RSS

Tag Archives: વિસાલ

(591) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન  અને રસદર્શન -૨૧ (આંશિક ભાગ – ૩ સંપૂર્ણ) દિલ-એ-નાદાન તુઝે હુઆ ક્યા હૈ… (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

દિલ-એ-નાદાન તુઝે હુઆ ક્યા હૈ (શેર ૮ થી ૧૧)

હમકો ઉનસે વફ઼ા કી હૈ ઉમ્મીદ
જો નહીં જાનતે વફ઼ા ક્યા હૈ (૮)

(વફ઼ા= પ્રેમની વફાદારી)

પ્રણયમાં પરસ્પરની વફાદારી અપેક્ષિત હોય છે. આ શેરના ઉલા મિસરામાં માશૂકની અપેક્ષા છે કે માશૂકા તેમના પ્રત્યેની વફાદારી સંપૂર્ણપણે નિભાવે. પરંતુ સાની મિસરામાં માશૂકની નિરાશા પ્રગટ થઈ છે. તેનું માનવું છે કે માશૂકાને એ ખ્યાલ પણ નથી કે વફાદારી શું છે! આમ જેને વફાદારીની ખબરસુદ્ધાં નથી તેની પાસે વફાદારીની ઉમ્મીદ રાખવી વ્યર્થ છે. ગ઼ાલિબની ગ઼ઝલોમાં આપણને માશૂક-માશૂકાના સંબંધોમાં ભાવવૈવિધ્ય જાણવા મળે છે. હર્ષ, વ્યથા, ઉપેક્ષા, વિસાલ (મિલન), વિપ્રલંભતા (વિયોગ), ફરિયાદ, પરિતૃપ્તિ, આરજૂ, નોકઝોક, સહનશીલતા, શંકા-કુશંકા આદિ સંવેગો જે તે ગ઼ઝલના શેરના પ્રાણ સમાન બની રહે છે. આ શેરમાં શંકા-કુશંકા અર્થાત્ અવિશ્વાસનો ભાવ ગુંથાયો છે. પ્રેમીયુગલો તો અહર્નિશ એમ જ ઇચ્છતાં હોય છે કે બેઉની વચ્ચે ત્રીજું કોઈ ન આવે અને પરસ્પર પ્રેમ જળવાઈ રહે. આમ છતાંય એવાં પ્રેમી યુગલો કંઈ દૈવી હોતાં નથી, આખરે તો તેઓ માનવી જ છે અને માનવસહજ ગુણદોષ ધરાવતાં હોય છે. આ શેરમાં માશૂકા ઉપર બેવફાઈનું દોષારોપણ લાગુ પાડવામાં આવ્યું છે, જે વાસ્તવિક દેખાતું તો નથી જ; પરંતુ માશૂકના મનનો એવો કોઈક વહેમ હોવાનું જણાઈ આવે છે. પ્રેમસંબંધે જોડાતાં પાત્રો પ્રારંભિક તબક્કે તો માત્ર લાગણીશીલતાના પ્રવાહમાં ખેંચાતાં હોય છે. સમય જતાં જ્યારે તેમનો પ્રેમ પરિપક્વ થતો હોય છે, ત્યારે તેમનામાં એકબીજા પરત્વેની વફાદારી અને પ્રેમ દૃઢિભૂત થતાં હોય છે.

* * *

હાઁ ભલા કર તેરા ભલા હોગા
ઔર દરવેશ કી સદા ક્યા હૈ (૯)

(દરવેશ= ફકીર, મહાત્મા; સદા= પોકાર )

