RSS

Tag Archives: સૌંદર્ય

(569) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૨ (આંશિક ભાગ – ૨) દિલ હી તો હૈ ન સંગ-ઓ-ખ઼િશ્ત… (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ * વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

(ગતાંક આંશિક ભાગ – ૧ ના અનુસંધાને ચાલુ)

દિલ હી તો હૈ ન સંગ-ઓ-ખ઼િશ્ત (શેર ૪ થી ૬)     

દશ્ના-એ-ગ઼મ્જ઼ા જાઁ-સિતાઁ નાવક-એ-નાજ઼ બે-પનાહ
તેરા હી અક્સ-એ-રુખ઼ સહી સામને તેરે આએ ક્યૂઁ  (૪)

(દશ્ના-એ-ગ઼મ્જ઼ા= કટારી; જાઁ-સિતાઁ= જાનલેવા; નાવક-એ-નાજ઼= સૌંદર્યાભિમાનનું તીર; બે-પનાહ= જેનાથી બચવું સંભવ નથી; અક્સ-એ-રુખ઼= ચહેરાનું પ્રતિબિંબ)

અર્થઘટન અને રસદર્શન:

અહીં ગ઼ાલિબે ઉપરના શેર ક્રમાંક (3)ની એ જ વાતનું દૃઢિકરણ કર્યું છે, પરંતુ હવેની વાત જુદા અંદાઝમાં રજૂ થઈ છે. તેઓ માશૂકાના ચહેરાને અનુલક્ષીને કહે છે કે તારા ચહેરાના સૌંદર્યનું તારું અભિમાન જાનલેવા કહેતાં પ્રાણઘાતક એવી કટારી જેવું છે કે જેનાથી બચવું દુષ્કર છે. તારા ચહેરાનું પ્રતિબિંબ એવું છે કે જેનાથી જોનારની આંખ અંજાઈ જાય અને તેથી જ તો તારી સામે આવવાની મારી હિંમત નાકામિયાબ પુરવાર થાય છે. અગાઉના શેરમાં ગ઼ઝલકાર તેને પર્દાનશીન ન થવાની સલાહ આપે છે તો અહીં તો તેનો સામનો ન જ કરી શકવાની તેમની મર્યાદાને શરણાગતિભાવે સ્વીકારે છે.

* * *

ક઼ૈદ-એ-હયાત ઓ બંદ-એ-ગ઼મ અસ્લ મેં દોનોં એક હૈં
મૌત સે પહલે આદમી ગ઼મ સે નજાત પાએ ક્યૂઁ  (૫)

(ક઼ૈદ-એ-હયાત ઓ બંદ-એ-ગ઼મ= જીવનની કેદ અને દુ:ખનું બંધન; નજાત= મુક્તિ)

અર્થઘટન અને રસદર્શન:

આ શેર માનવજીવન સાથે સંકળાયેલા દુ:ખના સંવેગની ફિલસુફી ઉજાગર કરે છે. ગ઼ાલિબ માને છે કે જિંદગી એ કારાવાસ છે અને વળી પાછો તેમાં માનવી કેદીની સ્થિતિમાં જ દુ:ખની હાથકડીઓથી જકડાયેલો પણ છે. હવે આ હાથકડી ક્યારે છૂટે જ્યારે કે કારાવાસ પૂરો થાય. માનવીનું મોત એ જીવન રૂપી કારાવાસમાંથી મુક્તિ સમાન છે. હવે એ જીવન પૂરું થાય ત્યારે આપોઆપ જ માનવી દુ:ખમાંથી મુક્ત થઈ જાય. આમ ગ઼ાલિબ લોકોને દુ:ખો સામે ફરિયાદ ન કરતાં તેમને સહી લેવાની શિખામણ આપે છે. તેનું સ્પષ્ટ માનવું છે કે વ્યક્તિના જીવનમાં કોઈ અભાવનું દુ:ખ તો જીવનભર રહ્યા જ કરશે અને એ દુ:ખ જ્યારે મૃત્યુ સાથે જ સમાપ્ત થવાનું હોય ત્યારે માણસે દુ:ખ સામે કોઈ ગિલા-શિકવા ન કરતાં એ દુ:ખ સાથે જીવી લેતાં શીખવું  જોઈએ. આમ આ શેર જગતના દુ:ખી લોકો માટે હૈયાધારણ સમાન છે. જો કે આ શેર ગઝલકારના માશૂકા સાથેના વિયોગના દુ:ખ સબબે છે.

