’ વેણ લાગુ નહિ પડે, કેમ કે આ લેખના શીર્ષકમાં જ મેં ‘મારી સાફલ્યકથા’ શબ્દો મૂકી જ દીધા છે. મારા તમાકુત્યાગના સંઘર્ષનો આ દ્વિતીય અને આખરી તબક્કો છે અને એમ જ રહેશે કેમ કે મેં તમાકુને ખરે જ અલવિદા કહી દીધી છે. વાચકો વિચારશે કે લેખકશ્રી એક તરફ વ્યસનમાંથી મુક્ત થનારાઓને તેમણે કોઈ મહાન કાર્ય કર્યું છે એવું ન સમજી બેસવાની સલાહ આપે છે અને પોતે પોતાની સિદ્ધિને ‘સાફલ્યકથા’ તરીકે કેમ ઓળખાવે છે? આનો સીધો જવાબ એ છે કે અગાઉના લેખોમાંનાં શીર્ષકોએ પ્રયોજાયેલો પુનરાવર્તિત શબ્દ ‘શરમકથા’ હવે ભૂતકાળ બન્યો હોઈ તેની સ્થાનપૂર્તિ માટે આ ‘સાફલ્યકથા’ શબ્દ વિનમ્ર ભાવે મુકાયો છે, નહિ કે કોઈ આત્મશ્લાઘાના ભાવ ભાવે.

-વલીભાઈ મુસા

‘તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી શરમકથા!’ ભાગ-૧  

‘તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી શરમકથા!’ ભાગ-૨

 ‘તમાકુત્યાગના પ્રયોગો અથવા સાચે જ મારી શરમકથા!’ ભાગ-૩

‘તમાકુત્યાગના પ્રયોગો અથવા મારું પરોપદેશે પાંડિત્યમ્!’ ભાગ-૪

 

Edit

 
5 Comments

Posted by on March 22, 2016 in લેખ

 

Tags: , , , , , ,

(૪૧૩) ‘દીકરીનો મરતબો’ – સંક્ષિપ્ત અભિવ્યક્તિ

Click here to read in English

વિશ્વભરની વિવિધ જાતિઓનાં મોટા ભાગનાં લોકો તેમનાં પોતાનાં એક અથવા બીજાં કારણોને લઈને  પોતાના કુટુંબમાં દીકરી હોવાનું પસંદ કરતાં નથી આ બાબતે લોકોનાં માનસમાં હકારાત્મક અભિગમ ઉજાગર કરવા માટે યુનોએ ૧૨મી જાન્યુઆરીને ‘આંતરરાષ્ટ્રીય દીકરી દિવસ’ તરીકે જાહેર કર્યો છે. આ એક લોકોનું એવું વક્રોક્તિયુક્ત માનસિક વલણ છે કે તેઓ એ જાણે તો છે જ કે તેમનો પોતાનો પણ જન્મ કોઈ સ્ત્રીના ગર્ભમાંથી જ થયો છે અને છતાંય તેઓ પોતાનાં કુટુંબોમાં દીકરીના જન્મને અનિચ્છનીય આફત તરીકે ગણે છે.

કુદરત પોતાની રીતે જ જગતમાં પુરુષ અને સ્ત્રીઓના યોગ્ય પ્રમાણને જાળવી રાખે છે અને કુદરતના આવા નિયમ સામે જાણીબૂઝીને કરવામાં આવતી દખલગીરી થકી માનવ સમાજમાં સામાજિક અને નૈતિક એવી ઘણી બધી સમસ્યાઓ ઊભી થતી હોય છે. ઈસ્લામના પયગંબરે દીકરીના મરતબાને આ શબ્દોમાં સમજાવ્યો છે કે ‘દીકરી એ માતાપિતાના જનાજા (મૈયત – મોત)ની શાન છે. કુટુંબમાં દીકરી જ માત્ર એવી વ્યક્તિ છે કે કે જે પોતાનાં મૃત માતાપિતાને ભૂલી શકતી નથી અને તે તેમની પાછળ સાચા દિલથી રડતી હોય છે.’ હિંદુ ધર્મશાસ્ત્ર ‘મનુસ્મૃતિ’માં શ્લોક છે : “यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता |”. આ શ્લોક આપણને સ્પષ્ટ રીતે એ સમજાવે છે કે ‘દેવતાઓને ત્યાં જ વાસ કરવાનું બહુ પસંદ પડતું હોય છે કે જ્યાં સ્ત્રીઓને માનસન્માન આપવામાં આવતું હોય.’

