RSS

Tag Archives: શેક્સપિઅર

(૪૫૩-અ) અનુવાદન – કલા કે શાસ્ત્ર; કે પછી એ બંને ?

‘અનુવાદન’ શબ્દના બે અર્થો છે : એક – કોઈ એક વાદ્યવાદકને અન્ય વાદ્યવાદકે સાથ આપવો; અને બે – સાહિત્યકૃતિનું ભાષાંતર કરવું. મારા પ્રશ્નસૂચક શીર્ષકનો જવાબ અહીં જ આપી દઈને હું મારા લેખમાં આગળ વધવા માગું છું. મારો જવાબ એ છે કે સંગીત અને સાહિત્ય બંનેમાંનું અનુવાદન એ કલા અને શાસ્ત્ર બંને છે. સંગીત શાસ્ત્રની રીતે શિખાય કે શિખવાય છે, માટે તે શાસ્ત્ર છે અને એ સંગીત જ્યારે પ્રગટે છે; ત્યારે એ કલા બને છે. સાહિત્યિક અનુવાદન પણ તેની પ્રક્રિયા દરમિયાન તેની શાસ્ત્રીયતાને અનુસરે છે અને પ્રક્રિયા પૂરી થતાં પરિપાકરૂપે આપણી સામે આવે છે, ત્યારે તે કલાસ્વરૂપે હોય છે. આ સંગીતકલા કે અનુવાદકલાએ શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરવી હોય તો તેમના રજૂકર્તાઓ માટે કાર્યકુશળતા અનિવાર્ય બની રહે છે અને આ કાર્યકુશળતા સજ્જતાથી જ આવી શકે છે. આ લેખ સાહિત્યિક અનુવાદન ઉપર જ હોઈ આપણે સંગીતને એની રીતે વાગવા દઈને આગળ વધીએ !

સાહિત્યના અનુવાદક હોવા કે થવા માટેની પાયાની શરત એ છે કે તેની પાસે બંને ભાષાઓ ઉપરનું પ્રભુત્વ હોવું જરૂરી છે. જે ભાષામાંથી અનુવાદકાર્ય કરવામાં આવી રહ્યું હોય તે ભાષા ઉપર અનુવાદકનું પ્રભુત્વ હોવું એટલા માટે જરૂરી છે કે તે લખાણના અર્થ અને ભાવ બંનેને એ સારી રીતે સમજી શકે. એ જ પ્રમાણે એ અનુવાદ જે ભાષામાં થઈ રહ્યો હોય તેના ઉપર એ અનુવાદકની પકડ હશે તો જ તે મૂળ કૃતિના અર્થ અને ભાવને સુપેરે અભિવ્યક્ત કરી શકશે. વાચક જ્યારે કોઈ અનુવાદિત કૃતિ વાંચી રહ્યો હોય, ત્યારે તેના માટે મૂળ કૃતિનું કોઈ વજૂદ હોતું નથી; એને તો નિસ્બત હોય છે, તેની સામે જે છે તે પરત્વે જ. વાચકને એમ જ લાગવું જોઈએ કે પોતે જે કૃતિ વાંચી રહ્યો છે તે કોઈ અનુવાદિત કૃતિ નથી, પણ જાણે મૂળે એ ભાષામાં પ્રથમ જ લખાયેલી છે. આમ અનુવાદક વાચકને આ પ્રકારની પ્રતીતિ કરાવવા માગતો હોય તો તે અનુવાદકાર્ય આદર્શ રીતે થયું હોવું જોઈએ. સાવ સરળ શબ્દોમાં કહીએ તો અનુવાદકે સમજવા અને સમજાવવા માટેની એમ બેઉ ક્ષમતાઓ કેળવવી પડે. જે પોતે જ સમજ્યો ન હોય તે બીજાને શું સમજાવી શકવાનો હતો !

આપણે આગળ અનુવાદક માટે ભાષાઓ ઉપરના પ્રભુત્વની આવશ્યકતાને સ્વીકારી છે, તો એ પણ જાણી લઈએ કે એ પ્રભુત્વ કેવી રીતે મેળવી શકાય. શું જે તે ભાષાનાં શબ્દભંડોળ કે વ્યાકરણ એ ભાષા ઉપર પ્રભુત્વ મેળવવા માટે પર્યાપ્ત ગણાય ? ના, હરગિજ નહિ. દરેક ભાષામાં સામાન્ય કે સહજ રીતે બોલાતા શબ્દો (Colloquial words) હોય છે, તેના મુહાવરા કે કહેવતો હોય છે, તેમાં કેટલાક સ્વાભાવિક ઉદ્ગારો હોય છે, કોઈક એવા પણ શબ્દો હોય કે જેમાં વિશિષ્ટ ભાવો સમાયેલા હોય છે. આ બધું જાણવું, સમજવું, અનુભવવું પણ અનુવાદક માટે જરૂરી બની જાય છે અને તો જ જે તે ભાષાના પ્રભુત્વને પામી શકાય. માત્ર સાર્થ શબ્દભંડોળ ઉપર આધાર રાખનાર અનુવાદક અનુવાદ તો કરી બતાવશે; પણ તે કાર્ય દીપી નહિ ઊઠે, પરંતુ તે વસ્ત્ર ઉપર થિગડાં (Patch work) માર્યા જેવું ગણાશે. મનોરંજન માટે આવી કેટલીક ઉક્તિઓ પ્રચલિત છે, જેવી કે ‘દિલ બાગ બાગ થઈ ગયું’ નું ‘Heart became garden and garden !’, ‘લડતાં લડતાં તે રંગમાં આવી ગયા’નું ‘Fighting and fighting he came in color !’ વગેરે…વગેરે.

દરેક ભાષામાં વક્રોક્તિઓ હોય છે, કટાક્ષ માટે કેટલાક શબ્દપ્રયોગો થતા હોય છે, અપશબ્દો હોય છે, શિષ્ટાચારસૂચક સંબોધનો હોય છે, હૂલામણા શબ્દો હોય છે, શબ્દોની અર્થચ્છાયાઓ હોય છે, કેવું બોલાય અને કેવું ન બોલાય તેના વિવેકો કે મર્યાદાઓ હોય છે, વૈકલ્પિક શબ્દો હોય છે અને એ શબ્દોના હળવા કે કઠોર અર્થો હોય છે. આ બધું જાણવા અને સમજવા માટે વ્યાવહારિક જ્ઞાન જ કામ આવી શકે; માત્ર પુસ્તકોનું જ્ઞાન તો આપણને છેતરી જાય, અનર્થો ઊભા કરાવે, ગંભીર વાતને હાસ્યાસ્પદ બનાવી દે, ઘણુંઘણું બની શકે, આ યાદી હજુય લાબી થઈ શકે તેમ છે !