* * *

હુસ્ન ઔર ઉસ પે હુસ્ન-એ-જ઼ન રહ ગઈ બુલ-હવસ કી શર્મ
અપને પે એ’તિમાદ હૈ ગ઼ૈર કો આજ઼માએ ક્યૂઁ (૬)

(હુસ્ન= સૌંદર્ય; હુસ્ન-એ-જ઼ન= સુવિચાર; બુલ-હવસ= તીવ્ર કામી, હવસખોર, મહત્ત્વાકાંક્ષી; શર્મ= લજ્જા; એ’તિમાદ= ભરોંસો, વિશ્વાસ; ગ઼ૈર= પરાયું – અહીં પ્રતિદ્વંદ્વિ;  આજ઼માએ ક્યૂઁ= શા માટે અજમાવવું – પરખ કરવી)

અર્થઘટન અને રસદર્શન:

આ શેર થોડોક સંકુલ છે. પ્રથમ મિસરાનો સીધો ભાવાર્થ તો એ જ છે કે સૌંદર્ય એ તો ઉમદા ખયાલ સાથે જોડાયેલ છે, તેને દૈહિક આસક્તિ સાથે કોઈ જ લેવાદેવા નથી. બીજા મિસરાનો સાર એ છે કે માણસે પોતાના અંતરાત્માના અવાજને અનુસરવું જોઈએ અને પોતાની જાત ઉપર ભરોંસો રાખવો જોઈએ. ગ઼ાલિબ કહે છે કે સૌંદર્ય અને તેની સાથેનો સુવિચાર તો એ જ છે કે માણસે સૌંદર્યપાન કરતાં આખલાના જેવી હવસખોરીના શિકાર ન થવું જોઈએ. સૌંદર્યના સાચા ચાહકને તો તેને માત્ર નિહાળવામાં અને એ સૌંદર્યની પોતાના હૃદયમાં અનુભૂતિ કરવામાં જ રસ હોય છે. સૌંદર્યને કામવાસનાની નજરે અવલોકવું એ તો તેનું હળાહળ અપમાન છે. અહીં આપણે એક બાબત સમજવાની રહેશે કે ગ઼ાલિબ તો ગૃહસ્થી હતા, તેમની માશૂકા તો સ્વપ્નસુંદરી હતી, જે અવનવા સ્વરૂપે આપણને તેમની ગ઼ઝલોમાં જોવા મળશે. અહીં હું મારી આ વાતના સમર્થન માટે નિસંકોચપણે વ્હી શાંતારામના ‘નવરંગ’ ચલચિત્રનો હવાલો આપીશ. ફિલ્મનાયકની પત્ની તો જમના જ હતી અને એ જ જમનાને તે નૃત્યાંગના સ્વરૂપે મોહિની નામે ઓળખે છે અને તેથી જ એક ગાનમાં રહસ્યનો પડદો ઊઠાવીને તેને કહેવું પડે છે કે ‘જમના, તુ હી તો હૈ મેરી મોહિની’’. આ ગ઼ઝલના અર્થઘટન માટેના થોડાક અતિવિસ્તારની ક્ષમાયાચના કરીને હું આ શેર અંગેની મારી મીમાંસા પૂર્ણ કરું છું.

– મિર્ઝા ગ઼ાલિબ

-વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

(ગ઼ઝલ ક્રમાંક – ૧૧૬)                                                 [ક્રમશ: આંશિક ભાગ – ૩]

નોંધ:-

(આ ગ઼ઝલના  અર્થઘટન માટે મારે રાજેન્દ્ર કૃષ્ણના આ ગ઼ઝલના અંગ્રેજી વર્ઝનનો સહારો લેવો પડ્યો છે. અંગ્રેજીના અભ્યાસુઓ માટે તેમની આ સંપૂર્ણ ગ઼ઝલને હું આ લેખમાળાના ત્રણેય ભાગોમાં વિભાગવાર પરિશિષ્ઠમાં આપતો રહ્યો છું.)