માનવસમાજમાં સંપ અને શાંતિ મોટા ભાગે સ્ત્રીના અસ્તિત્વ ઉપર જ અવલંબિત છે; કારણ કે સ્ત્રી સ્વભાવગત જ ઋજુ હૃદયની હોય છે, જ્યારે પુરુષ માનવજીવનને લગતી સંવેદનશીલ સમસ્યાઓને હલ કરવાના પ્રસંગે કંઈક અંશે કઠોર હૃદયનો સાબિત થતો હોય  છે.

– વલીભાઈ મુસા

 

Tags: , , , , ,

(૪૦૫) વિશ્વતોમુખી આર્ષદૃષ્ટિ (ઈ.સ.૨૨૨૨)

[તાજેતરમાં જગતજમાદાર અમેરિકા ખાતેનાં ભારતનાં રાજ્દૂત દેવયાની ખોબરાગડેની તેમની સામે મુકાએલા આક્ષેપો અન્વયે કરવામાં આવેલી ધરપકડના પ્રત્યાઘાત રૂપે ભારતે અમેરિકા સામે હૂંકારો કરીને અમેરિકાના ભારતખાતેના રાજદ્વારીઓને આપવામાં આવતી સવલતોને સ્થગિત કરી દઈને જે પડકાર ફેંક્યો છે તે ઘટનાએ વિશ્વભરમાં ‘અહો આશ્ચર્યમ્’, ‘અરે વાહ !’, ‘વાહ, ભારતની ગજબની હિંમત !’ જેવા ઉદ્ગારોની લહેરો પ્રસરાવી દીધી છે. જો કે ભારતે પોતાની પાંગળી વિદેશનીતિ અને દૂરંદેશિતાના અભાવે ‘દેવયાની પ્રકરણ’ કરતાં પણ અનેક ઘણા ગંભીર મુદાઓ ટાણે અમેરિકાનું નાક દબાવવાના અનેક પ્રસંગો ગુમાવ્યા હોવા છતાં, ભલે પહેલી નજરે ક્ષુલ્લક જેવા લાગતા આ મુદ્દાએ પણ ભારતે જે અકલ્પ્ય સાહસ પ્રદર્શિત કર્યું છે; તેને અમેરિકન કૂટનીતિના ભોગ બનેલા પીડિત દેશોએ ઉમળકાભેર આવકાર્યું છે.

આપણા ભારતીય આર્ષદૃષ્ટાઓ મહર્ષિ અરવિંદ, સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી અને તાજેતરમાં મહાનુભાવ અબ્દુલ કલામ જેવાઓએ જે ભવિષ્યવાણીઓ આલેખી છે તે પ્રમાણે એક સમય એવો આવશે  જ્યારે કે ભારત વિશ્વનું નેતૃત્વપદ સંભાળશે. ભારતનું ભવિષ્યનું એ નેતૃત્વ આધ્યાત્મિકતાના પાયાઓ ઉપર મંડાએલું હશે અને તેનાં લક્ષ્યો હશે વિશ્વબંધુત્વ, વિશ્વશાંતિ અને માનવધર્મનો પ્રસાર.

