
Tag Archives: હાસ્ય
(275) હાસ્ય દરબારનાં રત્નો – ૯ (રત્નાંક – ૯) * વલીભાઈ મુસા (વિલિયમ) – હાદઓળખે ‘વલદા’ (૯)

વલીભાઈ મુસા (વિલિયમ) – હાદઓળખે ‘વલદા’ (૯)
હાસ્યદરબારનાં કલ્પિત નવેય રત્નો પૈકીના આ છેલ્લા રત્નના પરિચયલેખ થકી મારી હળવી જહેમત તમામ થશે. મુજ અપવાદે બધાં જ રત્નોને સ્વપરિચય થકી સંભવિત આત્મશ્લાઘારૂપી આત્મહત્યાથી બચાવવા માટે એ કામ મારાથી થાય તેવો ઉપાય તો વિચારાયો, પણ હિંદી ફિલ્મ ‘શોલે’માંના ડાકુ ગબ્બરના મુખે બોલાએલા સંવાદ ‘કાલિયા, તેરા ક્યા હોગા!’ની જેમ હાદના માંધાતાઓએ એવો કોઈ ઉદગાર કાઢ્યો ખરો કે ‘વલિયા, તેરા ક્યા હોગા!’. મને ‘વલિયા’ તરીકે ઓળખાવતાં મને ખુદને એવી મજા પડી કે જાણે મારા શૈશવકાલીન મિત્રોમાંના કોઈ એકે આ સિત્તેરના આયખે મીઠાશભર્યા આ ઉપનામે મને સંબોધ્યો હોય!
ઓલ્યા માંધાતાઓએ ‘વલિયા’ની જરાય ચિંતા કરવાની જરૂર નથી! તે ‘વલીભાઈ’ અને ‘વિલિયમ’ એવાં ઉભય નામે ઓળખાય છે અને તે કોઈ એક બનીને અન્ય વિષે અથવા તે બંને બનીને હાદઓળખે ‘વલદા’ માટે તટસ્થભાવે લખી શકશે, જેમાં આત્મશ્લાઘા (સ્વપ્રશંસા)નો અણસાર સુદ્ધાં નહિ હોય! ચલચિત્રો, નાટકો, નવલકથાઓ કે નવલિકાઓમાંનાં પાત્રો સ્વગતોક્તિઓ દ્વારા પોતાનાં જ વિરોધાભાસી મંતવ્યો કે વિચારધારાઓ વ્યક્ત કરતાં હોય છે, તેવું જ મારે અહીં કંઈક કરવું પડશે. વળી ‘વાડી રે વાડી, શું છે દલા તરવાડી? રીંગણાં લઉં બેચાર? લે ને દસબાર!’ વાળો માર્ગ તો છે જ ને! આપ લોગ આગે આગે દેખતે જાઓ, ક્યા હોતા હૈ? હાદ ઉપરનાં મારાં યોગદાનોએ આવેલા પ્રતિભાવોમાં પ્રશંસાત્મક હશે તે જે તે પ્રતિભાવકના નામે અને ટીકાત્મક હશે તે મારા તરફથી રજૂ કરીશ, પછી ક્યાંથી ઔચિત્યભંગ કે આપવડાઈનો સવાલ ઊભો થશે, હેં!
તો હું મૂળ એવા વલીભાઈ ઊર્ફે વિલિયમ નામના લેખક તરીકે હાસ્યદરબારે ‘વલદા’ નામે જાણીતા તેવા તેમના વિષેનો આ લેખ લખતાં મરકમરક સ્મિત કરી રહ્યો છું. ભાઈશ્રી વલદાએ હાસ્યદરબારે ‘બીજું તો શું વળી? ‘ શીર્ષકવાળા ટચુકડા હાસ્યલેખે ભારતીય નાણાંકીય વર્ષ 2009-10ના છેલ્લા દિવસે યાને 31મી માર્ચ, 2010ના રોજ કોઈ હિસાબી હવાલાની એન્ટ્રીની જેમ એન્ટ્રી લીધી. ધીમે ધીમે ભાઈશ્રી વલદા હાસ્યદરબારે વિવિધ કૃતિઓ દ્વારા જામતા ગયા અને સદરહુ બ્લોગના રખેવાળ ડો. શ્રી રાજેન્દ્ર ત્રિવેદી અને સુરેશભાઈ જાની માત્ર જ નહિ, પણ વિવિધ માર્ગે અને રીતિએ હાદ ઉપર આવતાંજતાં અન્ય નરનારીઓ સાથે પણ તેમનો મિત્રતાભાવ જામતો ગયો.
હાસ્યદરબાર ઉપરની ભાઈશ્રી ‘વલદા’ની તમામ એન્ટ્રીઓ વિષે સ્થળસંકોચના કારણે અહીં લખી શકાય તેમ નથી, પણ KBC ના કાર્યક્રમના સંચાલકશ્રી અમિતાભ બચ્ચનના સંબોધન એવા ‘કોમ્પ્યુટરજી’ ના રૂડા પ્રતાપે તમારા કોમ્પ્યુટરના ઊંદરડા મારફતે તમે ‘વલીભાઈ મુસા’ નામે ‘શોધ’ ચલાવીને એ બધી (એન્ટ્રીઓ) વિષે જાણી શકશો. આજકાલ શ્રીમાન ‘વલદા’ને ‘હાઈકુ’ કાવ્યપ્રકારના પ્રયોગશીલ કે પ્રયોગવીર સર્જક તરીકે ખૂબ ચગાવવામાં આવી રહ્યા છે, જે અતિશયોક્તિપૂર્ણ અને વાહિયાત વાત છે. એમાંય વળી ચુલાની સાક્ષી ભૂંગળી પૂરે તે ન્યાયે ભાઈશ્રી સુરદા ભાઈશ્રી વલદા વિષે તેમની ઈ-બુક “વિલિયમનાં હાસ્ય હાઈકુ” માં લખે છે, “વલીભાઈનાં હાસ્યહાઈકુએ અમારા માટે સૂક્ષ્મ વિનોદ સાથે આવી ચર્ચા કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. એમનો તો હાસ્ય દરબાર વતી આભાર માનું તેટલો ઓછો છે. અત્યાર સુધીમાં 1000 પોસ્ટ અહીં મૂકી છે; પણ એ બધામાં સૌથી વધારે ચર્ચા ‘હાસ્યહાઈકુ’એ જગાડી છે, આ જ એની સફળતા બતાવે છે.”