આ શેર અગાઉના આઠમા શેરનું સૂક્ષ્મ અનુસંધાન સાધે છે. માશૂકા બેવફાઈના બદલે વફાદારી અપનાવે તો એ ભલાઈનું જ કામ છે અને એ ભલાઈનો બદલો તેને માશૂક તરફથી ભલાઈ રૂપે જ મળશે. આ સમજાવવા માટે ગ઼ાલિબ દરવેશ (ફકીર)નું ઉદાહરણ આપતાં સમજાવે છે કે તે ખૈરાત માગતાં લોકો સમક્ષ એમ પોકાર કરતો હોય છે કે ‘ભલું કરો તો તમારું પણ ભલું થશે.’ અર્થાત્ તમારી ભલાઈનો બદલો અલ્લાહ તરફથી ભલાઈ રૂપે જ મળશે. અહીં માશૂક પોતાની માશૂકાને ખાત્રી આપે છે કે તેની વફાદારી રૂપી ભલાઈનો બદલો તેના પોતાના (માશૂકના) તરફથી બસ એવો જ મળી રહેશે. આ શેરમાં ગ઼ાલિબનું ચાતુર્ય જણાઈ આવે છે એ રીતે કે તે દરવેશની સદા (પોકાર)ના માધ્યમે માશૂકાને ભલાઈની પ્રતીતિ કરાવે છે અને તેની ફલશ્રુતિ પણ સમજાવે છે. સરળ લાગતા આ શેરમાં આપણને ગહરાઈની અનુભૂતિ થયા વગર રહેતી નથી.

* * *

જાન તુમ પર નિસાર કરતા હૂઁ
મૈં નહીં જાનતા દુઆ ક્યા હૈ (૧૦)

(નિસાર= ન્યોછાવર)

આ શેરમાં માશૂકની માશૂકા પરત્વેની પ્રેમની પરાકાષ્ઠા જાણવા મળે છે. માશૂકાનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે માશૂક વહાલામાં વહાલો ગણાતો પોતાનો જાન (જીવ) પણ ન્યોછાવર કરવા તૈયાર છે. શેરના સાની મિસરામાં માશૂકના જેવા અન્ય પ્રેમીઓની તેમની માશૂકા પ્રત્યેની દુઆઓ (પ્રાર્થનાઓ) ઉલ્લેખાઈ છે. અહીં માશૂક કહેવા માગે છે કે તેમની દુઆઓના શબ્દો કયા હશે તેની મને જાણ નથી. સંભવ છે કે તેઓ પોતાની માશૂકાને પામવા માટે અલ્લાહ આગળ દુઆઓ દ્વારા કાકલૂદી કરતા હોય. તેઓ માત્ર માશૂકાનો પ્રેમ જ મેળવવા માગતા હોય, પણ તેમની માગણી સામે કોઈ બલિદાન આપવાની તેમની કોઈ તૈયારી ન પણ હોય! પરંતુ પોતે તો માશૂકાને પામવા માટે પોતાના જાનની બાજી લગાવવા માટે પણ તૈયાર છે. આમ માશૂકની આત્મબલિદાન માટેની તત્પરતા પેલાઓની દુઆઓ કરતાં પણ ચડિયાતી સાબિત થાય છે. ઇશ્કે હકીકી સંદર્ભે આ શેરમાંની માશૂકાને ઈશ્વર ગણી લઈએ તો તેને પ્રાપ્ત કરવા માટે ભક્તની પ્રાણ તજી દેવા માટેની પણ તૈયારી હોવી જોઈએ. એક બોધાત્મક પદમાં કહેવાયું પણ છે કે ‘જીવ હો દેતાં, રબકુ જો પાવે; તો સ્હેલા મન જાણો, જી સુણ ભાઈ.’ આમાં ગૂઢાર્થ એ સમાયેલો છે કે ઈશ્વર આગળ જિંદગીની કોઈ વિસાત નથી. વળી જિંદગી સમર્પી દેતાં પણ જો રબ (ઈશ્વર)ને પ્રાપ્ત કરી શકાય તો માની લેવું કે એ સ્હેલાઈથી (સસ્તામાં) મળી ગયો.

* * *

મૈંને માના કિ કુછ નહીં ગ઼ાલિબ
મુફ઼્ત હાથ આયે તો બુરા ક્યા હૈ (૧૧)

(—)

આપણી ગ઼ઝલના આખરી આ મક્તા શેર (જેમાં ગ઼ઝલકારનું નામ વણી લેવામાં આવતું હોય છે)માં ભારોભાર રમૂજ પ્રયોજાઈ છે. ઉલા મિસરામાં માશૂક અલ્પોક્તિ દ્વારા જણાવે છે કે પોતે તો સાવ તુચ્છ કહેતાં નાચીજ (પામર) બંદો છે અને વળી નકામો પણ છે. આમ છતાંય ગમે તેવો તોય જો પોતે સાવ મફતમાં પણ માશૂકાને મળી રહેતો હોય તો એમાં ખોટું પણ શું છે! માશૂકા માટે એમ કરવું એ કંઈ ખોટનો સોદો નથી. માશૂકાથી ખરીદાઈ જવાના સામે પોતે કોઈ અવેજ મેળવવા માગતા નથી અને આમ પોતે જીવનભર તેણીના ગુલામ થવા તૈયાર છે.