અહીં મેં મારા આ લેખમાં બસો વર્ષ પછીની વિશ્વની સર્વપાંખીય ઉન્નતિમાં ભારતની ભૂમિકા અને પશ્ચિમના દેશોની ઓસરતી જતી પ્રભાવકતાને મારી કલ્પના વડે આલેખવાનો પ્રયત્ન કર્યો છે; જે ભલે પહેલી નજરે ‘શેખચલ્લીની તરંગી કલ્પનાઓ !’ કે ‘દિલકો બહલાનેકે લિએ ગાલિબી ખયાલ અચ્છે હૈ !’ જેવું લાગશે, પરંતુ હાલ પૂરતા સર્વાંશે નહિ તો અલ્પાંશે પણ આપણે એ સ્વીકારવું જ પડશે કે ‘વિશ્વરાષ્ટ્ર’ના નિર્માણ માટે  અને ‘માનવકલ્યાણ’નાં ઉદ્દાત લક્ષ્યોને સિદ્ધ કરવા માટે ‘વિશ્વશાંતિ એ જ આખરી ઉપાય’ના વિચારને આપણાથી સાવ અવગણી તો નહિ જ શકાય.

તો ચાલો, આપણે ભાવીના ભીતરમાં ડોકિયું કરીએ અને ઈ.સ. ૨૨૨૨ના વર્ષે આપણે સદેહે જીવિત તો નહિ જ હોઈશું, તેમ છતાંય આપણે આપણી જાતને બે સૈકાંઓ પછીની દુનિયામાં હાજરાહજૂર સમજીને એ વખતની સ્વર્ગીયસુખની અનુભૂતિ કરાવતા એવા કલ્પનાતીત લુત્ફ (આનંદ)ને માણીએ.]

                           વિશ્વતોમુખી આર્ષદૃષ્ટિ (ઈ.સ.૨૨૨૨)

ઈ.સ. ૨૨૨૨નું આ વર્ષ છે. છેલ્લી બે સદીમાં વિશ્વનો ભૌગોલિક નકશો તો બદલાઈ જ ચૂક્યો છે. એક કાળે આડોશપાડોશના નાના કે મોટા, અવિકસિત કે વિકસિત દેશો જે ગજા બહારનાં સંરક્ષણ બજેટો થકી સરહદી કે અન્ય વિવાદો માટે લડતાઝઘડતા હતા, તેમાંના મોટાભાગના દેશોનું ૨૨મી સદી સુધીમાં જ વિલિનીકરણ થઈ ચૂક્યું છે. વીસમી સદીમાંના દુનિયાના બસોથી પણ અધિક એટલા દેશો હવે માંડ ચાલીસેકની સંખ્યામાં આવી ચૂક્યા છે. એક જ પ્રકારના ભૌગોલિક અને સાંસ્કૃતિક વિસ્તારના અખંડ દેશો જે કૃત્રિમ રીતે વિભાજિત થઈ ગયા હતા, તે હવે ફરી જોડાઈ ગયા છે. એક સમયે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (USA), યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ સોવિયેટ રશિયા (USSR), યુનાઈટેડ આરબ એમિરાત (UAE) કે યુનાઈટેડ કિંગડમ (UK) જેવા સ્વાયત્ત રાજ્યો ધરાવતા સંયુક્ત દેશો છેલ્લાં પચાસેક વર્ષોમાં તો વધુ સંખ્યામાં અસ્તિત્વમાં આવી ચૂક્યા છે. દૂરના ભૂતકાળમાં છેક વીસમી સદીનાં બે વિશ્વયુદ્ધો પછી ઘણી વાર તંગદિલી સર્જાઈ હોવા છતાં ત્રીજું વિશ્વયુદ્ધ થયું નથી અને વિશ્વપ્રજાની આધ્યાત્મિક ઉર્ધ્વગામિતાના કારણે આવનારાં હજારો વર્ષો સુધી તેની શક્યતા પણ દેખાતી નથી. વિશ્વના દેશો આંતરિક વર્ગવિગ્રહો કે સરહદી યુદ્ધોથી મુક્ત થયા હોઈ તેમણે ભૌતિક સમૃદ્ધિ અને માનવતાવાદી વિચારધારામાં અકલ્પનીય પ્રગતિ સાધી છે.