શ્રી સુરદાજી આટલેથી ન અટકતાં હજુ વલદાને ચણાના ઝાડ ઉપર ચઢાવતાં આગળ લખે છે: “હાસ્યના અનેક પ્રકાર હોય છે.’હાસ્યહાઈકુ’એ એક નવો ચીલો પાડ્યો છે. આ પ્રકાર રચવામાં થોડો સહેલો છે, આથી જ મારા જેવા અકવિઓ પણ ‘હાસ્યહાઈકુ’ બનાવતા થયા છે. 17 જ અક્ષરોથી વિનોદ અને વિચાર સર્જવો એ એટલું જ કઠણ કામ પણ છે. અમે સૌ વલીભાઈની આગેવાની નીચે આ શીખી રહ્યા છીએ.”
પરંતુ, વલદા એમ કંઈ ચણાના ઝાડ ઉપર ચઢી જાય તેવા અધીરા નથી. તેઓશ્રી પોતાના અંગત બ્લોગ ઉપરના આર્ટિકલ ‘એ યાદગાર સાંજ …’ ઉપર આ શબ્દોમાં પોતાનું બચાવનામું રજૂ કરતાં લખે છે:” ’હાઈકુ’ અંગેના મારા પ્રયોગો સાવ નવીન જ હોવાનો મારો કોઈ દાવો નથી, તેમજ એ પ્રયોગોને ‘સ્વીકાર્ય’ ની મહોર લાગે તેવી મારી કોઈ અપેક્ષા પણ નથી. ‘હાઈકુ’ ના સત્તર અક્ષરો કે જે છંદ રહિત હોય છે તેવાં હાઈકુથી હાઈકુ-સોનેટ કે હાઈકુ-ખંડકાવ્ય કે પછી એવા કોઈ કાવ્યપ્રકારનું નામાભિધાન કરી દેવું યથાર્થ તો નથી જ. ‘હાઈકુ’ પોતે એક કાવ્ય પ્રકાર છે અને તે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવી શકે તેવી તેની પાયાની શરત હોય છે. હવે મારા ઉપરોક્ત કહેવાતા હાઈકુ આધારિત અન્ય કાવ્યપ્રકારોમાં પ્રત્યેક હાઈકુને અન્યો ઉપર અવલંબિત રહેવું પડશે, જે હાઈકુના મૂળભૂત લક્ષણને હાનિકારક પુરવાર થશે. હા, મારા હાઈકુ ઉપરના પ્રયોગોની એક બીજી વાત કદાચ યથાર્થ ગણાશે છે કે મારી જેમ કોઈ હાઈકુકાર પોતાનાં હાઈકુને સાહિત્યના રસો અનુસાર જુદીજુદી શ્રેણીઓ કે હાઈકુપ્રકાર તરીકે ઓળખાવી શકે; જેમ કે હાસ્ય-હાઈકુ, વિષાદ કે કરૂણ હાઈકુ વગેરે.”
વિલિયમે પોતાના Parent Blog “William’ Tales” ના પોણા ત્રણસો જેટલા ગુજરાતી અને અંગ્રેજી લેખોનું વર્ગીકરણ કરીને બંને ભાષામાં પચીસેક જેટલી ઈ-બુક્સ બનાવવા માટેની પૂર્વતૈયારી કરી દીધી છે. આ બધામાં “હળવા મિજાજે’માં વીસેક જેટલા લેખોનો સમાવેશ કર્યો છે. રસિકજનો પણ પોતાના મિજાજે હળવા થવા માગતા હોય તો તેઓ ઉતાવળ કર્યા વગર સાવ હળવે હળવે ‘હળવા મિજાજે’ ની સફર કરી આવી શકે છે. એ બધા લેખો વિષે તેનો લખનાર તો ગમે તેવી લોભામણી વાતો કરે, પણ મીઠાઈવાળાની દુકાનેથી મીઠાઈ ખરીદવા પહેલાં થોડીક ચાખી લઈએ તેમ એકાદ બે લેખો વાંચ્યા પછી જ બધા વાંચવા માટેનું દુ:સાહસ ખેડવું! હા, એક વાતની સ્પષ્ટતા કરવી સારી કે કેટલાક લેખો એવા હશે કે જે વાંચવાથી ઓછા દબાણવાળા વીજપ્રવાહથી ટ્યુબ લાઈટ ન ઉપડે તેવું પણ કોઈકને તેમાંના નર્મ મર્મને સમજવામાં બને! માફ કરજો ભાયાઓ અને બાઈ માણસો, આ કંઈ આપ સૌની રમુજવૃત્તિને Under Estimate (અવમૂલ્યાંકિત) કરવાની વાત નથી. કોઈક વાર બહેરા માણસે બે વાર હસવા જેવું મારે, તમારે કે કોઈને પણ બની શકે!