દરેક ભાષામાં મુખ્યત્વે ગદ્ય અને પદ્ય એમ બંને પ્રકારે લખાતું હોય છે. ગદ્યનું અનુવાદકાર્ય પ્રમાણમાં સહેલું પડે, પરંતુ પદ્યનું અનુવાદન તો લોઢાના ચણા ચાવવા બરાબર ગણાય. પદ્યસર્જન ભાવાત્મક હોય છે અને અનુવાદકે એ ભાવને પકડવો અને જે તે ભાષામાં એને અભિવ્યક્ત કરવો એ કવિકર્મ છે અને એ કવિકર્મ અછાંદસ તો કદાચ શક્ય બને, પરંતુ એને છંદબદ્ધ રીતે કરવાનું હોય; તો અડધા નહિ, પણ આખા કવિ જ બનવું જ પડે !

વચ્ચે મારા એક લેખ “વાણીવિનિમયમાં સંતુલિત અતિશયોક્તિની કળા (૧) અને (૨)”માંના કેટલાક અંશોને કે જે અત્રે પ્રસ્તુત હોઈ તેને અહીં આપતાં મારી જાતને રોકી નથી શકતો. એક વખતના આપણા ભારતીય રેલવે પ્રધાન શ્રી લાલુપ્રસાદ યાદવને તેમના બજેટ પ્રવચન દરમિયાન તેમણે કહી સંભળાવેલી કેટલીક હિંદી પંક્તિઓના તેમણે જ કરેલા હિંમતભર્યા અંગ્રેજી ભાષાંતર સંદર્ભે તેમને અહીં યાદ કરું તો મારા ભલા વાંચકો મને થોડોક સહી લેશે તેવી આશા સેવું છું.

સબ કહતે હૈં, હમને ગજબ કિયા હૈ,
કરોડોંકા મુનાફા, હર એક શામ દિયા હૈ|
ફલ સાલોંમેં અબ દેગા પૌધા જો લગાયા હૈ,
સેવાકા સમર્પણકા હમને ફર્જ નિભાયા હૈ|

મિ. લાલુપ્રસાદ યાદવના હાજરજવાબીપણા અને રમુજી સ્વભાવે તેમને ઉપરોક્ત કંડિકાઓનું અંગ્રેજીમાં ભાષાંતર કરવા પ્રોત્સાહિત કર્યા. તેમણે લથડતી અને કબુતરના ઘૂઘવાટ જેવી અંગ્રેજી ભાષામાં જે સંભળાવ્યું તેનાથી માત્ર લોકસભાના સભ્યો જ નહિ, પણ સ્પીકર શ્રી સોમનાથ ચેટરજી પણ હસી પડ્યા હતા. તેમણે ભાષાંતરિત જે વાક્યો સંભળાવ્યાં તે નમૂનારૂપે આ પ્રમાણે હતાં : ‘They are saying that Lalu Yadav has planted a fruit tree and every year it is a duty of mine to grow fruit trees.’ (તેઓ કહે છે કે લાલુ યાદવે ફળનું ઝાડ વાવ્યું છે, અને દર વર્ષે ફળોનાં ઝાડ ઊગાડવાની મારી ફરજ છે.)

ઉપરોક્ત ઉદાહરણ દ્વારા આપણને સમજાય છે કે અનુવાદકની સજ્જતા ન હોય તો તે અનુવાદકાર્ય કેવું હાસ્યાસ્પદ બની શકતું હોય છે. તેમના પદ્યનું અંગ્રેજીમાં રૂપાંતર ચોક્કસ રમુજ ઉત્પન્ન કરી શક્યું, પણ તેમના હિંદીમાંના ખૂબ જ અસરકારક પદ્યના મૂળ ભાવને તેઓ યોગ્ય ન્યાય આપી શક્યા ન હતા. આવી સમસ્યા કોઈપણ અનુવાદકને નડી શકે, કેમ કે કોઈપણ સાહિત્યિક રચના પ્રથમ જે ભાષામાં લખાઈ હોય તેનો મૂળ ભાવ જાળવી ન રખાય તો તેનો બિનકાર્યક્ષમ અનુવાદ તેના સૌંદર્યને ગુમાવે છે. બીજી વાત કે જે મેં અગાઉ કહી છે તેનું પુનરાવર્તન થવા દઈને પણ જણાવીશ કે ગદ્ય કરતાં પદ્યનું અનુવાદકાર્ય વધારે કઠિન હોય છે. એમ કહેવાયું પણ છે કે, ‘કાવ્ય એ તો આત્માની કલા છે.’ અને આમ મૂળ સર્જક અને અનુવાદકના આત્મા સમભાવી ન હોય તો મૂળ કૃતિનું હાર્દ માર્યું જાય. હજુ પણ આપણે પદ્યાનુવાદ વિષે થોડુંક વિશેષ જાણી લઈએ.

કોઈકવાર અનુવાદક અનુવાદિત કાવ્યકૃતિના કવિએ કાવ્યની રચના વખતે જે લાગણીઓ અનુભવી હોય તેવી જ લાગણી પોતે ન અનુભવે, ત્યારે તેને ફક્ત તે કૃતિના શબ્દોના સમાનાર્થી શબ્દો ઉપર જ આધાર રાખવો પડતો હોય છે. કાવ્યનો ઉત્કૃષ્ટ અનુવાદ સર્જવા માટે તેણે કાવ્યની એકંદર છાપ કે અસર તથા તેનો સ્પષ્ટ ખ્યાલ અનુભવવો પડે અને પછી કવિના ભાવને સારરૂપ પોતાના જ શબ્દોમાં વ્યક્ત કરવો પડે. અહીં હું ઝવેરચંદ મેઘાણીને તેમના કેટલાક અંગ્રેજીમાંથી ગુજરાતીમાં સફળ અનુવાદો માટે જ નહિ, પણ એક રીતે કહીએ તો જાણે કે એ બધાં તેમનાં પોતાનાં જ સ્વતંત્ર સર્જન હોય તેમ તેમને યાદ કરું છું. નમૂનારૂપ તેમના અંગ્રેજી કાવ્યોના અનુવાદ છે : ‘Somebody’s Darling’ (કોઈનો લાડકવાયો), ‘On the bank of river Rhine’ (સૂના સમદરની પાળે) અને ‘Fair flowers in the valley’ (વનરામાં ગલ રાતાં ફૂલડાં) વગેરે.

આપણાં કેટલાંય ભારતીય ભાષાઓનાં સાહિત્યોનો વિદેશી ભાષાઓમાં અને એ જ પ્રમાણે વિદેશી ભાષાઓમાંનાં સાહિત્યોના ભારતીય ભાષાઓમાં અનુવાદો થયા છે. સાહિત્યજગતનો શિષ્ટાચાર એ છે કે કોઈપણ અનુવાદકે મૂળ જે તે ભાષાના સર્જકની અનુવાદકાર્ય કરવા માટેની અનુમતિ લેવી પડે અને માત્ર એટલું જ નહિ કોપીરાઈટના સબબે કોઈ લેતીદેતીની ચોખવટો પણ કરવી પડે. હવે માનો કે આ બધો વ્યવહાર થાય પણ ખરો, પણ મૂળ સર્જક તો અનુવાદક ઉપર માત્ર વિશ્વાસ જ મૂકી શકે કે જે તે ભાષામાં અનુવાદકાર્ય યોગ્ય રીતે અને સાચું થશે જ. હવે અપરિપક્વ અનુવાદક જો મૂળ કૃતિને યોગ્ય ન્યાય ન આપી શકે તો તેની સાથે વિશ્વાસઘાત થયા જેવું ગણાશે; કેમ કે અનુવાદક તો બંને ભાષાઓને જાણતો હોય છે, પણ સર્જક તો અનુવાદની ભાષાથી અજાણ જ હોય છે. એને બિચારાને તો ખબર સુદ્ધાં નથી પડવાની કે અનુવાદનમાં કેવું અને કેટલું કાચું કપાયું છે, સિવાય કે એ બંને ભાષાઓનો કોઈ જાણકાર વાચક એનું ધ્યાન દોરે.