વિશ્વભરમાં પરિવર્તનનો જે પવન ફૂંકાઈ રહ્યો છે, તેનું ઉદગમસ્થાન છે ભારત, કે જે બાવીસમી સદીના પૂર્વાર્ધ સુધી તો એ જ નામે ઓળખાતું હતું; પરંતુ એ જ સદીના ઉત્તરાર્ધથી તેના જ નેતૃત્વ હેઠળ થએલા દક્ષિણ એશિયાઈ બધા જ દેશોના વિલિનીકરણથી હવે તે USSA (યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ સાઉથ એશિયા) નામે ઓળખાય છે. જેમ એક કાળે USA  અમેરિકા નામે ઓળખાતું હતું, બસ એ જ રીતે આ USSA પણ લોકજીભે ‘બૃહદ ભારત’ તરીકે ઓળખાય છે. યુનાઈટેડ નેશન્સનું મુખ્ય કાર્યાલય ન્યુયોર્કથી  USSA (બૃહદ ભારત)ની રાજધાની દિલ્હી ખાતે આવી ગયું છે. એક જમાનામાં મહાસત્તાઓની શેહ હેઠળ યુનોનું જે તંત્ર ચાલી રહ્યું હતું, તે હવે મુક્ત રીતે કામ કરે છે; કેમ કે યુનોના બંધારણમાં ધરખમ ફેરફારો કરીને પેલી કહેવાતી મહાસત્તાઓના વિટો પાવરને નિર્મૂળ કરીને તેમને નહોર વિનાના વાઘ બનાવી દેવામાં આવ્યા છે. યુનોને પૂર્વના USSA (બૃ.ભા.) દેશ તરફથી નેતૃત્વ પ્રાપ્ત થતાં યુનોની કાર્યરીતિમાં નોંધપાત્ર  ફેરફારો આવી ચૂક્યા છે. હવે પેલું જૂનું યુનો નવીન એવા ‘ન્યુ યુનો’ નામે ઓળખાવા માંડ્યું છે. વીસમી સદીના પૂર્વાર્ધમાં વિશ્વને મળેલી ગાંધીઅન ફિલસુફી જે લાંબા ગાળા સુધી અપ્રસ્તુત બની ચૂકી હતી, તે હવે વિશ્વના માનવજાતના કલ્યાણ માટે અનિવાર્ય  બની ચૂકી છે.

વિજ્ઞાનના આવિષ્કારોએ થોડીક પીછેહઠ કરવા માંડી છે. ખાસ કરીને કૃષિ ક્ષેત્રે ઓર્ગેનિક ખેતીનું ચલણ ૨૧મી સદીના પચાસના દશકથી લગભગ આખા વિશ્વમાં વ્યાપી ચૂક્યું છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓએ ધરતીનાં રસકસ ચૂસી લીધાં હતાં અને એ ધરતીની ફળદ્રુપતાને પાછી લાવવા માટે છાણિયા ખાતરને વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવા માટે પશુપાલનનો મહિમા વધ્યો છે. પશુપાલનના કારણે દૂધનું ઉત્પાદન વધ્યું હોઈ સમગ્ર વિશ્વમાંથી કુપોષણની સમસ્યા કાયમ માટે હલ થઈ ચૂકી છે. વિશ્વભરના દેશોએ મોટી નદીઓને સૂકી કે નાની નદીઓ સાથે સાંકળી દઈને વિશ્વને હરિયાળું બનાવી દીધું છે. જે જે દેશોમાં નદીઓનું અસ્તિત્વ જ નહોતું, ત્યાં નહેરોથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. વસુધૈવ કુટુંબકમ્ ની ભાવના જે એક કાળે માત્ર પોકળ આદર્શ તરીકે શબ્દની શોભા ગણાતી હતી, તે હવે વાસ્તવિકતા ધારણ કરી ચૂકી છે. દેશોદેશો કે રાજ્યોરાજ્યો વચ્ચેના જળવિવાદોના સ્થાને સત્તાધીશો અને પ્રજાઓનાં માનસોમાં માનવકલ્યાણની ઉદ્દાત ભાવનાઓ જન્મ લઈ ચૂકી છે અને વિવાદો શમી ગયા છે.