હાસ્યદરબારનાં મૂળભૂત નવ અને પાછળનાં ઉમેરાએલાં બે અડધિયાં મળીને કુલ સંખ્યાએ અગિયાર નંગ (ડઝનમાં એક ઓછું) રત્નો કે જે હાસ્ય દરબારના દફતરે દસની સંખ્યામાં બોલે છે તેવાં રત્નોની પરિચયલેખમાળા ભાઈ વલદાએ પૂર્ણ કરી છે. તેમની સંયમશીલ કલમ (પણ વાસ્તવમાં કોમ્પ્યુટરના કી બોર્ડ ઉપર કામ કરતાં તેમનાં સંયમશીલ આંગળાં)ને ધન્યવાદ ઘટે છે કે તેમણે નિખાલસ ભાવે અને મુક્ત મને એ સઘળાં રત્નો વિષે જે કંઈ લખ્યું છે તે અંગે કોઈની રાડફરિયાદ આવી નથી. તેમના લખાણને બિરદાવવા માટે બાવન અક્ષરો કામ આવે તેમ નથી અને ત્રેપનમો તેમને લાગુ પડે તેમ નથી. ‘હાસ્યદરબાર’ બ્લોગનું સંચાલન (કારકુની કામ) ભલે રાત્રિ કે સુરદા કરતા હોય, પણ હસાહસનો આ બ્લોગ વક્તા અને ભોક્તા સૌનો સહિયારો છે. ‘ખેડે તેની જમીન અને રહે તેનું ઘર’ની જેમ આ બ્લોગ ઉપરના લેખકો, વાંચકો અને પ્રતિભાવકો જે કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેના સહવાસમાં આવે તે બધાયનો છે.
હ્યુસ્ટન-નિવાસી વલદાના જૂના (જૂના થઈ ગએલા નહિ, પણ સદૈવ તરોતાજા જ!) મિત્ર શ્રી વિજયકુમાર શાહે તેમના હ્યુસ્ટન ખાતેના તેમના સાહિત્યરસિકો સાથેના સ્નેહસંમેલનના અહેવાલમાં તેમની સંભવિત ઈ-બુક્સની વાત કહી છે. ‘દિલકો બહલાનેકે લિએ ગાલિબી ખયાલ અચ્છે હૈ!’ ની જેમ શ્રી વલદા તો માને છે કે એ બધું થાય ત્યારે થયું ગણાય, પણ એક વાત નિશ્ચિત છે કે તેમની ગુજરાતી અને અંગ્રેજીની અંદાજિત પચીસ ઈ-બુક્સમાં છવ્વીસમી એક વધુ ઈ-બુક “હાસ્ય દરબારનાં રત્નો” નામે ઉમેરાશે, જેમાં રત્નાંક – 9 સુધીનાં નવ પ્રકરણો અને Liar અને Lawyer એ નામનાં અડધિયાં રત્નો ઉપરનાં ત્રણ પ્રહસનો સાથે કુલ ડઝન પ્રકરણો હશે.
આ લેખનો અંત (મોત ન સમજતા!) નજીક આવી રહ્યો છે અને ભાઈશ્રી વલદાની એવી મનોભાવના છે કે તેમના હાસ્ય હાઈકુ સોનેટ ‘મિષ્ટ દાંપત્યે’ અને ‘લ્યો રે, ઘર આંગણે લ્યો રે!’ કે જે વાંચકો માટે માઉસવગાં છે, તેને મફત સમજીને વાંચે! મફત એટલે કે વાંચનારે કંઈ પણ નથી ચુકવવાનું એ અર્થમાં નહિ, પણ વલદા વાંચવા માટેના પ્રલોભન તરીકે અડધી કે આખી ચા અથવા કોફીના કોઈ પૈસા ચુકવશે નહિ એમ સમજવાનું છે. તેમના આ કથનને આસાનીથી વગર પાણીએ ગળા નીચે ઊતારવા માટે “હાસ્ય દરબારનાં રત્નો – 4 (રત્નાંક – 4) * ભરત પંડ્યા” ના ઉત્તરાર્ધને વાંચી જવાની તેઓશ્રી ભલામણ કરે છે.
છેલ્લે, ભાઈશ્રી વલદા વતી હું તેમના એક વિચારને અપનાવવાની ભલામણ કરું છું કે વિશ્વભરમાંથી ભ્રષ્ટાચારને જો નાબુદ કરવો હોય તો વિશ્વના દરેક નાગરિકે કેટલાક રમુજી ટુચકા જીભવગા રાખવા કે જે થકી ભ્રષ્ટ અધિકારીઓને રોકડ લાંચના બદલે તેમને કહી સંભળાવીને તેમને મનોરંજન આપી શકે અને જરૂર લાગે તો બોનસમાં તાળીની આપલે દ્વારા પોતાનાં સાચાં કામોને વેળાસર પૂરાં કરાવી શકે!
હસે તેનું ઘર વસે (જો અપરીણિત હોય તો!)
ધન્યવાદ.
-વલીભાઈ મુસા
(સંપૂર્ણ)
(274) હાસ્ય દરબારનાં રત્નો – 8 (રત્નાંક – 8) * પ્રજ્ઞાબેન વ્યાસ

પ્રજ્ઞાબેન વ્યાસ (8)
ગુજરાતી બ્લોગજગતના હજારો બ્લોગર અને લાખો વાંચકોમાં જેમનું નામ જાણીતું છે તેવાં સુશ્રી પ્રજ્ઞાબેન વ્યાસને માત્ર હાદરત્ન તરીકે જ ઓળખાવવાં એ તેમની બહુમુખી પ્રતિભા સાથે અન્યાયથી વર્તવા બરાબર છે. પરંતુ મારી મર્યાદા એ છે કે મારે તેમના હાસ્યદરબારને આનુષંગિક યોગદાનને જ મધ્યે નજર રાખીને આ લેખ લખવાની જવાબદારી સોંપાઈ છે. તેમના વિષે હાસ્ય દરબારમાં ભલે પ્રથમ વાર લખતો હોઉં, પણ મારા પોતાના બ્લોગ William’s Tales ઉપર ભાવપ્રતિભાવ શ્રેણીએ તેમના વિષે “ભાવપ્રતિભાવ – ૧ (સુશ્રી પ્રજ્ઞાબેન વ્યાસ)” શીર્ષકે લખી ચૂક્યો છું. હાદજનો તેમના વિષે વિશેષ કંઈક જાણવા માટેની પોતાની અપેક્ષાને તે લિંકે જઈને સંતોષી શકશે.