આ શેરને પણ આધ્યાત્મિક અર્થમાં સમજીએ તો માનવીએ માશૂકારૂપી ઈશ્વરના ગુલામ થઈને જીવવું જોઈએ. મુસ્લીમો અને હિંદુભાઈઓમાં અનુક્રમે ‘અબ્દુલ્લાહ’ અને ‘ભગવાનદાસ’ નામો ધરાવાતાં હોય છે. ‘અબ્દુલ્લાહ’ શબ્દનો અર્થ છે, અલ્લાહનો અબ્દ (બંદો, ગુલામ, સેવક); જ્યારે ‘ભગવાનદાસ’ શબ્દના પણ એવા જ અર્થો થાય છે. પરંતુ આવાં માત્ર નામો ધારણ કરવાથી શું વળે? ધર્મગ્રંથોમાંની દેવવાણી કે કલામે રબ્બાનીમાંની આજ્ઞાઓને ગુલામની જેમ અનુસરવાથી ઐહિક અને પારલૌકિક આપણું કલ્યાણ થઈ શકે.

નોંધ:-

આખીય ગ઼ઝલના અગિયાર શેરોનું વર્ગીકરણ આમ થશે; ઈશ્વરને સંબોધન (૧ થી ૪ શેર), માનવીને સંબોધન (૫ થી ૭ શેર) અને માશૂકાને અનુલક્ષીને (૮ થી ૧૧ શેર).

મિર્ઝા ગ઼ાલિબ                                                                             (સંપૂર્ણ)

(ગ઼ઝલ ક્રમાંક – ૧૬૩)

* * *

ઋણસ્વીકાર :

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) http://techwelkin.com/tools/transliteration/ (દેવનગરી-ગુજરાતી સ્ક્રીપ્ટ કનવર્ટર)
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા
(૫) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ
(૬) Courtesy –  urduwallahs.wordpress.com
(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

 

Tags: ,

(579) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૯ (આંશિક ભાગ – ૧) વો ફ઼િરાક઼ ઔર વો વિસાલ કહાઁ… (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

વો ફ઼િરાક઼ ઔર વો વિસાલ કહાઁ (શેર ૧ થી ૩)

વો ફ઼િરાક઼ ઔર વો વિસાલ કહાઁ
વો શબ-ઓ-રોજ઼ ઓ માહ-ઓ-સાલ કહાઁ (૧)

(ફ઼િરાક઼= વિરહ; વિસાલ= મિલન; શબ-ઓ-રોજ઼ ઓ માહ-ઓ-સાલ= રાત અને દિવસ અને માસ અને વર્ષ)

અર્થઘટન અને રસદર્શન :

ગ઼ાલિબની ઘણી એવી ગ઼ઝલો છે કે જે વિષયની સુસંગતતા અને પ્રવાહિતા જાળવી રાખતી હોય અને એના પ્રત્યેક શેરમાં એક જ પ્રકારનો ભાવ પ્રગટ્યા કરતો હોય. ‘કહાં’નો શબ્દાર્થ તો ‘ક્યાં’ જ થાય, પણ તેનો વ્યંજનાર્થ તો ‘ક્યાંય નહિ’ એવો જ લેવો પડે. અહીં એ શબ્દ વિષાદ અને અભાવને દર્શાવે છે. અભાવ એટલે ‘ગમવું નહિ’ તે નહિ, પણ ‘ન હોવાપણું’. ભૂતકાળમાં અનુભવાયેલી કેટલીક એવી બાબતો અત્યારે જોવા મળતી નથી. એ બાબતોને આ શેરમાં ‘વો’ તરીકે ઓળખાવાઈ છે. એ ‘વો’માં આવે છે : વિયોગ, સંયોગ, દિવસો, મહિનાઓ અને વર્ષો. એ બધાં અગાઉ જેવાં જે કંઈ હતાં તે આજે જોવા મળતાં નથી. આમ તેમને યાદ કરી કરીને ગ઼ાલિબ અફસોસ અને ઝુરાપો વ્યક્ત કરે છે. મિલનની કે વિયોગની એ ઘટનાઓમાં પણ એ વખતે એક પ્રકારનું માધુર્ય રહેતું હતું, પરંતું ત્યાં આજે તો શુષ્કતા દેખાય છે. મિલનમાં પ્રેમીપાત્રોનો આનંદ અને વિરહમાં પણ એક પ્રકારની જે તડપ હતી, જે વેદના હતી તે આજે અનુભવાતી નથી. આજે બધે ખાલીપો લાગી રહ્યો છે. બીજી પંક્તિની રચના શ્રાવ્ય એટલે કે સાંભળવાલાયક બની રહી છે. વળી તે અર્થનિર્ધારણ પણ કરી આપે છે. સમયનું દિવસો, મહિનાઓ અને વર્ષોમાં  પસાર થવું એ ક્રમિક રીતે પઠન વખતે એવો ભાવ જગાડે છે કે જાણે કે વાણીનો ધોધ ન વહેતો હોય! આમ ભવ્યાતિભવ્ય આ શેરથી ગ઼ઝલની શરૂઆત થાય છે.

