RSS

Tag Archives: વિવેચન

(૫૩૫) હાહાહા…હાસ્ય-હાઈકુનાં હાસ્યદર્શન – (૧ થી ૩)

‘મમ કવિતડાં’ના સંપાદનને આખરી ઓપ અપાઈ રહ્યો હતો, ત્યારે મમ મનડે એક વિચાર સળવળ્યો કે જેમ કોઈ કાવ્યનું રસદર્શન કરાવવામાં આવતું હોય છે, તેમ કેટલાંક પસંદગીનાં હાસ્ય-હાઈકુઓનાં હાસ્યદર્શનો વાચકોને કરાવ્યાં હોય તો ‘વલદા’ કેમનું રહે અને આ પ્રકરણ લખાવું શરૂ થઈ ગયું. જો કે હું માનું છું કે સાહિત્ય કે કોઈપણ કલાને અખંડ જ સુપેરે માણી શકાય અને એનું પૃથક્કરણ (Dissection) તો એના મર્મને, એના સૌંદર્યને હણી જ નાખે. આમ છતાંય કલારસિકોમાં એક એવો મત પણ પ્રવર્તતો હોય છે કે કોઈપણ કલાનું વિવેચન એ પણ આનંદપ્રદ હોય છે અને વાચકોનો એક એવો વર્ગ પણ હોય છે કે જેમને  એ પસંદ પણ પડતું હોય છે. ચાલો ત્યારે, આપણે આ સંગ્રહનાં કેટલાંક પસંદગીનાં એવાં હાસ્ય-હાઈકુઓનાં હાસ્યદર્શનોને માણીએ કે જેમના ઉપર મિત્રોએ ‘હાસ્યદરબાર’ બ્લૉગે હાહાકાર મચાવી દીધો હતો અને વિશ્વગુર્જર વાચકોએ પ્રતિભાવોનો ખડકલો કરી દીધો હતો.

અમેરિકાસ્થિત મારા મિત્ર સુરેશભાઈ જાનીની ભારત મુલાકાત ટાણે તેઓશ્રી અને હું ઋષિકવિ રાજેન્દ્ર શુક્લના નિવાસસ્થાને મળવા ગયા હતા. તેઓ, તેમનાં શ્રીમતી નયનાબેન, સુરેશભાઈ અને હું સાહિત્યની એવી દુનિયામાં ખોવાઈ ગયાં હતાં કે માત્ર અર્ધા જ કલાકની અમારી મુલાકાત ક્યારે મહેફિલ બની ગઈ તેની અમને ખબર પણ ન રહી અને અમારો પૂરા ત્રણ કલાકનો શો બની ગયો. અમારાં યજમાન કવિયુગલની કવિત્વકલાની સામે સાવ વામણા લાગીએ એવા અમે બંને પણ મહેફિલનો રંગ જાળવી રાખવા સંકોચસહ અમારું અપરિપક્વ કવિતડું વચ્ચેવચ્ચે મૂકતા જતા હતા. સુરેશભાઈએ પોતાની ડાયરીમાંથી કેટલીક કૃતિઓ સંભળાવી, તો મેં મારાં કેટલાંક હાઈકુ સંભળાવ્યાં હતાં. મુરબ્બીશ્રી રાજેન્દ્ર શુક્લ અને તેમનાં પત્ની નયનાબેન મારાં નીચેનાં બે હાઈકુ સાંભળીને ખૂબ જ ખુશ થયાં હતાં અને બેવડ વળીને ખડખડાટ હસી પડ્યાં હતાં.

ભોંય પછાડે,
કદલીફલ ત્વચા
ભલભલાને!

***

શ્વાનમાદાએ
હડકવા વોર્ડે જ
પ્રસવ્યાં બચ્ચાં!

મારી આ ઈ-બુકમાં ઉપરોક્ત હાઈકુઓ છે જ અને ત્યાં વાંચવામાં આવતાં  હસવું આવ્યું હોય તો પણ ફરીથી હસી શકો છો, કોઈ નિયમન નથી! વળી એ પણ કહી દઉં કે ઉપરોક્ત કવિયુગલ હસી પડ્યું હતું, માટે તેમના માનમાં તમારી પણ હસવાની ફરજ બની જાય છે તેમ પણ હરગિજ વિચારશો નહિ! હા.હાહા..હાહાહા…

આપ વાચકો વિચારશો કે ઉપર તો એ બંને હાઈકુઓની પ્રસ્તાવના જેવું થયું ગણાય, એમાં હાસ્યદર્શન ક્યાં આવ્યું! વાત સાચી છે! ભદ્રંભદ્રીય શબ્દો ‘કદલીફલ’ અને ‘ત્વચા’ના અનુક્રમે સરળ શબ્દો ‘કેળું’ અને ‘છાલ’ જાણ્યા પછી જ સામાન્ય વાચકને બીજીવાર હસવાનું થાય! અહીં હાઈકુકાર એ અઘરા શબ્દોને સભાનપણે એટલા માટે પ્રયોજે છે કે કોઈ પ્રખર પંડિતને એ વાંચીને થોડી ગલગલી થયા વિના રહે નહિ! બીજા હાઈકુમાં ‘શ્વાનમાદા’ પણ એવો જ શબ્દ છે, જેનો ‘કૂતરી’ એવો અર્થ છે. અહીં પણ પ્રયોજન તો એ જ છે, પણ હાઈકુ રચનાકારનો વિશેષ આશય એ છે કે તિરસ્કારયુક્ત એ શબ્દ જરા ‘શર્કરાવરણીય’ (Sugar coated) બની જાય! કેમ, પ્રાણીઓને પણ સ્વમાન જેવું હોય કે નહિ! સમય, ભરતી અને પ્રસવકાળ કોઈની રાહ જુએ નહિ; અને તે ન્યાયે આ બિચારી શ્વાનમાદા જતી તો હશે પ્રસુતિવિભાગ તરફ જ, પણ…પણ!!!   અહીં હડકવાની સારવાર અને તેનું કારણ પાસેપાસે જ જોવા મળે છે! અહીં કવિ કલાપીની એક કાવ્યકંડિકા પણ યાદ કરવા જેવી ખરી: ’દર્દીના દર્દની પીડા વિધિનેય દીસે ખરી, અરે! તો દર્દ કાં દે છે, ને દે ઔષધ કાં પછી?’

* * * * *

ગાલે  હથેલી!
પ્રિયે, અતીત  ખ્યાલે
કે દાઢ કળે?

જ્યારે વ્યક્તિ વીતી ગયેલા સમયને વાગોળવા બેસે, ત્યારે સહજ રીતે તેની આંગિક ચેષ્ટા ઉપર પ્રમાણે થઈ જતી હોય છે. કાવ્યનાયિકાને ગાલ ઉપર હથેળી દબાવીને બેઠેલી જોઈને કાવ્યનાયક તેણીની મજાક કરી લેવાનું ચૂકતા નથી અને પૂછી બેસે છે કે ‘પ્રિયે, તું અતીતના ખ્યાલે ખોવાઈ ગઈ છે કે પછી તારી દાઢ કળે છે?’ અહીં વાચકની દૃષ્ટિ આગળ સરસ મજાનું શબ્દચિત્ર રચાઈ જાય છે. હાઈકુની કદમર્યાદા ૧૭ અક્ષરની હોય છે અને તેને વાંચતાં વાચકને કદાચ પાંચથી સાત સેકંડ લાગે. હવે આવું હાઈકુ જો હાસ્યરસ નિષ્પન્ન કરતું હોય તો ચહેરા ઉપર ક્ષણિક હાસ્યની લહેર ફરી વળે અથવા ઓષ્ઠ આછેરું સ્મિત કરી બેસે; કંઈ મિનિટો સુધી ખડખડાટ હસી પડવાનું તો બને નહિ ને! હા, જો એ સ્થુળ હાસ્ય હોય તો ટેબલ ઉપર રકાબી ખખડે પણ ખરી, હોં કે!

‘હાસ્યદરબાર’માં મારા મિત્ર દિલીપભાઈ ગજ્જરે આ હાઈકુનું અનુહાઈકુ આવું આપ્યું હતું, ‘જોઈ રમણી, મન અતીત પ્રેમે, ચોકઠું હસે!’; જેના પ્રત્યુત્તરે મેં જણાવ્યું હતું કે, ‘પણ, પૂછું  છું કે ચોકઠું  જડબામાં  હસ્યું  કે પાણીના ગ્લાસમાં? પેલી  ફ્રિજની  ટીવી-Ad ની  જેમ  તે  ખૂલતાં  જ  પાણીના  ગ્લાસમાં  ઠંડીથી  ચોકઠું કડકડવા  માંડ્યું  હતું!’

* * * * *

ધૂમ્રપાનની
ઘૃણા તને! ફૂંકતી
તુંય શિયાળે!

વિશ્વભરમાં ધૂમ્રપાન-નિષેધની ઝૂંબેશ તો જોરશોરથી ચાલી રહી છે, પણ અહીં એ કુટેવનો કોઈ દુષ્પ્રચાર નથી; પણ બીજી જ કોઈક વાત અભિપ્રેત છે! મોટા ભાગના ઠંડા મુલક કે ઉષ્ણ પ્રદેશના કાતિલ ઠંડીવાળા શિયાળામાં માણસ બોલે ત્યારે મોંઢામાંથી વરાળ નીકળતી હોય છે. અહીં ધૂમ્રપાનનો વ્યસની પોતાની બચાવપ્રક્રિયા (Defence mechanism) અજમાવતાં હાઈકુનાયિકાને મજાકમાં કહે છે કે ‘તું પણ શિયાળામાં તો ફૂંકતી જ હોય છે ને!’ આ હાઈકુ જ્યારે ‘હાસ્યદરબાર’ ઉપર મુકાયું હતું, ત્યારે કેટલાંક ગુજ્જુ ભાઈબહેનોએ એ નાયિકા માટે ‘ધૂમ્રમુખી’ અને ‘ધૂમ્રફૂંકી’ જેવાં વિશેષણો પ્રયોજ્યાં હતાં. હાઈકુકારે એ નાયિકાના બચાવમાં આમ જણાવ્યું હતું : ‘શીત  દેશોમાં  અને  અન્યત્ર  શિયાળે  વહેલી  સવારે  સઘળે  ધૂમ્રમુખાઓ-ખીઓ  કે  ધૂમ્રફૂંકાઓ-કીઓ  જ  જોવા  મળે,  કુદરતી ધૂમ્રપાનના  કારણે  જ  તો  વળી! તો પછી આ  હાઈકુનાયિકા  બિચારી  ક્યાંથી  બાકાત રહે, કે તમે બધા લોકો તેના માથા ઉપર માછલાં ધોવા લાગી પડ્યા છો; બોલતા નથી એટલે, હેં!’

* * * * *

ભર નિદ્રાએ
ફરી ગયાં પડખું!
કર્યા શું કિટ્ટા!

જો કોઈ હાઈકુકાર હાસ્યહાઈકુઓ રચવા માટેનો કાચો માલ મોટા જથ્થામાં મેળવવા માગતો હોય તો ‘મધુર દાંપત્યજીવન’ એ મોટી ખાણ ગણાય છે. અહીં હાસ્યાસ્પદ જીવનના પ્રસંગો, કટાક્ષો, શબ્દચિત્રો, ઘર બહારનાં અને ક્વચિત્ ઘરની અંદરનાં ટીખળો, રમૂજો, રિસામણાં, મનામણાં વગેરે… વગેરે… અત્ર, તત્ર, સર્વત્ર વેરાયેલાં પડ્યાં હોય છે. આ હાઈકુની નાયિકા સામે મેદાને પડેલા પ્રતિભાવકોને તેણીના પક્ષે રોકડું પરખાવી દેતાં હાઈકુસર્જક કહે છે, ‘એ બાપડી ભર ઊંઘમાં હતી અને પડખું ફરી ગઈ, એમાં ક્યાં ‘કિટ્ટા’ ની વાત આવી! વળી એ મૂઓ એટલો મોડા સુધી જાગતો હશે, ત્યારે જ તેણે આ દૃશ્ય જોયું હશે ને! વળી પાછો વિચાર આવે છે કે આપણે એ બિચ્ચારાની દયા ખાવી જોઈએ કે એક સત્તર અક્ષરના નાનકડા ‘આત્મલક્ષી’ હાઈકુડા માટે એણે રાત્યોના ઉજાગરા કર્યા! ‘કુછ પાનેકે લિએ કુછ ખોના પડતા હૈ.’, નહિ!”