‘હાસ્યદરબાર’ એક બ્લોગનું શીર્ષક માત્ર છે, જેને મોગલ શહેનશાહ અકબરના દરબાર જેવી વિભાવનાએ સમજવામાંથી દરબારીરત્નોની કલ્પના થઈ, જેમને આ લેખમાળામાં ‘હાસ્યરત્ન’ના બિરૂદે ઓળખાવવામાં આવે છે. ‘હાસ્યદરબાર’ બ્લોગ સફળતાનાં શિખરો સર કરી શક્યો છે, તેમાં છૂપાં કેટલાંય રત્નોનો સહયોગ સાંપડ્યો હોઈ અહીં સ્પષ્ટતા કરવામાં આવે છે કે કોઈને કોઈની ઉપર શ્રેષ્ઠતા આપવાનો અહીં લેશમાત્ર ઈરાદો નથી. બ્લોગના પ્રાયોજકો તરફથી કોઈ ચોક્કસ ધોરણોનો વિચાર કર્યા સિવાય સહજ અને સ્વાભાવિક રીતે (Random) જ એક યાદી મને સુપરત થઈ અને હાદજનોના મનોરંજનને લક્ષમાં રાખતાં આ લેખમાળા લખાતી ગઈ. નવ હાદરત્નો તો વાસ્તવિક નામધારી છે, પણ 10 A અને 10 B ક્રમે આવતાં રત્નો સાવ કાલ્પનિક છે અને તેમને અનુક્રમે Liar અને Lawyer નામે ઓળખાવ્યાં છે. 10મા રત્નનાં સહભાગી એવાં આ બે અડધિયાં રત્નો વિષેની રસપ્રદ જાણકારી “કલારત્નયુગ્મની કલાકમાલ! (પ્રહસન) : 1-2-3” દ્વારા મેળવી શકાશે. અહીં આ ફકરે થએલી આડવાતને માફી સાથે સમેટતાં હું આ લેખના વિષયે નીચે આગળ વધું છું.
પ્રજ્ઞાબેનનો “નીરવ રવે – સહજ ભાવોના દ્યોતક” શીર્ષકે પોતાનો સહિયારો કૌટુંબિક બ્લોગ છે, જેમાં પોતે, પોતાના પુત્ર પરેશ અને પુત્રી યામિનીના લેખો હોય છે. કેટલાક લેખો અનામી તો વળી કોઈક સંપાદિત પણ હોય છે. અહીં તેઓશ્રી પોતાનો પરિચય સાવ સંક્ષિપ્તમાં આ શબ્દોમાં આપે છે “પ્રજ્ઞા પ્રફુલચંદ્ર વ્યાસ; જન્મ-સુરત; હાલ અમેરિકા; શોખ: વાંચન, રાસ-ગરબા, સંગીત, નાટકો ને રખડવું.” ભાઈ પરેશની ‘શબદ કીર્તન’ મથાળે દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થતી લેખશ્રેણીમાં આપણે હેરત પામીએ તેવી શબ્દ કે શબ્દસમૂહની માહિતી મેળવી શકીએ છીએ. વળી તેમનું અનુવાદિત પુસ્તક “O’henry ની સદાબહાર વાર્તાઓ” ગુજરાતીમાં અનુવાદિત થએલા સાહિત્યના એક ઘરેણા સમાન છે. બહેન યામિની કવયિત્રી અને નાટ્યલેખિકા (‘રણમાં ખીલ્યું પારિજાત’ આદિ નાટકો) હોવા ઉપરાંત ઘણુંબધું છે, તો પ્રફુલ્લભાઈ પોતાના કુટુંબરૂપી બ્રહ્માંડના જાણે કે બ્રહ્મા હોય તેમ નિર્લેપભાવે પત્ની અને સંતાનોની બહુપાંખીય પ્રવૃત્તિઓ નિહાળી રહ્યા હોય તેમ લાગે છે! જો કે પ્રફુલ્લ્ભાઈ વિષેનું આ વિધાન ખાત્રીબંધ હોવાની બાબતમાં હું થોડોક અવઢવમાં છું, કેમ કે હું સંતોષજંનક રીતે આ પરિવારની સાહિત્યિક અને અન્ય પ્રવૃત્તિઓ વિષે સંશોધન કરી શક્યો નથી.
હાસ્યદરબારમાં પ્રજ્ઞાબેનનું ખાસ કોઈ લેખો રૂપે તો નહિ, પણ મુખ્યત્વે પ્રતિભાવો સ્વરૂપે યોગદાન રહ્યું હોય તેમ લાગે છે. મારી યાદદાસ્તના બળે હું કહી શકું કે પ્રજ્ઞાબેન સાથેનું મારું નૈકટ્ય મારી હાસ્યહાઈકુઓની લેખમાળાના શરૂઆતના તબક્કે તેમના પ્રતિભાવમાં તેમણે લખેલા સરસ મજાના અનુહાઈકુથી સધાયું હતું. મારા વાંચકોની જિજ્ઞાસાની તૃપ્તિ અર્થે એ હાઈકુ અને અમારી વચ્ચે ભાવપ્રતિભાવની થએલી આપલે સહિતનો અક્ષરશ: અહેવાલ લેખની કદમર્યાદા અંગેના મારા ભયને અવગણીને પણ આપ્યા વિના રહી શકીશ નહિ. મારું પોતાનું હાઈકુ આ હતું “દૃષ્ટિઘૂંટડા / ભરી, રહ્યાં ખામોશ ! / ગળ્યાં શું જિહ્વા !” પ્રજ્ઞાબેને પણ પોતાની લાક્ષણિક ઢબે ‘ખામોશ’ શબ્દને પકડીને અનુહાઈકુ આમ આપ્યું હતું, “શમા ખમોશ / અગ્નિની જિહ્વા લાંબી / રચે દોઝખ” અને પછી તો જામી પડી અમારી વચ્ચે વિદ્વતાપૂર્ણ ચર્ચા. તેમના હાઈકુ પરત્વે મેં લખ્યું, “’કોમેન્ટમાંનું આપનું હાઈકુ તો મારા માટે (અન્યો માટે પણ) જન્નતની ખુશખબરી લઈ આવ્યું! દુન્યવી શમાને એક તો અગ્નિના ઉગમસ્થાન હોવાનું સ્થાયી દુ:ખ અને પરવાનાને ભસ્મીભૂત થતું જોવાનું હંગામી દુ:ખ. ધર્મશાસ્ત્રો કહે છે કે પારલૌકિક દોઝખને આવી લાગણીઓ નહિ થાય, કેમ કે તેને તો પાપીઓને બાળવાની કામગીરી સોંપાઈ હોઈ એ તો કરિયાદ કરતી જ રહેશે કે ‘હું તો હજુ ભૂખી છું!’
