RSS

Tag Archives: વેણીભાઈ પુરોહિત

(૪૬૭) “ગૌરવર્ણો ભિક્ષુક” : પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૪)

The fair skinned beggar

Sunlight,
the fair skinned beggar,
stands long hours
of summer mornings
at the veranda of my house
asking for nothing
irritating and annoying.
In the afternoon,
he jumps on our roof
and slowly walks down
to the balcony of Mrs. Maria,
drinks water and quenches his thirst
from the hanging bowl for birds,
peeps into her house,
watches her napping in her chair,
softly touches her cheeks
says something into her ears
and walks down
towards the West
singing a song
swinging his hands
carelessly as ever.
– Mukesh Raval
(Pots of Urthona – A Collection of Poems)
* * * * *

ગૌરવર્ણો ભિક્ષુક

સૂર્યપ્રકાશ
ગૌરવર્ણો ભિક્ષુક !
કલાકો સુધી ગ્રીષ્મ પ્રભાતે
મુજ ગૃહ તણા વરંડે
રહી ઊભો
ન કશુંય યાચે, તથાપિ
પજવતો, છંછેડતો મુજને !
વળી મધ્યાહ્ને
કૂદાકૂદ કરી અવ છપ્પરે
ગમન કરતો બિલ્લીપગે
શ્રીમતી મારિયાની અટારી ભણી !
પીએ પાણી,
વિહંગ તણી લટકતી કૂંડીઓ મહીંથી તહીં,
નિજ પ્યાસ તૃપ્ત કરવા.
વળી ડોકિયું કરી લે તેણીના ગૃહ મહીં
અને નિરખી લે તેણીને
ઝોકાં ખાતી નિજ ખુરશી મહીં.
તો વળી સ્પર્શી લે તેણીના ગાલોને
હળવી હથેળીઓ થકી
અને કાનોમાં કંઈક ગૂસપૂસ કરી લૈ
વહી જાતો મગરિબ ભણી,
ગાન ગણગણતો અને હાથ વીંઝતો
સાવ જ બિફિકરાઈથી હંમેશની જ જ્યમ !
* * *
– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)
(પ્રૉફેસર મુકેશ રાવલના કાવ્યસંગ્રહ ‘Pots of Urthona’માંથી સાભાર)

# # # # #

રસદર્શન

પ્રોફેસર મુકેશ રાવલ, હિંદી જ્યાંની રાષ્ટ્રભાષા છે એવા ભારતના કવિ, એ રાજ્ય કે જ્યાં ગુજરાતી પ્રાદેશિક ભાષા છે અને દક્ષિણ ભારત અને અન્ય કેટલાંક રાજ્યોના પ્રમાણમાં અંગ્રેજીનું ઓછું ચલણ છે એવા ગુજરાતના કવિ, બનાસકાંઠા જિલ્લો કે જે હજુ પછાત જિલ્લા તરીકેના મહેણાને મિટાવવા મથામણ કરી રહ્યો છે એ જિલ્લાના કવિ, જ્યાંનો પાલનપુર તાલુકો કે જે મુખ્યત્વે કૃષિ સાથે સંકળાએલો છે એવા તાલુકાના કવિ અને તેમાંય વળી વગદા એવું નાના કદનું ગામડું કે જ્યાં શાળામાં ભણતાં બાળકો સિવાય કોઈનીય પાસે એકાદ અંગ્રેજી શબ્દ પણ સાંભળવા ન મળે અને જેમનો ત્યાં  જન્મ અને ઉછેર થયો હોય એવા એ ગામડાના કવિ અંગ્રેજી કાવ્યો લખે, એ કાવ્યો વિદેશનાં સામયિકોમાં સ્થાન પામે, વિદેશી વાચકોના પ્રશંસાત્મક અને પ્રોત્સાહક પ્રતિભાવો મેળવે અને આમ જેઓ વિશ્વકવિઓની હરોળમાં પોતાનું સ્થાન પાકું કરે – આ સઘળું દીવાસ્વપ્ન જેવું લાગે; છતાંય આપણા સામે એ હકીકત છે, જેનો ઈન્કાર નહિ થઈ શકે. કવિનાં એકએકથી ચઢી જાય તેવાં કલ્પનાતીત અનેક કાવ્યોમાંનાં શિરમોર ગણાય તેવાં એકાધિક કાવ્યોમાં જેને ગણાવી શકાય એવું આ કાવ્ય છે – ‘ગૌરવર્ણો ભિક્ષુક’. આ કાવ્યનો અનુવાદ અને રસદર્શન કરાવવામાં હું ગૌરવ અનુભવું છું.