* * * * *

કોલ દીધેલ
રોટલા ટીપવાના,
પેઈંગ ગેસ્ટ!

વિધિની વક્રતા તે આનું નામ! પ્રેયસીએ પ્રણયફાગ ખેલતાંખેલતાં પ્રિયતમને વચન તો આપી જ દીધું હતું કે ‘તારા રોટલા તો હું જ ટીપીશ!’ અને સાચે જ એમ બનીને જ રહ્યું! ભાઈને પેલી બાઈના ત્યાં પેઈંગ ગેસ્ટ તરીકે જમવાના દહાડા આવ્યા, કેમ કે તે પરાઈ થઈ ચૂકી હતી! વિધાતા પણ કેટલીક વાર ભક્તજનોની પ્રાર્થનાઓના વાચ્યાર્થ પકડીને એમનું યાચેલું જરૂર આપે છે, પણ અન્ય સ્વરૂપે! આવા હજાર દાખલા સાંભળવા મળશે, પણ અહીં સ્થળસંકોચના કારણે ૯૯૮ પડતા મૂકું છું!

એક જણાએ એવું માગ્યું કે મને એવો ધનિક બનાવ કે હું નોટો ગણતાં થાકું અને ભાઈને પહેલા જ ઈન્ટરવ્યુએ બેંકના કેશિયરની નોકરી મળી ગઈ, તો વળી બીજા એક ભાઈને ટ્રાફિક પોલીસની નોકરી એટલા માટે મળી ગઈ હતી કે તેમણે ઈશ્વરને પ્રાર્થના કરી હતી કે તેમની આગળ અને પાછળ ગાડીઓ જ ગાડીઓ હોય!

આ હાઈકુ આપવામાં હસાવવાનો હેતુ ઓછો છે, પણ સલાહનો હેતુ વધુ છે કે ઈશ્વર પાસે કોઈ વરદાન માગો તો ચારેય બાજુની બધી જ શક્યતાઓનો ખ્યાલ રાખજો, નહિ તો મનની મનમાં જ રહી જશે!

* * * * *
નખ કરડે
થૈ તલ્લીન તું, આવે
વાનરી યાદ!

હાસ્યરસના કવિડા, જોકડા કે લેખકડાઓની એક બૂરી આદત હોય છે કે તેઓ ઓછા કે વત્તા પ્રમાણમાં ઘરવાળી કે ઘરવાળાં બાપડાંઓને પોતાની રચનાઓમાં ઘસડી લાવતા હોય છે. અહીં પણ એ પરંપરાને જાળવવા આ હાઈકુડો જાણીજોઈને પેલી બાપડીને Nail Cutter લાવી આપતો નથી, એટલા માટે કે કોઈક દિવસ  દાંતથી નખ કરડે તો મોટી કોઈ કવિતા નહિ; તો છેવટે હાઈકુ પણ લખી કાઢી શકાય! પણ એ ભાઈ હાસ્યહાઈકુના રસિયાઓને મનોરંજન પૂરું પાડવાની લ્હાયમાં એ પણ ભાન ભૂલી ગયા કે પરોક્ષ રીતે તો તેઓ પોતે પણ ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના નિયમનું એક ઉદાહરણ બની રહ્યા છે!

* * * * *

ઘૂંઘટ ખોલે
શૌહર, શરમાતાં
શરમ આવે!

આ હાઈકુનો નાયક છે, શૌહર (ફારસી) – જો જો પાછા મેં ‘ફારસી’ શબ્દ ભાષા દર્શાવવા મૂક્યો છે, એટલે એને ફારસ કરવાવાળો (નાટકિયો) એ અર્થમાં લેતા નહિ!  ‘શૌહર’ના શબ્દકોષે અને મુખવચને ઘણા અર્થ થાય છે – જેવા કે સ્વામી, પતિ, વર, ધણી, ભરથાર,  માટીડો, પિટ્યો, રોયો, ‘એવા એ’, ‘અલ્યા એય’, ‘તમારા ભાઈ’, સંતાન હોય તો ‘બાબલાના બાપા’ (ચોથા ભાગની બા), ‘કહું છું’, ‘સાંભળો છો કે’, અંગ્રેજીમાં Husband  જેનો ધોકલાં ધબેડીને ગુજરાતીમાં એવો ભાવાર્થ લાવી શકાય કે જે હસતાં હસતાં બંડ પોકારે (જા, આ હું નથી કરતો એમ કહીને!), ખાવિંદ (ખાWind – હવા ખા, હવા!) – ‘બસ, બસ ઘણું થઈ ગયું; હવે આગળ વધશો કે!’ એવું તમારા વાચકો પૈકીના કોઈકના ગેબી અવાજે સંભળાયું હોઈ હવે તો મારે આગળ વધવું જ પડશે.

જૂની કોઈક હિંદી ફિલ્મની કડી ‘ઘૂંઘટ નહિ ખોલુંગી, સૈયા તોરે આગે!’ને પેલી બાઈડી બબડી કે એવો આભાસ થયો સમજીને એ શૌહરભાઈ મનમાં ‘જાતમહેનત ઝિંદાબાદ’ કહીને તેણીનો ઘૂંઘટ ખોલે છે. હવે પેલી બાઈ પક્ષે વેવાર તો એ કહે છે કે તેણે શરમાવું પડે! પણ જિંદગીમાં પહેલુંવહેલું શરમાવાનું આવ્યું અને પાછો શરમાવાનો કોઈ અનુભવ પણ નહિ (કેમ કે એ મૂઓ પહેલો જ ધણી હતો!), એટલે બાપડીને શરમાતાં શરમ તો આવી, છતાંય શરમાતાં શરમાતાં પણ તે શરમાઈ ગઈ – જખ મારીને તેને શરમાવું પડ્યું! મનોમન બોલી પણ ખરી, ‘શું કરીએ બાઈ, બધી કન્યાઓની જેમ શરમાવાનો વેવાર તો કરવો પડે ને! બાકી આ બેશરમ ગધેડાએ આ પરણવાના દહાડા લાવવા પહેલાં એટલી બધી ડેટીંગ, વાતચીતની ફેકંફેક અને બેટીંગ કરી છે કે શરમાવાનું કંઈ બાકી રાખ્યું જ નથી!’

* * * * *

સજ્જ ઘરેણે!
મોબાઈલ શોરૂમ!
પિયુ જૌહરી!

આ કોઈ નક્લી ઝવેરાત (અમેરિકન ડાયમન્ડ)ના જમાનાની વાત નથી. ગુજરાતના ગાયકવાડ સ્ટેટ (બરોડા સ્ટેટ)માં ચોરીચખાલીની બાબતમાં લોકો સલામત હતા. ગાયકવાડ મહારાજાની એટલી બધી હાક હતી કે એમ કહેવાય છે કે બકરીના ગળામાં સોનાની હાંસડી પહેરાવીને  તેને ચરવા છૂટી મૂકી દીધેલી અને કોઈ ચોરની માના લાલની તાકાત નહોતી કે એ હાંસડીની ઊઠાંતરી કરે! (“દેખ બિચારી બકરીનો પણ કોઈ ન પકડે જાતાં કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિંદુસ્તાન!” પંક્તિવાળી એક જૂની કવિતા કોઈને યાદ આવે છે કે?)

આ પૂર્વભૂમિકા આપવી એટલા માટે જરૂરી લાગી કે આ હાઈકુના સંદર્ભે કોઈ માઈનો લાલ એવી શંકા ન ઊઠાવે કે એ ભાયડો પોતાની બાઈડીને ઘરેણેથી લાદીને  આમ કેવી રીતે બહાર ફરવા લઈ જઈ શકે?

લ્યો, હવે આપણા હાઈકુના પાટે ચઢીએ તો અસલી રહેમતુલ્લા સો ટચના સોનાનાં ઘરેણાંથી લદાએલી સાવ જુવાનડી સાંઢણી જેવી એ બાઈડી નખશિખ સોને મઢેલી નિર્ભયતાપૂર્વક હાલી જાય છે અને આ હાઈકુકાર (વલદાભાઈ)ની કલ્પના તો એવી તોફાને ચઢી અને એમને તો એમ જ દેખાવા માંડ્યું કે એ સજ્જ ઘરેણે બાઈડી એ માત્ર બાઈડી જ નહિ, પણ જરઝવેરાતનો  કોઈ  મોબાઈલ  શોરૂમ જાણે  કે રસ્તે ફરી રહ્યો હોય અને સાથે ચાલી રહેલો તેનો પિયુ એટલે કે પ્રીતમ એટલે કે ભાઈડો, એટલે કે … એટલે કે જે ગણો તે…  જાણે ઝવેરી ન હોય!

“McKenna’s Gold” મુવી જેમણે જોયું હશે, ‘Arabian Nights’ની  ‘અલીબાબા અને ચાલીસ ચોર’ની વાર્તાઓમાં જેમણે સોનાના ખજાનાઓ વિષે જાણ્યું હશે અને ‘Gold Bug’માંની સાંકેતિક ભાષામાં ખજાનાની શોધ માટેની ચિઠ્ઠી જેમણે વાંચી હશે; તેમના ગળે આ હાઈકુની નાયિકારાણીનાં ઘણામાં ઘણાં માત્ર એકાદ બે કિલોનાં ઘરેણાંની વાત સાવ આસાનીથી ઘીથી  લથબથ શીરાની  જેમ  ગળે ઊતરશે  જ તેમ માની  લેવાનું મન મનાવીને  હું  મારી  મરજીથી  અત્રેથી  વિરમું છું. તથાસ્તુ! ધન્યવાદ!

(ખાસ આ રાજસ્થાની શબ્દ એટલા માટે પ્રયોજું છું કે રાજસ્થાની લોકોને સોનું ખૂબ પ્રિય હોય છે!)

* * * * *

‘સાંભળો છો કે!’
સાંભળવાનું ગમે
થઈ બધિર!

‘તમે સાંભળો છો કે નહિ?’ ધ્રુવપંક્તિવાળું અમારા સ્થાનિક સમાજમાં પ્રચલિત એવું આ એક નિર્દોષ લગ્નગીત છે. નિર્દોષ એટલા માટે કે ફટાણા (Nasty) પ્રકારનું બીભત્સ કે અશ્લીલ એ ગીત ન હોવા ઉપરાંત અન્ય કોઈ એવું એકેય લગ્નગીત આ સમાજમાં સાંભળવા નહિ મળે કે જે લોકમર્યાદાનું  ઉલ્લંઘન  કરતું  હોય  કે  કોઈ ઔચિત્યભંગ  થતો હોય! ‘તમારા શેંને ફૂટ્યા કાન? તમે સાંભળો છો કે નહિ?’ આગળ વળી આવે છે ‘અમે તો કહી કહીને થાક્યાં, તમે સાંભળો છો કે નહિ?’ લગ્નપ્રસંગે વર અને કન્યાપક્ષે નિર્દોષ આનંદ લૂંટવા માટે સવાલ-જવાબ રૂપે આવાં ગીતોની રમઝટ બોલાતી હોય છે.