આપણે એ પણ જાણી લઈએ કે ભાષાંતરકારે પોતાની ભાષાના શબ્દો કે વાક્યરચનાઓને યોગ્ય અર્થે અને સંદર્ભે પ્રયોજવાનાં હોય છે. અત્રે કોઈ ટીકા રૂપે કહેવામાં નથી આવતું, પણ જ્યારે આપણે અર્થ કે સંદર્ભની વાત કરતા જ હોઈએ તો એ મતલબનાં કોઈ એકાદબે ઉદાહરણો મારે આપવાં રહ્યાં. આપણા પંડિતયુગના કોઈક સાહિત્યકારે શેક્સપિઅરનાં નાટકોના ગુજરાતીમાં અનુવાદ કર્યા હતા, જેમાંના આ બે નાટકો, કે જે વર્ષો પહેલાં મારા વાંચવામાં આવ્યાં હતાં, તેમાંની ભીતરની વાતને તો કોરાણે મૂકીએ; પણ માત્ર તેમનાં શીર્ષકોના અનુવાદને હું અત્રે જણાવીશ તો મારા વિદ્વાન વાચકમિત્રો સ્મિત કર્યા સિવાય રહી શકશે નહિ. શેક્સપિઅરના ‘Measure for Measure’ નાટકનું નાટકીય લાગે તેવું ગુજરાતી શીર્ષક હતું : ‘થાય તેવા થઈએ તો ગામ વચ્ચે રહીએ !’; તો વળી, ‘Mucha Ado About Nothing’નું શીર્ષક હતું : ‘ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર !’’ અહીં શીર્ષકના અનુવાદની કોઈ જરૂર ન હતી અને માનો કે હતી તો રૂઢિપ્રયોગો પ્રયોજવાના બદલે સાદા શબ્દોમાં અનુક્રમે ‘જેવા સાથે તેવા’ કે ‘સરવાળે શૂન્ય’ જેવાં શીર્ષકો આપી શકાયાં હોત !

કેટલાક અનુવાદકો તો સંજ્ઞાવાચક નામોને પણ અનુવાદિત ભાષાઓમાં ફેરવી નાખતા હોય છે. સ્વ. મનુભાઈ પંચોલીએ સોક્રેટિસ ઉપરની નવલકથાનું શીર્ષક ‘સોક્રેટિસ’ જ રાખ્યું હતું, જ્યારે મેં હિંદીભાષી સાહિત્યકારોને ‘સોક્રેટિસ’ના બદલે ‘સુકરાત’, ‘પ્લેટો’ના બદલે ‘પ્લુતો’, ‘એરિસ્ટોટલ’ના બદલે ‘અરસ્તુ’ કે ‘મેસિડોનિયા’ના બદલે ‘મકદુનિયા’ પ્રયોજતા વાંચ્યા છે. કોઈ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરનારો અનુવાદક આપણી ભાષાના ‘રબારી’ શબ્દને ‘રાબરી’(Raabari)’, ‘યોગ‘ને ‘Yoga’, ‘ઋષિ’ને ‘Rishi’, ‘ઋચા’ને ‘Richa’ કે એવું કંઈક શબ્દાંતર કરી નાખે ત્યારે આપણને શું અજનબીભર્યું નથી લાગતું ! સંસ્કૃતમાંથી ઉર્દુ અનુવાદમાં કોઈ રાણી માટે બેગમ કે રાજા માટે બાદશાહ પ્રયોજવામાં આવે તો કેવું વરવું લાગે ! ‘અબ્દુલ્લાહ (અલ્લાહનો બંદો-સેવક)’ અને ‘ભગવાનદાસ (ભગવાનનો દાસ-સેવક)’ નામોના અર્થ તો સમાન જ છે, છતાંય એમને એકબીજાના વિકલ્પે ન જ પ્રયોજી શકીએ. અહીં કહેવાનું તાત્પર્ય એ જ છે કે અનુવાદકાર્યમાં આપણે એવા તો ચીકણા ન જ થવું જોઈએ કે જેથી આપણે ‘વેદિયા’માં ગણાઈ જઈએ !

જય હો !

-વલીભાઈ મુસા

 

Tags: , , , , ,

(૪૨૧-અ) હે ગુર્જરી માવડી, તારી ખાસિયતો હજાર !

આગોતરી સૂચના : શીર્ષકમાં ‘હજાર’નો આંક ‘ઘણી’ના અર્થમાં જ હોઈ આ લેખને લાંબોલચક માની લઈને તેને વાંચવાથી મોઢું ન ફેરવી લેવાની ભલામણ કરવામાં આવે છે. ધન્યવાદ.)

* * *

નવરાશની પળોએ માતૃભાષા ગુર્જરી અંગેના ચિંતનના ચકરાવે ચકરચકર ભમતાં મગજ ચકરાવો ખાઈ જાય તેવી તેની શબ્દોને રમાડવાની હજારો ખાસિયતો નજરે ચઢે છે અને મનોમન બોલી જવાય છે, ‘વાહ, ગુર્જરી વાહ !’