જગત હવે એક જ રાષ્ટ્ર બનવા તરફ જઈ રહ્યું છે અને વિશ્વના કેટલાક રાજનીતિજ્ઞો અને ધારાશાસ્ત્રીઓ તો વિશ્વરાષ્ટ્ર માટેના બંધારણના મુસદ્દાઓ પણ તૈયાર કરવા માંડ્યા છે. કેટલાય ધાતુશિલ્પીઓ અને ડિઝાઈનરો સમગ્ર વિશ્વ માટે સર્વસામાન્ય એવી મુદ્રાઓ કે ચલણી નોટોની ડિઝાઈનો પણ તૈયાર કરવા લાગી ગયા છે. યુનોમાં એક વિચારે જોર પકડવા માંડ્યું છે કે વિશ્વના અર્થતંત્રમાં કોઈ એક વિશિષ્ટ દેશ કે દેશોના ચલણી નાણાનું આધિપત્ય રહેવું જોઈએ નહિ. આમેય ડોલર, પાઉંડ અને યુરોના આભાસી મજબુતીના ફુગ્ગા ફૂટી ચૂક્યા છે. વિશ્વમાનવો બેંકો મારફતની લેવડદેવડની ઘરેડમાં આવતા જતા હોઈ સ્થુળ ચલણનો વપરાશ ઘટવા માંડ્યો છે. વિશ્વબેંકે પણ પોતાની કાર્યરીતિમાં માનવકલ્યાણને અગ્રીમતા આપી હોઈ તે અવિકસિત, અર્ધવિકસિત કે ગરીબ દેશો ઉપર વિશેષ ધ્યાન આપવા માંડી છે. માનવીમાત્રના હવા, પાણી, ખોરાક, વસ્ત્રપરિધાન અને રહેઠાણ ઉપરાંતના આરોગ્યસુવિધા અને શિક્ષણના અધિકાર જેવા માનવ અધિકારોને  માત્ર  સ્વીકારી જ લેવામાં નથી આવ્યા, પણ તેના ઉપર અમલીકરણ પણ કરવામાં આવી રહ્યું છે.