મારા  વિદ્વાન વાચકોને  મારી ઉપરોક્ત પ્રસ્તાવના કદાચ અપ્રસ્તુત લાગશે, પણ મારા મને એ સહેતુક છે; એટલા માટે કે પેલી કન્યા આ લગ્નગીતની ધ્રુવવપંક્તિને જીવનભર પદ્યમાં તો નહિ, પણ ગદ્યમાં પોતાના પતિને સંભળાવ્યે જ રાખે છે. ‘સાંભળો છો કે!’ એ ‘Three in one’ વિધાન છે. એક, નામ બોલવાના વિકલ્પે અધ્યાહાર સંબોધન; બે, પોતાની વાત ધ્યાનથી સાંભળવામાં આવે તેવી તાકીદ; અને ત્રણ, કાં તો સાચે જ પતિમહાશય  બધિર (બહેરા)  હોય  પણ  ખરા!

પરંતુ, આપણા હાઈકુ-Hero તો ‘સાંભળો છો કે!’ વારંવાર સાંભળવા માટે જાણી જોઈને બહેરા થવા ઇચ્છે છે. કારણ? કાં તો પેલી બહેનડ કોકિલકંઠી હોય, કાં તો પછી તે ગળે રૂપાની ઘંટડી બાંધીને ફરતી હોય; જે હોય તે, પણ ભાઈજીને ભાર્યાનો મધુર અવાજ સાંભળવો ગમે છે. તો વળી સામા પક્ષે જીવનભર કોઈ મનોવૈજ્ઞાનિક પ્રયોગ તો કરવામાં નહિ આવી રહ્યો હોય કે પેલા ભાઈ ખરે જ માનસિક રીતે બહેરા થતા જાય કે જેથી દાંપત્યજીવનમાં  તેમનું  બોલવાનું  ઓછું  થતું  જાય  અને તેઓશ્રી પેલી ચતુર નારના  કહ્યાગરા  કંથ બની રહે!

* * * * *

કરડી ખાધી
આંગળી તમ યાદે
લોજટેબલે!

જેનો પતિ બહારગામ (વિદેશ) ગયો હોય તેવી સ્ત્રી માટે ગુજરાતીમાં બહુ જ ભારેખમ શબ્દ છે ‘પ્રોષિતભર્તૃકા’ અને આનો વિરોધી શબ્દ છે ‘પ્રોષિતપત્નીક’. સામાન્યત: બધા જ પ્રોષિતપત્નીકો સ્વયંપાકી (જાતે રાંધીને ખાનાર) નથી હોતા, પરિણામે ભાંગ્યાના ભેરુ અને સુખદુ:ખના સાથી તરીકે તેમના માટે લોજ  જ  સહારો બની રહે છે. ‘રાણાજીના ભાલે ભાલો’ ન્યાયે હું પણ મોટા ભાગના ગુજ્જુઓની જેમ અંગ્રેજી શબ્દ Lodge નો અવળો અર્થ અહીં ‘વીશી’ જ કરું છું; બાકી, Lodge નો ખરો અર્થ ‘નિવાસ-સ્થાન’ અને Boarding નો અર્થ ‘વીશી કે ભોજનાલય’  થાય  છે.

આપણે હાઈકુ માથે આવીએ તો અહીં હાઈકુનાયક લોજના ટેબલે ભોજન આરોગી રહ્યા છે, પણ પત્નીનો વસમો વિયોગ તેમને સતાવી રહ્યો છે. પત્નીની યાદમાં ખોવાઈ ગએલા તેઓશ્રી મોંઢામાં કોળિયો મૂકતાં પોતાની આંગળીને બચકું ભરી બેસે છે. પત્નીની વિવિધ ભૂમિકાઓમાં એક છે ‘ભોજ્યેષુ માતા’; પણ વીશીનો મહારાજ ગમે તેવું ઉત્તમ ખાવાનું બનાવે, તો પણ પોતાની મૂછો અને મર્દાના વેશભૂષાના કારણે તે ‘માતા’ તો શું ‘માસી’ (માશી= મા જેવી)નું સ્થાન પણ ન જ લઈ શકે!

નોંધ : –

‘પ્રોષિતપત્નીક’ જેમાં વાર્તાનાયક છે, તેવી નર્મમર્મ શૈલીમાં લખાએલી શ્રી રા. વિ. પાઠક સાહેબ (દ્વિરેફ) ની વાર્તા ‘જક્ષણી’ વાંચવા જેવી છે.

* * * * *

ભલે રૂઠ્યાં, ના
મનાવું, લાગો મીઠાં,
ફુલ્યા ગાલોએ!

દાંપત્યજીવનમાં સંવાદિતાનું સાતત્ય પણ કેટલીકવાર અભાવું બની જતું હોય છે. થોડીક વિસંવદિતા પણ કોઈકવાર એટલા માટે જરૂરી બની જાય છે કે જેથી સંવાદિતાનું પરીક્ષણ થતું રહે. દંપતી વચ્ચે થતી હળવી નોકઝોક, ખેચમતાણ કે ટપાટપી (ટપલાટપલી નહિ, હોં કે!) સુખી દાંપત્યને પોષક બની રહે છે. આપસી મતમતાંતરો કે મતભેદોનું નિવારણ હળવાશથી કરવામાં આવે તો ઉભયની વચ્ચે કોઈ મનભેદનું કારણ રહેતું નથી. આથી જ તો આપણા હાઈકુનાયક કોઈ કારણે રિસાયેલી પત્નીને મનાવવાના બદલે તેને એ જ સ્થિતિમાં ચાલુ રહેવાનું એમ કહીને સૂચવે છે કે તેણી ફુલ્યા ગાલોએ મધુર લાગે છે. કહેવાની જરૂર ખરી કે હાઈકુનાયકના આ વિધાનથી હાઈકુનાયિકા હસી પડ્યા વગર રહી શકી હોય! સ્ત્રીને માનુની અર્થાત્ માનભૂખી પણ ગણવામાં આવે છે. તેણીનો આ સંવેગ એટલો નાજુક અને સંવેદનશીલ હોય છે કે તે નાના બાળકની જેમ પળવારમાં રિસાઈ પણ જાય અને પળવારમાં મનાઈ પણ જાય!

વૃદ્ધજનો, વનિતાઓ અને વ્હાલસોયાં(શિશુઓ)ને રિસાવવાં આસાન છે, પણ રિઝવવાં મુશ્કેલ છે. મારી જેમ શીઘ્ર હાસ્યકવિ નહિ તો છેવટે હાસ્યહાઈકુકાર કે પછી ફોસલાવ કે પટાવકલામાં પાવરધા પુરવાર થઈ શકો તો એ કામ ડાબા હાથના ખેલ જેવું આસાન પણ બની શકે છે!

* * * * *

ધૂપવર્ષાએ,
શકટ ઓઢે શ્વાન!
મિથ્યા ગર્વ ક્યાં?

ભક્ત  કવિ  નરસિંહ  મહેતા  ઝૂલણા  છંદમાંના  પોતાના  એક  પ્રભાતિયામાં   આમ  કહે  છે :

‘હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા,
શકટનો ભાર જ્યમ શ્વાન તાણે!’

ગાડા નીચે ચાલતું શ્વાન મિથ્યા ગર્વ કરે છે એમ કહીને કે પોતે જ ગાડું ખેંચે છે! વાસ્તવમાં એવું નથી, કેમ કે સૌ કોઈ જાણે છે અને ખુદ શ્વાન પણ જાણે છે કે શકટને ખરેખર તો ધોરીડા (બળદ) જ ખેંચી રહ્યા છે! બળદોની ગરદનો ઉપર ધૂંસરી મંડાએલી છે, નહિ કે શ્વાનની ગરદન ઉપર!  એ  જમાનામાં કોઈ મેગ્નેટિક ધૂંસરી અથવા એ શ્વાનના ગળે એવો કોઈ મેગ્નેટિક પટ્ટો હોવાની પણ શક્યતા નથી. વળી બે Bullock Power જેટલા વજનવાળા એક ગાડાને એક Dog Power વાળું અને વળી તેવું એક જ પ્રાણી ગાડું ન જ ખેંચી શકે!

ઘણીવાર શ્રાવ્ય હકીકત કરતાં દૃશ્ય હકીકત વધારે સંગીન હોય છે. પણ, અહીં તો દૃશ્ય હકીકત જ પહેલી નજરે ખોટી પડે છે. અહીં કવિશ્રીનું અનુમાન છે કે એ શ્વાન મનોમન એમ વિચારતું હશે અને પોતાના મનને એ રીતે મનાવતું હશે! આવી  ધારણા  ઉપર એક  દૃષ્ટાંત તરીકે એ દૃશ્યની મદદ  લઈને  માનવજાતની  અજ્ઞાનતાની ઠેકડી ઊડાડવામાં આવી છે.

પણ… પણ…અહીં એ દૃશ્ય ઉપરના ઉપરોક્ત  હાઈકુના હાઈકુકારની ધારણા તો સાવ જુદી જ છે. ધોમધખતા ઉનાળામાં કે વર્ષા ઋતુમાં માનવી જેમ છત્રી ઓઢે છે, બસ તે જ રીતે એ દેશી છતાં બુદ્ધિશાળી એ શ્વાનને એક ગામથી બીજે ગામ જવું છે.  નજર સામે જ ચાલ્યા જતા એ ગાડાનો પોતે લાભ ઊઠાવે છે! જય હો!

-વલીભાઈ મુસા

 

 

Tags: , , , , , , , , , , , , , ,

(૪૨૩) એક ધ્રુવપંક્તિ ઉપરનો મારો પ્રતિભાવ

મિડલ-ઈસ્ટ ક્રાઈસિસ

♥ પંચમ શુક્લ

ઢાંકણીમાં પાણી કે પાણીમાં ઢાંકણી એ કળવું ઘણું મુશ્કેલ છે,
આ કોયડો છે એટલો કાતિલ કે એનો ના સહેલો ઉકેલ છે!

 રેતીમાં મૃગજળ ને મૃગજળમાં ઊભી છે આભ અડે એવી ખજૂરી;
પડછાયા ચાવે છે ઊંટના અઢાર જેવી વાયરાને વળગેલી ઘૂરી,
એકીટશે જોઈ રહી નિર્જળ આંખોમાં મરૂભૂમિનું શોણ રેલમછેલ છે!
ઢાંકણીમાં પાણી કે પાણીમાં ઢાંકણી એ કળવું ઘણું મુશ્કેલ છે!!

તણખામાં ભડકો ને ભડકામાં વિશ્વ ખાખ થાવાની ના કોઈને ધારણા;
હાથ પગ તાપી ને ઓઢી રજાઈ એય! સૂવાની સહુને છે એષણા,
મીંઢી કહો કે પછી મસ્તરામ અલગારીનિયતિ નરી વંઠેલ છે!
ઢાંકણીમાં પાણી કે પાણીમાં ઢાંકણી એ કળવું ઘણું મુશ્કેલ છે!!

૧-૧૨-૨૦૦૯

પ્રતિભાવ :

કાવ્યકૃતિના વાંચન પછી મૌન ધારણ કરવાનું મુશ્કેલ લાગ્યું આ પંક્તિ થકી કે “ઢાંકણીમાં પાણી કે પાણીમાં ઢાંકણી એ કળવું ઘણું મુશ્કેલ છે”! આજે વિવેચને ન જતાં ‘આ’માં ‘તે’ કે ‘તે’માં ‘આ’ જેવાં બે દ્વંદ્વની વાત કરવી છે અહીં, હાસ્ય નિષ્પન્ન કરવા માટે જ તો વળી! વાંચકોને લાગશે કે અહીં મધ્ય પૂર્વની કટોકટી જેવી ગંભીર અને વિષાદમય પરિસ્થિતિમાં હાસ્યની છોળો ઊડાડવી એટલે વિવાહમાં મરશિયા ગાવા જેવી ધૃષ્ટતા ન ગણાય! ભાઈ-બાઈ, જે ગણાય તે ભલે ગણાય; હું તો કહીને જ રહીશ. મારે કાવ્યના વિષયવસ્તુ સાથે નહિ, પણ પંચમભાઈની આ પંક્તિ પૂરતી તેના અર્થ કે ભાવની ચમત્કૃતિ સાથે જ નિસ્બત છે.