* * *

પરિશિષ્ઠ : (શેર ૪ થી ૬)

Dil Hi To Hai Na Sang-O-Khist

The amorous glance is the deadly dagger
And the arrows of emotions are fatal
Your image may be equally powerful
Why should it appear before you?

The rules of life and bonds of sorrow
In reality are the one manifestation
Before realizing the ultimate truth
How can then one attain liberation?

Love is laden with noble thoughts
Yet what remains is the carnal shame
Trust conscience the still little voice
Why do you want test the rival

– By Rajender Krishan
ઋણસ્વીકાર :

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) http://techwelkin.com/tools/transliteration/ (દેવનગરી-ગુજરાતી સ્ક્રીપ્ટ કનવર્ટર)
(૪) Courtesy –   Rajender Krishan
(૫) સૌજન્ય : urdustuff.blogspot અને વિકીપીડિયા

 

 

 

Tags: , , , , , ,

(૩૭૬) ચૂંટેલાં કાવ્યોનું રસદર્શન: વાંસળી વેચનારો – ઉમાશંકર જોશી – ગુજરાતી કાવ્ય

(૩૭૬) ચૂંટેલાં કાવ્યોનું રસદર્શન: વાંસળી વેચનારો – ઉમાશંકર જોશી – ગુજરાતી કાવ્ય

Click here to read in English

મારા મિત્ર શરદ શાહે, થોડા સમય પહેલાં મારા આ પ્રકારના લેખ – વિલિયમ વર્ડ્ઝવર્થ (William Wordsworth)નું અંગ્રેજી કાવ્ય ‘We Are Seven’ (અમે સાત) ઉપર ટિપ્પ્ણી કરી હતી. તેમના અભિપ્રાય મુજબ, ગુજરાતી કે હિંદી કે ભારતની કોઇ પણ પ્રાંતીય ભાષાઓમાં લખાતી કવિતાઓમાં અંગ્રેજીમાં લખાતી કવિતાઓ કરતાં વધારે રસ અને સૌંદર્ય હોય છે. જેના જવાબમાં મારું કહેવું હતું કે કોઇ એક ભાષામાં બીજી ભાષાઓ કરતાં વધારે સારું સાહિત્ય થતું જ હોય છે, તેવું સર્વસામાન્ય તારણ કાઢી લેવું ઉચિત નથી. ભારતીય ભાષાઓનું સાહિત્ય બહુ જ ઉત્કૃષ્ટ હોવા છતાં વૈશ્વિક સ્તરે તેનો બહુ પ્રસાર નથી થયો તે સાચું છે. જે સાહિત્ય અન્ય આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં લખાય કે તેમાં અનુવાદિત થાય તે  સાહિત્યને જ વૈશ્વિક ક્ષેત્રે પ્રસિધ્ધિ મળવાની શક્યતાઓ વધારે રહે છે અને તેમ થવું એ સ્વાભાવિક પણ છે.

અંગ્રેજીમાં જેનો અનુવાદ ‘The Flute Vendor’ શિર્ષક હેઠળ થયો છે, તે સ્વર્ગસ્થ શ્રી ઉમાશંકર જોશી (૧૯૧૧-૧૯૮૮)નાં મૂળ ગુજરાતી કાવ્ય “વાંસળી વેચનારો’નું રસદર્શન કરાવવાનું મેં આજે નક્કી કર્યું છે. જ્યારે જ્યારે પણ ગુજરાતી ભાષા અને તેના સાહિત્યની ક્યાંય પણ ચર્ચા થતી હશે , ત્યારે ત્યારે  શ્રી ઉમાશંકર જોશીના નામનો ઉલ્લેખ થયા વિના રહેશે નહિ. તેઓશ્રી લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકાર છે. સાહિત્ય ક્ષેત્રનાં કંઇ કેટલાંય સન્માનો અને ખિતાબો તેમને મળ્યાં છે.

એક આડવાત તરીકે હું આપને જાણ કરવાની લાલચ રોકી નથી શકતો કે મારા અનુસ્નાતક કક્ષાના અભ્યાસકાળ દરમ્યાન, મહાવિદ્યાલયના વાર્ષિકોત્સવના ભાગ રૂપે યોજાયેલ શીઘ્ર વક્તવ્ય સ્પર્ધામાં  બીજું સ્થાન પ્રાપ્ત કર્યાનું પ્રમાણપત્ર તે ઉત્સવના મુખ્ય મહેમાન એવા શ્રી ઉમાશંકર જોશીના હાથે મેં મેળવ્યું હતું. અજાણ વિષયની ચિઠ્ઠીવાળા પરબીડિયામાં તે દિવસે મારે ભાગે “આજે જો મહાત્મા ગાંધી હયાત હોત તો…’ એ વિષય ઉપર બોલવાનું થયું હતું.