ફ઼ુર્સત-એ-કારોબાર-એ-શૌક઼ કિસે
જ઼ૌક઼-એ-નજ઼્જ઼ારા-એ-જમાલ કહાઁ (૨)

(ફ઼ુર્સત-એ-કારોબાર-એ-શૌક઼= જગતના વેપાર માટેનો અવકાશ; જ઼ૌક઼-એ-નજ઼્જ઼ારા-એ-જમાલ= સૌંદર્યનું દૃશ્ય જોવાનો આનંદ)

અર્થઘટન અને રસદર્શન :

ગ઼ઝલના બીજા શેરમાં પણ પહેલા શેરનો અભાવોનો સિલસિલો ચાલુ રહે છે. શેરની પહેલી પંક્તિ ‘કિસે’  શબ્દ ખુદ કવિને લાગુ પડે છે અને તે દર્શાવે છે કે તેમને દુનિયાદારીના ધંધારોજગારની પ્રવૃત્તિઓમાં કોઈ લુત્ફ (આનંદ) કે કામકાજમાં સંતોષ (Job satisfaction) નથી મળતાં. વળી આમ બનવું તે સ્વાભાવિક પણ છે કેમ કે રોજિંદા કામકાજમાં એક પ્રકારનો કંટાળો (monotony) આવી શકે. હવે આ તો ઠીક પણ નજર સામે કોઈ સૌંદર્યા હોય કે પછી કુદરતી સૌંદર્ય હોય તો તેને નિરખવામાં પણ કોઈ ઉત્સાહ કે આનંદ નથી રહ્યાં. અહીં બંને પક્તિમાં પરિસ્થિતિઓ વચ્ચેનો થોડોક ભેદભાવ બતાવીને ગ઼ઝલકાર છેવટે તો એ જ નિષ્કર્ષ પર આવે છે કે બદલાતા સમયની તાસીર આના માટે જવાબદાર હોવા કરતાં તેમનો બદલાતો જતો મિજાજ જ વધારે કારણભૂત જણાય છે. વયવૃદ્ધિ અને વૈચારિક પરિપક્વાતાઓના કારણે માણસ જૂની સ્વૈરવિહારી માનસિકતામાંથી બહાર નીકળતો જઈને ગંભીરતા ધારણ કરતો જાય તેવી આ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે, જે આજે આપણે પણ અનુભવી રહ્યા છીએ. બદલાતા જતા સમાજજીવનનાં આ ચિહ્નો છે. પોતાની પાસે સુખવૈભ અને સમૃદ્ધિ હોવા છતાં માણસ આજેય જે બેચેની અનુભવે છે તેને  ‘કશાકથી વિખુટા પડ્યાનો વલવલાટ (Withdrawal symptoms)’ તરીકે ઓળખાવી શકાય. આમ આ શેરમાં ગ઼ાલિબની અન્ય ગઝલોમાં જે ઉન્માદતા જોવા મળતી હતી તેના બદલે ગંભીરતા જોવા મળે છે, જાણે કે હવે તેઓ ઠાવકા બની ગયા ન હોય!