[મારે હાંસિયા (કૌંસ)માં હાલ તો એટલું લખવું જ પડશે કે મ.પૂ.ની કટોકટી એ પશ્ચિમના દેશોના દિમાગમાંની ઈરાક અને અફઘાનિસ્તાનવાળી ભ્રામક પેદાશ જ છે. અહીં ‘તેં નહિ તો તારા બાપદાદાઓએ પાણી બોટ્યું હશે!’ જેવી પેલા વરુએ બકરાને ફાડી ખાવા પૂર્વે કહ્યા જેવી મલિન ઈરાદા ધરાવતી રાજનીતિપ્રેરિત આ સુફિયાણી વાત છે! અહીં તેમના માટે તો વિવાહમાં મરશિયા નહિ, પણ મરશિયા ગાવાની દુ:ખદ વેળામાં વિવાહનાં ગીતો ગાવાની મજાકભરી તેમની ધૃષ્ટતા છે!!!]

આટલા સુધીની આડવાતના અતિ વિસ્તારની ગુસ્તાખી બદલ માફી સાથે મૂળ મુદ્દે આવું તો પંચમભાઈની આ પંક્તિમાંની વાત ‘પગમાં બુટ!’ કે ‘બુટમાં પગ!’ જેવી તો ન જ ગણાય, કેમ કે તેમાં તો શું કહેવામાં આવી રહ્યું છે તે સમજાય છે! પણ, અહીં બીજી એક એવી વાત છે કે જેમાં એ કળવું મુશ્કેલ લાગશે કે “….”. જમીન સુધારણા માટે ખાડા ખોદવાની યોજનામાં છેલ્લે ભેગા થએલા ખાડાઓના ક્ષેત્રફળના આંકડાઓનો સરવાળો દેશના કુલ ક્ષેત્રફળ કરતાં વધી જાય ત્યારે આપણને એ કળવું મુશ્કેલ લાગે જ કે “દેશમાં ખાડા કે ખાડામાં દેશ?”

“ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે!” ને એવી રીતે સમજી શકાય કે ‘લાંચરુશ્વતનો ઘાટ ઘડ્યા પછી અને તેને પાર પાડ્યા પછી કે તે પહેલાં લેતીદેતીની પ્રક્રિયાના થતા આ વ્યવહારને ભલેને ઈનામ, બક્ષિસ, મહેનતાણું કે ચાપાણી જેવાં જૂજવાં નામ આપવામાં આવતાં હોય પણ અંતે તો એને ભ્રષ્ટાચાર જ કહેવાય!!!!!


Thanks Valibhai.

જમીન સુધારણા માટે ખાડા ખોદવાની યોજનામાં છેલ્લે ભેગા થએલા ખાડાઓના ક્ષેત્રફળના આંકડાઓનો સરવાળો દેશના કુલ ક્ષેત્રફળ કરતાં વધી જાય ત્યારે આપણને એ કળવું મુશ્કેલ લાગે જ કે “દેશમાં ખાડા કે ખાડામાં દેશ” .

વલીભાઈ, તમે તો ગીતના ધ્રુવપદને તરત સમજી શકાય એવી વિડંબના દ્વારા નવો આયામ આપી દીધો. (પંચમ શુક્લ)

-વલીભાઈ મુસા

 

 

Tags: , , , , , ,

(૩૫૧) રમેશ પટેલ ‘આકાશદીપ’ કૃત ‘કાવ્યસરવરના ઝીલણે’ કાવ્યસંગ્રહ ઉપરની મારી પ્રસ્તાવના

ગુજરાતી સાહિત્યજગતને પોતાના ‘સ્પંદન’, ‘ઉપાસના’ અને ‘ત્રિપથગા’ એવા ત્રણ કાવ્યસંગ્રહોના તેજપુંજ થકી અજવાળનાર ‘આકાશદીપ’ ઉપનામધારી, નિવૃત્ત વીજેજનેર, એવા માન્યવરશ્રી રમેશભાઈ પટેલ હવે પોતાની પ્રથમ ઈ-બુક ‘કાવ્યસરવરના ઝીલણે’ દ્વારા ગુજરાતી નેટજગતમાં પદાર્પણ કરી રહ્યા છે. ‘ત્રિપથગા’ના વિમોચનટાણે સાહિત્યધુરંધરોએ તેમને જે શબ્દોમાં નવાજ્યા છે તેના તોલે તો કદાચ નહિ જ આવી શકે તેવી અવઢવ સાથે હું તેમના માટે અને તેમની કવિતાઓ માટે એકમાત્ર ‘પોલાદી’ વિશેષણ વાપરવા માગું છું. રમેશભાઈના ચાહકો આ ‘વિવેચક’ને એટલે કે મને મનમાં કદાચ ‘બબુચક’ તરીકે સંબોધશે, એટલા માટે કે કવિ અને તેની કવિતા તો ઋજુ  હોય, તો પછી અહીં ઉભય માટે ‘પોલાદી’ વિશેષણ પ્રયોજાય શાને! આ વાતનો સંક્ષિપ્તમાં ખુલાસો એ જ કે રમેશભાઈનાં કાવ્યો અને તેઓ પોતે તકલાદી નથી. બ. ક. ઠાકોરનાં કાવ્યો માટે એક કાળે વિવેચકોએ ‘કઠોર’ શબ્દ પ્રયોજ્યો હતો અને તેમનાં કાવ્યોની અર્થ-રસ-ગ્રહણની પ્રક્રિયાને ‘નારિકેલપાક’’ની ઉપમા આપી હતી. અહીં રમેશભાઈનાં કાવ્યો માટે ‘પોલાદી’ શબ્દ ‘સમજવા માટે દુષ્કર’ એ અર્થમાં મેં નથી પ્રયોજ્યો, પણ તેમનાં કાવ્યો નક્કર છે, ‘આકાશ’ના એક અન્ય અર્થ ‘પોલાણ’ની જેમ નહિ! તેમનાં કાવ્યો, કાવ્યોની પંક્તિઓ અને પંક્તિઓમાંના શબ્દો સઘળાં અર્થસભર, ચિંતનશીલ, લયબદ્ધ, એકબીજાનાં પુરક અને એકબીજાને ઉપકારક બની રહે છે.

હું કોઈ પૂર્ણકાલીન કે અંશકાલીન સાહિત્યનો કોઈ વિવેચક નથી.  મારા બ્લોગ ઉપર મારા કેટલાક બ્લોગર મિત્રોનાં કાવ્યો કે લેખો ઉપરના મારા પ્રતિભાવો, કેટલાંકનાં ચરિત્રચિત્રણો અને હ્યુસ્ટનસ્થિત મારા મિત્ર શ્રી વિજયકુમાર શાહનાં બેએક પુસ્તકો ઉપરનાં મારાં અવલોકનો એવી કેટલીક સામગ્રી થકી હું મારી તેરમી અને હાલ પૂરતી આખરી ઈ-બુક ‘સમભાવી મિજાજે’ ને આજકાલમાં પ્રસિદ્ધ કરવામાં હતો. મારી આ પ્રસ્તાવના કદાચ મારા એ પુસ્તકનું એક પ્રકરણ બની રહે, કેમ કે રમેશભાઈએ મને આની આગોતરી સંમતિ આપી જ દીધી છે. આવાં અવલોકનો, પ્રતિભાવો, પ્રસ્તાવનાઓ કે સમીક્ષાઓ એવા લેખક્ની જ સ્વઉપાર્જિત મૂડી ગણાતી હોય છે, પણ મારી પ્રણાલિકા એ રહી છે કે મારાં આ પ્રકારનાં લખાણોના આધારરૂપ કૃતિઓના કર્તાઓની સંમતિ હું મેળવતો જ હોઉં છું, કારણકે આને હું સાહિત્યજગતનો શિષ્ટાચાર ગણું છું અને તેવી કૃતિઓને મારા સર્જનના બીજરૂપ સમજતો હોઉં છું. મારા જીવનના બ્લોગીંગ શરૂ કરવા પહેલાંના છેલ્લા ત્રણેક  દશકાઓ દરમિયાન મારી ધંધાકીય વ્યસ્તતાના કારણે હું સાહિત્યવાંચનથી અલિપ્ત થઈ ગયો હતો અને તેથી જ મારા વિવેચનની એક મર્યાદા રહેતી હોય છે કે હું વર્તમાન સાહિત્ય કે તેવા સાહિત્યકારોને તેમના ઉલ્લેખો થકી ઉચિત ન્યાય આપી શકતો નથી. જો કે શ્રી વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદીના મંતવ્ય મુજબ વિવેચકે તો જે તે કૃતિ સાથે જ જોડાએલા રહીને તેની રમણીયતાને સમજવાની અને સમજાવવાની હોય છે. તેણે પર્યવસાયી (અંતિમવાદી) બનીને કૃતિ વિષેના કોઈ ચુકાદાઓ સંભળાવવાના નથી હોતા, પણ સર્જકે અનુભવેલી તેના સર્જન વખતની આનંદ- સમાધિના સ્વરૂપને તપાસવાનું હોય છે. આ પ્રસ્તાવનાના વાચકો અને આ કાવ્યસંગ્રહના કવિએ પણ છેલ્લે એ જ તપાસવાનું રહેશે છે કે મારા આ વિવેચનલેખમાં હું કેટલા અંશે સફળ કે નિષ્ફળ રહ્યો છું.

ભાઈશ્રી ‘આકાશદીપ’ના આ કાવ્યસંગ્રહમાં કાવ્યપ્રકારો અને વિષયોનું વૈવિધ્ય જોવા મળે છે. મારી ધારણા મુજબ તેમણે લગભગ બધા જ કાવ્યપ્રકારો ઉપર પોતાનો કાવ્યકસબ અજમાવ્યો છે. તેમનાં કેટલાંક ઊર્મિકાવ્યો વિષે કંઈક લખવા પહેલાં મારા પોતાના બ્લોગ ઉપરનાં ‘મારાં ઊર્મિકાવ્યો’ લેખની પ્રસ્તાવનામાં મેં એક જ લીટીમાં તેની જે વ્યાખ્યા આપી હતી તેને રજૂ કરીશ. એ શબ્દો હતા : ‘Lyric is a poem that expresses the personal feelings of the lyricist’. આ વ્યાખ્યા મારી પોતાની મૌલિક હોવાનો મારો કોઈ દાવો નથી, કેમ કે અનુસ્નાતક સુધીના મારા અંગ્રેજી અને ગુજરાતીના વિશાળ વાંચનના પરિપાકરૂપે આ કે આવી કોઈ વ્યાખ્યાઓ મારા કે કોઈનાય મનમાં આકાર લઈ શકે છે. મારા કથનના મૂળ રાહે હું આવું તો મારે કહેવું પડશે કે રમેશભાઈએ ઊર્મિકાવ્યની ઉપરોક્ત વ્યાખ્યાને પોતાનાં અનેક કાવ્યોમાં સાર્થક કરી બતાવી છે. ‘આટલું વ્હાલ કેમ ઢોળે?’ કાવ્યમાંની આ કડી કવિના હૃદયોલ્લાસને વ્યક્ત કરે છે:‘ઝૂમી ઝૂમી ફૂલડે એ શું ખોળે/ સખી, વાયરા આટલું વ્હાલ કેમ ઢોળે?’. મારા સમગ્ર કાવ્યસંગ્રહના ઝીણવટભર્યા અવલોકનમાં મને દેખાયું છે કે તેમણે તેમનાં ઊર્મિકાવ્યોમાં ક્યાંક વિષાદને તો ક્યાંક ઉલ્લાસને અભિવ્યક્ત કર્યો છે. સાહિત્યજગતમાંની સનાતન એક વ્યાખ્યા ‘શીલ તેવી શૈલી’ મુજબ અતિ સંવેદનશીલ જીવ એવા રમેશભાઈએ પોતાની રચનાઓમાં પોતાના હૃદયની સઘળી સંવેદનાઓને  નીચોવી દઈને તેમણે આ કાવ્યસંગ્રહ દ્વારા આપણા સુધી પહોંચાડી છે.