આપણે કાવ્યની ચર્ચા હાથ પર લઇએ તે પહેલાં વાચક્ને તે કાવ્યનો પરિચય પણ થવો જોઇએ. આમ પહેલાં મૂળ ગુજરાતીમાં અને પછી તેના અંગ્રેજી અનુવાદ સ્વરૂપે એ કાવ્યને અહીં નીચે પ્રસ્તુત કરું છું.

વાંસળી વેચનારો

’ચચ્ચાર આને !

હેલી અમીની વરસાવો કાને !

ચચ્ચાર આને !

હૈયાં રૂંધાયાં વહવો ન શાને !’

મીઠી જબાને લલચાવી હૈયાં,

રસે પૂરા કિંતુ ખીસે અધૂરા,

શ્રમીણકોને અમથું રિબાવતો,

બરાડતો જોરથી બંસીવાળો.

ઘરાક સાચા સુણવા ના પામે

વેગે જતી ગાડી મહીં લપાઈ જે

બંસી સુણંતા પ્રણયોર્મિગોષ્ઠિની.

‘ચચ્ચાર આને !’

ના કોઈ માને

અને ખભે વાંસળી-જૂથ એનું

થયું ન સ્હેજે હળવું, ભમ્યો છતાં !

‘ચચ્ચાર આને!’

લો, ને રમો રાતદી સ્વર્ગ તાને !

‘ચચ્ચાર આને?’

‘દે એક આને !’

‘ના, ભાઈ, ના, ગામ જઈશ મારે,

છો ના ખપી ! ઈંધણથી જશે નહીં.

ચચ્ચાર આને ! બસ ચાર આને !!

પાછા વળંતાં, પછી જૂથમાંથી

ખેંચી મજાની બસ એક બંસી,

અષાઢની સાંજની ઝરમરોમાં

સૂરો તણાં રંગધનુ ઉડાવતી,

એણેય છેડી ઉરમાંથી ઝરમરો !.

જીવંત આવી સુણી જાહિરાત, કો

બાર મહીંથી જરી બ્હાર ઝૂકતી

બોલાવતી તાલી સ્વરેથી બાલા.

હવે પરંતુ લયલીન કાન,

ઘરાકનું લેશ રહ્યું ન ભાન !

– ઉમાશંકર જોશી

A Flute Vendor

“Four annas1 a piece!
Have a shower of nectar
deluge your ears!
Four annas a piece!
Why not let
your suffocated hearts gush?”

Cried loudly the flute vendor
enticing with a sweet tongue
the bosoms
of those relishing melody
but with empty pockets,
unfairly tormenting the toilers!

The genuine customers
were bereft of music.
Cozily listening to the flute
of amorous words
were those
speeding in cars.

“Four annas a piece!”
And despite wandering
no one bought
and the burden of the bunch
on his shoulders
diminished not.

“Four annas only!
Buy and revel
day and night
in heavenly melody!”
“Four annas each?”
“Sell for an anna.”

“No sir, no.
Will return to my village
though they remain unsold.
This is no firewood stock.
Four annas each.
Only at four annas a piece.”

Turning back, he picked
a nice one from the bunch of flutes.
In the drizzle of Ashadh2
he too began to spray from his heart
a fount of rainbow notes!

Hearing this live display
a maid from a window peeped
beckoned him with a clap.

Ears immersed in lilt the vendor
remained oblivious of the customer.