  • પ્રેમાળ માતાની જેમ માતગુર્જરી આપણને છીંકો, બગાસાં, ખાંસી, હવા, ઠપકો, શ્વાસ, ગમ, ગાળો અને કોણ જાણે એવી કેટલીય અદૃશ્ય ગમતી કે અણગમતી વાનીઓને પોતાના અદૃશ્ય હાથો વડે  ખવડાવે છે.
  • તે ઝેર, આંસુ અને ગુસ્સાને પાઈ દે છે; અને હાર, જીત, ધન, સત્તાને પચાવી જાણવાની શીખ પણ આપે છે.
  • તે આપણને અન્યો પરત્વે અનરાધાર પ્રેમ વરસાવવાનું પણ કહે છે.
  • તે અભિમાનને ઓગાળવાનું અને ઘમંડને તોડવાનું પણ આપણને સૂચવે છે.
  • તે સોંપવામાં આવેલી ફરજને બજાવવા (‘વગાડવા’ નહિ, ‘પાલન કરવા’ !) અને જરૂર જણાયે અઘટિત માગણીઓને ઠુકરાવવાનું પણ આપણને કહે છે.
  • તે આપણને દુ:ખીજનો પ્રત્યે હમદર્દી બતાવવાનું અને મદદનો હાથ લંબાવવાનું પણ કહે છે.
  • તે આપણને બળાપો કે હૈયાવરાળને કાઢવાની અને ગુસ્સો કે નફરતને ઓકી કાઢવાની સલાહ પણ આપે છે.
  • તેણે ‘સંપ ત્યાં જંપ’ અને ‘લોભને થોભ નહિ’ જેવાં કથનોમાં સમુચ્ચારીય શબ્દોની ભેટ પણ આપણને ધરી છે.
  • તેણે મુખ વડે ઉચ્ચારી શકાતા તમામ ધ્વનિઓ માટેના વ્યંજનો કે સ્વરો એટલા પૂરતા પ્રમાણમાં આપણને આપ્યા છે કે તેમને આપણે ગુર્જરી ગિરામાં વટથી લખી શકીએ.
  • વિશ્વની કોઈપણ ભાષા કે બોલીને આપણે ગુર્જરી લિપિમાં લખી નાખીને વાંચીએ તો આપણે જે તે ભાષા જ બોલતા હોઈએ તેવો આભાસ ઊભો થઈ શકે !  દા.ત. હાચીમીત્સ (જેપનીઝ)=મધ; પાનય (ચાઈનીઝ) = મધરાત
  • ગુર્જરી લિપિ એ અંગ્રેજીમાંની Phonetic Script કે લઘુલિપિ (Short Hand)ના સાંકેતિક ઉચ્ચારોનો વિકલ્પ બનવાની પૂરેપૂરી ક્ષમતા ધરાવે છે.
  • તેનામાં એટલી બધી સહિષ્ણુતા છે કે ઓછા વપરાતા, ન વપરાતા કે ગૂંચવાડો ઊભો કરતા કોઈ  વ્યંજનો કે સ્વરોનો  છેદ ઉડાડી દેવામાં આવે તો પણ તે ‘ઉફ્’ કરે તેમ નથી.
  • ‘બાર ગાઉએ બોલી બદલાય’, ‘પાશેરામાં પહેલી પૂણી’ કે ‘છાતી ગજગજ ફૂલવી’ જેવા રૂઢપ્રયોગોમાં વપરાતા જૂના તોલમાપના એકમોને મેટ્રિક પદ્ધતિમાં ફેરવી નાખવાનો તે કોઈ આગ્રહ રાખતી નથી !
  • જેમ  ઙ   (કઙઠ્ય)  અને ઞ (તાલવ્ય) અનુનાસિકો અને ‘દીર્ઘ ઋ’ ને કક્કા(મૂળાક્ષરો)માંથી ખદેડી કાઢવામાં આવ્યા તેમ શ. ષ, અને સ માંથી કોઈ એક અથવા ‘હૃસ્વ ઇ કે દીર્ઘ ઊ’ને જાકારો આપવામાં આવશે તો પણ આપણી ભોળી ગુર્જરી માવડી તો બિચારી એમ જ કહેશે કે ‘છોકરડાંઓ, તમને ઠીક લાગે તેમ કરો, પણ બિનનિવાસી ગુજરાતીઓ(NRG)ને  કહેજો કે તમારાં છોકરાં ભલે ગુગલીશ બોલે; પણ આટામાં નિમક હોય તે તો બરાબર છે, પણ નિમકમાં આટો હશે તો એવો રોટલો કોઈના ગળે ઊતરશે નહિ અને માનો કે એવા રોટલાને ગળા નીચે પરાણે ઉતારવામાં આવ્યો તો સમજી લેજો કે ઘરોનાં જાજરૂઓ બિલ્ડરોની ગેરંટીથી પણ વહેલાં ઊભરાઈ જશે, હા !!!’
  • આપણી ગુર્જરીએ અન્ય ભાષાઓના ટિકિટ, સ્ટેશન, તોપ, તમાકુ જેવા અસંખ્ય શબ્દોને ઉદારભાવે પોતાનામાં સમાવી લીધા છે, પણ… પણ અનધિકૃત (Off the record) વાત કહું તો,  જીવનની ઘણી બાબતોમાં અગ્રેસર ગામ (Lead Village) તરીકે ઓળખાતા અમારા કાણોદર ગામે તરતા મુકેલા કેટલાક ગુજરાતી શબ્દોની કોઈ નોંધ સુદ્ધાં લેતું નથી. નમૂના દાખલ કેટલાક શબ્દો આ પ્રમાણે છે : ફકીરિયું (ફકીર લોકો કડીવાળા ટમલરને પોતાના કાંડામાં ભરાવીને ભિક્ષા માગવા નીકળતા હોય છે તે), હેન્ડલિયું (ચા બનાવવા કે દૂધ ગરમ કરવા માટેનું હેન્ડલવાળું પાત્ર), સાફી (વાસણ, ટેબલ વગેરે સાફ કરવાનું કપડું), ઊહણું – જેમાં ‘હ’નો ઉચ્ચાર ‘વાહ’માંના ‘હ’ જેવો (બાળક્ની કે કૂતરાંબિલાડાંની વિષ્ટા-મળ લઈ લેવા માટેનું પૂંઠું કે પતરાનો ટુકડો), ઊગણું -(સાણસીના વિકલ્પે ગરમ વાસણ પકડવાનો કાપડનો કકડો), ઊખણું (તવીમાંથી રોટલી ઊપાડવા કે ફેરવવા માટેનું સાધન), વગેરે….
  • તે અજાયબીભર્યું દૃશ્ય જોતાં જ આપણને આપણાં આંગળાં કરડવાની સૂચના આપે છે.
  • તેણે પંડિતયુગના સાહિત્યકારો પાસે શેક્સપિઅરનાં અનુવાદિત કેટલાંક નાટકોનાં આવાં રમૂજી શીર્ષકો મુકાવ્યાં : Measure for measure (થાય તેવા થઈએ, તો ગામ વચ્ચે રહીએ !) ; Much Ado About Nothing (ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર !)
  • તેણે ઝવેરચંદ કાળીદાસ મેઘાણીજી પાસે ‘સૂના સમદરની પાળે’, ‘કોઈનો લાડકવાયો’ અને ‘વનરામાં ગલ રાતાં ફૂલડાં’ જેવાં કાવ્યો રૂપે અંગ્રેજીમાંથી મૌલિક રચનાઓ જેવા જ ભાવાનુવાદો કરાવ્યા કે જે મૂળ અનુક્રમે આ શીર્ષકોએ કાવ્યો હતાં : ‘On the bank of river Rhine’, ‘Somebody’s darling’  અને ‘Fair flowers in the valley’.

વાહ, માડી વાહ !