ગુજરાતી બ્લોગજગતના અન્ય એક મહાનુભાવ જુગલકિશોર વ્યાસશ્રી ક્યાંક કવિતા વિષે લખે છે,‘… અને ચિત્તને કોઈ અગમ્ય તરફ લઈ જાય તેવું કૌશલ્ય બતાવે તે પણ કાવ્યની જ એક અનન્યતા છે’. રમેશભાઈ પોતાનાં માત્ર ઊર્મિકાવ્યો જ નહિ, પણ તમામ કાવ્યપ્રકારોમાં આ વિધાન મુજબનું પોતાનું અનન્ય કૌશલ્ય બતાવે છે. એ જ જુગલકિશોરભાઈએ સાવ દેશી શબ્દોમાં ‘કાવ્ય’ને એમ સમજાવતાં આગળ લખ્યું છે કે ‘… મહત્વની વાત જ એ છે કે ભાવ કે વિચાર આપણને સ્પર્શી જાય, ઝણઝણાવી મૂકે તોય આપણને એનો ભાર ન રહે કે એનાથી ધરવ ન થાય અને વારંવાર એને માણવા મન રહે, ત્યારે આપણી કાવ્યમીમાંસાના પંડિતો (વિવેચકો) તેને ‘કાવ્ય’ કહે છે.’ રમેશભાઈનાં ‘અમારા હાલ’, ‘તરુ આપણું સહિયારું’, ‘હું માનવને ખોળું’ વગેરે  જેવાં કાવ્યો જુગલકિશોરભાઈની આ વાતની સાક્ષી પૂરે છે. “રટે રાધા” માંની પંક્તિઓ ‘કા’ન કુંવરના મોરલાના છોગે, સખી મારી નજરું ગૂંથાણી / વૃન્દાવનની વાટે ભૂલીને ભાન હું ભોળી ભરમાણી / રટે રાધા!  કા’નાના કામણે ચૂંદડીના પાલવડે પ્રીત્યું બંધાણી./’ વગેરે આપણને કવિ દયારામની યાદ અપાવી જાય છે; યાદ કરો “દયારામ રસસુધા” ની રચનાઓ ‘શ્યામ રંગ સમીપે ન જાવું’ કે પછી ‘રાતલડી કોની સંગે જાગ્યા ઘાયલ છોજી, કેઈનાં નેનબાણા વાગ્યાં!’.

રમેશભાઈનાં પ્રકૃતિકાવ્યોમાંની તેમની નિરૂપણકલા એટલી સહજ અને રમણીય હોય છે કે તેવી કૃતિઓને વાંચતાં  આપણે જે તે ઋતુ કે પ્રાકૃતિક વાતવરણનો અનુભવ કરતા હોઈએ તેવું જ આપણને લાગે. આમ આવાં કાવ્યો આપણા માટે ‘સ્પંદન’ સમાન બની રહે છે. કવિએ પોતે રચેલા જે તે કાવ્ય વખતે તેણે અનુભવેલાં સ્પંદનો (waves)ને એ કાવ્યના માધ્યમ  દ્વારા વાચકમાં અનુકંપિત કરાવી શકે તો અને માત્ર તો જ એ કાવ્યને અને તેના કવિને સફળ ગણાવી શકાય. આખા કાવ્યસંગ્રહમાં આપણને મોટી સંખ્યામાં આવાં પ્રાકૃતિક વર્ણનનાં કાવ્યો મળી રહેશે. કવિ ન્હાનાલાલના આવા એક કાવ્યની પંક્તિઓ ‘ઝીણા વરસે મેહ, ભીંજે મારી ચુંદલડી’ વાંચતાં જેમ કાવ્યનાયિકાની સાથે આપણે પણ ભીંજાઈ જઈએ; બસ, તે જ રીતે, રમેશભાઈ પોતાના ‘સિંધુના બિંદુથી’ કાવ્યની આ પંક્તિ ‘ધરતી મેહુલિયાના સુભગ મિલને, મદમાતી ધરતીએ પ્રગટી સુવાસ’ થકી પહેલા વરસાદથી ભીની માટીની સોડમનો આપણે અનુભવ કરી શકીએ છીએ. ‘ગ્રીષ્મ’ કાવ્ય આપણને શરીરે દઝાડે છે તો ‘ગાજ્યાં ગગન’, ‘ગગન શરદનું’  અને ‘હેલે ચઢી તમારી યાદ’ વગેરે કાવ્યો પ્રાચીન કાલીન ઋતુકાવ્યો બનીને આપણને  માનસિક અને આત્મિક એવી વિરહની આગમાં તરફડાવે છે.

કવિ પોતાનાં કેટલાંક કાવ્યોમાં આધ્યાત્મજ્ઞાનના વિષયને પણ સ્પર્શ્યા સિવાય રહી શક્યા નથી, જેની મિસાલ તરીકે  ‘અમારા હાલ’ કાવ્યને દર્શાવી શકાય. આની છેલ્લી કંડિકા જૂઓ:’જાણ્યા જાણ્યા તોય રહ્યા સદા અજાણ, હરિ એવા દીઠા અમે અમારા હાલ’. મારા “આત્મા – સંક્ષિપ્ત અભ્યાસ’ લેખમાંના કોઈક અજ્ઞાતના ઈશ્વરના નૈકટ્યની પ્રાપ્તિ વિષેના  અવતરણને કવિના આ વિચારના સમર્થનમાં અહીં દર્શાવું છું કે ‘જ્યાં મારી બુદ્ધિ અણુંના માપ જેટલું પણ અંતર કાપીને તારી નજીક આવવા મથે છે, ત્યાં તો તું માઈલો દૂર ચાલ્યો જાય છે.’ તો વળી નિરંજન ભગતની યાદ આપતું આ કાવ્ય ‘અવિનાશી અજવાળું’ પણ માણવા જેવું ખરું! તેની સરસ મજાની પંક્તિ છે: ‘નથી અમારું નથી તમારું, આ જગ સૌનું સહિયારુ/મારામાં રમતું તે તારામાં રમતું, અવિનાશી  અજવાળું’ આ સંદર્ભે કવિવર રવીન્દ્રનાથ ટાગોરને તેમના આ કથન ‘ઈશના સૌંદર્યને માણે અને જાણે એનું નામ કવિ’ થી યાદ કરીએ. ‘ગીતા છે મમ હૃદય’ કાવ્ય તો જેમ ગીતા જીવનનો સાર સમજાવે છે, બસ તેવી જ રીતે આ લઘુ કાવ્ય એ પણ જાણે કે ગીતાનો જ સાર હોય તેવી રીતે કવિ લાઘવ્યમાંઆપણને ઘણું ઘણું કહી જાય છે. આ કડી ‘શ્રી કૃષ્ણ વદે, સુણ અર્જુન સખા,ગીતા છે મમ હૃદય/ સોંપી લગામ પ્રભુને હાથ ,આવી જા તું મમ શરણ’ તો સાચે જ આપણને ગુજરાતી સાહિત્યના પંડિત યુગની કવિતાઓની યાદ અપાવી જાય છે.

કવીશ્વર દલપતરામની શૈલીની યાદ અપાવતી ‘સિંહ રાજા જ બોલ્યા’ એક રચના છે. તો વળી પોતે ‘પટેલ’ અટકધારી હોઈ કદાચ કિસાનપુત્ર હોવાના નાતે જગતના તાત  એવા કિસાનને યથાયોગ્ય સમજી શક્યાની પ્રતીતિ આપણને તેમની કૃતિ ‘સવાયો તાત’માં થયા વગર રહેશે નહિ. વર્તમાન સમયની ‘જગતના તાત’ની અવદશાને દુનિયા ભલે નજરઅંદાજ કરતી હોય, પણ ‘હરિ’ને મન તો એવા કિસાનનો મરતબો અદકેરો જ છે. આ વાતની ગવાહી આપે છે, કવિના આ શબ્દો: ‘નથી સવાયો કોઈ તાતથી, ભોળી એની ભક્તિ / આંખે ઉભરે વહાલનાં વારિ, હૈયે ધરણીધરની મરજી’.

કવિએ ગુજરાત અને  ભારત દેશ ઉપરનાં વતનપ્રેમ અને દેશભક્તિને લગતાં ‘મહેંકતું ગુજરાત’, ‘આઝાદી’ અને ‘જયહિંદ જયઘોષ ત્રિરંગા’ જેવાં કાવ્યો, ‘આદ્યાશક્તિ’ જેવાં ભક્તિકાવ્યો, ‘અમે રે ઉંદર’ જેવાં વ્યંગકાવ્યો વગેરે જેવી કાવ્યોની વિવિધતાઓ આપવામાં કવિએ કોઈ કસર છોડી નથી. જૂના જમાનાના શ્યામ-શ્વેત બોલપોટના જમાનાનું જે કાળે લોકજીભે ખૂબ રમતું એવું ગુજરાતી ફિલ્મીગીત  ‘ભાભી, તમે થોડાં થોડાં થાજો વરણાગી’ ને વર્તમાન સમયના સંદર્ભમાં ‘ઓ ભાભી તમે’ શીર્ષકે રમેશભાઈએ સરસ મજાનું પેરડી કાવ્ય રચીને કમાલ કરી બતાવી છે.  કવિનું એક બીજું રસમય બાળકાવ્ય ‘આવ ને ચકલી આવ’ પણ મનભાવન બની રહે છે. ‘આવી જ દીપાવલી’ તહેવાર ઉપરનું ઉમળકાસભર કાવ્ય છતાં ‘વર્ષાન્તે સરવૈયું હાથ ધરજો, લાભ્યા તમે શું જગે?’ પંક્તિ થકી કવિ માનવજીવનના સાર્થક્ય અને સિદ્ધિપ્રમાણને ઉજાગર કરે છે. સંસ્કૃત કાવ્યમીમાંસક મમ્મટનું કવિતા કલા વિષેનું વિખ્યાત વિધાન છે કે કવિતા કાન્તા (પત્ની)ની જેમ મિષ્ટ વાણીમાં ઉપદેશને ઘોળીને પાઈ દેનારી હોય; બસ, આ જ રીતે રમેશભાઈ પણ પોતાના આખા કાવ્યસંગ્રહમાં ઠેરઠેર આવી પ્રયુક્તિઓ થકી માનવ જીવન વિષેના અનેક સંદેશાઓ અને ફલશ્રુતિઓ  બતાવી જાણે છે. ‘ઉછાળો હર હૈયે તોફાન’ કાવ્ય ભ્રષ્ટાચાર અને પ્રદુષિત લોકશાહી સામે જંગનું એલાન કરતું અને વાચકના દિલમાં ઉત્તેજના જગાડતું સુંદરતમ કાવ્ય છે.

વાંચન દરમિયાન સ્મિતને ચહેરાથી જરાય વેગળું ન થવા દેનાર  કેટલાંક રમુજી કાવ્યો પૈકી  મુખ્ય તો એક છે ‘હાલો હાલોને ઘેલાભાઈની જાનમાં!’. ગુજરાતી બ્લોગ જગતમાં ધૂમ મચાવનાર ‘હાસ્ય દરબાર’ બ્લોગના ધણીધોરીઓ ભેગા મને પોતાને પણ સાંકળી દેતા આ કાવ્યની થોડીક પંક્તિઓ આ પ્રમાણે છે: ‘વલીભાઈએ બાંધ્યાં હાઈકાં રે, શબ્દોની તીખી કટાર / ઉંઘમાં મરકે મોટડા, વ્યંગની વાગે શરણાઈ / હાલો હાલોને ઘેલાભાઈની જાનમાં’. ‘ઓ મારા વરસાદ અને વહુ’ કાવ્યમાં તો વરસાદ અને વહુની સરખામણી કરીને કવિએ ‘કેમ કરી દઈએ રે જશ’ જેવી પંક્તિઓ દ્વારા વક્રોક્તિનો સહારો લઈને માર્મિક હાસ્ય નિરૂપ્યું છે. ‘ચાની રંગત’ કાવ્યમાં ચાને ભારતીય જીવનનો ભાગ બની ગએલી બતાવતાં કવિએ તેને ‘રૂપલી રાજરાણી’ની ઉપમા આપીને વ્યંગ્ય કવન દ્વારા ઘણાં લક્ષ સાધ્યાં છે. કવિની હાઈકુકાર તરીકેની ક્ષમતાને પણ નજર અંદાઝ નહિ કરી શકાય. પ્રથમ દૃષ્ટિએ સરળ લાગતું આ જાપાની હાઈકુ રચવું એ પણ પ્રખર કવિત્વશક્તિ માગી લે છે. કવિએ ‘તાંડવલીલા’ શીર્ષકે આપેલાં કેટલાંક હાઈકુઓ પૈકીનું એક હાઈકુ  ભગવાન શંકરના તાંડવ નૃત્યને  અનોખી રીતે અભિવ્યક્ત કરે છે, જે આ પ્રમાણે છે: ‘તાંડવલીલા / ત્સુનામી ને ભડકા / સ્તબ્ધ દુનિયા’!