દિલ તો દિલ વો દિમાગ઼ ભી ન રહા
શોર-એ-સૌદા-એ-ખ઼ત્ત-ઓ-ખ઼ાલ કહાઁ (૩)

(શોર-એ-સૌદા-એ-ખ઼ત્ત-ઓ-ખ઼ાલ= રૂહની કલ્પનાની ધૂમધામ)

અર્થઘટન અને રસદર્શન :

ગ઼ાલિબ અહીં જે ઈશારો કરે છે તે એ છે કે સૌંદર્ય કે મુગ્ધાતાને કોલાહલભરી રીતે આમ કે તેમ ડહોળવાની જે પ્રક્રિયાઓ પહેલાંપહેલાં જે થતી હતી તે હવે દિલથી તો શું દિમાગથી પણ થતી નથી. સૌંદર્યના પ્રતીક તરીકે યુવાનીના ઉંબરે આવી ઉભેલા એ કિશોરોની આછી આછી ઊગતી દાઢીઓ અને યૌવનાઓની સુંદરતાને ઉભારતી તેમના ચહેરાઓ ઉપરના તલ વિષે રસિકજનો જે વિવેચનાઓ કરતા હતા તે ખરા દિલથી કરતા હતા. આવી ચર્ચાઓ જ્યારે જામતી ત્યારે એ લોકો પોતાનાં દિલોમાં પણ મુગ્ધતાનો એ ભાવ ધરાવતા અને તેથી એવી વાતો કરવા-કરાવવાળાઓનાં દિલોમાં એક ઉમળકો કે ઉલ્લાસ રહેતાં હતાં અને તે તેમનાં સાચાં દિલોમાંથી પ્રગટતાં હતાં. પરંતું આજે તો પણ એવાં સૌંદર્યો આવનારી એક પછી એક પેઢીમાં જોવા મળતાં હોવા છતાં કોઈના દિલમાં ગલગલિયાં કરાવે તેવી કે માત્ર દિમાગી કસરતો દ્વારા પણ એ સૌંદર્યોને બિરદાવાતાં નથી. આમ ચાહતના ઉદ્દીપક તરીકે કામ કરતી એ દાઢીઓ કે વદન ઉપરના તલ પરત્વે લોકો શુષ્ક દેખાય છે અને તેથી તેઓ દિલથી નહિ તો દિમાગના માનસિક વિચારો થકી પણ એ સૌંદર્યોને સન્માન આપતા નથી.

ગ઼ાલિબનો જીવનકાળ ઈ.સ.૧૭૯૭થી ઈ.સ.૧૮૬૯ સુધીનો રહયો હતો. આજે તેમના અવસાનને લગભગ ૧૫૦ વર્ષ થયાં. ગ઼ાલિબ તેમની ગ઼ઝલોમાં તેમના સમયકાળની વાત કરે છે. તે કાળે લોકો સૌંદર્યના ચાહક અને ઉપાસક જરૂર હતા, પણ તેઓ એ સૌંદર્યને પામવા કે ભોગવવાની વિકારવૃત્તિ ધરાવતા ન હતા, જે આજે ૨૧મી સદીના પ્રારંભકાળે અમર્યાદ વધતી જાય છે. રોજબરોજ નિર્દોષ સ્ત્રીઓ પર થતાં બળાત્કાર કે છેડતીનાં દુષ્કૃત્યો આ વાતની ગવાહી પૂરે છે. સૌંદર્યને માણવું અને તેનો ઉપભોગ કરવો એ ભિન્ન્ન બાબતો છે. આ વાતને છોડ ઉપરના ફૂલના ઉદાહારણથી સમજી શકાય. ફૂલને યથાસ્થાને રહેવા દઈને તેને માત્ર સૌંદર્યભાવે નીરખવું અને તેને તોડીને મસળી નાખવા જેવી વિરોધાભાસી ચેષ્ટા ન કરવી એમાં જ આ સમજદારી રહેલી છે.

– મિર્ઝા ગ઼ાલિબ GG86                                                                (ક્રમશ: આંશિક ભાગ – ૨)

* * *

ઋણસ્વીકાર :

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) http://techwelkin.com/tools/transliteration/ (દેવનગરી-ગુજરાતી સ્ક્રીપ્ટ કનવર્ટર)
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વિકીપીડિયા

 

Tags: , , , ,