પણ, મને એક વાતનું દુ:ખ થાય છે કે ફૂલદાની તો દિવાનખંડમાં શોભે, નહિ કે વરંડે! ઉમદા હાઈકુ અને કોમેન્ટે!
વિહંગ આંખે આપનો બ્લોગ જોઈ આવ્યો અને ગુણવત્તાસભર રચનાઓથી પ્રભાવિત થયો છું.
છેલ્લે થોડી હાઈકુ વિષેની ગપસપ કરી લઈએ. જાપાનીઓ ટૂંકા પને હોઈ, વાલીડાઓ, તેમના કદ જેવું હાઈકુ લઈ આવ્યા! હાઈકુકારને જ ખબર પડે કે પોતે શું લખ્યું. વાંચકોને તો સમજાવવું પડે, જેવી રીતે બાળચિત્રકારે પક્ષીના ચિત્ર નીચે લખવું પડે કે ‘આ મોર છે, આ કબુતર છે!’
પ્રથમ પરિચયે છૂટછાટ વધારે લેવાઈ ગઈ, નહિ! કંઈ વાંધો નહિ, કેમ કે આ તો હાસ્ય દરબાર છે ને!
રજા લઉં તો, વળી ક્યાંક ભટકાઈશું! ધન્યવાદ.”
(મારા ઉપરોક્ત “ઉમદા હાઈકુ અને કોમેન્ટે!” ઈશારાને ધ્યાને લેતાં પ્રજ્ઞાબેને પોતાના બ્લોગ (દિવાનખંડ!) ઉપર શમા અને દોઝખની આગનાં જીવંત (Live) ચિત્રો સાથે તે હાઈકુને “હાઈકુ…પ્રજ્ઞાજુ વ્યાસ/ રસદર્શન શ્રીવલીભાઈ મુસા” શીર્ષકે સ્થાન આપી પણ દીધું.)
જવાબ આપ્યા વગર રહે તો પ્રજ્ઞાબેન શાનાં! તેમણે લખ્યું :“’કોમેન્ટમાંનું આપનું હાઈકુ તો મારા માટે (અન્યો માટે પણ) જન્નતની ખુશખબરી લઈ આવ્યું.’ ‘કવિ વલી ગુજરાતી’ની સ્મૃતિમાં સ્થપાયેલ વલી ગુજરાતી અકાદમી દ્વારા દર વર્ષે એક ગુજરાતી ગઝલકારને ગઝલક્ષેત્રે તેમણે અર્પેલાં પ્રદાનને અનુલક્ષીને ‘વલી ગુજરાતી ગઝલ એવોર્ડ’ આપવામાં આવે છે, જેનું દરેક સાહિત્યકારને સ્વપ્ન હોય છે.
મારી દિકરી યામિનીને ગઝલ, ગીત, કાવ્યો રચતાં જોઉં અને મને રચનાકાર થવાનાં સ્વપ્નાં આવે. તેણે ખિસ્સાકોશ, ડીક્ષનરી વગેરે લઈને બેસવું, રદીફ, કાફિયા, મત્લા, મત્કા વિ.ની યાદી બનાવવી, હાલને તબક્કે જોડણીની છૂટ ન લેવી અને ગઝલ બનાવી. તે જોબ પરથી આવી ત્યારે વંચાવી. તેણે કચરાપેટીમા પધરાવીને લખવાનું માંડી વાળવા કહ્યું.
ત્યાર બાદ ચિ. મોનાએ પ્રયત્ન કર્યો. ખૂબ જ નબળા અછાંદસને ધરમૂળમાંથી મઠારીને આન્ટીના નામે છાપ્યું! મોટા ગજાના શ્રી જુગલકિશારજીએ પ્રયત્ન કર્યો, પણ પાકે ઘડે કાંઠા ન ચઢ્યા!
અમારા વડીલે કહ્યું – મારામાં છંદ, લય કાંઈ જ નથી પણ ભાવ છે અને જગતગુરુ તો ‘ભાવ’ના ભૂખ્યા છે, તો તમારી રચના કૃષ્ણાર્પણ કરશો…
જરા ખિંજાં (પાનખર) કી ભી ઈજ્જતકા કુછ ખયાલ કરો,
બહાર બનકે ન નિકલો યોં દિલ્લગી કે લિયે!