હવે જ્યારે મારી આ પ્રસ્તાવનાનું સમાપન નજીક આવતું જાય છે, ત્યારે મને કહેવા દો કે મારા   વિવેચનધર્મ અનુસાર મારે આ કાવ્યસંગ્રહમાંની કવિની ખૂબીઓની સાથે સાથે તેમની  ખામીઓને પણ તટસ્થ ભાવે દર્શાવવી જરૂરી બની જાય છે. મારા આ કર્તુત્વને ‘ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં વાખવા’ જેવું ન સમજતાં સર્જક આને એ અર્થમાં સમજશે કે આવું દોષનિવારણ પોતાનાં આગામી સર્જનોમાં કરીને પોતાનાં સર્જનોને ઉત્તમોત્તમ બનાવી શકાશે.

બીજી એ સ્પષ્ટતા કરવી અહીં જરૂરી બની જાય છે કે અહીં સર્જનના ઈ કે પી પ્રકાશનપૂર્વે મને મળેલા ડ્રાફ્ટના આધારે જ્યારે હું આ લખી રહ્યો હોઉં, ત્યારે મારા આ લખાણને  વિવેચન ન કહેતાં એને પ્રસ્તાવના જ કહેવી પડે. વિવેચન તો જે તે પુસ્તકની બહાર કોઈ સામયિક, સમાચારપત્ર કે કોઈ વિવેચકના પોતાના અંગત પુસ્તકમાં હોય છે, જ્યારે પ્રસ્તાવનાનું સ્થાન એ પુસ્તકની અંદર હોય છે. હવે બને એવું કે પ્રસ્તાવનાલેખક તરફથી સર્જકની કોઈ ક્ષતિઓ તરફ અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો હોય અને પોતાના સર્જનને આખરી રૂપ આપવા પહેલાં એવી ક્ષતિઓને પ્રસ્તાવનાલેખકની સંમતિથી સર્જક દ્વારા સુધારી લેવામાં આવે તો પ્રસ્તાવનામાંનો એવો ક્ષતિનિર્દેશ કે ટીકાટિપ્પણી અર્થહીન બની જાય. આમ પ્રસ્તાવનાને પણ મઠારી લેવી પડે અને તો જ ઉભય વચ્ચે એકસૂત્રતા જાળવી શકાય. અહીં વળી નવો પ્રશ્ન એ ઉદભવે કે આ પ્રકારના સુધારાવધારા થકી છેવટે સર્જન ખામીરહિત બની જતાં પ્રસ્તાવના માત્ર પ્રશંસાત્મક જ બની રહે. આમ વાચકને એમ જ લાગે કે વિવેચકે ન્યાયી વિવેચન કર્યું નથી. આ ખુલાસો એટલા માટે જરૂરી બની જાય છે કે આવી પરિસ્થિતિમાં વાચકોને  વિવેચકના તાટસ્થ્ય વિષે કોઈ શંકાકુશંકા રહે નહિ.

અહીં રમેશભાઈ મને આપેલી ડ્રાફ્ટ કોપીને યથાવત્ જાળવી રાખીને કાવ્યસંગ્રહ પ્રસિદ્ધ કરશે તેમ માનીને હું કેટલાંક સૂચનો કરું તો તે અસ્થાને નહિ લેખાય. પ્રથમ તો તેમણે ‘ત્રિપથગા’માં અંગ્રેજી, ગુજરાતી અને હિંદી એમ ત્રણેય ભાષામાં પોતાની રચનાઓ રજૂ કરી હતી, તેની પાછળ ‘ત્રિપથગા’ને અનુલક્ષીને કવિના વિવિધ (જુદાજુદા) ત્રિવિધ આશયો પૈકીનો ત્રણ ભાષાનો આશય હશે; પણ અહીં આ કાવ્ય સંગ્રહને દ્વિભાષી (Bilingual) ન રાખતાં હિંદીમાં લખાએલી થોડીક જ રચનાઓને આ સંગ્રહમાંથી બાકાત રાખવી જોઈતી હતી.

‘ઓગષ્ટ ક્રાન્તિના ઓ યશભાગી’ કાવ્ય તેના નાયકોના ‘Flop Show’ ના કારણે હવે અપ્રસ્તુત થઈ જતું હોઈ તેને પણ અહીં બાકાત રાખ્યું હોત તો વાચકોને અન્ના હજારે આણિ કંપનીની નિષ્ફળતાની વ્યગ્રતામાંથી બચાવી શકાયા હોત. કેટલાંક કાવ્યોનાં શીર્ષકોમાં યોગ્ય વિરામચિહ્નોનોનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો જે તે કાવ્યમાંનો કવિનો ભાવ શીર્ષકના વાંચન માત્રથી વાચકોને સમજાયો હોત! આ બાબતના ઉદાહરણમાં કેટલાંક શીર્ષકો આ પ્રમાણે છે : – ‘ગાંધી આવી મળે !’, ‘ગબ્બર ગોખ ઝગમગે, રે લોલ !’ તો વળી, ઘણાં કાવ્યોમાં પણ પંક્તિઓના અંતે કે વચ્ચે પણ જ્યાં જરૂરી હોય ત્યાં વિરામચિહ્નો સમૂળગાં છે જ નહિ, જેને મોટી મર્યાદા સમજવી પડે! ‘વિરાટ તારી શાન !’ કાવ્ય જો સર્વસામાન્ય કોઈ પણ ક્રિકેટરના સંદર્ભે હોય તો બરાબર છે, પણ જો તે  વ્યક્તિલક્ષી હોય; દા.ત. સચિન તેદુંલકર, તો કાવ્યમાં તેનો નામોલ્લેખ થવો જોઈતો હતો!

મેં રમેશભાઈને મારી એક મર્યાદાની વાત જણાવી દીધી હતી કે હું કાવ્યપ્રકાર ‘ગઝલ’ ના બંધારણ આદિથી પૂરો અવગત ન  હોઈ એવી કોઈ રચનાના વિષયવસ્તુમાત્રની ચર્ચાથી વિશેષ કશાયથી મને પરહેજ (સીમિત) રાખીશ. પરંતુ બ્લોગજગતનાં વિદુષી પ્રજ્ઞાબેન વ્યાસના કવિની ગઝલ ‘એકાંત’માં ઉપરના સૂચનને ટપકાવીશ કે ‘આ સુંદર ગઝલમાં મત્લા બરાબર નથી, આમ છતાંય ભાવવાહી રચના છે.’ ગઝલમાં ભલે મારી ચાંચ ન ડૂબતી હોવા છતાં હું તેને જાણી અને માણી શકું તો ખરો જ અને તેથી જ મને ખૂબ પસંદ પડેલી ‘છે કિનારા બે જુદા’ ગઝલનો એક શેર આપ વાચકો સાથે Share  કરું છું, મુશાયરાઓમાં થતા પઠનની અદાથી કે ‘ધર્મ મારો ધર્મ તારો, છે કિનારા બે જુદા (૨)/જલ વહાવે એક બંને (શુક્રિયા), જલ વહાવે એક બંને, સત્ય એ સાચું બધે’.

“ચંદ્ર પર પ્રથમ પગ મૂકનાર અવકાશયાત્રી આર્મસ્ટ્રોંગ” શીર્ષકે કવિ દ્વારા લખાએલી રૂડી લઘુરચનાના પ્રતિભાવ રૂપે અન્ય એક મહાનુભાવ કે જેમને મેં Think Tank’ નું બિરૂદ આપ્યું છે તેવા શ્રી શરદભાઈ શાહે તે બ્લોગના Comment Box માં પોતાનો જે પ્રતિભાવ સ્વર્ગસ્થ આર્મસ્ટ્રોંગને અંજલિ આપતી તેમની આ શીઘ્રરચના થકી આપ્યો હતો, તેને અહીં વ્યક્ત કર્યા વિના હું નહિ રહી શકું.

“વિરાટ બ્રહ્માંડમાં  દીઠી ધરા મારી સલુણી,
રમે નભે  દૃષ્ટિ તો  હૈયે  રમે કોટિ કહાણી,
હશે  જ કેવો  રૂડો આ ચાંદ પૂંછું હું મનને,
દઉં સલામી જ,  આર્મસ્ટ્રોંગ ચૂમ્યા ચંદ્રભૂમિ!”
– (રમેશ પટેલ( ‘આકાશદીપ’

“ચાંદ પર કદમ રખા નીલને પહલી બાર,
ચાંદને કહા હોગા, આના યહાં બારબાર!
મગર આજ નીલ હુઆ જબ તારતાર,
સચ કહું, ચાંદભી રોયા હોગા ઝારઝાર!”
– (શરદ શાહ)

મારી પ્રસ્તાવનાના અતિવિસ્તારથી હું વાકેફ છું જ, કેમકે રમેશભાઈએ પોતાના કાવ્યસંગ્રહને બૃહદ બનાવ્યો હોઈ મારે પણ તેમની સાથે ખેંચાવું પડ્યું છે. આમ છતાંય સાહિત્યજગતના શિષ્ટાચારના ભાગરૂપે હું વાચકોની ક્ષમા યાચું છું. મેં પ્રારંભે જ રમેશભાઈની નિવૃત્ત વીજ ઈજનેર તરીકેની ઓળખ આપી દીધી છે, તેની પાછળ પણ મારો ઈશારો છે કે જોખમી એવા વીજળીના તાર સાથે આસાનીથી રમત રમતાં રમતાં નોકરી પૂરી કરનાર એવા ભાઈશ્રી ‘આકાશદીપ’ કેવી આસાનીથી  શબ્દોના તાર જોડી બતાવીને આપણને કાવ્યરમતમાં કેવા રમમાણ કરી દે છે! રમેશભાઈને તેમની કવિ તરીકેની સફળતા બદલ આપ સૌ વાચકો વતી અને મારી વતી ધન્યવાદ આપું છું. ગુજરાતી સાહિત્યને તેમના તરફથી વધુ ને વધુ નવીન સર્જનો મળતાં રહે તેવી અભ્યર્થના સાથે અત્રેથી વિરમું છું.  જય હો!

-વલીભાઈ મુસા

 

Tags: , , , , , , , , , , , , , , , ,

(૩૩૬) ડો. ચન્દ્રવદન મિસ્ત્રી- એક વિશિષ્ટ વ્યક્તિત્વ

(૩૩૬) ડો. ચન્દ્રવદન મિસ્ત્રી- એક વિશિષ્ટ વ્યક્તિત્વ

કેલિફોર્નીઆ (અમેરિકા) સ્થિત નિવૃત્ત ડો. ચન્દ્રવદન મિસ્ત્રી (M.D. – Internal Medicine) ભલે દૈહિક રીતે અમેરિકા ખાતે રહેતા હોય, પણ તેમનો આત્મા અહર્નિશ માદરે વતન એવી ભારત ભોમકાને જ ઝંખ્યા કરતો હોય છે. વિદેશોમાં વસતા મારા અસંખ્ય બ્લોગર-નેટર મિત્રો પૈકીના કેટલાક કે જેમની સાથે મારે રોજબરોજનો વધુ સંપર્ક રહેતો હોય છે, તેમનામાંના એક છે આ મિ. ચમિ. અમે કેટલાક મિત્રો ‘હાસ્યદરબાર’ બ્લોગ સાથે સંકળાએલા છીએ અને ત્યાંની પ્રણાલિ મુજબ અમે એકબીજાને ચમિ, સુજા, રાત્રિ, વમુ, હજા એવાં ટૂંકાં નામે સંબોધતા હોઈએ છીએ.