-વલીભાઈ મુસા 

 

Tags: , , , ,

(૩૫૪) એક પ્રતિભાશાળી મુસ્લીમ કવયિત્રી ‘રબાબ મહેર’ ના કાવ્ય ‘પ્રસારમાધ્યમ રૂપી કુલટા સ્ત્રી’નું રસદર્શન

(૩૫૪) એક પ્રતિભાશાળી મુસ્લીમ કવયિત્રી ‘રબાબ મહેર’ ના કાવ્ય ‘પ્રસારમાધ્યમ રૂપી કુલટા સ્ત્રી’નું રસદર્શન

Click here to read in English

“મારા ‘યોગ’ વિષેના દૃષ્ટિકોણને પુષ્ટિ આપવા બદલ આપનો આભાર. કેવી રીતે તે મને યાદ આવતું નથી, પણ ગમે તેમ તોય સરસ મજાના એવા આપના બ્લોગના સંપર્કમાં હું આવ્યો તો ખરો જ. સરળતા, સ્પષ્ટતા અને સાંવેગિક અભિગમ એ સઘળાં આપની કવિતાનાં આકર્ષક તત્વો છે.” મારા બ્લોગ પેજ ‘My Interview’ ઉપરના હાલમાં દોહા (Doha) – કતાર (Qatar) સ્થિત કવયિત્રી સુશ્રી રબાબ મહેર (બ્રિટિશ-પેલેસ્ટિનીઅન નાગરિક)ના પ્રતિભાવ સામેના આ મુજબના મારા પ્રત્યુત્તરીય શબ્દો હતા. તેણીના બ્લોગ ‘BoBi’z Breathings…’ માંના ‘A Publicity Whore’ (પ્રસારમાધ્યમરૂપી કુલટા સ્ત્રી) શીર્ષકે સરસ મજાના એક કટાક્ષકાવ્યનું મારા બ્લોગવાચકોને અહીં રસદર્શન કરાવતાં હું આનંદની લાગણી અનુભવું છું.

હું આગળ વધું તે પહેલાં, રસદર્શન કરાવવામાં આવતા આ કાવ્યને અહીં મૂકવું હું જરૂરી માનું છું. આમ ન  કરવું તે અંધારામાં ગોળીબાર કરવા જેવું સાબિત થશે. આ લેખ ઓનલાઈન હોઈ કદને નિયંત્રિત કરવાના હેતુસર કવયિત્રીની પૂર્વમંજૂરીથી અહીં કાવ્ય ‘A Publicity Whore’નો માત્ર લિંક આપું છું. વળી એ સાવ દેખીતું જ છે કે જ્યારે આ ઈ-બુક કે જેમાં આ લેખને સમાવિષ્ટ કરવામાં આવ્યો હશે તેને મુદ્રિત સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવશે, ત્યારે તો આખેઆખા મૂળ કાવ્યને રજૂ કરવું જ પડશે. આમ હાલ જ એવી સ્થિતિ સર્જાતાં નીચે એ કાવ્યને તેના અંગ્રેજી વર્ઝનમાં જ અભિવ્યક્ત કરી દઉં છું.

 A Publicity Whore

 Weapons of Mass Deception

*       *       *

I am the one that uses and abuses unseeing

A leech that sucks the essence out of one’s being

*       *       *

Exploitation is my one and only valid name

And exclusivity and fame is my main game

*       *       *

I show you the world from my point of view

But the facts I keep securely obscured from you

*       *       *

I fiercely claim I fight and speak up for the truth

Whilst my treatment of my workers is rather uncouth

*       *       *

I do not bother about loyalty or human respect

The existence of my servants I contentedly neglect

*       *       *

Their lives I willingly sacrifice and their blood I shed

After they are gone I bury their name with the dead

*       *       *

I label the gone souls with “martyrs” to fool you

To deter you away from seeking what is true

*       *       *

I cunningly name my studios after the deceased

Although their lives for me have long ceased

*       *       *

I may remember those ‘no more’ during anniversaries

But I only do so to win favour and shun adversaries

*       *       *

You all fall for it with your eyes widely sealed

Your ears not hearing the words I mutely revealed

*       *       *

I easily dispense with those who are for justice

Before they betray my character: my cowardice

*       *       *

  I dismiss the moral for they may tarnish my veneer

Expose what I really am and my name they smear

*

Because . . .

*

Beneath my infamous façade, I am a publicity whore

I only please you with frivolity and nothing more

*       *       *

When I am in the spotlight, I smile to gain that publicity

And behind the shadow of that light, I just care about me

                         –   Rabab Maher

આ કાવ્યને આત્મકથાનક રૂપે લખવામાં આવ્યું હોઈ તેમાં વૈયાકરણીય પરિભાષાએ કહેતાં કવયિત્રીએ પહેલો પુરૂષ એકવચનનું સર્વનામ ‘હું’ પ્રયોજ્યું છે. આ કાવ્ય ‘વીજાણુ પ્રસાર માધ્યમ’ ઉપર લખાયું હોઈ તેણીએ તેના શીર્ષક નીચે ટીવી ઉપકરણનું ચિત્ર આપ્યું છે અને સાથે ‘સમૂહ છેતરપિંડીનાં સાધનો’ શબ્દો દ્વારા તેની કટાક્ષમય ઓળખ પણ આપવામાં આવી છે. વળી કવયિત્રીએ પોતાના કાવ્ય ઉપરની કોઈક કોમેન્ટના પ્રત્યુત્તર રૂપે એ પણ ખુલાસો કર્યો છે કે તે કાવ્ય ‘નાનકડા કતારના પ્રસાર માધ્યમ’ ઉપર લખાયું છે.

‘વીજાણુ પ્રસાર માધ્યમના માળખા’ને અહીં આલંકારિક ભાષામાં ‘ખરાબ ચારિત્ર્ય ધરાવતી સ્ત્રી’ સાથે સરખાવવામાં આવ્યું છે. પોકળ પ્રસિદ્ધિ એ કાલ્પનિક એવી ડાકણ જેવી હોય છે કે જે આપણી સામે તેનો ચહેરો ધરી રાખે તો સુંદર દેખાતી હોય છે, પણ તેણી જેવી પોતાની પીઠ ફેરેવે કે તરત જ તેણી આપણને પોતાનાં આંતરિક ખુલ્લાં અને ભયાનક હાડકાં અને માંસના લોચાઓ થકી બિહામણી લાગતી હોય છે. ટેલિવિઝન અને વેબજગત સામુહિક છેતરપિંડીનાં એવાં ખૂબ જ અસરકારક ઉપકરણો છે કે જે કહેવાતાં સત્યોના અંચળા હેઠળ ભ્રામક પ્રચારના ભાગ તરીકે બિનઅધિકૃત પ્રસારણો દ્વારા શ્રોતાઓ કે દર્શકોનાં દિમાગોને ભરમાવી નાખતાં હોય છે. મુદ્રિત અને વીજાણુ પ્રસાર માધ્યમો આજકાલ એવાં શક્તિશાળી પુરવાર થયાં છે કે જે જૂઠ્ઠાણાં ફેલાવીને અને મનઘડત વાતોને ગૂંથીને પ્રજાને પોતાની ઈચ્છા મુજબનાં બિબાંઓમાં ઢાળી શકે છે. આવાં પ્રસારમાળખાં પોતાનાં શક્તિશાળી કેમેરા અને ઉપગ્રહો જેવાં માધ્યમો કે સાધનો અને પત્રકારો તથા તેમનાં ભ્રામક પ્રચાર કૌશલ્યોની મદદ વડે પોતે ધારે તે કરી શકવા સમર્થ હોય છે. આ પ્રસારમાધ્યમો  ગમે તેવા ખેરખાં માણસની મહાનાયક તરીકેની તેની પ્રતિભાને ઝાંખી પાડીને અથવા તેને શુન્યવત્ કરી નાખીને તેને કોડીની કિંમતની કરી દઈ શકે છે.