આ કાવ્યને એકલા પ્રકૃતિકાવ્ય તરીકે કે માત્ર રૂપક કાવ્ય તરીકે કે પછી સજીવારોપણ અલંકારની ભવ્યતમ રચના તરીકે માત્ર ઓળખાવવામાં આવે, તો તેની અધૂરી ઓળખ બની રહેશે. પરંતુ આ કાવ્યમાં એ ત્રણેયનો ત્રિવેણીસંગમ થયો છે એમ કહીશું, તો જ એને પૂરો ન્યાય આપ્યો ગણાશે. કેટલાય ગુજરાતી કવિઓએ ‘તડકો’ ઉપર કાવ્યો, ગ઼ઝલો, દોહરાઓ, મુક્તકો કે હાઈકુઓ રચ્યાં છે. ‘સૈફ’ પાલનપુરી ‘તડકો’ ઉપર ગ઼ઝલ રચી કાઢે, શબ્દ અને લયના સ્વામી એવા વેણીભાઈ પુરોહિત ‘કોકણવરણો તડકો’ લખે, ઉમાશંકર જોશી ‘થોડોએક તડકો ઢોળાઈ ગયો’ જેવું પ્રાણવાન કાવ્ય આપે કે પછી ઉશનસ્, મણિલાલ દેસાઈ જેવા કવિઓ પોતાની રચનાઓમાં તડકાને વણી લે એ બધું ભવ્યાતિભવ્ય તો છે જ, પણ આપણા આ કાવ્યના કવિ તો તડકાને ‘જરા હટકે’ કવે છે.

કાવ્યકલગી તરીકે શીર્ષકને સમજીએ તો ‘ગૌરવર્ણો ભિક્ષુક’ એ શીર્ષક કાવ્ય પૂરું થતાં કોથળામાંથી બિલાડું કાઢવા જેવું લાગશે, છેતરામણું લાગશે; પણ વાચકે કાન પકડીને સ્વીકારવું અને કહેવું પડશે કે ‘ભાઈ, આ તો કવિકર્મ છે; કવિ આઝાદ છે, કવિની સૃષ્ટિ તો બ્રહ્માની સૃષ્ટિ કરતાં નિરાળી છે, કવિની કલ્પના ઉપર કોઈ લગામ ન હોઈ શકે, વગેરે વગેરે. કવિ તડકાને જ્યારે ભિક્ષુકનું રૂપક આપે ત્યારે વાચકને પ્રથમ ઝટકો તો લાગે, પણ એ તડકાની હરકતો વાંચીએ; ત્યારે આપણને તેનાં બેફિકરાઈ અને મનમોજીપણાનાં લક્ષણો ભિખારી કે ફકીર જેવાં લાગ્યા વગર રહે નહિ અને ત્યારે આપણે એ શીર્ષકને પ્રમાણિતતાની મહોર મારવી જ પડે.