ઈન્ટરનેટમાં આજકાલ બહુ જ પ્રચલિત અને લોક્ભોગ્ય એવી બ્લોગિંગ પ્રવૃત્તિ વિશ્વભરના લોકોને એકબીજાની નજીક લાવવાનું કામ કરે છે. ભાઈશ્રી ચમિ અને હું (વમુ) બસ આ જ રીતે એક્બીજાને ઓળખતા થયા. ઈ.સ. ૨૦૦૭માં પાલનપુર ખાતે આવી ચૂકેલા તેમને એ વખતે હું ઓળખતો ન હતો. ત્યાર પછી અમારા મિત્રભાવે જોડાણ પછી ૨૦૧૨માં શ્રી પ્રજાપતિ કેળવણી મંડળ, પાલનપુર સંચાલિત માતુશ્રી રાજીબા વિદ્યાસંકુલ દ્વારા યોજાએલા તેમના માટેના સન્માન સમારંભમાં તેમની સાથે અતિથિવિશેષ તરીકે મારે પણ જોડાવાનું થયું હતું. મારા રમુજી સ્વભાવ મુજબ મારા પ્રાસંગિક પ્રવચનમાં મેં જણાવ્યું હતું કે પશુપાલકોની ગાયભેંશની ખરીદી ટાણે જેમ જે તે પ્રાણી સાથે તેનું બચ્ચું મફતમાં મળતું હોય છે, તેમ હું મુખ્ય મહેમાન એવા શ્રી ચન્દ્રવદનભાઈ સાથે આ સમારંભમાં મફતમાં આવ્યો છું.

હવે ડો.શ્રીના વ્યક્તિત્વ વિષે વિશેષ કંઈક લખું તે પહેલાં હું માનનીયશ્રી ગોદડભાઈ સાગરાસણીયા સાહેબ વિષે કંઈક લખવાથી મારી જાતને રોકી નથી શકતો. ડો.શ્રીએ પોતાની પાલનપુરની મુલાકાત પૂર્વે શ્રી ગોદડભાઈ સાહેબને મારો ફોન નંબર આપેલો અને આમ વર્ષો બાદ મને તેમની સાથે વાત કરવાનું અહોભાગ્ય સાંપડ્યું હતું. વર્ષો બાદ શબ્દોને હું સમજાવું તો માનનીય શ્રી ગોદડભાઈ સાહેબે પ્રાથમિક શિક્ષક તરીકેની પોતાની કારકીર્દિ કાણોદર ખાતેથી શરૂ કરી હતી. મારા મોટાભાઈ ઉપલા વર્ગોમાં તેમની પાસે ભણેલા, જ્યારે હું નીચલા વર્ગોમાં હતો અને પ્રત્યક્ષ રીતે તેમના હાથ નીચે ભણવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું ન હતું. એ વખતે તેઓશ્રીની ભૂગોળ, હિંદી અને ચિત્રકળા વિષયોની નિપુણતા સમગ્ર જિલ્લામાં પંકાતી હતી.

મારી થોડીક આડવાત બદલ મારા સુજ્ઞ વાચકોની માફી માગતાં મારા લેખના મુખ્ય વિષયે આવું તો ડો.શ્રી ચન્દ્રવદનભાઈ આપણા ગુજરાતી બ્લોગજગતમાં જાણીતી હસ્તી છે; બે રીતે, એક તો પોતાના ‘ચન્દ્રપુકાર’ બ્લોગના બ્લોગર તરીકે અને બીજી મોટાભાગના ગુજરાતી બ્લોગ ઉપર પોતાના પ્રતિભાવ આપનાર પ્રતિભાવક તરીકે. એમના પોતાના બ્લોગ ઉપરની પોતાની રચનાઓ ઉપર મારા પ્રતિભાવની તેમને ખાસ અપેક્ષા રહેતી હતી, એટલા માટે કે તેઓશ્રી મને ઈમેઈલ દ્વારા એમ જણાવતા હતા કે મારા પ્રતિભાવો તેમના માટે એક Asset (અસ્ક્યામત) સમાન છે. આની પાછળનો તેમનો ગર્ભિત આશય એ હતો કે તેઓશ્રી પોતાના લેખનકાર્યમાં મારા/અમારા જેવાઓના પ્રતિભાવો થકી ઉત્તરોત્તર પ્રગતિ કરવા ઈચ્છતા હતા.

મારા તેમની સાથેના નવીન પરિચય વખતે તેમના વિષે વધુ જાણવા માટે હું તેમના બ્લોગનાં લખાણોમાં ઊંડો ઊતર્યો ત્યારે તેમના વ્યક્તિત્વનાં અનેક પાસાંઓ પૈકીનાં બે પાસાંઓએ મને વિશેષ આકર્ષ્યો. તેમના વ્યક્તિત્વનું એક પાસું છે લક્ષ્મી પરત્વેની તેમની નિસ્પૃહતા અને બીજું પાસું છે તેમની સરસ્વતીની ઉપાસના. પ્રથમ પાસા થકી આપણને એ જાણવા મળે છે કે તેમણે કોઈક ઉદ્યોગપતિની જેમ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પોતાની તબીબ તરીકેની કારકીર્દિની નિશ્ચિત આવકમાંથી પણ બેસુમાર દાન કર્યું છે. તેમના વ્યક્તિત્વના દ્વિતીય પાસામાં મેં જે તેમની સરસ્વતીની ઉપાસનાની જે વાત કહી છે તેનું તાત્પર્ય એ કે તેમણે ભજનકીર્તન ઉપરાંત વ્યક્તિલક્ષી અને સંસ્કારલક્ષી કોણ જાણે કેટલીય પદ્ય અને ગદ્ય રચનાઓ લખી છે જે થકી આપણને એમ જ લાગ્યા કરે કે એક તબીબીશાસ્ત્ર એટલે કે વિજ્ઞાનના માણસ આવું સાહિત્ય પણ લખી શકે છે! તેમણે એક ડોક્ટર તરીકેના પોતાના જ્ઞાન-વિજ્ઞાનનો લાભ પોતાના આરોગ્યલક્ષી લેખો થકી પોતાના બ્લોગના વાચકો સુધી પહોંચાડ્યો છે અને આમ તેઓશ્રી પોતાની ડોક્ટર તરીકેની ફરજોમાંથી પણ મુક્ત થયા નથી.

વિવેચન સાહિત્યમાં એક પ્રચલિત સૂત્ર છે કે શીલ તેવી શૈલી. ચન્દ્રવદનભાઈની કાવ્યરચનાઓ ભાવસભર માલૂમ પડે છે. તેમનો સંવેદનશીલ સ્વભાવ અને નાના બાળકશો નિખાલસ ભાવ તેમની રચનાઓમાં ડોકાયા સિવાય રહેતો નથી. કોઈ વ્યક્તિના પરિચય વિષે પોતે કંઈક લખતા હોય કે કોઈક મિત્રના સ્નેહીજનના અવસાન નિમિત્તે શ્રદ્ધાંજલી રૂપે કંઈક લખતા હોય ત્યારે આપણને એમ જ લાગે કે આ માણસ દિમાગથી નહિ, પણ દિલથી લખે છે. તેમની તાજેતરની પાલનપુરની મુલાકાતટાણે તેઓશ્રી તેમનાં ધર્મપત્ની કમુબહેનને તેમની નાદુરસ્ત તબિયતના કારણે અમદાવાદથી સાથે લાવ્યા ન હતા. તેમને પાલનપુર લાવવા માટેની કામગીરી મારા પુત્ર અકબરઅલીએ સંભાળી હતી. મારા પુત્રે કમુબહેનની તબિયતને જોતાં તેમને એવી સલાહ આપી હતી કે તેઓ પાલનપુરનો કાર્યક્રમ અન્ય દિવસ ઉપર મુલતવી રાખે, પણ તેમણે પોતાનો નિર્ધાર એ શબ્દોમાં વ્યક્ત કર્યો હતો કે તેઓ પોતાના એ કાર્યક્રમમાં સમયસર ન જઈને પાલનપુરના કેટલાય જણના સમયને તેઓ કેવી રીતે બરબાદ કરી શકે! સમયપાલન અને વચનબદ્ધતા માટે ગમે તેવું જોખમ ખેડી લેવાની તેમની તત્પરતા એ બતાવી આપે છે કે સ્વયંશિસ્તના પાલનમાં તેમની પાસે બાંધછોડને કોઈ અવકાશ રહેતો નથી.

પાલનપુરનો કાર્યક્રમ પતાવ્યા પછી અમદાવાદ પાછા ફરતાં તેમણે સામે ચાલીને કાણોદર ખાતે મારા ઘરની અને મારાં કુટુંબીજનો તેમજ ગામની વિવિધ સંસ્થાઓની ઊડતી મુલાકાત અને ફોટોગ્રાફી કરી લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ સઘળું બતાવી આપે છે કે તેઓશ્રી પોતાનાં કુટુંબીજનો અને એમાંય ખાસ કરીને પોતાનાં અર્ધાંગનાથી પણ વિશેષ અન્ય માનવીય સંબંધોને પણ વિશેષ પ્રાધાન્ય આપવામાં માને છે. આ પ્રકારના ઉમદા વ્યક્તિત્વને વિકસાવવું એ અલ્પ સમયની નિપજ કદીય હોઈ શકે નહિ. જીવનભરની સાધના જ માનવીને માનવીય સંબંધોના આ મુકામ સુધી લાવી શકે. પોતાનું મોટા ભાગનું જીવન અમેરિકામાં પસાર થયું હોવા છતાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ જીવન જીવી જાણનાર આ જણ સંતોષી તો ખરા જ, પણ સાથે સાથે ઈશ્વરમાં અતુટ શ્રદ્ધા ધરાવતા હોવાના કારણે તેઓ હર હાલતમાં ખુશ રહેવામાં માનતા હોઈ તેમણે પોતાની જિંદગીમાં કદીય કોઈ ગિલાશિકવાને સ્થાન આપ્યું નથી.

તેમના જીવન અને જીવનકાર્ય ઉપર માનનીય ગોદડભાઈસાહેબ એક પુસ્તક લખી રહ્યા હોઈ તેમની દાનભાવના અને દાનધર્મનાં કામો વિષે તેઓશ્રી વિગતે લખવાના હોઈ તેમના વ્યક્તિત્વના એ પાસા વિષે હું અહીં એટલા માટે વિશેષ કંઈ લખતો નથી કે જેથી કરીને લખાણમાં પુનરાવૃત્તિ ન થાય. મુરબ્બીશ્રી સાગરાસણીયા સાહેબે તેમના એક પત્રથી મને જણાવ્યું કે હું ડો.શ્રી ચન્દ્રવદન મિસ્ત્રી વિષે કંઈક લખું કે જેથી તેમના વિષેના પુસ્તકમાં મારા આ લખાણને એક પ્રકરણ તરીકે સ્થાન આપી શકે. ડોક્ટર સાહેબનું સમગ્ર જીવન આ લઘુલેખમાં સમાવવું એ મુશ્કેલ કાર્ય છે, આમ છતાંય મેં ગાગરમાં સાગર સમાવવા જેવી મેં મારી અલ્પ મતિ મુજબની યથાશક્તિ કોશીશ કરી છે. મને આશા છે કે આ પુસ્તકના વાચકોને મારા આ પ્રકરણમાં તેમની અપેક્ષા મુજબનું વાંચવા ન મળ્યું હોય તો મને દરગુજર કરશે.

