મારો આજનો આર્ટિકલ મારા અગાઉના ‘No honor in honor killing!’ (ગૌરવ હત્યામાં કોઈ ગૌરવ નથી!)સાથે સંપૂર્ણપણે નહિ, પણ મારી આ પ્રસ્તાવના ભાગ સાથે અમુક અંશે સંકળાએલ છે. મોટા ભાગના ગુજરાતી વાંચકોએ ઝવેરચંદ કાલીદાસ મેઘાણીને વાંચ્યા હશે કે જેમને મહાત્મા ગાંધીએ ‘રાષ્ટ્રીય શાયર’ તરીકેનું બિરૂદ આપ્યું હતું. તેમનાં વિખ્યાત સર્જનો તો અનેક છે, પણ અહીં હું લોકોમાં કદાચ ખૂબ જ ઓછું જાણીતું પણ મને અત્યંત સ્પર્શી ગએલું એક કાવ્ય રજૂ કરવા માગું છું. તે એક કરૂણ લોકગીત છે અને અંગ્રેજી કાવ્ય ‘Fair flowers in the valley’ (ખીણમાંનાં મોહક ફૂલો) ઉપર આધારિત છે. તે ભાવવાહી અને લાગણીમય ઢબે ગાઈ શકાય તેવું ગેય કાવ્ય છે. તે કાવ્યનું શીર્ષક અને ધ્રૂવ પંક્તિ છે ‘વનરામાં ગલ રાતાં ફૂલડાં’.
તો ચાલો આપણે મારા આર્ટિકલના શીર્ષકને ન્યાય આપવાના તથા વિષયપ્રવેશના હેતુસર સંક્ષિપ્તમાં આ લોકગીતનો સાર સમજી લઈએ. આ એક પરીણિત પણ માતૃત્વ ધારણ કરવા અસમર્થ એવી સ્ત્રી ઉપરનું ગીત છે. તે એકાદશીનો ઉપવાસ કરીને પોતાના ખોળે બાળક હોવાના આશીર્વાદ યાચવા અર્થે દેવમંદિરે પૂજાઅર્ચના કરવા જાય છે. વગડામાંના પોતાના માર્ગમાં ચોતરફ હરિયાળી વચ્ચે બેસુમાર લાલ રંગનાં ખીલેલાં ફૂલ દેખાય છે. આ ફૂલોની વચ્ચે સંપૂર્ણ વિકસિત, નવજાત અને જાણે કે જીવિત જ હોય તેવું એક આભાસી બાળક પેલી સ્ત્રીની નજરે ચઢે છે.
[…] Click here to read in English […]