સૂર્યપ્રકાશને માત્ર પ્રકાશ તરીકે ન ગણતાં એને ‘તડકો’ નામે પણ ઓળખી શકાય, પછી ભલે એને કૂણો કે પ્રખર એવાં વિશેષણો લાગુ પાડવામાં આવતાં હોય. કવિએ આ સૂર્યપ્રકાશને કાવ્યારંભે ‘The fair skinned beggar’ – (ગૌરવર્ણો ભિક્ષુક) તરીકેનું રૂપક આપીને ક્રિકેટની રમતવાળી પહેલી જ સિક્સર મારી દીધી છે. પૂર્વોક્ત કવિ વેણીભાઈ પુરોહિતે પણ તડકાને કોકરવરણા તરીકે જ ઓળખાવ્યો  છે ને ! ‘કોકર’ એટલે મિશ્ર ધાતુનું બનેલું જર્મન સિલ્વર અને બીજો અર્થ છે એવી રૂપેરી ત્વચાવાળી માછલી. તો આપણે જોઈ શકીએ કે બંને કવિઓએ તડકાનો રંગ તો સમાન જ પકડ્યો છે.

કવિએ સજીવારોપણ અલંકારની સહાય વડે તડકાને જ્યારે ભિક્ષુક તરીકે જ દર્શાવ્યો છે, ત્યારે હવે એ ખ્યાલ   સાથે પોતે આગળ વધી રહ્યા છે. આ સૂર્યપ્રકાશ અર્થાત્ ગ્રીષ્મનો તડકો સૂર્યોદયથી શરૂ થઈને મધ્યાહ્ન સુધીના કલાકો સુધી પોતાના વરંડે ભિક્ષુકની જેમ ઊભો રહીને કશું જ યાચ્યા વગર કવિને પજવવાનું, છંછેડવાનું શરૂ કરી દે છે. આ તો ભાઈ, ઉનાળાનો તડકો હોઈ તે વહેલી સવારથી જ તેની પ્રખરતાનાં એંધાણ આપી દે છે. કવિને તેની પજવણીની શરૂઆત જાણે આંગળીઓના ગોદા મારીને (Poking with fingers) પરેશાન કરવામાં આવે તેવી લાગે છે. હવે એ તડકો મધાહ્નની સ્થિતિએ આવીને કવિના છાપરા ઉપર કૂદાકૂદ કરીને વળી પાછો દબાતા પગલે કવિના ઘરની સામે રહેતી મારિયાના ઘરના ઝરૂખા તરફ જવા માંડે છે. કવિ અંગ્રેજી ભાષામાં  લખી રહ્યા હોઈ અંગ્રેજીભાષી વાચકોને આ કવિતા પોતીકી લાગે તે માટે પશ્ચિમના દેશોનું ખ્રિસ્તી નામ ‘મારિયા’ પસંદ કર્યું છે. આ કાવ્ય ગુજરાતીમાં લખાયું હોત તો ‘કોકિલા’, ‘ચંપા’ કે ‘મરિયમ’ નામ હોઈ શકત. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે અહીં કવિની આંતરસૂઝ કાબિલે દાદ છે.

હવે આ નટખટ તડકો મારિયાને પરેશાન કરવા કે એની સાથે ગમ્મત કરવા પહેલાં પક્ષીઓને પીવાના પાણીની કૂંડી (hanging bowl for birds)માંથી પાણી પીને પોતાની તૃષા છિપાવે છે. ‘તડકાનું પાણીનું પીવું’ એ ગજબનાક કવિની કલ્પના છે. એ તડકો કેટલીકવાર સુધી કૂંડીના પાણી ઉપર છવાયેલો રહીને અલ્પમાત્રામાં પણ એ પાણીનું બાષ્પીભવન કરે છે અને તેથી નજીવું પણ પાણીનું કદ ઘટે છે અને તેથી જ કવિએ તડકાને કૂંડીમાંથી જલપાન કરતો કલ્પ્યો છે. આ વર્ણનને કાવ્યત્વનું હીર ગણવું પડે, કેમકે અહીં કવિએ એક સામાન્ય ઘટનાને અસામાન્ય તરીકે વર્ણવી છે. હવે મારિયા સાથેનાં તડકાનાં ટીખળો ખરે જ માણવા જેવાં છે. પરંતુ એ પહેલાં કવિએ રમૂજભરી રીતે મારિયાને તેની ખુરશીમાં ઝોકાં ખાતી બતાવી છે. ગ્રીષ્મના ઢળતા દિવસે કોઈકવાર પવનની મંદ લહેર આવી જતાં કોઈપણ ઈસમ ઝોકું ખાઈ લે એ વાસ્તવિકતાને કવિએ અહીં ઉજાગર કરી છે.