આ પ્રસાર માધ્યમોની ભૂમિકાઓ મોટાભાગે નકારાત્મક હોય છે અને તેથી જ તો કવયિત્રીએ કાવ્યના અંત સુધી માનવજાતને બધી જ રીતે નુકસાનકારક એવા દુષ્ટ સાધન તરીકે તેને ચીતર્યું છે. સદરહુ કાવ્ય પ્રસાર માધ્યમની એ કબુલાતથી શરૂ થાય છે કે તે પોતે પાણીમાંની લોહી ચૂસતી જળો જેવું છે કે જે લોકોની પ્રતિષ્ઠા અને તેમની જિંદગીના ભોગે પોતાના અસ્તિત્વને સ્થિર અને મજબુત રાખવા માગે છે. આ માધ્યમ અણદેખી વસ્તુઓને એવી રીતે રજૂ અને પુન: રજૂ કરી શકે છે કે જાણે કે વાસ્તવમાં તેઓ અસ્તિત્વ ધરાવતી હોય! તે હંમેશાં પોતાની પ્રસિદ્ધિને જાળવી રાખવા માટે પ્રયત્નશીલ રહેતું હોય છે અને પોતાના એ હેતુને બર લાવવા તે લોકોનું અને અન્યોનું શોષણ કરતાં પણ અચકાશે નહિ. મુદ્રિત કે વીજાણુ પ્રસાર માધ્યમો નીતિમત્તાથી વેગળાં હોય છે અને તેમનું પીળું પત્રકારત્વ સંશોધન કર્યા વગરના ઊડીને આંખે વળગે તેવાં મુખ્ય શીર્ષકો સાથેના સમાચારો કે જે તેમના વ્યવસાયને શોભે નહિ તે રીતે કામ કરતું હોય છે. આ બંને પૈકી મુદ્રિત સ્વરૂપના પ્રસાર માધ્યમને પોતાના સમાચારપત્રની વધુ ને વધુ પ્રતો વેચાય તેમાં રસ હોય છે; તો વળી, વીજાણુ માધ્યમોને પોતાના ટેલિવિઝન કે ચેનલના કાર્યક્રમને બહોળા પ્રમાણમાં દર્શકો મળી રહે તે જ તેમનું લક્ષ હોય છે, કે જેથી તેમનો ટીઆરપી જળવાઈ રહે અને તેના પરિણામે તેમને મોટા પ્રમાણમાં ધંધાકીય જાહેરાતો મળી રહે. આમ આ માધ્યમો પેલી કુલટા સ્ત્રીની જેમ બધા જ પ્રકારનાં નખરાં અજમાવીને, પોતાની ગરિમાના ભોગે પણ વાચકો કે દર્શકોને લલચાવતાં હોય છે. અહીં કવયિત્રી પ્રસારમાધ્યમોના આવા નકારાત્મક વલણને નોંધે છે કાવ્યની આ પંક્તિ પ્રમાણે કે ‘પણ, હું હકીકતોને તમારાથી છુપાવતું હોઉં છું.’

કાવ્યનો મધ્ય ભાગ કટાક્ષમય કે વક્રોક્તિપૂર્ણ છે. અહીં આપણે સમાચારમાધ્યમો કે વીજાણુ માળખાનાં બેવડાં ધોરણોને જોઈ શકીએ છીએ. ચાલો, આપણે કાવ્યની આ કડીને તપાસીએ : “હું જુસ્સાપૂર્વક દાવો કરું છું કે  હું સત્ય તરફે જ બોલું છું અને તેને માટે લડું પણ છું. / જ્યારે મારા માટે કામ કરતા મારા હાથ નીચેના કાર્યકરો પરત્વેનો મારો વ્યવહાર અભદ્ર હોય છે.” એક તરફ આ સમાચારમાધ્યમ ભારપૂર્વક એવો દાવો કરતું હોય છે કે તે સત્ય માટે ઝઝૂમે છે, તો બીજી તરફ એ જ સમાચારમાધ્યમ પોતાના જ કર્મચારીઓ પરત્વે પોતાનું રુક્ષ અને અસંસ્કારી વર્તન દાખવે છે. આપણને એ જાણીને આઘાત લાગે છે કે જ્યારે આ માધ્યમોના કર્મચારીઓ સમાજ અને માનવતા વિરુદ્ધ કામ કરતાં ગુંડાતત્વોને ઊઘાડા પાડતા સમાચારો લાવતાં ઘણીવાર પોતાની જિંદગી ગુમાવી બેસે છે, ત્યારે આ માધ્યમોના ધણીધોરીઓ પોતાનો જાન ન્યોછાવર કરતા તેમના પેલા સહાયકોને યોગ્ય માનસન્માન આપતા નથી હોતા. ખરેખર તો એ બિચારાઓની પ્રશંસા થવી જોઈએ, પણ અફસોસ કે તેઓનાં નામો ટૂંક સમયમાં જ ભુલાઈ જતાં હોય છે અને અવસાન પામેલા સામાન્ય માનવીઓની જેમ તેમની યાદ દટાઈ જતી હોય છે એવી રીતે જાણે કે તેઓ આ દુનિયામાં અવતર્યા જ ન હોય! આ માધ્યમોના સ્વામીઓ આમ પ્રજાને મૂર્ખ બનાવવા આડંબરભર્યા અને સુફિયાણા જીભકવાયત જેવા શબ્દો થકી પેલા બિચારાઓને (જો કે હકીકતમાં તેઓ શહીદ તરીકેના માનસન્માનને લાયક હોવા છતાં) માત્ર દંભી શિષ્ટાચાર બતાવતાં શહીદ તરીકે બિરદાવતા હોય છે. સમાચારમાધ્યમોના આ દંભી સ્વામીઓને પેલા સાચા શહીદો  પ્રત્યે કોઈ દિલી સદભાવના નથી હોતી, પણ તેઓ પોતાની બાહ્ય અને દંભી સહાનુભૂતિ બતાવવા કોઈકવાર પોતાના સમાચાર પ્રસારિત કરવાના સ્ટુડીઓને તેમનાં નામ આપી દેતા હોય છે. આ બિચારા શહીદોને તેમની મૃત્યુતિથિએ માત્ર વ્યવહર ખાતર યાદ કરવામાં આવતા હોય છે કે જેથી આમ પ્રજાની સહાનુભૂતિ મેળવી શકાય તથા તેમના વિરોધીઓને ચૂપ રાખી શકાય.