છતા મનમા એમ કે કોઈ જૂઠેજૂઠું કહે કે અને આજે વલી એવોર્ડ મલ્યો… અને મારી દાસ્તાં લખાઈ ગઈ… આ મારું પાગલપન છે – સહન કરશો…”
આગળ નાના બાળકના જેવી નિખાલસતાથી પોતે હું રોમાંચિત થઈ જાઉં તેવા શબ્દોમાં લખે છે, “ આ વર્ષે વલી એવોર્ડ મારા જન્મસ્થળ (મારો જન્મ ગોપીપુરાની સૂ.જ હોસ્પિટલમાં થયો હતો)ના પાડોશી ગનીચાચાને મળ્યો અને તે સમારંભનું સંચાલન યામિનીને કરવાનું આવ્યું અને તે ફુલી ન સમાઈ! કોઈ તેને જઈને કહો કે તારી માને તો વલી એવોર્ડ મળ્યો છે – લે તારે લેતી જા…”
મારા સુજ્ઞ વાંચકો માને યા ન માને, પણ હકીકત છે કે પ્રજ્ઞાબેનનું ગુજરાતી, અંગ્રેજી, હિંદી, અને સંસ્કૃત ઉપર્ પ્રભુત્વ તો છે જ, પરંતુ તેઓ ઉર્દુ ભાષા અને સાહિત્યમાં પણ એટલાં જ અભ્યાસુ છે. પોતાના પ્રતિભાવોમાં સંસ્કૃત શ્લોકો હોય તો વળી ઉર્દુની શેર-શાયરીઓ પણ હોય! મેં આગાઉ કોઈ શબ્દ કે શબ્દોને પકડી લઈને જાણે કે ‘શબ્દાક્ષરી-શબ્દાંતિકા’ રમતાં હોય તેવી તેમની લક્ષણિકતાનો ઈશારો કર્યો હતો, પણ થોડીક સ્પષ્ટતા સાથે લખું તો તેમણે મારા કેટલાક ‘શુક્રિયા’ ‘અલ્હમ્દોલિલ્લાહ’ કે ‘ઈન્શા અલ્લાહ’ જેવા ઈસ્લામિક શબ્દોના અનુસંધાને એવી વિદ્વતાપૂર્ણ વાતો લખી છે કે હું તેમને શરૂઆતમાં Mini Encyclopedia અને આગળ જતાં તો Maxi Encyclopedia નું બિરૂદ આપ્યા સિવાય રહી શક્યો ન હતો.
લેખસમાપનની માનસિક તૈયારી કરી રહ્યો છું અને એમ થયા કરે છે કે મારા આ લઘુલેખમાં આ વિદુષી બાઈ માણસને રતીભાર પણ ઓળખાવી શક્યો નથી. હાલ સુધી લખાએલા લખાણમાં પ્રજ્ઞાબેન વિષે લખતાં લખતાં મારા વિષે પરોક્ષ રીતે જે કંઈ લખાઈ ગયું છે તે અંગે કોઈને મારા વડે થએલી મારી આત્મશ્લાઘાનો આભાસ થાય તે સ્વાભાવિક છે, પણ નેક દિલે કહું તો એવો મારો કોઈ ઈરાદો રહ્યો નથી. આ ખુલાસા પછી પણ મને એ લખવાની ફરજ પડે છે કે મારા મિત્ર સુરેશભાઈ જાનીએ દિલસે મારી ‘વિલિયમનાં હાસ્ય હાઈકુ’ નામે ઈ-બુક બનાવી આપી હતી તેની પ્રસ્તાવના પ્રજ્ઞાબેને લખી આપી છે. આમાં પણ તેમણે દિલસે લખેલા આ વિધાનને હું કદીય ભૂલીશ નહિ. એ વિધાનના શબ્દો છે…….
‘આજકાલ ભાવશૂન્ય અને પ્રભાવશૂન્ય કવિતાઓ વધારે લખાય છે. કેટલાક તો એક પંક્તિને તોડીને ત્રણ પંક્તિ બનાવે છે; જેમાં ન છંદ હોય, ન લય હોય, ન વિચાર, ન કલ્પના; ત્યારે શ્રી વલીભાઈ પોતાના પ્રાણ રેડીને હાઈકુને જીવન પ્રદાન કરે છે અને માણનારને આનંદથી ભરી દે છે.’
અને લ્યો ત્યારે, અહીંથી લેખ સમાપ્ત કરી જ દઉં છું. ધન્યવાદ.
-વલીભાઈ મુસા
(ક્રમશ: 9)
(273) હાસ્ય દરબારનાં રત્નો – 7 (રત્નાંક – 7) * હાજી કાસિમ હાજી અબ્બાસ કાલાવડવાળા
હાજી કાસિમ હાજી અબ્બાસ કાલાવડવાળા (7)
હાસ્યદરબારના સાતમા રત્નાંકે હાજી કાસિમ હાજી અબ્બાસ કાલાવડવાળા વિષે લખવા પહેલાં શોધ અને સંશોધન અન્વયે નેટમંથન કરવાના મારા આનંદ સાથે તેમના વિષેની માહિતીનો ભંડાર જેમ જેમ મારી આગળ ખુલતો ગયો, તેમ તેમ મારો એ અનેરો આનંદ અદકેરો થતો ગયો. હાદરત્ન તરીકે તેમને ઓળખવા-ઓળખવવા માટે માત્ર હાદ ઉપરના તેમના યોગદાનને આધાર બનાવવાથી આપણને તેમની ‘નવી કહેવતો’ વિષેની સીમિત માહિતી જ મળે. સુરેશભાઈએ હાદરત્નોની યાદીમાં તેમનું નામ સૂચવ્યું હોય અને હાદના દફતરે એક જ વિષયે અને તે પણ મર્યાદિત માત્રામાં તેમના નામ હેઠળ લેખનસામગ્રી ઉપલબ્ધ હોય, તો મારે થોડી વધારે મથામણ કરવી જોઈએ એમ મને લાગ્યું. મારા આશ્ચર્ય અને આનંદ વચ્ચે સુરેશભાઈએ ‘સ્પીક બિન્દાસ’ હેઠળ તેમનો લીધેલો ઈન્ટરવ્યુ મને હાથ લાગી ગયો અને જાણે કે મારું ભાગ્ય ઊઘડી ગયું! આ ઈન્ટરવ્યુ વાંચતાં કાસિમભાઈના વ્યક્તિત્વ અને વિચારોને જાણવામાં મને મળેલા આનંદને મારા સુજ્ઞ વાંચકો અખંડ આનંદ તરીકે માણી શકે તે માટેનો મારી પાસે એક જ વિકલ્પ છે કે મારે તેનો લિંક આપી દેવો; અને લ્યો, આ છે તે ઈન્ટરવ્યુનો લિંક.