અહીં આપણને તડકાની મારિયા સાથેની ચેષ્ટાઓ નાના બાળકની ચેષ્ટાઓ જેવી નિર્દોષ છતાંય અટકચાળા ભરી લાગશે. પડોશમાંના કોઈ બાળકની જેમ પ્રથમ તો એ તડકો મારિયાના ઘરમાં ડોકિયું કરી લે છે અને તેને ખુરશીમાં ઊંઘતી ઝડપી લે છે. આમ છતાંય તડકો પોતાનું શાણપણ એ રીતે બતાવે છે કે મારિયાની ઊંઘમાં ખલેલ પડે નહિ અને તે પોતાની રીતે માત્ર પોતાના પૂરતા આનંદ માટે તેની સાથે થોડીક ગમ્મત માણી લે. સૂર્યનાં એકદમ ત્રાંસાં કિરણો એની દાહકતાને ગુમાવતાં હોઈ એ તડકો કૂણો બને છે અને આમ પોતાની હળવી હથેળીઓથી એ મારિયાના ગાલોને સ્પર્શ કરી લે છે અને તેના કાનમાં ગૂસપૂસ પણ કરી લે છે.

કાવ્યસમાપને આવતાં કવિ વાચકને પણ હળવેકથી તડકાથી દૂર કરી દે છે. એ તડકો જાણે કે કોઈ ગાન ગણગણતો હોય તેમ હાથ હલાવતો રોજિંદા ક્રમ મુજબ પશ્ચિમ દિશા તરફ બિન્દાસ્તપણે સરકી જાય છે. કાવ્યની આ આખરી પંક્તિઓ એવી ધારદાર રીતે રજૂ થઈ છે કે તડકો ભલે ને આંખથી ઓઝલ થઈ જતો હોય, પણ ભાવકના દિલોદિમાગ ઉપર એક ઊંડી અસર છોડી જાય છે. કાવ્ય પૂરું થતાં ભાવક થોડાક સમય સુધી કાવ્યની ઘટનાઓને મનમાં મમળાવ્યે જાય છે અને કાવ્યરસથી તૃપ્ત થઈ જતાં એવો અકથ્ય આનંદ અનુભવે છે કે જે આનંદને કાવ્યમીમાંસકોએ *‘બ્રહ્માનંદ સહોદર આનંદ’ તરીકે ગણાવ્યો છે.

– વલીભાઈ મુસા  (રસદર્શનકાર)

[*‘બ્રહ્માનંદ સહોદર આનંદ’ = બ્રહ્મપ્રાપ્તિથી થતા આનંદ જેવો જ કાવ્યાનંદ, જાણે કે એ બંને આનંદો એક જ માતાની કૂખે જન્મ્યા હોય એવા (સહોદર)]

પ્રોફેસર મુકેશ રાવલનાં સંપર્કસૂત્રો :

ઈ મેઈલ – Mukesh Raval < rajshlokswarda@gmail.com
મોબાઈલ – ૯૮૭૯૫ ૭૩૮૪૭

પુસ્તક પ્રાપ્તિ : –

“Pots of Urthona” –  ISBN 978-93-5070-003-7 મૂલ્ય : રૂ|. ૧૫૦/- (શાંતિ પ્રકાશન, ડી-૧૯/૨૨૦, નંદનવન એપાર્ટમન્ટ, ભાવસાર હૉસ્ટેલ પાસે, નવા વાડજ, અમદાવાદ – ૩૮૦ ૦૧૩)

 

 

 

Tags: , , , ,