કાવ્યના સમાપન વિભાગે, કવયિત્રીએ લુચ્ચાઈ અને ધૂર્તતા વડે ખરડાએલા  પ્રસારમાધ્યમના અસલી ચહેરાને સફળતાપૂર્વક ખુલ્લો પાડ્યો છે. આ પ્રસારતંત્ર  પોતાની ચાલાકી વડે પ્રજા સાથે પોતાનું કામ પાર પાડવામાં હંમેશાં સફળ રહ્યું છે. પ્રજાના કાન અને આંખો આ માધ્યમના અંકુશ હેઠળ હોય છે. તે કોઈપણ ભોગે પોતાના અસલી ચારિત્ર્ય અને નમાલાપણાને હોશિયારીપૂર્વક છુપાવી રાખી શકે છે. તે ધુરંધર વ્યક્તિત્વોના જુસ્સાને પણ તેમની પ્રતિષ્ઠા ખંડિત કરવાનો ભય આપીને તોડી શકે છે. આ પ્રસારમાધ્યમના નકારાત્મક પાસાને કવયિત્રી પોતાના ખુલ્લંખુલ્લા આવા શબ્દો વડે અભિવ્યક્ત કરે છે : “હું પ્રસારમાધ્યમરૂપી કુલટા સ્ત્રી છું. હું તમને બાલિશ ચેનચાળાઓથી વિશેષ કંઈ નહિ તે રીતે માત્ર ખુશ જ કરું છું.”

હું શેક્સપિઅરના નાટક ‘As you like it’ માંના એક કાવ્યની પંક્તિમાંના શબ્દો “આખી દુનિયા એક રંગભૂમિ છે’  ને કવયિત્રીના કાવ્યની આખરી કડીના વિચારો સાથે અનુસંધાન સાધવા માટે  અહીં ટાંક્યા વગર મારી જાતને રોકી નથી શકતો. કવયિત્રી પોતાના કાવ્યની આખરી કડીમાં પ્રસારમાધ્યમના મુખે આ શબ્દો મૂકે છે કે ‘જ્યારે હું નાટ્યતખ્તા (રંગભૂમિ) ઉપર ફેંકવામાં આવતા પ્રકાશ (Spot Light) હેઠળ હોઉં, ત્યારે  ખ્યાતિ મેળવવા બદલ હું સ્મિત કરું છું અને જ્યારે હું એ ઝળહળતા પ્રકાશની બહાર થઈ ફેંકાઈ જાઉં ત્યારે હું ફક્ત મારી જ ચિંતા કરતું હોઉં છું.” અહીં કવયિત્રી આ પ્રસારમાધ્યમના મૂળ રંગને  અને તેના આંતરિક સ્વરૂપને ઊઘાડા પાડવાના પોતાના હેતુને સિદ્ધ કરવામાં કામયાબ પુરવાર થાય છે. નાટકના રંગમંચ ઉપરના વર્તુળાકાર પ્રકાશ હેઠળ કોઈ પાત્ર કે દૃશ્ય હોય તેમ આ પ્રસારમાધ્યમ પણ લોકોમાં ધ્યાનાકર્ષક હોય ત્યાં સુધી અત્યંત ખુશમિજાજ રહેતું હોય છે. પરંતુ એ જ પ્રસારમાધ્યમ જ્યારે પેલા પ્રકાશ વિરુદ્ધના પડછાયા પાછળ ધકેલાઈ જતું હોય છે, ત્યારે તે સજાગ બની જાય છે અને પોતાની પ્રતિષ્ઠાને પુન: પાછી મેળવવા માટે ચિંતાતુર બની જાય છે.

સમાપને, મારે કહેવું પડશે કે રસદર્શન હેઠળના આ કાવ્યને મારે વારંવાર વાંચવું પડ્યું છે એટલા માટે કે જેથી હું કવયિત્રીએ પોતાના આ કાવ્યસર્જન વખતે જે લાગણીઓ અનુભવી હોય તેવી જ લાગણીઓ અનુભવી શકું. સાહિત્યપ્રકાર ‘વિવેચન’ નો એક મુખ્ય સિદ્ધાંત હોય છે કે કોઈપણ સાહિત્યિક રચનાના વિવેચકે તે કૃતિના મૂળભૂત ખ્યાલની એકંદર છાપને પોતાના માનસપટ ઉપર ઝીલવી પડે અને પછી સર્જકે જે લાગણીઓ અનુભવી હોય તેની સાથે તાદાત્મ્ય સાધીને પછી જ પોતાના શબ્દોમાં વિવરણ લખવું પડે  આ કાવ્યનું રસદર્શન લખવા પહેલાં મેં કાવ્યને સમજવાનો મારાથી શક્ય તેટલો પ્રયત્ન કર્યો છે. હું આશા રાખું છું કે મારા કાવ્યના અર્થઘટનમાં વાચકો કે ખુદ કવયિત્રીના મતે કોઈ વિરોધાભાસ કે કોઈ ભિન્ન મંતવ્ય હોય તો મને દરગુજર કરવામાં આવશે..

-વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

(Translated from English Version titled as “An Exposition of a Poem: “A Publicity Whore’ by Rabab Maher, a talented Muslim poetess” published on September 12, 2012) 

 

Tags: , , , , , , , , , , , , , , , , ,

(૩૪૦) પંચમ શુક્લ દ્વારા ભાવાનુવાદિત એક અંગ્રેજી કાવ્ય ઉપરનો પ્રતિભાવ

(૩૪૦) પંચમ શુક્લ દ્વારા ભાવાનુવાદિત એક અંગ્રેજી કાવ્ય ઉપરનો પ્રતિભાવ

કેવું અનુપમ મળ્યું વિશ્વ અમને!

(શિખરિણી)

નિહાળીને વૃક્ષો હરિતવરણાં, લાલ કુસુમો;
તમારે, મ્હારે ને સહુ જન વિશે જે ઊઘડતાં,
વિચારું હું: ‘કેવું અનુપમ મળ્યું વિશ્વ અમને!’

ભૂરાં આકાશો ‘ને અતિ ધવલ કૈં વાદલ દલો;
નિહાળી કોડીલા દિવસ, ઘન રાત્રિ પુનિત ને,
વિલોકું હું: ‘કેવું અનુપમ મળ્યું વિશ્વ અમને!’

અહો! રૂડા રંગો નભ સકલમાં ઈન્દ્રધનુના;
વળી પાછા ભાળું મુખ ઉપર સર્વે મનુજનાં,
વિમાસું હું: ‘કેવું અનુપમ મળ્યું વિશ્વ અમને!’

મળે મિત્રો સ્નેહે, કર-ધૂનનથી હાલ પૂછતા;
કિંવા બાહુપાશે જકડી લઈને પ્રેમ વહતા,
શિશુઓને જોઉં રુદન કરતાં ને વિકસતાં;
શીખી લેતાં તૂર્તે નવતર ઘણું – દુર્લભ મ્હને,
અને થાતું: ‘કેવું અનુપમ મળ્યું વિશ્વ અમને!’

(૨૧-૧૨-૨૦૧૧)

ઋણસ્વીકારઃ What a Wonderful World [written by Bob Thiele (as George Douglas) and George David Weiss and sung by Louis Armstrong] નો ભાવાનુવાદ.


પ્રકાશિતઃ ઓપિનિયન (જાન્યુઆરી, ૨૦૧૨); નવનીત સમર્પણ (ફેબ્રુઆરી, ૨૦૧૨)

What a wonderful world!

I see trees of green, red roses too;
I see them bloom for me and you,
And I think to myself what a wonderful world!