– Umashankar Joshi

1. An anna was one-sixteenth of a rupee. Now, 4 annas = INR 0.25
2. The first month of monsoon

કોઇ એક ઘટનાને વર્ણવતું આ મુક્તછંદ – કોઇ પણ માત્રા વિનાનું/ મુક્તપ્રાસ શૈલીમાં લખાયેલું – કાવ્ય છે. કાવ્યનો નાયક કામદાર પણ છે, અને કલાકાર પણ છે. કાવ્યની શરૂઆતમાં તે વાંસળી વેચનારની ભૂમિકામાં રજૂ થાય છે. કાવ્યમય, શ્રૃંગાર રસસભર અને મૌખિક જાહેરાતસમી  ભાષામાં તે પોતાના ખભા ઉપરના વાંસળીજૂથમાંની વાંસળીઓને વેચવાનો પ્રયત્ન કરે છે, પણ તેમાં તે સફળ થતો નથી, કેટલાક મહેનતકશ વર્ગના લોકોને મન વાંસળીનું કોઇ મૂલ્ય જ નથી હોતું.  તેમને મન તો તે એક લાંબી નળી જેવા વાંસમાં, જેમાંના કોઇક કાણાંને આંગળીઓથી બંધ કરો, કોઇકને ખુલ્લાં રાખો અને એક છેડેથી ફૂંક મારો એવી, સામાન્ય કારીગીરીની, કાણાં પાડેલ એવી એક વસ્તુથી વધારે કંઇ જ નથી.  મજૂર જેવા કોઇ સામાન્ય વર્ગના કેટલાંક લોકોને વાંસળીની ચાર આનાની કિંમત પોષાતી નથી, તેથી તેઓ તેને એક આનામાં ખરીદવા માટે રકઝક કરે છે.

આ કાવ્યના ગુજરાતી પાઠ મુજબ મારા મતે, “છો ના ખપી! ઈંધણથી જશે નહીં” નો એ અર્થ અભિપ્રેત છે કે  વાંસળીને એક આનામાં વેચવાને બદલે,  ન વેચાએલી વાંસળીઓનો ઈંધણનાં લાક્ડાં તરીકે ઉપયોગમાં લઈ લેવાની તેની  તૈયારી એ પોતાની કલાકાર તરીકેની ખુમારીની દ્યોતક છે. શેરીએ શેરીએ તેની રઝળપાટને અંતે પણ તેના ખભા ઉપરનો ભાર જરા પણ હળવો થતો નથી. એ દિવસની તેના ધંધાની સરિયામ નિષ્ફળતાએ તેને હતાશ નથી કરી નાખ્યો. હવે, તે તેના વાંસળીઓના જથ્થામાંથી સરસ મજાની એક વાંસળીને ખેંચીને હોઠે લગાડીને  તેના સૂરોને વહેવડાવવાનું શરૂ કરે છે. આ હતી તેની જીવંત જાહેરાત, જેનાથી એક બાળકી તેના તરફ  આકર્ષાય પણ છે. બારીમાંથી ઝૂકીને, હાથેથી તાળી પાડીને તે બાળકી વાંસળીવાળાને બોલાવવા મથે છે. પરંતુ, હવે વાંસળીવાળો તો પોતાના તાનમાં એવો મશગૂલ છે કે તેના આ સંભવિત ગ્રાહક તરફ  તેનું ધ્યાન જ જતું નથી. તેના કાનમાં તો તેની જ વાંસળીનું ગુંજન ગુંજ્યા કરે છે. આ વખતે નથી તો તે વાંસળીનો કારીગર કે નથી વાંસળીનો વિક્રેતા; તે તો હવે એક કલાકાર, એક્માત્ર સાચો કલાકાર જ છ !

આમ આ કાવ્ય પણ શેક્સપિરીઅન ઢબના  સૉનેટની જેમ આ શબ્દોમાં અંત પામે છે કે ‘હવે પરંતુ લયલીન કાન, ઘરાકનું લેશ રહ્યું ન ભાન !’

વલીભાઇ મુસા (લેખક)

અશોકભાઈ વૈષ્ણવ (ભાવાનુવાદક) : Cell # 9825237008 (vaishnav_ashok@rocketmail.com)

બ્લોગ : અશોક વૈષ્ણવના ભાવાનુવાદો 

[મૂળ લેખ, અંગેજીમાં “Expositions of Chosen Poems – 3 (The Flute Vendor) – A Gujarati Poem” શીર્ષક હેઠળ, ૯મી મે, ૨૦૧૧ના રોજ લેખકની વેબસાઇટ William’s Tales (Bilingual Multi Topic Reads) ઉપર પ્રકાશિત થએલ હતો.]

 

Tags: , , , , , , , , , , ,