હાદબ્લોગે કંઈક લખવું એટલે હાસ્યની હદમાં રહીને જ લખવું એ કંઈ જરૂરી નથી, છતાંય વાંચક પક્ષે તેમની અપેક્ષાએ જો ન્યાય વર્તવાનો હોય તો હાસ્યના દાયરામાં રહીને લખાય તે પણ તેટલું જ જરૂરી છે. સર્વ પ્રથમ તો કાસિમભાઈના ‘નવી કહેવતો’ જેવા સાવ નવીન વિષય ઉપર પ્રકાશ ફેંકું તો અહીં એક એવા કૌશલ્યનો સહારો લેવાયો છે કે જે થકી લોકજીભે બોલાતી આવતી કહેવતો કે રૂઢિપ્રયોગો આજના સંદર્ભમાં કટાક્ષમય રીતે રૂપાંતર પામે અને એ દ્વારા સમાજજીવનનાં બદલાએલાં મુલ્યો તરફ ઈશારો થાય. હાદ ઉપરથી ‘શોધ’ માધ્યમે આપ સૌ વાંચકો એ સઘળી જૂનીનવી કહેવતો વાંચીને આનંદ પ્રાપ્ત કરી શકશો. અહીં નમૂના દાખલ કેટલીક આપું છું કે જેથી એ સઘળી કહેવતો જોઈ જવાની વાંચકોની ઉત્સુકતા વધે.
“રાજાને ગમી તે રાણી , ને છાણાં વીણતી આણી”
”પ્રધાનને ગમ્યો તે પ્લોટ, ને કરાવી દીધો એલોટ!”.
“સાપ ગયા ને લીસોટા રહ્યા”
”નેતા ગયા ને વચનો રહ્યાં!”
“સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે ધમ ધમ”.
”નોટો નાંખો છમ છમ ને વોટો આવે રમઝમ!”.
સાહિત્યમાં પ્રતિકાવ્ય કે અનુકાવ્યના પ્રયોગો થાય છે તેવો જ અહીં આ હાસ્યકારનો આ સફળ પ્રયત્ન અને પ્રયોગ છે. મારા મનમાં પણ એવો એક ઉમળકો જાગે છે કે કોઈક જૂની કહેવતોને આજના નવીન સંદર્ભોએ બદલી હોય તો કેવું લાગે? ઉદાહરણ તરીકે, (1) ‘બાર ગાઉએ બોલી બદલાય’ માંના અંતર દર્શાવતા ‘ગાઉ’ શબ્દને બદલે તેની બરાબર થતા માઈલ કે કિલોમીટર કરી નાખવામાં આવે! (2) ‘છાતી ગજ ગજ ફૂલે’ માં ગજ (2 ફૂટ) ને વાર કે મીટરમાં બદલવામાં આવે! (3) ‘પાશેરામાં પહેલી પૂણી’ માં વજનસૂચક ‘પાશેર’ શબ્દને મેટ્રિક પદ્ધતિમાં બદલવામાં આવે! મારા વાંચકો મને માફ કરે, કેમ કે સહજ ભાવે કાસિમભાઈ વિષેના આ લેખમાં મારો પગપેસારો થઈ ગયો અને મારાથી ઔચિત્યભંગ થઈ ગયો!
કાસિમભાઈના વ્યક્તિત્વનાં બહુમુખી પાસાં વિષે વિશેષ કંઈક જાણીએ તે પહેલાં તેમને પહેલી નજરે ઓળખી લઈએ. તેઓશ્રી મારી જ જેમ S.S.C. (Super Senior Citizen) છે. મૂળે ગુજરાત (ભારત)માં જન્મેલા તેઓશ્રી પાકિસ્તાનમાં સ્થળાંતર કર્યા પછી ત્યાંથી કેનેડા સ્થાયી થઈને જીવનનો મોટો ભાગ તેમણે ત્યાં જ પસાર કર્યો છે. 1956માં મેટ્રિક થયા પછી પ્રતિકુળ આર્થિક સંજોગોના કારણે નોકરી સાથે રાત્રિ કોલેજ થકી અભ્યાસ કરીને આગળ ને આગળ વધતા જતાં તેઓશ્રી B.Com., F.C.A., F.C.M.A. ડીગ્રીઓ ધરાવતા થઈ ગયા. પોતે શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ કરી શક્યા અને સંતાનોને પણ તે માર્ગે આગળ ધપાવી શક્યા તેનું રહસ્ય એ છે કે તેમણે શિક્ષણના માહાત્મ્યને આ શબ્દોમાં ગ્રહણ કર્યું હતું : “Education is power, it is wealth and it is everything in life.” આમ તેમણે પોતાનાં સંતાનો અને ખાસ તો પોતાની બંને દીકરીઓને સારામાં સારું શિક્ષણ અપાવવાના હેતુથી ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા મોકલ્યાં.