I see skies of blue and clouds of white;
The bright blessed day, the dark sacred night,
And I think to myself what a wonderful world!

The colors of the rainbow so pretty in the sky;
Are also on the faces of people going by,
I see friends shaking hands saying how do you do,
They’re really saying I love you.

I hear babies crying, I watch them grow,
They’ll learn much more than I’ll never know,
And I think to myself what a wonderful world!
Yes, I think to myself what a wonderful world!

ધન્યવાદ.

ઇચ્છા તો થઈ આવે છે કે હાલ તરત જ વિમાને ચઢી, યુ.કે. જઈ, મારા-અમારા આ ભાણાભાઈ પંચમજીને ઊંચકીને ફેરફૂંદડી ફેરવી લઉં! અંગ્રેજી કાવ્યનો આવો ઉમદા કાવ્યમય અનુવાદ વાંચીને મૂળ કાવ્યના શીર્ષક ‘What a Wonderful World!’માંના શબ્દો જેવા જ આ મુજબના અનુધ્વનિત શબ્દો મનમાં ઉદભવે છે ‘What a Wonderful Translation!’

મારા એક લેખમાંની મારી અનુવાદમીમાંસાની કેટલીક વાતો કંઈક આવી હતી:

– કોઈપણ સાહિત્યિક રચના પ્રથમ જે ભાષામાં લખાઈ હોય તેનો મૂળ ભાવ જાળવી ન રખાય તો તેનો બિનકાર્યક્ષમ અનુવાદ તેના સૌંદર્યને ગુમાવે છે.

– ગદ્ય કરતાં પદ્યનું અનુવાદકાર્ય વધારે કઠિન હોય છે. એમ કહેવાયું પણ છે કે, ‘કાવ્ય એ તો આત્માની કલા છે.’

– કોઈકવાર અનુવાદક અનુવાદિત કાવ્યકૃતિના કવિએ કાવ્યની રચના વખતે જે લાગણીઓ અનુભવી હોય તેવી જ લાગણી પોતે ન અનુભવે, ત્યારે તેને ફક્ત તે કૃતિના શબ્દોના સમાનાર્થી શબ્દો ઉપર જ આધાર રાખવો પડતો હોય છે. આવા કિસ્સામાં અનુવાદિત કાવ્ય જાણે કે તેને થીગડાં માર્યાં હોય તેવું લાગતું હોય છે.

– કાવ્યનો ઉત્કૃષ્ટ અનુવાદ સર્જવા માટે તેણે કાવ્યની એકંદર છાપ કે અસર તથા તેનો સ્પષ્ટ ખ્યાલ અનુભવવો પડે અને પછી કવિના ભાવને સારરૂપ પોતાના જ શબ્દોમાં વ્યક્ત કરવો પડે.

– અહીં હું ઝવેરચંદ મેઘાણીને તેમના કેટલાક અંગ્રેજીમાંથી ગુજરાતીમાં સફળ અનુવાદો માટે જ નહિ, પણ એક રીતે કહીએ તો જાણે કે એ બધાં તેમનાં પોતાનાં જ સ્વતંત્ર સર્જન હોય તેમ તેમને યાદ કરું છું. નમૂનારૂપ તેમના અંગ્રેજી કાવ્યોના અનુવાદ છે : ‘Somebody’s Darling’ (કોઈનો લાડકવાયો), ‘On the bank of river Rhine’ (સૂના સમદરની પાળે) અને’Fair flowers in the valley’(વનરામાં ગલ રાતાં ફૂલડાં).

ભાઈશ્રી પંચમ શુક્લે મૂળ કાવ્યના અનુવાદમાં સર્વ પ્રથમ તો શીર્ષકમાંના ‘Wonderful’ શબ્દ માટે ‘અનુપમ’ શબ્દ પ્રયોજીને અન્ય સમાનાર્થી સંભવિત શબ્દોને કોરાણે મૂકી દઈને આશ્ચર્ય (Wonder) સર્જ્યું છે. આ શબ્દની જ એવી તાસીર રહી છે કે આખું શીર્ષક ‘કેવું અનુપમ મળ્યું વિશ્વ અમને!’ કાવ્યભાલે બિંદી સમાન શોભી ઊઠે છે.

કાવ્યના સફળ અનુવાદ માટેની મારી ઉપરોક્ત મીમાંસાની પ્રત્યેક હકારાત્મક આવશ્યકતાનું ભાઈશ્રી પંચમે અનુસરણ કર્યું છે અને તેથી જ તો ‘મેઘાણી’ જેવાનાં અનુવાદિત કાવ્યોની પંગતમાં શોભી શકે તેવું સરસ મજાના શિખરિણી ગેય છંદમાં લખાએલું આ કાવ્ય વારંવાર ગાઈએ તોય ધરપત ન થાય તેવું ઉત્તમોત્તમ છે. કાવ્યની પ્રથમ નવ પંક્તિઓમાંની દર ત્રીજા ક્રમે આવતી શીર્ષકની પુનરાવૃત્તિ કરતી પંક્તિઓમાંના પ્રથમ શબ્દો ‘વિચારું હું’, ‘વિલોકું હું’ અને ‘વિમાસું હું’ ની પસંદગી સરસ મજાના લયવૈવિધ્યને પ્રદર્શિત કરે છે.

કાવ્યની ચૌદ પંક્તિઓ હોય તેટલા માત્રથી તેને સોનેટ ગણી શકાય નહિ. વળી મૂળ કાવ્યમાં ચૌદ પંક્તિઓ તો  છે, પણ  તેમાં સોનેટનાં મૂળભૂત લક્ષણોનો અભાવ વર્તાય છે; વળી તેટલું જ નહિ તે શેક્સપિઅર, મિલ્ટન કે પેટ્રાર્કની ઢબો સાથે પણ મેળ ખાતું નથી. આ તો મૂળ અંગ્રેજી કાવ્યને અનુલક્ષીને આ બધું લખ્યું, પણ પંચમજીના આ અનુવાદિત કાવ્યને પણ એ બધું સરખી રીતે લાગુ એટલા માટે પડી શકે છે કે તેઓશ્રી પોતાના અનુવાદકાર્યમાં મૂળ રચનાને ચુસ્ત રીતે વફાદાર રહ્યા છે. સોનેટના અર્ક રૂપે છેલ્લે આવતી વાત અહીં વચ્ચે વચ્ચે આવતી જાય છે. ‘આમ અને તેમ’ એવી સઘળી વાતોને પડતી મૂકીને આપણે આ કાવ્ય સોનેટ હોવા ન હોવાની વાતનો નિર્ણય પંચમભાઈ ઉપર છોડીએ.

ફરી એક વાર ભાઈશ્રી પંચમને ધન્યવાદ.

-વલીભાઈ મુસા

નોંધ : –

(પૂરક માહિતી અને ઉત્સાહ પ્રેરક પ્રતિભાવ માટે ખૂબ ખૂબ આભાર, વલીભાઈ. સોનેટ સંદર્ભે તમારી રજૂઆત સાથે હું સહમત છું. – પંચમ શુક્લ)

 
 

Tags: , , , , , , , ,