વિશ્વના બદલાઈ રહેલા આ વાતાવરણમાં હજુ સુધી અમેરિકા અને યુરોપીય દેશો અનુકૂલન સાધી શકતા નથી. આ દેશો વિશ્વના અન્ય દેશોની નજરમાં સાવ ઉપેક્ષિત ન બની જાય તે ભયમાત્રથી તેમણે ‘ન્યુ યુનો’ના સભ્યપદને બાહ્ય રીતે તો સ્વીકાર્યું છે, પણ આંતરિક રીતે  USSA (બ્રુ.ભા.)ના ‘ન્યુ યુનો’ના નેતૃત્વથી તેઓ તેજોવધની ભાવના અનુભવી રહ્યા છે. ‘ઝાઝી કીડીઓ સાપને તાણે’ તે ન્યાયે પશ્ચિમી દેશોના ભૂરંગોને વિશ્વના અન્ય દેશોએ USSA (બૃ.ભા.)ના નેતૃત્વને સંપૂર્ણ  સમર્થન આપીને એક સમયના તેમના વિશ્વ ઉપરના નિરંકુશ આધિપત્યને નામશેષ બનાવી દીધું છે. આમ છતાંય અમેરિકા તો હજુપણ પોતાની મુડીવાદી વિચારધારામાંથી બહાર આવી શકતું નથી. વિશ્વ જ્યારે કૃષિને અગ્રીમતા આપી રહ્યું છે, ત્યારે એક અમેરિકા માત્ર જ ઔધોગિક વિકાસને પ્રાધાન્ય આપી રહ્યું છે. વિશ્વના દેશો સાથે તાલમેલમાં રહેવાના બદલે તે પોતાની મુડીવાદી ઘેલછામાં એવા ખોટા નિર્ણયો લઈ રહ્યું છે કે જેથી તેનું અર્થતંત્ર રોજબરોજ કથળતું જ રહ્યું છે. વિશ્વના મોટા ભાગના દેશો પોતાની ઔદ્યોગિક જરૂરિયાતો માટે આત્મનિર્ભર બની ચૂક્યા હોઈ અમેરિકન કે અન્ય પશ્ચિમી ઉત્પાદનો હવે તેમના ઘરેલુ ઉપભોગ પૂરતાં સીમિત થઈ ચૂક્યાં છે.

અધૂરામાં પૂરું જે અમેરિકાએ અને સાથી દેશોએ તે વખતના જૂના યુનોના કહેવાતા વડીલપદે એકવીસમી સદીના પ્રારંભે મધ્ય પૂર્વના કેટલાક દેશો ઉપર યુદ્ધો લાદીને કે યુદ્ધોનો ભય બતાવીને દુનિયાને ઊંધાં ચશ્માં પહેરાવીને એમ બતાવવાની બેબુનિયાદ કોશિશ કરી હતી કે તેઓ   આણ્વિક, રાસાયણિક અને જૈવિક શસ્ત્રો ધરાવે છે અને છેવટે એ વાત પોકળ સાબિત થઈ હતી; બસ, હવે એ જ રીતે ખુદ અમેરિકા, બ્રિટન અને સાથી યુરોપીય દેશોએ પોતાનાં ચલણ ડોલર, પાઉંડ અને યુરોને સંગીન હોવાનાં પ્રમાણ આપવાની માંગ પૂર્વના અને આફ્રિકાના દેશો તરફથી ન્યુ યુનોના માધ્યમે ઊભી થઈ છે. ન્યુ યુનો દ્વારા નિયુક્ત થએલી તપાસ એજન્સીઓએ એ સઘળા દેશોનો ભાંડો એ તારણ જાહેર કરીને ફોડ્યો છે કે તેમણે છેલ્લી અઢીએક સદીઓથી પર્યાપ્ત હૂંડિયામણની જાળવણી વગર પોતાની ટંકશાળોમાં દિવસરાત પોતાનાં ચલણો છાપ્યે રાખીને જગતને મૂર્ખ બનાવ્યે જ રાખ્યું છે.  આમ ન્યુ યુનોએ એ દેશોની આર્થિક અસલિયતને ખુલ્લી પાડીને દુનિયાને ચોંકાવી દીધી છે. વિશ્વબેંક હવે ન્યુ યુનોના સભ્યપદ હેઠળના લગભગ તમામ દેશો માટેનું એક સમાન ચલણ શરૂ કરવા તરફ જઈ રહી છે. આ ચલણ ન્યુ યુનો ઝોન હેઠળના સત્તાવાર ચલણ તરીકે સ્વીકૃતિ પામનાર હોઈ અમેરિકા અને બ્રિટન સિવાયના દુનિયાના તમામ દેશોએ પોતપોતાનાં ચલણોના બદલે આ નવીન ચલણને પોતપોતાનું સમર્થન આપી દીધું છે.

– વલીભાઈ મુસા

 
5 Comments

Posted by on December 24, 2013 in ભારત, લેખ

 

Tags: , , , , , , , , , , , , , , , , , , , ,