સમાપને, ડો.શ્રી ચન્દ્રવદન મિસ્ત્રી સાહેબ માટે પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના કરું છું કે તે તેમને તંદુરસ્તીમય દીર્ઘાયુષ્ય બક્ષે કે જેથી તેમના તન, મન અને ધન થકી વધુ ને વધુ માનવતાનાં કાર્યો થતાં રહે. અસ્તુ.

– વલીભાઈ મુસા (કાણોદર)

“William’s Tales”  (https://musawilliam.wordpress.com)

 

Tags: , , , ,

(૩૧૬) પંચમ શુક્લ રચિત ‘ખેચરી’ ઉપરનો મારો પ્રતિભાવ

(૩૧૬) પંચમ શુક્લ રચિત ‘ખેચરી’ ઉપરનો મારો પ્રતિભાવ

ખેચરી

લિસોટાઈ જતું તાણ ને તણાવ ખેંચતું,
મંથર ગતિએ આભને વિમાન ખેંચતું.

સ્થિર થઈ ગઈ છે નજર બસની રાહમાં,
સૂમસામ આ સડકનું મન વિચાર ખેંચતું.

છે ટાઈનીય પીઠ પર પ્રસ્વેદ બિંદુઓ,
આઈફોનથી વિદેહી કોઈ કાન ખેંચતું.

ચોંટી ગયું છે ચિત્તમાં સ્ટોકિંગ શું કશુંક,
ઊખડ્યા કરે એ રોમરોમ અપાર ખેંચતું.

ફૂટપાથની તિરાડમાં ડેઈઝીના ફૂલ પર,
મધમાખીનું ભ્રમણ અકળ મીઠાશ ખેંચતું !

– પંચમ શુક્લ

બ્લોગ – પંચમ શુક્લ (પ્રત્યાયન)

અગાઉ માન્યવર મહોદય શ્રી જુગલકિશોરજીએ પંચમજીની એક રચના “જાત જરા ઢંઢોળો જદુપતિ” ના પ્રતિભાવમાં એક કાળે બ. ક. ઠાકોરનાં કાવ્યો (સોનેટ) વિષે જેમ કહેવાતું હતું તેવા જ શબ્દોમાં લખ્યું છે કે “તમારાં અને હિમાંશુભાઈનાં કાવ્યોમાં કેટલુંક એવું હોય છે, જેને નારિકેલપાકની માફક પામતાં પહેલાં કષ્ટ લેવું પડે.”

પ્રજ્ઞાબેને આ રચના ઉપર હઠયોગની એક મુદ્રા ખચેરી કે ખેચરીને અનુલક્ષીને પોતાનો વિદ્વતાપૂર્ણ અને માહિતીપ્રચુર પ્રતિભાવ આપ્યો છે.

અહીં હું પણ નિખાલસભાવે કહું તો વિવેચક (બબૂચક!)નો વહેમ લઈને ફરતો એવો હું બુઠ્ઠા દાતરડા કે છરી વડે કદાચ હાથે લોહી પણ કાઢી બેસવાના જોખમ સાથે ‘ખેચરી’ રૂપી નાળિયેરને છોલીને અંદરની કઠોર કાચલીને ગૃહઉંબરે અફાળીને પોચા ખોપરાના આવરણનીય ભીતરમાંના મધુર પાક (પાણી)ને પાત્રમાં પામવા અને સમભાવીઓને પાન કરાવવાનો યથામતિએ પ્રયત્ન કરું છું.

‘ખેચરી’ શીર્ષક (નારિયેળની ચોટી!)થી આપણી મથામણ શરૂ કરીએ તો મારા નમ્ર મતે ‘ખેચરી’ શબ્દ ‘ખ=આકાશ’ સાથે સંબંધિત છે. વિધાતાએ સર્જેલા સઘળા જીવોને ‘ખેચર’, ‘ભૂચર’ અને ‘જળચર’ એમ ત્રણ પ્રકારે વિભાજિત કરી શકાય. કવિના મતે કંઈક જુદી જ વાત હોઈ શકે, કેમ કે આ રચનામાં ‘જળ’નો ઉલ્લેખ નથી અને અન્ય જે બેનો સમાવેશ થાય છે તે છે આભ અને સડક.

ફરી પાછા ‘ખેચરી’ શબ્દમાંથી અર્થ ખેંચવાનો અને વૈયાકરણીય પદચ્છેદ કરવાનો મિથ્યા પ્રયત્ન કરીએ તો આપણને ‘આકાશમાં વિહરનાર’ એવો અર્થ અને પદપ્રકાર તરીકે ‘વિશેષણ’ એમ જાણવા મળશે. ‘ખેચરી’ વિશેષણના વિશેષ્ય તરીકે જડ કે ચેતન પદાર્થો આવી શકે જેમાં અનુક્રમે વિમાન, પતંગ કે ગ્રહો અને વિહંગ હોઈ શકે.

હવે ‘ખ’ અર્થાત્ આકાશના બંધારણને સમજવાની કોશિશ કરીએ તો તે વાયુઓનું આભાસી આવરણ માત્ર છે. આકાશને આંબવા કે પકડવા આપણે જેમે જેમ ઊંચે ચઢતા જઈએ તેમ તેમ ઝાંઝવાના જળની જેમ દૂર અને દૂર હડસેલાતું જ જવાનું. આમ આકાશ એ વાસ્તવિકતા ન હોતાં માત્ર ભ્રમ છે અને તેથી તેને ભાવાત્મક (સ્થુળ તો નહિ જ) જ ગણી શકાય.

આટલે સુધીના કોઈક વાંચકોના મતે કંટાળજનક એવા પ્રારંભિક પિષ્ટપેષણ પછી ગઝલના માથે(શીર્ષક)થી ખભે અને એમ નીચે ઊતરવા માંડીએ. મારું માનવું છે કે ગઝલના આનંદને માણવાની ખરી શરૂઆત હવે થઈ ગણાશે. ‘ખ’ ભ્રમ છે, બસ તેમ જ આકાશમાં ઊડતા વિમાનને જોઈને કવિ એવો ભ્રમ (આભાસ) સેવે છે જાણે કે તે (વિમાન) મંથર ગતિએ આકાશને ખેંચી રહ્યું છે. કવિની કેવી ભવ્ય કલ્પના! મંથર (ધીમી) ગતિની કલ્પના એ અર્થમાં બંધબેસતી છે કે જમીન ઉપર રહ્યે રહ્યે વિમાન તો ધીમે ધીમે જ ખસતું લાગે, પછી ભલેને તેની ખરેખરી ગતિ કલાકના પાંચસો-સાતસો માઈલની હોય!

‘ખ’ની ભ્રામિકતા પછી તો આકાશેથી ઊતરીને નીચે રસ્તા ઉપર આવી જાય છે અને બસની પ્રતિક્ષામાં કવિની નજર  સ્થિર થઈ જાય છે. સૂમસામ એવી સડકના મનને સમજવા કવિનો વિચાર તેને જાણે કે પોતાના ભણી ખેંચે છે. આ કડીમાં પણ કવિને અકળ એવા કોઈક આભાસની અનુભૂતિ થાય છે.

ગઝલ આગળ વધતી વધતી આ કડીએ આવે છે, “છે ટાઈનીય પીઠ પર પ્રસ્વેદ બિંદૂઓ” અને આનો અર્થ ગ્રહણ કરવામાં વાચકની ખરી કસોટી લેવાઈ જાય છે. નેક ટાઈનો ઉપરનો ભાગ જે સામે દેખા દે છે તેને છાતી સમજતાં એ જ ટાઈના પાછળના ભાગને પીઠ સમજવો પડે. કેવી મનને પ્રફુલ્લિત કરી દે તેવી કવિકલ્પના અને વળી એટલું જ નહિ ‘ટાઈની પીઠ પર જામેલાં પ્રસ્વેદ બિંદુઓ’!ની વાત છોગામાં!!! કોઈ અકવિને તો ‘અહો, વૈચિત્ર્યમ્!’ જ લાગે! પણ ભાઈ, આ તો બ્રહ્માના ખટરસથી પણ દોઢી ચઢિયાતી એવી સાહિત્યના નવ રસવાળી કવિઓની દુનિયા છે! આઈફોનના માધ્યમે સામેના છેડેથી અદૃશ્ય એવી કોઈ વ્યક્તિ કવિના કાન ખેંચે છે, જે થકી બદનમાંથી વછૂટતો પરસેવો બદનના આંતરવસ્ત્ર અને પહેરણને ભેદીને ટાઈના નીચલા સ્તર (પીઠ) પર દેખાઈ આવે છે.

પ્રસ્વેદ બિંદુઓના અપવાદને બાદ કરતાં વળી ગઝલની આગામી કડીમાં ‘મોજાંઓની જેમ ચિત્તમાં ચોંટી ગએલું કશુંક’ ફરીવાર ભાવાત્મક કે ભ્રામક રૂપે આપણી સામે આવે છે જેમાં પેલા ‘ખ’ને અનુમોદન આપતી એ જ એ વાત છે. જેમ મોજાં (Stocking) પગ સાથે ચીપકેલાં રહે તેમ પેલું ચિત્તને ચીપકેલું પેલું ‘કશુંક’ એવી રીતે ઊખડવા મથે છે, જાણે કે રૂંવેરૂવાં ખેંચાઈ રહ્યાં હોય!

ગઝલની આખરી કડી વર્ષો પહેલાં મેં જોએલા એક અંગ્રેજી ચલચિત્ર ‘Sky above and mud below’ ની યાદ અપાવી જાય છે. ગઝલના પ્રારંભે આકાશની સફર કરાવનાર ગઝલકાર આપણને ફૂટપાથ ઉપર લાવી દે છે અને તિરાડમાં ઊગેલા ડેઈઝી ફૂલ અને તેમાંથી મધ ખેંચતી એવી મધમાખીનાં દર્શન કરાવે છે. વળી પાછી અહીં કવિ અકળ (અદૃશ્ય) એવી મીઠાશની એવી વાત કરે છે કે જે પેલા ‘ખ’ ના આભાસી અસ્તિત્વને વધુ એક પણ છેલ્લીવાર સાર્થક કરે છે.

આ વિવેચનલેખના અંતે પેલા ‘નારિકેલપાક’ ને ફરી વિસ્મરતાં અને મારી મર્યાદાઓને સુપેરે સમજતાં ખુલ્લા દિલે મને કહેવા દો કે મેં પ્રથમ નજરે રૂક્ષ દેખાતા એવા ‘ખેચરી’ નામધારી ગઝલરૂપી નાળિયેરને છોલવાનો અને તેના ગર્ભમાંના મિષ્ટ એવા પાણીને આ કોમેન્ટ બોક્ષરૂપી પ્યાલામાં ભરવાનો પ્રયત્ન કર્યો છે. જટિલ, સંદિગ્ધ અને ગહન વિચારને સમાવતી કોઈપણ કાવ્યરચનાને સમજવામાં દરેક વાંચકને પેલી ‘અંધજનો અને હાથી’વાળી વાત જેવું થવા સંભવ છે. આ ગઝલને હું જે રીતે સમજ્યો છું તે રીતે આ ગઝલ અને તેના પ્રતિભાવોના વાચકોને તે સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો છે.

‘ઠુકરા દો યા પ્યાર કરો’ ઉક્તિની જેમ ભાઈશ્રી પંચમ શુક્લજી અને વાંચકો આઝાદ છે, મારા વિવેચનને ઉપરોક્ત વૈકલ્પિક જે તે અંજામ આપવા સારુ.

ધન્યવાદ.

-વલીભાઈ મુસા

Proposed ebook “મારી નજરે”

 
6 Comments

Posted by on March 4, 2012 in લેખ

 

Tags: , , ,