હવે આપણે તેમના વિષેની થોડીક હળવી વાતો કરીને હળવા થઈએ. વેક્યુમ ક્લીનરનો મૂળ સંશોધક ‘જેમ્સ સ્પેન્ગલર’ કચરાભેગો ખેંચાઈ ગયો અને તે શોધના અધિકારો સાવ સસ્તામાં ખરીદી લેનાર ‘હુવર’ નું નામ આ ઘરગથ્થુ સાધન સાથે જોડાઈ ગયું. કેટલાંક ઉત્પાદનોનાં બ્રાન્ડ નેઈમ એવાં તો લોક્જીભે ચઢી જાય કે ઉત્પાદકો કરતાં ગ્રાહકો દ્વારા જ તેમનો વધુ પ્રચાર થાય. કેટલાંક શહેરોની ખાણીપીણીની વાનગીઓ વખણાતી હોય છે. કાસિમભાઈના એક વિધાનમાં ગણિતશાસ્ત્રના ગણ સિદ્ધાંત (Set Theory)ની અવગણના થતી લાગે છે. તેઓ લખે છે કે “વેક્યુમ ક્લીનર ‘હુવર’ના નામે વખણાય, ઘારી સુરતની વખણાય, પાન પાલઘરનાં, કેળાં વસઈના, તો દાબેલી પણ માંડવીની વખણાય!” કોઈપણ ગણના સભ્યો સમાન લક્ષણો ધરાવતા હોવા જોઈએ, પણ અહીં તેમ થતું નથી. આમ છતાંય હું વિરોધાભાસી એવા એક સામાન્ય લક્ષણે અને દલીલે તેમના વિધાનને ન્યાયી (Justified) ઠેરેવીશ. ઘર’નો પર્યાયવાચક શબ્દ ‘દર’ પણ છે. પેલું વેક્યુમ ક્લીનર ‘દર’ ને સાફ કરે અને પેલી ખાદ્ય સામગ્રી ‘ઉદર’માં જઈને ‘ઘન કચરા’ માં રૂપાંતરિત થઈને ત્યાં એકત્ર થાય!
વળી પાછા કાસિમભાઈના વ્યક્તિત્વના ગંભીર પાસાને યાદ કરીએ તો તેઓ ધાર્મિક રીતે ઉદારમતવાદી છે અને માનવધર્મને પ્રાધાન્ય આપે છે. તેઓ Rationalist (બુદ્ધિવાદી) વિચારધારા સાથે અંધશ્રદ્ધા, ધર્માંધતા અને આડંબરી વિધિવિધાન જેવા નકારાત્મક મુદાઓ પૂરતા અંશત: સંમત થાય છે ખરા, પણ ઈશ્વરના અસ્તિત્વને નકારતા નથી અને શુદ્ધ ભાવનાએ કરવામાં આવતી તેની સ્તુતિ કે ભક્તિને આવકારે છે. તેઓશ્રી એક જગ્યાએ પોતાનો મત આપતાં જણાવે છે કે ‘મારો ઈશ્વર તે છે જે મને સતત સત્ય માર્ગદર્શન આપ્યા કરે છે અને મને શીખવે છે કે માનવતા જ સાચો અને પહેલો ધર્મ છે, અને સ્તુતિ તે પછી આવે છે.’ જીવન વિષેનો તેમનો અભિગમ તેમના આ શબ્દોમાં પ્રતિબિંબિત થાય છે: ’જીવન જીવવા માટે છે અને જીવવું એક કળા છે. વળી પારકાંઓનાં દુ:ખોને દૂર કરવા માટે જીવવું એ એક મહાન કળા છે.’ આગળ પોતે નરસિંહ મહેતાના પદના આ શબ્દો કે જે મહાત્માગાંધીને પણ પ્રિય હતા તેમને યાદ કરે છે :’વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે.’ તેઓ સ્વામી વિવેકાનંદના આ અવતરણ સાથે સંમત થાય છે કે ‘હું એવા કોઈ ધર્મમાં નથી માનતો, જે ગરીબ અને વિધવાનાં આંસુ નથી લૂછતો તથા ગરીબ અને ભૂખ્યાના મોંમાં રોટલીનો ટુકડો નથી નાખતો’. “વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે” શીર્ષકે તેમણે લખેલા એક મનનીય લેખને વાંચવાની હું મારા વાંચકોને ભલામણ કરું છું. (આ લેખનો લિંક ફરીથી મેળવી ન શક્યો, પણ તેમની કૃતિ “પૈસાનું ગ્રુપ” અને તેમના ઉપરનો એક લેખ “સેવાના સુકાની જનાબ કાસિમ અબ્બાસ સાહેબ—જનાબ મુન્શી ધોરાજવી”ના લિંક મળી ગયા છે જે બદલ હું ખુશી વ્યક્ત કરું છું)
તેમનો ‘પયગંબર હઝરત મોહંમદ (સ.અ.વ.) સાહેબનો જન્મદિન’ વિષયે એક ઉમદા લેખ ગુજરાત ટાઈમ્સમાં પ્રસિદ્ધ થયો હતો અને કેનેડા સ્થિત મોહમ્મદઅલી ‘વફા’ના બ્લોગ ‘બઝમે વફા’માં JPG Image તરીકે સ્થાન પામ્યો છે. અહીં તેનો લિંક છે, જે ડબલ ક્લિકે વાંચી શકાશે. સદરહુ લેખ માઈકલ એચ. હાર્ટ નામના અમેરિકન લેખક દ્વારા લિખિત તેમના પુસ્તક “The 100 – A ranking of the most influential persons in history” (100 – જગતના ઈતિહાસમાં અતિ અસરકારક વ્યક્તિઓની તુલના) ઉપર આધારિત છે. આ પુસ્તકમાં ઈસ્લામના પયગંબર હજરત મોહમ્મદ (સ.અ.વ.) સાહેબને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે. અહીં આ બાબતનો ઉલ્લેખ કરવો એટલા માટે જરૂરી બની જાય છે કે જે થકી વાંચકોને કાસિમભાઈની વાંચનપ્રિયતા અને તેમની લેખનશક્તિનો પરિચય પ્રાપ્ત થઈ શકે.
અંતે કાસિમભાઈએ પોતાના એક લેખમાં QUOTE કરેલા સંત કબીરના આ શબ્દો “ કહે કબીર કમાલ કુ, દો બાતેં સીખ લે; કર સહાબ કી બંદગી, ઓર ભુખે કો કુછ દે.” ને યાદ કરીને આપણે છૂટા પડીએ.
પ્રણામ/સલામસહ
દુઆગીર/સ્નેહાધીન,
વલીભાઈ મુસા
(271) હાસ્ય દરબારનાં રત્નો – 5 (રત્નાંક – 5) * ચીમન પટેલ

[…] Click here to read in English […]